Opinion Magazine
Number of visits: 9560767
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગદ્યસ્વામીના પુન:પ્રકાશનનો આનંદોત્સવ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|4 September 2023

 પુસ્તક પરિચય 

નવજીવન પ્રકાશન દ્વારા સ્વામી આનંદના પાંચ પુસ્તકોની આવૃત્તિ

‘સાધુ એટલે દો રોટી, એક લંગોટીનો હકદાર’ એવા સનાતન સત્ય સમી ચોટડુક વ્યાખ્યા આપનાર ગુજરાતી ભાષાના અજોડ ગદ્યકાર અને નોખા સંન્યાસી તે સ્વામી આનંદ (1887-1976).

ગાંધીજી પાસે ‘માગણી’ કરીને આત્મકથા લખાવનાર આ ગદ્યસ્વામીનાં પાંચ પુસ્તકો ઘણાં વર્ષે તાજેતરમાં ‘નવજીવને’ સમર્પક સમારંભ સાથે ફરીથી પ્રકાશિત કર્યાં તે આપણા સાહિત્યમાં આનંદોત્સવ ગણાય.

સ્વામી આનંદ ‘નવજીવનના પાયાના પથ્થર સમા’ હતા. તેમણે ગાંધીજીની પત્રિકાનું કામ ચીવટ અને નિષ્ઠાપૂર્વક સંભાળ્યું હતું. નવજીવન પ્રકાશન અત્યારે સ્વામીનાં પુસ્તકોનું પુન:પ્રકાશન એમની રુચિ અને એમના આગ્રહને નજર સમક્ષ રાખીને’ કરે તે ઋણની અદાયગી ગણાય.

સ્વામી દાદાનાં પચીસ જેટલાં પુસ્તકોમાંથી સાઠેક વર્ષ પછી, પહેલી વાર, તેના મૂળ ઘાટ-આકારમાં ‘નવજીવને’ પ્રગટ કરેલાં આ પુસ્તકો છે : ‘અનંતકળા’, ‘કુળકથાઓ’, ‘મોતને હંફાવનારા’, ‘ધરતીનું લૂણ’ અને ‘નઘરોળ’.

માત્ર સ્વામી જ સાધી શકે તેવી કેટલી ય ભાષાઓ-બોલીઓના અબિલ-ગુલાલ ઉછળતી શૈલી, જગજુદા વિષયો અને વ્યાપક જીવનદર્શનથી ઝળાહળાં કરી દેનાર આ હિમાલય પરિવ્રાજક સર્જકના સાહિત્યવૈભવની ઘણી  લાક્ષણિકતાઓની ઉપરોક્ત પાંચ પુસ્તકોમાં ઝલક મળે છે.

સ્વામી દાદાનું જીવન પણ અફલાતૂન, હરફનમૌલા. સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામે જન્મ, મુંબઈના ગિરગામમાં ઉછેર. બાર વર્ષની ઉંમરે ‘ચાલ બચ્ચા તને ભગવાન દેખાડું’ કહેનાર સાધુની પાછળ ચાલી નીકળ્યા. એકાદ દાયકાથી વધુ સમય ‘સારા-નરસા સાધુબાવાઓ’ની સાથે રખડ્યા’.

પહેલાં રામકૃષ્ણ મિશન અને પછી ગાંધીજીના પ્રભાવ હેઠળ આવ્યા. ગંધીકાર્યના ભાગરૂપે ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’ ખાંખતથી ચલાવ્યાં. ચળવળોમાં જોડાયા, રચનાત્મક કાર્યક્રમોમાં કામગીરી બજાવી.

‘ઉંમર આખી કંઈને કંઈ આછુંપાતળું લખ્યું, પણ ગ્રંથસ્થ થવા ન દીધું.’ આખરે ‘મનનું ગાણું ગાવાની સ્ફુરણા’ અને ‘વગર મૂડીના વૅપલા’ સમાં પોતાના લખાણોને, જીવનના છેલ્લા દાયકે મનની કંઈક એકાકી અને વિકળ અવસ્થામાં સન્મિત્રોના આગ્રહથી, મુદ્રણ અને નિર્માણની પોતાની શરતોએ સંમતિ આપી. એ શરતો પુન: પ્રકાશનમાં એકંદરે જળવાઈ છે જે પ્રશંસનીય છે.

‘અનંતકળા(1967)ની સામગ્રીને લેખકે ‘ચિંતન નિરીક્ષણ વિષયક લેખો’ કહ્યા છે. તેમાં ‘કિરતારની કળા’ અર્થાત ઇશ્વરના સર્જનનું ગાન છે. સમાજસેવા, દેશભક્તિ અને શરીશ્રમ ઓવારણાં છે. ડૉ. વ્રજલાલ મેઘાણી અને નાનાભાઈ ભટ્ટનાં પુસ્તકોનો દીર્ઘ પરિચય છે. સ્વામીએ પુસ્તક ‘ગુરુવર્ય નાનાભાઈને’ અર્પણ કર્યું છે. ‘રાત વીતી’માં શંકરાચાર્ય અને ‘હિંદુ સંસ્કૃતિનો પાયો?’માં વેદો વિશેનો ટીકાત્મક, રૅડીકલ દૃષ્ટિકોણ છે. ‘ગુરુસંસ્થા અને ભક્તિ’ને પણ તેઓ જુદા નજરિયાથી મૂલવે છે.

