મને −
મારા અસ્તિત્વને
પતંગના દોરે,
આમતેમ
ગમે ત્યાં લઈ જવાની
મેં કોઈને છૂટ આપી નથી.
મારી લાગણીઓને
નિ:સહાય, આળી બનાવી,
ગુંગળાવી દેવાનો
મેં કોઈને ઈજારો દીધો નથી.
મારા વિચારોને
કાબૂમાં લઈ,
અન્ય વિચારો લાદવાનો
મેં કોઈને અધિકાર આપ્યો નથી.
હું −
મુક્ત મને વિચાર કરનાર,
આત્મવિશ્વાસે નિર્ભર,
‘સ્વ’નો પરિચય પામનાર
નારી −
સમાજનો પડકાર છું,
મનુષ્યનું સન્માન છું.
મારા આત્માનો ચિન્મય ઉદ્દગાર છું.
(‘કવયિત્રીનો કાવ્ય સંગ્રહ :‘આવતા રે’જો’, પૃ. 5)
https://www.youtube.com/watch?v=Rt-qkg1DVKc