કાનૂની છટકબારીઓ ઊભી કરવા, કાયદાના સકંજાથી ભાગવા સત્તાધારીઓ જાતભાતના ખેલ કરતાં હોય છે. તેનો એક નમૂનો તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં જોવા મળ્યો.
36 રફાલ વિમાનોની ખરીદી બાબતે, તેમાં થયેલા વ્યાપક ભ્રષ્ટાચારને લઈ લાંબા સમયથી કાયદાકીય આંટીઘૂંટીને લઈ સંસદ અને સુપ્રીમ કોર્ટ બન્નેમાં કાર્યવાહી લંબાયા કરે છે, ઠેલાયા કરે છે.
દેશના વડાપ્રધાન ખુદ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે તેવા આરોપને લઈ ચાલતા આ કેસમાં હમણાં ગયા અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટમાં સરકારના એટર્ની જનરલે કહ્યું કે 'રફાલ વિમાન ખરીદી અંગેની અગત્યની ફાઈલ ચોરાઈ ગઈ છે ! અને તે ગોપનીય ફાઈલ હતી ને તે ફાઈલના દસ્તાવેજોનો ઉપયોગ કરીને 'ધ હિન્દુ' છાપાએ કહેવાતા ભ્રષ્ટાચારના અહેવાલ પ્રગટ કર્યા. અને સરકાર હવે તેની સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ કરવા માંગે છે.'
પોતાની જાતને ગાઈ વગાડીને દેશના ચોકીદાર તરીકે, પ્રધાન સેવક તરીકે છેલ્લાં પાંચ વરસથી ઓળખાવી રહ્યા છે, એવા વડાપ્રધાનના રાજમાં ફાઈલ ખોવાઈ જવાની વાત મજાકનો વિષય બની ગઈ. સંરક્ષણ ખાતામાં જે ફાઈલ ભારે જાપ્તા હેઠળ રહેતી હોય અને તે પણ આજના કમ્પ્યુટરમય સરકારી વ્યવસ્થામાં, તે જ ચોરાઈ જવાની વાત આવતાં દેશ આખામાં એ અંગે થોડાક જ કલાકોમાં ભારે રમૂજ ફેલાઈ ગઈ!
છપ્પનની છાતીની પ્રચારયાત્રા સાથે હજી હમણાં જ પાકિસ્તાનની સીમામાં ઘૂસી જઈ આતંકવાદી થાણાં પર બોંબ ફેંકવાની બડાશો, દેશ-દુનિયાના મીડિયામાં મોટા અવાજે કરાઇ હતી. અને દેશ આખો ઉન્માદના માહોલમાં, વડાપ્રધાનનાં શૌર્યના માહોલમાં, તેમની કાબેલિયતના માહોલમાં ગળાડૂબ હતો તેવા જ સમયે, રાજધાની દિલ્હીમાંથી, સંરક્ષણ ખાતાની કચેરીમાંથી ફાઈલ ચોરાઈ જવાની વાત દેશના સર્વોચ્ચની ઈમેજને હાસ્યાસ્પદ રીતે ધૂળ ચાટતી કરી દે એવો સીન ઊભો થઈ ગયો.
અલબત્ત, ચાર દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટમાં 'ફાઈલ ચોરાઈ છે' એવું વિધાન કરનારા એટર્ની જનરલે ફેરવી તોળીને કહ્યું કે 'ફાઈલની ફોટોકોપી થઈ છે' અને તેને લઈ ઓફિશિયલ સિક્રેટ એક્ટનો ભંગ થયો છે, ગોપનીય ફાઈલ-ખાનગી દસ્તાવેજ છાપીને જાહેર કરી દેવા બદલ છાપાના માલિક, તંત્રી, પત્રકાર પર કાનૂની કેસ ચલાવવાનું સરકાર વિચારી રહી છે.
“ધ હિન્દુ” છાપાના ચેરમેન એન. રામે આ મુદ્દે વાત કરતાં કહ્યું કે 'મીડિયાકર્મીઓને ભયભીત અને ચૂપ રાખવા સરકાર ઓફિશિયલ સિક્રેટ એક્ટની વાત કરી રહી છે. અમને 1975ના કૉન્ગ્રેસ સરકારની ઈમરજન્સીના દિવસો યાદ આવે છે.'
આપણો દેશ આમ તો લોકશાહી વ્યવસ્થા ધરાવતો દેશ છે, પરંતુ સત્તાધારીઓ હમ્મેશાં છાપાં-મીડિયા અને અવાજ ઉઠાવનારા નાગરિકોને ચૂપ રાખવા, ડરાવી-ધમકાવીને તેમની સત્તા વિરોધી અભિવ્યક્તિને રોકવા આવા કાયદા કાનૂનોનો ઉપયોગ કરે જ છે, જેથી સરકારના ભ્રષ્ટ કે ગેરકાનૂની વ્યવહારો જનતામાં વ્યાપકપણે પ્રસરે નહીં.
આજે નેશનલ સિક્યોરિટી એક્ટ – એન.એસ.એ. કે ગઈકાલના મીસા એટલે કે આંતરિક સુરક્ષા ધારાનો ઉપયોગ કર્મશીલો-બૌદ્ધિકો-પત્રકારો ઉપર કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારો કરી જ રહી છે. એ પછી એન.ડી.એ. ની સરકાર હોય કે યુ.પી.એ.ની.
આ બધા તો દેશ આઝાદ થયો એ પછી ઘડાયેલા કાયદા, પરંતુ આ જે ઓફિશિયલ સિક્રેટ એક્ટ છે એ તો બ્રિટિશ રાજનો, દેશ જ્યારે ગુલામ હતો ત્યારે દેશની જનતા પર ભય, જુલમ લાદીને રાજ કરવા અંગ્રેજ સરકારે ઠેઠ 1889માં બનાવ્યો હતો.
એ સમયે નવાં નવાં પ્રીન્ટિગ મશીનો આવ્યાં અને સ્થાનિક ભાષાઓમાં પુસ્તકો – છાપાંઓ પ્રગટ થવા માંડ્યાં હતાં, તેવા સમયે સરકારની જુલમી કામગીરી, તેનાં ઠરાવો, અહેવાલો લોકો સુધી છપાઈને લોકો સુધી ના પહોંચે તે માટે આ ઓફિશિયલ સિક્રેટ એક્ટ ઘડવામાં આવેલો. એ પછી તેમાં સુધારા વધારા કરી 1904માં લોર્ડ કર્ઝન જ્યારે વાઈસરોય હતા ત્યારે જડબેસલાક બનાવાયો અને તેમાં પણ ઉમેરણ કરી 1923માં જે કાયદો બન્યો તે જ હજી અમલમાં છે …!
લોર્ડ કર્ઝનના સમયમાં મજબૂત બનેલો કાળો કાયદો આજે પણ સીત્તેર વર્ષની લોકશાહી ધરાવતા દેશમાં હજી ચાલુ રહ્યો છે, તેને દેશની કેવી કરુણતા ગણવી રહી ?
હજી ચાલતા આ 1923ના ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ જાસૂસી, સરકારી ગોપનીય માહિતી વહેંચવી-આપવી, ગેરકાનૂની રીતે સરકારી યુનિફોર્મનો દુરુપયોગ કરવો, પ્રતિબંધિત વિસ્તારોમાં મંજૂરી વિના જવું, સશસ્ત્રબળોમાં દખલગીરી યા હસ્તક્ષેપ જેવાં કામો પર આ કાયદો લાગુ પડે છે. વિશેષમાં ગોપનીય બાબતોમાં સ્થળો ઉપરાંત દસ્તાવેજો, તસવીરો, રેખાંકનો, નકશા, પ્લાન્સ, મોડલ્સ, સરકારી કોડવર્ડ અને પાસવર્ડનો પણ તેમાં સમાવેશ થાય છે.
આ કાયદાના ભંગ બદલ 14 વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઇ કરેલી છે.
આ જરીપુરાણો કાયદો અત્યારે એટલા માટે ફેરવિચારણા માંગી લે છે કે અત્યારે આપણે રાષ્ટ્રીય સુરક્ષા માટે નેશનલ સિક્યોરિટી એક્ટ બનાવેલો જ છે પછી આ અંગ્રેજરાજના કાયદાની શી જરૂર ?
વળી આ કાયદામાં ‘ગોપનીયતા’ – સિક્રેટ યાને કી સરકારની કઈ બાબતો ને ખાનગી ગણવી કે ન ગણવી તે અંગે લગીરે સ્પષ્ટતા નથી.
અંગ્રેજોની સરકાર અને તેનું સરકારીતંત્ર તો સ્થાનિક લોકોના શોષણ પર જ રચાયેલાં હતાં અને તેને લઈ સરકારનાં તમામ કામકાજ ખાનગી રહે તેમાં જ તેનું હિત અને શોષણચક્ર ચાલુ રાખવાની કરામત છૂપાયેલી હતી. અને દરેક ફાઈલ કે નિર્ણય ખાનગી ગણી દેવાથી નાના મોટા સૌ સરકારી અધિકારીઓ સામાન્ય જનતાથી વિશિષ્ટ છે, શક્તિશાળી છે એવી છાપ ગુલામ દેશમાં સતત બની રહેવામાં ઉપયોગી નીવડે.
પણ આજે હવે આઝાદ દેશમાં અને એ પણ આ એકવીસમી સદીમાં જ્યારે રાઈટ ટુ ઇન્ફર્મેશન-માહિતી જાણવાનો હક્ક દેશના તમામ નાગરિકોને મળી ચૂક્યો છે, ત્યારે કોને, કઈ માહિતી-દસ્તાવેજ – ફાઈલને સિક્રેટ – ખાનગી – ગોપનીય ગણવા તે મુંઝવતો સવાલ સૌ કોઈ માટે બની ચૂક્યો છે.
અને એ સંદર્ભે જ છેલ્લા દસકાનો આર.ટી.આઇ.નો અનુભવ એ જ રહ્યો છે કે સરકારી કચેરીઓ એ પછી કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની; જે કોઈ માહિતી અરજીકર્તાને ન આપવી હોય ત્યારે તે બાબત 'ખાનગી' છે, ગોપનીય છે એમ કહીને આર.ટી.આઇ.ના જવાબ આપવાનું ટાળવાનું મુખ્ય હથિયાર બની ચૂક્યું છે.
અને આજે જ્યારે મોબાઇલ ફોનમાં કેમેરો હોય છે, ખિસ્સામાં મૂકવાની પેન કે શર્ટના બટનમાં આવી જાય એવા કેમેરાની સગવડ છે ત્યારે, અરે ! જે દુશ્મન દેશને ફોટો કે વીડિયો દ્વારા સ્થળ-જગાની માહિતી મોકલવાનો ગુનો આ ઓફિશિયલ સિક્રેટ એક્ટમાં ગણાય છે એ તો હવે સેટેલાઈટ દ્વારા દુનિયાના કોઈ પણ સ્થળનો ફોટો દૂરથી જ લેવાનું તમામ દેશો માટે શક્ય બની ચૂક્યું છે. અને એટલે જ આપણે જ્યારે આકાશવાણી જેવી ઘણી સરકારી કચેરીઓની બહાર 'ફોટોગ્રાફી મના હૈ' જેવાં પાટિયાં જોઈએ છીએ અને તેમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે ત્યારે આ આખી ય વાત હાસ્યાસ્પદ તો જરૂર લાગે જ છે !
પણ સરકાર ખુદ આવા કાળા કાયદાને લઈ જનતાને ડરાવવાની, દબાવવાની કેવી પ્રવૃત્તિઓ કરી રહી છે તેનું પણ ઉદાહરણ બની રહે છે.
વર્ષો પહેલાંની હું મારી પોતાની જ વાત દર્શાવું તો જ્યારે સરદાર સરોવર નર્મદા ડેમ બનવાની શરૂઆત થઈ હતી અને વિસ્થાપિત થનારાં આદિવાસીઓને લઈ લડત ચાલતી હતી, ત્યારે લગભગ 1985માં ફિલ્મકાર મિત્ર સંજીવ શાહ સાથે મળીને 'નર્મદા કાંડ' નામની ડોક્યુમેન્ટરી વીડિયો બનાવી રહ્યા હતા. આ ડોક્યુમેન્ટરીનું વીડિયો રેકોર્ડિંગ કેવડિયા ગામમાં કરવું મુશ્કેલ હતું કારણ કે તે આખા વિસ્તારને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરેલો હતો. નર્મદાડેમની કચેરીનાં બિલ્ડીંગોથી માંડી બની રહેલા ડેમ નિર્માણ કામોની વીડિયોગ્રાફી છૂપાઈને કરવી બહુ કપરું ને જોખમી કામ હતું. રાજપીપળાના કર્મશીલ ફાધર જોસેફ આ કામ માટે અમારી મદદે આવ્યા. અને રોજ જુદા જુદા પડદાવાળા વાહન-જીપની વ્યવસ્થા અમને કરી આપતાં ! જે કામ સૌકોઈની આંખે દેખાતું હોય એની જાહેરમાં વીડિયોગ્રાફી ન કરી શકાય અને એવાં કામો જે દૂરદર્શનના પડદે તે સમયે રોજ જોવાં મળતાં હતાં ! કેવી રમૂજી પણ ભયગ્રસ્ત વાત !
પણ 1988માં આ ઓફિશિયલ સિક્રેટ એક્ટને કારણે, પ્રતિબંધિત વિસ્તાર હોવાને કારણે કેવડિયામાં કાયમ 144મી કલમ રહેતી અને ભેગા થઈ, સંગઠિત થઈ વિરોધનો કાર્યક્રમ આપી શકાતો ન હતો. અને એટલે આ ઓફિશિયલ સિક્રેટ એક્ટનો સવિનય કાનૂન ભંગ કરી તેને કોર્ટમાં પડકારવાનું નક્કી કરી અમે લોક અધિકાર સંઘના પ્રમુખ અને પ્રખર ધારાશાસ્ત્રી ગિરીશભાઈ પટેલની આગેવાની હેઠળ કેવડિયા કોલોનીના જુદા જુદા ખૂણે છૂપાઈ જઈ અને છેવટે એકસાથે સૂત્રોચ્ચાર કરતાં ભેગા થઈ આ કાયદાના ભંગનો કાર્યક્રમ અમે આપેલો. રાજપીપળા પોલીસ સ્ટેશને અમને પૂર્યાં, છેવટે જામીન પર છૂટ્યા અને હાઈકોર્ટમાં લાંબો કેસ ચાલ્યો અને અંતે કેવડિયામાં આ બ્રિટિશરાજના કાયદાનો ખોટો ઉપયોગ થાય છે તેવું પુરવાર થયું હતું.
અત્યારે આ જ ગોપનીયતાના કાયદા નીચે રાફેલ વિમાનના ભ્રષ્ટાચાર વિષયક ચાલતા કેસમાં ભ્રષ્ટાચારની પોલ ખોલતાં દસ્તાવેજો છાપાંમાં પ્રગટ કરનારા તંત્રી-પત્રકારોને ચૂપ કરવાનો ખેલ ઘડાઈ રહ્યો છે તે દુ:ખદ અને અશોભનીય છે.
આ જ રીતે પણ નાના પાયે મુંબઈના “મીડ ડે” છાપાના પત્રકાર પર 2011માં આ ઓફિશિયલ સિક્રેટ એક્ટને લઈ ખટલો ચાલેલો. તારકચંદ દ્વિવેદી નામના પત્રકારે એક લેખ લખ્યો કે 'મુંબઈમાં જે આતંકવાદી હુમલા થયા તે બાદ છત્રપતિ શિવાજી ટર્મિનસ પર ભારે ખર્ચથી ખરીદવામાં આવેલું એક અદ્યતન શસ્ત્ર જે રૂમમાં મૂકવામાં આવ્યું છે તે રૂમમાં વરસાદી પાણી પડી રહ્યું છે, તે રૂમની છત કાણી છે.'
આવું લખાણ લખવા બદલ તે પત્રકાર પર સરકારે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ ઠોકી દીધો કે પત્રકારે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશી ગુનો કર્યો છે !
જો કે છેવટે હાઈકોર્ટે આ પત્રકારને નિર્દોષ મુક્ત કર્યા. જો કે એકવાર તો સરકારે પોતાનો પાવર દેખાડી જ દીધો !
માહિતીનો અધિકાર અમલમાં આવ્યો છે તે સંદર્ભમાં આ ઓફિશિયલ સિક્રેટ એક્ટ અંગે ફેરવિચારણા કરવા 2015માં સરકારે સુધારણા સમિતિની રચના કરી હતી અને તે સમિતિએ બે વર્ષ ચર્ચા વિચારણા કરી 2017માં પોતાનો અહેવાલ આપ્યો કે બધું બરાબર છે. કોઈ સુધારા કે નાબૂદી કરવાની જરૂર નથી.
વિશેષમાં ખાસ તો મહત્ત્વની વાત એ છે કે રફાલ ફાઈલને લઈ આ ઓફિશિયલ સિક્રેટ એક્ટ અન્વયે સરકારે “ધ હિન્દુ” છાપાના તંત્રી પર કાર્યવાહી કરવાની વાત સરકારે કરી તો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ કાળો કાયદો નાબૂદ થાય એવું તો ના જ કહ્યું તેનો ઉપયોગ પત્રકારો સામે ના થવો જોઈએ એવી જ માત્ર ટીકા ટીપ્પણ કરી !
સત્તાખોરો તો સૌ સમાન !
કાગડા બધે કાળા એટલું જ નહીં, પણ સફેદ કે કાળા,,સૌ કાગડા છે એટલી વાત તો પાક્કી રીતે માનવી જ રહી ..!
સૌજન્ય : “ગુજરાત ગાર્ડિયન”, 13 માર્ચ 2019
https://www.facebook.com/groups/apnaaddagujarati/permalink/2432766996787060/