રવિવાર, ૧૭ એપ્રિલ ૨૦૨૨ની સવારે યોજાયેલ વર્ષા અડાલજાની આત્મકથા ‘પગલું માંડું હું અવકાશમાં’ના પ્રકાશન પર્વ વખતે રજૂ કરેલું પ્રાસ્તાવિક વક્તવ્ય
આજથી ૫૩ વરસ પહેલાંના મુંબઈની એક સાંજ. જૂન મહિનાનું બીજું અઠવાડિયું પૂરું થવા આવ્યું છે. વાદળાં ઘેરાયાં છે પણ વરસાદનું નામનિશાન નથી. વાતાવરણમાં અકળામણ, ઉકળાટ. એવી એક સાંજે પતિ ઓફિસેથી ઘરે આવે છે. પત્નીના મોં સામે જોતાં જ પામી જાય છે કે વધુ અકળામણ અને ઉકળાટ તો બહાર કરતાં અહીં વધારે છે.
કેમ, શું ચાલે છે?
આ ભંગાર ચોપડી વાંચું છું, ટાઈમ પાસ કરવા, બીજું શું?
એના કરતાં તું જ એક સારી ચોપડી લખ ને!
હું? મને લખતાં ક્યાં આવડે છે?
પ્રખ્યાત લેખકની દીકરીને લખતાં ન આવડે એવું બને? લખી તો જો.
અને બીજે દિવસે સાંજે પતિ મોંઘી દાટ પાર્કર પેન અને કોરા કાગળની થપ્પી હાથમાં મૂકે છે.
પહેલાં દસેક પાનાં લખવાનું અઘરું લાગ્યું, પણ પછી તો ધીમે ધીમે પાત્રો ઉમેરાતાં ગયાં, કથા આગળ વધવા લાગી. થોડા દિવસ પછી એ નવલકથાની હસ્તપ્રત લઈને લેખિકા એક પ્રકાશક પાસે ગયાં. હસ્તપ્રત આપી કહ્યું : એક નવલકથા લખી છે. પ્રકાશકે છાપી. ‘પાંચ ને એક પાંચ’ ૧૯૬૯માં પ્રગટ થઈ. જો કે બીજી લખાયેલી ‘શ્રાવણ તારાં સરવડાં’ તેની પહેલાં પ્રગટ થયેલી. અને પછી તો અંગ્રેજીમાં કહે છે એમ, The rest is history, sorry, the rest is HER story.
સમય અને સમાજના વિશાળ પટને આવરી લેતી ‘ક્રોસરોડ’ નવલકથા ૨૦૧૬માં પ્રગટ થઈ. વચમાંનાં ૪૮ વરસમાં બીજાં ૫૦ કરતાં વધારે પુસ્તકો પ્રગટ થયાં. અને હવે આવે છે ‘પગલું માંડુ હું અવકાશમાં.’ અત્યાર સુધીમાં સર્જનાત્મક ગદ્યના બધા પ્રકારો – નવલકથા, વાર્તા, રંગભૂમિ, રેડિયો, અને ટી.વી. માટેનાં નાટક અને એકાંકી, નિબંધ, પ્રવાસ વર્ણન – આ બધાંનાં અઢળક પુસ્તકો વર્ષાબહેને આપણને આપ્યાં. ખોટ હતી તો એક આત્મકથાની. હવે તેમણે એ ખોટ પૂરી કરી છે.
પહેલ કરવાનું તો વર્ષાબહેનને ગળથૂથીમાંથી મળ્યું છે. મરાઠી, બંગાળી, હિન્દી જેવી ભાષાઓની સરખામણીમાં ગુજરાતીમાં બહુ ઓછી સ્ત્રીઓએ આત્મકથા લખી છે. અને આજ પહેલાં આપણી કોઈ મોટા ગજાની લેખિકાએ તો આત્મકથા લખી નથી જ. બીજી પહેલ એ કે છાપેલા પુસ્તક રૂપે પ્રગટ થાય તે પહેલાં વર્ષાબહેનનું આ ‘પગલું’ ‘આપણું આંગણું’ બ્લોગની ડિજિટલ ભૂમિ પર પડ્યું અને ભારત ઉપરાંત અનેક દેશોમાં છવાઈ ગયું. ત્રીજી પહેલ, આપણી ભાષાની આત્મકથાઓમાં ચિત્રો, ફોટા, ભાગ્યે જ હોય છે. જ્યારે વર્ષાબહેનની આત્મકથા સચિત્ર છે. માત્ર પોતાના ફોટા નહિ, બીજી વ્યક્તિઓ, સંસ્થાઓ, સ્થાનો, પ્રસંગો વગેરેના ફોટાને કારણે વાચક લખાયેલા શબ્દ સાથે વધુ સહેલાઈથી સંકળાઈ શકે છે અને એક વીતેલો કાળખંડ તેની નજર સામે ઊભો થાય છે.
વર્ષાબહેનની આત્મકથા ગાંધીજીની આત્મકથાની વારસદાર છે? ના. એ વારસો લેવાનું કોઈ માટે શક્ય નથી. કાકાસાહેબ કાલેલકરની ‘સ્મરણયાત્રા’ના કુળની છે? ના, અહીં એવું કાવ્યાત્મક ગદ્ય નથી. ‘પગલું માંડું હું અવકાશમાં’ને નજીકનું સગપણ હોય તો તે છે કનૈયાલાલ મુનશીની આત્મકથા સાથે. મુનશીની આત્મકથાની જેમ જ વર્ષાબહેનની આત્મકથા પણ પાત્રો, પ્રસંગો, ભાવો, અનુભવોથી ભરપૂર છે. આ એક નખશિખ story tellerની આત્મકથા છે. અહીં ‘કથાકારની આત્મકથા’ એમ જાણી જોઈને નથી બોલ્યો. કારણ અત્યારે ગુજરાતીમાં સ્થિતિ એવી છે કે ‘કથાકાર’ શબ્દ સાંભળતાં વેંત ઘણાને ‘તલગાજરડા’ સાંભરી આવે છે.
છેલ્લે થોડી અંગત વાત. ગયું વરસ અમારી મૈત્રીની ષષ્ટિપૂર્તિનું હતું. વર્ષાબહેન સાથેનો પહેલો પરિચય ૧૯૬૧ના જૂનમાં અમે બંને જૂદી જૂદી કોલેજનાં વિદ્યાર્થી હતાં ત્યારે થયેલો. વિલ્સન કોલેજની બહારના એચ રૂટના બસ-સ્ટોપ પર પહેલી વાર પરિચય થયેલો, બલકે અમારા બંનેના common friend રાજેન્દ્ર નાણાવટીએ કરાવેલો. વખત જતાં રાજેન્દ્ર સંસ્કૃતનો મોટો સ્કોલર બન્યો. વર્ષાબહેન મોટાં લેખિકા. પરિચય ક્યારે મૈત્રીમાં પરિણમ્યો એની તો ખબરે ન પડી. ફરકણો ફોન હાથવગો થયો તે પહેલાં ઘરમાં ડાઈનિંગ ટેબલથી થોડે દૂર ટેલિફોનનું કાળું ડબલું રહેતું. ફોન ઉપાડ્યા પછી ખુરસી ખેંચીને બેસું એટલે વંદના અચૂક પૂછે : ‘કોનો, વર્ષાબહેનનો ફોન છે ને?’ હવે મળવાનું ભલે ઓછું થાય, અવારનવાર વર્ષાબહેન સાથે ફોન પર અડધો-પોણો કલાક ગપ્પાં મારવાનું તો ચાલુ જ. આજ સુધી તેમની સાથેનો મૈત્રીસંબંધ લીલોછમ્મ રહ્યો છે. અલબત્ત, આવો અનુભવ તેમના બીજા અસંખ્ય મિત્રો અને ચાહકોનો પણ છે.
આજનો આ કાર્યક્રમ એ પુસ્તકના ‘વિમોચન’નો નથી, ‘લોકાર્પણ’નો નથી. પણ પ્રકાશન પર્વનો છે. ‘વિમોચન’ શબ્દ સાંભળતાં મને તો જાણે ગાયને કસાઈવાડેથી છોડાવવાની હોય એવું લાગે છે. ‘લોકાર્પણ’માં તો નકરો દંભ છે. એ વખતે લોકોને પુસ્તકની નકલો મફતમાં થોડી મળે છે? આપણા શીખ ભાઈ-બહેનો ગુરુ ગોવિંદસિંહજીનો જન્મ દિવસ ‘પ્રકાશપર્વ’ તરીકે ઊજવે છે. તેમાંથી પ્રેરણા લઈને ‘પ્રકાશન પર્વ.’ અને પર્વ એટલે ઉજવણી. આજનો આ કાર્યક્રમ એ મુલાકાત કે પ્રશ્નોત્તરીનો નથી. પણ ‘ગોઠડી’નો છે. અને ગોઠડીમાં વર્ષાબહેન સાથે જોડાયાં છે ઇલાબહેન અને ખેવના. આજના આ પ્રસંગ માટે જ ખાસ ચિંતનભાઈ અમદાવાદથી આવ્યા છે. ચિંતનભાઈ એટલે છેલ્લાં પચાસેક વરસથી વર્ષાબહેનનાં પુસ્તકોના પ્રકાશક આર.આર. શેઠની કંપનીની આજ. અને હંમેશની જેમ અડખેપડખે ઊભા રહ્યા છે લલિતભાઈ. આ સૌનો અને આપ સૌનો આભારી છું.
e.mail : deepakbmehta@gmail.com