લોકડાઉન 4 ગુજરાતમાં 19મીથી લાગુ કરવાની વાત છે. ગુજરાતી ન્યૂઝ રીડરો લોકડાઉન ફોર પોઇન્ટ ઝીરો એવું બોલે છે. એટલે એમ માનવું પડે કે લોકડાઉન ફોર પોઇન્ટ વન, ફોર પોઇન્ટ ટુ, ફોર પોઇન્ટ થ્રી એમ ડિગ્રીઓમાં લાગુ પડતું હશે. ઠીક છે, ગુજરાતી ચેનલો ગુજરાતી બોલતી થશે ત્યાં સુધીમાં ગુજરાતની માતૃભાષા અંગ્રેજી થઈ જશે.
વાત છે લોકડાઉન ફોરની. તે મોડું પડ્યું. મુખ્યમંત્રી મીટિંગમાં વ્યસ્ત હતા. એમણે ઘણી મીટિંગ કરી. આમ પણ એ મીટિંગ માટે જાણીતા છે. એ કોઈક જ વાર મીટિંગ નથી કરતા. એમણે લોકડાઉન 3, 17મીએ પત્યો તે પહેલાં મીટિંગ કરી હોત તો લોકડાઉન 19મીથી લાગુ કરવાની નોબત ન આવી હોત, પણ હશે, વળી કોઈ મીટિંગમાં રોકાયેલા હશે. એમને ઘણાં કામ હોય છે, આપણી જેમ થોડું છે, ચોવીસ કલાક ઘરમાં! એમણે તો વિપક્ષને ય સાચવવાના ને કોઈ મંત્રી ગેરરીતિથી ચૂંટણી જીતે તો તેનો ઊહાપોહ ન થાય તે પણ જોવાનું.
વારુ, વીસ લાખ કરોડનું પેકેજ જાહેર થયું ત્યારે આશ્ચર્ય થયું કે 20 લાખ કરોડની કમાણી સરકારે કરી ક્યાંથી? બધું બંધ છે, જી.એસ.ટી.ની આવક નથી તો આ પેકેજ જાહેર થયું કયા જોર પર? કોઈને કૈં ખટાવવાનું ન હોય તો ઘોષણા થાય તે સમજાય, પણ આ તો આપવાની વાત પણ લાગે છે. એમાંથી 12 લાખ કરોડ તો લોકડાઉન 3 સુધીમાં અપાઈ પણ ગયા છે. એ કોને અપાયા તે તો સરકાર જ કહી શકે. એ ગજું તો ઇશ્વરનું ય નથી. વેલ, તેમાંથી ગુજરાતને કેટલું પહોંચશે તેની ચિંતા પણ મુખ્યમંત્રીએ તો કરવાની જ ને. એ પણ જોવાનું કે કોના ખાતામાં કેટલું પહોંચશે ને ખાતાં વધશે પણ કે ઘટશે? કોઈ મિત્રે એમ પણ દાખલો ગણ્યો કે એકેએકના ખાતામાં સરકાર માઈબાપ એક એક કરોડ જમા કરાવે તો પણ 135 કરોડની વસતિ માટે 135 કરોડ જોઈએ. તો,વીસ લાખ કરોડ જેવી ગંજાવર રકમમાંથી તો લાખો કરોડ વધે. મેં એ મિત્રને સમજાવ્યું કે એ સરકાર છે. 135 કરોડ પણ ન આપવા પડે ને વીસ લાખ કરોડ પણ વપરાય એવું ન વિચારે તો અર્થશાસ્ત્ર અનર્થશાસ્ત્ર પુરવાર થાય. કેટલાં બધાં ખાતાં હોય એ બધાંને સાચવવાના નહીં?
મને તો એમ પણ લાગે છે કે લોકડાઉન દરમિયાન જ ઘણા સીધા આડા ટેક્સ આપણને પતાવી દે એમ બને. બધાંને ખવડાવનારી સરકાર પોતે થોડી જ ભૂખી રહેવાની હતી!
એવું નથી બનવાનું કે કોઈ એમને એમ મદદ કરી દે. મદદ કરવાનો દેખાવ કરીને વસૂલ કેમ કરાય તે કોઈ અભણને ય શીખવવું પડે એમ નથી. જ્યારે આ તો સરકાર છે. જોવાનું એટલું જ કે જે ટેક્સ ભરે છે તે વેન્ટિલેટર પર ન મૂકાય. જે ચૂકવે છે તેને હાલ તો કોઈ આવક નથી ને રાહત પણ નથી. તેને લાઈટબિલ, ગેસબિલ, કોર્પોરેશનના વેરા, શાકભાજી, દાળચોખાના ખર્ચા તો ચાલુ જ છે. હા,બિલ ભરવાની તારીખો લંબાશે, પણ એ તો આજનું મોત કાલ પર નાખવા જેવું છે. એ પણ નથી સમજાતું કે પેકેજમાં ખરેખર રાહત શું છે? રોકાણની વ્યાખ્યાઓ બદલાઈ કે લોનની મુદ્દતો વધી ને લોન આપી આપીને દેવાદાર બનાવવા સિવાય મદદ ખરેખર શું ને કેટલી તે પ્રશ્ન જ છે.
જે જરૂરિયાતમંદ છે તે આમે ય મંદ છે. મંદીનું ને મંડીનું એ મૂળભૂત કારણ છે. એના તરફ ધ્યાન જાય તે બીજાની જરૂરિયાત પૂરી કરવા પણ જરૂરી છે. બાકી, સરકાર રોજ લાખો લોકોને અનાજપાણી પહોંચાડે જ છે. એ જુદી વાત છે કે તો ય લાખો લોકોને તે પહોંચતું નથી. એ જેને પહોંચતું હશે તે પહોંચી ન ગયા હોય તે ય માનવું પડે. તે વગર લાખો લોકો વતન જવા રસ્તા પર તો ન આવી જાયને!
આજના જ સમાચાર છે. હજારોની સંખ્યામાં શ્રમિકો બાંદ્રા ટર્મિનસ પર ઊતરી પડ્યા છે. સુરતથી 550થી વધારે ટ્રેનો શ્રમિકો માટે જ દોડી તો ય તેમાં ઘટાડો થતો નથી. હવે તો સવાલ થાય કે સુરતમાં કોઈ મૂળ પ્રજા છે કે આખું ભારત જ સુરતમાં ઠલવાયું છે.
વતન જવા જીવનું જોખમ ઉઠાવી લોકો પોલીસની લાઠી ખાવા તૈયાર થાય એ બતાવે છે કે એમને અહીં કામ નથી, આવક નથી, એમના માલિકો એમને વધારે ટેકો કરી શકે એમ નથી, કારણ એમને ય આવક નથી. એવામાં શ્રમિકોને સરકારની મદદ પહોંચે તો ફેર પડે. બાકી એમને બરાબર ખબર છે કે વતનમાં એમને માટે થાળી તૈયાર કરી રાખી નથી. ત્યાં પણ કામ શોધવાનું જ છે ને તે નથી મળવાનું. મળતું હોત તો અહીં સુધી ખેંચાવાની જરૂર જ ના ઊભી થઈ હોતને!
સુરતે શ્રમિકોને વતન મોકલવામાં રેકોર્ડ કર્યો. તેના મીડિયામાં મોટાં મથાળાં બંધાયાં. એમ પણ સાંભળ્યું છે કે રેલવેએ તો એમની પાસેથી ભાડું લીધું જ છે. એ જુદી વાત છે કે એમને સાંસદો કે અન્યોએ મદદ કરી હોય. વિચારવાનું એ રહે કે ટ્રેન, બસના ખર્ચ કરવાને બદલે શ્રમિકોને અહીં જ જરૂરી સામગ્રી મળી રહે એટલું થયું હોત તો વતન જવા શ્રમિકોએ આટલા ઉધામા કરવા ન પડ્યા હોત.
આ આવનજાવનને કારણે જે જોખમો ઊભાં થયાં છે તેનો ખ્યાલ સરકારને હશે જ. મુંબઈથી કચ્છ જનારા યાત્રીઓમાંથી 14 થી વધારે લોકો પોઝિટિવ નીકળ્યાં છે. બીજે પણ એવું થયાની વાત છે. એક વાત સ્પષ્ટ છે કે આવનજાવનથી ફેલાવો થાય જ છે ને રોજ સેંકડો કેસો વધે છે, તો આવી અવરજવર વધારવાનું ખરેખર અનિવાર્ય હતું ખરું? સુરતની વાત કરીએ તો ટેકસટાઇલ માર્કેટ શરતી રીતે લોકડાઉન 4માં શરૂ કરવાની વાત છે. શ્રમિકો મોટે ભાગના શહેર છોડી ગયા છે. એવામાં લાગે છે કે માર્કેટ કામ કરતી થશે?
અમીરો માટે એસી ટ્રેનો ચાલુ કરાઈ, શ્રમિકો માટે ટ્રેન, બસ સેવાઓ ચાલુ જ છે. રહી ગયો મધ્યમ વર્ગ. એણે શું કરવાનું? તો કે ઘરમાં રહેવાનું. આ લોકો જ રોગ ફેલાવે છે એમ માનવાનું છે? નહીંતર વગર ગુનાની જેલમાંથી એને ય પગ છૂટા કરવાની તક મળી હોતને!
એમ લાગે છે કે કોઈક સ્તરે તટસ્થતા જળવાતી નથી. રાજનીતિ પણ કોઈક સ્તરે પોતાની ભૂમિકા ભજવે જ છે. કેટલાંક લોકો કારણ વગર, કોઈ નિયમો પાળ્યા વગર રખડે જ છે. પાન, માવા, દારૂની દુકાનોમાં વેચાણ ચાલે જ છે. એ બધી કદાચ જીવન જરૂરી ચીજો હશે. પળાય છે ત્યાં પળાય જ છે ને નથી પળાતું ત્યાં નથી જ પળાતું. જે નથી પાળતાં એ લોકો જે પાળે છે એમને માટે જોખમ વધારી રહ્યાં છે એવું નથી લાગતું? જો લોકડાઉનમાં ઢીલ જ રહેવાની હોય તો ભગવાન ભરોસે છોડી દઈને બધું ચાલુ કરી દેવું જોઈએ, કારણ આપણે શિસ્ત પાળવામાં માનતા જ નથી ને એને લાયક પણ નથી. સુરતની જ વાત કરીએ તો રોજના સરેરાશ 35 જેટલા કેસો આવે છે. એમાં ઘટાડો થતો નથી. એ સ્થિતિમાં વ્યવહાર ચાલુ થાય તે કેટલું ઉપકારક નીવડશે તે વિચારવાનું રહે.
આપણે એને પણ લાયક નથી કે કોઈ આપણી સેવા, સારવાર કરે. કેટલા ય વિસ્તારોમાં પોલીસ ખડે પગે સેવા કરે છે ને એને આપણે અપમાનિત કરીએ છીએ. જેની કોઈ ચોક્કસ દવા નથી તેવા રોગ માટે દિવસ રાત જોયા વગર, જીવનું જોખમ વહોરીને ડોક્ટરો ને પેરા મેડિકલ સ્ટાફ સારવાર કરે છે ને આપણે તેમને બેશરમ થઈને પથરા મારીએ છીએ. જરા વિચારો કે ડોકટરો કે નર્સો કે અન્ય સ્ટાફ આપણી સેવા કે સારવાર કરવાની ના પાડી દે તો આપણી શું દશા થાય? આ બધું બધી જ રીતે વખોડવા લાયક છે.
અગાઉ ક્યારે ય નો'તી એટલી માનવજાત આજે મતલબી થઈ ગઈ છે ને મહામારી કરતાં એ વધારે ભયંકર છે ને જોખમી પણ!
e.mail : ravindra21111946@gmail.com