મોદીયુગની સરકારી જાહેરાતની ધૂનમાં કેટલાક ભક્તજનો ‘નવું ભારત’ કહેવા માંડ્યા છે. જો કે એક અર્થમાં એ તદ્દન સાચું છે, કારણ કે બેકારી જેવી કેટલીક બાબતોમાં વિક્રમસર્જક વધારો આ ભારતને નવું ભારત ગણાવી શકે!
લોકસભાની ચૂંટણીના હાકલા પડકારોમાં યુવા બેકારીનું ચિત્ર સરકારી આંકડાઓ મુજબ કેટલું વરવું છે તે જાણવું જરૂરી છે. નહિતર ‘પકોડા ઉદ્યોગ’ની વાતો કહીને મદારીઓ તાળીઓના ગડગડાટ પામશે. અત્યારે ભારતમાં ૩૫ ટકા યુવાનો છે. એ અર્થમાં ભારત વિશ્વનો સહુથી યુવાન દેશ છે. જે દેશમાં આટલાં યુવાનો હોય ત્યાં યુવાનો માટે સૌથી વધુ બજેટ અને યોજનાઓ હોવી જોઈએ. અચ્છે દિન, ૧૦૦ સ્માર્ટસિટી, પંદર લાખની જેમ જ પ્રતિવર્ષ બે કરોડ નોકરીનું ગાજર લટકાવીને મોદી સરકાર અસ્તિત્ત્વમાં આવી. પરંતુ યુવાનોના સંદર્ભે વાસ્તવિક તદ્દન વિપરિત છે. જેના કારણે બેરોજગારી ચરમબિંદુએ પહોંચી છે. વળી આ યુવાનોની ડિગ્રી મોદીસાહેબ કે સ્મૃતિ ઇરાની જેવી નથી. મોંઘીદાટ શિક્ષણવ્યવસ્થામાં પેટે પાટા બાંધીને મેળવી છે.
ઈ.સ. ૨૦૧૧ની વસતિગણતરીમાં ૪૨ કરોડ યુવાનો હતા જે ૨૦૨૧માં ૪૭ કરોડ થશે! ઉચ્ચ શિક્ષણનું ખાનગીકરણ, કુદરતી સંસાધનોનું ખાનગીકરણ, સરકારી સંપત્તિનું ખાનગીકરણ જે તીવ્ર વેગે થઈ રહ્યું તેનાં કારણે બેકાર યુવાનોની સ્થિતિ કફોડી બની છે. ખેડૂતો પછીના ક્રમે નિરાશ યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. માત્ર વિદ્યાર્થીઓની જ વાત કરીએ તો એક પત્રિકાને ઇન્ટરવ્યુ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લાં ચાર વર્ષમાં એટલી રોજગારી મળી છે કે ગણી જ ન શકાય! વાત સાચી છે કારણ કે એટલી ઓછી છે! તઘલખી તર્ક કરતાં એમણે કહ્યું ૧૦,૦૦૦ રિક્સા વેચાઈ તેથી દશ હજાર ડ્રાઈવરને રોજગાર મળ્યો, એને રિપેર કરનારા, એમાં ડિઝલ નાંખનારા ઉમેરો તો ત્રીસ થાય ! કોઈ ગણિતશાસ્ત્રી કે અર્થશાસ્ત્રીને આ હિસાબ ગળે ઊતરે? લાખો શિક્ષિતો રિક્સા ખરીદતા હશે? ખરીદે તો શરમજનક નથી? રેલવેની ‘સી’ અને ‘ડી’ ગ્રેડની ૯૦,૦૦૦ નોકરી માટે ૨.૮૦ કરોડ અરજીઓ થઈ! મુંબઈ પોલીસની ૧,૧૩૭ જગા માટે દસ લાખથી વધુ બેકારોએ અરજી કરી! એમાં ૪૨૩ એન્જિનિયર અને ૧૬૭ એમ.બી.એ. હતા, જ્યારે યોગ્યતાની જરૂર હતી બારમું પાસ. ઉત્તરપ્રદેશમાં ગ્રામપંચાયત અધિકારી, ગ્રામવિકાસ અધિકારી, સમાજકલ્યાણના વિકાસ અધિકારીની ૧,૯૫૩ જગા માટે ૪૪.૩૩ લાખ અરજીઓ આવી! આ તો થોડાંક જ ઉદાહરણો છે. બધે આ જ હાલત છે. આઈ.એલ.ઓ.(ઇન્ટરનૅશનલ લેબર ઓર્ગેનાઈઝેશન)ના જણાવ્યા અનુસાર ભારત દુનિયાનો સહુથી મોટો બેરોજગાર દેશ છે! રોજગારીનો દર સ્થિર રાખવા પ્રતિ વર્ષ ૮૨ લાખ નોકરીઓની જરૂર છે. દરમહિને ૧૩.૧૯ લાખ બેકારો ઉમેરાઈ રહ્યાં છે! આ વરવા ચિત્રની સામે નોકરીઓ વિશેના સત્તાધીશોનાં ઉચ્ચારણો એમની નફ્ફટાઈને પ્રતિબિંબિત કરે છે.
‘મુદ્રા યોજના’ હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં સરેરાશ અરજીકર્તાને સ્વરોજગાર માટે ૪૩,૦૦૦ રૂપિયા આપ્યા, આમાં કયો રોજગાર થઈ શકે ? શું આ ક્રૂર મજાક નથી? હકીકત એ છે કે સરકારની નીતિ ઔદ્યોગિક ગૃહોને સંસાધનો વેચી દેવાની છે જેથી અનેક ક્ષેત્રો ખાનગી કરી રહ્યાં છે. એક ટકા લોકો પાસે દેશની ૫૮ ટકા સંપત્તિ છે. દેશના ૫૭ અબજોપતિ પાસે દેશની ૭૦ ટકા સંપત્તિ છે! ઈ.સ. ૨૦૧૭થી ૨૦૧૮માં ૨૬,૦૦૦ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. ૨૦૧૬માં ૯,૪૭૪ની સંખ્યા હતી. પ્રત્યેક ૫૫ મિનિટે એક વિદ્યાર્થી ભારતમાં આત્મહત્યા કરે છે! અલ્હાબાદ, દિલ્હી, કોટા, બૅંગ્લોર કોચિંગ ક્લાસની દુનિયામાં સખત મહેનત કરનારાઓને પેપરલીક થઈ જાય, ઉંમર પૂરી થઈ જાય ત્યારે શું વીતતું હશે? ‘વિકાસ’ના નામે થઈ રહેલો આ ‘જૉબલેસ ગ્રોથ’ છે. ‘વિકાસ’ની દંતકથાઓ ચીરી નાંખે છે. મેં જોયું છે કે શહેરની સોસાયટીઓમાં મોદી-મોદી કરનારા મોટા ભાગનાં કુટુંબોના દીકરાઓ વિદેશમાં જ જવા માંગે છે! આ ‘મુખમાં મોદી અને બગલમાં વિસા જંબુરીને’ એ નથી સમજાતું કે અહીં નોકરીઓ કેમ નથી?
આવી પરિસ્થિતિમાં, જ્યાં શિક્ષણ-રોજગાર કે આરોગ્ય સુવિધાના ફાંફા હોય ત્યાં ખોટા ખર્ચ ઘટાડવાની જરૂર છે ત્યાં દેખાડો કરવામાં આવે છે. દુનિયાની સહુથી મોટી મૂર્તિના નામે સરદાર પટેલની ૩,૦૦૦ કરોડની મૂર્તિ શું સરદાર પટેલનું અપમાન નથી? હવે શિવાજી, રામની મૂર્તિની જે તે સરકારે જાહેરાત કરી દીધી છે જે સરદારથી પણ મોટી હશે! કુંભમેળો ૫,૦૦૦ કરોડમાં પડશે. અયોધ્યામાં દિવાળીએ ત્રણ લાખ દીવડાંનો વિશ્વવિક્રમ કરવામાં કરોડો ખર્ચાય. રેલવે સ્ટેશન અને શહેરનાં નામ બદલવામાં કરોડો ધૂળધાણી થયાં! મોદી સરકારે જાહેરાતોમાં પણ વિક્રમ સર્જ્યો છે – ૫,૦૦૦ કરોડ રૂપિયા! શું આવી પરિસ્થિતિમાં આ શોભાસ્પદ છે ? કુંભમેળામાં ૫,૦૦૦ કરોડ સામે ઉત્તરપ્રદેશનું ઉચ્ચશિક્ષણ બજેટ ૧૬૭ કરોડનું છે! ગાઝિયાબાદમાં કૈલાસ માનસરોવર ભવન ૯૫ કરોડમાં આકાર લઈ રહ્યું છે!
નવા રોજગારની વાતો બાજુ પર મૂકીએ પરંતુ જે સરકારી જગ્યાઓ ખાલી પડી છે તે ભરવાની પણ આ સરકારે દરકાર નથી કરી. ૨૦૧૮માં રાજ્યસભા અને લોકસભામાં પૂછાયેલાં સવાલોમાં સરકારે જણાવ્યું કે કેન્દ્ર સરકારમાં ૨૪ લાખ જગ્યાઓ ખાલી છે! ૫.૪ લાખ પોલીસ, ૨.૫ લાખ રેલવેમાં, ૫૪,૦૦૦ ટપાલખાતામાં, ૧૦ લાખ શિક્ષકો, ૧.૫ લાખ આરોગ્યમાં, ૧.૨ લાખ સંરક્ષણમાં વગેરે રાજ્યસરકારોની નોકરીઓ આમાં મેળવો તો બે-અઢી કરોડ જગ્યાઓ ખાલી છે. શું પોતાના પાંચ વર્ષમાં આ જગ્યાઓ ભરવાનું કામ સરકારો ન કરી શકત? જે કામ કર્યું એ એટલું ભ્રષ્ટાચારી હતું કે ઉત્તરપ્રદેશમાં પ્રત્યેક ભરતી પછી કોર્ટ દ્વારા ગોટાળા બહાર આવ્યા ને હજુ ભરતી લટકે છે! પરીક્ષા જ ન આપી હોય એ પસંદ થયાના દાખલા મળ્યા. પછી જેમ રાફેલ સુધી થતું હોય છે તેમ ‘કાગળો બળી ગયા’ સરકારે ખુલાસો કર્યો! જળ, જમીન અને જંગલ પર કબજો જમાવતી, સસ્તી વીજળી મેળવતી, સરકારી આર્થિક મદદ મેળવતી ખાનગી કંપનીઓ પણ નોકરિયાતોને છુટ્ટાં કરી રહી છે. વેદાંતાએ ૫૦,૦૦૦, ફ્યુચર એન્ટરપ્રાઈઝે ૧૧ હજાર, ફોર્ટિસે ૧૮ હજાર, મહિન્દ્રાએ ૧૧ હજાર કામદારોને છુટ્ટાં કર્યાં! નોટબંધી અને જી.એસ.ટી.નાં કારણે ખાનગી ક્ષેત્રે ૩૫ લાખ નોકરીઓ ઘટી છે.
આવા ભારતને નવું ભારત કહેતાં ભક્તજનોને ગોરખ પાંડેની એક કવિતા જ સંભળાવી દઈએ.
“રાજા બોલા રાત હૈ
રાની બોલી રાત હૈ
મંત્રી બોલા રાત હૈ
સંત્રી બોલા રાત હૈ
યહ સુબહ સુબહ કી બાત હૈ”
મોદી સરકારના એકાધિક જુઠ્ઠાંણાંમાનું એક જુઠ્ઠાણું છે – પ્રતિવર્ષ બે કરોડને નોકરીઓ … મળવાની વાત તો બાજુ પર, હતી એ પણ ગઈ! તેથી બેકારીએ નવો વિક્રમ સર્જ્યો છે. ચૂંટણીના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે પાંચ એરપોર્ટ પચાસ વર્ષ માટે અદાણીને જે પક્ષ આપતો હોય એની અગ્રિમતા ઉદ્યોગપતિઓ છે કે બેરોજગાર યુવાનો એ દીવા જેટલું સ્પષ્ટ છે.
મોદી હૈ, તો મુમકિન હૈ.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 04 તેમ જ 09