કોઈ એક બહેનની મોરારિબાપુ વિશે ગંદા આરોપ કરનારી એક ઓડિયોક્લીપ ઘણા દિવસથી ફરી રહી છે. એમાં એ બહેન બાપુને તુકારે સંબોધે છે. બીજી એક વીડિયોક્લીપ જોવા મળી જેમાં એક છોકરો બાપુની ઉંમરનો પણ લિહાજ કર્યા વિના તુકારો કરીને ગાળો દેતો દેખાય છે. એ પછી ગુરુવારે દ્વારકાની વીડિયોક્લીપ જોઇને રીતસર હાજા જ ગગડી ગયા. જેટલું દુઃખ લડાખમાં સૈનિકોનાં મૃત્યુથી થયું હતું એટલું જ આ ક્લીપ જોઇને થયું. દેશમાં આ શું થઈ રહ્યું છે? હિંદુ આ સ્તરે નીચે ઊતરી ગયો છે? હિંદુ ઊનામાં અને અન્યત્ર દલિતોને મારે, હિંદુ દેશભરમાં મુસલમાનોને મારે, હિંદુ મુસ્લિમ સ્ત્રીના શિયળ લૂંટવાની ઘટનાનો બચાવ કરે અને હવે હિંદુ મોરારિબાપુને પણ મારવા દોડે અને ગાળો દે?
જો કે હિંદુઓએ સ્વામી અગ્નિવેશને પણ ક્યાં નહોતા માર્યા! અત્યારે જે લોકો મોરારિબાપુના બચાવમાં બહાર આવ્યા છે એ લોકો સ્વામી અગ્નિવેશના બચાવમાં બહાર નહોતા આવ્યા. એ લોકો દલિતોના બચાવમાં, મુસલમાનોના બચાવમાં, મુસ્લિમ સ્ત્રીના બચાવમાં બહાર નહોતા આવ્યા. મોરારિબાપુ પણ ૨૦૧૪ પછીથી દલિતો, મુસલમાનો, સ્ત્રીઓ અને સ્વામી અગ્નિવેશ જેવા એકલવીરોના બચાવમાં કદાચ નથી બોલ્યા. હું કદાચ શબ્દ વાપરું છું. જો બોલ્યા હોય (ખોંખારો ખાઈને) તો બાપુની બે હાથ જોડીને ક્ષમા અને ઉપરથી પ્રણામ. મને આવા બાપુ જોઈએ છે અને બાપુ કદાચ એવા છે એમ માનીને મેં પણ તેમના યજ્ઞમાં સમિધા થવાનો પ્રયત્ન કર્યો હતો.
મોરારિબાપુએ અને તેમના સમર્થકોએ વિચારવું જોઈએ કે આવું કેમ બન્યું? એક સમયે આચાર્ય રજનીશ આડેધડ અને બેફામપણે હિંદુ ધર્મ અને હિંદુ દેવદેવીઓની ટીકા કરતા હતા ત્યારે તેમને તો કોઈ મારવા ગયું નહોતું. ઊલટું રજનીશે આના દ્વારા લોકપ્રિયતાની ઊંચાઈ પ્રાપ્ત કરી હતી. રજનીશે અમેરિકામાં ઈસાઈ ધર્મની ટીકા કરી એને કારણે જગતના સૌથી સમૃદ્ધ લોકશાહી દેશમાં તેમને મુશ્કેલી પેદા થઈ હતી, પણ જગતના સૌથી ગરીબ દેશમાં પ્રજા અત્યંત ધાર્મિક હોવા છતાં કોઈએ તેમનો વાળ વાંકો નહોતો કર્યો. રજનીશની તુલનામાં મોરારિબાપુએ કૃષ્ણના પરિવાર કે વંશજો વિશે નથી અસત્ય કહ્યું કે નથી બેફામપણે કાંઈ કહ્યું અને છતાં હુમલો થયો.
આપણે બધા હિંદુઓ; હિંદુ ધર્મની, ગોરદાદાની અને દેવદેવીઓની મજાક કરતા મોટા થયા છીએ. કોઈએ કાન નહોતો આમળ્યો. વડીલો પણ મૂછમાં હસી દેતા. આપણે ધર્મના આદેશોનો અસ્વીકાર કરી શકતા હતા, સાવ નાસ્તિક બની શકતા હતા, ધર્મગ્રંથોની આકરી આલોચના કરી શકતા હતા, આરાધ્ય ઇષ્ટદેવ બદલી શકતા હતા, સંપ્રદાય બદલી શકતા હતા એ બધું આજે શું ભૂતકાળ (હતા) થઈ ગયું? પાકિસ્તાનમાં અને બીજા મુસ્લિમ દેશોમાં ઇસ્લામના બે ફીરકાના લોકો વચ્ચે હુલ્લડોની તસ્વીર જોઇને અથવા એક ફિરકાના અનુયાયી બીજા ફિરકાના ધર્મપ્રચારકને ટોળેવળીને મારતા હોય એવાં દૃશ્યો જોઇને આપણે હિંદુઓ રાહત અનુભવતા કે હાશ, આવું આપણે ત્યાં નથી. આપણે આપણી જાતને સુધરેલા, સંસ્કારી અને સહિષ્ણુ હોવાનું સર્ટિફિકેટ આપીને પોરસાતા.
હવે આવું આપણે ત્યાં હિંદુઓમાં બની રહ્યું છે. આવું શેને કારણે બની રહ્યું છે એ શું મોરારિબાપુ અને તેમના સમર્થકો નથી જાણતા? આખી દુનિયાને ખબર છે કે આવું શા માટે બની રહ્યું છે અને તેની પાછળનો એજન્ડા શું છે? ભોળા બનવાની જરૂર નથી. મોરારિબાપુએ જેમને સૌથી વધુ કથા અર્પણ કરી છે એ મોહનદાસ ગાંધીનો એજન્ડા હતો; હિંદુમાંથી (અને એ તરાહે મુસ્લિમમાંથી, બ્રાહ્મણમાંથી, ખ્રિસ્તી વગેરેમાંથી) માણસ પેદા કરવાનો. એ હિંદુ હોય પણ પહેલા માણસ હોય. હિંદુ હોવાપણું અને માણસાઈ અવિરોધી હોવાં જોઈએ. અત્યારના શાસકોનો એજન્ડા છે; માણસની માણસાઈ મિટાવીને તેમાંથી હિંદુ પેદા કરવાનો. શું મોરારિબાપુ અને તેમના સમર્થકો આ વાત નથી જાણતા?
૨૦૧૪ પહેલાં (ખરું પૂછો તો ૨૦૧૦ પહેલાં) માત્ર મોરારિબાપુ જ નહીં, શ્રી શ્રી રવિશંકર અને પેલા ફેંટાવાળા જગ્ગી મહારાજ માનવતાવાદની ટહેલ લઈને ફરતા હતા. બાપુને પાકિસ્તાનમાં કથા કરવી હતી અને રવિશંકરને પાકિસ્તાનમાં જઈને ઇસ્લામ અને હિંદુ ધર્મને કેન્દ્રમાં રાખીને માનવતાની ખોજ કરવી હતી. ત્રાસવાદીઓને વહાલ કરીને તેમનું હૃદયપરિવર્તન કરવું હતું. આ બધા સેતુ બાંધવા માગનારા સેતુબધુંઓ નાની વાત કરતા જ નહોતા. સ્વર્ગમાંથી ફરિશ્તાઓ જમીન ઉપર ઉતરી આવ્યા હતા. ૨૦૧૦ પછીથી ક્રમશ: હિંદુઓમાં હિંદુપણું જાગ્યું, ક્રમશ: બોલકું થવા લાગ્યું, ક્રમશ: બળકટ થવા લાગ્યું અને ૨૦૧૪ પછી આક્રમક થવા લાગ્યું ત્યારે માનવતાના ફરિશ્તાઓની ભાષા બદલાવા લાગી. જ્યારે જગતમાં ઉન્માદ નહોતો અને માનવતા વેચાતી હતી, ફેશનમાં હતી ત્યારે માનવતાવાદી હતા. જ્યારે હિંદુપણું વેચાવા લાગ્યું અને દેશપ્રેમ તેમ જ રાષ્ટ્રવાદ ફેશનમાં આવ્યો ત્યારે ભાષા બદલાવા લાગી.
મારો સવાલ માત્ર આટલો છે : માણસની માણસાઈ મિટાવીને હિંદુ પેદા કરવાના અભિયાનના તમે સમર્થક છો કે વિરોધી છો? અસંદિગ્ધ ભાષામાં સ્પષ્ટ કરો.
બાપુ, માણસ વાવો તો માત્ર માણસ જ ઊગે. એ બીજ જ અખંડ છે. સત્યમ્ શિવમ સુન્દરમ્ના સંગમવાળું જગતમાં એવું બીજું એકેય બીજ નથી. જો હિંદુ વાવો તો એમાંથી શૈવ ઊગે, વૈષ્ણવ ઊગે, બ્રાહ્મણ ઊગે, સનાતની ઊગે, આર્યસમાજી ઊગે અને ધાર્યો ન હોય એવો ગોખરું કે બાવળ પણ ઊગે. બસો વરસથી મુસ્લિમ વિશ્વમાં માત્ર અને માત્ર મુસલમાનનું વાવેતર કરવામાં આવી રહ્યું છે અને પરિણામ આપણી સામે છે. એક છોડ બીજા છોડને મુસલમાન તરીકે સ્વીકારવા જ તૈયાર નથી. દ્વારકામાં આવો જ અનુભવ થયો. આક્રમણ કરનારા વૈષ્ણવભાઈ મોરારિબાપુને હિંદુ તરીકે સ્વીકારવા તૈયાર નથી.
માટે માણસની માણસાઈ મિટાવીને હિંદુ પેદા કરવાના અભિયાનના તમે સમર્થક છો કે વિરોધી છો, અસંદિગ્ધ ભાષામાં સ્પષ્ટ કરો. જ્યારે હિંદુ અને અખંડ માણસ વચ્ચેની યુદ્ધરેખા ખેંચાઈ ગઈ હોય ત્યારે વચ્ચે રહીને શાબ્દિક છલ કરવાનો કોઈ અર્થ નથી. આમ પણ લોકો મૂરખ નથી હોતા અને માણસની ખેવના કરનારાઓ તો વધારે તેજસ્વી હોય છે. પૂછી જુઓ, આપણા વિદ્વાન ચિંતક ગુણવંતભાઈ શાહને.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 જૂન 2020