જાણું નહિ હજુ કેટલા જન્મદિવસ બાકી હશે,
એટલું તો જાણું કે આ આયુષ્યની અવધ ક્યાંક તો આંકી હશે.
જે વર્ષો ગયાં એમાં શું રહ્યું અને શું ન રહ્યું,
એનો નથી હર્ષ, નથી શોક, જે કૈં થવાનું હતું તે થયું.
આજે તમે સૌ મિત્રો એક વધુ જન્મદિવસ ઊજવો છો,
તમારા સ્નેહ અને સૌહાર્દથી મને મીઠું મીઠું મૂંઝવો છો.
હવે જે કૈં વર્ષો રહ્યાં એમાં દેહ – મનથી સ્વસ્થ રહું,
જાત અને જગતની આંધીઓ વચ્ચે આત્મસ્થ રહું.
આજે તમે સૌ મિત્રો આટલું વરદાન મને આપો,
‘શિવાસ્તે પન્થાન: સન્તુ’ કહી માથે હાથ થાપો.
તો આ જીવ એની શેષ યાત્રામાં કદીયે ન થાકી જશે,
પછી ક્યારેક જાણે એક ફળની જેમ વિશ્વની ડાળ થકી ખરી જશે.
જે ધરતીની ધૂળમાંથી એ જન્મ્યું એ ધરતીમાં એ સરી જશે,
પણ એ તો ક્યારે ? ત્યારે કે જ્યારે એ પૂરેપૂરું પાકી જશે.