Opinion Magazine
Number of visits: 9458061
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતની મોટી સમસ્યા લોકસભામાં પ્રતિનિધિત્વની છે.

રમેશ ઓઝા|Opinion - Opinion|11 June 2023

રમેશ ઓઝા

આ કોલમમાં મેં લખ્યું હતું એમ જો દર્શન અને મૂલ્યોના બનેલા સાચા ધર્મને પ્રેમ કરશો તો વિવેક આપોઆપ જાગૃત થઈ જશે અને ઝનૂન ઓગળી જશે. જો લોકોના બનેલા દેશને પ્રેમ કરનારા સાચા દેશપ્રેમી બનશો તો બુદ્ધિ આપોઆપ ઠેકાણે આવી જશે અને પ્રશ્નોની જટિલતા સમજાવા લાગશે.

જેમ કે દેશનાં ત્રણ સમૃદ્ધ રાજ્યો દેશનાં ત્રણ ગરીબ રાજ્યો કરતાં ત્રણ ગણી વધુ મહેસૂલ કમાઈને આપે છે, પણ તેમને કેન્દ્ર દ્વારા પૈસાની જે ફાળવણી થાય છે એ ૧૯૭૧ના વસ્તી ગણતરીના આંકડાને આધારે થાય છે, જેમાં ઓછું રળીને આપનારાં રાજ્યો વધુ મોટો હિસ્સો લઈ જાય છે અને વધુ રળીને આપનારાં રાજ્યોને ઓછો હિસ્સો મળે છે. વળી ગરીબ રાજ્યોના લોકો રોજગારી મેળવવા સમૃદ્ધ રાજ્યોમાં ઠલવાય છે. તેઓ મહેમાન રાજ્યમાં સ્થાનિક નાગરિકના ભોગે પોતાની જગ્યા બનાવે છે અને પોતાનાં રાજ્યમાં વધારે મોટો હિસ્સો ધરાવે છે. આને અન્યાય કહેવાય કે યોગદાન? ક્યારે ય વિચાર કર્યો છે?

દેશમાં જે પ્રમાણમાં શહેરીકરણ થઈ રહ્યું છે એ જોતાં નાગરિકનું પ્રતિનિધિત્વ વસ્તીના આધારે કરવું જોઈએ કે પ્રદેશના? જેમ કે ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ મહારાષ્ટ્રની કુલ વસ્તી ૧૧ કરોડ છે જેમાંથી ૨ કરોડ ૩૫ લાખ લોકો મુંબઈ શહેરી પ્રદેશમાં (મુંબઈ, થાણે, પાલઘર, નવી મુંબઈ)  રહે છે. મહારાષ્ટ્રની કુલ વસ્તીના વીસ ટકા. બીજી બાજુ મહારાષ્ટ્ર ૩,૦૭,૭૧૩ ચોરસ કિલોમીટર ભૂમિ ધરાવે છે જેમાં મુંબઈ શહેરી પ્રદેશનો હિસ્સો માત્ર ૬,૩૨૮ ચોરસ કિલોમીટર છે. કુલ ભૂમિના બે ટકા. હવે જો મહારાષ્ટ્રની બે ટકા ભૂમિમાં ૨૦ ટકા પ્રજા વસતી હોય તો કોને મહત્ત્વ આપવું? ભૂમિને કે પ્રજાની સંખ્યાને? વળી મહારાષ્ટ્રની બે ટકા ભૂમિમાં જે વીસ ટકા પ્રજા વસે છે એમાંથી અડધોઅડધ પ્રજા બિન મરાઠી છે. મહારાષ્ટ્રમાં શહેરીકરણનું પ્રમાણ અત્યારે ૪૫ ટકા છે જે વધવાનું છે, ઘટવાનું નથી. બીજું જે વાત મહારાષ્ટ્ર અને મુંબઈને લાગુ પડે છે એ દેશનાં તમામ પહેલી અને બીજી હરોળના શહેરોને લાગુ પડે છે. તો બોલો બંધુ, દેશપ્રેમી, પ્રતિનિધિત્વ વસ્તીના આધારે હોવું જોઈએ કે ભૂમિના?

લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીમાં કેટલીક બેઠકો હરિજનો અને આદિવાસીઓ માટે અનામત રાખવામાં આવે છે. તેમને પણ લોકપ્રતિનિધિગૃહમાં પ્રતિનિધિત્વ મળે એ એની પાછળનો ઉદ્દેશ છે. પણ હવે વધતાં શહેરીકરણનાં કારણે હરિજનો અને આદિવાસીઓ શહેરોમાં સ્થળાંતરિત થવા લાગ્યા છે. શરૂ શરૂમાં વિકસતાં શહેરોમાં હરિજન વિસ્તાર ઓળખી શકાતા હતા અને શહેરોમાં હરિજનો માટેની બેઠકો અનામત રાખી શકાતી હતી. પણ હવે શહેરીકરણનાં વર્તમાન સ્વરૂપમાં હિંદુ મુસ્લિમના ધાર્મિક ભેદને છોડીને જાતિ આધારિત મહોલ્લા નથી રચાતા. આવનારા બે-ત્રણ દાયકામાં જ્યારે ૮૦ ટકા પ્રજા શહેરોમાં વસતી હશે અને શહેરો પચરંગી હશે ત્યારે હરિજનો અને આદિવાસીઓ માટે શહેરોમાં અનમાત બેઠકોને કેવી રીતે ઓળખી કાઢવી? બીજી બાજુ તેમના વતનમાં તેમની વસ્તી પાંખી થઈ ચૂકી હશે તો ત્યાંની બેઠકને અનામત રાખવાનો શો અર્થ? પણ તો પછી સામાજિક ન્યાયનું શું?

દક્ષિણનાં રાજ્યો પ્રગતિશીલ છે. તેઓ બાકીનાં ભારત કરતાં વધુ શિક્ષિત છે. અતીતની જગ્યાએ ભવિષ્ય વિષે વધારે વિચારે છે. વસ્તીનું નિયંત્રણ કરે છે. દક્ષિણનાં રાજ્યોમાં આરોગ્યની સગવડ પ્રમાણમાં ઉત્તમ કક્ષાની છે અને પ્રજા આરોગ્ય અને બીજી બાબતે જાગૃત છે. આનાં બે પરિણામ આવે. એક તો જ્યાં વસ્તી નિયંત્રણ ઓછું છે એ ઉત્તર ભારતની તુલનામાં દક્ષિણ ભારતની વસ્તી ઘટતી જાય, દેશમાં તેનું પ્રમાણ ઘટતું જાય અને બીજું ઉત્તમ આરોગ્યસેવા અને જાગૃતિનાં કારણે આયુષ્યરેખા લંબાય જેને પરિણામે નહીં કમાનારા વૃદ્ધોની સંખ્યા દક્ષિણ ભારતમાં વધે. આની શરૂઆત થઈ ચૂકી છે. આનાં લાંબા ગાળાનાં પરિણામો વિષે વિચારો. ઉત્તર ભારતમાં કમાનારાઓની સંખ્યા વધુ અને દક્ષિણ ભારતમાં નિવૃત્તોની સંખ્યા વધુ. કમાવાની ઉંમરના ઉત્તર ભારતના યુવાનો કમાવાની જગ્યાએ ત્રિશૂળધારી બનીને ગાય-ગોબરમાં રચ્યાપચ્યા રહે તો? ગાય-ગોબરમાં રત આર્યાવર્ત દ્રવિડ ભારત ઉપર સાંસ્કૃતિક આક્રમણ કરે તો? જે પ્રદેશ વિકસિત છે એ દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતના યુવાનો અને પરિવારો મોટા પ્રમાણમાં સ્થળાંતર કરવા લાગે તો? શું થાય દક્ષિણ ભારતનું?

ભારત સંસદીય લોકતંત્ર ધરાવે છે અને લોકસભામાં કુલ બેઠકોનું પ્રમાણ નિશ્ચિત છે. કાર્નેગી એન્ડાઉમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ નામની વિશ્વપ્રસિદ્ધ સંસ્થા માટે જેમી હિન્સ્ટન અને મિલન વૈષ્ણવે તૈયાર કરેલા અભ્યાસ મુજબ ભારતની મોટી સમસ્યા લોકસભામાં પ્રતિનિધિત્વની છે. ભારત જો ૨૦૩૧ની વસ્તીના આધારે લોકસભાની બેઠકો નક્કી કરે તો ભારતની લોકસભા ૮૪૮ સભ્યોની બનવી જોઈએ. પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ છે કે એ સ્થિતિમાં લોકસભામાં ઉત્તર પ્રદેશના એકલાના ૧૪૩ સભ્યો હોય અને દક્ષિણનાં પાંચ રાજ્યો અને પોંડીચેરી મળીને ૧૬૫ સભ્યો હોય. લોકસભામાં દક્ષિણ ભારતની હાજરી વીસ ટકા કરતાં પણ ઓછી થઈ જાય. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના મળીને ૩૭૪ સભ્યો હોય.

