૨૪મી માર્ચે વડા પ્રધાને ૨૧ દિવસનો લોકડાઉન જાહેર કર્યો, એના બીજા જ દિવસે જે રીતે દેશભરમાં લાખોની સંખ્યામાં લોકો સેંકડો કિલોમીટર દૂર પોતાને વતન જવા માટે પગે ચાલતા નીકળી પડ્યા ત્યારે જ સમજી જવું જોઈતું હતું કે જીવન સાથે જીવનનિર્વાહનો સંબંધ અનિવાર્ય છે. જો કે આ તો ઉઘાડું સત્ય છે, પરંતુ આજનો યુગ એટલો બહેરો સંવેદનહીન છે કે જ્યાં સુધી નજરે જુએ નહીં ત્યાં સુધી તેમને ઉઘાડું સત્ય પણ ન સમજાય અને કેટલાકને તો એ પછી પણ નથી સમજાતું. વળી આપણા શાસકો પાસે તો નોટબંધી વખતના અનુભવની મૂડી હતી. એ સમયે કઈ રીતે રોજ કમાનારા અને રોજ ખાનારા બિચારા ટૂંકી આવક ધરાવનારાઓ ત્રાહિમામ્ પોકારી ગયા હતા એ તો હજુ ચાર વર્ષ જૂનો ઇતિહાસ છે.
અને હજુ એક હકીકત. આખું જગત જાણે છે અને નોટબંધી પછી અને નોટબંધીના કારણે આપણા શાસકોને પણ બ્રહ્મજ્ઞાન થયું હતું કે ભારતનાં અર્થતંત્રમાં અસંગઠિત ક્ષેત્રનો હિસ્સો ૮૦ ટકા કરતાં વધુ છે. આનો અર્થ એ થયો કે તેમાં કામ કરતા લોકોની રોજગારીની કોઈ શાશ્વતી નથી અને એવી રોજગારીનું પ્રમાણ ભારતની કુલ રોજગારીમાં લગભગ ૮૫ ટકા છે. આવી અનિશ્ચિત રોજગારીનું સ્વરૂપ વિવિધ પ્રકારનું છે એ તમે જાણો છો એટલે એની વિગતોમાં જવાની જરૂર નથી. કદાચ તમે પોતે આવી અનિશ્ચિત રોજાગારી ધરાવતા હશો અથવા તમારા ઘરે કામ કરનારી બાઈની રોજગારીની અનિશ્ચિતતા જોતા હશો.
આમ લોકડાઉન જો લાંબો ખેંચાય તો જીવન તો બચે, પણ જીવનનિર્વાહનો પ્રશ્ન પેદા થાય. જે રોજ કમાઈને રોજ ખાતા હોય એની સામે બીજા જ દિવસે આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો અને વતન જવા નીકળી પડ્યા હતા. જેમની પાસે થોડી મૂડી છે તેમને માટે પહેલી મુદ્દતનો લોકડાઉન વેકેશન જેવો હતો અને તેઓ તેની ગંભીરતા સમજ્યા નહોતા. ઊલટું જેઓ નીકળી પડ્યા એને ગમાર સમજતા હતા. જ્યારે લોકડાઉનની મુદ્દત લંબાવવામાં આવી ત્યારે હવે તેઓ પણ પૂછવા લાગ્યા છે કે આનો અંત ક્યારે આવશે? કારણ કે ચીન ચાર મહિના પછી પણ વિષાણુમુક્ત નથી થયું. સિંગાપુરમાં થોડા સમયના વિરામ પછી પાછો કોરોનાનો ઉપદ્રવ વધ્યો છે. અમેરિકામાં જોતજોતામાં કોરોનાગ્રસ્તોનો આંકડો છ લાખને આંબી ગયો છે. યુરોપના દેશોમાં સંખ્યા વધી રહી છે. ભારતમાં હવે દરરોજ હજારથી બારસોનો વધારો થઈ રહ્યો છે અને એ તો ભક્તો પણ સ્વીકારે છે કે જો વ્યાપક ટેસ્ટીંગ કરવામાં આવે તો ભારતમાં કોરોનાગ્રસ્તોનો આંકડો ક્યાં ય મોટો હોવાનો સંભવ છે.
તો આ લોકડાઉન ક્યાં સુધી? સામાન્ય બુદ્ધિ કહેશે કે જ્યાં સુધી ભય દૂર ન થાય ત્યાં સુધી. અને ભય ક્યારે દૂર થશે? જ્યારે કોરોનાની રસી અને તેની દવા શોધાશે એ પછી. ત્યાં સુધી એક માણસ બીજા માણસથી ડરતો રહેવાનો. આમ ભયભીત માણસે જીવન બચાવવું હોય તો સહેલામાં સહેલો ઉપાય ઘરમાં પૂરાઈ રહેવાનો છે. લોકોને મળવાનું ટાળો અને કોરોનાને કારણે થનારા સંભવિત મૃત્યુથી પોતાને બચાવો. લાંબો સમય સુધી ક્યાં ય ગયા વિના ઘરમાં પૂરાઈ રહેવાને કારણે સામાજિક-માનસિક પ્રશ્નો પેદા થશે એ વાતને જવા દઈએ, પણ જીવનનિર્વાહનું શું? દરેકની એક મર્યાદા હોય છે. કોઈ બે મહિના ખેંચી કાઢે, કોઈ ચાર મહિના તો કોઈ છ મહિના. બીજું જે લોકો જે કાંઈ કામધંધો કરે છે એનું કોરોના પછીનું ભવિષ્ય કેવું હશે એ કહેવું મુશ્કેલ છે. જે લોકો મોટી કંપનીઓમાં નોકરી કરે છે એ કંપનીની સ્થિતિ કેવી હશે અને નોકરી ટકશે કે નહીં એ પણ પ્રશ્ન છે.
ટૂંકમાં જો લોકડાઉન એ જીવન બચાવવા માટેનો અકસીર ઉપાય હોય તો એ લોકડાઉન નામના અંધારા બોગદાનો છેડો ક્યારે આવશે એ કોઈ કહી શકે એમ નથી. આ બોગદામાં હું કે તમે કઈ પળે થાકી જશું એ પણ કોઈ કહી શકે એમ નથી. તમે કહેવાની સ્થિતિમાં છો? વિચારી જુઓ. અને સૌથી મોટી ચિંતા તો એ વાતની છે કે ભારતની ૮૫ ટકા પ્રજાની ગુજરાન ચલાવવાની સરેરાશ ક્ષમતા બે મહિના કરતાં વધુ હોય એમ મને નથી લાગતું. બે મહિનાની તો સરેરાશ છે, બાકી વડા પ્રધાને લોકડાઉનની મુદ્દત વધારી એ સાથે મુંબઈમાં લોકો વતન જવા દેવાની માગણી સાથે રસ્તા ઉપર ઊતરી પડ્યા હતા એ એમ બતાવે છે કે લોકોની એક દિવસની પણ ક્ષમતા નથી.
અહીં સવાલ ઉપસ્થિત થાય કે તો પછી વિકલ્પ શું છે? નિષ્ણાતોના જણાવવા પ્રમાણે વિકલ્પ બે છે. પહેલો વિકલ્પ એ છે કે સપ્લાય લાઈન તૂટી પડે, જરૂરી ચીજવસ્તુઓની અછત પેદા થાય, ભાવવધારો થાય, લોકો અધીરા થાય, રસ્તા ઉપર ઊતરે અને કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન પેદા થાય એ પહેલાં લોકોને થાળે પાડવા. સત્તાવાળાઓ ટ્રાન્સપોર્ટનું વ્યવસ્થિત નિયમન કરીને રોજ કમાનારા અને રોજ ખાનારાઓને તેમના વતન પહોંચાડે. જો આયોજનપૂર્વક કરવામાં આવે તો આ શક્ય છે. લોકો પોતાને વતન પહોંચી જશે તો તેમનો રોષ શાંત થઈ જશે. બીજા દેશોના લોકડાઉનના મોડેલ ભારતમાં ચાલી શકે એમ નથી. આપણા શાસકોએ આપણા દેશની વાસ્તવિકતા સમજવી જોઈએ. પહેલા લોકડાઉન વખતે જ લોકોને પેસેજ આપ્યો હોત તો આ સમસ્યા પેદા થઈ ન હોત.
બીજો વિકલ્પ રોગચાળાના અભ્યાસીઓના મતે ‘હર્ડ ઇમ્યુનિટી’ છે. આ પારિભાષિક શબ્દ છે, પણ વાત ધ્યાનપૂર્વક સમજવાની કોશિશ કરજો. હર્ડ ઇમ્યુનિટીનો અર્થ એ થયો કે વીસથી ૬૦ કે જોઈએ તો ૫૦ વરસની ઉંમરના લોકો માટે લોક ડાઉન ઉઠાવી લેવામાં આવે અને તેમને છૂટા મૂકવામાં આવે. આ લોકો યુવાન છે અને વધારે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. તેમની અંદર વાઈરસ પ્રવેશશે તો તેમનું શરીર તેની સામે લડી લેશે. બને કે કેટલાકને કદાચ સારવાર લેવી પણ પડે અને થોડાં મૃત્યુ પણ થાય. પણ આમાં ફાયદો એ થશે કે યુવાશરીર દ્વારા એક વાર વાઈરસ સામે લડી લીધા પછી તેનું સંક્રમણ નહીં થાય. કમ સે કમ એ એક શરીર તો વાઈરસનું વાહક બનતું અટકી જશે અને આવાં કરોડો શરીર વાઈરસના સક્રિય વાહક બનતા અટકી જશે. હા, જે લોકો યુવાન હોવા છતાં બીમાર હોય તેમણે બહાર નહીં નીકળવું. અભ્યાસીઓ કહે છે કે યુવાશરીર પરથી વાઈરસને પસાર થઈ જવા દઈશું તો એ પછી રસી ગમે ત્યારે શોધાય જોખમ ઘટી જશે. આ વિકલ્પ વિચારવા જેવો તો ખરો જ.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 16 ઍપ્રિલ 2020