આજના સોશિયલ મીડિયા, ટેલિવિઝન અને ઇન્ટરનેટના જમાનામાં, લોકો માટે એ કલ્પના કરવી મુશ્કેલ છે કે ભારતમાં એક સમયે લોકોએ એક અવાજને સાંભળવા માટે 42 વર્ષ સુધી સમય ફાળવ્યો હતો. શહેર હોય કે ગામડું, ઘર હોય કે દુકાન, લાખો લોકો દર બુધવારે રાતે 8 વાગે રેડિયો સામે બેસી જતા હતા અને ‘બહેનો ઔર ભાઈઓ’ના ઉદ્દબોધન સાથે શરૂ થતી અમીન સાયાની ફિલ્મી ગીતોની હિટ-પરેડ સાંભળવા ઉત્સુક રહેતા હતા. અવાજ સાથેનો લોકોનો એ રોમાન્સ અને રેડિયો સાથેની અમીન સાયાનીની એ લૌકિક સફર 21મી ફેબ્રુઆરીએ કાયમ માટે પૂરી થઇ ગઈ. 91 વર્ષના અમીન સાયાની હવે સ્વર્ગમાં તેમની બીજી પાળી શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હશે!
બિનાકા ગીતમાલા, અમીન સાયાની અને રેડિયો સિલોન, ભારતના રેડિયો પ્રોગ્રામિંગની દુનિયામાં અમર નામ છે. ત્રણે એકબીજાનાં પૂરક છે, ત્રણે એક બીજા વગર અધૂરાં છે. એક વ્યક્તિ માત્ર તેના અવાજની બહેતરીન શૈલીથી લોકોનાં દિલ જીતી લે તેવું સંગીતની દુનિયામાં બન્યું છે, પરંતુ રેડિયો બ્રોડકાસ્ટિંગની દુનિયામાં અમીન સાયાની ના ભૂતો ના ભવિષ્ય જેવી ઘટના છે.
ત્યાં સુધી કે બિનાકા, જે મૂળે એક ટૂથપેસ્ટની બ્રાંડ હતી, તેનું નામ બદલાઈને સિબાકા કરવામાં આવ્યું હતું છતાં, લોકો અમીન સાયાનીને બિનાકા ગીતમાલાથી જ ઓળખતા રહ્યા હતા. 1989માં, બિનાકા ગીતમાલાને વિવિધ ભારતી પર શિફ્ટ કરવામાં આવી હતી, પરંતુ શ્રોતાઓ ક્યારે ય રેડિયો સિલોનના તેના સોનેરી દિવસોને ભૂલી શક્યા ન હતા.
શ્રીલંકા સ્થિત રેડિયો સિલોન, જે એશિયાનું પહેલું રેડિયો સ્ટેશન હતું, તેના ઇતિહાસમાં બિનાકા ગીતમાલા જેવો બીજો કોઈ લોકપ્રિય કાર્યક્રમ બનાવી શક્યું નહોતું. બિનાકા ગીતમાલા તેની હિન્દી સેવાનો હિસ્સો હતો અને જાહેરખબરના રૂપે તેને કરોડો રૂપિયાની આવક થઇ હતી. રેડિયો સિલોન, બિનાકા ગીતમાલા અને અમીન સાયાનીનો જાદૂ કેવી રીતે છવાયો તેની પણ એક દિલચસ્પ વાર્તા છે.
કેવું કહેવાય કે વડા પ્રધાનથી લઈને વડનગરવાસીઓ આજે અમીન સાયાનીને તેમની જે ફિલ્મી હિટ પરેડ માટે યાદ કરે છે, તેને ભારતમાંથી શ્રીલંકામાં ધકેલી મુકવામાં તત્કાલીન સરકારનો જ હાથ હતો! કેવી રીતે?
દેશની પહેલી નહેરુ સરકારમાં, બાલકૃષ્ણ વિશ્વનાથ કેસકર 1952થી 1962 સુધી માહિતી અને પ્રસારણ મંત્રી હતા. કાશી વિદ્યાપીઠમાં ભણેલા અને બનારસ સંસ્કૃત વિદ્યાપીઠમાં લેકચરર રહી ચુકેલા કેસકર એવું માનતા હતા કે મુસ્લિમ અને અંગ્રેજી શાસન હેઠળ ભારતમાં સંગીતની પડતી થઇ છે અને રેડિયોનું કામ શુદ્ધ શાસ્ત્રીય સંગીતનો પ્રચાર કરવાનું છે.
તેમણે રેડિયો પર હિન્દી ફિલ્મ ગીતો, ક્રિકેટ કોમેન્ટ્રી અને હારમોનિયમ પર પ્રતિબંધ મૂકી દીધો હતો! તે માનતા હતા કે હિન્દી ગીતો અશ્લીલ બની ગયાં છે અને બ્રિટિશરોએ તેમની સાંસ્કૃતિક ગુરુતા સાબિત કરવા માટે ક્રિકેટને અને હારમોનિયમને ભારતમાં ‘ઘુસાડ્યું’ છે, જે તેમના ગયા પછી ભારતમાં આમ પણ જીવંત રહેવાનું નથી!
તે વખતનાં લોકપ્રિય હિન્દી ફિલ્મ ગીતો, જેવાં કે તદબીર સે બિગડી હુઈ તકદીર બના લે (ફિલ્મ બાઝી, 1951) અને મૂડ મૂડ કે ના દેખ(શ્રી 420, 1955)માં પશ્ચિમી ઓરકેસ્ટ્રા હતાં અને તેની ગાવાની શૈલી યુરોપિયન જીપ્સી સંગીતની હતી, કેસકરના સેન્સરમાંથી પાસ થયાં નોહતાં. તે માનતા હતા કે ગીતોમાં વાંસળી, તાનપુરા અને સિતારનો ઉપયોગ થવો જોઈએ!
સાંસ્કૃતિક સાફ-સફાઈના નામે તેમણે શરૂઆતમાં ઓલ ઇન્ડિયા રેડિયો પર ‘10 ટકાનું રેશનિંગ’ નાખ્યું. મતલબ કે રેડિયો પર પ્રસારિત થતાં તમામ ગીતોમાં, હિન્દી ફિલ્મોનાં ગીતોનો હિસ્સો 10 ટકા જ રહેશે. બીજું, એ તમામ ગીતોની ચકાસણી થશે અને ‘વાંધાજનક’ ગીતો રદ્દ થશે. ત્રીજું, મંજૂર થયેલાં ગીતોની ફિલ્મોનું નામ બોલવામાં નહીં આવે કારણ કે તેમાં ફિલ્મની જાહેરાત થાય છે. ખાલી ગાયક કલાકારનું નામ જ લેવામાં આવશે!
એમાં ફિલ્મ ઉદ્યોગે શિંગડાં ભરાવ્યાં. જે નિર્માતાઓએ ફિલ્મ ગીતોના હક્કો ઓલ ઇન્ડિયા રેડિયોને આપ્યા હતા, તેમણે તે પાછા ખેંચી લીધા. કદાચ, કેસકર આવું જ ઇચ્છતા હતા. ત્રણ જ મહીનામાં, રેડિયો પરથી હિન્દી ફિલ્મ સંગીત સદંતર અદૃશ્ય થઇ ગયું અને માત્ર શાસ્ત્રીય સંગીતના સૂરો જ રેલાવા લાગ્યા.
તે વખતે, ભારતના ટચુકડા પાડોશી શ્રીલંકામાં, રેડિયો સિલોન (16 ડિસેમ્બર, 1925ના રોજ કોલંબો રેડિયો તરીકે તેની શરૂઆત થઇ હતી) લોકપ્રિય થઇ રહ્યો હતો. તે વખતે, 1952માં, ડેનિયલ મોલિના નામનો એક અમેરિકન સાહસિક, મુંબઈમાં રેડિયો ઍડ્વર્ટાઇઝિંગ સર્વિસ ચલાવતો હતો. તેણે મુંબઈની બિનાકા ટૂથપેસ્ટ બનાવતી કેમિકલ અને ફાર્માસ્યુટિકલ કંપની માટે રેડિયો સિલોન પર અંગ્રેજી ગીતોની હિટ પરેડ બનાવી હતી. આ શો હમિદ સાયાની નામના બ્રોડકાસ્ટર ચલાવતા હતા.
ડેનિયલને, હિન્દી ફિલ્મ ગીતોની લોકપ્રિયતાના ખભે ચડીને હિન્દી માર્કેટમાં બિનાકા ટૂથપેસ્ટનો પગ જમાવવાનો વિચાર આવ્યો હતો. ઓલ ઇન્ડિયા રેડિયો પર આવો કાર્યક્રમ શક્ય નહોતો એટલે, હમિદ સાયાનીએ તેમના લઘુ બંધુને સૂચન કર્યું કે તું અંગ્રેજી જેવો જ કાર્યક્રમ હિન્દીમાં કર. એ લઘુ બંધુ એટલે અમીન સાયાની! સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તાજા જ ગ્રેજ્યુએટ થયેલા 20 વર્ષના સાયાની જીવનમાં શું કરવું તેની ગડમથલમાં હતા ત્યાં જ અ તક આવી પડી હતી.
બે વર્ષ પહેલાં, એક ઇન્ટરવ્યૂમાં અમીન સાયાનીએ તેને યાદ કરીને કહ્યું હતું, “જાહેરખબરની એજન્સી અઠવાડિયાના એક શો માટે મામૂલી 25 રૂપિયા આપવા તૈયાર હતી અને તેના માટે કોઈ તૈયાર થતું નહોતું એટલે હમિદભાઈએ મને એ કામ વળગાળ્યું. એ રીતે બિનાકા ગીતમાલાની શરૂઆત થઇ હતી.”
મખમલી અવાજના માલિક સાયાનીએ તે વખતના માહોલને ધ્યાનમાં રાખીને, હિન્દી-ઉર્દૂ મિશ્રિત હિન્દુસ્તાની જબાનમાં આ કાર્યક્રમની શરૂઆત કરી હતી અને તેમાં તેમણે ‘સરતાજ’ અને ‘પાયદાન’ જેવા અસાધારણ શબ્દો વાપરવાનું શરૂ કર્યું હતું. 3જી ડિસેમ્બર 1952ના રોજ, સાત ગીતોની હિટ-પરેડ સાથે પહેલો શો પ્રસારિત થયો અને રાતોરાત હિટ થઇ ગયો. ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રતિબંધના કારણે, ‘ભૂખ્યા’ શ્રોતાઓ રેડિયો સિલોન પર તૂટી પડ્યા. એક જ વર્ષની અંદર, સાયાનીની મુંબઈ સ્થિત ઓફિસમાં દર અઠવાડિયે 65,000 પત્રોનો ઢગલો થઇ ગયો. ફિલ્મ સંગીતના ચાહકોના પત્રો વધ્યા તેમ ગીતો પણ વધ્યાં અને સાતમાંથી 16 સુધી પહોંચ્યાં.
બિનાકા ગીતમાલાની લોકપ્રિયતાની એક ઝલક આપતાં, અમીન સાયાનીએ, 2010માં, એક અન્ય ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “50 અને 60ના દાયકામાં, આખા એશિયામાં થઈને અંદાજે 20 કરોડ લોકો દર અઠવાડિયે બિનાકા ગીતમાલા સાંભળતા હતા. મને એ જાણીને આશ્ચર્ય થાય છે કે આજે પણ એવા હજારો લોકો છે જેમણે તેમની ડાયરીમાં વાર્ષિક કાર્યક્રમનાં ગીતો લખી રાખ્યાં છે એટલું જ નહીં, 46 વર્ષ પહેલાંના અઠવાડિક કાર્યક્રમની યાદી પણ નોંધી રાખી છે.”
ઇન્ટરવ્યૂના અંતે, સાયાનીએ આશાવાદી સ્વરે ઉમેર્યું હતું, “મારા કાર્યક્રમના માધ્યમથી, મેં એક સુખદ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જે દોસ્તી, એકતા, શાંતિ અને ન્યાય માટે અનુકૂળ હોય. હું એક એવી દુનિયા ઈચ્છું છું જે શાંતિપૂર્ણ, સ્વચ્છ, સ્વસ્થ અને સૌમ્ય હોય. તે મને કિશોર કુમારના ગીતની યાદ આપાવે છે – આ ચલ કે તુજે, મૈં લે કે ચલું, એક એસે ગગન કે તલે, જહાં ગમ ભી ના હો, આંસુ ભી ના હો, બસ પ્યાર હી પ્યાર પલે …”
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 03 માર્ચ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર