નર્મદને અર્વાચીનોમાં આદ્ય અમસ્તો નથી કીધો. 'વીરસત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી'નું ગાન કરનાર નર્મદે ગુજરાતીમાં સૌથી પહેલી આત્મકથા આપી એ તો ખરું જ. પરંતુ 'મુંબઈ સમાચાર' અખબારમાં નર્મદે છપાવેલી આ જાહેર ખબર જોઈને તો એવું પણ અર્થઘટન કરવાનું મન થાય કે નર્મદે ગુજરાતી પુસ્તકોના પ્રિ-બુકિંગ પણ સૌથી પહેલાં શરૂ કર્યા હતા!
જી હા, તાજેતરમાં જ તંત્રી નીલેશ દવેના સફળ નેતૃત્વમાં યોજાયેલા 'મુંબઈ સમાચાર'ની દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો, ત્યારે એક હોર્ડિંગ પર નર્મદના 'નર્મકોશ'ની આ ઍડવર્ટિઝમેન્ટ જોઈને ચોંકી જવાયેલું. ચોંકી શું જવાયેલું, મને તો થ્રિલ થયેલી! કે અહો, આ પણ કેવી ઐતિહાસિક જાહેર ખબર !
બનેલું એમ કે અમે બધા, એટલે કે 'મુંબઈ સમાચાર'ના કૉલમિસ્ટ્સ અને પત્રકારો 'મુંબઈ સમાચાર' પ્રેસના સૌથી પહેલાં પ્રિન્ટિંગ મશીન સાથે ફોટોગ્રાફ્સ ક્લિક કરવા ગયાં હતાં. મનમાં હતું કે એક મિનિટમાં બાર પાનાં કાઢી શકતાં, હાથેથી ચલાવવાના એ મશિનને સ્પર્શીશું તો બસો વર્ષની અવિરત યાત્રાનો એક નાનકડો અંશ હોવાનું ગૌરવ થશે ! પણ ક્યાંથી એ મશિનની પાછળ લગાવાયેલા બેનર્સમાં અમને તો ખજાનો જડી ગયો.
'મુંબઈ સમાચાર'ના એ પ્રિન્ટિંગ મશિનની પાછળ 'ધ નર્મદાશંકર લાલશંકર દવે'એ વર્ષ 1873માં પ્રકાશિત થયેલા 'નર્મકોશ'ની પ્રિ- બુકિંગની જાહેર ખબર છાપવામાં આવી હતી. એ જાહેર ખબર પણ જાનેવારી 1873મા પ્રકાશિત થઈ હતી. પણ મને થ્રિલ થવાનું કારણ એ હતું કે એ એડવર્ટિઝમેન્ટ માત્ર કોઈ પુસ્તકના 'પ્રિ – બુકિંગ'નો દસ્તાવેજ જ નથી, પણ નર્મદે 'મુંબઈ સમાચાર' સાથે કરેલા કોલોબ્રેશનની પણ આ જાહેરાત સાક્ષી છે !
મારું હારું ઈન્સ્ટાગ્રામનું કોલોબ્રેશન તો આજકાલનું ફીચર, કે ઈવન બ્રાન્ડિંગ કે માર્કેટિંગમાં બે બ્રેન્ડ્સના કોલોબ્રેશનનો ઇતિહાસ તો પચાસ – સો વર્ષથી ભણાવાય છે, પણ અમારા નર્મદાશંકરે તો તેમના 'નર્મકોશ' માટે છેક ૧૮૭૩મા કોલોબ્રેશન કરેલું કે 'ઘરાકોએ નામ ઠામ ને નકલ એ "મુંબઈ સમાચાર'' ઓફીસમાં નોંધાવવા ને ત્યાંથી જ તેઓને મારી વતીની રસીદ આપવામાં આવશે’.
થ્રિલ થવાનું બીજું કારણ એ કે નર્મદ તો પ્રોફેશનલ રાઈટર હતો, કલમને ખોળે તેણે માથું મૂકી દીધાની ઑફિશિયલ નોંધ પણ ઉપલબ્ધ છે જ. પણ નર્મદે 1873મા છપાયેલી આ પ્રિ – બુકિંગ જાહેર ખબર વાંચીને એ પણ સ્પષ્ટ થાય છે કે આખેઆખો 'નર્મકોશ' તૈયાર કર્યા પછી ય નર્મદને એવો ફાંકો નહોતો કે તે સાહિત્યની સેવા કરી રહ્યો છે ! બલકે એના મનમાં તો રાઈટિંગ – ઈન ધિસ કેસ રિસર્ચ વર્ક – એ પ્રોફેશન હતું, એટલે એ ભાઈએ એડવર્ટિઝમેન્ટમાં સાહિત્ય સેવા – ફેવાનો ફાંકો મારવા કરતાં 'નર્મકોશ'ને ખરીદનારા માટે ધરાર 'ઘરાકો' શબ્દ વાપર્યો હતો! છેને ટ્રાન્સપરન્સી ! બાકી અહીં તો દર ચોથો લેખક અને પાંચમો કવિ ગામ આખા પાસે મેવા ઉઘરાવે છે અને પાછો પોતે મીઠ્ઠી ભાષામાં કહે છે 'હું તો સાહિત્યની સેવા કરું છું.'
પણ હવે જો આવા સેવાવીરો આસપાસમાં જડે તો એમને દંભી ગણી લેવા! નર્મદના સમ છે તમને. શું કહ્યું ? અથવા તો પછી કોઈ આ પેઢીનો બક્ષીના ગોત્રનો ગુજરાતી લેખક એવો ફાંકો મારે કે ગુજરાતીમાં 'પ્રિ-બુકિંગ'ની પ્રથા મેં શરૂ કરેલી તો એની સામે 'મુંબઈ સમાચાર'માં છપાયેલી આ જાહેરાત ધરી દેજો. મને કોઈ એવો કે એવી જડશે તો હું ય એમને આ જ બતાડીશ કે જૂઓ અર્વાચીનોના ડેડી નર્મદાશંકર ડિસ્કાઉન્ટની ઑફર સાથે છેક 1873માં આ જાહેર ખબર પેપરમાં છપાવી ગયેલા !
નર્મદ ખરેખર ગ્રેટ હતો. નર્મદ અનેક બાબતોમાં પાયોનિયર હતો. વળી, મજાની વાત એ કે નર્મદ તેના કામ બાબતે બહુ ક્લિયર હતો … એ ગૂંચવાયેલો નહોતો.
તા.ક. – નર્મદ પહેલાં ય કોઈ પ્રિ- બુકિંગની જાહેર ખબર આપી હોય એવું બનવાજોગ છે. જો એવું કોઈ હોય તો જણાવશો !
સૌજન્ય : અંકિતભાઈ દેસાઈની ફેઇસબૂક દીવાલેથી સાદર