રાજકીય પડદા પર ભારત
ભારતીય રાજ્ય વ્યવસ્થા અને તેની લોકશાહી અદ્દભુત છે. અને પરદેશમાં તેની ગણના એક નોંધપાત્ર દેશની યાદીમાં જરૂર આવી જાય છે તેમાં કોઇ શંકા નથી.
પણ ભારતીય રાજ્યવ્યવસ્થા અને તેની લોકશાહી વ્યવસ્થામાં બનતાં કોઇ એક ધર્મી અને કોઇ અમુક લોકો તરફની નફરત અને હિંસાજનક હુમલાઓ ભારતની લોકશાહી વ્યવસ્થામાં એક મોટું કલંક છે – આ સાંપ્રદાયિક તનાવનો પાયો ૧૯૯૨, ૬ ડિસેમ્બરે જ્યારે બાબરી મસ્જીદ ધ્વંસ થઇ ત્યારથી નંખાયો છે. એ વાત દરગુજર ધ્યાન બહાર કરવા જેવી નથી કે આ કોલમ લેખકને સ્પષ્ટ લાગે છે.
સ્વતંત્રતા મળ્યા પછી પહેલી ચૂંટણી વખતે નહેરુ પહેલા વડાપ્રધાન થયા, ત્યારે હિન્દુ મહાસભા હિન્દુ કટ્ટરવાદીઓ આખા દેશમાં માત્ર ૧૦ જ પાર્લામેન્ટ મેમ્બર તરીકે ચુંટાવાની બીના અને આજે તે જ આર.એસ.એસ.ની હિન્દુરાષ્ટ્રની ભૂમિકાવાળા કટ્ટર હિન્દુવાદી તત્ત્વોએ આ દેશનું સુકાન હાથમાં લીધું છે. ત્યારે આખા દેશમાં આજે ભયનું વાતાવરણ ફેલાતા, સંવેદનશીલ નાગરિક કે તટસ્થ વિચારક તરીકે અને તેમ જ આ દેશના બુદ્ધિજીવીઓ વગેરે અસમંજ સ્થિતિમાં મુકાઇ ગયા હોય, તેવો ભાવ થતાં આ દેશ આજે જે નફરતની ભૂમિકા પર ચાલી રહ્યો છે તે ક્યાં જઇને અટકશે તે કહેવું મુશ્કેલ છે.
દિલ્હી હિંસાના નગ્ન તાંડવ પર નજર કરતાં કરતાં એક તટસ્થ પત્રકાર તરીકે એટલું કહીશ કે આ હિંસાના મૂળમાં બી.જે.પી.ના સત્તાધારી નેતાઓનાં બેફામ વાણીવિલાસ અને ઉશ્કેરણીજનક ભાષણો જવાબદાર છે. યે દેશકે ગદ્દારો કો ગોલી મારો – પોલીસ કે ગદ્દારો કો ગોલી મારો – આવા બેફામ વાણી વિલાસ કરતાં અનુરાગ શર્મા, કપિલ મિશ્રા, પરવેશ શર્મા વગેરે લોકો પર આજ સુધી પોલીસ ખાતું એફ.આઇ.આર. કરી શક્યું નથી. અને ન્યાયાલય પણ સરકારના દબાણ નીચે આ બનાવને એકદમ નજર અંદાજ કરી સરકારને એક એક મહિનાનો જવાબ આપવાનો સમય આપે છે. ત્યારે ન્યાયતંત્ર તરફ આશાની નજરે જોનારો સામાન્ય નાગરિક હત:પ્રભ બની આ દેશની લોકશાહી વ્યવસ્થા તરફ આશંકા સેવી રહ્યો છે. જસ્ટીસ મુરલીધરે પોલીસ ખાતાને વેધક પ્રશ્નો પૂછી આ બધા જ લોકો જે ઉશ્કેરણીજનક ભાષણો કરનાર છે તેમની સામે તાત્કાલિક એફ.આઇ.આર. કેમ ન કરી તેવું પૂછતાં અને તેમની સામે એફ.આઇ.આ.ર કરવી, તેવું કહેતા તેમની રાતોરાત બદલી કરી પટણા હાઇકોર્ટ મોકલી દેવામાં આવ્યા – ત્યાં ભા.જ.પ. દ્વારા ચાલતી સરકાર સરમુખત્યારશાહી તરફ જતી હોવાનું આ કોલમ લેખકને સ્પષ્ટ લાગે છે.