‘કુળકથાઓ’(1966)ઓમાં કચ્છ-કાઠિયાવાડથી મુંબઈમાં વસીને તેના વેપારવણજ દ્વારા શહેરના વિકાસમાં ફાળો આપનાર કર્તૃત્વશાળી ભાટિયા ઘરાણાંનાં સ્ત્રી-પુરુષોના શબ્દચિત્રો છે. તેમાં તેમની બાળપણની સાંભરણોનો કૃતજ્ઞતાપૂર્ણ સમાવેશ છે.

‘રાણી વિક્ટોરિયાની બોન’ સમાં જાજરમાન શ્રેષ્ઠીપત્ની ધનીમા અને ચીનાબાગના તેમના આવાસનો ‘દેવતાઈ ઘોડો મનાતો’ મોરુના શબ્દચિત્રો ગુજરાતી ભાષાનાં ઘરેણાં છે.

એવું જ ‘ધરતીનું લૂણ’ના શબ્દચિત્રોનું છે. અહીં ‘અંજલિઓ’ તરીકે લખાયેલા ચૌદ નાનામોટા ચરિત્રલેખો છે. સંગ્રહનો મોટા હિસ્સામાં લેખકે પુસ્તક જેને અર્પણ કર્યું છે તે ‘મહાદેવથી મોટેરા’ છોટુભાઈ દેસાઈ વ્યાપેલા છે.

ગાંધીજીના સચિવ મહાદેવાભાઈથી થોડા મોટેરા છોટુભાઈ રેલવે અધિકારી અને સમાજસેવક હતા. લેખકે અત્યંત રસાળ શૈલીમાં તેમના નીડર, સેવાપરાયણ, શક્તિશાળી, યુક્તિબાજ વ્યક્તિત્વને આલેખ્યું છે. એમના જ કુળના ‘મૉનજી રુદર’ અને તેમના પત્ની ભીખીબાઈ. તેમણે પોતાની વિધવા દીકરીના પુનર્લગ્ન કરાવ્યા. એટલે નાતીલાઓએ તેમનો સખત બહિષ્કાર કર્યો જેનો દંપતીએ  ગજબના ધૈર્ય અને ધીરજથી સામનો કર્યો.

‘ઝાકળ જેવા અણદીઠ’માં સૂરતના સાધુચરિત સજ્જન નંદલાલ મહેતા છે. બે ભાગના ‘મૂંગુ બળમાં’ ગર્ભશ્રીમંત નબીરા ચંદુભાઈ નાણાવટીના કલ્પનાતીત પ્રામાણિકતાભર્યા વ્ય્કતિગત તેમ જ વ્યાવસાયિક જીવનનો આલેખ મળે છે.

ચિત્રવિચિત્ર માણસો વિશેના પુસ્તક ‘નઘરોળ’ની ‘ઉગમકથા’માં સ્વામી નઘરોળ શબ્દનો અર્થ લખે છે : ‘ફુવાડિયો, ડટ્ઠર, નીંભર, હાડોહાડનો બેપરવા, નઠોર, રીઢો, અઘોરી, ઑઘરાળો, દીર્ઘસૂત્રી’.

પછી તેઓ ઉમેરે છે : ‘આવા આવા તરેહવાર થોડા નમૂના, જાત અનુભવમાંથી તેમ જ હડફટે ચડેલા તે અહીં સંઘર્યા છે.’ આ ઉપરાંત સમાજમાં રહેલા દંભ-પાખંડ, નઠોરતા, ધર્મજડતાને બતાવતા પાત્રો-પ્રસંગો પણ સ્વામી અહીં સમાવે છે. ‘હીરોશીમાનો હત્યારો?’ નામે બે લેખો કુતૂહલપ્રેરક છે.

‘મૉતને હંફાવનારા’ અંગ્રેજ પર્વતારોહી વિલફ્રિડ નૉઇસના They Survived પર આધારિત છે. સ્વામી લખે છે : ‘આ પુસ્તક મૂળ લેખકે આપેલી કથાઓ તેમ મંતવ્યોમાંથી મહત્ત્વના અંશોની મુક્તપણે કરેલી રજૂઆતોનું છે.’

ભયંકર આપત્તિમાંથી ‘શરીરના ગુણો ઉપરાંત ધૈર્ય, શૌર્ય, સંતુલ, શ્રદ્ધા-પ્રાર્થના, હૈયાસૂઝ વગેરે આંતરિક ગુણોના સુમેળથી’ ઉગરી જનારા દેશવિદેશનાં સ્ત્રી-પુરુષોએ મોતને કેવી રીતે હંફાવ્યું તેની કહાણીઓ અહીં બાર પ્રકરણોમાં છે. બીજાં ત્રણ પ્રકરણો સ્વાનુભવ પર આધારિત છે.

‘પ્રકાશકીય’ નોંધે છે : ‘પોતાનાં પુસ્તકોના પ્રકાશનમાં જોડણી, વિરામચિહ્નો, ટાઇપોગ્રાફી તથા મુદ્રણ માટે સ્વામીના કડક નિયમો હતા. અને તેના પાલનના તેઓ ચુસ્ત આગ્રહી હતા.’ નવજીવને તેમના આગ્રહોને યથાતથ રાખીને પ્રકાશન કર્યું છે તેમાં અપૂર્વ આશરની દૃષ્ટિ છે. રાખોડી રંગનાં આવરણ, તેની પર કથ્થઈ રંગના અક્ષરો અને વિશિષ્ટ કદનાં પુન:મુદ્રણોને મૂળ આવૃત્તિઓ સાથે સરખાવવી આનંદદાયક બને છે.

આવરણ પર ઊપરના ડાબા ખૂણા પરની આકૃતિનો ખુદ સ્વામીએ અર્થ આપ્યો છે : ‘આ  ગ્રંથમાળાનાં મુખપૃષ્ઠો પરની પ્રતીક આકૃતિમાં ચાર નાના ચૉરસ અને એને બાંધતી રેખા વડે  બનતો વચલો ચૉરસ, ચોમેરના મુક્ત આકાશમાંથી આવનારાં હવાપ્રકાશને લઈ પચાવી આત્મસાત કરનારી નરવાઈ સૂચવે છે; અને તેની બહારના ચાર દિશા ચીંધતા ચાર ત્રિકોણ ઈશ્વરદત્ત બક્ષીસો દ્વારા જીવનમાં થતી અનુભૂતિનું ફળ ચારે દિશામાં વસી રહેલી જનતાને અને તેના સરજનહારને અર્ઘ્ય રૂપે પાછું અર્પણ કરવાની મનોવૃત્તિ’. ‘અનંતકળા’ અને ‘કુળકથાઓ’ના આવરણચિત્રો વિશે પણ તેમણે નોંધ લખી છે.

સ્વામીએ વિશ્વવિખ્યાત ચિંતક બર્ટ્રાન્ડ રસેલના અણુશસ્ત્રમુક્તિ વિચારો, અને રેચેલ કાર્સનનાં પર્યાવરણ વિષય પરના ક્રાન્તિકારી આદ્ય પુસ્તક ‘ધ સાઇલન્ટ સ્પ્રિન્ગ’નો સાર ‘માનવતાના વેરી’ પુસ્તકમાં સમાવ્યો છે. તેમણે આઠ અનુવાદ/સંપાદનો પણ આપ્યા છે.

ગીતામાંથી તારવેલાં એકસો આઠ શ્લોકમાંથી ‘બને એટલી સહેલી ભાષામાં’ ‘લોકગીતા’ રચી છે. બાઇબલના કેટલાંક અંશોની તેમણે ‘ઈશુ ભાગવત’ નામે તળપદી કાઠિયાવાડી બોલીમાં કરેલી રજૂઆત તો ઝગઝોળી દેનારી છે. એ નજીકના ભવિષ્યમાં વાંચવા મળશે.

પ્રકાશકે ‘આ પહેલાં તબક્કામાં’ પ્રસિદ્ધ કરેલાં પુસ્તકોનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે : ‘અન્ય પુસ્તકો, સંપાદનો અને ગ્રન્થાવલી વગેરે સાહિત્ય હવે પછી ક્રમશ: પ્રગટ થશે.’ વળી ‘નવજીવને’ એ પણ લખ્યું છે કે : ‘એ જીવનમરમી સ્વામીના આશીર્વાદ આ પ્રકાશન પર ઊતરો એવી પ્રાર્થના’. એ આશીર્વાદ ઊતરશે.

‌‌‌‌‌‌–‌‌‌‌‌‌‌‌———

પ્રાપ્તિસ્થાનો : 

●‘હૃદયકુંજ’ પુસ્તક ભંડાર, નવજીવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. સંપર્ક : 079-27540635 અને 27540635. ઉપરોક્ત દરેક પુસ્તકની કિંમત રૂ. 200/-, અને અહીં 15 સપ્ટેમ્બર 2023 સુધી દરેક પુસ્તક પર 20% વળતર.

● ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ, ફોન 079-26587949 અને 9898762263  

પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 03 સપ્ટેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘એક યાત્રા બે વૃત્તાંત’: સ્વામી આનંદ અને કાકાસાહેબનાં હિમાલયનો પ્રવાસ એક સાથે …

કિરણ કાપૂરે|Opinion - Opinion|3 September 2023

સ્વામી આનંદ અને કાકા કાલેલકર ગુજરાતી ભાષાના બે ગદ્યસ્વામી છે. ગુજરાતીમાં આ બંને ગદ્યસ્વામીનાં વિપુલ લખાણો છે. અડધી સદી પૂર્વે લખાયેલાં આ લખાણો આજે ય રસપૂર્વક વંચાય છે અને તેથી નવાંનવાં સ્વરૂપે તેમનાં લખાણો મૂકાતાં રહ્યા છે. હાલમાં ‘નવજીવન’ Navajivan Trust દ્વારા આ બંનેનાં લખાણો સાંકળીને ‘એક યાત્રા બે વૃત્તાંત’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. પુસ્તકના સંપાદક અપૂર્વ આશર છે અને તેમણે આ બંને મહાનુભાવોના હિમાલયના લખાણોને એક સાથે મૂકી આપ્યા છે. આવું કરવાનું કારણ એટલું કે આ બંનેએ એક સાથે હિમાલયનો પ્રવાસ કર્યો અને પછી અલગ-અલગ સમયે પોતાના પ્રવાસ અનુભવ લખ્યાં હતાં. ‘એક યાત્રા બે વૃત્તાંત’માં કાકાસાહેબ અને સ્વામીનો હિમાલય પ્રવાસ એક સાથે વાંચવા મળશે. સંપાદક અપૂર્વ આશર હિમાલયના આ બે વૃત્તાંતને એકમેકના પૂરક ગણે છે અને એટલે જ તેમણે બંનેનો પ્રવાસ એકસાથે કેવી રીતે ચાલે છે અને ક્યાં તેમના પ્રવાસ અનુભવમાં ભેદ છે ‘ક્રોસ રેફરન્સ’થી મૂકી આપ્યા છે.

કાકાસાહેબનું ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તક જાણીતું છે અને તેમણે આ પ્રવાસને અદ્વિતિય રીતે શબ્દોમાં ઉતાર્યો છે. હિમાલયનું તેઓ એક ઠેકાણે વર્ણન કરતાં લખે છે કે, “હિમાલય આર્યોનું આદ્યસ્થાન, તપસ્વીઓની આ તપોભૂમિ, પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયર, મુમૂર્ષુઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુપક્ષીઓને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી ઉદ્ભવેલાં વાદળોનું એ તીર્થસ્થાન છે. એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષકિન્નરનું વસતિસ્થાન છે. જગતનાં સર્વે દુઃખોને સમાવી લે એવડો તે વિશાળ છે, સર્વ ચિંતાગ્નિને શમાવી દે એટલો એ ઠંડો છે, કુબેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઢ્ય છે અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે.”

કાકાનાં ગદ્યનો આ પરથી અંદાજ લગાવી શકાય. કાકાસાહેબની જેમ સ્વામી હિમાલય માટે પુસ્તકની પ્રસ્તાવનામાં આમ લખે છે : “હિમાલય – નિસર્ગદેવતાનું ક્રીડાસ્થાન, મંત્રદૃષ્ટા ઋષિઓની એ અજરામર તપોભૂમિ, ભારતવર્ષના પ્રાચીન ગૌરવનો એ સાક્ષી– ઝળહળતા સ્ફટિકશુભ્ર બરફથી હજુ પણ એવો ને એવો છવાયેલો છે. માનવી પાદસ્પર્શના દૂષણથી નિરંતર મુક્ત રહેતાં એનાં હિમશિખરો બાલસૂર્યનાં કોમલ કિરણોમાં પ્રભાતે સોનાનાં હોય એવાં ચમકે છે અને વિશ્વના હિત ખાતર પોતાનું સ્વાતંત્ર્ય જતું કરી, યાંત્રિક આયુષ્યક્રમ સ્વીકારી આખા દિવસ દરમિયાન અર્ધખગોળનો પ્રવાસ કરી શ્રાંતચિત્તે આથમી જતા ભગવાન સવિતાનાં આરક્ત કિરણોની પ્રભામાં એ શિખરો સાંજે પણ સોનેમઢ્યાં હોય એવાં જ લાગે છે.”

સહયાત્રીઓના આ અનુભવ વિશે ‘એક યાત્રા બે વૃત્તાંત’નાં સંપાદક પુસ્તકના ઉપક્રમ વિશે લખે છે કે, “હિમાલયનો કોઈ યાત્રી એક સવારે ઊઠીને જુએ કે કાલે રાત્રે ધુમ્મસ અને વાદળોથી ઢંકાયેલું એક શિખર ધુમ્મસ હઠવાથી હવે દૃશ્યમાન થયું છે. કાલે જ્યાં શિખર દેખાતું હતું ત્યાં હવે બે શિખરોનાં દર્શન થઈ રહ્યાં છે. તો ત્યારે એ ભાગ્યશાળી બે શિખરોની તુલના કરવા બેસે કે આંખ ભરીને એ સૌંદર્યને માણવાનું પસંદ કરે? બસ આટલી જ વાત ‘આ સંયુક્ત આવૃત્તિ શા માટે?’ના કારણરૂપે…” એ પછી સંપાદકીયમાં અપૂર્વભાઈ આ સંપાદનની યાત્રા કેવી રીતે આરંભાઈ તે વિશે લખે છે કે, “1912માં થયેલી આ યાત્રા(હા, બંને યાત્રીઓએ એમનાં બયાનોમાં યાત્રા જ શબ્દ પ્રયોજ્યો છે)નું વૃત્તાંત સ્વામી આનંદે તે જ વર્ષે લખવાનું શરૂ કરી ક્રમશ: 1916 સુધીમાં પૂરું કર્યું. પણ એ જ ગ્રંથસ્વરૂપે પ્રગટ થયું 72 વર્ષ પછી 1984માં. એના સંપાદકીયમાં મૂળશંકરભાઈ લખે છે, ‘આ બંને પ્રવાસવર્ણનોને સાથે રાખીને માણવા જેવાં છે.’ એ બંને પુસ્તકોમાંથી થોડાં ઉદાહરણો પણ ટાંકે છે. બસ, ત્યાંથી શરૂ થઈ આ સંપાદનની યાત્રા. જેમ જેમ એમની સાથે આ યાત્રામાં જોડાતો ગયો એમ એમ સમજાતું ગયું કે આ બે અનન્ય ગદ્યસ્વામીઓના ગદ્યની સરખામણી માત્ર નથી, આ બે વૃત્તાંતો ઘણે અંશે એકમેકના પૂરક છે.”

હવે તે પૂરકે કેમ છે તેનાં ઉદાહરણ અહીં સંપાદક મૂકતાં લખે છે કે, “કાકાસાહેબે એક ઠેકાણે વર્ણવ્યું છે કે, સાંજ પડતાં મુકામે પહોંચવામાં સ્વામી પહેલાં હોય અને પોતે છેલ્લા. એ જ રીતે આ યાત્રાનાં કોઈ વર્ણનોમાં પણ બંને ક્યાંક ક્યાંક આગળ પાછળ થયા છે. કોઈ વર્ણન એકે છોડી દીધાં છે તે બીજાએ બહેલાવીને લખ્યાં છે. સ્વામીએ કોઈ પ્રસંગો બે-ત્રણ વાક્યોમાં નિપટાવ્યા છે જેને કાકાસાહેબે આખા પ્રકરણમાં બહેલાવ્યાં છે. ઉદા. ‘ખાખીબાવા.’ જમનોત્રીનું આખું પ્રકરણ કાકાની ‘વિસ્મૃતિના ધૂમસ પાછળ ભૂંસાઈ’ ગયું છે જે સ્વામીના વૃત્તાંતમાં વિગતે વાંચવા મળે છે.”

સ્વામી અને કાકાસાહેબના હિમાલયના પ્રવાસને સાથે મૂકવાનો વિચાર જાણીતાં સાહિત્યકાર મૂળશંકર મો. ભટ્ટને આવ્યો હતો, તેને સાકાર અપૂર્વ આશરે કર્યો છે. સ્વામી આનંદનું ‘હિમાલયનાં તીર્થસ્થાનો’ પુસ્તક પ્રકાશિત થયું હતું ત્યારે તેના સંપાદકીયમાં મૂળશંકર મો. ભટ્ટ લખે છે કે, “હિમાલયનાં તીર્થસ્થાનો એ નામે મરાઠીમાં લખાયેલી લેખમાળા એ સ્વામીજી, કાકાસાહેબ અને તેમના મિત્ર બુવા મરઢેકરે સાથે કરેલ પ્રવાસનું વર્ણન કરતી લેખમાળા છે. આ જ પ્રવાસની કથા કાકાસાહેબે હિમાલયનો પ્રવાસ એ નામે લખેલી છે અને તે તો આજે ગુજરાતના પ્રવાસરસિક અને સાહિત્યરસિક લોકોનું પ્રિય વાચન થઈ પડ્યું છે. તેમણે આ પ્રવાસવર્ણન 1919માં સત્યાગ્રહ આશ્રમનાં બાળકોના માસિકમાં લેખમાળારૂપે લખેલું. આમાં એક સુખદ ઘટના એ છે કે ગુજરાતીમાં પોતાની પ્રવાસકથા મરાઠીમાં લખે ને એક મહારાષ્ટ્રી એ જ પ્રવાસની કથા પોતાની ઢબે ગુજરાતમાં લખે છે. આ રીતે આ બંને પ્રવાસવર્ણનોને સાથે રાખીને માણવા જેવાં છે. એ બંને કથાઓમાં બંને યાત્રાળુઓની પ્રતિભા, મિજાજ, રુચિ, ભાષાવૈભવ, અવલોકન, ચિંતનના સ્થાનોની લાક્ષણિકતાઓ ઊપસી આવે છે.”

તે પછી મૂળશંકર ભટ્ટ લખે છે કે, ‘હિમાલયનો પ્રવાસ’ અને ‘હિમાલયનાં તીર્થસ્થાનો’માં કેટલીક ઘટનાઓના ઉલ્લેખ સમાનપણે મળી આવે છે, પણ તેમના નિરૂપણમાં બંનેની સ્વતંત્ર પ્રતિભાના દર્શન થાય છે.’ કેટલાંક ઉદાહરણ મૂળશંકરભાઈ મૂકે છે, જેમાં એક ઘટના છે ‘બે પત્નીનો ધણી યાત્રિક જે રીતે પોતાની પહેલી પત્ની પર જુલમ કરે છે.’ તેનું વર્ણન છે. આ ઘટના વિશે સ્વામી લખે છે : “પતિસેવા એ સ્ત્રીનું કર્તવ્ય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, પણ પત્ની પાસેથી સેવા લેવાનો પતિનો હક્ક છે, એવો નિર્દેશ કોઈ જગ્યાએ નથી, અને ગડદાપાટુ મારી એને જોરે પત્નીને કર્તવ્યતત્પર બનાવવાનો માર્ગ તો કોઈએ પણ સૂચવેલો નથી. પુરુષનું અનુકરણ કરી એમની પદ્ધતિ સ્વીકારી પોતાના અર્ધાંગ જેવા પતિરાજને કર્તવ્યતત્પર બનાવવાનું જો અમારા સમાજની સ્ત્રીઓ યોજે, અને યોજના પ્રત્યક્ષમાં મૂકવા જેટલી શક્તિ એમને મળે, તો હિંદુસ્તાનમાં મતાભિલાષિ સ્ત્રી-આંદોલન કરતાં પણ વધારે ઉગ્ર આંદોલન જાગે”

આ ઘટનાને કાકાસાહેબ જ્યારે શબ્દમાં ઉતારે છે ત્યારે : “આર્ય કુટુંબના ઝઘડામાં બહારના માણસથી પડાય નહીં, એટલે અમે આ બધું સહન કર્યું. આજે અમારી એ કાયરતા પર તિરસ્કાર છૂટે છે. પણ તે વખતે જ મનમાં વિચાર આવ્યો, શું આ જ આપણો આર્ય ધર્મ છે? મનુએ જ્યારે ‘यत्र नार्यस्तु पूज्यन्ते’ લખ્યું ત્યારે આ જ જાતની પૂજા એણે કલ્પી હશે? પતિ એ પત્નીનું દૈવત છે એ ખરું. પણ શું સ્ત્રી પતિની ગુલામ છે કે ઢોર છે? કોઈ સનાતની શાસ્ત્રીને પૂછીએ તો આને માટે પણ એ શાસ્ત્રાધાર જરૂર કાઢી આપે. માણસ એ દેવોનો પશુ છે એમ ઉપનિષદમાં લખ્યું છે. પતિ એ દેવ છે, એટલે પત્ની એનું ઢોર ખરી જ ને? ઉપનિષત્કાલીન ઋષિ આ તર્કશાસ્ત્ર સાંભળશે ત્યારે પોતાના નિર્દોષ કાવ્ય માટે અસંખ્ય વાર પસ્તાશે.”

સંપાદક અપૂર્વભાઈ સંપાદકીયમાં પુસ્તકને ‘DIPTYCH PHOTOGRAPHY’ સાથે સરખાવતાં લખે છે : ‘એમાં બે સ્વતંત્ર ફોટોગ્રાફ્સને બાજુબાજુમાં ગોઠવીને એક નવી જ કલાકૃતિ ઊભી કરવામાં આવે છે. બંને કૃતિઓ પોતપોતાની રીતે સર્વાંગસુંદર અને પૂર્ણ જ હોય છે પણ એ જોડાઈને બનતી દ્વયંગી કૃતિ અનન્ય હોય છે.’

‘એક યાત્રા બે વૃત્તાંત’: સ્વામી આનંદ અને કાકાસાહેબનાં હિમાલયનો પ્રવાસ એક સાથે…

Loading

દ્વન્દ્વ હિંદુ અને મુસલમાનની વચ્ચે છે કે હિંદુઓની અંદર છે?

રમેશ ઓઝા|Opinion - Opinion|3 September 2023

માણસાઈથી મોટી પક્ષપાતરહિત સેક્યુલર ચીજ આ જગતમાં એકેય નથી

રમેશ ઓઝા

ગયા અઠવાડિયે એક શરમજનક ઘટના બની. ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગર નજીક આવેલા ખુબ્બાપુર નામના ગામમાં ત્રીપ્તા ત્યાગી નામની શિક્ષિકાએ હિંદુ વિદ્યાર્થીઓને કહ્યું કે મુસલમાનો હલકી કોમ છે અને તે ઝૂડવાને લાયક છે અને એ પછી વર્ગમાંના એક મુસલમાન વિદ્યાર્થીને ઊભો કરીને તેમણે હિંદુ વિદ્યાર્થીઓને આદેશ આપ્યો કે વારાફરતી એક એક કરીને આને ઝૂડો. આ બહેન સરકારી શાળાની માત્ર શિક્ષિકા નથી, તે ખાનગી શાળાની માલિક છે અને પ્રિન્સિપાલ પણ છે, એટલે એટલું અનુમાન તો સહેજે કરી શકાય કે તે અને તેમનો પરિવાર શિક્ષણનો ધંધો કરવા સત્તાધારીઓને રાજી રાખવાની કસરત કરતા હશે. ખુબ્બાપુરની ઘટના વિશેનો જે વીડિયો વાયરલ થયો છે એમાં એ બહેન એમ કહેતાં દેખાય છે અને સંભળાય છે કે “મૈને તો ડીકલેર કર દિયા, જીતને ભી મોહમેડિયન બચ્ચે હૈ ઇનકે વહાં પહુંચ જાઓ.”

આ ઘટના અંગે દેશભરમાં પ્રતિક્રિયા પેદા થઈ, ત્યારે ત્રીપ્તા ત્યાગીએ બે હાથ જોડીને માફી માગતાં કબૂલ કર્યું હતું કે “મારાથી ભૂલ થઈને છે અને મને માફ કરવામાં આવે.” પરંતુ એ તેમની સ્વાભાવિક અને પહેલી પ્રતિક્રિયા હતી, પરંતુ એ પછી તેમણે કાવતરાની અને તેમને ફસાવવામાં આવ્યાં હોવાની થિયરી રજૂ કરી હતી. આ પણ સમજાય એવી સ્વાભાવિક વાત છે. અધમ કક્ષાનો ગુનો હિંદુ કરે, ગુનો કબૂલ પણ કરે અને માફી માગે તો તો હિંદુ લજવાય અને હિંદુ કોઈ પણ સંજોગોમાં લજવાવો ન જોઈએ. આત્મનિરીક્ષણ, ભૂલની કબૂલાત, પ્રાયશ્ચિત, શરમ અનુભવવી, જીવ કોચવાવો, માફી માગવી વગેરે સારા માણસનાં લક્ષણો હોય તો ભલે હોય, કેટલાક લોકોને જે “હિંદુ” અભિપ્રેત છે એ હિંદુનાં ન હોઈ શકે. માટે ત્રીપ્તાબહેનને કહેવામાં આવ્યું હશે કે ખબરદાર બહેન, માણસાઈની એરણે મોળા પડવાનું નથી, રાજ આપણું છે, એટલે સત્તાની એરણે ગુનો કર્યા પછી પણ શરમાયા વિના ગર્વથી ઊભા રહેવાનું છે. એ તો યાદ જ હશે કે વારંવારની જાતીય સતામણી સામે રસ્તા પર ઉતરેલી પહેલવાન છોકરીઓ સામે બ્રજભૂષણ શરણસિંહ કેવા મોળા પડ્યા વિના ઊભા રહ્યા હતા! જરા ય લાજ-શરમ અનુભવી હતી! તેમના ચહેરા પર શરમનો શેરડો પણ ક્યાં ય જોયો હતો?

માટે માણસાઈની એરણ ભૂલી જાઓ, સત્તાની અને સરસાઈની એરણ કેન્દ્રમાં રાખો. જો સત્તા અને સરસાઈને કેન્દ્રમાં નહીં રાખો અને માણસ બનવામાં જિંદગી વેડફી નાખશો તો હિંદુ રાજ ક્યારે ય અસ્તિત્વમાં નહીં આવે. ઉત્તર પ્રદેશ સરકારે ત્રીપ્તા ત્યાગી સામે એવી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે કે તેમની ધરપકડ કરવી ન પડે, તેમને એક દિવસ માટે પણ જેલમાં જવું ન પડે. ડીટ્ટો બ્રજભૂષણ શરણસિહ સાથે થયું હતું એમ. બીજી બાજુ જાણીતા ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેર સામે શાળામાં પ્રતાડિત કરવામાં આવેલા મુસ્લિમ વિદ્યાર્થીનું નામ જાહેર કરવા માટે ગુનો દાખલ કર્યો છે; અને કદાચ તેમની ધરપકડ પણ કરવામાં આવશે. કોરા સત્યને ઉજાગર કરનારા આ ઝુબેરની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી અને તેને બે મહિના જેલમાં રહેવું પડ્યું હતું. ઝુબેર જેવાઓ માણસાઈની એરણે હિંદુઓને માપે એ કેમ ચલાવી લેવાય! એ અક્ષમ્ય ગુનો છે.

મોહમ્મદ ઝુબેર અને કેટલાક સેક્યુલર હિંદુઓ તો ઠીક, સાવ સામાન્ય હિંદુઓને પણ આનો અનુભવ થયો! કદાચ પહેલીવાર. મુઝફ્ફરનગરની ઘટના વાયરલ થઈ એ જોઇને મોટી સંખ્યામાં હિંદુઓએ આઘાતનો અનુભવ કર્યો. આ ન ચાલે. આવું તો ન જ કરાય. નાના બાળકને આવી રીતે મરાતું હશે! ભગવાન આને માફ ન કરે. હિંદુને આ ન શોભે. હિંદુ ધર્મ આવું નથી કહેતો, વગેરે વગેરે. સોશ્યલ મીડિયા પર સામાન્ય હિંદુઓનો માણસાઈનો પોકાર જોઇને આ લખનારને શાતા વળી હતી. કેવી સુંદર ઘટના જેમાં મોટી સંખ્યામાં હિંદુઓ માણસાઈના પડખે ઊભા રહ્યા. જે હિંદુ ધર્મને હું સમજ્યો છું, જે હિંદુ દર્શન(બ્રાહ્મણ અને શ્રમણ બન્ને)નો મેં અભ્યાસ કર્યો છે, જે હિંદુ વારસાનો મને પરિચય છે, જે હિંદુ પરિવેશમાં મારો ઉછેર થયો છે એ હિંદુ આવો જ હોય! આવો જ હોવો જોઈએ. હિંદુ હોવા માટે અભિમાન ધરાવનારાઓની છાતી ગજગજ ફૂલે એવી એ સુંદર ઘટના હતી. હું તો હિંદુ ધર્માભિમાની નથી, પણ મેં પણ ગર્વનો અને એનાથી વધુ ઉપર કહ્યું એમ શાતાનો અનુભવ કર્યો હતો.

પણ પછી બીજા-ત્રીજા દિવસે સૈનિકો બહાર આવ્યા. જેનો કોઈ પણ રીતે બચાવ ન થઈ શકે એનો બચાવ કરવા કસરત કરવા લાગ્યા. કોઈ મુસલમાનોના અત્યાચારો યાદ કરાવવા લાગ્યા તો કોઈ વળી કાઁગ્રેસના પક્ષપાતના. કોઈએ સેક્યુલર હિંદુઓના પક્ષપાતી સેકયુલરિઝમની યાદ અપાવી. કોઈક એવા પણ હતા જે ઘટના પાછળની ઘટના કે ઘટનાઓ રચી રચીને રજૂ કરવા લાગ્યા. કોઈક વળી વિદ્વતાનો અંચળો ઓઢીને સેમેટિક ધર્મો(મુખ્યત્વે ઇસ્લામ અને કાંઈક અંશે ખ્રિસ્તી)ના સ્વભાવ વિષે મલ્લીનાથી કરવા લાગ્યા. ઉદ્દેશ એક જ હતો જે આગળ કહેવામાં આવ્યું છે. માણસાઈની એરણે હિંદુ લજવાય અને મોળો પડે તો હિંદુ રાજ કેવી રીતે અસ્તિત્વમાં આવે અને આવે તો ટકી રહે. સત્તા અને સરસાઈની એરણે ટકી રહેવું જરૂરી છે.

તો હવે કહો કે આનો અર્થ તમે શું કરશો? દ્વન્દ્વ હિંદુ અને મુસલમાનની વચ્ચે છે કે હિંદુઓની અંદર છે? એક એ હિંદુ છે જે હિંદુ હોવા ઉપરાંત માણસ બની રહેવા માગે છે અને એક એ હિંદુ છે જે માણસાઈના ભોગે હિંદુ હોવાપણું શોધે છે. આ સવાલ મુસ્લિમ વિશ્વમાં પણ પૂછાવો જોઈએ અને કેટલાક ભલા મુસલમાનો પૂછે પણ છે, પરંતુ તેમનો આવાજ જોઈએ એટલા પ્રમાણમાં લોકો સુધી પહોંચતો નથી. દ્વન્દ્વ મુસલમાનોની વચ્ચે છે કે મુસ્લિમ અને કુફ્ર(ઇસ્લામને નહીં માનનારાઓ)ની વચ્ચે છે? જો એ અવાજ બુલંદ હોત અને આમ મુસલમાન સુધી પહોંચ્યો હોત તો આજે મુસ્લિમ દેશોની સ્થિતિ જેવી છે એવી ન હોત. ધર્માંધ લોકો “આપણે” અને “બીજાઓ” વચ્ચેનાં દ્વન્દ્વનો આશરો લે છે કે જેથી અંદર ડોકિયું કરવું ન પડે. તેમને અંદર ડોકિયું કરતાં ડર લાગે છે અને જો લોકો અંદર ડોકિયું કરતા થાય અને તેનો માયલો જાગે તો તો હજુ વધુ ડર લાગે છે. માણસાઈથી મોટી પક્ષપાતરહિત સેક્યુલર ચીજ આ જગતમાં એકેય નથી.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 03 સપ્ટેમ્બર 2023

Loading

...102030...961962963964...970980990...

Search by

Opinion

  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved