એમ લાગે છે કે જેમ જેમ હિંદુત્વની વાતો વધતી આવે છે તેમ તેમ આપણું ઝનૂન ને પછાતપણું જ જાહેર થતું આવે છે. વિધર્મીને આપણે ઝનૂની ને આક્રમક કહીને વખોડતા હોઈએ તો એ જ માર્ગે હિન્દુઓ પણ છે એવું નથી? હિન્દુ ધર્મ અત્યાર સુધી બહુ ખુલ્લો ને સહિષ્ણુ રહ્યો છે. કોઈ ધર્મને નથી એટલા દેવીદેવતાઓ હિંદુ ધર્મમાં છે. કોઈ એકને જ દેવ ગણવાનું સંકુચિત માનસ હિન્દુ ધર્મનું નથી. તેમાં દેવ છે તો દેવી પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. કોઈ ધર્મને આટલી દેવીઓ નથી. દેવના નથી, એટલાં વ્રત દેવીઓનાં છે. પુરાણોમાં પણ ગાર્ગી ને અન્ય વિદુષીઓ શાસ્ત્રાર્થ કરતી હોવાના ઉલ્લેખો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે હિન્દુ ધર્મ વધુ ઉદાર અને અન્ય વિચારસરણીને મહત્ત્વ આપનારો ધર્મ છે. આ સહિષ્ણુતા ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે ને આ ધર્મને વધુ સંકોચવાના ને ઝનૂની બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે તે બરાબર નથી. હિંદુ ધર્મના જે ઉદાર અને ઉદાત્ત ખ્યાલો છે તેનો વિશ્વમાં જોટો જડે એમ નથી. એ જોટો, ખોટો કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આપણે તાલિબાનો નથી. જે સંકુચિતતા ત્યાં છે એ અહીં લાવીને આપણે ઘૂંઘટ અને પડદા વિકસાવવા છે? જો બુરખાનો આપણને વિરોધ હોય તો આપણી સંકુચિતતાઓ બુરખાની દિશામાં જ છે તે સમજી લેવું ઘટે.
આટલું કહેવાનું એટલે થયું છે કે ડાકોરના વિશ્વવિખ્યાત રણછોડરાયના મંદિરમાં વારસાઈ હક આગળ કરતી સ્ત્રીઓને મંદિર મેનેજમેન્ટે પૂજા કરવાની મનાઈ ફરમાવી છે. વાત એમ છે કે ડાકોરના રણછોડરાયની પૂજા કરવા માટે વંશ પરંપરાગત રીતે જેમનો ક્રમ આવે છે એવી બે બહેનોએ પૂજા કરવાની માંગ કરી છે અને બીજી ઓકટોબરે કોઈ પણ સંજોગોમાં તે પૂજા કરશે જ એવો આગ્રહ રાખ્યો, પણ મંદિર પરિસરમાં પ્રવેશથી આગળની તક તેમને મળી નથી. આ અગાઉ 16 ઓગસ્ટે એક બહેને ગોપાલજીની સેવા કરવાનો પોતાનો હક આગળ કરીને હિંડોળા ઝુલાવ્યા હતા, જેનો વૈષ્ણવ સંપ્રદાયને વાંધો પડ્યો હતો અને એ બહેનને ફરી આવું ન કરવા નોટિસ મોકલાઈ હતી. એ પછી પણ બહેનોએ બે ઓકટોબરે પૂજાનો આગ્રહ રાખતા વાતાવરણ ગરમાયું હતું. આ બહેનોને ભય હતો કે તેમની હઠ તેમનાં પર આક્રમણો કરાવશે એટલે તેમણે પોલીસનું રક્ષણ પણ માંગ્યું હતું. આની સામે મંદિરનુ ટ્રસ્ટ પણ એ વાત આગળ કરે છે કે મંદિરના 1,200 વર્ષના ઇતિહાસમાં કોઈ સ્ત્રીએ ભગવાનની પૂજા કરી નથી. આ બરાબર નથી. 1,200 વર્ષ સુધી સ્ત્રીના હકને ધ્યાનમાં જ ન લેવાય એ કેવું? 1,200 વર્ષ સુધી પૂજારીઓનું વર્ચસ્વ રહ્યું હોય તો તે કાયમ રહેવું જ જોઈએ એવું ક્યાં ય લખેલું નથી. 1,200 વર્ષ પહેલાં સ્ત્રીઓ બહાર ન પડી હોય ને હવે પડે તો તે પરિવર્તન સ્વીકારવું પડે. વર્ષો પહેલાં આ જ માનવજાત માનતી હતી કે પૃથ્વી ફરતી નથી, તો વર્ષો સુધી એવું માનતા હતા એટલે હજી એમ જ માનવું જોઈએ એવો નિયમ છે? એટલે વર્ષોથી પૂજારીઓએ પૂજા કરી હોય તો ભલે, પણ તેથી પૂજારણો પૂજા કરી જ ન શકે એ વાત કોઈ રીતે ન્યાયી નથી.
