જે ભાવે છે એને તે સત્ય હોય કે ન હોય પણ સત્ય તરીકે સ્વીકારે છે અને તેનો પ્રચાર કરે છે. તમે તેની પાથીમાં ગમે એટલું તેલ રેડો એ તમારી વાત સ્વીકારશે નહીં
જગતમાં કોઈ માનવીય અને સામાજિક પ્રશ્નો એક ને એક બે જેવા સરળ હોતાં નથી કારણ કે માણસ અત્યંત સંકુલ પ્રાણી છે. તે એક જ જિંદગીમાં અનેક જિંદગી જીવતો હોય છે, એક જ ચહેરા પાછળ અનેક ચહેરા ધરાવતો હોય છે અને એક જ સમયે અનેક વિકલ્પ તપાસતો હોય છે.
એક ચીની કહેવત છે કે રાંધેલું ધાન અને જીવતો માણસ આ બે ગમે ત્યારે બગડી શકે છે. તમે એના વિશે કશું જ ખાતરીથી ન કહી શકો. માટે કૌટુંબિક પ્રશ્નોમાં ઘણા લોકો પડતા નથી, કારણ કે તેમાં કોઈ એક પક્ષને અન્યાય થવાનો ડર રહે છે. પ્રશ્નોની સંકુલતા અને જટિલતા સમજની બહાર હોય છે. અદાલતો પણ કૌટુંબિક બાબતોમાં ઘરમેળે પ્રશ્ન ઉકેલવાની પહેલી સલાહ આપે છે અથવા પ્રશ્ન ઉકેલવામાં મદદરૂપ થાય એવો કાઉન્સેલર આપે છે. અને પ્રશ્ન સામાજિક હોય તો? તો અતિ વિકટ. એક તો એક કરતાં વધુ નિર્ણયકર્તા અથવા નિણર્યને અવરોધનારા હોય. બીજું નિર્ણયકર્તાઓને કે નિર્ણયને અવરોધનારાઓને કોઈ અંગત નુકસાન થવાનું નથી એટલે એ લોકો પ્રશ્નને વધુ ગૂંચવે. પ્રશ્ન એટલો ચવાય અને ગૂંચવાય કે વાત પૂછો મા અને જો પ્રશ્ન રાજકીય હોય તો? તો તો પૂછવું જ શું? એમાં એનેક લોકો નાનીમોટી ભૂમિકા ભજવતા હોય, એકના દાવપેચ કે વલણને જોઈને બીજાએ વલણ બદલવું પડે, સતત સ્થિતિ બદલાતી રહેતી હોય, અણધાર્યાં પરિબળો કામ કરતાં હોય અને સત્તાનો તેમ જ પ્રભુત્વનો સ્વાર્થ હોય. એક જ પક્ષ ધરાવનારા લોકો એકબીજાની વિરુદ્ધ કામ કરતા હોય. પ્રવાહી સ્થિતિ, સ્વાર્થ, પૂર્વગ્રહ અને દુશ્મની એમ ચારેયનું મિલન થાય છે.
ટૂંકમાં, આ વ્યક્તિનું, પરિવારનું, સમાજનું, સામાજિક સંસ્થાઓનું અને રાજકરણનું વાસ્તવ છે. પશુ-પક્ષી અમુક રીતે જ વર્તશે એમ તમે ખાતરીપૂર્વક કહી શકો, માણસ વિશે ન કહી શકો. માટે લોકો ઘટના ઘટ્યા પછી ઘટનાનું સરળીકરણ કરે છે. સરળીકરણ હંમેશાં એ રીતે કરાવામાં આવે જે સરળીકરણ કરનારાને માફક આવે. જેની સામે દુશ્મની હોય, જેની સામે પૂર્વગ્રહ હોય, જેની સાથે સ્વાર્થ ટકરાતો હોય અને સૌથી વધુ તો સરળીકરણ એની વિરુદ્ધ કરાવામાં આવે છે જે ખુલાસો કરવાની સ્થિતિમાં ન હોય કે પછી ખુલાસો સાંભળવાની જરૂર ન હોય. જેની પાસે વાચા ન હોય તેને કાન આપવાની જરૂર પડતી નથી અને જો તેની પાસે વાચા હોય તો પણ જો તે નિર્બળ હોય તો કાન આપવાની જરૂર નથી. એટલે તો પારિવારિક પ્રશ્નોમાં વહુની વિરુદ્ધ જ સરળીકરણ કરાવામાં આવે છે. એટલે તો ગ્રામીણ સ્તરે થતી જ્ઞાતિકીય અથડામણોમાં નીચલી જ્ઞાતિની વિરુદ્ધ સરળીકરણ કરાવામાં આવે છે. એટલે તો કોમી હુલ્લડોમાં લઘુમતી કોમની વિરુદ્ધ સરળીકરણ કરાવામાં આવે છે અને એ જ રાહે રાષ્ટ્રીયતાની બાબતે સીમાડાની પ્રજા વિરુદ્ધ સરળીકરણ કરાવામાં આવે છે.
નબળા છે એટલે પ્રતિવાદ કરી શકવાના નથી અને જો કરશે તો આપણા સુધી પહોંચવાનો નથી અને જો પહોંચે તો નહીં સાંભળવાની છૂટ છે. આ સિવાય પ્રતિવાદ કરનારાઓના અવાજને સરળીકરણના હજુ મોટા અવાજ દ્વારા દબાવી શકાય છે. સરળીકરણનું એક શાસ્ત્ર હોય છે. પહેલાં કાનમાં બોલો. એક કાનેથી બીજા કાને વાત દૂર સુધી પહોંચી જાય પછી ખૂલીને બોલો. એનો પણ સ્વીકાર થતો જોવા મળે તો આંખમાં આંખ મેળવીને આત્મવિશ્વાસના આવિર્ભાવ સાથે બોલો. સાંભળનારાને એમ લાગવું જોઈએ કે આ સોળ આના સાચી વાત છે. જો કોઈ પ્રતિવાદ કરવા સામે આવે તો તેના પર દેશદ્રોહી, ધર્મદ્રોહી જેવાં લેબલ લગાડો અને તેનો અવાજ સ્વીકારાય જ નહીં એવો ઘોંઘાટ કરો. એક દિવસ એવો આવશે કે તમારું કામ લોકો કરવા લાગશે. એ પછી તમારે કંઈ કરવાનું રહેતું નથી. પણ પ્રશ્ન એ છે કે લોકો શું અબુધપણે સરળીકરણનો સ્વીકાર કરતા હોય છે? કે પછી સત્યની ચકાસણી કરવાનો પ્રમાદ હોય છે અથવા આવડત હોતી નથી? કે પછી કાને પડેલું સરળીકરણ તેને ભાવતું હોય છે? આ બધી જ શક્યતાઓ છે, પણ જે છેલ્લી વાત છે એ વધારે સાચી છે. જે ભાવે છે એને તે સત્ય હોય કે ન હોય પણ સત્ય તરીકે સ્વીકારે છે અને તેનો પ્રચાર કરે છે.
તમે તેની પાથીમાં ગમે એટલું તેલ રેડો એ તમારી વાત સ્વીકારશે નહીં. એ નિરુત્તર થઈ જશે, પણ તમારી વાત સ્વીકારશે નહીં. સરળીકરણના નામે ખાસ રીતે રચવામાં આવેલી અને ખાસ રીતે કહેવાયેલી વાત તેમને ભાવે છે. તેને તો માત્ર એટલો જ દંભ કરવો છે કે તે સત્ય જાણે છે અને સત્ય આ છે. નકરું સત્ય સરળીકરણ કરતાં જુદું હોય છે. પરિવારમાં સ્ત્રીઓ, ગામડાંઓમાં અને અનામતની જોગવાઈની બાબતે પછાત જાતિઓ, દેશમાં લઘુમતી કોમો અને રાષ્ટ્રીય વિમર્શમાં મુખ્યત્વે મુસલમાનોએ તેમ જ સીમાડાની પ્રજાઓ પુરુષોના, હિંદુત્વવાદીઓના, સવર્ણોના અને કહેવાતા રાષ્ટ્રવાદીઓનાં સરળીકરણનો શિકાર છે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 24 ડિસેમ્બર 2023