ઇઝરાયલના વડાપ્રધાન નેતાન્યુહ ગુજરાતની મુલાકાતે આવી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડે રોડ-શો કર્યો. ઇઝરાયલના સહકારથી ભારતમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની જાહેરાત થઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની પદ્ધતિએ ભારતમાં ખેતી કરી ખેતીની આવક ડબલ કરવાની જાહેરાત કરેલી છે. ઉદ્યોગો માટે સરકાર વિવિધ ક્ષેત્રે મોટી ખેરાતો કરે છે. મબલખ લોનો, પાણી, વીજળી અને જમીનોની બેમર્યાદ રાહતો, વિદેશોમાંથી ઉદ્યોગો માટે આકર્ષક યોજનાઓ થઈ રહી છે. ત્યારે બીજી બાજુ કિસાન બૅંકની લોન ન ભરી શકનાર ઉપર કેસો થાય છે. કૃષિલોનના હપતા પેટે આપેલ ચૅક ન સ્વીકારાય તો કોર્ટમાં કેસ મૂકી એકાદ વર્ષની જેલની સજામાં ધકેલાય છે.
સરકારે કૃષિપ્રધાન ભારતદેશને આઝાદી મળ્યા પછી કૃષિ અને કિસાનને સહયોગ આપવાના બદલે ભારોભાર ઉપેક્ષા કરી છે. કૃષિ અને કિસાન પ્રત્યે સરકારની ભારોભાર ઉપેક્ષાના કારણે કિસાનો દેવાંના દરિયામાં ડૂબી રહ્યા છે. દેશનાં તમામ રાજ્યોમાં કિસાનોનાં સશક્તિકરણ માટે મોટી જાહેરાતો થાય છે, ત્યારે બીજી બાજુ કિસાનો દેવાંના ડુંગરમાંથી છુટકારો મેળવવા આત્મહત્યાના માર્ગે જઈ રહ્યા છે. ખેડૂતોને સમયસર અને પૂરતી વીજળી મળતી નથી. કૅનાલના પાણીના ભાવ વરસોવરસ વધી રહ્યા છે. પ્રમાણિત બિયારણો અતિ મોંઘાં વેચાઈ રહ્યાં છે, અને તેનાં પર સરકારનો કોઈ અંકુશ નથી. સમયસર રાસાયણિક ખાતરો પણ મળતાં નથી. ઉપરાંત જ્યારે પાક તૈયાર થાય, ત્યારે પોષણક્ષમ ભાવો મળતા નથી. એટલે લોનના હપતા ચૂકવવા ઓછા ભાવે કૃષિઉત્પાદન વેચી દેવું પડે છે. સરકાર ટેકાના ભાવો ઘણા ઓછા બાંધે છે. ટેકાના ભાવે વેપારીઓ ખરીદ કરતા નથી, એટલે માંડ માંડ ઉગ્ર ઊહાપોહ પછી અધકચરા ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા થાય છે અને ઓછા સમયમાં ટેકાના ભાવે ખરીદી બંધ થઈ જાય છે, જેના કારણે વરસેને વરસે ગંભીર રીતે વણસી રહી છે.
બે વર્ષ અગાઉ દેશમાં વડાપ્રધાને પાક ફસલ વીમાયોજના દાખલ કરી, ત્યારે વડાપ્રધાનના ફોટા સાથે આખા પાનામાં જાહેરાતો છપાઈ કે પાક વીમાયોજનાથી કિસાનોની આવક ડબલ થઈ જશે. હકીકતમાં બે વર્ષના અમલીકરણ પછી બન્યું છે એવું કે તે યોજનાથી આવક ડબલ થવાની વાત તો દૂર રહી, પણ પાકના ધિરાણ ઉપર જ ફરજિયાત ઇન્સ્યોરન્સ લેવામાં કિસાનોના ખિસ્સામાંથી કરોડો રૂપિયા ખંખેરાઈ ગયા છે, એટલે યોજના તો ઉલટાની પાક વીમાયોજનાનાં નામે કિસાનોના ઉઘાડેછોગ શોષણ કરનારી બની ગઈ છે.
ઇઝરાયલના વડાપ્રધાનના આગમનસમયે આપણા વડાપ્રધાને કહ્યું કે ઇઝરાયલની કૃષિ ટૅક્નોલૉજી અપનાવવાથી ખેતીની આવક ડબલ થઈ જશે. હકીકતમાં ઇઝરાયલની વૈજ્ઞાનિક ટૅક્નોલૉજી ગ્રીનહાઉસ છે. વરસો પહેલાં આપણા દેશમાંથી ઘણા કિસાનો ઇઝરાયલની ખેતી જોવા ત્યાં ગયા હતા. ગ્રીનહાઉસ જોયા પછી ગુજરાતમાં કિસાનોએ ઠેરઠેર ગ્રીનહાઉસો ઊભાં કરી દીધાં છે પણ ગ્રીનહાઉસની પદ્ધતિ અતિ ખર્ચાળ છે. આ રીતે હજારો ખેડૂતોએ બૅન્કોમાંથી કરોડો રૂપિયાની લોનો લઈ ગ્રીનહાઉસો બાંધી દીધાં છે. પરંતુ તેના માટે લીધેલી લોનોના હપતા ભરી શક્યા નથી. આવક બમણી થવાના બદલે ગ્રીનહાઉસના કારણે કિસાનો કરોડો રૂપિયાના દેવાદાર બની ગયા છે.
ઇઝરાયલનું કુદરતી હવામાન ગરમ છે. સૂર્યનો પ્રકાશ ખુલ્લી રીતે પાક સહન કરી શકે નહીં. પાક સુકાઈ જાય, એટલે ત્યાં પાકના રક્ષણ માટે ગ્રીનહાઉસ ઉપયોગી છે. ગ્રીનહાઉસ ન હોય, તો ઇઝરાયલમાં ખેતી થઈ શકે નહીં. ઉકળાટવાળા ગરમ પવનથી રેતી પાકનો નાશ કરે છે અને ઇઝરાયલમાં ગ્રીનહાઉસના ખર્ચાળ રોકાણ પછી પાકવામાં આવતી ખેતીના પૂરતા પોષણક્ષમ ભાવો મળે છે, એટલે ઇઝરાયલના ખેડૂતોને માથે દેવાનાં ડુંગરો ચઢતા નથી, જ્યારે ગુજરાતમાં કે આપણા દેશમાં પણ વાતાવરણ સમરસ છે, જેને ગરમીના રક્ષણની જરૂર નથી. જેથી ખર્ચાળ ગ્રીનહાઉસ સિવાય પકવેલી ખેતીના પણ પોષણક્ષમ ભાવ મળતા નથી. ગ્રીનહાઉસનું આંધળું અનુકરણ જે કિસાનોએ કર્યું છે, તે બધા જ પસ્તાય છે. બૅન્કની લોનો ભરવામાં જમીન વેચ્યા સિવાય કોઈ આરો નથી. ટૂંકમાં, કોઈ પણ દેશની કોઈ પણ પદ્ધતિનું અનુકરણ આપણા દેશના સમય-સંજોગો જોઈને થાય, આંધળું અનુકરણ ન કરાય.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2018; પૃ. 09