Opinion Magazine
Number of visits: 9457984
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત અને યુ.એસ.એ.ની દોસ્તીના સમીકરણો એટલે ‘ફ્રેન્ડઝ વિથ બેનિફિટ્સ’

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|18 June 2023

વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય સંજોગોમાં ભારત એક ચાવીરૂપ રાષ્ટ્ર છે અને માટે જ યુ.એસ.એ.ને ભારત સાથે સારાસારી રાખવામાં રસ છે, જો કે કેન્દ્ર સરકાર પણ પૂરી રીતે મહાસત્તા અમેરિકાના પ્રભાવમાં આવ્યા વિના પોતાના લાભ-ગેરલાભની ત્રિરાશી માંડી આગળ વધે છે

ચિરંતના ભટ્ટ

આ મહિને 21થી 24 તારીખ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુનાઇટેડ સ્ટેટ્સના ઐતિહાસિક પ્રવાસે જવાના છે. આ પહેલાં પણ ભારતીય વડા પ્રધાનોએ યુ.એસ.એ.નો પ્રવાસ કર્યો છે પણ આ વખતની મુલાકાત બન્ને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષી વ્યાપારને માટે સીમાચિહ્ન બનશે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે પછીની આ પહેલી અધિકૃત સ્ટેટ વિઝિટ છે. વ્હાઇટ હાઉસે પણ આ મુલાકાતને બે રાષ્ટ્રો વચ્ચેની ગાઢ અને નિકટની ભાગીદારીની પુનઃખાતરી કરાવનારી મુલાકાત ગણાવી છે. વડા પ્રધાનને ત્યાં ૨૧ તોપોની સલામી અપાશે તો વ્હાઇટ હાઉસમાં ઑફિશ્યલ ડિનર પણ હશે વળી યુ.એન.માં યોગ દિવસની ઉજવણી, ચર્ચા, પ્રેસ સ્ટેટમેન્ટ્સ, યુ.એસ.એ. કાઁગ્રેસમાં સહિયારી બેઠક વગેરે ઉપરાંત અમેરિકન સી.ઇ.ઓ. અને બિઝનેસ લીડર્સ સાથેની બેઠક વગેરે વડા પ્રધાનના કાર્યક્રમનો હિસ્સો છે.

આમ તો આ મુલાકાતના મુખ્ય એજન્ડાઓની ખૂલીને ચર્ચા થઇ નથી પણ ચીનની ઇન્ડો-પેસિફિક વ્યૂહરચના, આધુનિક ડિફેન્સ ટૅક્નોલોજીનું શૅરિંગ અને GE-414 ટર્બોફેન જેટ એન્જિન્સના ઉત્પાદન ચર્ચાના મુખ્ય મુદ્દા હશે તેવી અપેક્ષા છે. વળી યુ.એસ.એ. ડિફેન્સ મેજર જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ, ઇન્ક. પાસેથી ભારત ૩૦ MQ-9B ડ્રોન્સ હસ્તગત કરે તેવી ચર્ચા પણ ચાલી છે. મૂળ તો ડિફેન્સ, ક્લીન એનર્જી, હેલ્થકેર, ટૅક્નોલોજી જેવા મુદ્દાઓ આ સ્ટેટ વિઝિટ દરમિયાન થનારી ચર્ચાઓના મુખ્ય મુદ્દા હશે. આ પહેલાં યુ.એસ.એ. સ્ટેટ વિઝિટ પર જનારા ભારતીય વડા પ્રધાનોમાં જવાહરલાલ નેહરુ, રાજીવ ગાંધી, પી.વી. નરસિંહા રાવ, અટલ બિહારી વાજપાઇ, મનમોહન સિંઘનો સમાવેશ થાય છે. વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ 1949માં વિદેશ નીતિના કેન્દ્રમાં વિશ્વ શાંતિ રાખી હતી તો મનમોહન સિંઘે ૨૦૦૫માં વિદેશનીતિની ચર્ચા દરમિયાન એમ કહ્યું હતું કે ભારત ક્યારે ય પણ સંવેદનશીલ ટેક્નોલૉજીના પ્રસારનું કારણ નહીં બને. જો કે આ બન્ને પરિસ્થિતિઓ પછી ઘણું બદલાયું. આખરે જ્યારે યુ.એસ.એ.એ પાકિસ્તાનની ચિંતા નેવે મૂકીને ભારતને ન્યુક્લિયર ક્લબમાં ઉમેર્યો અને તેના પરિણામે 2009માં મનમોહન સિંઘની યુ.એસ.એ. સ્ટેટ વિઝિટ થઇ.

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે પછી આ તેમની પહેલી સ્ટેટ વિઝિટ છે જે ભારત અને યુ.એસ.એ. વચ્ચે બહેતર બની રહેલા સંબંધોનો સ્પષ્ટ સંકેત છે. વળી નરેન્દ્ર મોદી એક માત્ર એવા વડા પ્રધાન છે જે યુ.એસ.એ. કાઁગ્રેસમાં બીજીવાર સંયુક્ત બેઠક સંબોધશે.

ઉપર જણાવેલી બાબતો સીધી સાદી હકીકતો છે એમાં ભારોભાર રાજકારણ હોવા છતાં ય કશું દેખીતું નથી. વાસ્તવિકતા એ છે કે યુ.એસ.એ. માટે ભારત એક અગત્યનો દેશ છે જેની સાથે સારા-સારી રાખવાથી તે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં જે શત્રુ રાષ્ટ્રો પર આધાર રાખવો પડે છે તેના સંકજામાંથી છૂટી શકે. જીઓપોલિટિક્સ –ભૌગોલિક રાજકીય સ્થિતિ કારણે યુ.એસ.એ. અને ભારતના સંબંધોમાં સૌથી મોટો ભાગ ભજવે છે. યુ.એસ.એ. અને ચીન વચ્ચેનું ટેન્શન ઘટી નથી રહ્યું અને રશિયાએ યુક્રેન પર કરેલું આક્રમણ આંતરરાષ્ટ્રીય વેપારની વ્યવસ્થાને ખોરવી ચૂક્યું છે. ચીની ઉત્પાદનો પર અમેરિકાની નિર્ભરતા અને રશિયાએ છેડેલા યુદ્ધને કારણે ખાદ્ય અને ઊર્જાના ભાવ જે રીતે આસામાને પહોંચ્યા છે તેમાં વૈશ્વિક આર્થિક વ્યવસ્થાને કોઇ નવો આકાર આપવા માટે યુ.એસ.એ. પણ મજબૂર થયો છે. યુ.એસ.એ., ચીન અને રશિયા વચ્ચેની ભૌગોલિક રાજકીય ખેંચતાણમાં ભારત પણ સપડાઇ જાય તે સ્વાભાવિક છે. જો બાઇડેનના વહીવટી તંત્રએ એક શબ્દ પ્રયોગ કર્યો છે, ‘ફ્રેન્ડ-શોરિંગ’ અને યુ.એસ.એ. બહુ સ્પષ્ટ છે કે તે ભારતને પોતાના આર્થિક સહયોગી રાષ્ટ્રોની કક્ષામાં જ રાખવા માગે છે.

મૈત્રી તો બે સરખા સ્તરના હોય તેમની વચ્ચે જ હોય – આ એક એવું વિધાન છે જે કૃષ્ણ-સુદામા સિવાય બધાંને લાગુ પડે છે. અમેરિકા એક સ્વાર્થી રાષ્ટ્ર છે અને ‘લાલો લાભ વગર લોટે નહીં’ વાળી કહેવત તેને બંધ બેસે છે. યુ.એસ.એ. અને ભારત ‘ફ્રેન્ડ્ઝ વિથ બેનિફિટ્સ’ છે. આ પહેલાં યુ.એસ.એ ક્યારે ય પણ લેવડ-દેવડ વાળા સત્તા સંતુલિત વહેવારમાં ભાગ નથી લીધો; વળી રાજીવ ગાંધી જ્યારે યુ.એસ સ્ટેટ વિઝિટ પર ગયા ત્યારથી માંડીને આજ સુધી ભારતીય વડા પ્રધાનોની આ બધી મુલાકાતોને પગલે ભારતને જે ઉચ્ચ સ્તરની અને ડ્યુઅલ-યૂઝ થઇ શકે તેવી ટેક્નોલોજી મેળવવી હતી, તે હેતુ તો હજી પણ પાર નથી પડ્યો. બીજી બાજુ યુ.એસ. 1985માં ભારતને સોવિયેત કેમ્પથી દૂર રાખવા માગતો હોત, યુ.એસ.એસ.આરના વિઘટન પછી ભારતનું કદ, પહોંચ, ભૌગોલિક ક્ષમતા વગેરેને પણ ગણતરીમાં લઇ 1991માં યુ.એસ.એ ભારતને સુરક્ષાને મામલે સહયોગ આપવા પ્રસ્તાવ મૂક્યો હતો તો 1998-2008 દરમિયાન ભારતે જ્યારે પરમાણુ પરિક્ષણો કર્યા અને આખરે  યુ.એસ.ને સંતોષ થાય તે પ્રમાણેની ન્યુક ડીલ પર હસ્તાક્ષર કર્યા ત્યારે પણ યુ.એસ.નો એક માત્ર એજન્ડા હતો કે તે ઇચ્છે એ પ્રમાણે અને એટલી જ પરમાણુ શક્તિ અન્ય રાષ્ટ્ર પાસે હોવી જોઇએ, પરમાણુ શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રોના પ્રસાર પર યુ.એસ.ને અમુક પ્રકારનું નિયંત્રણ જોઇતું હતું જે તેણે મેળવ્યું.

ભારત અને યુ.એસ વચ્ચેના દ્રિપક્ષીય સંપંધો પૂરેપૂરા યુ.એસ.ના સકંજામાં છે. ભારતે યુ.એસ સાથે ચાર સૈન્ય કરારો પર હસ્તાક્ષર કરીને એક રીતે પોતાની સુરક્ષા નીતિને યુ.એસ.ની ઇન્ડો-પેસિફિક નીતિની સાથે તાલ મેળવી દીધો છે. યુ.એસ.ની આ ઇન્ડો-પેસિફિક નીતિનો એક માત્ર એજન્ડા છે યુ.એસ.એ., તેના સાથીઓ અને તેની સાથે ભાગીદારી કરનાર લશ્કરી રાષ્ટ્ર એટલે કે ભારત ચીનના વિરોધમાં હોય. સાદી ભાષામાં ભારતે એક રીતે શત્રુ દેશો ચીન અને યુ.એસ. વચ્ચે બફર બનવાનું એટલે કે સંરક્ષણાત્મક વાડ બનવાનું સ્વીકારી લીધું છે.

આ આખા સમીકરણમાં રશિયા વાળું પણ ભારતે સાચવવાનું છે કારણ કે આપણે તેલના પુરવઠાને મામલે રશિયા પર આધારિત છીએ જે આપણને વાજબી ભાવે ત્યાંથી મળે છે. આપણે યુ.એસ. સાથે સંબંધો બહેતર થાય પણ રશિયા સાથે બગડે નહીં એ પણ જરૂરી છે. યુ.એસ. માટે આ જરા જુદું ગઠબંધન છે કારણ કે ભારત અને રશિયા વચ્ચે તો ડિપ્લોમેટિક સંબંધો હોવા છતાં યુ.એસ. ભારત સાથે સારાસારી રાખવા માંગે છે.  ભારત યુ.એસ. માટે થઇને રશિયા સાથે નહીં બગાડે કારણકે ચીન અને પાકિસ્તાન સાથેનેના તણાવને પગલે એ સબંધ સવાય એ પણ જરૂરી છે.

વળી ભારતની રેસ ચીન સાથે છે અને એ રેસમાં જીતવા માટે પશ્ચિમનો હાથ હશે તો સહેલું થઇ પડશે એ વાત કેન્દ્ર સરકાર સારી પેઠે જાણે છે. આપણી પાસે હજી એટલાં રિસોર્સિઝ નથી કે ગ્લોબલ સાઉથમાં આપણે એકલે હાથે ખડા રહી શકીએ, પશ્ચિમે ત્યાં સર્જેલા ખાલીપાનો બહુ ઓછો હિસ્સો આપણે ભરી શકીએ તેમ છીએ. ચીનને હંફાવવો એ ભારત અને યુ.એસ. બન્ને રાષ્ટ્રોની ભૌગોલિક-રાજકીય અગ્રિમતા છે. આપણા ભૌગોલિક રાજકીય સ્થાનને કારણે આપણે એક માત્ર એવું રાષ્ટ્ર છીએ જે વીસમી સદીમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણના સંઘર્ષોને જન્મ આપનારા વિભાજનોને તોડી શકે છે. 

બાય ધી વેઃ

યુ.એસ. અને ભારત વચ્ચેના સંબંધો સ્વાર્થના છે, દોસ્તીના દેખાડાને સાચો ન માની લેવો. ભારત પાસે અંગ્રેજી બોલી શકે એવી વસ્તી છે જે સર્વિસ ઇન્ડસ્ટ્રી માટે જરૂરી છે, ભારત યુ.એસ. માટે પ્રોડક્શન હબ બની શકવાની બધી ક્ષમતા ધરાવે છે. જો કે ભારતમાં સરકારી રેડ ટેપ, માળખાકીય સુવિધાઓની ખામીને હજી પહોંચી વળવું પડે કારણ કે આપણે ત્યાં હજી ચીનના સ્તરની ઉત્પાદન ક્ષમતા તો છે નહીં, વળી ભારતનું ઉપભોક્તા માર્કેટ પણ નાનું હોવાથી યુ.એસ.ની કંપનીઝને અહીં બહુ લાભ ન દેખાય તે સ્વાભાવિક છે. વળી ભારતીય કેન્દ્ર સરકાર પણ વોશિંગ્ટન પર વારી નથી જતી, એને પણ ખબર છે કે આ દોસ્તીમાંથી શું મેળવવાનું છે. યુ.એસ. માટે થઇને ભારતને રશિયા સાથે સંબંધ નથી બગાડ્યા પણ ટેક જાયન્ટ યુ.એસ. સાથે હાથ મેળવેલા હશે તો ઘર આંગણે વિકાસ કરવામાં સહેલું થઇ પડશે તે ભારતીય સરકાર સારી પેઠે જાણે છે. લટકામાં આ પણ જાણવું જરૂરી છે કે યુ.એસ.ના ઇન્ડો-પેસિફિક કમાન્ડે ભારતીય સૈન્યને ચીન સામેની તેમની વૈશ્વિક જીઓપોલિટીકલ સ્પર્ધામાં સામેલ કર્યું છે. આ બદલાયેલા સંજોગોમાં ભારત ચીન સાથે પ્રાદેશિક સ્તરે પણ હરીફાઇ કરવાની આશા રાખે છે કારણ કે કોઇ પણ દેશ ઉછીની લશ્કરી શક્તિ પર જીઓસ્ટ્રેટેજિક – ભૌગોલિક વ્યૂહાત્મક સત્તા ન બની શકે – ભારત ન તો લશ્કરી સાથી છે કે ન તો નોન-નાટો ભાગીદાર છે – આવામાં ભારત ધાર્યા કરતાં વધુ જોખમી ખેલમાં જોડાયો છે એ સમજી લેવું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 જૂન 2023

Loading

આ યુગ કોસ્મેટિક છે

રમેશ ઓઝા|Opinion - Opinion|18 June 2023

રમેશ ઓઝા

માણસનું કદ અને તેની ચરબી જોઇને આપણે માણસની શક્તિ વિષે ધારણા બાંધીએ છીએ. આપણે એ નથી જોતા કે તેનામાં જીગર કેટલી છે, ધીરજ કેટલી છે, વિવેક કરવાની ક્ષમતા કેટલી છે, સંયમ કેટલો છે અને મૂલ્યનિષ્ઠા કેટલી છે. સાચી તાકાત અહીં રહેલી છે. આવું જ રાષ્ટ્ર વિષે. જે તે દેશની તાકાત આર્થિક અને લશ્કરી માપદંડો દ્વારા માપવામાં આવે છે. જો આઠથી દસ ટકા જી.ડી.પી. અને પ્રચંડ લશ્કરી સામર્થ્ય હોય તો એ દેશને મહાસત્તા તરીકે અથવા અસ્તિત્વમાં આવી રહેલી મહાસત્તા તરીકે ઓળખવામાં આવે છે. આવી ઓળખનો કે આવી સંભવિત ઓળખનો આનંદ અનોખો હોય છે. મનોમન પોરસાતા રહીએ અને રાજી થતા રહીએ. આપણે બે દાયકાથી વિશ્વના તાકાતવાન દેશોના નગરનાં દરવાજે પોરસાતા ઊભા છીએ, પણ દરવાજો ખૂલતો નથી.

શા માટે? તાકાત ઓછી પડે છે? કે પછી કોઈ અંદરથી હડસેલી રહ્યું છે અને પ્રવેશવા દેતું નથી? કે પછી કોઈ બહારથી ખેંચી રહ્યું છે અને આગળ જવા દેતું નથી? શા માટે? આ બધાં કારણો તો હશે જ અને છે પણ, પરંતુ એનાથી વધારે નિર્ણાયક કારણો આપણાં પોતાનાં છે. અને આવું માત્ર ભારત સાથે નથી બની રહ્યું; બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા અને એના જેવા બીજા દેશો સાથે પણ બની રહ્યું છે જેને આર્થિક અને લશ્કરી દૃષ્ટિએ મધ્યમ સ્તરનાં તેમ જ બીજી હરોળના દેશો તરીકે ઓળખાવવામાં આવે છે. ચીનનો કિસ્સો અલગ છે. ચીને પ્રચંડ પ્રમાણમાં લશ્કરી અને આર્થિક તાકાત એકઠી કરી હોવા છતાં તે પણ કોઈક બાબતે પાછું પડે છે એ રીતે ચીન પણ દરવાજે જ ઊભું છે.

શા છે એ આંતરિક કારણો?

એ છે માનવીય વિકાસનાં માપદંડો. સામાજિક વિકાસનાં માપદંડો. સાચી ટકોરાબંધ સુખાકારીનાં માપદંડો. જેમ શરીરનું કદ અને ચરબી મહત્ત્વનાં નથી, અંદરની માયલાની તાકાત તેમ જ સંસ્કાર મહત્ત્વનાં છે; એમ જે તે રાષ્ટ્રોનાં જી.ડી.પી. અને લશ્કરી તાકાત મહત્ત્વનાં નથી, લોકોનો કેટલો અને કેવો વિકાસ થયો છે એ મહત્ત્વનું છે. પ્રત્યેક નાગરિકને મળવા જોઈતાં શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોજગારી, લોકોની ફરિયાદ સાંભળનારું અને તેનો ઈલાજ કરનારું જવાબદાર તેમ જ સંવેદનશીલ રાજ્યતંત્ર વગેરે મહત્ત્વનાં છે. આ માનવીય વિકાસનાં માપદંડો છે. અહીં આ બધા દેશો પાછા પડે છે. યુનોના ૨૦૨૨ની સાલના હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારત ૧૯૧ દેશોમાં ૧૩૨માં સ્થાને છે. દક્ષિણ આફ્રિકા ૧૦૯માં સ્થાને છે. બ્રાઝીલ ૮૭માં સ્થાને છે. ચીન ૭૯માં સ્થાને છે. આ બધા દેશો પોતાને ૨૧મી સદીના ટાઈગર સમજે છે, પણ પ્રજાકીય સુખાકારી અને ટકોરાબંધ માનવીય વિકાસમાં ઘણા પાછળ છે. ભારતીય ઉપખંડની વાત કરીએ તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને નેપાળને છોડીને બાકીના બધા જ દેશો ભારત કરતાં આગળ છે.

એક ઉદાહરણ જોઈએ. તાજા અહેવાલ મુજબ કોઈને કોઈ કારણસર શાળાકીય ભણતર અધવચ્ચેથી છોડી દેવાનું પ્રમાણ (સ્કૂલ ડ્રોપઆઉટ) ભારતમાં ૧૨.૬ ટકા છે. ડ્રોઆઉનાં ૫.૧ ટકાના જાગતિક પ્રમાણ કરતાં ઘણું વધારે. આમાં સાત રાજ્યો અગ્રેસર છે જેમાં ક્રમવાર બિહાર, પંજાબ, ગુજરાત (૨૦.૩ ટકા), આસામ, મેઘાલય, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. ગુજરાતમાં દર પાંચમું સંતાન પૂરું ભણતર પામી શકતું નથી.

એક વાત કહું? ભારત જેવા વિકાસશીલ દેશોનાં જી.ડી.પી.માં બેવડો વધારો થયો છે એનું કારણ વેપારમાં વધારો થયો છે એ નથી પણ જેનો વેપાર કરવામાં નહોતો આવતો અને જેનો વેપાર કરવો એને પાપ સમજવામાં આવતું હતું તેનો કરવામાં આવી રહેલો વેપાર છે. શિક્ષણ અને આરોગ્યનો વેપાર કરવામાં નહોતો આવતો. પ્રત્યેક નાગરિકને કિફાયત ભાવે તાર ટપાલ અને ટ્રાન્સપોર્ટ જેવી સેવા પૂરી પાડવી એને સરકાર પોતાની ફરજ સમજતી હતી જે હવે ખાનગીકરણ કરવામાં આવ્યું છે અને તેનો વેપાર કરાવામાં આવે છે. ટૂંકમાં સેવાને વેપારમાં ફેરવી નાખી એને કારણે જી.ડી.પી.માં ગ્રોથ દેખાય છે.

પણ આનું ઊંધું પરિણામ આવ્યું. માનવીનાં વિકાસમાં સરકારી રોકાણ ઘટી ગયું જેને કારણે ભારત જેવા દેશો હ્યુમન ડેલપમેન્ટ ઇન્ડેક્સમાં ઉપર ચડી શકતા નથી. હ્યુમન ડેલપમેન્ટ ઈન્ડેક્સ વિકસાવવામાં આવ્યો અને વિશ્વદેશોનું રેટિંગ શરૂ થયું ત્યારથી આજ સુધી ભારત ૧૩૦ની નીચે આવી શક્યું નથી. આજે ત્રીસ વર્ષ થવાં આવ્યાં ભારત હતું ત્યાંને ત્યાં જ છે. આનો અર્થ એ થયો કે ભારતનો માનવિય વિકાસ જૂનો કલ્યાણરાજના યુગનો છે અને ત્યાં જ અટકેલો છે. બીજી બાજુ ખાનગી સેક્ટર માનવીની મજબૂરીનો લાભ લે છે. શિક્ષણ અને આરોગ્ય એક એવી જરૂરિયાત છે જેમાં ટકી રહેવા માટે માણસ ખૂવારી વહોરી લેતો હોય છે. ગમે તે ભોગે આપણું સંતાન ભણે અને આગળ વધે અને ગમે તે ભોગે આપણું માણસ બીમારીમાંથી બહાર આવે. મા-બાપની ખુવારી પછી પણ દેશમાં સોમાંથી ૧૨ બાળકોને ભણવાનું પડતું મૂકવું પડે છે.

જેટલા દેશો પોતાને ૨૧મી સદીના ટાઈગર સમજે છે અને હવે પછીનો યુગ આપણો છે એવો દાવો કરે છે એ બધા જ દેશોની માનવીય વિકાસના મોરચે હાલત એક સરખી છે અને એમાં ભારત સૌથી પાછળ છે.

પણ આનો ઉપાય શો? આનો કાયમી ઉપાય બહુ અઘરો છે એટલે આવા બધા દેશોએ આસાન ઉપાય શોધી કાઢ્યો છે. લોકોની નજરે પડે, નેત્ર વિસ્ફારિત થઈ જાય, લોકોને ચકાચોંઘ કરી દે એવાં પ્રોજેક્ટ કે ઉપક્રમ હાથમાં લો. શ્રીમંત દેશોની બરાબરી કરી શકે એવા અત્યાધુનિક એરપોર્ટ, બુલેટ ટ્રેન, મહામાર્ગો, ટનેલ, સ્ટેડિયમ, સ્માર્ટ સીટીઝ વગેરે બાંધો અને લોકો અંજાઈ જાય એવા મેળાવડા કરો. જે ચીજ જોઇને તમે અમેરિકાની શ્રીમંતાઈથી અંજાઈ જાવ છો એ તમને ઘરઆંગણે લાવી આપીએ તો? એનો તમને ખપ નથી, એનો તમે ક્યારે ય ઉપયોગ કરવાના નથી કારણ કે એ તમારા ગજવાને પોસાય એમ નથી, પણ એ છતાં ય તમને એમ લાગે છે કે આપણે અમેરિકાની બરાબરી કરી રહ્યા છીએ.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 18 જૂન 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—201

દીપક મહેતા|Opinion - Opinion|17 June 2023

તારે રે દરબાર, ગોરી રાણી, તારે રે દરબાર

પૂતળાંઓની કથા અને વ્યથા   

સ્થળ : વિક્ટોરિયા ગાર્ડન / વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન  

સમય : હવે પછીના કોઈ પણ દિવસની સાંજ  

પાત્રો : મહારાણી વિક્ટોરિયા અને બીજા 

રાણી બાગમાં રાણી વિક્ટોરિયા 

મહારાણી : અરે! કોઈ છે કે! અમારા માથા પરનું છત્ર ક્યાં ગયું? અમારાથી હિન્દુસ્તાનની આ ગરમી સહન નથી થતી.

ઉદ્યાનનો ચોકીદાર : ખાલી પીલી બોમ્બાબોમ નકો. તમારા એ આરસના છત્તર તો કે દિના વેચાઈ ગયા. આજે તો એક મોટા શેઠ એની નીચે બિરાજે છે. 

મહારાણી : અરે, અમારા આ નાકને શું થયું? આટલું નાનું કેમ?

ચોકીદાર : શું થયા, તે નાક તો કપાઈ ગયા!

મહારાણી : એવી બેઅદબી કોણે કરી?

પટાવાળો : એ તો ખબર નથી પડ્યા. 

મહારાણી : (ચોંકીને) અરે! આ બે માથા વગરના બેઠા છે તે કોણ છે? અહીં શા માટે છે ?

એક : મહારાણી! હું છુ લોર્ડ કોર્નવોલિસ!

બીજો : અને હું લોર્ડ વેલેસ્લી.

મહારાણી : અરે! હિન્દુસ્તાન પર તાજનું રાજ સ્થપાયું તે પહેલાંની કંપની સરકારના આપ તો હાકેમો.

માથા વગરના મહારથી કોર્નવોલિસ અને વેલેસ્લી

લોર્ડ કોર્નવોલિસ : ૧૭૮૬થી ૧૭૯૩ સુધી હું હિન્દુસ્તાનનો ગવર્નર જનરલ હતો, રાણી સાહેબા!

લોર્ડ વેલેસ્લી : હા જી. અને ૧૭૯૮થી ૧૮૦૫ સુધી હું હિન્દુસ્તાનનો ગવર્નર જનરલ હતો. 

મહારાણી : અરે! પણ તમારી આવી દશા કઈ રીતે થઈ!

બંને : નામદાર! જે સવારે આપની નાસિકા ખંડિત થઈ એ જ સવારે કોઈ અજાણી વ્યક્તિએ અમારા ધડથી માથાને જૂદું કરી નાખ્યું. અને પછી અમારા માથાનો ક્યાં ય પત્તો જ લાગ્યો નહિ!

મહારાણી : પણ અહીં પધાર્યા એ પહેલાં આપ બંને ક્યાં હતા?

બંને : કોટન ગ્રીન. એ જમાનાનું મુંબઈનું કેન્દ્ર હતું કોટન ગ્રીન.

સર રિચર્ડ ટેમ્પલ : યોર હાઈનેસ! હું ૧૮૭૭થી ૧૮૮૦ સુધી મુંબઈનો ગવર્નર હતો. પૂરાં તેત્રીસ વરસ હિન્દુસ્તાનમાં રહીને મેં તાજની સેવા કરી. એના માનમાં મુંબઈમાં મારું પૂતળું મૂકવામાં આવ્યું. ઓવલ મેદાનના ઉત્તર છેડા નજીક એને ખૂબ ધામધૂમથી ખુલ્લું મૂકવામાં આવેલું. આજે હવે અહીં ખુલ્લામાં ધૂળ ખાઉં છું. 

બહાર પસાર થતા સ્ટ્રીટસિંગરનો અવાજ : કરમન કી ગત ન્યારી, ઉધો! કરમન કી ગત ન્યારી!

મહારાણી (બીજી તરફ નજર જતાં) : અરે! આ તો લોર્ડ સેન્ડહર્સ્ટ! ૧૮૯૫માં મુંબઈના ગવર્નર પદે અમે તેમની નિમણૂક કરેલી, અને ૧૯૦૦ સુધી અહીં રહેલા. આપ પણ ખંડિત થયા જણાવ છો!

ચોકીદાર : (ઊંઘમાંથી ઊઠ્યો હોય તેમ) આ નામ તો મેં સાંભળેલા ચે. મારા મામાના ઘર આવેલાં ચે એ રસ્તાના નામ સેન્ડહર્સ્ટ રોડ! આણી એક સ્ટેશનનું નામ પણ છે સેન્ડહર્સ્ટ રોડ, જેને ઘણા મશ્કરીમાં ‘સંડાસ રોડ’ કહે છે.

(પાંચ-છ મુલાકાતીઓ સાથે ગાઈડ પ્રવેશે છે) 

ગાઈડ : આ છે મુંબઈના ગવર્નર લોર્ડ સેન્ડહર્સ્ટનું પૂતળું. પહેલાં એસ્પ્લનેડ નામના એક મુખ્ય રસ્તા પર હતું. પછી અહીં આવ્યું, બીજાં પૂતળાંની જેમ. ૧૮૯૫માં ગવર્નર બન્યા ને બીજે જ વરસે, ૧૮૯૬માં, મુંબઈમાં પ્લેગની મહામારી ફેલાઈ! વીસથી ત્રીસ હજાર લોકો મુંબઈ છોડીને પોતાને ‘ગામ’ જતા રહ્યા હતા. યાદ છે? જ્યારે આપણા દેશમાં કોરોનાની મહામારી ફેલાઈ ત્યારે સરકારે આકરાં પગલાં લીધાં હતાં. એ પગલાં એપિડેમિક ડીઝીઝ એક્ટ નીચે લેવાયેલાં. આ કાયદો લોર્ડ સેન્ડહર્સ્ટના શાસનકાળ દરમ્યાન ૧૮૯૭માં પસાર થયો હતો. 

એક મુલાકાતી : કહે છે ને કે સંઘર્યો સાપ પણ કામ આવે, તે આનું નામ.

લોર્ડ હાર્ડિન્જનું પૂતળું : રાણી સાહેબા! હું છું લોર્ડ હાર્ડિન્જ. નામદાર પંચમ જ્યોર્જે મારી નિમણૂક હિન્દુસ્તાનના વાઈસરોય અને ગવર્નર જનરલ તરીકે કરેલી. ૧૯૧૦થી ૧૯૧૬ સુધી મેં એ જવાબદારી સંભાળેલી. હું હિન્દુસ્તાનમાં હતો એ દરમ્યાન કેટલીક મહત્ત્વની ઘટનાઓ બનેલી. ૧૯૧૧માં નામદાર પંચમ જ્યોર્જ હિન્દુસ્તાન પધારેલા અને દિલ્હી દરબાર ભરાયેલો. એ જ વરસે કલકત્તાને બદલે હિન્દુસ્તાનની રાજધાની બન્યું દિલ્હી. અહીંના લોકો જેમને મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે તે મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે હું વાઈસરોય અને ગવર્નર જનરલ હતો. તેમની આગેવાની નીચેના ‘રાષ્ટ્રવાદીઓ’ સાથે સારા સંબંધો રાખવામાં તાજના રાજનું હિત છે એમ મને લાગ્યું. પરિણામે પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ હિંદનો તેમ જ દેશી રાજાઓનો આપણને ટેકો મળ્યો. આપનું લશ્કર હિન્દુસ્તાનને બદલે રણભૂમિ પર તહેનાત કરવાનું શક્ય બન્યું. એટલું જ નહિ, ઘણાં દેશી રાજ્યોએ પોતાના સૈનિકોને લડવા મોકલ્યા. 

લોર્ડ વેલેસ્લી : પણ આપના ઉપર જીવલેણ હુમલો થયો હતો એમ સાંભળ્યું હતું.

લોર્ડ હાર્ડિન્જ પરનો હુમલો 

લોર્ડ હાર્ડિન્જ : હા, એ વાત સાચી. એ દિવસ હતો ૧૯૧૨ના ડિસેમ્બરની ૨૩મી તારીખનો. હિન્દુસ્તાનની રાજધાની દિલ્હી ખસેડ્યા પછી હું હાથી પર બેસીને વિધિવત્ નવી રાજધાનીમાં પ્રવેશ કરી રહ્યો હતો. અમારી સવારી ચાંદની ચોક પહોંચી એ જ વખતે રાસબિહારી બોઝ અને સચિન સન્યાલ નામના બે ઉગ્રવાદીઓએ મારા પર બોમથી હુમલો કરેલો. મારો એક વફાદાર નોકર માર્યો ગયો. મને પણ આખા શરીરે ઈજાઓ થઈ. પણ પરમકૃપાળુ પરમાત્માની દયાથી મારો જાન બચી ગયો. 

મહારાણી : તમારા પર હુમલો કરનારને શી સજા થઈ?

લોર્ડ હાર્ડિન્જ : અમે ઘણી મહેનત કરી, દસ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું. પણ એ પકડાયો નહિ. પછી ૧૯૧૫મા એ ભાગીને જાપાન ચાલ્યો ગયો.

લોર્ડ સેન્ડહર્સ્ટ : પણ આપના પૂતળાની અસલ જગ્યા કઈ?

લોર્ડ હાર્ડિન્જ : એપોલો બંદર, જેને ‘દેશીઓ’ પાલવા બંદર તરીકે ઓળખતા. દિલ્હી દરબાર માટે નામદાર પંચમ જ્યોર્જ પધાર્યા ત્યારે તેમણે પહેલવહેલો પગ આ એપોલો બંદર પર જ મૂકેલો. એ વખતે અમે પૂંઠાનો કામચલાઉ દરવાજો બનાવેલો. અને પછી એ જગ્યાએ ગેટ વે ઓફ ઇન્ડિયાનો ભવ્ય દરવાજો બંધાવ્યો. અને નસીબની બલિહારી તો જુઓ : આ જ દરવાજામાંથી પસાર થઈને બ્રિટિશ લશ્કરના છેલ્લા સૈનિકે હિન્દુસ્તાનનો કિનારો છોડ્યો!

મહારાણી : અને મોન્ટગ્યુ, આપ તો બ્રિટિશ સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી ઓફ સ્ટેટ હતા, અને આપનું સ્ટેચ્યુ મરીન લાઈન્સ પર હતું, ખરું ને?

મોન્ટગ્યુ : હા નામદાર. પ્રિન્સિપલ સેક્રેટરી ઓફ સ્ટેટ હતો હું, ૧૯૧૭થી ૧૯૨૨ સુધી. અને તે વખતના વાઈસરોય લોર્ડ ચેમ્સફર્ડ સાથે મળીને મેં હિન્દુસ્તાનના વહિવટમાં કેટલાક સુધારા સૂચવ્યા હતા. જે ઇતિહાસમાં મોન્ટગ્યુ-ચેમ્સફર્ડ સુધારા તરીકે ઓળખાય છે. પણ અમારે માથે બંને બાજુથી માછલાં ધોવાયાં. ઘણા બ્રિટિશરોને લાગ્યું કે અમે વધુ પડતી ઉદાર નીતિ અપનાવી છે. તો અમે સૂચવેલા સુધારાનો હિન્દુસ્તાનમાં વિરોધ થયો. મહાત્મા ગાંધીએ વિરોધ આંદોલન શરૂ કર્યું. અને મને કહેતાં શરમ આવે છે કે જલિયાં વાલા બાગની કરપીણ ઘટના પણ આ વિરોધ દરમ્યાન બની. હિન્દુસ્તાનના લોકોએ આજ સુધી એ માટે આપણને માફ કર્યા નથી.

(નેપથ્યમાંથી સામૂહિક) : માફ નથી કર્યા અને ક્યારે ય કરશું પણ નહિ.

મહારાણી : અરે! આપણે બધાં અહીં ભેગાં થયા છીએ, પણ સમ્રાટ પંચમ જ્યોર્જ કેમ દેખાતા નથી? શું તેમનું પૂતળું મુંબઈમાં મૂકવામાં નહોતું આવ્યું? 

(દૂર દૂરથી આવતો અવાજ) : સામ્રાજ્ઞી! હું અહીં છું.

મહારાણી : અહીં એટલે ક્યાં?

પંચમ જ્યોર્જ : અહીં એટલે એલ્ફિન્સ્ટન કોલેજની પાછળ આવેલા PWDના કંપાઉંડમાં. 

લોર્ડ સેન્ડહ ર્સ્ટ: આપ નામદાર ત્યાં કેમ છો?

પંચમ જ્યોર્જ : એની તો મને પણ ખબર નથી, ભાઈ. પણ જ્યારે આપ સૌનાં પૂતળાંને ઉખેડ્યાં ત્યારે મારું પૂતળું પણ ઉખેડાઈ ગયું. જે એપોલો બંદર પર ૧૯૧૧માં મેં પગ મૂકેલો એ એપોલો બંદરના ગેટ વે ઓફ ઇન્ડિયાની બરાબર સામે હતો હું. મને ઉપાડીને નાખ્યો આ ઉજ્જડ કંપાઉંડમાં. અને અહી હું એકલો નથી. મારી સાથે કિંગ એડવર્ડ આઠમાનું પૂતળું પણ છે. અને તમે બધાં તો ખુલ્લી હવામાં છો. રાણી બાગના મુલાકાતીઓમાંથી થોડા તમને જોવા-મળવા પણ આવે છે. પણ અમારી આજુબાજુ અને ઉપર પતરાં મઢી દીધાં છે. એટલે અમને નથી મળતાં હવા કે પ્રકાશ. હા એક બાજુના પતરામાં નાનું બાકોરું છે એમાંથી ક્યારેક વળી કોક અમને જુએ છે.

ગણપતરાવ મ્હાત્રે (ડગમગતી ચાલે પ્રવેશે છે) : આપ સૌ ગ્રેટ બ્રિટનના માંધાતાઓ અહીં એકઠાં થયાં છો, પણ આપને એક વાતની ખબર નહિ હોય.

મહારાણી : કઈ વાતની?

મ્હાત્રે : આપ સૌનું ઘડતર આપના દેશમાં થયું છે, કોઈ ને કોઈ બ્રિટિશ શિલ્પકારને હાથે થયું છે. પણ નામદાર પંચમ જ્યોર્જના પૂતળાનું ઘડતર નથી થયું આપના ગ્રેટ બ્રિટનમાં, કે નથી થયું કોઈ અંગ્રેજને હાથે.

લોર્ડ કોર્નવોલિસ : તો ક્યાં અને કોને હાથે થયું છે?

શિલ્પકાર ગણપતરાવ મ્હાત્રે

મ્હાત્રે : મારે હાથે, અહીં હિન્દુસ્તાનમાં, અહીં મુંબઈમાં. આપ સૌને મારો થોડો પરિચય આપું. મારો જન્મ ૧૮૭૯ના માર્ચની દસમીએ પૂનામાં. મારા વડીલ – એટલે કે ફાધર – મિલિટરી એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે. એમની બદલી પૂનાથી મુંબઈ થઈ અને અમારું કુટુંબ મુંબઈવાસી બન્યું. ગિરગામની મંગળ વાડીમાં અમારું ઘર. ત્યાં જ રહેતા જી.વી. ગોખલે ગણપતિની મૂર્તિઓ બનાવે. તેમની પાસેથી મૂર્તિકલા કાચીપાકી શીખ્યા પછી હું જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં જોડાયો. સર લોકવૂડ કિપલિંગ પાસેથી મૂર્તિકળા શીખ્યો. સાથોસાથ એમ.વી. ધુરંધર જેવા પ્રખ્યાત ચિત્રકાર પાસેથી ચિત્રકલા પણ શીખ્યો. વચમાં કેટલાક દિવસ ક્લાસમાંથી ગુટલી મારી નવવારી સાડી પહેરેલી યુવતીની પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ બનાવી, અને એને નામ આપ્યું To the temple. ત્યારે મારી ઉંમર સોળ વરસની. અમારા પ્રિન્સિપલ ગ્રીનવુડની નજરે ચડે એવી રીતે હોલના બારણા પાસે એને ગોઠવી. તેમની નજર પડતાં જ તેમણે મને બોલાવ્યો અને પૂછ્યું : ‘માત્ર સોળ વરસની ઉંમરે આવી સુંદર મૂર્તિ તેં બનાવી કઈ રીતે?’ અને તેમણે ૧,૨૦૦ રૂપિયામાં એ મૂર્તિ ખરીદી લીધી અને અમારી જે.જે. સ્કૂલ ઓફ આર્ટસના પ્રવેશદ્વાર આગળ ગોઠવી. પણ એવી બધી વાતોનો તો પાર નહિ આવે! નામદાર પંચમ જ્યોર્જનું આદમકદ અશ્વારોહી પૂતળું બનાવવાનું કામ મુંબઈ સરકારે મને સોંપ્યું ત્યારે મારી છાતી ગજ ગજ ફૂલી. પણ આજે તેની જે દુર્દશા થઇ છે તે જોઇને …

રાણી બાગનો પટાવાળો :  (હાથમાંનો દંડૂકો પછાડતાં) હવે મ્યુઝિયમ અને ગાર્ડન બંધ કરવાના ટાઈમ થયા છે. એટલે હવે બધાં ચૂપ થઈ જાવ. 

e.mail : deepakbmehta@gmail.com 
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 17 જૂન 2023

Loading

...102030...970971972973...9809901,000...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved