આપણા મંત્રીઓ આખા દેશની મંતરી રહ્યા છે ને પ્રજાને બેવકૂફ માનીને પોતાની મહાનતા સિદ્ધ કરી રહ્યા છે તે સારું નથી. દેશમાં એક સમયે ગુજરાત, મોડેલ રાજ્ય ગણાતું હતું ને તે હાલના વડા પ્રધાન અને તે વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની સૂઝબૂઝનું, આગવા વિઝનનું પરિણામ હતું તે હવે ઇનોવેશનને મામલે નવમા નંબર સુધી પાછળ ધકેલાયું છે, તેવું નીતિ આયોગનો બે દિવસ પહેલાંનો જ રિપોર્ટ કહે છે. ગુજરાત શિક્ષણને મામલે દયા આવે એ હદે પાછળ ગયું છે ને “મંતરી”મંડળ પ્રયોગો કરવામાથી જ ઊંચું નથી આવતું. અમદાવાદનું કર્ણાવતી તો ન થયું, પણ હાલના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ઘેરબેઠાં જ ચીનની પથારી ફેરવી નાખી છે. તેમણે તઘલખી ફરમાન બહાર પાડ્યું છે કે હવેથી ચીની ડ્રેગન ફ્રૂટ “કમલમ્” તરીકે ઓળખાશે. કેવો મોટો “વિજય?!” વારી જવાનું મન થાય. છે ને કમાલ ! નવરા બેઠા જે વાળી શકાય તે વળી રહ્યું છે એવું નહીં?
કાલથી ચીનનું ગુજરાતી ભાષાંતર “કમલમ્” થાય તો નવાઈ નહીં ! અરે, હવેથી નામચીન ચીનને જ “કમલમ્” તરીકે ઓળખાવાય તો શું આશ્ચર્ય ! એ તો ઠીક, પણ ડ્રેગનને “કમલમ્”નું સ્ટિકર મારવા જતાં “કમલમ્”ને ડ્રેગનનો સિક્કો ન લાગી જાય તે જોવાનું. આવી ગમ્મત કરીને આ સજજનો કમળને જ “ક” વિહોણું કરી રહ્યાં છે એવું નથી લાગતું? હા, ડ્રેગનનો ખાતમો બોલાવવાને બદલે “કમલમ્”નું સ્ટિકર મારવાથી હકીકત બદલાતી નથી એ સમજી લેવાનું રહે.
વેલ, રાષ્ટ્રીય સ્તરે બે વાતો ચાલ્યા કરે છે. એક તરફ કારણ વગર ઓઈલના ભાવો વધે છે ને બીજી તરફ કરોડો કરોડોના પેકેજોની જાહેરાતો થતી રહે છે. થોડે થોડે વખતે (તા)રાજનાથ સિંહ થરથરતો અવાજ કાઢ્યા કરે છે કે ચીન વાતો શાંતિની કરે છે, પણ તેનું વર્તન અશાંતિભર્યું છે. તસુ ભર જમીન પણ ચીનને લેવા નહીં દઈએ – જેવી ડંફાસ મંત્રીઓ મારતા રહે છે, પણ ડંફાસથી પરિણામ મળતાં નથી તે કહેવાની જરૂર નથી. વાતોનાં વડાં થાય તો પણ, “વાતોનાં વડા” પ્રધાન ન થાય તે નક્કી છે. ઈન શોર્ટ, ચીનને મામલે આંખ આડા કાન કરવાનું જોખમી છે.
એક વાત સ્પષ્ટ છે કે વિશ્વ આખામાં ચીન જેવું શઠ ને જૂઠ રાષ્ટ્ર બીજું કોઈ નથી. તેના પર માત્ર અવિશ્વાસ જ રાખી શકાય. કોરોનાને મામલે આખા વિશ્વને તેણે છેતર્યું છે. તેનો એક જ હેતુ હતો આર્થિક કટોકટી ઊભી કરીને વિશ્વને રઘવાયું કરવાનો ને મહાસત્તા તરીકે સ્થાપિત થવાનો. એમ કરવામાં તે કોઈ પણ હદે જઈ શકે ને તે ગયું જ ! અનીતિ જ ચીનની એક માત્ર નીતિ છે. તેણે આખા વિશ્વનો ભરોસો તોડ્યો છે ને તેની તેને જરા જેટલી પણ શરમ નથી. કોરોના વાયરસ ચીનની પેદાશ છે. તેણે પહેલાં રસી બનાવી ને પછી વાયરસ વહેતો મૂક્યો. આ રોગ સંપર્કથી ફેલાય છે એ વાત પણ તેણે વિશ્વથી સંતાડી. તે એટલે કે શરૂમાં વાયરસને જગત ગંભીરતાથી ન લે. ચીની ડોક્ટરો રોગની ભયંકરતાથી વાકેફ હતા, પણ તેમને એ હકીકત જાહેર ન કરવાનું દબાણ કરાયું. એ તો એક ગુપ્ત મીડિયાએ વુહાનના ડોકટરોનાં લીધેલાં નિવેદનોમાં બહાર આવ્યું કે ચીની ડોક્ટરોને કોરોનાની ભયાનકતા વિષે જૂઠું બોલવાની ફરજ પાડવામાં આવી હતી. પરિણામે વાયરસ આખા વિશ્વમાં ફેલાયો. આજે તો આખા વિશ્વમાં મરણનો આંક લાખોમાં છે. એમાં સૌથી ઓછો આંક ચીનનો છે. વિશ્વના ખૂણે ખૂણે ફેલાયેલો કોરોના ચીનને ખૂણે ખૂણે ફેલાયો નથી તે સૂચક છે.
બીજી તરફ નેપાળ કે પાકિસ્તાન જેવાં રમકડાં હાથમાં રાખીને ચીને ભારત સાથે વર્ષોથી મનમાની કરી છે. 1962માં મૈત્રી દ્રોહ કરીને તેણે ભારતને યુદ્ધમાં હરાવ્યું ને તે પછી ફરી એક વાર તેણે મૈત્રીનું નાટક કરી ભારતનું આતિથ્ય માણ્યું ને ખાધું તેનું જ ખોદ્યું. ભારતની સરહદમાં ઘૂસણખોરી કરવાનો તેનો રોગ કોરોના કરતાં પણ જૂનો છે. ભારતે કોઈ પણ સ્થિતિમાં ચીનને જરા પણ હળવાશથી લેવા જેવું નથી, 2020નાં છેલ્લા મહિનાઓમાં લાઇન ઓફ એક્ચ્યુયલ કંટ્રોલનો ભંગ કરીને ચીને ઘૂસણખોરી કરી યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું તો સામે ભારતે ચીની સૈનિકોનો ખાતમો બોલાવી વળતો જવાબ આપ્યો. આ ઘટના પછી એવી વાતો પણ આવી કે ચીને ઘૂસણખોરી કરી જ નથી, તો પ્રશ્ન થાય કે ઘૂસણખોરી થઈ નથી તો ચીની સૈનિકોને ભારતીય સૈનિકોએ મારી હટાવ્યા કઈ રીતે? જો ભારત સામેથી આક્રમણ કરતું નથી ને સૂત્રોના જણાવ્યા મુજબ ચીની સૈનિકો સરહદમાં ઘૂસી આવ્યા નથી તો સૈનિકોને ખદેડવાનું કયું કારણ હતું? એમાં પણ ન પડીએ, પણ આપણા સૈનિકો મરે છે તે જરા પણ ભૂલવા જેવું નથી. કમ સે કમ સરહદી મામલાઓમાં કોઈ પણ પ્રકારની રાજનીતિ કોઈ પણ સરકાર કે વિપક્ષો ન કરે તેવી અપેક્ષા રહે. ગોપનીયતા જો રાજનીતિનો ભાગ હોય તો પણ પ્રજા ગૂંચવાયેલી ન રહે ને સરકારમાંનો તેનો વિશ્વાસ ન ઘટે એટલું તો ધ્યાને લેવાનું રહે જ છે.
એક તરફ ચીનને પાઠ ભણાવવા ચીની એપ સરકાર બંધ કરે છે ને બીજી તરફ ચીન ઉત્તર પ્રદેશનો રેલવે પ્રોજેકટ, શાંઘાઈ ટનલ એન્જિનિયરિંગ કંપનીને આપે છે. આ ખોટું છે. એમાં બચાવ એવો આવ્યો કે એ કંપનીનું ટેન્ડર સૌથી ઓછા ભાવનું હતું. એ જાણીતી વાત છે કે ચીન સસ્તું પડે છે ને ઓછું ટકે છે, પણ ખબર હોય કે ટેન્ડર ચીની કંપનીનું છે તો એને યાદીમાં સામેલ કરાય જ નહીં ને !
courtesy : Subhani Shaik, "The Deccan Chronicle", 21 january 2021
આખો દેશ જાણે છે કે અરુણાચલ પ્રદેશ જોડે ચીને સૌથી વધુ છેડછાડ કરી છે ને સરકારોએ તેને હળવાશથી લીધી છે. આટલું ઓછું હોય તેમ 19 જાન્યુઆરીએ આઘાતજનક સમાચાર એ આવ્યા કે ચીને અરુણાચલમાં આખું ગામ વસાવી દીધું છે. સેટેલાઈટ તસવીરોમાં એ જોવા મળ્યું કે 2 ઓગસ્ટ, 2019માં ગામ ન હતું ને 1 નવેમ્બર, 2020ની તસ્વીરોમાં ગામનું નિર્માણ થઈ ચૂક્યું હતું. લગભગ 15 મહિનાના ગાળામાં ભારતમાં ચીનનું 101 ઘરોનું ગામ બની જાય ને તંત્રોને ખબર જ ન પડે એ કેવું? આ તસ્વીરો ભારતને નહીં, પણ અમેરિકી કંપની પ્લેનેટ લેબ્સને મળે છે. સેટેલાઈટ તો ભારતને ય છે, પણ ખબર અમેરિકાને પડે છે. સંઘર્ષ ભારત અને ચીન વચ્ચેનો છે, પણ ચીન, ભારતમાં ગામ વસાવે તો એની ખબર ભારતને અમેરિકી કંપની દ્વારા પડે છે. એના પરથી જ ખ્યાલ આવવો જોઈએ કે ભારતીય તંત્રો કેટલા સજાગ છે?
સરકાર છાશવારે બોલતી રહે છે કે ચીનને તસુ જમીન લેવા નહીં દઈએ, વડા પ્રધાન અને સંરક્ષણ મંત્રી સરહદી વિસ્તારોમાં ભારતીય જવાનોને રૂબરૂ થાય છે, પણ અરુણાચલમાં ગામ વસી જાય છે એની ભનક પણ પડતી નથી. એનો વળી એવો પણ બચાવ ચાલુ થઈ ગયો છે કે આ ગામ ભારતમાં થયું નથી. હવે ચીન પેકિંગમાં ગામ બનાવતું હોય તો એની ખબર સેટેલાઈટથી અમેરિકી કંપની ભારતને શું કામ આપે? એ શંકાસ્પદ હોય તો જ એની ચર્ચા હોય ને ! જો એ ચીનની સરહદમાં જ હોય તો એ ચીન જાણે, પણ એ ભારતની સરહદમાં હોય તો ભારતે જરા પણ ગાફેલ રહેવા જેવું નથી. બીજી તરફ વિદેશ મંત્રાલય ને સરકાર એ જ જૂનો રાગ આલાપે છે કે ગામ સરહદની અંદર નથી ને તસવીરોમાં એવો દાવો કરાયો છે કે ગામ વાસ્તવિક સરહદથી સાડા ચાર કિલોમીટર અંદર છે. એ જે હોય તે, પણ ચીન અરુણાચલ પ્રદેશમાં ઘૂસી આવે છે એની નવાઈ નથી. એની પૂરી સંભાવના છે કે ગામ ભારતીય સરહદમાં બન્યું હોય અને સરકાર એવો બચાવ લેતી હોય કે ગામ અરુણાચલ પ્રદેશની બહાર છે. બચાવ ભલે થાય, પણ ગામ ખરેખર જ જો ભારતમાં બન્યું હોય તો, ભારતે પૂરી ગંભીરતાથી એને નામશેષ કરી પોતાનો વાસ્તવિક કબજો સિદ્ધ કરવો જોઈએ. એવું ન થાય કે ખોટા બચાવમાં બચવું મુશ્કેલ થઈ જાય.
ટૂંકમાં, ચીન બધી રીતે ધિકકારને પાત્ર છે ત્યારે સરકારોએ ડ્રેગન ફ્રૂટને કમળ કહેવાની બાલિશ રમતોમાં ન પડતાં કે ગામ વસી જાય ત્યારે ધાર્તરાષ્ટ્રી નજર ન રાખતાં, દેશને સુરક્ષિત રાખવાનો પ્રમાણિક, રિપીટ, પ્રમાણિક પ્રયત્ન કરવો જોઈએ. ભારતે એક મહાભારત તો જોયું જ છે, બીજું જોવાનું ન થાય તેવી પ્રાર્થના કરીએ …
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 જાન્યુઆરી 2021