બીજી મહત્ત્વની વાત એ છે કે આ, બહેનોને પરંપરાગત રીતે મળતો અધિકાર છે ને તે તેનો ઉપયોગ કરવા ઇચ્છે તો તેને તેમ કરતી અટકાવવી એ અધર્મ છે. આ બહેનો સ્વર્ગીય પૂજારી પિતાની દીકરીઓ છે ને પિતા નથી ત્યારે એમને પૂજાનો અધિકાર સહજ રીતે જ મળે. આ પિતા પણ સેવક વંશ તરીકે વંશ પરંપરાગત રીતે પૂજા કરતા આવ્યા હતા ને એ જ અધિકારની રૂએ દીકરીઓ પૂજા કરવાનો હક માંગે છે. એ પિતાના સંતાનમાં આ બે દીકરીઓ જ છે. પિતાની મિલકતમાં પુત્રીનો અધિકાર માન્ય કરાયો હોય તો આ તો ભગવાનની પૂજા કરવા ઇચ્છે છે, એને અટકાવી શકાય નહીં. આ બહેનો એવો દાવો પણ કરે છે કે 2018માં આ બહેનોના હક બાબતે થયેલા કેસનો નિકાલ તેમની તરફેણમાં આવ્યો છે ને બહેનોનો હક કોર્ટે મંજૂર રાખ્યો છે. આ સ્થિતિમાં ટ્રસ્ટનું કહેવું છે કે કોર્ટે એવો કોઈ હુકમ બહેનોની તરફેણમાં કર્યો હોય તો એ આદેશ ટ્રસ્ટને બતાવાય તો ટ્રસ્ટને પૂજા કરવા દેવાનો વાંધો નથી. આ બહેનોએ એ આદેશ ટ્રસ્ટને બતાવીને પૂજાનો હક માંગ્યો છે, પણ ટ્રસ્ટ એ આદેશને માનવા ને તેમની કોઈ વાત સ્વીકારવા તૈયાર નથી – એવું એક બહેન કહેતી દેખાઈ છે. આ લખાય છે ત્યાં સુધી બહેનો પૂજા કરી શકી નથી, પણ કોઈ પણ આદેશની ખરાઈ કર્યા વગર પણ ટ્રસ્ટે એ બે બહેનોને પૂજન અર્ચનનો અધિકાર આપવો જોઈએ.
એ તો થાય ત્યારે વાત, પણ મંદિર ટ્રસ્ટની ને એ નિમિત્તે બીજે બધે પણ સ્ત્રીઓને ધર્મ સ્થાનોથી દૂર રાખવાનું વલણ કેટલાંક મંદિરોએ આજ પર્યંત પાળેલું છે. સબરીમાલા મંદિરમાં તો મહિલાઓના પ્રવેશ પર જ મનાઈ છે. આ મનાઈ 10થી 50 વર્ષની સ્ત્રીઓ સંદર્ભે છે. તે એટલે કે એ વર્ષ દરમિયાન જ સ્ત્રીઓને માસિક આવે છે. એ હિન્દુ ધર્મમાં જ છે કે માસિકમાં આવેલી સ્ત્રીઓ અપવિત્ર ગણાય છે. એક સમયે આમ મનાવું વાજબી હશે, પણ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયું હોય કે માસિકસ્રાવ એ શુદ્ધ જૈવિક પ્રક્રિયા છે ને તેમાં કશું અજુગતું કે અપવિત્ર નથી, તો હજી પણ પવિત્રતાને નામે સ્ત્રીઓને તેના જ ભગવાનથી દૂર રાખવી યોગ્ય છે? સુપ્રીમ કોર્ટે 2018માં મહિલાઓના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવવા કહ્યું હતું, પણ એ આદેશનો પણ મંદિરે સ્વીકાર કર્યો ન હતો. સાચી વાત તો એ છે કે બંધારણની કલમ 14 સમાનતાનો નિર્દેશ કરે છે. જો એ કલમ તમામ ભારતીયને લાગુ પડતી હોય ને એની રૂએ પુરુષને પૂજા અને પ્રવેશનો અધિકાર મળતો હોય તો એ જ પૂજા અને પ્રવેશનો અધિકાર સ્ત્રીને પણ સહજ રીતે જ મળે, પણ કમનસીબે સ્ત્રી-પુરુષ બાબતે હજી ભેદભાવ રાખવામાં આવે જ છે, તે ઠીક નથી.
અનેક રીતે ને પ્રકારે મહિલાઓએ અનેક ક્ષેત્રોમાં પોતાને પુરવાર કરી હોય, પછી પણ મહિલાઓને ધાર્મિક સ્વતંત્રતા ઓછી જ હોય તો તે દુ:ખદ છે. એ રીતે વિધર્મીઓ કરતાં હિન્દુ ધર્મમાં સ્ત્રીઓની સ્થિતિ બહુ સારી છે એવું લાગતું નથી. હિન્દુ સંપ્રદાયે ગંભીરતાથી આત્મ નિરીક્ષણ કરવાની જરૂર છે. જે ધર્મે સ્ત્રીઓને પાછળ રાખી છે તેમનો વિકાસ અન્ય ધર્મની તુલનાએ કેટલો થયો છે તેનો અભ્યાસ કરવાની જરૂર છે. એ પણ વિચારવાની જરૂર છે કે હિન્દુઓની બહુમતી હોવા છતાં ભારત અન્ય જાતિ, ધર્મ કે સત્તાનાં આક્રમણો ખાળી કેમ ન શક્યું? કોઈ પણ રાષ્ટ્રે ન ભોગવી હોય એટલી ગુલામી ભારતે જ કેમ ભોગવી? શું કારણ હતું કે ભારત સેંકડો વર્ષની ગુલામી ભોગવવા લાચાર જ રહ્યું? હિન્દુઓમાં શૌર્ય ન હતું? સાહસ ન હતું? બુદ્ધિ ન હતી? શું ખૂટતું હતું? આટલા રાજા-મહારાજાઓ હતા, આટલું સૈન્ય હતું, આટલાં શસ્ત્રો હતાં તે કેમ આવતી ગુલામીનો સામનો ન કરી શક્યાં? એવું પણ ન હતું કે સામનો થયો જ ન હતો, રાણા પ્રતાપ અને લક્ષ્મીબાઈની ભારતને ખોટ ન હતી, છતાં આ દેશ ગુલામ થયો, એટલું જ નહીં, એકથી વધુ વખત થયો.
એ ગુલામ થયો તે કુસંપને કારણે. દેશદ્રોહને કારણે. મીરજાફર, અમીચંદ એક જ ન હતા. અન્ય પ્રજાઓને, રાજાઓને હુમલાનું, સત્તાનું આમંત્રણ આ જ દેશના લોકોએ આપ્યું. રાજા-મહારાજાઓ એકબીજા પર તલવાર તાણવામાંથી જ ઊંચા ન આવ્યા. જે સૈન્ય વિદેશી, વિધર્મી પ્રજા માટે વપરાવું જોઈતું હતું તે અંદરોઅંદર વપરાયું ને એ રીતે શક્તિ ને સૈનિકો, બંને હણાયાં, પછી વિદેશી તાકતો સામે કેટલુંક ટકાય? અંગ્રેજો એ પારખી ગયા ને એમણે આપણી વચ્ચેના કુસંપનો ભરપૂર લાભ ઉઠાવ્યો. આટલા મોટા દેશને ગુલામ બનાવવાનું સહેલું ન હતું, પણ આપણી નબળાઈઓએ, આપણા અહંકારે, આપણા દંભે વિદેશી અને વિધર્મી સત્તાને મોકળું મેદાન આપ્યું. આજે પણ સારાસારનો વિવેક આપણામાં ઓછો જ છે. જેટલી વિદેશી પ્રજાઓ આપણે ત્યાં આવી એના કરતાં હિન્દુઓ વધારે જ હતા, એમાં અડધી વસ્તી સ્ત્રીઓની હતી જેને પછાત ને અભણ રાખવામાં જ આપણે ભલું જોયું. એમાં લક્ષ્મીબાઇ, અહલ્યાબાઈ જેવી થોડી સ્ત્રીઓ જ સશક્ત અને સામનો કરી શકે એવી હતી. જરા વિચારો કે બધી સ્ત્રીઓ શિક્ષિત ને સક્ષમ હોત ને પુરુષો પણ એટલા જ સ્વાભિમાની ને સંપીલા હોત તો કઈ પ્રજાની તાકાત હતી કે દેશને ગુલામ બનાવે, પણ કુસંપ અને સંકુચિત મનોદશાએ આપણને મુક્ત ન રહેવા દીધા. આજે પણ આ સ્થિતિમાં બહુ ફેર પડ્યો નથી. આજે પણ સ્ત્રીને મંદિરમાં પ્રવેશ કે પૂજા બાબતે રોકવામાં આવે ને બીજી તરફ સ્ત્રી-પુરુષ સમાનતાનું નાટક કરીએ, મહિલા દિન ઉજવીએ ને ઓલ વેલનો દંભ કરીએ એમાંથી ફલિત તો એટલું જ થાય છે કે હિન્દુ હોવાનું ગૌરવ લેવા જેટલી પાત્રતા આપણે કેળવવાની હજી બાકી છે. અનેક મંદિરો, અનેક દેવીદેવતાઓ ને અનેક હોમ હવન છતાં, સાચા હિન્દુઓ ઓછા છે ને આટલી વસ્તી છતાં આપણે સાચા અર્થમાં હિંદુત્વનો મહિમા કરી શક્યા નથી. હવે તો એ સ્થિતિ છે કે ગુલામ થવા આપણે વિદેશી પ્રજાઓ પર પણ આધાર રાખવો પડે એમ નથી. એ બાબતમાં આપણે પૂરતું સ્વાવલંબન કેળવ્યું છે, એવું નહીં?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 ઑક્ટોબર 2021