Opinion Magazine
Number of visits: 9742494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક યુવાન, એક વૃદ્ધ, એક જિંદગી

સોનલ પરીખ|Opinion - Opinion|16 October 2023

‘ટ્યુઝડેઝ વિથ મોરી : એન ઑલ્ડ મૅન, અ યંગ મૅન એન્ડ લાઈફ્સ ગ્રેટેસ્ટ લેસન્સ’ એક સફળ અને લોકપ્રિય પણ અંદરથી ખાલીપણું અને શૂન્યતા અનુભવતો યુવાન જ્યારે તેના વૃદ્ધ અને મરણોન્મુખ પ્રોફેસર પાસેથી જિંદગીનો અર્ક મેળવે છે …

શિક્ષકદિન નજીક છે, ત્યારે જો આપણા મનમાં સવાલ આવતો હોય કે એક શિક્ષક વિદ્યાર્થીને શું આપી શકે તો એક બહુ જાણીતું, ફરી ફરી વાંચવું ગમે એવું પુસ્તક ‘ટ્યુઝડેઝ વિથ મોરી : એન ઑલ્ડ મૅન, અ યંગ મૅન એન્ડ લાઈફ્સ ગ્રેટેસ્ટ લેસન્સ’ યાદ કરવું જોઈએ. વિદ્યાર્થી ફી ભરે અને શિક્ષક વિષય ભણાવી દે ત્યાં વાત પૂરી નથી થઈ જતી, ત્યાં કદાચ વાત શરૂ થાય છે. જૂનો સમય હોય કે અત્યારનો, આ દેશ હોય કે બીજો, શિક્ષક-વિદ્યાર્થી સંબંધના સુંદર પરિમાણો જગતે હંમેશાં જોયાં છે – આ પુસ્તક એની જ એક ભવ્ય ઝાંખી આપે છે.

‘ટ્યુઝડેઝ વિથ મોરી’ આમ તો સ્મરણયાત્રા જેવું છે. તેનો અનેક ભાષામાં તેનો અનુવાદ થયો છે. ટેલિફિલ્મ, નાટક અને ફીચર ફિલ્મો બની છે. નૉનફિક્શન કેટેગરીના આ નાનકડા બેસ્ટસેલરમાં જિંદગીનો અર્ક ભર્યો છે. તેમાં એક શિક્ષક, એક વિદ્યાર્થી અને જીવન-શિક્ષણની વાત છે.

યુવાન મિચ આલ્બમ સફળ છે. પૈસા, પ્રતિષ્ઠા બધું મળ્યું છે તો પણ કંઈક ખૂટે છે, અંદરનું ખાલીપણું ખૂંચે છે. એક દિવસ નાઈટલાઈન નામના ટી.વી. શોમાં મિચ જુએ છે પોતાના પ્રિય પ્રોફેસર મોરી શ્વાર્ટઝને. એ કાર્યક્રમમાં જીવલેણ એ.એલ.એસ. રોગથી ઘેરાયેલા પ્રોફેસર મોરીની મુલાકાત લેવાઈ રહી હતી. એમણે કહ્યું કે ‘મારી પાસે વખત ઓછો છે. મરતા પહેલા હું જે શીખ્યો એ જિજ્ઞાસુઓ સાથે વહેંચવાની ઈચ્છા છે. મારા ઘરના દરવાજા મેં ખોલી નાખ્યા છે.’

મિચની નજર સામેથી ચલચિત્રની પટ્ટીની જેમ આખો કૉલેજકાળ પસાર થઈ જાય છે. તેને યાદ આવે છે કે યુનિવર્સિટી કૉન્વૉકેશન વખતે પોતે પ્રોફેસરને ભેટીને ભીની આંખે સંપર્કમાં રહેવાનું વચન આપ્યું હતું. એ વાતને સોળ વરસ થઈ ગયા છે. થોડા સંકોચ સાથે એ પ્રોફેસરને મળવા જાય છે. તેઓ તેને ઉષ્માભર્યો આવકાર આપતાં ભેટે છે ત્યારે મિચને ખ્યાલ આવે છે કે રોગે તેમના શરીરને કેટલું પોલું કરી નાખ્યું છે. મિચની આંખો ભીની થતી જોઈને પ્રોફેસર કહે છે, ‘દુ:ખ થાય ત્યારે રડવામાં વાંધો નથી, પણ મારા રોગે મને પ્રેમ આપતાં અને પ્રેમ સ્વીકારતાં શીખવ્યું છે. બચેલી જિંદગીને હું એક પ્રોજેક્ટ તરીકે જોઉં છું. મારે એ શીખવું, શોધવું ને વર્ણવવું છે જેનાથી જિંદગી અને મૃત્યુ વચ્ચે એક પુલ બંધાય. મિચ, મારે તને ઘણું બધું કહેવું છે.’

બંને નક્કી કરે છે કે દર મંગળવારે મળવું.

અને શરૂ થાય છે અદ્દભુત લાઈફ લેસન્સ. પ્રોફેસરના અંતિમ વર્ગો, અઠવાડિયામાં એક વાર તેમના ઘરમાં, તેમના અભ્યાસખંડની બારી પાસે મૂકેલા ટેબલ પરથ શરૂ થાય છે. બારીમાંથી દેખાય છે ગુલાબી ફૂલોની વેલ. નીચે નાના છોડ ડોલે છે. કોઈ પુસ્તક નથી, કોઈ વિષય નથી અને મિચને મળતો જાય છે જિંદગીનો અર્થ, અનુભવમાંથી નીતરતો અર્ક.

મિચ આલ્બલ

પણ પ્રોફેસરની તકલીફ વધતી જાય છે. ધીરે ધીરે પથારીમાંથી ઊઠવું પણ મુશ્કેલ બની જાય છે. સ્થિતિની ગંભીરતા બંને સમજે છે, છતાં બંને હસતાં રહે છે, વાતો કરતાં રહે છે. મૈત્રી, પ્રેમ, લગ્ન, પરિવાર, વૃદ્ધત્વ, ક્ષમા, સફળતા, કારકિર્દી, સંસ્કૃતિ, ઈશ્વર, જિંદગી અને મૃત્યુ વિશે. મિચ પોતાનામાં સ્થિર થતો જાય છે અને પ્રોફેસરનો પ્રકાશ ઓલવાતો જાય છે.

ચૌદમા મંગળવારે ફેફસાં સાવ ખલાસ થયાં છે. પ્રોફેસર માંડ બોલે છે, ‘આજે વાત નહીં કરું. મને સારું નથી.’ મિચ તેમને પંપાળતો રહે છે. પછી કહે છે, ‘મને ગૂડબાય કહેતાં નથી આવડતું.’ ‘જો, હું બતાવું.’ કહી પ્રોફેસર મિચનો હાથ લઈને પોતાની છાતી પર મૂકે છે, ‘આઈ લવ યુ.’ તેમની આંખોમાંથી આંસુ વહી નીકળે છે. મિચ તેમને આશ્લેષમાં લે છે અને હથેળીથી તેમનો ભીનો ચહેરો લૂછે છે. પાતળી ઢીલી ચામડી નીચેનાં હાડકાંનો સ્પર્શ થતાં તેને કંઈ કંઈ થાય છે.

ત્યાર પછીના શનિવારે પ્રોફેસર શાંતિથી મૃત્યુ પામે છે. ‘હું એમને બચાવી ન શક્યો.’ મિચ લખે છે, ‘મને લાગતું કે હું તેમને મળવામાં બહુ મોડો પડ્યો, પણ તેઓ કહેતા રહ્યા કે જિંદગીમા ક્યારે ય મોડું નથી થતું. છેલ્લી પળ સુધી તેઓ જીવંત અને પરિવર્તનશીલ હતા.’ 

પણ મિચ ત્યાર પછી ખાલી નથી રહેતો. જીવનને જોવાની નવી દૃષ્ટિ એને પ્રાપ્ત થઈ છે. થોડા વખત પછી મિચનો ભાઈ જીવલેણ રોગથી ઘેરાય છે ને મિચ તેને મળવા સ્પેન જાય છે. ‘તેને ભેટીને મેં કહ્યું કે તને બીમારી આવી છે તે સ્થિતિને હું સન્માનથી સ્વીકારું છું ને તારી સાથે સંપર્કમાં રહેવા માગું છું. જેટલો પણ તું મારી જિંદગીમાં રહી શકે તેટલા સમયને પકડી રાખવા માગું છું. આઈ લવ યુ, માય બ્રધર. મોરીને ન મળ્યો હોત તો હું આ રીતે વર્તી શક્યો ન હોત.’ મિચે લખ્યું છે.

એક શિક્ષક વિદ્યાર્થીને અને વિદ્યાર્થી શિક્ષકને આ હદ સુધી આપી શકે. એકમેકમાં પ્રાણ પૂરી શકે. જિંદગીને માણતાં અને તેને ગરિમાથી છોડતાં પણ શીખવી શકે. જિંદગીની પળેપળને નવાં ઉત્સાહ અને સ્ફૂર્તિથી, માનવીય સંવેદનો અને જીવનમૂલ્યોથી ભરપૂર કરી શકે.

મોરી કહે છે, ‘જે કરવાની ક્ષમતા છે અને જે કરવાની ક્ષમતા નથી એ બંનેને સ્વીકારો.’ ‘જે વીતી ગયું છે તેનાથી ભાગવાનો કે તેને ભૂંસવાનો પ્રયત્ન ન કરો.’ ‘પોતાને અને અન્યને ક્ષમા આપો.’ ‘જિંદગીમાં કદી મોડું થતું નથી.’ ‘હૃદયપૂર્વક જેની પાસે વ્યક્ત થઈ શકાય તેવું કોઈક શોધી લો, કોઈને માટે કંઈક કરી છૂટો, પોતાની જાત સાથે સંપીને રહો અને માણસાઈ ન ભૂલો.’ ‘પ્રેમ હંમેશાં જીતે છે.’ ‘આપણે જે સંસ્કૃતિમાં જીવીએ છીએ તે માનવીને પોતાની નજરમાં હીણો સાબિત કરે છે. એવી સંસ્કૃતિનો ઈનકાર કરવાની તાકાત તમારામાં હોવી જોઈએ.’ ‘એક અક્કલ વગરની દોડમાં સામેલ થઈને આપણે એવું માનીએ છીએ કે આપણે જે કરીએ છીએ તે બહુ અગત્યનું છે. પણ આ ભ્રમ તૂટે તે પછી કશું બચતું નથી. જીવનને અર્થ આપવો હોય તો બીજાને પ્રેમ આપો અને જીવનમાં અર્થ ઉમેરે તેવું કંઈક સર્જનાત્મક કરો.’

‘તમે ઈચ્છો તો તમારું સ્વપ્ન પૂરું થાય જ.’ ‘પ્રેમ આપતાં અને સ્વીકારતાં શીખો.’ ‘પ્રેમ એ એકમાત્ર બુદ્ધિપૂર્વકની ક્રિયા છે.’ ‘પોતાની દયા ખાવાનું મને ગમતું નથી. શરીરને રોજ રોજ થોડું થોડું કરીને ખલાસ થતું જોવું ભયંકર છે, પણ એનાથી રોજ મને અલવિદા કહેવાની તક મળે છે.’ ‘ક્યારેક તમે જે જુઓ છો તે નહીં, જે અનુભવો છો તે સાચું હોય છે.’ ‘આજનો દિવસ આ પૃથ્વી પર છેલ્લો હોય તો? જો મરવાનું આવડી જાય તો જીવવાનું પણ આવડે. મૃત્યુ ગમે ત્યારે આવશે તેવી પ્રતીતિ થશે તો તમે આટલા મહત્ત્વાકાંક્ષી નહીં રહો.’ ‘પરિવાર જેવો કોઈ ટેકો નથી, કોઈ આધાર નથી, કોઈ આનંદ નથી.’ ‘કોઈ ચીજ પર નિર્ભર ન રહો, દુનિયામાં કશું કાયમી નથી.’ ‘પૈસા માનવતાનો અને સત્તા પ્રેમનો વિકલ્પ ન બની શકે.’ ‘શું વિચારવું ને શાને મહત્ત્વ આપવું તે તમે પોતે નક્કી કરો. કોઈ વ્યક્તિ કે સમુદાયને તમારા વતી નિર્ણય લેવાનો અધિકાર ન આપો. ‘બધું જતું ન કરો અને બધા માટે જીદ પણ ન કરો.’ ‘કરુણા અને જવાબદારીનું ભાન – આ બે બાબતો વિશ્વને જીવવા જેવું બનાવે છે.’ ‘જ્યાં સુધી પ્રેમ છે, સ્મરણો છે, તમે જેને સ્પર્શ્યું છે, પોષ્યું છે તે છે, ત્યાં સુધી તમે પણ છો જ.’

પુસ્તકની છેલ્લી લીટી છે, ‘ધ ટિચિંગ ગોઝ ઓન.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 03 સપ્ટેમ્બર  2023

Loading

કાગડો

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|16 October 2023

પ્રીતમ લખલાણી

રંગવાળા શેઠમાંથી રંગીલા બાપુ બનવામાં નવનીતલાલની આંખોનું યોગદાન બહુ જ મોટું હતું!

પાંસઠ વર્ષની ઉંમરે માણસ પ્રભુ ભજનમાં ખોવાઈ જાય. પણ આ નવનીતલાલ તો બીજે જ રવાડે ચઢી ગયા હતા. રસ્તે આવતી-જતી ફકત આઘેડ વયની જ સ્ત્રીઓમાં જ નહીં, પરંતુ બાલ્ય અવસ્થામાંથી યૌવન કાળમાં પ્રવેશલ કન્યાના ફ્રોકને ફૂટેલાં સ્તન પર કાળી ફ્રેમનાં ચશ્માંમાંથી સૂરમો આંજેલ નવનીતલાલની આંખો એકાદ બે ક્ષણ માટે નેત્ર-સુખનો લ્હાવો માણી લેતી.

ઘરમાં ચાર જન વચ્ચે બે નોકર હોવા છતાં નવનીતલાલે શાક્ભાજી લાવવાનું કામકાજ પોતાના માથે રાખ્યું હતું. દિવસમાં બે વાર શાક્ભાજી લેવા આવતા નવનીતલાલને મન શાકભાજીની ખાસ કોઈ કીંમત ન હતી. તેમને તો બસ, બટક-બટક બોલતી, નેણ ઊલાળતી, યૌવનથી છલકાતી મદ મસ્ત કાયાવાળી શાકવાળી દેખાણી એટલે ગંગા નાહ્યા. શાકવાળીનું ત્રાજવું કેટલું ઉપર-નીચે જાય છે એ જોવા કરતાં, તેમના કાળાં ચશ્માંની ફ્રેમમાં ડોકાતી ટગર ટગર જોતી આંખ ને શાકવાળીના પાતળા પાલવ હેઠળ દરિયાના મોજાની જેમ ઊછળતી ઘડકન જોવામાં વઘારે સુખ મળતું.

કયારેક દીકરાની વહુ નંદિની બપોર ટાણે કોઈ એકાદ બહેનપણી સાથે ભરતકામ કરવા એના બેડ રૂમમાં બેઠી હોય, ત્યારે હિંચકે બેઠા સોપારી વેતરતા નવનીતલાલ રાહ જોઈને જ બેઠા હોય, કે ક્યારે મહારાજ રસોડામાંથી ચા-નાસ્તાની ટ્રે લઈને વહુના રૂમ તરફ જવા નીકળે. જેવા મહારાજને રસોડામાંથી ચા-નાસ્તો લઈને આવતા જુએ એટલે નવનીતલાલ સફાળા હિંચકેથી ઊભા થઈ મહારાજને કહેશે, ‘તમે મારી એક કપ ખાંડ વિનાની ચા જલદીથી બનાવી નાખો તો. લાવો હું જ નંદિની અને તેની બહેનપણી ભાવનાને ચા નાસ્તો આપી આવું.’ આમ ચા નાસ્તાને બહાને બે બહેનપણીઓ વચ્ચે ટપકી પડેલ નવનીતલાલ ઘીમે રહીને સામે પડેલ ખાલી ખુરશી પર લંબાવતા, ઘોતિયાના છેડે ચશ્માંને લુંછતા ભાવનાના નવા પંજાબી ચૂડીદારના વખાણ કરતા કહશે,’ દીકરા ભાવના, આ ગુલાબી રંગ તારી કાયાને કેટલો આબેહૂબ શોભે છે. બાકી તને શું કહું!’ કાકાના આ વખાણમાં ખુશ થતી ભોળી ભાવના શરમાઈ પડે અને જો ભૂલથી તેની પાતળી ઓઢણી છાતીએથી સરી ગઈ તો ઘબકતી ભરાવદાર છાતી પર નવનીતલાલની બે આંખો ફરી વળતી.

વહુ નંદિની પરણીને સાસરે આવી ત્યારે સાસુ બાને પ્રથમ દિવસે પગે લાગવા તે નમી ત્યારે તેમણે કાનમાં એક શિખામણ આપી હતી, ‘દીકરી નંદિની, તમે ભલે આપણા કુંટુબમાં કોઈની લાજ ન કાઢો તો કાંઈ નહીં! પરંતુ તમારા સસરાની સામે બને ત્યાં લગી ખુલ્લે મોઢે ના જશો! તમારા સસરા થકી જ આપણું ખોરડું ગામમાં પાંચ ખોરડામાં પૂછાય છે.’ સમય જતા નંદિનીને તાગ કાઢતા વાર ન લાગી કે સાસુ બા શું કામ મને સસરાજીની લાજ કાઢવાનું કહેતાં હતાં.

******************************

એક સવારે ગામ આખામાં હાહા કાર મચી ગયો. ઓળખીતા પારખતા ચોરેને ચૌટે એક જ વાત કરતા હતા. નવનીતલાલને તો ભલા કયાં ય નખમાંએ રોગ ન હોતો. આમ કોઈને કીઘા-કારવ્યા વિના કેમ મોટે ગામતરે ચાલી નીકળ્યા? પાણીના રેલા સમા સમયને જતા કયાં વાર લાગે છે! પરિવાર હજી નવનીતલાલના મૃત્યુનાં રહસ્યમાં જ ગુચવાયેલ હતું ત્યાં તો તેમનું શ્રાદ્ઘ આવી ગયું.

નવનીતલાલનો પ્રથમ શ્રાદ્ઘ દિન હોવાથી સાસુ શારદાગૌરી બ્રાહ્મણોને દાન દક્ષિણા તેમ જ સીઘું દેવા હવેલી તેમ જ મંદિરે જવા નીકળતાં પહેલાં ઓસરીના હિંચકે શાક સમારતી નંદિનીને કહ્યું, ‘રસોડામાં લગભગ બઘી જ રસોઈ તૈયાર છે, બસ તું શાક સુઘારી લે એટલે આછા તાપે ચુલ્લા પર ચોડવવા મૂકીને તૈયાર રહજે ત્યાં લગીમાં દુકાનેથી આભિષેક પણ આવી જશે અને હું પણ મંદિરેથી આવી જઈશ. બસ પછી મેડીએ જઈને કાગવાસ નાખીને આપને બઘા સાથે જમવા બેસીશું.’

રોજની જેમ આજે ઘરમાં બૂમ બરાડા પાડીને નંદિનીને પ્રત્યેક ક્ષણે બોલાવવા વાળું કોઈ હતું નહીં. એટલે તેણે નિરાંતે નાહવાની તૈયારી કરવા માંડી. બાથરૂમમાં નહાવા બેસતાં પહેલાં ટેપરેકોર્ડર પર મનગમતી કેસેટ ચઢાવી. ઠંડા પાણીના ઘીમા શાવરમાં, ટેપરેકોર્ડરમાં વાગતાં ગીતને મનોમન ગુન ગુનાવતી વિચારતી હતી. ડોસાએ જીવતા આ કાયા પર કયાં ક્યાં નજર નહીં નાખી હોય? આજ તેમનું શ્રાદ્ઘ છે. ચાલ તર્પણ પણ કરી જ નાખું. આ વિચાર સાથે બાજુમાં પડેલ સાબુને હથેળીમાં લઈ નંદિનીએ છાતી, સ્તન, નિતબ્બ, કમર તેમ જ પેડુએ ચોળી ચોળીને એવા તેને ઘસ્યા કે ડોસાની મેલી નજર મેલ સાથે ઠંડાં પાણીમાં ગટરમાં વહી જાય.

આમ હોંશે હોંશે શરીરને ઘસીને નહાતી નંદિનીને અચાનક કાને, કોઈક ઘીમેથી બારી ખખડાવી રહ્યું તેવો, ઝીણો અવાજ પડ્યો. તેણે શાવર તેમ જ ટેપરેકોર્ડરને બંઘ કરી, કાનને બારી તરફ માંડ્યા કે   કે અવાજ ખરેખર બારીમાંથી જ આવી રહ્યો છે કે પછી આમ ખોટો ભ્રમ થઈ રહ્યો છે. અને ત્યાં તો ખટ ખટ કરતો નાજુક અવાજ ફરી તેના કાને પડ્યો. તેને બાથરૂમમાં ચારે બાજુ ડોક ફેરવીને જોયું પણ તેની નજરમાં કોઈ પડ્યું નહીં. તો પછી આ અવાજ કયાંથી આવી રહ્યો છે? આ વિચાર સાથે તેના હ્રદયની ઘડકન તેજ થઈ, મનને કોઈ મંગળ-અમંગલ વિચાર ઘેરી વળે તે પહેલાં જ અચાનક નંદિની નજર બારીના અઘ ખુલ્લા વેન્ટિલેશન ઊપર પડી અને એ ચમકી ઊઠી.

વેન્ટિલેશનની જાળીએ બેસીને એક કાગડો, ફાટી આંખે એના નગ્ન દેહ તરફ ટગર-ટગર તાકી રહ્યો હતો. થોડી થોડી વાર ડોકું હલાવતો, ચાંચથી કાચને ટકોરા મારતો વારા ફરતી બંને આંખે, નંદિનીની રૂપાળી, મદ મસ્ત કાયાના કૌવતનું રસપાન કરી રહ્યો હતો. તરત, નંદિનીએ ખીંટીએ ટિંગાળેલા ટુવાલને તરત ખેંચીને પોતાની છાતી ઢાંકી દીઘી. બારી તરફ ગુસ્સામાં બ્રાનો ઘા કરતાં બરાડી ઊઠી, ‘અરે, ડોસા તું મુવા પછી કાગડો થયો, તો ય આ ડોળા નાંખવાની તારી કુટેવ ગઈ નહીં?’

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

નથુ ગરચરનાં રેતશિલ્પ  : કલાકો સુધી સર્જન, મિનિટોમાં વિસર્જન

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|16 October 2023

પુસ્તક પરિચય

‘રેતશિલ્પના રૂપસાધક : નથુ ગરચર’ પુસ્તકમાં પોરબંદરના અલગારી કલાકારના બસો સાઠ શિલ્પોના શ્વેત-શ્યામ ફોટોગ્રાફ્સ છે, જે તેમની અસાધારણ પ્રતિભાની ઝલક માત્ર આપે છે.

સુદામાનગરીના સાગરતીરે પળેપળ સરી જતી રેતીમાંથી 67 વર્ષના નથુભાઈએ, વીતેલા તપ દરમિયાન પોતાની પ્રતિભાથી સર્જેલી પંદરસો જેટલી કલાકૃતિઓ દરિયાદેવને અર્પી છે.

જેનો કણ કણ છૂટો જ રહેતો હોય તેવી કલાસામગ્રી એટલે કે રેતીના કણોને એકત્ર રાખનાર કોઈ દ્રવ્ય, કે આકૃતિને આધાર આપવા માટેના કોઈ પણ ટેકા વિના, રેતશિલ્પનો સર્જક ઊભી મૂર્તીઓ બનાવે – કમાન સુદ્ધાં બનાવે – એ અચંબો આપનારું કૌશલ્ય છે.

પુસ્તકનું સંપાદન સન્નિષ્ઠ કલાસંવર્ધક રમણીક ઝાપડિયાએ કર્યું છે. તેમની દૃષ્ટિ હેઠળ ઉત્કૃષ્ટ રીતે નિર્માણ પામેલાં આ પુસ્તકનું પ્રકાશન या देवी सर्वभूतेषु कलारूपेण संस्थिता મુદ્રાલેખ ધરાવનારા કલાતીર્થ ટ્રસ્ટે કર્યું છે.

ભારતીય કલાને છેવાડાના કલાકારોથી લઈને કલામરમીઓ સુધી સહુને પહોંચાડવાના ધ્યેયથી આ સંસ્થાએ દૃશ્ય કલાઓ અને તેના સર્જકો પર, આપણે જોયાં જ કરીએ એવાં પુસ્તકોનું નિર્માણ કર્યું છે. પ્રસ્તુત પુસ્તક તેની કલાગંગોત્રી શ્રેણીમાંનું દસમું પ્રકાશન છે.

મુખ્યત્વે સ્વચ્છ અને સ્પષ્ટ શ્વેત-શ્યામ છબિઓ જ ધરાવતાં આ પુસ્તકનાં લાવણ્યમય કલા આવરણ સંદિપ કાપડિયા અને લે-આઉટ ટાઇપ સેટિંગ સમીર કંસારાએ કરેલાં છે. તેનાં 267 પાનામાં નથુભાઈએ સર્જેલી ચરાચર સૃષ્ટિના વૈવિધ્ય અને વૈપુલ્યની ઝાંખી મળે છે.

માનવ, પ્રાણી, પ્રકૃતિ, દેવ અને ભાવસૃષ્ટિની ત્વરિત સૌંદર્યાનુભૂતિ કરાવનારાં, ઝીણું કામ અને finishing બતાવતાં વાસ્તવવાદી રેતશિલ્પો અહીં છે. લગભગ દરેક ચિત્રમાં બારીકીભરી કોતરણી છે અને ચહેરા પર, વિશેષત: આંખોમાં ભાવની અભિવ્યક્તિ છે.

નારીના સો જેટલાં શિલ્પોમાં નથુભાઈએ કલ્પી શકાય તેટલાં રૂપ અને ભાવ, મુદ્રા અને સ્થિતિ, આભરણ અને આભૂષણ, સમુદાય અને વર્ગ, ભૂમિકાઓ અને મનોસ્થિતિઓ નિરૂપી છે. અષ્ટનાયિકાઓની તો યાદ આવે, પણ માતા અને સખીઓ પણ એકાધિક છે.

બાળા, મુગ્ધા, યૌવના, પ્રૌઢા, એકાકિની અહીં મળે. હાથી, ઘોડા, શ્વાન, અરે ! મગર સાથેની સ્ત્રી પણ છે. દેવી, વીરાંગના અને વૃક્ષવનિતા છે. સાથે સમુદ્રના પાણીમાં સેલારા મારતી યૌવના અને torn folded jeans અને cropped top પહેરેલી  teenager પણ છે.

સાહિત્ય અને કલાના ઉત્તમ પુસ્તકોથી રુચિઘડતર પામેલા નથુભાઈએ કરેલું પુસ્તક વાંચતી પ્રૌઢાનું શિલ્પ તેમની પ્રબુદ્ધતા બતાવે છે.

પ્રગતિશીલ વિચારોનો નિર્દેશ એકતામાં વિવિધતા, સર્વધર્મ સમભાવ, સ્ત્રીશિક્ષણ, જળસંવર્ધન કે વિકલાંગોની ક્ષમતા બતાવતાં, લોકજાગૃતિની ઝુંબેશો માટે દોરેલાં શિલ્પોમાં તેમ જ ગાંધી અને ડૉ. આંબેડકરની પ્રતીમાઓમાં મળે છે. ચાલતા ગાંધી અને તેમનો પડચાયો સુદ્ધા એક શિલ્પમાં નજરે પડે છે.

પરસ્પર સંવાદિતાથી ફાલેલું જીવનવૃક્ષ કે સાહચર્યથી સધાતાં ઊર્ધ્વારોહણની પ્રતિમાઓ વિચારને દૃશ્યરૂપ આપે છે. 

વ્યક્તિશિલ્પોમાં અબ્દુલ કલામ, બુદ્ધ, રાણા પ્રતાપ, લતા મંગેશકર અને વિવેકાનંદ છે. ડાંગધારી સોરઠવાસી, પશુધન સાથેનો માલધારી, ચલમ ફૂકતો બાવો, નિશાન તાકતો સૈનિક જેવા શિલ્પો સમુદાયના વરણ-વેશનાં નિર્દેશ સાથે આવે છે.

લોકદેવતા વાછરાદાદા અને રામદેવ પીર તેમ જ અનેક પ્રમુખ દેવોનાં દર્શન ચાળીસેક કૃતિઓમાં થાય છે, જેમાં આરામમાં આડા પડેલા ગણેશ કે ડાબા પડખે થયેલા હનુમાનજી જેવાં અરુઢ શિલ્પો પણ છે.

પારધીની શિવલિંગ આરાધના, સુદામાનું મથુરામાં સ્વાગત કે કાલિયામર્દન જેવા પ્રસંગ-શિલ્પોમાં સંખ્યાબંધ પાત્રો છે.

વીસેક પ્રાણી-શિલ્પોમાં નિજમગ્ન સિંહ, લાળી નાખતું શિયાળ, બેઠેલો ઘોડો, લડતા આખલા કે હાથી-મગર લડાઈ ખાસ ધ્યાન ખેંચે છે. સાગર કિનારા પરનાં પ્રેમી યુગલનું અને તે પછી પ્રસન્ન દામ્પત્યનાં શિલ્પો કરવાનું નથુભાઈ ચૂકતા નથી.

પુસ્તકમાંની દરેક તસવીરની નીચે કલાવિવેચક નિસર્ગ આહીરે સંદર્ભપૂર્ણ, શબ્દસમૃદ્ધ આસ્વાદ-નોંધ લખી છે. ગુજરાતીના સાહિત્યના અધ્યાપક નિસર્ગની પ્રસ્તાવના રેતશિલ્પના ઓછા જાણીતા ક્ષેત્રમાં વાચકને પ્રવેશ કરાવે છે, તેની ખૂબીઓ અને મર્યાદાઓ બતાવે છે, નથુભાઈની રેતકલાની મહત્તા ઉપસાવે છે, અને ‘મુખ્યત: તો ચિત્રકાર’ નથુભાઈનો પરિચય કરાવે છે.

નથુભાઈ ગલચર

પુસ્તકમાં નથુભાઈનો સ્વપરિચય ‘મારી કલાયાત્રા’ શીર્ષક હેઠળ છે. મજૂરી અને ગોપાલન કરનારા પરિવારના અભાવો વચ્ચેય શાળા તેમ જ બી.કૉમ.ના અભ્યાસ દરમિયાન સાહિત્ય અને કલાનાં પુસ્તકોનાં વાચને તેમની નિસર્ગદત્ત પ્રતિભાને સંકોરી.

સરકારમાં અને પછી બૅન્કમાં નોકરીની સાથે નાનાવિધ માધ્યમોમાં સાડા છ હજાર કરતાં વધુ ચિત્રો કર્યાં. અનેક ચિત્રપ્રદર્શનો કર્યાં. તેમાં રેખાંકનો, જળરંગચિત્રો, પેસ્ટલ-પેન્સિલ કલર, પીંછી-પેન, મિક્સ મીડિયા, ઑઇલ એક્રેલિક ચિત્રો અને ભીંતચિત્રો અને સિમેન્ટ મ્યુરલ્સનો સમાવેશ થાય છે.

ચૌદેક વર્ષની ઉંમરથી શરૂ કરેલાં રેતશિલ્પ સમયાંતરે ચાલતાં રહ્યાં અને 2010થી પૂરો સમય ચાલ્યાં. કૉલેજમાં 1975ના અરસામાં ઓડિશાના કિનારે બનાવાતાં રેતશિલ્પોની ન્યૂઝ રીલ જોઈ હતી. તે જ રાજ્યના ચન્દ્રભાગા બીચ પર નથુભાઈએ પર 2011થી દર વર્ષે આંતરારાષ્ટ્રીય રેતશિલ્પ મહોત્સવમાં શિલ્પો બનાવ્યાં, જે પુસ્તકનાં પહેલા બાર ફોટોગ્રાફસમાં જોવા મળે છે.

તે પછીના પાંત્રીસ શિલ્પો મુખ્યત્વે રાજયની લલિતકલા ને અન્ય સંસ્થાઓના ઉપક્રમો હેઠળ તૈયાર થયા છે. બાકીના 213 સ્વાનંદે કરેલાં છે.

આ વર્ષે રવીન્દ્રનાથ ટાગોરની જયંતીએ પાંચમી મેએ બહાર પડેલાં પુસ્તકનું તિરુપતિ બાલાજીનું છેલ્લું શિલ્પ 19 એપ્રિલે કરેલું છે.

રેતશિલ્પની અનિવાર્ય નિયતિ હોય છે કે તે સર્જાયા પછી થોડાક જ સમયમાં સમુદ્રના મોજામાં વિલીન થઈ જાય છે. કેટલાંક વર્ષોથી નથુભાઈ લગભગ દરરોજ સવારે દરિયે જાય, કલ્પના-કસબ-મહેનતથી મોટે ભાગે ઊભું શિલ્પ સર્જે, જે અસ્તિત્વમાં આવ્યા બાદ થોડાક સમયમાં તો સમુદ્રના મોજામાં લીન થઈ જાય!

કલાકાર હંમેશાં એવું ઝંખતા હોય કે તેમની કલાકૃતિ દુનિયામાં લાંબો સમય ટકે, અમર બને. દુનિયાભરના રેત શિલ્પ કલાકારની જેમ આપણા નથુભાઈની વશેકાઈ છે કે તેમનું સર્જન અલ્પકાળમાં વિસર્જન પામવાનું હોવા છતાં તે દરરોજ નવા ઉમંગ સાથે નિજાનંદે, નિરપેક્ષ ભાવે નિત્યનૂતન નિર્મિતી કરતા રહ્યા છે.

સ્વકથનને અંતે તેઓ  લખે છે :

‘રેતશિલ્પ એક મજાની કળા છે, જે મારા જીવન સાથે વણાઈ ચૂકી છે. સવાર પડતાંની સાથે નિત્યક્રમ પ્રમાણે બે-ત્રણ કલાક દરિયાના સાન્નિધ્યે રેતશિલ્પોનું સર્જન કરું છું.

‘દરિયાઈ જીવો આ સર્જનને માણે છે અને અને દરિયાનાં અનેક તત્ત્વો તેને લાઇક આપી ચાલ્યાં જાય છે.

‘હું તૃપ્ત થાઉં છું શિલ્પ જોઈને અને એને દરિયાદેવ પોતાનામાં સમાવી લે પછી હું સંપૂર્ણ સંતોષ સાથે ઘરે પાછો ફરું છું. જે લોકોને રેતશિલ્પની આ કલા શીખવાની ઇચ્છા હોય તેમને શીખવું  છું. કોઈપણ પ્રકારની અપેક્ષા વગર કલાનાં શરણે મા ભગવતી વાગીશ્વરીની સાધના  કરું છું.

‘નિવૃત્ત જીવનને કલાક્ષેત્રે પ્રવૃત્ત રાખીને ઇશ્વરે આપેલા અમૂલ્ય દિવસો વીતાવું છું.બસ એક જ અભિલાષા કે ‘તેરા તુજ કો અર્પણ’ – વેદવાણીને સ્મરીને તેમને મારું કરેલું કાર્ય અર્પણ કરું છું.’ ‌‌‌‌                                

[આભાર : અશ્વિન ચૌહાન, અજય રાવલ]

‌‌‌—-‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌————————– 

કલાતીર્થ ટ્રસ્ટ, ‘રંગ’, 18, ગજાનન સોસાયટી વિભાગ 3, ગજેરા સ્કૂલની સામે, કતારગામ, સૂરત 395 004. મો. 9825664161 પુસ્તકનું મૂલ્ય : ‘અમૂલ્ય’ kalatirth2021@gmail.com   ramnikgkp@gmail.com 
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 15 ઑક્ટોબર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...970971972973...9809901,000...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved