Opinion Magazine
Number of visits: 9458138
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—198

દીપક મહેતા|Opinion - Opinion|27 May 2023

લશ્કરની બેરેક્સ ગઈ, પણ બેરેક રોડ રહ્યો 

સ્ટ્રેન્ડ : બુક સ્ટોલ, સિનેમા, રોડ

બે દાનવીર મહિલાઓ : રોઝ નેસબિટ અને મોટલીબાઈ વાડિયા    

પંડિત જવાહરલાલ નેહરુ, રાષ્ટ્રપતિ અબુલ કલામ, ડો. મનમોહન સિંહ, વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈ, તેજાબી લેખક ખુશવંત સિંહ, — આ અને બીજા મહાનુભાવો જ્યારે મુંબઈ આવે ત્યારે ખાસ સમય કાઢીને એક દુકાનની મુલાકાત જરૂર લેતા. એ દુકાન કઈ? મહાનુભાવો અનેક, પણ જવાબ એક જ છે : સ્ટ્રેન્ડ બુક સ્ટોલ. આપણા સુરેશ દલાલનું, મરાઠીના પંડિત પત્રકાર ડો. અરુણ ટીકેકરનું તો એ જાણે બીજું ઘર. પણ એવું તે શું વેચાતું હતું, એ દુકાનમાં? તો કે ચોપડીઓ. ફક્ત અંગ્રેજી. પણ દેશ કે પરદેશમાં પ્રગટ થયેલું કોઈ પણ પુસ્તક જોઈતું હોય તો ત્યાંથી મળી જાય. હાજર સ્ટોકમાં ન હોય તો મગાવી આપે. એના સ્થાપક-માલિક ટી.એન. શાનબાગ જાતે ‘ભયંકર’ (મરાઠી અર્થમાં) પુસ્તકપ્રેમી. કાયમી મુલાકાતીઓની પસંદગી બરાબર જાણે. તેમને ગમે તેવું કોઈ નવું પુસ્તક આવ્યું હોય તો હોંશથી બતાવે. ખરીદવા માટે જરા ય આગ્રહ નહિ. ઘણી વાર એવું બને કે પુસ્તકની કિંમત ખરીદનારને પોસાય તેમ ન હોય. વાત પામી જઈને શાનબાગ સામેથી કહે : અત્યારે લઈ જાવ. વંચાઈ જાય એટલે પાછું આપી જજો. તમે ગમે તેટલી ચોપડી ખરીદો, દસ ટકા કરતાં વધુ ડિસ્કાઉન્ટ ન આપે તે ન જ આપે. હા, એમાં એક વાર અપવાદ કરેલો. સાંજે દુકાન બંધ કરીને શાનબાગ બેઠા બેઠા નવાં પુસ્તકો પર નજર ફેરવતા બેઠા હતા. એવામાં બેલ વાગી. બેલ સાંભળી શાનબાગ ઊભા થયા અને દરવાજો ખોલ્યો. જોયું તો સામે ઊભા હતા પંડિત જવાહરલાલ નેહરુ! કહે : આખો દિવસ બીજા કામોમાં એવો તો અટવાયેલો રહ્યો કે આવી ન શક્યો. પણ અહીં આવ્યા વગર તો જવાય જ કેમ? એટલે આવે કટાણે આવ્યો. તે દિવસે નેહરુએ જે પુસ્તકો ખરીદ્યાં – હા ખરીદ્યાં – તેના પર શાનબાગે સામે ચાલીને વીસ ટકા ડિસકાઉન્ટ આપ્યો!