ધર્મસંકટ અહીં છે. લોકસભામાં પ્રજાના પ્રતિનિધિત્વને અંકુશમાં (૫૪૩ બેઠકો) રાખવામાં આવી રહ્યું છે એ પ્રજા સાથે (ખાસ કરીને ઉત્તર ભારતની પ્રજા સાથે) અન્યાય છે અને લોકતંત્રની ખામી છે. બીજી બાજુ જો વસ્તી મુજબ રાજ્યોને લોકસભાની બેઠક ફાળવવામાં આવે તો દેશનાં પ્રગતિશીલ રાજ્યોને અન્યાય થાય. એ રાજ્યો રાજકીય અને સાંસ્કૃતિક રીતે સાવ કચડાઈ જાય. હાંસિયામાં ધકેલાઈ જાય. આજે બી.જે.પી.ને મુસલમાનોના મત વિના જેમ ચાલે છે અને સત્તા મેળવવામાં કોઈ બાધા નથી આવતી એમ આવતીકાલે દક્ષિણ ભારતના મત વિના પણ ચાલી શકે. આવી સ્થિતિ દેશહિતમાં હશે?

તો કરવું શું? ૧૯૭૬થી ભારત સરકાર આ વિષે નિર્ણય લેવાનું ટાળે છે અને ૨૫ વરસ માટે તેને ભવિષ્યમાં ધકેલી દે છે. હવે ૨૦૨૬માં ભારત સરકારે લોકસભાની બેઠકો વિષે નિર્ણય લેવાનો છે. જો ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સરકાર અત્યાર જેટલી બહુમતી સાથે પાછી આવશે તો દક્ષિણનાં રાજ્યોને ભય છે કે તે લોકસભામાં બેઠકોની સંખ્યા વધારી દેશે અને દક્ષિણ ભારતને હાંસિયામાં ધકેલી દેશે. તામિલનાડુના મુખ્ય પ્રધાન સ્તાલીને તો આવો ભય વ્યક્ત પણ કર્યો છે.

અહીં પ્રચંડ વિવિધતા ધરાવતી જીવતી પ્રજાના જીવતા દેશના પ્રશ્નોનું આચમન માત્ર કરાવ્યું છે. આવા પાંચસો પ્રશ્નો છે. જી હાં, પાંચસો. અતિશયોક્તિ નથી. એને સમજવાનો પ્રયાસ કરશો તો સાચા અને ધબકતા દેશનો પરિચય થશે. દેશપ્રેમી તરીકેની જવાબદારીનું ભાન થશે અને તોર ઉતરી જશે. ખોટનો સોદો નથી જ નથી.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 11 જૂન 2023

Loading

૨૦૨૪ની લોકસભા ચૂંટણી જીતવા માટે ભા.જ.પા.ના મુખ્ય પત્તાઃ ધર્મ, જાતિ, વિકાસ અને શક્તિપ્રદર્શન

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|11 June 2023

‘અબ કી બાર ૪૦૦ પાર’ – વાળા નારાને સાચો પાડવા માટે ભા.જ.પા.ને જીતેલી બેઠકો ઉપરાંત કૂલ ૯૮ બેઠકો પર જીત મેળવવાની છે અને એ માટે ભા.જ.પા.માં અત્યારે ટોચથી લઇને તળિયા સુધીના બધા જ પ્રકારના સભ્યો કામે ચઢી ગયા છે

ચિરંતના ભટ્ટ

આવતા વર્ષે માર્ચ મહિનાની આસપાસ ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હશે. ભા.જ.પા.એ 2024ની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. 2019ની ચૂંટણીમાં ભા.જ.પા.એ લોકસભાની 303 બેઠકો જીતી હતી અને ત્યારે ભા.જ.પા.ના જ એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે 2024માં તેઓ આ કરતાં વધુ બેઠકો જીતશે. 2024ની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીએ ઘણાં બધા પ્લાન એક્શનમાં મૂકી દીધા છે. કેટલાક તો પૂરા પણ થયા છે. અમુક યોજનાઓ દેખીતી છે તો અમુક ગ્રાઉન્ડ લેવલનું કામ છે.