આજે દેશમાં આ સરકાર સામે વિરોધ કરે, સાચી વાત કરે તેને દેશદ્રોહીનો ઇલકાબ આપી, પાકિસ્તાન ચાલ્યા જવાનું કહેવામાં આવે છે, અને ભડકાઉ ભાષણો કરી ઉશ્કેરાટ ફેલાવતા પોતાના નેતાઓને છાવરે છે – ત્યારે આપણી જીવંત લોકશાહી ડગમગાતી હોવાનું આ કોલમલેખકને લાગે છે.
આ દેશના તોફાનોને ૧૯૮૪ના શિખવિરોધી થતી કત્લેઆમ હોય કે ૨૦૦૨ના ગુજરાતના ગોધરા અને અનુગોધરાનાં રમખાણો હોય ત્યારે પોલીસ હંમેશાં સત્તાની સાથે રહીને જવાબદારો સામે પગલાં લેતા, નિષ્ક્રીય બનતી હોવાના અસંખ્ય બનાવો આખા દેશે અનુભવ્યા છે. ૧૯૮૪માં શિખવિરોધી દંગલમાં પોલીસે નિષ્ક્રિય રહીને તે વખતની કૉન્ગ્રેસ સરકારની જી હજૂરી કરી હતી. તે જ રીતે ૨૦૦૨માં ગોધરામાં થયેલાં ગુજરાતનાં દંગલો અને દિલ્હીના થયેલા હિંસાના નગ્ન તાંડવમાં એ જ રીતે પોલીસ સત્તાની સાથે રહી નિષ્ક્રિય બની હતી, તેના અસંખ્ય દાખલા દિલ્હી હિંસામાં આપણને જોવા મળ્યા છે.
આ કોલમ લેખકે અનુગોધરાનાં કોમી રમખાણોમાં ગુજરાતમાં અને અમદાવાદમાં મુસ્લિમોની દુકાનો સળગાવતા લોકોની સામે પોલીસ ઊભી હતી છતાં તોફાનો પોલીસની હાજરી હોવા છતાં કરવામાં આવ્યા હતા તે નજરોનજર જોયું છે.
પૂર્વ ડી.જી.પી. અજયરાજ શર્માએ (૧૯૯૯-૨૦૦૨) સુધી દિલ્હીના પોલીસ કમિશ્નર રહી ચૂક્યા હતા. તેમણે કહ્યું છે કે દિલ્હીના તોફાનોમાં પોલીસે જો સમયસર પગલાં લીધાં હોત, તો અકુદરતી હિંસાથી થયેલી મોતની સંખ્યા ૫૬ થઇ છે, તે નહિવત્ હોત. સી.એે., એન.સી.આર. વિરુદ્ધની લડત આપતા લોકો તેમ જ અમુક ધર્મી બાદ કરીને મુસ્લિમ વસ્તીમાં આયોજિત હુમલો, ચાંદબાગ ગોકળપુરી ચમનપાર્ક બધા મુસ્લિમ વસ્તી ધરાવતાં મહોલ્લામાં શેરીઓમાં ખુલ્લેઆમ તલવાર જેવાં તિક્ષ્ણ હથિયારો લઇને કટ્ટર હિંદુવાદી લોકોએ હિંસાનું નગ્ન તાંડવ કર્યા પછી પણ આ સરકાર મૂંગી છે. આયોજનપૂર્વક હુમલામાં મુસ્લિમ ઘરો, મસ્જીદો, દુકાનો સળગાવવાના અનેક કિસ્સા સાથે તેમની બાજુમાં જ આવેલા મંદિરો તેમ જ હિન્દુ વસાહતો ને હેમખેમ સલામત રહ્યા. ત્યારે એક સંવેદનશીલ નાગરિક તરીકે આપણે વિચારવું રહ્યું કે આ નફરતની આગ કેટલી યોજનાબદ્ધ હતી કે અનેક મુસ્લિમ પરિવારો આજે તે આ વિસ્તારમાંથી હિજરત કરી રહ્યા છે. શિવવિહારમાં બચી ગયેલા રમખાણોગ્રસ્ત લોકોનું સર્વસ્વ ભસ્મિભૂત કરી નાખવામાં આવતાં તેઓ કુદરતના ભરોસે જીવતા થઇ ગયા છે. ઘર નહીં, દુકાન નહીં, કોઇ આશરો નહીં. બધા જ લોકો રસ્તા પર આવી ગયા છે. આ હિંસાનું તાંડવમાં કેટલી નફરતની આગ ફેલાયેલી હશે તે અંગે કોઇ કલ્પના કરવી અશક્ય છે.
આસિફા નામની બહેન કહે છે કે હું ચાંદબાગના CAA NRC વિરુદ્ધનાં પ્રદર્શન સ્થળે ઊભી હતી, જ્યાં બે પ્રદર્શનકારીઓને પોલીસે પકડી લીધા. મહિલાઓ પોલીસનો વિરોધ કરવા બહાર આવતાં તેમને ક્યાં લઇ જાય છે, તેવું પૂછતાં આ પ્રદર્શનકારી મહિલાઓ સામે હિન્દુ કટ્ટરવાદી લોકોનુ એક જૂથ જય શ્રી રામના નારા સાથે ચાર વ્યક્તિઓએ તેમના પેન્ટ ઉતારી ગુપ્તાંગ દેખાડીને કહ્યું, "યે લો આઝાદી”. આ બીના અને આવું હિચકારી કૃત્ય ભારતીય સંસ્કૃતિમાં એક કલંક સમાન છે. એક રિપોર્ટ એવો પણ છે કે કોઇ એક જમણેરી જૂથને પોલીસે એમ કહ્યું કે "મુસ્લિમો પર પથ્થરમારો કરો. આ કબૂલાત કોમી હિંસામાં ભાગ લેનાર જમણેરી જૂથે બી.બી.સી.ના સંવાદદાતા સમક્ષ કરેલી તેની વીડિયો બી.બી.સી.એ તે વીડિયો રિલીઝ કરેલો જેમાં વ્યક્તિ દેખાય છે, તે હિમાંશુ રાઠોડ છે જેને પોલીસે પથ્થરો પૂરા પાડી મુસ્લિમો તરફ પથ્થરમારો કરો તેવી સૂચના આપેલી.
આમ દિલ્હીની હિંસામાં પોલીસ માત્ર નિષ્ક્રીય નથી રહી, પણ સહભાગી બની હોય તેવાં પૂરાવા બી.બી.સી.ના સંવાદદાતાએ લોકોના અભિપ્રાયો લઇ રેકોર્ડ કર્યા છે.
હિન્દુ મુસ્લિમ બન્ને પક્ષે ગુનેગાર તરફ જરા પણ સહાનુભૂતિ રાખ્યા વિના આ ગુનેગારોને સખતમાં સખત સજા થવી જોઇએ તેવું આ કોલમ લેખકનું માનવું છે.
આ હિંસાના નગ્ન તાંડવમાં તાહિર હુસેન નામનો મુસ્લિમ યુવક પણ સામેલ હતો. તેની સામે પોલીસ તપાસ પણ થઇ ગઇ હતી અને તે પોતે હાઇકોર્ટ સમક્ષ આજે તા. ૫-૪-૨૦૨૦ના રોજ સરેન્ડર થઇ ગયો હતો, પણ એક રિપોર્ટ પ્રમાણે પોલીસખાતુ આજ સુધી કોઇ નક્કર પુરાવા એકઠા કરી શક્યું નથી, છતા તે આજે પોલીસ કસ્ટડીમાં છે. આમ બન્ને પક્ષે હિન્દુ તેમ જ મુસ્લિમ જૂથોની કટ્ટરતાની હાજરી પણ ભડકાવનારી અગનખેલ થનારી હોઈ શકે, એટલે પોલીસે નિષ્પક્ષ રહી આ બનાવની કાર્યવાહી કરવી જોઇએ. તે મુજબ આજે લોકસભામાં વિરોધપક્ષ દ્વારા દિલ્હીના હિંસાની ન્યાયીક તપાસ થવી જોઇએ, એવી રજૂઆત કરવામાં આવી છે.
ટૂંકમાં હું આ કોલમનું સમાપનન કરતાં એમ કહીશ કે ભારતીય રાજ્યવ્યવસ્થા સમાજ વ્યવસ્થા જે દુનિયાની નજરે ઉત્તમ છે તે વ્યવસ્થા આજે ડગમગાતી જોવા મળે છે. સી.એ.એ., એન.આર.સી. વિરુદ્ધ અનેક બહારના દેશોએ ઇરાન, બ્રિટન વિગેરે ૧૫ દેશોએ વિરોધ દર્શાવ્યો છે. ત્યારે એક તટસ્થ પત્રકાર તરીકે એટલું કહીશ કે લોકશાહી રસમે સૂંટાયેલી આ મોદી સરકારની એન.ડી.એ.ની સરકાર અનેક કસોટીમાંથી પસાર થઇ રહી છે. દેશનું અર્થતંત્ર ભાંગું ભાંગું થઇ રહ્યું છે અનેક નવયુવાનો નોકરી મળવાની આશાએ અસમંજ સ્થિતિમાં ઊભા છે. આપણો જી.ડી.પી. દર નીચો ગયો છે. આપણો દેશ ૨૦૧૪માં ભૂખમરાની રેંકમાં ૫૫ નંબર હતો તે આજે ૧૦૩ નંબર પર આવીને ઊભો છે. દેશમાં કપૂષોણથી દરરોજ અનેક બાળકોનાં મોત થાય છે. ખેડૂતવર્ગ પણ નિરાશ છે ત્યારે દેશનું અર્થતંત્ર પાટે ચડે, જી.ડી.પી. દર વધી આપણું એક્સપોર્ટ વધે અને બજારમાં થતાં ભાવવધારા પર સરકાર કંઇક કંટ્રોલ કરે તો અનેક લોકોએ નરેન્દ્ર મોદી સાહેબની વકતૃત્વશક્તિથી આંજી હિપ્નોટાઇઝ કરી અનેક નાગરિકોને આકર્ષીને થોકડે થોકડે મત લીધા છે. તેમનામાં થોડીક શાંતિની પળ આવશે. લોકોની આશાઓ પૂરી કરી સ્વસ્થ લોકશાહીમાં આ વ્યવસ્થા પરિણામે અને નફરતની ફિલોસોફીને તિલાંજલી આપી સી.એ.એ., એન.આર.સી.ના ગતકડાને હાલ પૂરતાં અટકાવી દઇ સુદ્રઢ વ્યવસ્થા તરફ પ્રયાણ કરે તો ૨૦૧૯માં આ ચૂંટાયેલી સરકાર ૨૦૨૪ સુધી ગુડ ગવર્નરની વાત તરફ પ્રયાણ કરતી દેખાશે, અને આપણી આ ડગમગાતી લોકશાહીનાં પાયો ફરીથી મજબૂત બને, પણ કટ્ટર હિન્દુવાદ અને હિન્દુરાષ્ટ્રની આર.એસ.એસ.ની ભૂમિકાના પાયામાં, રાષ્ટૃવાદના ઘેલછાયુક્ત મનોભૂમિમાં મોદીસાહેબ અને તેની સરકાર હજુ પણ નફરતની નીતિ તરફ આગળ વધશે અને આજ સિલસિલો ચાલુ રાખશે, તો ૨૦૨૪માં તેમને જોરદાર લપડાક મળશે. એ બાબતમાં શંકાને સ્થાન નથી. આજે પણ, મહારાષ્ટ્ર સ્ટેટ તેમ જ કૉન્ગ્રેસે ધારાસભાની ચૂંટણીમાં વિજય મેળવતા સ્ટેટ, રાજસ્થાન, મધ્યપ્રદેશ – છત્તીસગઢ, ઝારખંડમાં બી.જે.પી.ની હાલની સરકારના પ્રભાવની અસર મોળી પડતી જાય છે. તે વાત સ્વીકાર્યા વિના છૂટકો નથી. આવનારી ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળ અને બિહારમાં પણ જનમત એન.ડી.એ.ની સામે રહેવાનો છે. તે આજની સ્થિતિને દરગુજર ધ્યાન બહાર રાખવા જેવું તો નથી જ તે વાત તેમના કહેવાતા મોભીઓ નરેન્દ્ર મોદી સાહેબ ને અમિત શાહે સ્વીકારવું જ પડશે અને નફરતની રાજનીતિ બંધ કરવી પડશે. તો જ આ લોકશાહી વ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા સુદ્રઢ બનશે. નહિતર આવી જ કલંકિત છબી ચાલુ રહેશે તો દુનિયાની નજરે ભારતની પ્રતિભા ઝાંખી પડશે તે વાત સ્પષ્ટ છે. જે આજે લગભગ ઝાંખી પડી ચૂકી છે.
ભારતીય સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા એક ધર્મનિષ્પેક્ષ વ્યવસ્થા છે. જેમાં દરેક વ્યક્તિનું સંપૂર્ણ પ્રદાન છે. ચાહે તેઓ મુસ્લિમ હોય, હિન્દુ હોય, પારસી હોય કે ખ્રિસ્તી હોય. આપણી કલા, સાહિત્ય, સંગીત, ફિલ્મી દુનિયામાં હિન્દુઓ તેમ જ મુસ્લિમોનો એક સરખો ફાળો છે. બિસ્મીલ્લા ખાનની શરણાઇ વગરનું ભારત એ ભારત ન જ હોઈ શકે. અબ્દુલ કલામ વગરનું ભારતની કલ્પના ન થઇ શકે. આપણી શેરો શાયરીમાં ઉર્દૂ ગઝલકારોનો ફાળો તેટલો જ રહ્યો છે, જેટલો આપણા હિન્દુ શાયરોનો રહ્યો છે. કૈફી આઝમી વગરનું ભારત તમે કલ્પી ન શકો, હરિવંશરાય બચ્ચન વગરનું ભારત પણ તેમ કલ્પી ન શકો. એટલે આ દેશને તમે ધર્મને નામે કદી વિભાજીત નહી કરી શકો. આપણી લોકશાહીના પાયામાં ડૉ. આંબેડકર, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, રફીક અહમદ કીડવાઇ વગેરેનો જબરદસ્ત ફાળો છે. આ વાત દેશના દરેક નાગરિકે ભૂલવી ન જોઇએ અને ધર્મને નામે વિભાજીત થતો આ દેશ કદી સ્વસ્થ લોકશાહીવાળા ભારતની પરિભાષામાં નહીં આવે તે વાત મૂકી વિરમું છું.
e.mail : koza7024@gmail.com
પ્રગટ : “ગુજરાત ટુડે”, 17 માર્ચ 2020