હિમાવન, પાલડી-અમદાવાદ(ઈ.સ. ૧૯૬૯)થી શ્રી કૈલાસ ગુરુકુળ – મહુવા વાયા ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ જેવાં સ્થળોએ વારંવાર, સાતત્યપૂર્ણ રીતે મળવાનું બનતું રહ્યું હતું, તેવા સાહિત્યકારમિત્ર સ્વ. ઊજમશી પરમાર ‘નિરીક્ષક’ના માધ્યમથી પરિચયમાં આવ્યા હતા. પ્રબોધ ચોકસીએ રાજીનામું આપતાં સુરેન્દ્ર કાપડિયાએ કાર્યકારી સંપાદનકાર્ય સંભાળ્યું હતું તે દિવસોમાં ઊજમશી પરમાર ‘નિરીક્ષક’ માટે વાર્તા લઈને હિમાવન ખાતે આવતા હતા, તેમાંથી પરિચય. તે દિવસોમાં જીવરાજપાર્ક ખાતે તેમના રહેઠાણે પ્રાગજીભાઈ પટેલ (નિરીક્ષક-કર્મચારી) સાથે એક રવિવારે જવાનું બન્યું હતું. ત્યારે તેમણે તેમનાં રેખાંકન / ચિત્રો બતાવ્યાં હતાં અને જણાવ્યું હતું કે પ્રબોધ ચોકસીએ ‘નિરીક્ષક’માં ચિત્રો/ રેખાંકનો છાપ્યાં છે.
પછીથી છેલ્લાં ૧૫-૧૭ વર્ષથી ગુજરાતી સાહિત્ય પરિષદ-મધ્યસ્થ સમિતિ તેનાં અધિવેશનો, જ્ઞાનસત્રોમાં નિયમિતપણે મળવાનું બનતું, તેમનો વાતો કરવાનો, ગાવાનો, આત્મપરિચય કરાવવાનો, સહજ-સરળ સ્વભાવ અમને વન-વે ગોષ્ઠિ તરફ લઈ જતો. પોતાનાં ગીતો સારી રીતે ગાતાં તે તો ખરું જ, પણ ફિલ્મીગીતો પણ ગાતાં. તે અંગેનું તેમનું જ્ઞાન સારું હતું. તેમનાં કાવ્યો મને ખૂબ ગમ્યાં છે. તેમની કલા- કારીગરી પણ નોંધપાત્ર હતાં. ચર વાર્તાસંગ્રહ, બે કાવ્યસંગ્રહ, એક નવલકથા તેમનું પ્રદાન.
ભાવનગર
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2018; પૃ. 15