જેમ કે સંસદભવનની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવું તો 2024 સુધીમાં અયોધ્યામાં રામ મંદિર પૂરું કરવાનું એલાન પણ થઇ ચુક્યું છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના રાજસ્થાન સેક્શનનું ઉદ્ઘાટન પણ ફેબ્રુઆરીમાં કરાયું જેને કારણે દેશના બે મુખ્ય શહેરો વચ્ચેનો ડ્રાઇવિંગ ટાઇમ માત્ર ૧૨ કલાક થઇ ગયો છે. આ એક્સપ્રેસ વે પાંચ મોટા રાજ્યો – દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રને જોડનારો છે. ૧,૪૦૦ કિલોમિટર લાંબા આ એક્સપ્રેસવેને લોકસભા ચૂંટણીના રાજકારણ સાથે સીધી લેવા-દેવા છે એવું કહેવાઇ ચૂક્યું છે. વળી બીજી માળખાકીય સુવિધાની વાત કરીએ તો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પણ શરૂ થઇ અને બીજી ટ્રેન્સને વંદે ભારત ટ્રેનમાં ફેરવવામાં આવશેની ચર્ચા તો છે જ. વળી વડા પ્રધાને ડિજીટલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું તો દેશના પહેલા વૉટર મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને પણ લીલી ઝંડી આપી. આ તમામ પ્રોજેક્ટ્સ લાંબા સમયથી ચાલી રહ્યા હતા અને અમુક હજી પણ ચાલી રહ્યા છે પણ તેનો છેલ્લો તબક્કો ૨૦૨૪ની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેની સાથે જ જાણે આવી રહ્યો છે. ભા.જ.પા.ને તો પૂરો વિશ્વાસ છે કે તેઓ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં જીતી જ જશે પણ છતાં ય તેઓ કોઇ કસર છોડવા નથી માગતા. માળખાકીય સુવિધાઓ પર જ્યારે કામ થાય ત્યારે સત્તા પક્ષને એક કાંકરે બે પક્ષી મારવાનો મોકો મળે – એક તો માળખાકીય સુવિધાઓ દેખીતો વિકાસ છે અને જે તે રાજ્યમાં આ વિકાસ થાય ત્યાં જો ભા.જ.પા.ની સરકાર ન હોય તો મતદાર વિકાસના મુદ્દાને ધ્યાનમાં આપીને જ મતદાન કરે.

