સવારના પહોરથી માંડીને રાત્રે સુવા ટાણા સુધીમાં છાપું વાંચો કે સ્માર્ટ ફોન પર whats આપ તપાસો, ટેલીવિઝન પર સમાચાર જુઓ કે ફેઇસ બુક પર નજર નાખો, ઈ.મેઈલ ખોલો કે કોઈ કુટુંબી-મિત્રો સાથે વાત કરો, જ્યાં ત્યાં અને જ્યારે ત્યારે બસ અમુક જગ્યાએ બોમ્બ ફૂટ્યો, અમુક દેશમાં ફલાણી સંખ્યામાં યુવાન સ્ત્રીઓને પકડીને લઈ ગયા, કોઈ ઓફિસમાં ગન ફાયરથી આટલી લાશો ઢળી, કોઈ કબ્રસ્તાનમાં કેટલીક કબરો ખોદીને ભાંગફોડ કરવામાં આવી, ક્રોધે ભરાયેલા યુવાનો બીજી કોમ વિરુદ્ધ સૂત્રો પોકારે અને દીવાલો પર તેનું વરવું ચિત્રણ કરે છે, આટલાં એરોપ્લેન તૂટી પાડવામાં આવ્યાં, મોટા મોટા શોપિંગ મોલમાં બંદૂકની અણીએ કેર વર્તાવ્યો અને આટલા લોકોએ જાન ગુમાવ્યા, એવા એવા સમાચારોનો સતત મારો ચાલ્યા કરે છે. થાય છે કે એવા ગ્રહ ઉપર રહેવા જઈએ જ્યાં માનવ માનવ બનીને શાંતિથી જીવતા હોય અને જીવવા દેતા હોય !
હાલની પરિસ્થિતિથી વ્યથિત થયેલ એક સજ્જનની હૃદયવ્યથા મારા વાંચવામાં આવી. જર્મનીના એક જાણીતા પ્રતિષ્ઠિત માનસ ચિકિત્સક કે જેમના પૂર્વજો બીજા વિશ્વ યુદ્ધ પહેલાં અનેક ઉદ્યોગો અને જાગીરના માલિક હતા. તેમના કુટુંબ પર વીતેલી યાતનાઓ યાદ કરતાં તેઓ કહે છે કે ‘અમે તો એમ ધારેલું કે નાઝી એ તો થોડા મૂર્ખ લોકોનું જૂથ છે, એટલે અમે તેના પર કંઈ ધ્યાન ન આપ્યું અને તેઓએ જે કેર વર્તાવ્યો તે જોયા કર્યું. અમે એ ભયાનક પરિસ્થિતિથી સજાગ થઈએ તે પહેલાં તેમણે અમારા પર માલિકી જમાવી, અમે અમારા ઉપરનો કાબૂ ગુમાવ્યો અને અમારા વિશ્વનો જાણે અંત આવ્યો. મારા કુટુંબે બધી માલમત્તા ગુમાવી અને હું કોન્સન્ટ્રેશન કેમ્પમાં પુરાયો.’
હાલની સ્ફોટક પરિસ્થિતિના અનુસંધાનમાં તેઓ કહે છે કે આપણે હવે ગફલતમાં રહેવું પોસાય તેમ નથી. એમણે એમ પણ કહ્યું કે, ‘નિષ્ણાતો કહે છે કે ઇસ્લામ એક શાંતિપ્રિય ધર્મ છે, જે હકીકત કદાચ સાચી હોય તો પણ અત્યારે એ અર્થવિહીન સાબિત થઈ રહી છે. તેનાથી અત્યારે ઈસ્લામને નામે થતી ખાનાખરાબીનો જવાબ નહીં મળે. હકીકત એ છે કે એ મુઠ્ઠીભર આતંકવાદીઓ જ પોતાના ધર્મ પર રાજ કરે છે, ઠેક ઠેકાણે કૂચ કરી દેખાવો કરે છે, દુનિયાના ખૂણે ખૂણે લડાઈઓ છેડે છે, આફ્રિકાના નિર્દોષ ક્રિશ્ચિયન અને આદિવાસી લોકોની પધ્ધતિસર હત્યા કરીને આખા ખંડને ઇસ્લામિક મોજા નીચે તાણી લેવા પ્રયત્નશીલ છે, અને એ લોકો જ બોમ્બ ફેંકે છે, શિરચ્છેદ કરે છે અને ધર્મની કહેવાતી રક્ષા માટે હત્યા કરે છે. એ આતંકવાદીઓ જ મસ્જિદોનો કબજો લઈ લે છે, બળાત્કારનો ભોગ બનેલા અને હોમોસેક્સુઅલને પથ્થરમારો કરીને મારી નાખે છે, અને એ લોકો જ પોતાની જ કોમના નાના કૂમળાં બાળકોને સ્યુસાઈડ બોમ્બર બનાવી મોતને ઘાટ ઉતારે છે.’
આ લેખકના આક્રોશ સાથે ઘણા વાચકો સહમત થશે. એમણે આપણું એ હકીકત તરફ ધ્યાન દોર્યું છે કે મોટા ભાગના રશિયન શાંતિપ્રિય હોવા છતાં સામ્યવાદી શાસન દરમ્યાન 20 મીલિયન રશિયનો માર્યા ગયા, ચીનમાં પણ સામ્યવાદી સરકારે જ 70 મીલિયન ચાઈનીઝ્ના જાન લીધા. એવું જ દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલાના જાપાનીઝ લોકો કંઈ લડાકુ કે ખુન્નસ માનસ વાળા નહોતા, છતાં લગભગ 12 મીલિયન ચાઇનીઝને તલવાર, પાવડા ને બંદૂકની બેયોનેટથી મોતને ઘાટ ઉતાર્યા. વળી રુઆન્ડાનો મહાસંહાર કેમ ભૂલાય? ઇતિહાસના પાઠ ઘણી વખત સાવ સીધા અને સમજવા સહેલા હોય છે. ઉપર કહેલા બધા દેશોમાં બહુમતી પ્રજા તદ્દન શાંતિપ્રિય હતી છતાં તેમનો અવાજ ન સંભળાયો અને એ લોકો જ નિર્દય સંહારનો ભોગ બન્યા. એવું પણ બની શકે કે શાંતિપ્રિય મુસ્લિમ લોકો જ આપણા દુશ્મન બની જાય કેમ કે જે દિવસે તેઓ આ સ્થિતિથી જાગશે ત્યારે ભાન થશે કે તેમની ચોટલી તો આ અંતિમવાદીઓના હાથમાં છે અને ત્યારે પેલા જર્મન સજ્જન સાથે બન્યું તેમ તેમનો અને જગતનો અંત થવાની શરૂઆત થઈ ચુકી હશે. શાંતિપ્રિય જર્મન, ચાઇનીઝ, રશિયન, રુઆંડન્સ, સર્બિયનન્સ, અફઘાન્સ, ઈરાકી, પેલેસ્તેિનયન્સ, સોમાલી, નાઈજીરિયન્સ, અલ્જીિરયન્સ અને અન્ય લાખો કરોડો જાન ગુમાવી બેઠા હશે કેમ કે એ શાંતિપ્રિય લોકો આતંકના વિરોધમાં અવાજ ઉઠાવવામાં મોડા પડ્યા.
આ લેખ વાંચતાં વિચાર જરૂર આવ્યો કે ખરેખર દુનિયામાં સામાન્ય પ્રજાને આ ધર્માંધ હિંસક લડાઈ સાથે સીધી કોઈ લેવા દેવા નથી, તેમાંના મોટાભાગના શિક્ષિત છે અને વગ ધરાવતા સ્થાનો પર નોકરી કરે છે અને ખાનગી વાતચિત દરમ્યાન ‘આ બહુ ખોટું થાય છે, અટકાવવું જોઈએ’ એમ કહે છે પણ ખરા, પણ સંયુક્તપણે કોઈ અસરકારક પગલાં લઈ નથી શકતા અને પરિણામે હિંસાનું તાંડવ અવિરોધ ચાલ્યા કરે છે. એવા જાગૃત લોકોએ ધર્મને નામે પ્રજાની સમજશક્તિનું ધોવાણ કરનારા તત્ત્વોથી પણ સજાગ રહેવું જોઇશે.
ભારત ઉપર ઉલ્લેખ કર્યો છે તે દેશોની સરખામણીએ શાંતિ અને સલામતી જાળવી શક્યો છે તેમ કહી શકાય, પરંતુ તેના પાડોશી દેશો સાથેના તંગદીલીભર્યા સંબંધો અને ત્યાંથી ઢોળાઈને આવતો આતંકવાદ અને દાયકાઓ જૂના કોમી વિખવાદને કોમી એખાલાસમાં પરિવર્તિત કરવાને અશક્ત એવા રાષ્ટ્રના બુદ્ધિજીવીઓ અને દેશના ઘડવૈયાઓએ આ મુદ્દો ધ્યાનમાં લઈને સક્રિય પગલાં લેવાની તાત્કાલિક જરૂર છે. નહીં તો કહેવાતા ‘બાપુ’ અને ધર્મોપદેશકો પોતાના સંકુચિત વિચારોને પોતાના સ્થાનના બળ ઉપર લોકોને ગળે ઉતરાવવા પૂરા સક્રિય બનેલા જ છે તેમને સફળતા મળી જશે. તેનું એક ઉદાહરણ આપું. કચ્છના સ્વામીનારાયણ સંપ્રદાયના એક ‘સ્વામી’ (???) પોતાના ભક્તજનો(???)ને એક મહામૂલ્ય સંદેશ આપતા હતા તે યુ ટ્યુબ પર મુકેલું મને કોઈ એક બહેને ‘ફોરવર્ડ’ કર્યું. એ સાંભળ્યા પછી એ મોકલનાર બહેન, એ સંદેશ આપનાર સ્વામી અને એ ચેતવણી સાંભળનાર શ્રોતાઓ કેટલા ફોરવર્ડ છે તેનો ખ્યાલ આવ્યો. અહીં તેનો સારાંશ આપું છું :
‘જેની પાસે મોટર બાઈક કે ગાડી ન હોય તેવા લોકો કોની રિક્સા કે છકડામાં બેસે છે તેનો ખ્યાલ કરે. માઈલો દૂર ચાલીને જવું પડે તો ભલે પણ કોઈ મુસલમાનની રિક્સા કે છકડામાં બેસશો તો તમારી બહેન-દીકરીની લાજ જોખમમાં મુકશો. એટલું જ નહીં કેટલાક ખેડૂતો પોતાના ખેતર પાસે ‘વિધર્મીઓ’ને ગાય કે ભેંસનો તબેલો કરવા દે છે. એ ચોપગાંનાં ખાતર એ લોકો વિધર્મીઓને પોતાની બાજુમાં આવવા દે છે અને પોતાની દીકરીઓને ગીરવી મૂકે છે. તમે સ્વામીનારાયણના પૂજક હો તો આવા વાડાને બહાર કરી મુકજો. ગામની ગોશાળામાં કે પાંજરાપોળમાં ગાયો માટે દાન દેજો પણ કોઈ મુસલમાનની ગાયોને દાન ન દેતા. વાડીમાં કામ કરતી તમારી દીકરીઓ ઉપર એ વિધર્મી બૂરી નજર નાખે એટલે એને ભગાડી મુકજો. દરેકને પગે લાગીને કહું છું કે હિન્દુની રિક્સામાં બેસવાનો વાંધો નથી પણ મુસલમાનની રિક્સામાં બેસતા નહીં.’
હવે આ સ્વામીની વાતો કેવી વાહિયાત છે? છતાં સેંકડો-હજારો સ્વામીનારાયણના ભક્તો આ સાંભળશે અને કદાચ તેને અનુસરશે પણ ખરા. આવા કૂપમંડૂક વિચારો અને કોમવાદી માનસ ધરાવનારાઓને કહેવા ઈચ્છું છું કે મેં ભારતમાં એક સંસ્થામાં કામ કરેલું છે જ્યાં અનેક સ્ત્રીઓ અને બાળાઓ બળાત્કાર, ઘરેલુ હિંસા અને શારીરિક-માનસિક ત્રાસનો ભોગ બનીને આશ્રય શોધવા આવતી. એ બધી બદનસીબ બહેનો હિંદુ હતી અને તેમના પર થતો અત્યાચાર તેમના જ કુટુંબીઓ અને સમાજના લોકો તરફથી થતો. તેઓ અનેક રિક્સાચાલકો અને ખેતરમાં વાડાઓમાં કામ કરતા પિશાચોના શિકાર બનતાં તેના અમે સાક્ષી હતા અને તેઓ બધા હિંદુ હતા. એટલું જ નહીં, મેં એવા બે કેઈસ પર કામ કરેલું જેમાં મારે સ્વામીનારાયણ મંદિરોમાં ચાલતી ગેરરીતિઓ પર લડવું પડેલું.
અહીં એક વાત નોંધવી રહી કે સ્ત્રીઓ પર અત્યાચાર કરવાનો પરવાનો માત્ર એક ધર્મના લોકો પાસે નથી, તેમ જ બીજા ધર્મ વિરુદ્ધ ઝેર ઓકવાનું વલણ પણ કોઈ એક કોમના લોકોનું નથી હોતું એ સૂચિત ક્લીપથી સાબિત થયું. દુખની વાત તો એ છે કે આવા ‘ધર્માત્માઓ’ને ઘણા લોકો સાંભળવા જાય, આવી ક્લીપ્સનો પ્રચાર-પ્રસાર થાય અને પોતાના જ દેશબાંધવો વિરુદ્ધ લાગણી ફેલાવવાનું કામ કહેવાતા ભણેલા લોકો કરે. મને તો એવા લોકો અને જેમના પર બ્રિટન-અમેરિકાની સરકારો દ્વારા પ્રજાની શાંતિ અને એકતાને જોખમમાં લાવવા બદલ કાયદાથી કામ લેવામાં આવી રહ્યું છે તેમનામાં કોઈ ફરક નથી જણાતો. બહેતર તો એ છે કે આવી વાતો પર ધ્યાન દેવામાં ન આવે, અને તેનો પ્રસાર કરવામાં ન આવે. દુ:ખની વાત તો એ છે કે કચ્છના લોકો એ વાતનું ગૌરવ લઈ શકે તેમ હતા કે એ પ્રદેશમાં સદીઓથી વિવિધ જાતિઓ અને ધર્મના લોકો આવીને વસ્યા અને તેમની સાથે કળા, ભાષા, સંસ્કૃિત, પોશાક, ધાર્મિક તહેવારો અને ખોરાકની આપ-લે થતી અને એખલાસભર્યા વાતાવરણમાં પેઢીઓ ઉછરી. દેશમાં અન્ય સ્થળે કોમી રમખાણોનો દાવાનળ સળગ્યો હોય ત્યારે કચ્છી માડુ શાંતિથી જીવ્યે જતો હતો. એ ભૂમિમાં આવા કોમવાદનાં બીજ રોપનારને કદી સફળ નહીં થવા દેવાનો નિર્ણય ત્યાના રહેવાસીઓ કરે તેવી પ્રાર્થના.
ભારતમાં ઉપર કહ્યા તેવા કોમવાદનું ઝેર ફેલાવનાર વ્યક્તિઓ અને સંગઠનોની ખોટ નથી. તેવે વખતે અબુ ધાબીના ટેલીવિઝન પર 2006માં એક બુધ્ધીજીવી મી. મુસાવીની મુલાકાત પ્રસારિત થયેલી જે તાજેતરમાં જોવા મળી એ વિષે જાણવું રસપ્રદ થશે. સૌ પ્રથમ તો ભારતીય ‘સંત’ એટલે ઉદાર વિચારો ધરાવતો અને કોમવાદી ઝેર ઓક્નારો ન હોય અને અબુ ધાબીનો બુદ્ધિજીવી એટલે આખર તો મુસલમાન એટલે અંતિમ ધાર્મિક વિચારો ધરાવનારો અને ખુન્નસ ભરેલા વિચારો ફેલાવનારો જ હશે એવી સર્વ સામાન્ય છાપ સરેરાશ માણસ ધરાવે છે. મી. મુસાવીના વિચારો જાણ્યા પછી વાચકો જાતે નિર્ણય લઈ શકશે. ભાઈ મુસાવીને આરબ જગતમાં સામાજિક વિશ્વાસઘાતના આરોપો મુકીને કોઈને કોઈ બુદ્ધિવાન જાગૃત નાગરિક, વિચારક કે કવિને એક નહીં ને બીજા ગાળિયામાં ફાંસી આપવામાં આવે છે જેનું દુ:ખ છે અને આવાં કૃત્ય સંસ્કૃિત અને તેની ક્રિયાત્મક શક્તિની વિરુદ્ધ છે એમ લાગે છે. તેમને આરબ લોકોમાં આવી પછાત વિચારધારા રૂપી કોલેસ્ટ્રોલ કે જે લોકોના મસ્તિષ્ક અને ધોરી નસોમાં જમા થતું જાય છે તેને દૂર કરવાની હિંમત હોવી જોઈએ . મી. મુસાવી સ્પષ્ટ પણે માને છે કે ભૂતકાળમાં આરબ સંસ્કૃિત આંડાલુસિયા(દક્ષિણ સ્પેઇન)થી માંડીને ઘણા દેશોમાં વિકસી હતી પણ આજે એ અધોગતિ તરફ વળી રહી છે. પોતાની જ કોમ આજે હિંસાનો નિકાસ કરે છે, સમગ્ર દેશને આતંકથી ભયભીત કરી મૂકે છે અને અન્ય દેશોની સલામતીને જોખમમાં મૂકી રહ્યા છે એ વિષે તેઓ ઘણો રંજ અનુભવે છે. મસ્જીદનો તખ્ત હવે જનતાને હિંસાના મુખમાં ધકેલી રહ્યો છે, એમને ‘બીજાઓ’ પ્રત્યે નફરત કરવા પ્રેરીને booby trap કરે છે માટે આપણે આપણી ધાર્મિક વિચારધારાને તપાસીને સુધારવીજોઈશે તેમ કહેનાર ઘણો હિંમતવાન હોવો જોઈએ. એ મુલાકાતમાં મી. મુસાવીએ ધર્મ ઉપર રાજકારણનો દબાવ, શહીદ થયેલાઓ માટે સ્વર્ગમાં અપ્સરાઓ રાહ જોતી હશે તેવો ધર્મને નામે થતો પ્રચાર વગેરે જેવાં પરિબળોને કારણે નિર્દોષ પ્રજા, યુવાનો, સ્ત્રીઓ અને બાળકો જાન ગુમાવે છે તેનો ઉલ્લેખ કર્યો. આ મૃત્યુની ભાષા છે, આપણે આવી રીતે મૃત્યુ પામવા કે બીજાને એ રીતે મારવા નથી જન્મ લેતા પરંતુ માનવ જીવનનું સાર્થક્ય પોતાની માતૃભૂમિને ખાતર સુંદર જીવન જીવવામાં છે એવું દ્રઢપણે મી. મુસાવી માને છે. ધાર્મિક વૃત્તિ ધરાવનાર મુસ્લિમ, બીજાને સત્કારતો બંધ થાય, કયામતને દિવસે સતત નરકનો ભય બતાવતો ફરે, જ્ઞાનની મશાલ ધરવાને બદલે શિક્ષણ અને સુંદર વાચનથી દૂર ભાગે તે ઇસ્લામ ધર્મનો અનર્થ કરે છે જેથી કરીને એનું પોતાનું મન કેટલાક આદર્શો અને સિદ્ધાંતોની ખાઈઓમાં અપહૃત થઈ જાય છે અને તેનો પ્રચાર કરીને બીજાને પણ એ ખાઈમાં લઈ જાય છે. આ યુવાન ગાંધીના એકાદ બે જીન્સ આરબ પ્રજાને મળે તો દરેક યુવાનમાં રોપવા માંગે છે. ઘરમાં જીસસ, ગાંધી અને માર્ટીન લ્યુથર કિંગની તસ્વીરોમાંથી પ્રેરણા લેનારો, શાસ્ત્રીય સંગીત માનવીના આત્માને ખીલવનાર અને નમ્ર બનાવનાર ઉત્તમ સાધન ગણનાર કેવો ઉદારમત ધરાવનાર હશે? તેમણે 70 મીલિયન જેટલા અશિક્ષિત આરબ બંધુઓને શિક્ષણ મેળવીને ઉત્કૃષ્ટ વાંચનની ટેવ કેળવવા અનુરોધ કરીને મુલાકાત પૂરી કરી.
આજે ભારતમાં પેલા સ્વામીનારાયણ પંથી સ્વામી જેવી મનોવૃત્તિ ધરાવનાર નહીં પરંતુ અબુ ધાબીના આ બુદ્ધિજીવી જેવા યુવક-યુવતીઓની બનેલ સેનાની તાતી જરૂર છે કે જેઓ પોતાના અને પોતાના દેશબંધુઓની શાંતિપ્રિયતાનો વિચાર બુલંદપણે માત્ર ઘોષિત જ કરે તેટલું પૂરતું નથી પણ એમની પિપૂડી એવી સક્ષમ બને કે આતંકવાદના ઢોલના અવાજને પાતાળમાં ધરબીને શાંતિ અને અમન ભર્યું ચમન બનાવી શકે.
e.mail : 71abuch@gmail.com