સ્ટ્રેન્ડ બુક સ્ટોલમાં બેઠેલા તેના સ્થાપક શાનબાગ

૧૯૪૮માં શાનબાગે આ દુકાન શરૂ કરેલી. ના, ત્યારે તો એ દુકાન પણ નહોતી. એ જમાનાના પ્રખ્યાત સ્ટ્રેન્ડ સિનેમામાં એક બાંકડા જેટલી જગ્યા ભાડે લીધી, અને પાટિયું માર્યું : સ્ટ્રેન્ડ બુક સ્ટોલ. થોડા વખતમાં તો પ્રતિષ્ઠા જામી. પણ જગ્યા નાની પડવા લાગી. એટલે ૧૯૫૩માં એ જગ્યા છોડી બજાર ગેટ સ્ટ્રીટમાં મોટી દુકાન લીધી. પણ નામ તો એ જ રાખ્યું સ્ટ્રેન્ડ બુક સ્ટોલ. પાછલાં વર્ષોમાં મુશ્કેલીઓ આવી, ગ્રાહકો ઓછા થતા ગયા. પણ જીવ્યા ત્યાં સુધી દુકાન ચલાવી. એમના અવસાન પછી દીકરી વિદ્યા વીરકરે નવેક વરસ ચલાવી. પણ છેવટે શાનબાગના અવસાન પછી કુલ ૭૦ વરસનું આયુષ્ય ભોગવી એ દુકાન વિલીન થઈ.

સ્ટ્રેન્ડ સિનેમા

જેના પરથી શાનબાગે પોતાની દુકાનનું નામ પાડ્યું તે ‘સ્ટ્રેન્ડ સિનેમા’ એટલે એક જમાનાનું મુંબઈનું જાજરમાન થિયેટર. ઉત્તમ અંગ્રેજી ફિલ્મો બતાવે. ખૂબસૂરત ઈમારત. હેં? ઈમારત, અને ખૂબસુરત? હા, કેમ? ‘ઈમારત’ શબ્દ પણ નારી જાતિનો જ છે ને! (નારીવાદી મિત્રો માફ કરે.) ૧૯૪૦ના દાયકામાં આ સિનેમા બંધાયું. લગભગ ૫૦ વરસ જીવ્યું. પછી થયું ધરાશાયી. આજે એ જગ્યાએ એક વરવી ઈમારત ઊભી છે. પણ આ થિયેટરનું નામ ‘સ્ટ્રેન્ડ’ કેમ પડ્યું? સાધારણ રીતે કોઈ રસ્તા પર બહુ જાણીતી ઈમારત આવી હોય તો તેના નામ પરથી રસ્તાનું નામ પડે. જેમ કે ચર્ચગેટ સ્ટ્રીટ. પણ અહીં જરા ઊંધી વાત છે. રસ્તાનું નામ સ્ટ્રેન્ડ રોડ. એ રસ્તા પર આવેલા થિયેટરનું નામ પડ્યું સ્ટ્રેન્ડ સિનેમા. કોલાબા વિસ્તારમાં એપોલો પિયરથી હેન્રી રોડ સુધીના રસ્તાનું નામ હતું સ્ટ્રેન્ડ રોડ. પણ કેમ? કારણ અંગ્રેજી ‘સ્ટ્રેન્ડ’ શબ્દનો એક અર્થ થાય છે દરિયા કિનારો. એ વખતની હાર્બરને અડીને આ રસ્તો આવેલો હતો એટલે બન્યો સ્ટ્રેન્ડ રોડ.

સ્ટ્રેન્ડ રોડ, ૧૯૩૫

તળ મુંબઈના બીજા કેટલાક રસ્તાનાં નામને પણ દરિયા સાથે સંબંધ. મરીન ડ્રાઈવ, કોલાબા કોઝવે, ફોરશોર રોડ, વગેરે. આ બધામાં મરીન ડ્રાઈવ ઉંમરમાં સૌથી નાનો છે. ત્રણ કિલો મિટર લાંબા આ રસ્તાના બાંધકામની શરૂઆત તેના ચોપાટી છેડેથી ૧૯૧૫માં થઈ હતી. તેના બાંધકામનું શ્રેય પાલનજી મિસ્ત્રીને જાય છે. વખત જતાં આ રસ્તો મુંબઈનું એક મહામૂલું ઘરેણું બની ગયો. ક્વીન્સ નેકલેસ તરીકે ઓળખાતા આ રસ્તાની આજની હાલત તો મોતીની તૂટેલી, વેરવિખેર પડેલી માળા જેવી થઈ ગઈ છે – નવા કોસ્ટલ રોડના બાંધકામને કારણે.

