પ્રિય વિપુલભાઈ,
તમારો સ્વામી આંનદ ઉપરનો લેખ વાંચીને મબલખ આનંદ થયો. મોસાળની મજા આવી ગઈ !!
કારણ તો એ કે મેં તેમને એકલવ્યની નિષ્ઠાથી ગુરુ માન્યા છે. કયારે ય મળ્યો નથી અને ભાગ્યે જ તેમને ચુક્યો હોઈશ।
ગુરુ ગણ્યા તેનું કારણ – કદાચ ચૌદ પંદર વર્ષની ઉંમરે પેલી દસ ગણાની વાત વાંચી. જે ચોટ્યું તે માંડ ઉખેડી શક્યો. વાત તો ભારે મથામણની રહી અને કદાચ 40 વર્ષ સુધી કોયાડાની જેમ વળગેલી રહી.
સવાલ આટલો : મારે જો સમાજના ઋણમુક્ત થવું અને રહેવું હોય તો શું કરું ? દસ ગણું કેવી રીતે પાછું વાળું ?
જાતજાતના ઠેકાણે લેક્ચર્સ લીધા. ક્યાંકથી દસ રૂપિયા મળ્યા તો ક્યાંકથી વીસ. સમાજને અર્પણના ભાવથી સવારથી સાંજ અંને રવિવાર કે રજા ય જોયા વગર મચેલો રહ્યો. 1974માં દુકાળનો અભ્યાસ કર્યો ત્યારે ય સ્વામીને નજરમાં રાખ્યા.
જીવ ઉપર આવી જઈને બહુ મથ્યો તો ય પેલું દસગણું તો ના જ થયું. આઠ ગણ સુધી જ પહોંચી શક્યો.
એક દિવસ આવી જ રખડપટ્ટીમાં ભાવનગરના બસ સ્ટેન્ડે ઊભો હતો અને પેલા ખૂટતા બે ગણાની ચળ ઉપડી. સ્વામી સાવ ખોટું બોલે તેમ તો કેમ હોય ? આને જો આટલું આટલું મથ્યા પછી પણ દસનો આંકડો આઘો રહેતો હોય તો તેમાં કોઈક કળ કે હિકમત હોવા જ જોઈએ ! એ હિક્માંતની મારી સમજ આવી છે :
ગૃહસ્થી સમાજમાંથી "જે" લે તેનું દસગણું પાછું વાળે — આમાં ભાર "જે" ઉપર છે. હું સમાજમાંથી જો માત્ર પૈસા લેતો હોઉં તો પગારમાં મળતા પૈસાના દસ ગણા પાછા દેવાના થાય. પણ હું માત્ર પગાર જ નથી મેળવતો – સ્વામીના નામ મુજબ આનંદ મેળવું છું. તો મારે તો સમાજમાં દસ ગણો આનંદ જ પાછો વાળવાનો થાય. ભાવનગરનું બસ સ્ટેન્ડ જ આપણું બોધિવૃક્ષ !
બસ હવે લહેર જ લહેર છે.
તમે સ્વામીને સ્મર્યા તેથી થોડુંક યાદ આવી ગયું.
e.mail : shuklaswayam345@gmail.com