કેટલાક વાચકો કહેશે; જાઓ હવે, એવું તે કાંઈ બને ? ‘ન ભૂતો ન ભવિષ્યતિ’. મહાદેવની વ્યુત્પત્તિ હિંદુ ધર્મના પ્રાદુર્ભાવથી પણ જૂની, કદાચ આઠ-દસ હજાર વર્ષ જેટલી પુરાણી હશે અને આ મિયાં જે સંદેશવાહકને માને છે તે મોહમ્મદ પયગંબર તો દોઢેક હજાર વર્ષ પહેલાં જ થઈ ગયા. એ બેમાં શું સામ્ય હોય, ભાઈ ? નીચે આપેલ સંવાદ જેમની વચ્ચે થયો તે બે વ્યક્તિ વચ્ચે ઉમરનો રેશિયો ૧:૩નો છે, જે સૂચવે છે કે નવી પેઢીની યુવતી ખૂબ પુખ્ત અને ઊંડા વિચારો ધરાવે છે અને આગલી પેઢીની જીવન સંધ્યાને આરે આવેલ શખ્સિયત નવા વિચારો સમજવા કોશિશ કરવા જેટલા ઉદાર અને સહિષ્ણુ છે.
એક વીસ-બાવીસ વર્ષની યુવતીની (જેને હું રેશમા તરીકે ઓળખાવીશ) કથા કાંઇક આવી છે. મૂળ લાહોરના, પણ બેલ્જિયમ અને નેધરલેંડમાં રહેતાં સજ્જન અને સન્નારીની ત્રણ પુત્રીઓમાંની આ વચેટ પુત્રી. પિતાને તૈયાર કપડાં યુ.કે અને યુરોપમાં વેંચવાનો ધંધો. રેશમા લાહોરમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મેટ્રિક કરી, કોલેજના બે વર્ષનો અભ્યાસ પૂરો કરી માન્ચેસ્ટર પોતાની બે બહેનો અને મા સાથે ત્રણ વર્ષ પહેલાં આવી, બી.ટેકની ઉપાધિ મેળવી અને હવે ફાઈનાન્સમાં સ્નાતકનો અભ્યાસ શરૂ કરવાની તૈયારીમાં છે.
રેશમા દરેક યુવાનની જેમ જ પોતાના વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવા આતુર હતી, તેમાં તેને હમદર્દ ઉત્સુક શ્રોતા મળી ગયો પછી જોઇએ જ શું ? બંને વચ્ચે અનૌપચારિક વાતો થઈ તેનો સારાંશ કાંઈક આવો છે. રેશમાને વિમાસણ થાય છે કે ભારતમાં પહેલાં હિંદુ-મુસ્લિમ પ્રજા મોટે ભાગે શાંતિથી હળીમળીને રહેતી હતી. ઇંગ્લિશ રાજ્ય દરમ્યાન એમણે એ બે કોમ વચ્ચે વૈમનસ્ય વાવ્યું અને છેવટ એક દેશના બે ભાગલા કર્યા, તો એમાં હજુ સુધી શાંતિ કેમ નથી સ્થપાઈ ? એ એમ માને છે કે ભારત-પાકિસ્તાનના રાજ્યકર્તાઓનાં સ્થાપિત હિત અને કાશ્મીરની પ્રજાની સ્થિતિ, લાગણી અને જરૂરિયાતો સમજવાની અશક્તિ તથા એ પ્રદેશની જાળવણી કરવાની ફરજ ચુકી જવાની વૃત્તિ આ તંગદિલી માટે જવાબદાર છે. રેશમાએ પોતાના નાનાજી અને દાદાજીને મોઢે આ વાતો સાંભળેલી. એની ઇચ્છા ભારતના પંજાબની સરઝમીન જોવાની છે. કહે, ‘આ મીડિયાવાળા અમને બહુ ડરાવે છે, મુસ્લિમોની સ્થિતિ ત્યાં સારી નથી એટલે જતાં ડર લાગે છે.’
રેશમા શિયા અને સુન્ની વચ્ચેના સંઘર્ષોથી પણ ખૂબ દુ:ખી છે. કહે, ‘અમે બધા માત્ર ઈસ્લામને અનુસરીએ છીએ, બસ. આ શિયા-સુન્નીના ભેદ તો ઈન્સાને કર્યા, તેનાથી શું ફાયદો થયો ? આમ તો દરેક મઝહબ ભલે જુદા રહ્યા, પણ આખર વાતો તો એક અલ્લાહના આપેલ પયગામને સમજીને એ પ્રમાણે જીવવાની જ કરે છે તો બધા શા માટે અંદર અંદર ઝઘડે છે?’ તેનું સ્પષ્ટ માનવું છે કે જો કેટલાક ધર્મસ્થાનોમાં અન્ય ધર્મો માટે ફેલાવાતી અફવાઓ બંધ થાય, શાસન કરનારાઓ આંતર વિગ્રહ અને અન્ય દેશો સાથે લડાઈઓ કરવાનો માર્ગ છોડે અને સામૂહિક પ્રચાર/પ્રસારના માધ્યમો દરેક કોમની સારી બાજુઓ બતાવે તો દુનિયામાં અમન ચેનથી લોકો રહી શકે, કેમ કે દરેક મુલકમાં લોકો તો એ જ ચાહે છે.
હિંદુ ધર્મી પરિવારમાં જન્મ લીધેલ શ્રોતાને આ સંવાદને અંતે કહેવાનું મન થયું, બહેન, તારા અને મારા વિચારોમાં ઘણું સામ્ય છે, માત્ર જરૂર છે આપણા જેવા લોકો વચ્ચે સંપર્ક વધારવાની અને તેની જાહેરમાં જાણ કરવાની. હજુ એક ડગલું આગળ વધવાનું રહેશે. જયારે પણ અમાનવીય કૃત્યનું આચરણ થાય ત્યારે તમામ ધર્મના સંવેદનશીલ અને જાગૃત નાગરિકોએ સંગઠિત થઈને એ કૃત્યને વખોડી કાઢવું અને જે તે વ્યક્તિ પોતાના ધર્મ કે સંસ્કૃિતનો સભ્ય નથી તેમ જાહેર કરવું. કાયદો તેને સજા કરે કે ન કરે, પણ સમાજ દ્વારા તેનો તત્કાલ બહિષ્કાર થવો ઘટે.
એક અજાણી યુવતી સાથેના આ સંવાદથી નવી પેઢી આતંકવાદ અને હિંસામાંથી ઉગરવાનો માર્ગ ખોળી કાઢશે એવી ધરપત થઈ.
e.mail : 71abuch@gmail.com