
રવીન્દ્ર પારેખ
હું સંપૂર્ણપણે હિંદુ છું ને દરેક ભગવાનમાં મારી શ્રદ્ધા છે. ધાર્મિક તથા અન્ય તહેવારો હું પૂરા ઉમંગથી ઊજવું છું. આમ પણ સુરતી લોકો તાજા તથા વાસી તહેવારો બહુ રંગેચંગે ઊજવે છે. તેમાં સૌથી વધુ ઉમંગ ને ઉત્સાહ ગણેશોત્સવ વખતે હોય છે. આ વખતે ગણેશ ચતુર્થી આજે એટલે કે 14 સપ્ટેમ્બર અને સોમવારે છે ને ગણેશની મૂર્તિનું સ્થાપન અને પૂજા સવારથી આખો દિવસ ચાલશે. આ ભગવાન આપણા સૌથી વધુ બુદ્ધિશાળી ભગવાન છે. તેઓ રિદ્ધિ, સિદ્ધિના દેવ છે. એક રીતે તો ગણેશ વિચિત્ર શરીર ધારી છે. મોટું પેટ અને હાથીનું મસ્તક તેમની ઓળખ છે, પણ તેનો અર્થ એવો નથી કે તેની પૂજા થતી નથી.
પાર્વતીના પુત્ર વિનાયકના જન્મથી અજાણ શંકર ક્રોધથી વિનાયકનું મસ્તક ત્રિશૂળથી ઉડાવી દે છે ને પછી પાર્વતીના આગ્રહથી તેને હાથીનું મસ્તક મૂકીને જીવિત કરે છે. પાર્વતીને ગણેશ વિચિત્ર લાગતા સંતાપ થાય છે, ત્યારે ભગવાન શંકર તેને એમ કહીને આશ્વસ્ત કરે છે કે કોઈ પણ પૂજાની શરૂઆત ગણેશ સ્થાપન વગર અધૂરી ગણાશે. આ કથા બહુ પ્રચલિત છે. એવી જ રીતે મહાભારતના રચયિતા વેદ વ્યાસ બોલે છે ને એ મુજબ ગણપતિ આખું મહાભારત લખે છે. મહાભારત લખતી વખતે ગણેશની કલમ તૂટી ગઈ ને તેમણે મહાભારત તો અટક્યા વગર લખવાનું જ હતું, એટલે તેમણે એક દાંત તોડીને તેનાથી મહાભારત લખવાનું ચાલુ રાખ્યું. જો કે, ગણેશ વગર મહાભારત લખવાનું શક્ય જ ન હતું. બીજી પણ ચંદ્રને શાપ આપવાની કથા પણ જાણીતી છે. એવી ઘણી વાતો ગણનાયક, વિઘ્નકર્તા સાથે જોડાયેલી છે.
ગણેશોત્સવની સાર્વજનિક ઉજવણીની શરૂઆત, મહારાષ્ટ્રમાં, અંગ્રેજી શાસનની સામે, પ્રજામાં એકતા ને દેશભક્તિ જગાડવા, લોકમાન્ય ટિળકે 1893માં કરેલી, શરૂઆતમાં તો આ ઉત્સવ ઘરો પૂરતો જ સીમિત હતો. પછી તો તેનો એટલો પ્રચાર થયો કે આજે પણ તે આખા દેશમાં સાર્વજનિક ઉત્સવ તરીકે ઉજવાય છે. આ ઉત્સવ ગુજરાતમાં પણ, બહુ ઉત્સાહથી ઉજવાય છે. વડોદરા, સુરત, અમદાવાદમાં પણ તે મન મૂકીને ઉજવાય છે, પણ સુરત એમાં કદાચ સૌથી આગળ છે. આ વખતે લગભગ લાખેક મૂર્તિઓનું સ્થાપન સુરતમાં થશે. તંત્રો દર વર્ષે નિયમો જાહેર કરે છે, જેમ કે નવ ફૂટથી ઊંચી મૂર્તિ ન રાખવી, તો, શાંતિ ને સંપ જળવાઈ રહે એવી અપીલ પણ મહાનુભાવો દ્વારા થાય છે, પણ સુરતીઓ કોઈ નિયમને ગાંઠતા નથી ને ભારે ઉમંગ-ઉત્સાહથી સ્થાપનથી વિસર્જન સુધી જોડાયેલા રહે છે.
એક તબક્કે આ તહેવાર પૂરી આસ્થા અને ધાર્મિકતાથી શહેરભરમાં ઉજવાતો ને ત્યારે સ્ટેશનથી ચોક સુધી વિસર્જન યાત્રા નીકળતી ને સૌથી છેલ્લે હિંદુ મિલન મંદિરના ગણપતિ આવે કે વિસર્જન યાત્રા પૂરી થયેલી ગણાતી. હિંદુ મિલન મંદિરના ગણપતિ સૌથી ઊંચા ગણાતા, પણ મૂર્તિની ઊંચાઈ માંડ છ સાત ફૂટની હશે. શહેરમાં હિંદુ મિલન મંદિરનો પરંપરાગત ગણેશોત્સવ ટોચનો ગણાતો, કારણ ત્યાં દસેદસ દિવસ વીર આરતી થતી ને રોજ જ સ્પર્ધાઓ ને ચર્ચાઓ કે કવિ સંમેલન કે વ્યાયામના પ્રયોગો થતા. મને વિશેષ લગાવ એ ગણેશોત્સવમાં એટલે પણ છે કે મારું સૌથી પહેલું કવિસંમેલન ત્યાંથી શરૂ થયેલું. ગની દહીંવાળા તેના પ્રમુખ હતા ને જાહેરમાં સૌથી પહેલી વખત કવિતાઓ ત્યારે મેં રજૂ કરેલી. એ કવિ સંમેલન આજે પણ થાય છે ને હું આજે પણ કવિતા રજૂ કરવા જાઉં છું.
પણ ગણેશોત્સવની શહેરમાં હવે નવી પરંપરા ઊભી થઈ ચૂકી છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ભક્તો બદલાયા છે ને ભગવાન પણ બદલાયા છે. પહેલાં બેત્રણ મહોલ્લામાં એકાદ મંડપ ગણેશોત્સવનો બંધાતો, હવે એક જ મહોલ્લામાં બેત્રણ ગણેશની સ્થાપના થતી દેખાય છે. ખરેખર તો મહોલ્લામાં ત્રણ ચાર ગણપતિ હોય, તો મહોલ્લામાં સંપ નથી એવો અર્થ થાય. સંપ હોય તો બધા મળીને મહોલ્લામાં એક જ મૂર્તિની સ્થાપના કરે ને ! એટલું થાય તો મહોલ્લાવાસીઓ સાથે મળીને ઉત્સવ ઊજવે છે એ ધ્યાને ચડે, પણ હવે એવું રહ્યું નથી. હવે સ્થાપના, સ્પર્ધાનો ભાગ બની ગઈ છે. ઠેર ઠેર ગણપતિની સ્થાપના થઈ રહી છે. આસપાસમાંથી ઇચ્છા અનિચ્છાએ ફાળો ઉઘરાવીને ગણેશોત્સવ ઉજવાય છે. પછી મૂર્તિની પસંદગીથી લઈને સ્થાપના અને ત્યાંથી વિસર્જન સુધી પૂજાઅર્ચના, આરતી, પ્રસાદ ને બીજું ઘણું થતું રહે છે. તે સાથે જ ભગવાન સાંભળતા ન હોય એમ કાન ફાડી નાખે એવા અવાજે ડીજે વાગતું રહે છે. રાતના ક્યાંક ક્યાંક દારૂ, જુગારની મહેફિલો પણ મંડાય છે.
છેલ્લા એક બે વર્ષથી ભગવાન ગણેશના વિસર્જન કરતાં તેનાં આગમનનો મહિમા એકદમ વધી ગયો છે. શહેરમાંથી કે મુંબઈથી કે અન્ય જગ્યાએથી મૂર્તિ ખરીદાય છે ને તે અત્યંત મહેંગી હોય છે. એટલી મહેંગી કે એટલામાં તો કોઈ પણ ભગવાન જાતે ઘરે આવવા રાજી થઈ જાય. દર વર્ષે એમાં પણ સ્પર્ધા ચાલે છે. હેતુ એક જ હોય છે, પોતાની જ મૂર્તિ સર્વશ્રેષ્ઠ હોય તેવું સિદ્ધ કરવાનો. આ દેખાડો છે ને એમાં આસ્થા ઓછી જ છે. ધાર્મિક વિધિઓમાં પણ સ્વસ્થતા હોતી નથી. આવી મૂર્તિઓ કરોડોના હીરા, ઝવેરાત, સોનાથી શણગારાય છે. તેનો કરોડોનો ઇન્સ્યોરન્સ લેવાય છે.
એ પછી બાપ્પાની આગમન યાત્રા નીકળે છે જે આમ તો સ્થાપનાના ઘણા મહિના અગાઉ નીકળતી હોય છે ને બધું એટલું ભવ્ય હોય છે કે કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે ને ભક્તો એ વાતે પોરસાતા પણ હોય છે કે કેવો ટ્રાફિક જામ કરાવ્યો ! જો કે, ફ્લાય ઓવર પર 30 ફૂટની એક મૂર્તિ અટવાઈ પડી હતી. બન્યું એવું કે મૂર્તિ લાવનારું ટ્રેક્ટર રોંગ સાઈડે ઘૂસ્યું. એ તો સારું છે કે ગણપતિ પાસેથી ચાલાન કટ ના કર્યું, નહીં તો ભગવાન પણ દંડાયા હોત !
ઘણી વખત યાત્રિકોને એ ખ્યાલ આવતો જ નથી કે ટ્રાફિક જામ થવાને કારણે એમ્બ્યુલન્સ અટકે છે, કોઈને નોકરીએ જવાનું મોડું થાય છે, કોઈ સ્કૂલે આવતાં કે જતાં રોકાય છે ને એવું તો ઘણું ઘણું થાય છે. આગમન યાત્રા એટલી ધીમી અને લાંબી હોય છે કે એટલામાં તો ભગવાન જાતે ચાલીને મંડપમાં પહોંચી શકે. એમ મનાય છે કે સુરતમાં ગણેશોત્સવ નિમિત્તે 800 કરોડથી વધુનો કારોબાર થશે. એક નવી વ્યાખ્યા એ બહાર આવી છે કે ત્રાસ આપે એ ધર્મ છે.
એ ખરું કે ગણેશજીની મૂર્તિ એટલી સુંદર છે કે ગમે તેવી દોરો, શીખાઉ હો તો પણ, તે સુંદર જ લાગે છે, તેને આપણે કેવી કરી રહ્યા છીએ ! ગણપતિ જેના બનેલા નથી, તેના બનાવીએ છીએ. અગાઉ મગના, સાકરના, ચોકલેટના બનતા હતા ને તેના પર કીડી ચડતી તો ભક્તો જ ડી.ડી.ટી. કે હીટ પણ છાંટતા. મૂર્તિની રચનામાં બીજા અનેક પ્રયોગ હજી થાય છે. તાજેતરમાં સોના, ચાંદી, હીરાના ગણપતિ બહુ ચર્ચાય છે.
એક વીડિયોમાં એક એન્કર એમ કહેતી દેખાય છે કે તેણે ગણેશજીને સ્પાઈડરમેનના સ્વરૂપમાં, ડ્રેગનના સ્વરૂપમાં, રૌદ્ર સ્વરૂપમાં, જીવજંતુ રૂપે, ફિલ્મી હીરો રૂપે જોયા છે. આ ઉપરાંત અન્ય રૂપે પણ ગણેશની સ્થાપના થતી હશે, ત્યારે પ્રશ્ન થાય કે આપણે કરવા શું માંગીએ છીએ? આપણા ભગવાનને હીન સ્વરૂપે ચિતરવામાં જ આપણો ધર્મ આવી જાય છે? આવી મજાક તો અન્ય ધર્મીઓ પણ ન કરે ને આપણે આપણા જ દેવને જાણી જોઇને વિચિત્ર રૂપમાં પ્રસ્તુત કરીએ છીએ? એવું નથી કે બધી જ મૂર્તિઓ ટીકાને પાત્ર છે. કેટલીક મૂર્તિઓ ઈકો ફ્રેન્ડલી પણ બની છે. કેટલીક મૂર્તિઓ પેપર પલ્પની કે શુદ્ધ માટીની પણ બની છે. વેસુ વિસ્તારમાં 22 ફૂટ ઊંચી મૂર્તિ 700 કિલો ટિસ્યુ પેપરની બની છે. મંછરપુરામાં 431 કિલો રવો ને ઘી ભેગા કરીને ગણપતિની મૂર્તિ બનાવાઈ છે. અહીં જ બે વર્ષ પર માત્ર ઘીના ને ગત વર્ષે ગોળના ગણપતિ પણ બનેલા.
આ વખતે એક જ કલરની વન ટોન રેડ, પર્પલ, પિંક, બ્લેક ગણેશ પ્રતિમાઓ પણ બની છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને તો એવી યોજના પણ અમલમાં મૂકી છે કે કિલો પ્લાસ્ટિક આપો ને માટીના ગણેશજી લઈ જાવ. આપણો ગણેશોત્સવ હવે ધાર્મિક નથી રહ્યો. એમાં આપણી અસ્થા ઓછી થઇ હોય તેમ તેને વ્યવહારુ ને નિમ્ન કોટિએ ઉતારી મૂકીએ છીએ. વિદેશમાં કોઈ ચંપલ પર કે અન્ય પગરખાં પર લક્ષ્મી કે ગણેશના ફોટા છાપે છે તો આપણું લોહી ઊકળી ઊઠે છે, પણ આપણે આપણા જ ભગવાનને રખડતા મૂકીએ છીએ તો રૂંવાડું ય ફરકતું નથી. કોઈ આપણા ભગવાનની મૂર્તિઓ ખંડિત કરે છે તો ચામડી તતડી ઊઠે છે, તો વિસર્જન પછી કિનારે કે રસ્તાઓ પર ખંડિત ગણેશ પ્રતિમાઓથી આપણને અફસોસ પણ નથી થતો.
આપણે આજની અને આવતી પેઢીઓને ગણેશ, કૃષ્ણ, રામ આદિ દેવો માટે કયો આદર્શ આપવા માંગીએ છીએ? આપણી સંસ્કૃતિ કે ધર્મ વિષે શું ભણાવવા માંગીએ છે? આપણે બાળકોને એ કહેવું છે કે ગણેશજી સ્પાઈડરમેન હતા કે જીવજંતુ હતા? આપણા ધાર્મિક ઉત્સવોમાંથી ગરિમા ચાલી ગઈ છે. એમાં ગરવા પણું રહ્યું નથી ને વરવાપણું જ શેષ બચ્યું છે. એને વિષે આજે નહીં વિચારાય તો પછી વિચારવાનું જ નહીં રહે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 સપ્ટેમ્બર 2026
![]()