વ્યૂહાત્મક રીતે પણ ભા.જ.પા. સજ્જ છે અને ૨૦૨૨થી જ ‘ગ્રાઉન્ડવર્ક’ શરૂ કરી દેવાયું છે. રાષ્ટ્રવ્યાપી પ્રચાર અભિયાન ચાલુ થઇ ચૂક્યા છે જેમાં વિસ્તૃત સરવેથી માંડીને નાનામાં નાના સ્તરે જાતિ, જ્ઞાતિ આધારિત કામગીરી ચાલુ કરી દેવાઇ છે. જે ૧૬૦ બેઠકો પહેલાના જનરલ ઇલેક્શનમાં ન જીતી શક્યા તેનો બુથ આધારિત ડેટા એકઠો કરી તેનું વિશ્લેષણ કરવાની કામગીરી ગયા વર્ષે મે મહિનાથી જ ચાલુ થઇ ગઇ છે. ત્યાં મતદારોએ જે ઉમેદવારને જીતાડ્યા એમાં તેમને શું ગમ્યું પ્રકારના પ્રશ્નોથી મતદારોની માનસિકતાનો તાગ મેળવવાની જહેમત કરાઇ. એક અહેવાલ અનુસાર ૪૦ હજાર જેટલા બુથ કામદારોએ ૧ લાખ જેટલા બૂથ જે ૫૪૩  લોકસભાની બેઠકોમાં આવેલા છે ત્યાંના મતદારો પાસેથી આ પ્રતિક્રિયાઓ મેળવી છે.  ભા.જ.પા.ના લઘુમતિ મોરચાએ ‘મોદી મિત્ર’ આઉટરીચ પ્રોગ્રામ પર કામ શરૂ કરી તે ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ચાલુ રાખવાનું નક્કી કર્યું હોવાનું પી.ટી.આઇ.ના એક અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું. આ બધું ઓછું હોય તેમ ભવ્ય રેલીઓ કાઢવી એ ભા.જ.પા.ની ચૂંટણી માટેની વ્યૂહ રચનાનો એક બહુ મોટો હિસ્સો છે. જે ૧૬૦ બેઠકોમાં ભા.જ.પા.એ હાર મેળવી હતી ત્યાં બધે જ વડા પ્રધાન હાજર રહી શકે તે રીતે રેલીઓ કાઢવામાં આવશે અને જાહેર સભાઓના આયોજનો કરાશે – આ માટે આ બેઠકોને અલગ અલગ જૂથમાં વહેંચવામાં આવી છે અને દરેક જૂથમાં ૪ બેઠકો આવરી લેવાશે.  આ રેલીઓના આયોજન એ રીતે થશે કે પહેલાં ભા.જ.પા. પ્રમુખ જે.પી. નડ્ડા રેલીઓમાં જશે તો પછીથી અમિત શાહ પણ રેલીઓનું આયોજન કરશે અને વડા પ્રધાન મોદીની હાજરીનો માસ્ટરસ્ટ્રોક તો ખરો જ. નરેન્દ્ર મોદી તો બાકીની ૩૮૩ બેઠકો માટેના પ્રચારમાં પણ ભાગ લેશે. વળી જે પક્ષના પ્રમુખ જેવા જે માળખા બનાવાયા હતા તે જ રીતે મહિલા મોરચા, કિસાન મોરચા પણ કામે લાગશે. મહિલા મોરચા ‘કમલ દૂત’ નામે કાર્યક્રમ કરી પંચાયત સાથે સંપર્ક સાધી મોદી સરકારે જાહેર કરેલી વિવિધ યોજનાઓના લાભ અંગે પ્રચાર કરવા મંડી પડ્યા છે. ‘અબ કી બાર ૪૦૦ પાર’ – વાળા નારાને સાચો પાડવા માટે ભા.જ.પા.ને પોતાની નિયત બેઠકો ઉપરાંત બીજી કૂલ ૯૮ બેઠકો પર જીત મેળવવાની છે અને એ માટે ભા.જ.પા.માં અત્યારે ટોચથી લઇને તળિયા સુધીના બધા જ પ્રકારના સભ્યો કામે ચઢી ગયા છે. ૨૦૨૪ની ચૂંટણીમાં જીત નિશ્ચિત રહે તે માટે વડા પ્રધાન મોદીની ટીમમાં જે.પી. નડ્ડા, અમિત શાહ સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય વ્યવસ્થા મંત્રી બી.એલ. સંતોષ અને યુ.પી.ના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથનો સમાવેશ કરાયો છે.

એવું નથી કે માત્ર બધું જોરદાર આયોજન અને વ્યવસ્થા શક્તિથી કરવાથી ભા.જ.પા.ને જે જોઇએ છે તે મેળવી શકાશે અને આ હકીકતથી પક્ષ અજાણ નથી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હોય કે વિદેશ પ્રવાસ હોય તે તમામમાંથી કંઇક શોધી કાઢીને તેની લીટી નાની કરવામાં પણ ભા.જ.પા. કંઇ જ બાકી નહીં રાખે એ તો નક્કી છે. કાઁગ્રેસ ચૂંટણીને મામલે વ્યૂહરચના ઘડી કાઢવામાં સફળ નથી એ પણ એક વાસ્તવિક્તા છે અને એક પક્ષ તરીકે કાઁગ્રેસની દૃષ્ટિ જાતને લઇને ગુંચવાયેલી છે – આ સંજોગોમાં ભા.જ.પા.ને માટે પણ ઘણી બાબતો સરળ થઇ જાય છે. પ્રાદેશિક વિવિધતાનો લાભ ખાટી લેતા હવે ભા.જ.પા.ને બરાબર આવડી ગયું છે. વળી સંજોગો એવા છે કે જ્યાં ભા.જ.પા.ની પકડ નથી એવા રાજ્યો જેમ કે આંધ્ર પ્રદેશ, કેરળ, ઓરિસ્સા, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં જીતવું હશે તો કાઁગ્રેસને આ રાજ્યોની પ્રાદેશિક પાર્ટીઓની મદદ જોઈશે જ. કાઁગ્રેસે જરૂર છે એવી તરકીબ કરવાની જેથી તે ભા.જ.પા. સામે મજબૂત રાષ્ટ્રીય વિરોધ પક્ષ ખડો કરી શકે જેનાથી એ તમામ રાજ્યોમાં કાઁગ્રેસને ચૂંટણીલક્ષી ડિવિડન્ડ મળે જ્યાં ભા.જ.પા.ની પકડ મજબૂત છે. કાઁગ્રેસે પોતાના પડકારોને મૂળિયાંથી સમજીને તેની પર કામ કરવું જરૂરી છે.

બાય ધી વેઃ

એક સત્ય એ પણ છે કે જ્યાં શિક્ષણનું પ્રમાણ સારું છે ત્યાં ધ્રુવીકરણની રાજનીતિ ચાલે એમ નથી. જેમ કે કેરળ. નરેન્દ્ર મોદીએ કેરળમાં પારંપરિક પરિધાન પહેરીને રોડ શો કર્યા, માળખાકીય પ્રોજેક્ટ લૉન્ચ કર્યા એ એક વ્યૂહાત્મક ફેરફાર છે. અહીં હિંદુત્વનું કાર્ડ રમવાનું ભા.જ.પા.એ ટાળ્યું કારણ કે કેરળમાં તે પહેલાં પણ નથી ચાલ્યું. બલકે અહીં ભા.જ.પા. પહેલાં ખ્રિસ્તીઓને આકર્ષવા માગે છે પછી તેમનું બીજું લક્ષ્ય છે યુવાનોને આકર્ષવા અને ત્રીજો રસ્તો છે માળખાકીય વિકાસનું બરાબર બ્રાન્ડિંગ કરવું. આમ જોવા જઇએ ભા.જ.પા. મોટાભાગની બેઠકોમાં પોતાના પગ જમાવવા માટે ધર્મ, યુવા અને વિકાસ વાળી ત્રિરાશિ માંડે છે  – વળી જરૂર પડે ત્યાં દલિત કાર્ડ રમવું, ભ્રષ્ટાચારનો મુદ્દો ઉપાડવો જેવી સોગઠી રમતાં પણ ભા.જ.પા.ને આવડે છે. ભા.જ.પા.ની વ્યૂહરચના સજ્જડ છે પછી તે મૂર્ત બાબતોની હોય કે અમૂર્ત બાબતોની, જોવાનું એ છે કે મતદારોના મન કળવામાં શું ભા.જ.પા.ને તેનો વધુ પડતો આત્મવિશ્વાસ આડે આવે છે કે પછી ‘અબ કી બાર ૪૦૦ પાર’ વાળો ભા.જ.પા.નો દાવો સાચો પડે છે?

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 જૂન 2023

Loading

વિરોધ પક્ષો વચ્ચે એકતા સંભવ છે ખરી?

રમેશ ઓઝા|Opinion - Opinion|11 June 2023

રમેશ ઓઝા

“વિરોધ પક્ષો વચ્ચે એકતા થશે ખરી? વિરોધ પક્ષો વચ્ચે એકતા થવી જોઈએ. વિરોધ પક્ષોના નેતાઓએ પોતાનાં સ્વાર્થ બાજુએ રાખીને વ્યાપક દેશહિત માટે થોડું જતું કરવું જોઈએ. શું તેમને એટલું પણ નહીં સમજાતું હોય કે અત્યારે દેશ તેનું લોકતંત્ર અને તેની કલ્પનાનું ભારત ગુમાવી રહ્યો છે?” વગેરે વગેરે વગેરે. એક પ્રકારની અકળામણ સાથે કેટલાક લોકો આવા પ્રશ્નો પૂછી રહ્યા છે. આવા પ્રશ્નો ત્યારે પણ પૂછાતા હતા જ્યારે દેશમાં કાઁગ્રેસની શાસકીય ઈજારાશાહી હતી અને અતિરેકો થવા માંડ્યા હતા. ત્યારે પણ લોકતાંત્રિક માનમર્યાદાની ચિંતા કરનારાઓ અકળાતા હતા.

સામાન્ય સમજ એવી છે કે ચૂંટણી એટલે મતોનું ગણિતશાસ્ત્ર. જો કૂલ પડેલા મતોમાંથી ૩૮ ટકા મત બી.જે.પી.ને મળતા હોય તો તેનો અર્થ એ થયો કે ૬૨ ટકા મતદાતાઓ બી.જે.પી.નો વિરોધ કરે છે. પણ જો વિરોધ પક્ષો સાથે મળીને બી.જે.પી. સામે એક જ ઉમેદવાર ઊભો રાખે તો એ ૬૨ ટકા મત એ ઉમેદવારને મળી શકે અને એ રીતે સહેજે બી.જે.પી.ને હરાવી શકાય.

પણ એવું બનતું નથી. એમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો તેને બહુ સફળતા મળી નથી. ૧૯૭૧ની સાલમાં વિરોધ પક્ષોએ મહાજોડાણ કર્યું હતું અને તેને સરિયામ નિષ્ફળતા મળી હતી. ડૉ રામ મનોહર લોહિયાએ ગેર કાઁગ્રેસવાદની થિસીસ વિકસાવીને ગેર કાઁગ્રેસી પક્ષો વચ્ચે ચૂંટણીકીય સમજૂતી પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો જેને મર્યાદિત સફળતા મળી હતી. સત્તામાં આવ્યા પછી એકતા ટકી પણ નહોતી અને તેણે ફાયદા કરતાં નુકસાન વધારે પહોંચાડ્યું હતું. જે હિંદુ કોમવાદી પક્ષને નજીક પણ આવવા દેવામાં નહોતો આવતો, જેનું સ્થાન ભારતીય રાજકારણમાં હાંસિયામાં હતું એ ભારતીય જનસંઘને નજીક આવવા દેવામાં આવ્યો, બાથમાં લેવામાં આવ્યો અને પ્રતિષ્ઠા આપવામાં આવી. આજે હવે એમ લાગે છે કે એણે લોકતંત્રને વધારે મોટું નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. ફાસીવાદીઓના સહારે લોકતંત્ર બચાવવા નીકળેલા કેટલા લોકશાહીવાદી છે એવો સવાલ ઇન્દિરા ગાંધીએ ત્યારે ઉઠાવેલો અને તેમના એ સવાલનો જવાબ ત્યારે કોઈએ આપ્યો નહોતો.

પહેલી વાત તો એ કે શા માટે આટલા બધા રાજકીય પક્ષો સ્થાપાયા છે? નાની નાની દુકાનો ખોલીને, લોકસભામાં બે-પાંચ સીટ અને વિધાનસભામાં દસ-વીસ સીટ મેળવીને સત્તા માટે કે પૈસા કમાવા માટે આમ કરવામાં આવે છે એવી જે માન્યતા છે એ સંપૂર્ણ સાચી નથી. તેની સ્થાપના થઈ ત્યારનું એ સત્ય નહોતું. મૂળમાં કેટલાક રાજકીય પક્ષોની સ્થાપના જે તે સમાજવિશેષના હિત માટે અને જે તે ભાષાઓની તેમ જ પ્રદેશોની અસ્મિતાઓના રક્ષણ માટે થઈ હતી. અંગત સ્વાર્થ માટે નહોતી થઈ. તેઓ બંધારણમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલ ભારતની કલ્પનાના વિરોધી નહોતા, તેઓ માત્ર એટલું કહેતા હતા કે બંધારણમાં અધોરેખિત કરવામાં આવેલું ભારત ત્યારે જ સાકાર થશે જ્યારે અમને પણ સાંભળવામાં આવશે અને અમને પણ એ ભારતમાં સ્થાન આપવામાં આવશે.

બીજું ભારતમાં રાજકારણ કરવું અને લોકપ્રતિનિધિગૃહમાં પ્રવેશ મેળવવો એ દુકાન ચલાવવા જેવું સરળ કામ નથી. ભારતમાં રાજકારણ ચોવીસ કલાકની પ્રવૃત્તિ છે. ખૂબ મહેનત કરવી પડે છે, પ્રવાસ કરવો પડે છે, પરસેવો પાડવો પડે છે, કાર્યકર્તાઓને સાચવવા પડે છે, ચિડાયા વિના કે મોઢું બગાડ્યા વિના લોકોને સાંભળવા પડે છે, અડધી રાતે લોકોની વચ્ચે જવું પડે છે. ટૂંકમાં ભારતમાં રાજકારણી અંગત સમય અને અંગત જીવન ધરાવતો નથી. જે કોઈ રાજકીય પક્ષોએ જગ્યા બનાવી છે તો તે સ્થાપનાના સમયે તેમ જ પ્રારંભનાં વર્ષોમાં તેના નેતાઓની વિચારનિષ્ઠા અને મહેનતનું પરિણામ છે. એ વાત જૂદી છે કે સમય જતા તેઓ ભટકી પડ્યા, સમાધાનો કરવા માંડ્યા, ભ્રષ્ટ થયા અને પરિવારવાદ પ્રવેશ્યો. સત્તા અને સ્વાર્થ માટે વિભાજનો થયાં અને આપણી નજરમાંથી ઊતરી ગયા.

ડૉ રામમનોહર લોહિયાએ જ્યારે ગેર કાઁગ્રેસવાદની થિસીસ વિકસાવી ત્યારે તેમણે એવા રાજકીય નેતાઓને અને પક્ષોને એકઠા કર્યા હતા જેઓ બંધારણ કલ્પિત ભારતમાં પ્રવેશ મેળવવાની મનશા ધરાવતા હતા અને એ માટે આંદોલિત હતા. ટૂંકમાં હિન્દુત્વવાદી અને સામ્યવાદીઓને છોડીને બાકીના તમામ રાજકીય પક્ષો એકંદરે એક જ ગોત્રનાં પક્ષો હતા. એ ગોત્ર હતું બંધારણ કલ્પિત ભારત જેનું સિંચન વેદોથી લઈને વિનોબા સુધીના લોકોએ કર્યું છે. હમણાં કહ્યું એમ હિન્દુત્વવાદીઓને બંધારણ કલ્પિત ભારત સ્વીકાર્ય નહોતું, પરંતુ તેઓ લોકશાહીનિષ્ઠાનો સ્વાંગ સજીને લોહિયા(અને પછી જયપ્રકાશ નારાયણ)ના રાવણામાં જોડાઈ ગયા હતા અને એ રીતે પ્રતિષ્ઠા મેળવી હતી.

સંઘપરિવાર અને ભારતીય જનતા પક્ષની કલ્પનાનું ભારત સામેના છેડાનું છે. ૧૮૦ ડિગ્રી સામેના છેડાનું. તે સંપૂર્ણપણે આયાતી છે અને આપણી માટીમાં તેને ઉછેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેનો મુકાબલો કરવો હશે (અને ભારતનાં અસ્તિત્વ માટે એ અનિવાર્ય છે) તો મતોના ગણિત દ્વારા નહીં થાય. વીતેલાં વર્ષોનું કાઁગ્રેસ વિરોધી રાજકારણ બંધારણ કલ્પિત ભારતમાં સ્થાન મેળવવા માટેનું હતું અને અત્યારનું ભા.જ.પ. વિરોધી રાજકારણ બંધારણ કલ્પિત ભારતને બચાવી લેવા માટેનું છે. ગેર કાઁગ્રેસવાદમાં પણ મતોનું ગણિતશાસ્ત્ર ખાસ સફળ નહોતું નીવડ્યું તો અત્યારે તો આપણી કલ્પનાના ભારતનાં અસ્તિત્વની જ લડાઈ છે. મોટી લડાઈ છે જે માત્ર વિપક્ષી એકતા દ્વારા જીતી શકાય એમ નથી.

બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર વિપક્ષી એકતા માટે પ્રયાસ કરી રહ્યા છે. સમાજવાદીઓની આ ફિતરત છે. તેઓ બી.જે.પી.ને ખોળામાં બેસાડે, બી.જે.પી.ના ખોળામાં બેસે અને પાછા વિપક્ષી એકતા માટે પ્રયાસ પણ કરે. ડૉ રામમનોહર લોહિયાએ ૧૯૫૦ના દાયકામાં પક્ષ-બાંધણી કેમ કરાય અને લોકોની વચ્ચે કેમ જવાય અને રહેવાય એ વિષે જે માર્ગદર્શન આપ્યું હતું તેનું અનુસરણ તેમણે પોતે કર્યું હોત તો આજે દેશનો ઇતિહાસ જૂદો હોત. તેમણે એક પછી એક પરાજય પછી ધીરજ ગુમાવી દીધી હતી અને વિપક્ષી એકતાને નામે સમાધાનો કરવા માંડ્યા હતા અને એમાં એટલે સુધી હતાશ થઈ ગયા કે વિપરીત કૂળને પણ સ્થાન આપ્યું.

ભા.જ.પ.ની કલ્પનાના ભારતનું ગોત્ર અલગ છે. એનો મુકાબલો અતિ પ્રચલિત, અનેક વાર અજમાવાયેલ અને ભાગ્યે જ સફળ નીવડેલ વિપક્ષી એકતા દ્વારા શક્ય નથી. એનો મુકાબલો કેમ કરાય એનું રહસ્ય રાહુલ ગાંધીને જડી ગયું છે. એ શું છે એની વધુ ચર્ચા આવતા અઠવાડિયે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 જૂન 2023

Loading

...102030...977978979980...9901,0001,010...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved