કોવિડ 19 એટલો ઝડપથી પ્રસર્યો કે જાણે સમગ્ર દેશ (યુનાઈટેડ કિંગ્ડમ) એકદમ જ જાણે એના સકંજામાં આવી ગયો. હજુ તો વિશ્વ આરોગ્ય સંસ્થાએ 11 March 2020ના રોજ જાહેરાત કરી જ હતી કે કોવિડ 19 વિશ્વવ્યાપી બીમારી – pandemic – છે એને માંડ એક અઠવાડિયું થયું હશે, અને યુનાઇટેડ કિંગ્ડમમાં એનો ફેલાવો દેખાવા માંડ્યો હતો. અગાઉ ઈટલી તો એમાં સપડાઈ ચૂક્યું હતું જ. ઇટાલિયન ડૉક્ટર્સની ચેતવણીઓ યુ.કે. પહોંચી ચૂકી હતી. બ્રિટિશ સરકાર, NHS અને પબ્લિક હેલ્થના મોવડીઓ આ મહામારી સામે પહોંચી વળવા શક્યતમ પગલાંઓ લેવાની ગોઠવણમાં લાગેલાં – એમાં જ જાહેર તાળાબંધી(lockdown)નો નિર્ણય લેવાયો હતો.
એની સાથેસાથે અગ્રણી ડોક્ટર્સ – વિશેષજ્ઞો પોતપોતાનાં ક્ષેત્રમાં દરદીઓનાં સ્વાસ્થ્ય જાળવવા શું વ્યવસ્થા રાખવી એ નક્કી કરી રહ્યાં હતાં. એક વાત સ્પષ્ટ હતી કે જેમ બને એમ સૌથી વધુ વ્યક્તિઓને કોરોનાનો ચેપ ના લાગે એ પ્રાથમિકતા હતી. પરિણામસ્વરૂપ ક્રમશઃ તાત્કાલિક જરૂરી (emergency) અને અનિવાર્ય હોય તેવા રોગ સિવાયના ઓપેરશન મુલતવી કરવામાં આવ્યાં. એ પછી રાબેતા મુજબની રૂબરૂ ક્લિનિકલ તપાસ પણ મુલતવી કરાઈ પરંતુ એની અવેજીમાં ફોન અથવા વીડિયો કન્સલ્ટેશનનાં પર્યાય ઊભાં કરવામાં આવ્યાં કે જેથી દરદીઓને જરૂરી તબીબી સહાય અને સહારો મળી રહે અને જ્યાં જરૂરી હોય ત્યાં રૂબરૂ મુલાકત / તપાસ ગોઠવી શકાય. આ સાથે સાથે બધી NHS હોસ્પિટલ કોવિડથી ગંભીર બિમારોની સારસંભાળ માટે તૈયાર કરવામાં આવી, જ્યાં વોર્ડ અને ઇન્ટેસિવ કેર યુનિટ્સની ખાસ સગવડો વધારવામાં આવી અને જરૂર પહોંચી વળવા નર્સીસ ડોક્ટર્સની જરૂરિયાત પ્રમાણે ફરજોની ફેરબદલી (redeployment) કરવામાં આવી.
છેલ્લાં ત્રણ મહિનાથી મોટા ભાગના ડોક્ટર્સ ટેલિફોન કે વીડિયો કન્સલ્ટેશનમાં વ્યસ્ત રહ્યા છે : સાંપ્રત સંજોગોએ સૌને નવું શીખવા, નવી ગોઠવણો કરવાં પ્રેર્યા છે અને આ એનું જીવંત ઉદાહરણ છે. સામાન્યતઃ એ અવલોકન રહ્યું છે કે મુસીબતનો સમય પછી માણસમાં યા તો ઉમદા વ્યક્તિત્વ ઉભરે છે, યા સૌથી ખરાબ. માણસ યા તૂટી જાય છે, યા મજબૂત થઇ ઉભરે છે. આ ત્રણ મહિના દરમિયાન મારાં ઘણાં દરદીઓ સાથે ફોન કન્સલ્ટેશનનો અનુભવ થયો છે. સન્મુખ ન હોવાં છતાં એમનાં અવાજમાંનાં ભાવ અનુભવી શકાયાં છે. સુખદ આશ્ચર્ય એ સતત રહે છે કે સામાન્યતઃ દરદીઓ સકારત્મક (positive) વલણ ધરાવતા લાગ્યા – આશાસ્પદ, સમજુ, સાંપ્રત પરિસ્થિતિથી વાકેફ અને સ્વીકારતાં. ફોન ના બીજે છેડેથી મેં એમનો આદર – વ્યક્તિગત અને NHSના પ્રતિનિધિ તરીકે ભરપૂર અનુભવ્યો છે. મારા સહકાર્યકરોનો પણ આ જ અનુભવ છે.
હૃદયને પીગળાવતી ઘણી ઘટનાઓ જોઈએ છીએ, એવી વાતો પણ સાંભળી છે – આપ સૌ વાંચકોએ પણ એવું અનુભવ્યું હશે. મારા માટે સૌથી રોચક, હૈયું સ્રવે એવી કોઈ બાબત હોય તો ટેલિફોન કન્સલ્ટેશન પૂરું થવામાં હોય, ત્યારે સામે છેડેથી દરદી પૃચ્છા કરે – “ડોક્ટર, તમે બરાબર છો ને?" અને એ પૃચ્છા વિસ્તરે NHSના બીજા કાર્યકર્તાઓ માટે એને કુટુંબીઓ માટે પણ. કોઈ અંગત સંબંધ ન હોવાં છતાં સ્વંયંભૂ નીપજતી આ સ્પૃહા માણસનો માણસમાં વિશ્વાસ પુનઃ સ્થાપિત કરે છે. કોવિડ 19ની મહામારી હજુ ચાલુ છે એ ગંભીર છે – ઘાતક પણ, વિશ્વમાં લાખો લોકો જીવ ખોઈ ચુક્યા છે. એના ઈલાજની શૉધ પણ ચાલુ છે – એ મળે ત્યાં સુધી આપણે સૌએ સાવધાની વર્તી કાળજી લેવી રહી. આ પરેશાનીના કાળમાં એક સુખદ વાત જે અનુભવસિદ્ધ થઇ છે તે એ કે કરુણા જીવંત છે, સ્પૃહા સર્વવ્યાપી છે, માણસાઈના દીવા પ્રજ્વલિત છે; નિઃશંક!
MBBS MS MML FRCS FRCOphth
Consultant Ophthalmologist