પરમ આદરણીય સરકાર માઈબાપ,
એક ભિખારીના પાયલાગણ.
તમે તો સરકાર છો એટલે સુખી જ હો, એમ જ હું ભિખારી છું એટલે દુ:ખી જ હોઉં, તે છું. આ અરજી કરવાનું કારણ એ કે પહેલી ફેબ્રુઆરીએ માતાજીએ બજેટ રજૂ કર્યું તે મંદિરના ટી.વી. પર જોયું ને એ જાણીને અહીં થોડી મન કી બાત કરવાનું થયું છે. આમ તો હું સી.એ. નથી કે અર્થશાસ્ત્રી પણ નથી એટલે બહુ સમજ ના પડે, પણ અર્થશાસ્ત્રી જ બજેટ રજૂ કરે એવું જરૂરી નથી ને આમ પણ અર્થશાસ્ત્રી તો અભિપ્રાય આપવા જ હોય છે એટલે બે વખાણે ને બે વખોડે એમ બનવાનું. બજેટ રજૂ જ એટલે થાય છે કે ચેનલો પર ડિબેટ થઈ શકે. બીજું, સરકારે તો બજેટ વખાણવું જ પડે, કારણ એને કોઈ ટેક્સ લાગતો નથી. એને તો બધું જ મફત છે એટલે ટેક્સ કોને કહેવાય એવું ય ઘણા નહીં જાણતા હોય એમ બને. વખાણનારો બીજો વર્ગ તે ભક્તોનો. આમ તો સ્ત્રી કે પુરુષ એવી જુદી જાતિને બદલે બે જ જાતિ બચી છે. એક ભક્તોની ને બીજી વિરોધીઓની. ભક્તોને ખરાબ ને વિરોધીઓને સારું દેખાતું નથી. એ સિવાય જે રહ્યા તે મધ્યમમાર્ગી ! એ તાબોટા ફોડે તો પણ તેને કોઈ કાને ધરે એમ નથી.
કોઈને બજેટ બોલ્ડ લાગે છે તો કોઈને કોલ્ડ, પણ અપુન કો તો, બાપુ, એકદમ ગોલ્ડ કે માફિક લગા હૈ. તે એટલે કે હીરામાણેક, મોબાઈલ એવું બધું સસ્તું થયું છે. શું છે કે સોનું તિજોરીમાં રાખવા લોકો લે, એ કોઈ રોજ રોજ તો લે નહીં, એટલે એ સસ્તું કરો તો કૈં કરની આવક નિયમિત ના થાય. મોબાઈલ સસ્તા કર્યા એ સારું થયું. કોરોનાનું શું છે કે એ હવે ક્યારે જાય એ નક્કી નથી. એવામાં સરકારે ડિજિટલ યુનિવર્સિટી ને ચેનલો ચાલુ કરવાનું વિચાર્યું એ ઠીક થયું. ઓફલાઇન એજ્યુકેશનમાં હવે પહેલાં જેવી મજા રહી નથી. એમાં શું છે કે ભણાવવું પડે છે ને શિક્ષકોને ઇતર પ્રવૃત્તિનું જ ભારણ એટલું રહે છે કે સરકાર એનો પગાર તો આપે જ છે, પાછો ભણાવવાનો પણ આપે? યે તો બહુત નાઈન્સાફી હૈ. વિદ્યાર્થીઓ પણ ત્રણ વર્ષે હવે ક્લાસમાં ભણે એ શક્ય રહ્યું નથી. એ તો મોબાઇલમાં જ ભણશે. મોબાઈલનું સુખ એ છે કે એ ભણતર ઉપરાંત ગેમ્સ અને અંગત વીડિયો વાયરલ કરવાનું નોલેજ પણ આપે છે જે ઘણી વાર મલ્ટિ મીડિયા સુધી પહોંચે છે. આવી વસ્તુઓ સસ્તી થાય તે સારું જ છે. એ ક્યાં રોજ રોજ ખરીદવાની છે કે સરકાર રોજ કમાય? જ્યારે તેલ તો લોકો રોજ ખાવાના, એ મોંઘું કરો તો રોજ કૈંને કૈં મળતર તો સરકારને રહે ! આમે ય સીઝન રોજ બદલાય ને છાશવારે છત્રી ઉઘાડબંધ કરવી પડે એટલે એ પણ ચોરાવાની તકો વધારે. એનો ઉપાડ વધી ગયો હોય ત્યાં એ મોંઘી કરો તો એ પણ વધારાની આવક ખરી જ ને ! સરકારજી, આ તમે સારું કર્યું. રોજના વપરાશની વસ્તુઓ મોંઘી કરો તો રોજની આવક થાય ને! હીરા લેવા રોજ કોણ જાય? પણ, એ તમે સસ્તા કરો કે 5G ચાલુ કરો કે એરપોર્ટ કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારો તો ઉદ્યોગપતિઓનો ને એમના દ્વારા દેશનો વહીવટ ચાલી શકે એવું ખરુંને. ગો અ હેડ !
હું આર્ટસનો ગ્રેજ્યુએટ છું. શિક્ષક થવું હતું, પણ લોકડાઉન ને કોરોના મહામારીએ નોકરીની તકો ઓછી કરી નાખી. શું છે કે માબાપ તો ગરીબ જ હોવાના ને એમને ય જોવાના, એટલે ચાની લારી કાઢી, પણ ન ચાલી. લોકડાઉનમાં લોક એટલું ડાઉન થઈ ગયેલું કે લોક એન્ડ કીમાં જ રહેતું હતું, ત્યાં લારીએ ચા પીવા કોણ આવે? એટલે ચા વેચીને વિકાસ કરવાનું મારા નસીબમાં ન હતું. એવા નસીબદાર તો કોઈક જ હોય ! ભીખ માંગવાનો વિચાર આવ્યો, પણ રસ્તે નીકળવાની જ બંધી હોય ત્યાં ભીખ પણ કોણ આપે? એ તો ભલું થજો ભગવાનનું કે મંદિરો ખૂલ્યાં ને એનું એક પગથિયું મેં પચાવી પાડ્યું તો ભીખ મળવાની ચાલુ થઈ. બાકી હતું તે સરકારે અનાજ મફત આપવા માંડ્યું ને ખાતામાં પૈસા જમા થવા માંડ્યા. કોઈ વાર મારા ખાતામાં પણ થોડા ટુકડા પડ્યા તો રાહત થઈ. એમ કરતાં એક દિવસ હિસાબ માંડ્યો તો સાલી આવક ટેકસેબલ થઈ ગઈ. હું ભિખારી એટલે પ્રામાણિક ને પ્રામાણિક હોવાને લીધે જ ભિખારી એટલે રિટર્ન ફાઇલ કરું છું. સરકાર માઈબાપ ભિખારીઓ પણ ટેક્સ ભરે એટલે બજેટમાં આઠ વર્ષથી ઇન્કમટેક્સનો સ્લેબ બદલતી નથી. શું છે કે આઠ વરસથી મોંઘવારી વધી નથી. પેટ્રોલ મફતને ભાવે વેચાય છે ને ગરીબો તો આમ પણ ટાંટિયા ઘસડતા જાય છે, એમનું તેલ નીકળતું હોય તો પણ કૈં એમણે તેલ પુરાવવું પડતું નથી એટલે ખર્ચ જ કેટલો ! વારુ, એમના ખાતામાં પૈસા ને પેટમાં દાળચોખા તો સરકાર ઓરે છે એટલે એ તો રાજી રહેવાના. રહ્યો મધ્યમવર્ગ, એ તો મૂંગો મરી રહે છે. એને મોંઘવારી લાગતી હોય તો અવાજ કરે ને ! બાકી રહ્યા અમીરો, તો એને તો હજાર રૂપિયે તેલ થાય તો ય હોજરી ભરાવાની જ છે. તો, મોંઘવારી લાગી કોને? ઓન ધ કોન્ટ્રેરી, પગાર વધે છે નોકરિયાતોના, તો ટેક્સ ભરે એમાં ખોટું શું છે? ને ટેક્સ ભરવો જ ન હોય તો સાંસદ કે મંત્રી બને, કોણ રોકે છે? એટલે મધ્યમવર્ગને બજેટમાં કૈં મળ્યું નહીં એવી જે રડારોળ શરૂ થઈ છે એ વિપક્ષ કરાવે છે. આમ પણ મધ્યમવર્ગ ને ભિખારીઓમાં એક જ ફરક રહી ગયો છે તે એ કે ભિખારી માંગે છે ને મધ્યમવર્ગ માંગતો નથી. એ એટલો લાચાર છે કે આવકવેરાનો સ્લેબ વધારવાનું પણ બોલી શકતો નથી. એ પછી આપઘાત જ કરે કે બીજું કૈં? જે આપઘાત કરે તેને મધ્યમવર્ગ કહેવાય.
સરકાર માઈબાપ, 39.45 લાખ કરોડનો ખર્ચ આ વર્ષે કરવાની છે. એની સામે આવક 22.84 લાખ કરોડ જ છે. મતલબ કે આવક ઓછી ને જાવક વધારે છે. એમાં ખર્ચ ઘટાડી શકાય, પણ સરકાર ખર્ચ ઘટાડે તો ગરીબ થઈ જાય ને કોઈ સરકાર ગરીબ કેવી રીતે હોય? એ તો ચાર્વાકના સૂત્રને જ અનુસરે ને ! દેવું કરીને ઘી પીઓ. સરકાર થઈને ‘નલસે જલ’થી લોકોનું ને ગંગા કિનારાના ખેડૂતોનું ભલું ન કરે તો હોવાનો અર્થ શો? એને માટે દેવું કરવું પડે તો ભલે, પણ જનતાને રાજી રાખવા સરકાર બધું જ કરી છૂટે એમ છે. આ વખતે પણ 25 હજાર કિલોમીટરના હાઇવે બનાવવાની વાત બજેટમાં થઈ છે. આ બધું દર વર્ષે થાય છે, પણ માઈબાપ, ચેક કરતા રહેજો, આવતે વર્ષે તમે હાઇવેની જાહેરાત કરો ને તે ઇન્ડિયાની બહાર નીકળી ન જાય તે જોજો ! નહીં તો પાછા આવવાનું અઘરું પડશે. મને તો 400 જેટલી નવી વંદે (વન ડે?) ભારત શરૂ થવાની વાત જાણીને ખૂબ નવાઈ લાગી. પેલું બુલેટ ટ્રેનવાળું ઠેકાણે પડ્યું કે આ એને બદલે છે? ખરેખર જે રીતે ટ્રેનો બનવા લાગી છે એ જોતાં તો ગલીએ ગલીએ ટ્રેનના કારખાના ખૂલી જાય તો નવાઈ નહીં ! આમ પણ 3 વર્ષે 400 ટ્રેનનો અંદાજ મૂકીએ તો વર્ષની 133 ટ્રેન (ડબ્બા જ નહીં, આખી ટ્રેન) બનાવવાની થાય. એ હિસાબે મહિનાની 11 ટ્રેન બનાવવી પડે. એમાં ગયાં ત્રણ વર્ષોમાં 2 ટ્રેન બનેલી એવું કહેવાય છે, હવે આ જો લોકલ ટ્રેન ન હોય તો ‘બનાવવાની’ ઝડપ વધારવી પડશે. જો કે, ભારત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે તે જોતાં આવતે વર્ષે ભારત 400 પ્લેન બનાવવાની જાહેરાત કરે તો પણ આશ્ચર્ય નહીં થાય.
જો કે, હું ઝૂંપડીમાં રહું છું, એની ય પાઘડી બોલાય છે, પણ આ વખતે પણ એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ અંતર્ગત બજેટમાં 48 હજાર કરોડ ફાળવાયા છે. સરકારનો હેતુ 80 લાખ નવાં ને સસ્તાં મકાનો જનતાને પૂરા પાડવાનો છે. સરસ. દર વર્ષે લાખો મકાનો બનતાં જ જાય છે, પણ મારાં માઈબાપ, જરા જોઈ લો કે બધાંને મકાનો મળી ગયાં હોય ને ખાલી પડ્યાં ન રહે ! શું છે કે હજારો હજારો કિ.મી.ના હાઇવે, લાખો લાખો સસ્તાં ને નવાં મકાનો .. આ બધાંમાં એવું ન થાય કે ખેતી લાયક જમીન જ ન રહે. પછી ખેડૂતોએ ખેતી માટે જમીન મેળવવા આંદોલન કરવું પડે એવું ન થાય તે જોજો ને પ્લીઝ, હવે નવી નોકરીઓ ઊભી કરવાનું માંડી જ વાળો ! એ તમારી ભલમનસાઈ છે કે આ વખતે પણ મેઇક ઇન ઈન્ડિયા હેઠળ નવી સાંઠ લાખ નોકરી ઊભી કરવાના છો. દર વર્ષે તમે લાખો નોકરીઓ ઊભી કરતાં જ જાવ છો ને બેરોજગારી ઘટાડતા જ જાવ છો, એ જોતાં લાગે છે કે દેશમાં કોઈ નોકરી વગરનું રહ્યું જ નથી. તમે આવ્યા ત્યારથી દર વર્ષે નવી બે કરોડ રોજગારી ઊભી કરવાનો દાવો કર્યો છે, એ હિસાબે તો 15 કરોડ રોજગારી ઊભી થઈ જ ચૂકી હોય, તો બેકાર રહે જ કોણ? સો યુ ડોન્ટ વેરી, સોરી, વરી !
આ બજેટમાં ક્રિપ્ટો કરન્સીને સરકારે કાયદેસર ગણવાની વાત નકારી છે, પણ તેમાં થતાં નફાને કાયદેસર ગણ્યો છે. ખોટમાં ભાગ નહિ, પણ નફામાં સરકાર 30 ટકા ટેક્સ કાપી લેશે. સારું છે ને ! જે દેવું ઘટ્યું તે ખરું. બજેટને આધારે સરકાર માઈબાપે 25 વર્ષનાં વિઝનની વાત કરી છે. એમાં રીઝન હોય કે ના હોય, પણ વિઝન છે. ખરેખર તો સરકારે 135 કરોડ ચશ્માં પોતાનાં વિઝનનાં બનાવીને દેશની જનતાને પહેરાવી દેવાં જોઈએ જેથી આ જે ફાલતુ વિરોધ થયા કરે છે એ ન થાય ને નવું સૂત્ર સાકાર થાય – વન નેશન, વન વિઝન !
તમારો વધારે સમય લીધો હોય તો માફ કરશો. આમ જ પ્રગતિ કરીને સૌનો રકાસ, સોરી, વિકાસ કરતાં રહેશો.
આપના દેશ’વાસી’, શિક્ષિત ભિખારીનાં ‘વંદે ભારત’ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 ફેબ્રુઆરી 2022