મરીન ડ્રાઈવ કરતાં મરીન લાઈન્સ ઘણો વધુ જૂનો વિસ્તાર. અંગ્રેજોના જમાનામાં લશ્કરના બે ભાગ હતા : અંગ્રેજ અને ‘દેશી’. કિલ્લો હતો ત્યાં સુધી તો અંગ્રેજ સૈનિકો માટે ખાસ બેરેક બાંધવામાં આવેલી. તેમના ખાવા-પીવાની વ્યવસ્થા પણ ત્યાં જ. પણ ‘દેશી’ સૈનિકો માટે કિલ્લાની બહાર અલગ વ્યવસ્થા. આજના આઝાદ મેદાન પાસે તેમને માટે અલગ ‘કેમ્પ’ હતો. આથી ઘણા લોકો એ મેદાનને ‘કાંપ(કેમ્પ)નું મેદાન’ તરીકે ઓળખતા. પણ પછી કિલ્લો તોડી પાડ્યો ત્યારે મરીન બટાલિયન માટે જ્યાં બેરેકસ બાંધી તે વિસ્તાર મરીન લાઈન્સ તરીકે ઓળખાયો. તેની આસપાસની કેટલીક ગલ્લીઓ બેરેક રોડ, પહેલી, બીજી, ત્રીજી મરીન સ્ટ્રીટ તરીકે ઓળખાતી. એક જમાનામાં ત્રીજી મરીન સ્ટ્રીટને લોકો વાણિયાવાડી તરીકે ઓળખતા કારણ ત્યાં ગુજરાતી વાણિયાઓની ઘણી વસ્તી હતી. પણ વખત જતાં ત્યાં પારસીઓની વસ્તી વધી ગઈ. તો ચોથી મરીન સ્ટ્રીટ ‘ગવળી વાડી’ તરીકે ઓળખાતી કારણ ત્યાં ગોવાળોની ઝાઝી વસ્તી હતી. પણ પછી સત્તાવાળાઓએ ગાય-ભેંસના તબેલા ત્યાંથી હટાવ્યા. આમાંના બીજા બધા રસ્તાનાં નામ બદલાઈ ગયાં છે, પણ મેટ્રો સિનેમાની પાછળના એક રસ્તાનું નામ આજે ય બેરેક રોડ છે.

એક જમાનામાં આવું હતું મરીન ડ્રાઈવ

મરીનડ્રાઈવના દરિયા કિનારાથી હવે જઈએ વરળી. મુંબઈના અસલ સાત ટાપુઓમાંનો એક. પણ હવે તો ક્યાં સાંધો, ક્યાં રેણ એની ખબરે ન પડે. આ નામ કેવી રીતે પડ્યું? ત્રણ શક્યતા ચીંધી છે જાણકારોએ. એક માન્યતા એવી કે એક જમાનામાં આ ટાપુ પર વડનાં પુષ્કળ ઝાડ હતાં તેથી આ નામ પડ્યું. મૂળ નામ હતું વડાળી, એટલે કે વડનું ગામડું. પછી તેમાંથી થઈ ગયું વરળી. તો બીજો મત છે કે વર + આળી થયું વરળી. ‘વર’ એટલે કૃપા, આશીર્વાદ. નજીકમાં આવેલા મહાલક્ષ્મીના મંદિરનાં દેવીના આશીર્વાદ મળેલા એટલે આ નામ. તો વળી બીજા કેટલાક કહે છે કે વાત સાવ સીધી સાદી છે. સાત ટાપુઓમાં જેનું સ્થાન ‘વર’ એટલે કે ઉપર છે તે વરળી. ભાષાના જાણકારો કહે છે કે જો ‘વડ’ સાથે સંબંધ હોય તો નામ વડળી થવું જોઈએ, વરળી નહિ. વડનાં પુષ્કળ ઝાડને લીધી મુંબઈમાં એક બીજું નામ છે જ, વડાળા. મહાલક્ષ્મી માતાના આશીર્વાદવાળી વાત લગભગ કોઈ સ્વીકારતું નથી. ઘણાખરા જાણકારો ત્રીજી શક્યતા સ્વીકારે છે.

થોડા વખત પહેલાં એક નારીવાદી મિત્રે પૂછેલું : તે આ મુંબઈ શહેરમાં રસ્તાઓ સાથે કોઈ  સ્ત્રીઓનાં નામ જોડાયાં છે કે નહિ? નિખાલસ જવાબ આપવો હોય તો કહેવું પડે કે બહુ ઓછી સ્ત્રીઓનાં નામ આ રીતે જોડાયાં છે. એનું એક કારણ એ પણ ખરું કે આપણે જે જમાનાના મુંબઈની વાત કરીએ છીએ તે જમાનામાં બહુ ઓછી સ્ત્રીઓ જાહેર જીવનમાં, રાજકારણમાં, પડતી. છતાં, ક્યારેક સ્ત્રીઓનાં નામ કોઈ ને કોઈ રસ્તા સાથે જોડાતાં ખરાં. આવો એક રસ્તો તે મઝગાંવ રોડથી પરળ રોડ સુધી જતો નેસબિટ રોડ. આર્મેનિયન કુળની આ બાનુનું આખું નામ રોઝ નેસબિટ. પૈસે ટકે ખૂબ સમૃદ્ધ. મઝગાંવ વિસ્તારમાં ઘણી જમીન તેની માલિકીની. જેટલી ધનવાન એટલી જ આસ્થાવાન. એણે જ બંધાવ્યું મઝગાંવ વિસ્તારમાં સેન્ટ એન્સ ચર્ચ, ઈ.સ. ૧૭૮૭માં. જો કે આજે અહીં જે ઈમારત છે તે બંધાયેલી ૧૮૮૧માં. આ ચર્ચનું મકાન મુંબઈની બધી ચર્ચનાં મકાનોમાં સૌથી વધુ સુંદર હોવાનું મનાય છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રાજવટ દરમ્યાન આ નેસબિટના પતિ કોમોડોર નેસબિટ હતા હાર્બર માસ્ટર ઓફ બોમ્બે, એટલે કે મુંબઈ બંદરના મુખિયા. આ નેસબિટબાઈએ પોતાને ખર્ચે ચર્ચ તો બંધાવ્યું, પણ તેના નિભાવ માટે પણ ઘણી મોટી રકમ મૂકતાં ગયાં. ૧૮૧૯માં તેમનું અવસાન થયું તે પહેલાં પોતાની બધી મિલકત તેમણે આ ચર્ચને દાનમાં આપી. તેમની દફન વિધિ આ ચર્ચના કમ્પાઉન્ડમાં કરવામાં આવેલી. પછીથી અહીં સેન્ટ મેરી હાઈ સ્કૂલ શરૂ કરવામાં આવી.

એવી જ રીતે એક પારસી દાનવીર મહિલાનું નામ પણ એક રસ્તા સાથે જોડાયેલું : મોટલીબાઈ સ્ટ્રીટ. મોટલીબાઈ નવરોજી વાડિયાનો જન્મ ૧૮૧૧માં, બેહસ્તનશીન થયાં ૧૮૯૭ના મે મહિનાની ૨૪મી તારીખે. જહાંગીર નસરવાનજી વાડિયાનાં એકમાત્ર દીકરી. મુંબઈમાં વહાણ બાંધકામના ઉદ્યોગનો પાયો નાખનાર લવજી વાડિયાનાં વંશજ. એ જમાનામાં એવણ પારસીઓમાં સૌથી વધુ પૈસાદાર બાનું ગણાતાં હતાં. માત્ર ૨૬ વરસની ઉંમરે ૧૮૩૭માં વિધવા થયાં. પોતાના કુટુંબની બધી જ મિલકત કુશળતાપૂર્વક સાચવી રાખી, એટલું જ નહિ, તેમાં વધારો કર્યો. મુંબઈના જરથોસ્તિઓને અવલમંજલ પહોંચાડવાના ફંડમાં ૧૮૬૨માં પંદર હજારની રકમ આપી હતી. જ્યારે એક તોલો સોનાનો ભાવ લગભગ ૧૯ રૂપિયા હતો ત્યારના ૧૫ હજાર! ૧૮૭૩માં જહાંગીર નસરવાનજી વાડિયાના નામના દવાખાના માટે દસ હજાર રૂપિયા અને પોતાનું એક મકાન ભેટ આપ્યાં હતાં. સ્ત્રીઓ અને બાળકો માટેની હોસ્પિટલ શરૂ કરવા માટે ૧૮૮૮માં દોઢ લાખ રૂપિયા, મઝગાંવમાં આવેલી પોતાની જમીન તથા તે પરની ઈમારત ભેટ આપ્યાં હતાં. ૧૮૯૨ના માર્ચની ૧૫મી તારીખે ‘મોટલીબાઈ હોસ્પિટલ’નું ઉદ્ઘાટન થયું હતું. મોટલીબાઈના ઉઠમણાના દિવસે પારસીઓના ચાલ મુજબ જુદી જુદી સંસ્થાઓને કુલ રૂપિયા ૨,૧૪,૧૯૦ દાનમાં આપ્યા હતા

જેમ રસ્તાઓનો અંત નથી તેમ રસ્તા વિશેની વાતોનો પણ અંત નથી. અને છતાં ક્યારેક તો સ્થિર ઊભા રહેવાનું મન થાય. જેમ રસ્તાની ધારે પૂતળાં ઊભાં રહે છે તેમ.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 27 મે 2023

Loading

એક દિવસ 

ઉમેશ સોલંકી|Poetry|26 May 2023

એક દિવસ

અંધારાને પૂરતું ગૌરવ મળશે

અજવાળાનું ગૌરવ પ્રમાણસર બનશે

ધોળાનો ઘેરાવ ખૂલી જશે

કાળાશ થનગનાટ કરતી કૂદવા લાગશે

રમવા લાગશે દોડવા લાગશે

જે નથી થયું એ થશે

જે થવું જોઈએ એ થશે.

એક દિવસ

ન ગામમાં ફરતો ઘમંડ હશે

ન લાચારીનું ટૂંટિયું વળ્યું હશે

ન ગામ હશે

શહેર હશે

શહેરમાં વનની હવા હશે

છેક તળિયે ખૂંપી ગયેલામાં

બહારના ખુલ્લા અવકાશમાં

હાથ ફેલાવવાની હામ હશે

ના તારું હશે ના મારું હશે

જે હશે એની રીતે હશે.

ન ટોળું હશે

ન ટોળેદાર હશે

ઝઘડામાં ભરેલો પ્રેમ હશે

ન પ્રેમનો કોઈ પંથ હશે

વ્યક્તિ હશે

વ્યક્તિમાં પ્રકૃતિ હશે

પ્રકૃતિમાં

પાંદ હશે ડાળ હશે ઝાડ હશે

જ્યાં જુઓ ત્યાં ગમતું-ગમતું હશે

જીવન ક્યાંય ન કોઈને નડતું હશે

એક દિવસ.

લડ,

અંદર રાખી એક દિવસ.

e.mail : umlomjs@gmail.com

Loading

વાલને વખાણવા જેવા નથી ને ચણાને ચાખવા જેવા નથી ..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 May 2023

રવીન્દ્ર પારેખ

એવું જ છે – વાલને વખાણવા જેવા નથી ને … જો કે, ચણા હવે છોલે થયા છે ને વાલની ઘણાંને ખબર ન હોય એમ બને. મુદ્દો એ છે કે બેમાંથી કોઈ એક સારું હોય તો આશ્વાસન રહે, પણ બંને જ નામુકર જાય તો કહેવાનું થાય કે વાલને વખાણવા જેવો નથી ને ચણાને ચાખવા જેવો … આ વાત કેન્દ્ર સરકાર અને વિપક્ષ સંદર્ભે યાદ આવી.

વાત એવી છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન આવતી 28મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે થવા જઇ રહ્યું છે, ત્યારે ટેવ મુજબ વિપક્ષોએ હોબાળો એવો કર્યો છે કે દેશના વડા રાષ્ટ્રપતિ છે તો ભવનનું ઉદ્ઘાટન તેમને હસ્તે થવું જોઈએ. હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આદિવાસી મહિલા છે (એ પણ કમાલ છે કે રાષ્ટ્રના વડા મહિલા હોય ત્યારે તેને માટે યોગ્ય શબ્દ હજી આપણે શોધી શક્યા નથી ને મહિલાને પણ ‘રાષ્ટ્રપતિ’ તરીકે જ સંબોધીએ છીએ) ને વિપક્ષો એ હઠ લઈને બેઠાં છે કે ઉદ્ઘાટન તેમને હાથે જ થાય. શિવસેના(ઓદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે તો સ્પષ્ટ કહ્યું છે કે પોતાનું નામ તકતી પર ઉદ્ઘાટક તરીકે નોંધાય એટલે વડા પ્રધાન ઉદ્ઘાટન પોતાને હાથે થાય એવો આગ્રહ રાખી રહ્યા છે. આવી ઐતિહાસિક્તાનો મોહ વડા પ્રધાનને છે કે કેમ તે ખબર નથી, પણ વડા પ્રધાને પોતે સામે ચાલીને આ તક ઝડપી છે એ સાચું નથી. હકીકત એ છે કે સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનું વિધિવત આમંત્રણ લોક સભાના હાલના સ્પીકર ઓમ બિરલાએ આપ્યું છે એટલે વડા પ્રધાને રાષ્ટ્રપતિનો હક માર્યો છે એવું કહી શકાશે નહીં. ખરેખર તો 18 મે ને રોજ લોક સભા સચિવાલય તરફથી બહાર પડેલાં નિવેદનમાં કહેવાયું છે કે વડા પ્રધાન આત્મનિર્ભર ભારતના પ્રતીક તરીકે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. એનું આશ્ચર્ય જ છે કે રાષ્ટ્રપતિને ઉદ્ઘાટક તરીકે તો ઠીક પણ, સમારંભમાં ઉપસ્થિત રહેવાનું પણ આમંત્રણ નથી. વિપક્ષોને એમાં રાષ્ટ્રપતિનું અપમાન દેખાયું છે. એવો કોઈ ઇરાદો સરકારનો હોય તો તે બરાબર નથી. શક્ય હોય તો શાસકોએ રાષ્ટ્રપતિને આમંત્રણ આપીને ભૂલ સુધારી લેવી જોઈએ.

શાસકો ભૂલ સુધારે કે ન સુધારે, પણ વિપક્ષો રાષ્ટ્રપતિને આગળ કરીને પોતાનો રોટલો તો શેકી જ રહ્યા છે. લાગે છે એવું કે 140 કરોડનો મસમોટો તવો દેશમાં ચડાવી રખાયો છે ને લાગ મળે છે તો શાસકો પોતાનો રોટલો શેકી લે છે ને એ ખાલી પડે છે તો વિપક્ષો પોતાનો રોટલો શેકાવા નાખે છે. એ તો શેકાય ત્યારે શેકાય, પણ 140 કરોડનો તવો તો શેકાઈ શેકાઈને કોલસો થવા લાગ્યો છે તેનું ભાન કોઈને પડતું નથી એ દુ:ખદ છે. અત્યારે તો આખો દેશ શાસક અને વિપક્ષની અંગત પ્રવૃત્તિઓ પર જ નિર્ભર છે. એક તરફ વિપક્ષોને તોડી તોડીને શાસક પક્ષ પોતાનું કદ વધારવામાં પ્રવૃત્ત છે, તો વિપક્ષો ભેગા થઈને ય કોઈ સ્વસ્થ પ્રતિકાર કરી શકતા નથી તે પણ હકીકત છે. કર્ણાટકની હાર અને રાહુલ ગાંધીની યાત્રાથી ભા.જ.પ. ચિંતામાં છે જ, તો લો કસભાની ચૂંટણીમાં વિપક્ષો કૈં ઉકાળી શકવાના નથી તેવી શેખી પણ તે મારે છે, પણ નાનો તો ય રાઈનો દાણો એ વાત વિપક્ષો સંદર્ભે ભા.જ.પે. ધ્યાને લેવાની રહે જ છે. તે ધ્યાનમાં લે પણ છે, એટલે જ સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષને ફેર વિચારણા કરીને ઉદ્ઘાટનમાં જોડાવાનો અનુરોધ કર્યો છે.

ખરું તો એ છે કે ફેર વિચારણા સરકારે પણ કરવા જેવી છે, પણ એ તો કરે ત્યારે ખરી ! એટલું છે કે વિપક્ષો ન જોડાય તો પણ ઉદ્ઘાટન થશે ને રંગેચંગે થશે એમાં શંકા નથી. હા, 39માંથી કાઁગ્રેસ, તૃણમૂલ કાઁગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના (ઉદ્ધવ જૂથ), સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, સી.પી.આઇ., જે.ડી.યુ. જેવા 20 જેટલા વિપક્ષોએ જાહેર કર્યું છે કે તે ઉદ્ઘાટનનો બહિષ્કાર કરશે. વિપક્ષનું માનવું છે કે રાષ્ટ્રપતિને બદલે વડા પ્રધાન દ્વારા ઉદ્ઘાટનનો આગ્રહ લોકશાહી પર સીધો હુમલો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી છે, જેમાં રાષ્ટ્રપતિને સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો નિર્દેશ આપવામાં આવે એવી દાદ માંગવામાં આવી છે. અરજીકર્તાનું કહેવું છે કે લોક સભા સચિવાલયે રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન માટે આમંત્રણ ન આપીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે.

વિપક્ષોને બીજો વાંધો 28મી તારીખનો પણ છે. એ અકસ્માત હોય કે કાવતરું, તે સરકાર જાણે, પણ 28 મે, વીર સાવરકરની જન્મતારીખ છે. વિપક્ષોને લાગે છે કે 28મીએ નવાં સંસદ ભવનનું ઉદ્ઘાટન કરીને ભા.જ.પ. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાવરકરની હિન્દુવાદી વિચારધારાને દેશ પર થોપવા માંગે છે. સાવરકરને અમર કરવાનો આ પ્રયત્ન વિપક્ષોને મંજૂર ન હોય તે સમજી શકાય એવું છે. ભા.જ.પે. સાવરકરને મુદ્દે તો કોઈ ફોડ પાડ્યો નથી, પણ વિપક્ષો એની તુલનામાં ક્યાં ય ટકે એમ નથી એવી શેખી તો મારી જ છે.

ચારેક વિપક્ષોએ પોતાની સ્થિતિ હજી સ્પષ્ટ કરી નથી, તો બીજી તરફ ભા.જ.પ. સહિત શિવસેના (શિંદે જૂથ), શિરોમણિ અકાલી દળ, તેલુગુ દેશમ પાર્ટી, એ.આઈ.એ.ડી.એમ.કે., બસપા જેવા 17 પક્ષોએ સરકારનું આમંત્રણ સ્વીકાર્યું છે. એક તબક્કે એમ લાગતું હતું કે ઉદ્ઘાટનનો કાર્યક્રમ ભા.જ.પ.નો કે તેને સમર્થન આપતા પક્ષોનો જ કાર્યક્રમ બની રહેશે, પણ હવે અન્ય પક્ષો પણ તેમાં જોડાય એમ લાગે છે. એ ખરું કે ભવનના ઉદ્ઘાટનને મામલે બંધારણના નિષ્ણાતોનો મત જુદો પડે છે. તેમનું કહેવું છે કે આ ઉદ્ઘાટન બંને ગૃહોના સ્પીકર ઓમ બિરલા ને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કરવું જોઈએ. એવું પણ થાય એમ લાગતું નથી. મત કોઈ પણ પડે, પણ ઉદ્ઘાટન વડા પ્રધાન જ કરશે એ નિશ્ચિત છે.

કાઁગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી અને પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તો માને જ છે કે ઉદ્ઘાટનની વિધિ રાષ્ટ્રપતિને હસ્તે જ સંપન્ન થવી જોઈએ. આ વાત કરતી વખતે કાઁગ્રેસ એ વાત સિફતથી ભૂલી જાય છે કે ઓગસ્ટ 1975માં સંસદ એનેક્સી બિલ્ડિંગનું બાંધકામ પૂરું થયું ત્યારે તેનું ઉદ્ઘાટન તે વખતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ કર્યું હતું, એ ઉપરાંત સંસદ લાઇબ્રેરી 1987માં બની ત્યારે તેનું ઉદ્ઘાટન તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ કર્યું હતું. તો, કયે મોઢે કાઁગ્રેસ કહે છે કે ઉદ્ઘાટન વડા પ્રધાને ન કરતાં રાષ્ટ્રપતિએ જ કરવું જોઈએ? જોવાની ખૂબી એ છે કે કાઁગ્રેસ વિરોધ ને બચાવ એક સાથે કરે છે. બચાવ એ રીતે કે તે વખતના કાઁગ્રેસી વડા પ્રધાનોએ કરેલાં ઉદ્ઘાટનો તો નાનાં યુનિટનાં હતાં, તો સવાલ એ થાય કે એ યુનિટો એટલાં જ નાનાં હતાં તો બબ્બે વડા પ્રધાનો ઉદ્ઘાટનની લાલચ રોકી કેમ ન શક્યા? જો એવી નાની તક તેઓ જતી ન કરી શક્યા હોય તો વર્તમાન વડા પ્રધાન નવાં સંસદ ભવનનું ઉદ્ઘાટન કરે તેમાં બંધારણનો ભંગ થાય છે કે રાષ્ટ્રપતિના અધિકારનું ઉલ્લંઘન થાય છે – જેવું ડહાપણ ડહોળવાની કાઁગ્રેસે જરૂર ખરી? બીજી તરફ ભા.જ.પ. પણ દલીલ કરે છે કે એ વડા પ્રધાનોએ ઉદ્ઘાટનો કર્યાં તો હાલનાં વડા પ્રધાન ઉદ્ઘાટન કેમ ન કરે? આવી વાતો પણ છોકરમતથી વધારે કૈં નથી. પક્ષ કે વિપક્ષ, બંને, ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ આપે-ની જેમ જ વર્તે છે. વિપક્ષ છે તો વિરોધ જ કરવો ને શાસક છે તો વિપક્ષને લેખામાં ન જ લેવો એ ન્યાયે આખો કારભાર ચાલે છે.

ઉદ્ઘાટન તો નિમિત્ત છે, પણ પક્ષ કે વિપક્ષ કેવળ સત્તામાં રહેવા કે આવવા જે કરવું પડે એ સિવાયનો બીજો કોઈ હેતુ ધરાવતા નથી. આટલા વિપક્ષો છતાં, એટલી ક્ષમતા બધા મળીને પણ દાખવી શક્યા નથી કે શાસક પક્ષે ચેતીને ચાલવું પડે. કેમ એ સ્થિતિ ઊભી નથી થતી? તે એટલે કે નાના સ્વાર્થો જ એટલા છે કે દેશ હિતનો વિચાર કરીને કોઈ પણ સમસ્યાને વ્યાપક સંદર્ભે જોવાની દૃષ્ટિ જ વિપક્ષો પાસે નથી. એને કારણે દરેક વિપક્ષ પોતાની સત્તાનું જ વિચારે છે. સત્તા વગરનો બીજો વિચાર જ એની પાસે નથી. આ સ્થિતિ હોય ત્યાં વિપક્ષી એકતાની કલ્પના જ કેવી રીતે થાય? સબળ વિપક્ષ જ સત્તા પર આવતો હોય છે ને નબળો વિપક્ષ તો વિપક્ષમાં બેસવાની લાયકાત પણ સમય જતાં ગુમાવે છે. એની સામે સત્તાધારી પક્ષ જે રીતે વર્તે છે તે પણ શરમજનક છે. તેને ખબર છે કે દરેક પક્ષમાં થોડા કરોડથી પક્ષ છોડીને ખેંચાઈ આવનારા સ્વમાન વગરના લાલચુઓ છે જ. તે રૂપિયા ફેંકીને સામેનો પક્ષ તોડે છે ને પોતાનો પક્ષ મજબૂત કરે છે. જેમને લાગે કે પોતાની ડિપોઝિટ પણ પાછી આવે એમ નથી એ પક્ષ છોડીને સત્તાધારી પક્ષમાં પદ કે પૈસાની લાલચે દોડે છે ને સત્તાના પાયા મજબૂત કરે છે. ભા.જ.પ.નું જયાં શાસન નથી ત્યાં ફૂટ પડાવીને સત્તા હાંસલ કરવાના પ્રયત્નો થાય છે. જ્યાં એ શક્ય નથી ત્યાં સુપ્રીમ કોર્ટના હુકમની ઉપરવટ જઈને, વટહુકમ લાદીને પોતાનો કક્કો ખરો કરવાનો પ્રયત્ન પણ થાય છે. દિલ્હીમાં કેન્દ્ર સરકાર ભા.જ.પ.ની હોય ને રાજ્ય સરકાર ‘આપ’ની હોય એનો આઘાત લાગે જ, પણ એ વ્યક્ત કરવાની રીતોમાં ક્યાં ય કોઈ સિદ્ધાંત, કોઈ નીતિ, કોઈ આદર્શ જણાતાં નથી. જો કે, સિદ્ધાંત કે આદર્શ તો વિપક્ષમાં પણ ક્યાં જોવા મળે છે? એટલે જ કહેવાનું થાય કે વાલને વખાણવા જેવા નથી ને ચણાને ચાખવા જેવા …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 મે 2023

Loading

...102030...995996997998...1,0101,0201,030...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved