મિત્રો પૂછે છે મને
હમણાં
કેમ લખતા નથી
દલિતવાર્તાઓ?
શું લખવી?
રોજ દૈનિકપત્રોમાં
આવે છે
દલિતવાર્તાઓ
લોહી અને આંસુ નીતરતી
કોઈએ મૃત ગાયને ચીરી,
કોઈએ મૂછો રાખી,
કોઈએ નામ પાછળ સિંહ લખ્યું,
કોઈએ ઘોડી રાખી,
કોઈ ઘોડીએ ચઢ્યું,
કોઈએ હોંશે હોંશે
વરઘોડો કાઢ્યો,
કોઈ મંદિરમાં ઘંટ વગાડવા ગયું,
કોઈએ માહિતી-અધિકાર માગ્યો.
કોઈની કતલ,
કોઈનું અપમાન,
કોઈને ઢોરને પણ ન હોય એવો ઢોરમાર,
કેટકેટલી દલિતવાર્તાઓ,
રોજરોજ !
શું લખવી?
કેટલી લખવી દલિતવાર્તાઓ?
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2020; પૃ. 15