એકતા દોડ વચ્ચે … જરી પોરો ખાઈને !
સન ચોરાસી : વળતર વધારો એ તો જાણે કે સમજ્યા, પણ ગુનેગારો ઉઘાડે છોગ મહાલે છે એનું શું?
શુક્રવારે નમતે પહોરે મુંબઈ સ્થિત વાનખેડે સ્ટેિડયમના તામઝામ અને શિવસેનાના મનામણાંની ટીવી ઝલક જોઉં છું. દરમિયાન, નવી દિલ્હીથી સમાચાર ઉતરે છે કે બાદલ અકાલી દળનું પ્રતિનિધિ મંડળ ગૃહપ્રધાન રાજનાથસિંહને 1984ના શીખવિરોધી રમખાણ સબબ પાંચ પાંચ લાખની રકમ જાહેર કરવા બદલ આભાર માનવા મળ્યું છે. જો કે, પૂર્વે મનમોહન સરકારે જાહેર કરેલ સાડા ત્રણ લાખ કે નમો સરકારના ત્રણ લાખ કે નમો સરકારના પાંચ લાખ પણ ઓછા છે એમ કહેવા સાથે અકાલી દળે એવી પણ માંગ કરી છે કે કેટલાયે ગુનેગારો હજી ઉઘાડે છોગ ફરી રહ્યા છે.
એમને કાયદેસર નસિયત આપવી રહે છે. નમો સરકાર આ બાબતમાં કેટલી આગળ વધશે તે જોવું રહે છે. પંજાબમાં સત્તા-સહભાગી અકાલી દળને રીઝવવા અને શીખ કોન્સ્ટિટ્યુન્સીમાં વિસ્તરવા સારુ આ મુદ્દે એને એક તક ચોક્કસ છે. સવિશેષ તો, કોંગ્રેસને કદ પ્રમાણે વેતરી અગર ઓગાળી કાઢવાની રાજનીતિની દૃષ્ટિએ પણ આ મુદ્દો મહત્ત્વનો છે. અને વાત પણ સાચી કે 1984ના સંહારસત્રની જવાબદારી બાબતે ત્યારનો સત્તાપક્ષ હાથ ઊંચા કરી શકે નહીં, જેમ 2002ના ઘટનાક્રમની જવાબદારી બાબતે ગુજરાતના નાગરિક સમાજે હંમેશ કહ્યું છે; અને અહીં કંઈક પરિણામ પણ આણ્યું છે. બલકે, હવે સંકેલાઈ રહેલી ગોધરા તપાસની વાસ્તવકિતાને વિગતસમૃદ્ધ અને તર્કબદ્ધ રીતે રજૂ કરતા પુસ્તક "ધ ફિકશન ઓફ ફેકટ ફાઈન્ડિંગ'(‘તપાસ નહીં પણ તરંગ કથા')ના લેખક મનોજ મિટ્ટાએ સુપેરે ચર્ચ્યું છે તેમ ગુજરાત એ સર્વપ્રથમ ‘પોગ્રામ' (સંહારકિસ્સો) નહોતો. 1984 એથી પૂર્વે થયેલ ‘પ્રોગ્રામ' કિસ્સો છે. અડવાણીએ પોતાનાં સંસ્મરણોમાં િમટ્ટાની આ વાત સંભારી પણ છે.
નમો સરકાર જો 1984 બાબતે વધુ તપાસમાં જવા માગતી હોય – કેજરીવાલની ટૂંકજીવી દિલ્હી સરકારે તો આ મુદ્દે ‘એસઆઈટી'ની જિકર કરી જ હતી, પણ એ સરકાર ગઈ અને લેફટનન્ટ ગવર્નર હાલ્યાચાલ્યા નથી – તો તે ઠીક જ થશે, પણ 1984 અને 2002ના સરખાપણાનો પેરેલલ આગળ કરતી વખતે ભાજપે જરી જાતતપાસમાં પણ જવું પડશે. 1984 કરતાં 2002માં કસુરવારોને કંઈકે નસિયત આપી શકાઈ હોય તો તે ભાજપની સિદ્ધિ નથી.
સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરી અને ગુજરાતના નાગરિક સમાજની જાગૃતિએ રાજ્ય સરકાર અને સત્તાપક્ષના અવરોધો વટીને તે હાંસલ કરેલ છે. કદાચ, 1984માં નહીં માલૂમ પડેલો એટલો સંવેદનશીલ અને સક્રિય નાગરિક સમાજ એની બધી મર્યાદાઓ વચ્ચે 2002માં બહાર આવ્યો છે. જો કે, અહીં પણ ખાસું અંતર કાપવાનું છે એ વળી જુદી વાત થઈ. ગમે તેમ પણ શીખવિરોધી સંહારસત્રમાં ન્યાયનો મુદ્દો માથે ચઢાવવા સાથે અને છતાં સમગ્ર પ્રશ્નને વધારે વળતરમાં કે કાનૂની સજાપ્રક્રિયામાં જ સમેટી શકાય તેમ નથી.
ભાજપની દિલ્હી ફતેહ અને મહારાષ્ટ્ર-હરિયાણાનાં પરિણામોમાં નાતજાતકોમથી ઉફરી તરાહ જોવાનું એક વલણ છે. એમાં સત્યાંશ છતાં ચોક્કસ મર્યાદા પણ છે. તમે ઉજળિયાતથી ઓબીસી સંક્રાન્તિ જુઓ : પૂર્વે ભાજપને આ પ્રક્રિયામાં નાતજાતવાદ લાગતો હતો ! મહારાષ્ટ્રમાં એસ.એમ. જોષી સહિતના અનેક સમાજવાદી (અને બ્રાહ્મણ) નેતાઓએ નવા સમાજને સારુ રસ્તો ખોલવાની રીતે વ્યાપક અભિગમ લીધો તો મરાઠાઓ સત્તા લગી પહોંચી શકયા. નવી દિલ્હીમાં મોદી અને મહારાષ્ટ્રમાં એક તબક્કે મુંડે એવાં જે ઓબીસી નામો ચાલ્યાં એની પૃષ્ઠભૂ આ રીતે જોવા જેવી છે.
શિવશાહી ઠોકશાહી છાપ શિવાજી સામે ફૂલે જેવાને શિવાજી જે કારણસર ‘અમારા શુદ્રોના રાજા' લાગતા હતા તે પણ તપાસવા જેવું છે. આજે હરિયાણામાં બિનજાટ અને મહરાષ્ટ્રમાં બિનમરાઠા નેતૃત્વનું જે મહિમાગાન ચાલે છે તે િહંદુત્વ રાજનીતિને વરેલી મંડળીના વશની સરળ વાત નથી. શુક્રવારે સરદાર વિશે વિગતે વાત કરવા સાથે મોદીએ પુણ્યતિથિ પ્રસંગે ઇન્દિરાજીને સંભારવા માટે પણ એકબે લીટી ખતવી છે એની અહીં નોંધ લેવી જોઈએ. ભાઈ, આ કટોકટીખ્યાત મહિલાએ શીખ અંગરક્ષકોથી કિનારો ન કર્યો એ વ્યક્તિગત ધોરણે કોઈ સામાન્ય વાત નથી.
ભીંદરાંવાલે કોંગ્રેસની આંતરિક રાજનીતિમાં ઇન્દિરાજીનું સર્જન હતા એ જો સાચું હોય તો એ પણ સાચું છે કે ઓપરેશન બ્લુ સ્ટાર એ દેશની અખંડિતતા માટેની કારવાઈ હતી. ભીંદરાંવાલેની વિભાજક-વિઘાતક રાજનીતિ વિશે ભાજપના સત્તાસાથી અકાલી દળે ક્યારેક તો ખોંખારીને બોલવું જોઈશે. જેની પ્રતિભા કોઈ સ્થૂળ ઊંચાઈની મોહતાજ નથી તે સરદારને ‘હિંદુ રાષ્ટ્ર' એક પાગલ ખયાલ લાગતો હતો. એકતા દોડના આયોજકોની સામે દેશનું આવું કોઈ સમગ્ર ચિત્ર છે કે કેમ તે હજી આપણે જોવું જાણવું સમજવું રહે છે.
મુદ્દે, ઉજળિયાતમાંથી ઓબીસી સંક્રાન્તિ કે કેવળ દલિત ઉન્મેષ અગર તો ચૂંટણીની રાજનીતવિશ ‘મતબેંકવાદ' કે ‘સામાજિક ઈજનેરી' – આ કશાથી આપણી મૂળભૂત ભાવઠ ત્યાં સુધી ભાંગવાની નથી જ્યાં સુધી આપણા પક્ષો તમને અને મને નાગરિક તરીકે જોતા ન થાય, અને આપણે એમને એ ધોરણે ઠમઠોરતા ન થઈએ. કાશ, બિનજાટ, બિનમરાઠા નેતૃત્વનાં દૂખણાં લેતી એસ્પિરેશનલ મિડલ કલાસ ચિયરાંગનાઓ આ સમજી શકે !
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Nov 01, 2014