જેસલ તોરલનાં ‘ગીત પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે…’માં … દિવાળીબહેન ભીલ મુખ્ય સિંગર અને અનુરાધા પૌડવાલ કોરસમાં
ગુરુવારે અવસાન પામેલાં આ મહાન લોકગાયિકાને પદ્મશ્રી ઉપરાંત બીજા ૧૦૦ કરતાં વધુ અવૉર્ડ મળ્યા હતા
૮૩ વર્ષની જૈફ વયે ગુરુવારે લોકગાયિકા દિવાળીબહેન ભીલનું જૂનાગઢમાં અવસાન થયું. પદ્મશ્રીનો ખિતાબ મેળવનારાં દિવાળીબહેન લાંબા સમયથી બીમાર હતાં. લગભગ વીસેક વર્ષથી તો તેમણે ગાયકીનું ક્ષેત્ર છોડીને નિવૃત્ત જીવન શરૂ કરી દીધું હતું. થોડા સમય પહેલાં રાજકોટ આવ્યાં ત્યારે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું, ‘સામાન્ય રીતે ફિલ્મી ગાયનો પર લોકસંગીતની અસર જોવા મળે, પણ હવે ઊલટું થઈ ગયું છે; લોકસંગીત પર ફિલ્મી ગાયનોની અસર દેખાય છે. આ જ કારણે મેં મોટા ભાગના લોકગાયકોના કાર્યક્રમો સાંભળવાના જ બંધ કરી દીધા છે. દેખવું શું અને દાઝવું શું? જોઈને જીવ બાળવો એના કરતાં આ લાઇનથી કપાઈ જવામાં માલ છે.’
દિવાળીબહેન ભીલે ક્યારે ય કલ્પના પણ નહોતી કરી કે તે લોકગાયક બનશે અને ગુજરાતી ફિલ્મોના સુવર્ણયુગ દરમ્યાન ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ડંકો વગાડશે. દિવાળીબહેન ભીલની મહેનત અને તેમની સક્સેસનો મોટામાં મોટો પુરાવો એ છે કે ’૭૦ના દશકમાં રિલીઝ થયેલી ‘જેસલ તોરલ’નું સતી તોરલનું બહુ જાણીતું લોકગીત ‘પાપ તારું પરકાશ જાડેજા…’નાં લીડ સિંગર તે હતાં, જ્યારે અનુરાધા પૌડવાલ એ ગીતનાં કોરસ સિંગર હતાં. દિવાળીબહેન ભીલ માટે જાણીતા લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીએ કહ્યું હતું, ‘ફૂલ બે પ્રકારનાં હોય. એક, એવું ફૂલ જેની બહુ માવજત કરીને છોડને ઉછેરવામાં આવે અને એ ઊગે અને બધાને એ ગમી જાય. બીજું, એવું ફૂલ કે જે વગડામાં કોઈ જાતની માવજત વિના, દરેક જાતની મોસમનો માર સહન કરીને ઊગે અને બધાનું દિલ જીતી લે. દિવાળીબહેન આ બીજાં પ્રકારનાં ફૂલ જેવાં હતાં. અથાગ મહેનત કરવામાં ક્યાં ય કસર ન છૂટે. મેં તેમની સાથે જ્યારે પણ કાર્યક્રમો કર્યા છે, ત્યારે જે કોઈ સૂચનો આપ્યાં હોય એ સૂચનોને તે પ્રેમપૂર્વક આવકારે અને પછી કાર્યક્રમમાં એનો અમલ પણ ખૂબી સાથે કરે. માના દેહાંત પછી જેમ બાળક લાચાર થઈ જાય, એમ દિવાળીબહેનના અવસાન પછી હવે લોકસાહિત્ય લાચાર થઈ ગયું છે, રાંક થઈ ગયું છે. હવે ગુજરાતી લોકકલાએ પોતાની રીતે અને પોતાની જાતે મોટા થવાનું છે.’
ત્રણ ધોરણ સુધી ભણેલાં દિવાળીબહેન ભીલની એક આગવી ઓળખ હતી. ચહેરાનો પાક્કો કાળો રંગ, માથા પર સાડી અને કપાળે મોટો લાલ રંગનો ચાંદલો. ૧૯૩૪ની બીજી જૂને જન્મેલાં દિવાળીબહેને પોતાનું આ રૂપ ક્યારે ય છોડ્યું નહીં અને ક્યારે ય દેખાદેખીમાં પડ્યાં નહીં. ૧૦ વર્ષની ઉંમરે પણ તે આ જ રીતે જૂનાગઢની ગરબીઓમાં ગરબા ગાવા જતાં અને નવરાત્રિ સિવાયના દિવસોમાં ઘરનું કામ કરતાં. તેમના પિતા પૂંજાભાઈ દરખાણિયા જૂનાગઢના નવાબી રાજમાં ગીરના ફૉરેસ્ટ ઑફિસર હતા એટલે દિવાળીબહેનને જંગલમાં ફરવા જવા મળતું. જંગલમાં ચારણ અને સાધુઓ પાસેથી તે લોકગીતો સાંભળતાં અને સાંભળેલાં એ લોકગીતો ગાવાની ઘરે આવીને પ્રૅક્ટિસ કરતાં.
માત્ર બે દિવસનાં લગ્ન
દિવાળીબહેનનાં લગ્ન રાજકોટ થયાં હતાં, પણ લગ્નના ૪૮ કલાક પછી દિવાળીબહેનના પપ્પા અને સસરાને મતભેદ થયા અને સસરાએ દિવાળીબહેનના પપ્પાને ઘરની બહાર નીકળી જવાનું કહ્યું. દિવાળીબહેનના પપ્પા ઘરની બહાર નીકળતા હતા, ત્યારે તેમની પાછળ દિવાળીબહેન પણ પહેરેલાં કપડે સાસરું છોડીને નીકળી ગયાં અને એ પછી તે ક્યારે ય સાસરે પાછાં ગયાં નહીં અને આખી જિંદગી ભાઈઓ સાથે રહ્યાં. બીજી વખત મૅરેજ માટે જ્યારે પણ તેમને સમજાવવામાં આવ્યાં ત્યારે તેમણે એક જ વાત કહી કે હવે પછીની આખી જિંદગી ભગવાનની રહેશે. દિવાળીબહેનનાં મૅરેજ જેમની સાથે થયાં હતાં તેમનું અવસાન થઈ ગયા પછી પણ દિવાળીબહેને માથા પર ચાંદલો કરવાનું ચાલુ રાખ્યું હતું.
દવાખાનામાં કામવાળી તરીકે પણ નોકરી કરી
દિવાળીબહેન ભણ્યાં ન હોવાથી ભાઈને આર્થિક રીતે મદદ કરી શકાય એ માટે નાની-મોટી નોકરી કરતાં હતાં તેમ જ ડૉક્ટરને ત્યાં દવાખાનામાં કામવાળી તરીકે પણ નોકરી કરી હતી. ભણ્યાં ન હોવા છતાં દિવાળીબહેન દવાખાનાનું તમામ કામ કરી જાણતાં હતાં.
દિવાળીબહેનના અવાજને આકાર આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો તે હેમુ ગઢવી હતા. રાજકોટમાં આકાશવાણી રેડિયો-સ્ટેશન શરૂ થયા પછી, હેમુ ગઢવી સારા લોકકલાકારને શોધતા હતા. આઠ મહિનાની શોધ પછી પણ તેમને કોઈ સારી મહિલા-કલાકાર ન મળી એટલે તેમણે મહિલા-કલાકાર વિના જ કેટલાક પ્રોગ્રામ શરૂ કરી દીધા, પણ એ પછી તેમને દિવાળીબહેનના અવાજ વિશે સાંભળવા મળ્યું એટલે તે જૂનાગઢ ગયા. નવરાત્રિના દિવસો ચાલતા હતા. રાતના સમયે હેમુ ગઢવી વણજારી ચોકની ગરબીમાં દિવાળીબહેનને સાંભળવા બેઠા. એક પછી એક ગરબા શરૂ થયા અને હેમુ ગઢવી આફરીન પોકારી ગયા. એ સમયે દિવાળીબહેનની ઉંમર માત્ર ૧૫ વર્ષની હતી. દિવાળીબહેન સાથે અનેક ફિલ્મોમાં ગીતો ગાનારા જાણીતા લોકગાયક પ્રફુલ્લ દવે કહે છે, ‘એ સમયે હેમુભાઈએ કહ્યું હતું દિવાળીબહેન લોકગાયકીની દિવાળી છે, તે જ્યાં સુધી સ્ટેજ પર રહેશે ત્યાં સુધી લોકગાયકીને કાળીચૌદસ જોવા મળવાની નથી. હું કહીશ કે આજે દિવાળી ગઈ, હવે નવી દિવાળીની રાહ જોવાનું શરૂ કરવાનું છે.’
ગુજરાતના વિશ્વવિખ્યાત ભજનિક પ્રાણલાલ વ્યાસે ગરબી મંડળમાં સાંભળ્યાં ત્યારે તેમને દિવાળીબહેનની ઉંમર નાની લાગી હતી, પણ જ્યારે તેમને ખબર પડી કે દિવાળીબહેન રાજકોટ રેડિયો-સ્ટેશનનાં આર્ટિસ્ટ પણ બની ચૂક્યાં છે ત્યારે તે દંગ રહી ગયા હતા. પ્રાણલાલ વ્યાસે તેમને પોતાની સાથે કાર્યક્રમોમાં લઈ જવાનું શરૂ કર્યું અને દિવાળીબહેનની ડિમાન્ડમાં ઉછાળો આવ્યો. પ્રાણલાલ વ્યાસે જે-તે સમયે દિવાળીબહેન ભીલ માટે કહ્યું હતું, ‘હું જ્યારે તેને સાંભળું ત્યારે મને ઈર્ષ્યા થાય કે ઈશ્વરે મારા ગળામાં આવી સરસ્વતીનો વાસ કેમ નથી આપ્યો? દિવાળીબહેનના કંઠની બુલંદી અને એ બુલંદીમાં રહેલી પ્રામાણિકતા ભલભલા પથ્થર હૃદયને પણ રડાવી શકવાને સમર્થ છે.’
’૭૦નો દશક ગુજરાતી ફિલ્મો માટે સુવર્ણ સમય સમાન હતો. એ સમય દરમ્યાન દિવાળીબહેન ભીલે ગુજરાતી ફિલ્મો માટે ગાવાનું શરૂ કર્યું. ‘મારે ટોડલે બેઠો મોર કાં બોલે’, ‘હું તો કાગળિયાં લખી-લખી થાકી કાનુડો મારા મનમાં નથી’, ‘આપણા મલકના માયાળુ માનવી’, ‘જોડે રે’જો રાજ’, ‘રામનાં બાણ વાગ્યાં, હરિનાં બાણ વાગ્યાં’ … જેવાં અનેક સુપરહિટ ગીતોથી દિવાળીબહેને ગુજરાતી ફિલ્મોના સુવર્ણકાળને ચાર ચાંદ લગાવી દીધા. જો કે એ પછી પણ તેમણે સ્ટેજ-શો બંધ કર્યા નહીં. અરે, સ્ટેજ-શો શું, છેક ’૭૦ના દશક સુધી તેમણે વણજારી ચોકની ગરબીમાં પણ ગાવાં જવાનું ચાલુ રાખ્યું હતું. કામનું ભારણ વધી ગયાં પછી દિવાળીબહેને નિયમ રાખ્યો હતો કે નવરાત્રિના નવમાંથી એક દિવસ તો તે જ્યાં પણ હશે ત્યાંથી ગરબીએ જઈને ગરબા ગાઈને માની આરાધના કરશે. દિવાળીબહેન ભીલ કહેતાં, ‘જે મન થાય એ કરવું. મને રૂપિયા કમાવાનું મન નથી થતું એટલે હું એ નથી કરતી. જે દિવસ એવી ઇચ્છા થશે ત્યારે એ ય કરીશ, પણ અત્યારે તો મને માતાજીને ભજવાં ગમે છે એટલે એના પર જ ધ્યાન આપું છું.’
૧૯૯૦માં દિવાળીબહેનને રાષ્ટ્રપતિ આર. વેન્કટરમનના હસ્તે પદ્મશ્રી અવૉર્ડ આપવામાં આવ્યો. ૭૦૦થી વધુ લોકગીતો કંઠસ્થ રાખનારાં અને ૧૦૦થી વધુ ફિલ્મી ગીતો ગાનારાં દિવાળીબહેન એ અવૉર્ડ પછી રડ્યાં હતાં. આ અવૉર્ડ દિવાળીબહેને તેમના ભાઈઓને આપ્યો હતો અને આપતી વખતે મીડિયાની હાજરીમાં કહ્યું હતું, ‘જો આ કોઈનો સહકાર ન હોત તો ક્યારે ય હું મારું કામ કરી શકી ન હોત. જે સમયે દીકરીને ઘરની બહાર ન જવા દે એ સમયે મારા ભાઈઓ અને બાપુજીએ મારા પર વિશ્વાસ રાખીને મને બહાર જવા દીધી. પદ્મશ્રીના ખરા હકદાર તો આ સૌ છે.’ ૧૫ જેટલા દેશમાં પ્રોગ્રામ કરનારાં દિવાળીબહેન ભીલને પદ્મશ્રી ઉપરાંત પણ ૧૦૦થી વધુ અવૉર્ડ મળ્યા હતા.
સૌજન્ય : ‘સ્પેશ્યલ સ્ટોરી’ નામક કોલમ, ‘સેટરડે સ્પેિશયલ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 21 મે 2016
http://www.gujaratimidday.com/features/saturaday-special/saturday-special-21052016-10