એક કામ અર્થે અલ-હિકમાહ સેન્ટરની ઑફિસે જવાનું થયું. ત્યાં બેઠેલા ઓફિસરે એક આઘાતજનક સમાચાર આપ્યા કે, જો કોક્સ ઉપર જીવલેણ હુમલો થયો છે; અને એની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. એ શબ્દો સાંભળતાં જ હું ત્યાંથી ઝડપભેર નીકળી ગયો. રસ્તામાં વિચારતો રહ્યો કે, કોઈ માઠું પરિણામ ન આવે તો સારું. પરંતુ પાંચ વાગ્યાના બુલેટીનમાં જોને મૃત ઘોષિત કરવામાં આવી, ત્યારે હું ક્ષુબ્ધ થઈ ગયો.
24 કલાક પહેલાં જ જોનો ઈમેલ મળેલો જેમાં એણે રમઝાનુલ મુબારકની શુભેચ્છા પાઠવીને બ્રિટને શા માટે યુરોપીયન યુનિયનમાં રહેવું, તેનાં મંતવ્યો રજૂ કરેલાં. અગર બ્રિટન 23મી જૂને યુરોપીયન યુનિયન છોડવાનો દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય લેશે, તો એ અંધારામાં કૂદકો મારવા સમાન લેખાશે. હું નથી ઇચ્છતી કે આપણી ભાવિ પેઢીને અનિશ્ચિતતાની છાયામાં જીવવું પડે.
જો સાથે મારે સારા સંબંધો બંધાયેલા. 2015ની ચૂંટણી ટાણે એ મારા ઘરે આવેલી, ચૂંટણી જીતવા માટે પ્રચારની વ્યૂહરચના અને નક્કર કાર્યક્રમની રૂપરેખા અમે તૈયાર કરેલી. ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી બાટલી માટે અણથક મહેનત કરતી. બાટલીની સુખાકારી એ જ એની પ્રાથમિકતા.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ જો પીડિતોના પડખે ઊભી રહીને સીરિયાના બેહાલ શરણાર્થીઓને કરેલી મદદ, આફ્રિકાના દેશોમાં પ્રસૂતિવેળા થતાં બાળમરણને અટકાવવા ચેરિટી દ્વારા કરેલી સહાય, ઇઝરાઈલ સરકારના દમન અને અત્યાચારના ભોગ બનેલા પેલેસ્ટાઈનના લોકોના ન્યાય માટે ઝઝૂમવું. ગ્લીનિસ કિનોક, એમ.ઈ.પી. [મેમ્બર અૉવ્ યુરોપીયન પાર્લામેન્ટ] અને સારાહ બ્રાઉન, પૂર્વ પ્રધાનમંત્રીનાં પત્નીને ચેરિટી ટ્રસ્ટની એડવાઈઝરનાં રૂપમાં કરેલી સેવાની નોંધ વિશ્વભરમાં લેવાયલી.
બ્રિટનમાં સ્થાનિક લોકોની સમસ્યાઓ સાંભળવા અને તે માટે ઘટતું કરવા એમ.પી.[મેમ્બર અૉવ્ પાર્લામેન્ટ]ઓની સર્જરીની પ્રણાલી છે. તે દિવસે જોની પણ સર્જરી હતી. સર્જરીનું કામ આટોપીને એ બહાર નીકળે ત્યાં જ એક હત્યારાએ એના પર ગોળી છોડી, છરીના ઘા ય કરાયા. જો એના જીવનના અંતિમ શ્વાસ સુધી લોકસેવારત રહી.
અહેવાલ મુજબ ગોળી છોડતી વખતે હત્યારો ‘બ્રિટન ફર્સ્ટ’ એવું બોલેલો, એનો અર્થ એ થયો કે, એ જમણેરી વિચારસરનો અંતિમવાદી હતો. એ પછી તપાસ દરમ્યાન કોર્ટમાં ન્યાયાધીશે એનું નામ પૂછ્યું, ત્યારે એણે પોતાનું નામ ‘દેશદ્રોહીનું મૃત્યુ, બ્રિટનની આઝાદી’ બતાવ્યું. એનો સ્પષ્ટ અર્થ દ્વેષભાવના અને નફરત ફેલાવવાનો થાય. એની વિકૃત વિચારસરણી એવી કે, દેશપ્રેમી હોવું એટલે વસાહતીઓ, અશ્વેતો, વિધર્મીઓ અને બ્રિટન બહારના યુરોપવાસીઓને ધિક્કારવા.
જોની હત્યા અત્યંદ દુ:ખદ બીના તો છે જ, પરંતુ અહીં બ્રિટનમાં, યુ.એસ.એ.માં અને દુનિયાભરના રાજકારણમાં હિંસા, અસહિષ્ણુતા અને દ્વેષભાવ ખદબદે છે. તેનો સંકેત પણ છે. આ સમગ્ર માનવજાત માટે ચિંતાજનક છે એટલે જ જો કોક્સની હત્યા નિમિત્તે બ્રિટનના સમજુ અને સિદ્ધાંતનિષ્ઠ નેતાઓએ પણ આ જ વાત કરી છે. વડાપ્રધાન ડેવિડ કેમરૂને કહ્યું, ‘દ્વેષભાવ, રંગભેદ, ધાર્મિક સહિષ્ણુતા અને વસાહતીઓના્ં નામે ફેલાવવામાં આવતી નફરતો સામે લડવું પડશે.’ વિપક્ષ લેબર પાર્ટીના નેતા જેરેમી કોરબીને કહ્યું, ‘આપણે કાઇન્ડર એન્ડ જેન્ટલ પોલિટિકસ – દયાળુ અને નરમ રાજકારણ અપનાવવું પડશે. દ્વેષભાવને ઉશ્કેરો નહીં અને પ્રજામાં ભાગલા પડાવો નહીં. દ્વેષભાવ અને ભાગલાવાદી રાજકારણ હિંસાચારને ઉત્તેજન આપે છે.’
જો કોક્સની હત્યાનો આઘાત કાયમ છે ત્યાં જ સમાચાર આવે છે કે, અમેરિકામાં એક બ્રિટિશ યુવકે ડોલાન્ડ ટ્રમ્પની જાન લેવાની કોશિશ કરી. જોના મૃત્યુનો સંદેશ એ જ છે કે માનવજાતને દ્વેષભાવના વિષચક્રમાંથી છોડાવી સમભાવ અને સદ્દભાવનું વાતાવરણ ફરીથી ઊભું કરવું જોઈએ.
જોની હત્યા નિમિત્તે બાટલીના સામાન્ય પ્રજાજનો પણ આ વાતથી સજાગ થયા અને રમઝાન માસ હોવા છતાં, 17-06-2016ના રોજ ‘ઇન્ડિયન મુસ્લિમ સોસાયટી’ના અલ-હિકમાહ સેન્ટરમાં, મુસ્લિમો સાથે બધા ધર્મના 2000થી પણ વધુ લોકો શોકસભામાં હાજર રહ્યાં, જ્યાં અનેક વક્તાઓએ તથા ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મગુરુએ એક સાથે ઊભા રહી, જોએ આરંભેલા માનવજાતની ભલાઈ અને માનવ હકોની લડતના સંદેશાને ઝીલવાનો અનુરોધ કરતાં કહ્યું, ‘એકતા, સમાનતા અને સદ્દભાવના માર્ગે ચાલીને જ જોને સાચી અંજલી આપી શકાય. ધર્મના કે દેશપ્રેમના નામે હિંસાચાર આચરી શકાય નહીં.’
જોની સાથે અનેકવાર મળવાનું થતું. લોકોની સમસ્યા અને એના નિવારણની ચર્ચાઓ થતી. એટલું જ નહીં પણ મારી નાની સરખી પ્રવૃત્તિઓમાં પણ એ રસ લેતી. જ્યારે પણ મુલાકાત થાય ત્યારે મારા નવા પુસ્તક કે સાહિત્યિક પ્રવૃત્તિ વિશે અચૂક પૃચ્છા કરતી. ગુજરાતી સંસ્કૃિતથી એ ખાસ પ્રભાવિત હતી.
એની ગુજરાત જોવાની ઇચ્છા હવે તો અધૂરી જ રહી.
e.mail : ahmadlunat@yahoo.co.uk