Opinion Magazine
Number of visits: 9667000
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈઝરાયલ પેલેસ્ટાઈન સંઘર્ષઃ  સત્તાની હોડ, ધર્મનો દુરુપયોગ અને પશ્ચિમી દેશોની રાજ રમત

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 October 2023

હમાસ અને ઇઝરાયલ બન્ને પોતપોતાની રીતે ખોટું કરી ચૂક્યા છે. પણ હમાસે જે કર્યું એ જધન્ય આતંકી કૃત્ય છે, ઇઝરાયલે સત્તાનો ઉપયોગ કરીને પેલેસ્ટાઈનને ટટળાવ્યું છે. બન્નેની તટસ્થતાથી ટીકા કરવી જ પડે એવી સ્થિતિ છે. વળી આ જે થયું છે તેની પાછળ પશ્ચિમી દેશોએ જે કર્યું એ પણ યાદ રાખવું જરૂરી છે

ચિરંતના ભટ્ટ

1973ના ચોથા આરબ-ઇઝરાયલી યુદ્ધ પછીનો સૌથી લોહિયાળ સંઘર્ષ કહી શકાય એવા ઈઝરાયલ- હમાસના સંઘર્ષે અનેક નિર્દોષોનો ભોગ લીધો છે. હજી તો માંડ મોંસૂઝણું થયું હતું અને ઇઝરાયલ પર ૫,૦૦૦ મિસાઇલ્સ છોડવામાં આવી. ઇઝરાયલના વડા નેતન્યાહુએ પોતાનો દેશ યુદ્ધની સ્થિતિમાં છે અને દુ:શ્મનોએ આનો જવાબ આપવો જ પડશે એવું વિધાન કર્યું. અત્યારે તો ઇઝરાયલે હમાસને ગાઝા પટ્ટીમાં પાછું ધકેલ્યું છે, તો આ તરફ લેબનનના હિઝબુલ્લા જૂથે પણ પેલેસ્ટાઈનને પોતાનો ટેકો જાહેર કરવા ઈઝરાયલ પર થોડા-ઘણા રોકેટ્સ છોડ્યા છે. ઇઝરાયલ અને હમાસ બન્ને તરફ લોકોનાં મોત થયાં છે, વળી અપહરણ કરીને તાબામાં લેવાયેલા ઇઝરાયલીઓનો આંકડો ય મોટો છે.

આપણે ત્યાં સોશ્યલ મીડિયા પર જુદાં જ સ્તરે બબાલ ચાલે છે, કે તમે પેલેસ્ટાઈન સાથે છો કે ઇઝરાયલ સાથે છો? કહેનારાઓ ત્યાંથી શરૂ કરે કે ઇઝરાયલીઓએ પેલેસ્ટાઇનના લોકો સાથે ભૂતકાળમાં જે પણ કર્યું છે એ ખોટું જ કર્યું છે, એ જે પણ થયું છે તેનો કોઈ યોગ્ય બચાવ ન હોઇ શકે પણ શું એનો અર્થ એમ કે હમાસના આતંકવાદીઓ બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સાથે છેલ્લાં અઠવાડિયામાં જે કરી ચૂક્યાં છે એ ચલાવી લેવું જોઈએ? આતંકવાદીઓ કોઈ નિયમો નથી અનુસરતા. હમાસના આતંકવાદીઓએ નકરી બર્બરતા આચરી છે. વળી આપણે ભારતીયો તો ઘર આંગણે ચાલી રહેલી બર્બરતા પર કંઇ બોલવા નથી માંગતા પણ મિડલ–ઇસ્ટના આટલા જટિલ મુદ્દા અંગે આપણને આપણી માન્યતાઓ આ પાર કે પેલે પાર વાળી નક્કી કરીને જાહેર કરી દેવી છે. ઇતિહાસ જાણ્યા વગર કશું પણ નક્કી કરી લેવું સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે.

હમાસ – એક કટ્ટરવાદી આતંકવાદી જૂથ છે જેને પેલેસ્ટાઈનના અધિકૃત સૈન્ય સાથે કોઈ લેવાદેવા નથી. ગાઝા પટ્ટી એક તરફ ઇઝરાયલ પર આધારિત છે તો બીજી તરફ ઇજિપ્ત સાથે જોડાયેલી છે અને ગાઝામાં રહેનારા પેલેસ્ટાઇનીઓએ બન્ને તરફના રાષ્ટ્રો પર પોતાની પ્રાથમિક જરૂરિયાતો માટે આધાર રાખવો પડે છે. હમાસના હુમલા પછી ઇઝરાયલે ગાઝાને કોઈપણ પ્રકારની સેવાઓ પૂરી પાડવાનું અત્યાર પૂરતું બંધ કરી દીધું છે.

પેલેસ્ટાઈન – જે હાલમાં ગાઝાપટ્ટી અને વેસ્ટબેંકના પ્રદેશો પર દાવા કરતું સાર્વભૌમ રાજ્ય છે તે ઐતિહાસિક સમયથી ખ્રિસ્તી, મુસલમાન, યહૂદીઓ માટે અગત્યનું રહ્યું છે. 1500ની સાલથી અહીં ઓટોમન સામ્રાજ્ય હતું. ૧૮૦૦ની સાલમાં યહૂદીઓએ પોતાની પર થતા અત્યાચારોને, ખાસ કરીને યુરોપમાં થતા દમનને રોકવા એક રાષ્ટ્ર ઘડવાનો નિર્ણય કરવાના હેતુથી ચળવળ શરૂ કરી. યહૂદીઓએ ઓટોમન શાસિત પેલેસ્ટાઈનને પોતાનું ગણીને ત્યાં સ્થળાંતર કરવાનું પણ શરૂ કરી દીધું. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજ અને ફ્રેંચ સત્તાઓએ આરબ જૂથોને પોત-પોતાની તરફ કરી ઓટોમન સામ્રાયજ્ની વિરુદ્ધ લડવા સજ્જ કર્યા અને તેમને અલગ આરબ દેશ આપવાની લાલચ આપી. ઓટોમન સામ્રાજ્યને હરાવ્યા પછી અંગ્રેજો અને ફ્રેંચ સત્તાધીશોએ આરબોને કરેલા વાયદા વખારે નાખ્યા અને મિડલ ઇસ્ટને વહેંચી લેવું એમ નક્કી કર્યું. આરબો અને યહૂદીઓને બન્નેને પેલેસ્ટાઇન આપવાનું વચન આપી અંગ્રેજોએ વિશ્વયુદ્ધમાં પોતાનું કામ કઢાવી લીધું અને પેલેસ્ટાઈન તો અંગ્રેજોની પાસે ગયું. આ બાજુ યહૂદીઓએ પેલેસ્ટાઇનમાં સ્થાયી થવાનું ચાલુ રાખ્યું જેની સામે આરબોને વાંધો હતો. બીજા વિશ્વ યુદ્ધમાં યહૂદીઓ હિટલરથી જીવ બચાવવા પેલેસ્ટાઇન તરફ મોટી સંખ્યામાં જવા લાગ્યા. યુદ્ધ પછી અંગ્રેજોએ પેલેસ્ટાઈનનો હવાલો યુનાઈટેડ નેશન્સને આપી દીધો. યુનાઈટેડ નેશને નક્કી કર્યું કે પેલેસ્ટાઈનના બે ભાગ કરી દેવા અને યહૂદીઓને ઈઝરાયલ આપીને બાકીનું પેલેસ્ટાઈન આરબોને આપી દેવું. ૧૯૪૭માં થયેલા આ ભાગલા ભારત પાકિસ્તાનના ભાગલા જેટલા મોટા નહોતા પણ ત્યાં પણ પછી યહૂદીઓ અને આરબો વચ્ચે સંઘર્ષ શરૂ થયો. 1948માં ઇઝરાયલ રાષ્ટ્ર જાહેર કરાયું. સાત લાખ આરબ આ ભાગલા અને જંગ દરમિયાન રઝળી પડ્યાં. આજે પણ ઇઝરાયલ અને પેલેસ્ટાઈનના સબંધો આ જ કારણે તંગ છે. બરાબર ભારત પાકિસ્તાન જેવી સ્થિતિ, જેને માટે પણ પશ્ચિમી દેશો જ જવાબદાર હતા.

1956માં ઇજિપ્તે, ફ્રેંચ અને બ્રિટિશ નિયંત્રણમાં હતી એવી સુએઝ કેનાલનું રાષ્ટ્રીયકરણ કરીને ઇઝરાયલ તેનો ઉપયોગ નહીં કરી શકેની જાહેરાત કરી. સ્વાભાવિક છે પરિણામ હતું યુદ્ધ, જેમાં જોડાયા અંગ્રેજ, ફ્રેંચ અને ઇઝરાયલના યહૂદીઓ. પશ્ચિમી દેશોનો ઇરાદો સાફ હતો કે જ્યારે મિડલ-ઇસ્ટમાં પોતાના સ્વાર્થના સમીકરણો પાર પાડવા હોય ત્યારે ઇઝરાયલની મદદ લેવાની. આ પછી પણ આરબ અને ઇઝરાયલીઓ વચ્ચે યુદ્ધો થયા પણ દર વખતે ઇઝરાયલની જીત થઇ. 1978માં અનેક વાર પછડાટ ખાઈ ચૂકેલા ઇજિપ્તે ઇઝરાયલ સાથે સબંધો સુધાર્યા. આ સંઘર્ષમાં અત્યાર સુધી સૌથી વધારે હેરાન થયા હતા પેલેસ્ટાઈનના લોકો, જેમણે પોતાની સ્વતંત્રતા માટે એક સંસ્થા સ્થાપી. જેને યુ.એન.ની મંજૂરી પણ મળી.  છતાં ય ત્યાંના અમુક લોકોને આ સંસ્થાની કામગીરી નરમ લાગતી એટલે એક નવું જૂથ ઘડાયું – હમાસ. હમાસનો એક જ હેતુ છે કે ઇતિહાસમાં જેટલું પેલેસ્ટાઇન હતું તેવું આખું પેલેસ્ટાઈન રચી તેને પૂરી રીતે મુસલમાન રાષ્ટ્ર બનાવવું.

એંશીના દાયકાની શરૂઆતમાં ઇઝરાયલી સૈન્યની કામગીરી સામે લેબનનમાં હિઝબુલ્લાની રચના થઈ. આ જ હિઝબુલ્લા અને હમાસ પેલેસ્ટાઈનમાં ઇઝરાયલ વિરોધી કામગીરી કરતા આવ્યા છે. આ બાજુ યહૂદીઓ જે સતત દમનનો ભોગ બનતા આવ્યા છે તે પોતાના બચાવ માટે યુદ્ધ કે સશસ્ત્ર સંઘર્ષને હાથવગું માધ્યમ ગણે છે અને તેમના આવા અભિગમને કારણે પેલેસ્ટિની આરબો પણ સતત સામા થતા રહ્યા છે. શાંતિ કરારો લાગુ કરવાના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા. જેમ ભારતીય સ્વાતંત્ર સંગ્રામમાં ગરમ દળ અને નરમ દળના વિચારો વચ્ચે ભેદ હતા તેવા ભેદ હમાસ અને પેલેસ્ટાઈનન લિબરેશન ઓર્ગેનાઈઝેશનના ફતેહ વચ્ચે પણ હતા જેને કારણે આંતરિક સંઘર્ષ થયા. હમાસે ત્યાં 2006માં ચૂંટણી પણ જીતી લીધી જેનો પશ્ચિમી દેશોએ વિરોધ કર્યો. હમાસ અને ફતેહ હવે પેલેસ્ટાઈનના અલગ અલગ હિસ્સા પર સત્તા જમાવીને બેઠા. બહારના યુદ્ધો તો ખરાં જ પણ આંતરિક સમસ્યા પણ એટલી જ મોટી. ઇઝરાયલે ગાઝાને ગરીબી અને ભૂખમરામાં સડવા દીધું જેથી તેનામાં વિરોધ કરવાનું જોર ન આવે. ઈઝરાયલ જે કરે છે એ ખોટું છે એવું તો ઘણી માનવાધિકાર સંસ્થાઓએ પણ જાહેર કર્યું છે. હમાસે જંગાલિયત ભર્યા હુમલાનો ઇઝરાયલે પણ તગડો જવાબ વાળ્યો છે. ખરેખર તો બે રાષ્ટ્રોમાં શાંતિપૂર્ણ વિભાજન જ સૌથી સારો રસ્તો છે પણ કટ્ટરવાદ ભલભલાને આંધળા અને બહેરા બનાવી દે છે અને હમાસ તેનું તાજું ઉદાહરણ છે.

આ બધામાં ભારત જેને ઇઝરાયલ સાથે સારા સંબંધ છે તેણે શું કરવું? ભારતે 1947માં તો પેલેસ્ટાઈનના ભાગલાનો વિરોધ કર્યો હતો. પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશનને પણ ભારતનો ટેકો રહ્યો છે. યહૂદીઓના વતનની ચાહને આરબોના પોતાના રાષ્ટ્રના અધિકાર સાથે ટકરાવ ન હોવો જોઇએ એવું જવાહરલાલ નહેરુએ કહ્યું હતું. અટલ બિહારી વાજપાયીએ પણ પેલેસ્ટાઈનને ટેકો આપતું વિધાન જ કર્યું હતું અને ઇઝરાયલે કબ્જે કરેલી જમીન જતી કરવી જોઈએ એમ કહેલું. ભારતે આ જ વલણ રાખ્યું છે પણ ઇઝરાયલ સાથે સંતુલિત સંબંધો રાખ્યા છે. ઇઝરાયલ સાથે આપણા રાજદ્વારી સંબંધો પચાસના દાયકાથી શરૂ થયા અને સમયાંતરે બહેતર જ બનતા રહ્યા છે. મોદી સરકારે પણ ઇઝરાયલ સાથે સંબંધો ગાઢ રાખ્યા છે. હમાસના હુમલાને આતંકી હુમલો ગણાવી તેની ટીકા પણ નરેન્દ્ર મોદીએ કરી. જો કે આ પહેલા નરેન્દ્ર મોદીએ ઇઝરાયલ અને પેલેસ્ટાઈન બન્ને સાથે બહુ મુત્સદ્દી રીતે સંબંધ સાચવ્યા છે. ઇઝરાયલ જાય પણ પેલેસ્ટાઈન સિવાયના તેના સ્પર્ધક દેશોને મળે તો પેલેસ્ટાઈન જાય તો ઇઝરાયલ ન જાય. ભારતને સાઉદી અરેબિયા, ઇજિપ્ત, કતાર, ઇરાન સાથે સુરક્ષાલક્ષી કરાર છે અને પશ્ચિમ એશિયામાંથી આપણી 50 ટકા ઉર્જા આવે છે. આવામાં પેલેસ્ટાઈનની સ્વતંત્રતાની માગને ટેકો આપવો પણ અગત્યનો છે જે ભારત સરકાર કરે જ છે.

બાય ધી વેઃ

ભારત સરકાર જો રાજદ્વારી સંબંધોને ગણતરીમાં રાખીને ખુલ્લેઆમ પેલેસ્ટાઈન કે ઇઝરાયલને ટેકો ન આપતી હોય તો બીજા કોઈ ભારતીયએ પણ એ ભાંજગડમાં ન પડવું જોઇએ. હમાસ અને ઇઝરાયલ બન્ને પોતપોતાની રીતે ખોટું કરી ચૂક્યા છે. પણ હમાસે જે કહ્યું એ જધન્ય આતંકી કૃત્ય છે, ઇઝરાયલે સત્તાનો ઉપયોગ કરીને પેલેસ્ટાઈનને ટટળાવ્યું છે. બન્નેની તટસ્થતાથી ટીકા કરવી જ પડે એવી સ્થિતિ છે. વળી આ જે થયું છે તેની પાછળ પશ્ચિમી દેશોએ જે કર્યું એ પણ યાદ રાખવું જરૂરી છે. પૂર્વગ્રહો આધારિત નિષ્કર્ષ પર જવાને બદલે ઇતિહાસનો અભ્યાસ વધુ જરૂરી છે. ઇઝરાયલે હુમલો કર્યો ત્યારે પહેલાં ગાઝા પટ્ટી પરથી આમ આદમીઓને સ્થળાંતર કરવાની ચેતવણી પણ આપી, કોઈ સંગીત સમારોહ પર બેફામ હુમલો નથી કર્યો. દુનિયા આખીમાં જ્યાં કટ્ટરવાદી મુસલમાનો છે તેમણે પેલેસ્ટાઈન તરફી વિધાનો કરવામાં યહૂદીઓ પર અત્યાચારની વાત કરી છે જે પણ સ્વીકારાય તેવી નથી. ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં પોતાની પકડ બનાવી રાખવા અત્યાચાર કર્યા જ છે પણ છતાં ય અત્યારે મુદ્દો આતંકવાદનો છે અને પેલેસ્ટાઈનને નામે નરસંહાર કરનારા હમાસનો છે.  પેલેસ્ટાઈન પ્રત્યે સહાનુભૂતિ જો વૈશ્વિક સ્તરે ઘટશે તો તેમાં પણ હમાસનો જ હાથ હશે એ ત્યાંના લોકોએ સમજવું પડશે.  ભારતમાં ઇસ્લામોફોબિયા અને ધ્રુવીકરણ છે જ પણ હમાસના આતંકી કૃત્યને વખોડવામાં આપણે એક રાષ્ટ્ર તરીકે કંઈ જ ખોટું નથી કર્યું એ પણ એક હકીકત છે.  જોર જુલમ કરવાથી કશાય નો અંત નહીં આવે, રાજકીય અને સામાજિક સમસ્યા યોગ્ય રીતે ઉકેલવાની ઇચ્છાની ગેરહાજરી કાયમી સંઘર્ષની ચિનગારી તરીકે જ કામ કરે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 ઑક્ટોબર 2023

Loading

સવર્ણ-અવર્ણની વાસ્તવિક્તા તરફ કોઈ આંગળી ચીંધે તો દેશની એકતા જોખમાય !

રમેશ ઓઝા|Opinion - Opinion|15 October 2023

રમેશ ઓઝા

બિહાર સરકારે બિહારમાં કરાવેલી જાતિ-જનગણના પછી જે આંકડાઓ બહાર પાડવામાં આવ્યા છે એ ચોંકાવનારા છે. બિહારની કુલ વસ્તીમાં અન્ય પછાત કોમ(ઓ.બી.સી.)નું પ્રમાણ ૬૩.૧૪ ટકા છે અને તેની અંતર્ગત અતિ પછાત કોમનું પ્રમાણ ૩૬.૦૧ ટકા છે. આનો અર્થ એ થયો કે બિહારમાં અન્ય પછાત જાતિઓમાં અતિ પછાત જાતિઓનું પ્રમાણ ૬૦ ટકા જેટલું છે. યાદ રહે, પછાત અને અતિ પછાત જાતિઓમાં મુસલમાનોનો પણ સમાવેશ થાય છે. ગયા સપ્તાહના મારા લેખમાં મેં લખ્યું હતું કે મુસલમાનો પણ જ્ઞાતિગ્રસ્ત છે. જેમ ઉજળિયાત હિંદુઓ હિંદુઓમાં અસ્તિત્વ ધરાવતો ભેદભાવ સ્વીકારવા તૈયાર નથી અને જો તમે એ વાત કાઢો તો હિંદુ મહાનતાનાં ગાણાં ગાવા માંડશે એમ ભદ્ર મુસલમાનો પણ તેમની અંદર પ્રવર્તતો ભેદભાવ સ્વીકારવા તૈયાર નથી અને ગાણાં ગાશે કે ઇસ્લામ તો જગતનો એક માત્ર ધર્મ છે જે સમાનતામાં માને છે. ભારતમાં એક માત્ર પારસીઓને છોડીને દરેક ધર્મીય જ્ઞાતિગ્રસ્ત છે. પારસીઓ નથી કારણ કે પારસીઓ પોતાના ધર્મમાં અન્ય ધર્મીઓને પ્રવેશ આપતા નથી. જ્યાં જ્યાં હિંદુઓ ગયા છે ત્યાં પોતાની જ્ઞાતિ લેતા ગયા છે અને અમારા ધર્મમાં ભેદભાવ નથી એવો દાવો કરનારાઓએ પ્રવેશ આપીને ભેદભાવ કાયમ રાખ્યા છે.

માટે બિહાર સરકારે જાતિ જનગણના ધર્મોને વચ્ચે લાવ્યા વિના સાર્વત્રિક કરાવી છે અને એ માટે આપણે બિહાર સરકારના ઋણી છીએ. હશે, દરેક ધર્મ મહાન હશે, દરેક ધર્મના અનુયાયીઓ મહાન હશે, એમનો ઇતિહાસ ઉજ્વળ હશે, પણ એ મહાન લોકોની જમાતમાં કેટલાક લોકો વિકાસની સીડી પર નીચે છે અથવા કતારમાં પાછળ છે અને માટે તેમને પછાત તરીકે ઓળખવામાં આવે છે. આ એરણે જોઈએ તો બિહાર સરકારે કરાવેલી જાતિ જનગણના વિકાસલક્ષી છે, કોમી નથી.

જેને અનમાતનો લાભ નથી મળતો એવા જનરલ કેટેગરીના લોકોની સંખ્યા બિહારની કુલ વસ્તીમાં ૧૫.૫૨ ટકા છે. યાદ રહે, અહીં પણ ઉચ્ચ કુળના મુસલમાનોનો સમાવેશ થાય છે. પણ તો પછી ૧૫.૫૨ ટકા સવર્ણોમાં હિંદુ સવર્ણોનું પ્રમાણ કેટલું અને તેમાં કોનો સમાવેશ થાય છે? બિહારમાં ચાર જ્ઞાતિઓ સવર્ણ જ્ઞાતિઓ છે જેમાં બ્રાહ્મણો, ભૂમિહારો, કાયસ્થો અને રાજપૂતોનો સમાવેશ થાય છે. બિહાર સરકારે જેમ અન્ય પછાત કોમમાં અતિ પછાત કોમની જનગણના કરવી છે એમ સમાજમાં તગડા તરીકે ઓળખાતા અગડા(અગ્રેસર)ની પણ જ્ઞાતિવાર ગણના કરાવી છે. અને તેનું પરિણામ આ મુજબ છે: બ્રાહ્મણ ૩.૬૭ ટકા, રાજપૂત ૩.૪૫ ટકા, ભૂમિહાર ૨.૮૯ ટકા અને કાયસ્થ ૦.૬૦ ટકા. કુલ ૧૦.૬૧ ટકા.

હવે, ઘડીભર વિચારો કે તમે તમારે ઘરે ભોજન સમારંભ રાખ્યો છે. એને માટે તમે રસોયાને બોલાવીને સીધો – સામાનની યાદી બનાવવા બેઠા છો. રસોયો તમને પહેલો સવાલ પૂછશે કે  જમનારા કેટલા હશે? સંખ્યા બતાવો તો હું તમને કહી શકું કે કઈ ચીજની કેટલી જરૂર પડશે. સંખ્યાની જાણકારી વિના રસોયો રસોઈ પણ નથી બનાવી શકતો ત્યાં ભારત સરકાર લાભાર્થીઓની સંખ્યાની જાણકારી વિના લાભ આપે છે. અને આવો જગતમાં માત્ર એક જ દેશ છે જે પાછો પોતાને વિશ્વગુરુ તરીકે ઓળખાવે છે. આપણી જેમ જ, પણ પોતાની જરૂરિયાત મુજબ અને પ્રમાણમાં અનામતનો લાભ જગતમાં અનેક દેશોમાં આપવામાં આવે છે. લગભગ બધા દેશોમાં. અંગ્રેજીમાં તેને affirmative actions કહેવામાં આવે છે. કોઈ દેશમાં રામરાજ્ય નથી અને કોઈ ધર્મ અને એ ધર્મની પ્રજા સર્વગુણસંપન્ન નથી. દરેક જગ્યાએ એક પ્રજા બીજી પ્રજાને અન્યાય કરતી આવી છે અને કરે છે. પેઢી દર પેઢી અન્યાયનો શિકાર બનતા આવ્યા હોય એવા પ્રજાસમૂહોને ત્યાંની સરકાર ખાસ સવલત આપે છે કે જેથી તે અગડા અને તગડા સાથે બરાબરી કરી શકે.

પણ ફરક એ છે કે આવા દરેક દેશમાં કોણ ક્યાં છે, કોના સ્તરમાં કેટલો સુધારો થયો, કોને એમાંથી બાદ કરવા જોઈએ, કોને હજુ વધુ લક્ષ આપવાની જરૂર છે એની ગણતરી કરવામાં આવે છે. માત્ર ભારત જ એક એવો દેશ છે જ્યાં જમનારાઓની સંખ્યાની ગણતરી માંડ્યા વિના ભોજન બનાવવામાં આવે છે તેમ જ પીરસવામાં આવે છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીની સરકારે આર્થિક રીતે પછાત સવર્ણોને દસ ટકાની અનામતની જોગવાઈ કરી એ તો યાદ જ હશે. જેની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયા કરતાં ઓછી હોય અને જે શહેરમાં હજાર ફૂટ કરતાં નાનાં ઘરમાં રહેતો હોય તેને દસ ટકા અનામતનો લાભ મળશે. બિહાર સરકારે કરાવેલ જનગણનાનાં આંકડા મુજબ બ્રાહ્મણ, ભૂમિહાર, રાજપૂત અને કાયસ્થોની દસ ટકાની (૧૦.૬૧ ટકા) વસ્તીને દસ ટકા.

અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે ભારતમાં ઉજળિયાત કોમનું પ્રમાણ ૧૫ ટકા કે તેનાથી થોડું વધારે હોવું જોઈએ અને અન્ય પછાત જાતિઓનું પ્રમાણ બાવન ટકાની આસપાસ હોવું જોઈએ. આ બન્ને આંકડા ક્યાંથી આવ્યા એનો કોઈ ખુલાસો મળતો નથી. કદાચ જનરલ કેટેગરી માટે પચાસ ટકા બેઠકો ઓપન કેટેગરીમાં રાખી શકાય એવી કોઈક ગણતરી હશે. પણ હવે બિહાર પૂરતો તો ખુલાસો થયો છે કે સવર્ણો દસ ટકાની આસપાસ છે અને જેને અન્ય પછાત કોમ તરીકે ઓળખાવવામાં આવે છે એ બહુજન સમાજનું પ્રમાણ બાવન ટકા નથી, પણ તેનાથી ક્યાં ય વધુ ૬૩.૪૦ ટકા છે.

૬૩ ટકા પછાતોને આપવામાં આવતું ૨૭ ટકા અનામત ખટકે છે અને તેમાં અન્યાય નજરે પડે છે અને દસ ટકા સવર્ણોને આપવામાં આવેલ ૧૦ ટકાનો બચાવ કરવામાં આવે છે અને તેમાં ન્યાય નજરે પડે છે. આ નર્યો ઢોંગ છે. જો ન્યાય કરવો હોય તો સમાજનો એક્સરે લેવો જોઈએ અને એ એક્સરે સર્વાંગીણ વસ્તીગણતરી દ્વારા જ થઈ શકે. એમાં માત્ર આપવાનો જ ચિતાર નથી મળવાનો, કોને કેટલું ઘટાડવું અને કોને સાવ બાહર કરવા તેનો પણ અંદાજ આવશે. ન્યાય તો આ રીતે જ થાય. જેને જેટલા પોષણની જરૂર હોય એટલું આપવાનું અને પોષણની જરૂર ન હોય તો તેને આત્મનિર્ભર કરી દેવાના.

પણ સંઘ પરિવારને જ્ઞાતિ સામે વાંધો છે. જ્ઞાતિ હિંદુ કોમવાદનું વારણ છે એ તેઓ જાણે છે અને એટેલે દેશની એકતાના નામે તેનો વિરોધ કરે છે. હિંદુ મુસ્લિમ વિખવાદ પેદા કરવાથી દેશની એકતા જળવાઈ રહે અને દેશ આબાદ થઈ જાય અને સર્વણ અવર્ણની વાસ્તવિકતા તરફ કોઈ આંગળી ચીંધે તો દેશની એકતા જોખમાય!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 ઑક્ટોબર 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—218

દીપક મહેતા|Opinion - Opinion|14 October 2023

દસ વરસની ઉંમરે ખાલી ખિસ્સે મુંબઈ આવેલો છોકરો બન્યો શેઠ ગોકળદાસ તેજપાલ    

સમય : ઈ.સ. ૧૮૬૫નો એક દિવસ. સ્થળ: મ્યુનસિપલ કમિશનરની ઓફિસ

પાત્રો : મ્યુનસિપલ કમિશનર આર્થર ક્રાફર્ડ (૧૮૩૫-૧૯૧૧), શેઠ ગોકળદાસ તેજપાલ (૧૮૨૨-૧૮૬૭), અને તેમના મુનીમ. 

સ્વામી આનંદ (૧૮૮૭-૧૯૭૬), રતનજી ફરામજી વાછા (૭૮ વરસની ઉંમરે બેહસ્તનશીન થયા, ૨૨ ઓગસ્ટ ૧૮૯૩) અને આપનો નાચીઝ દી.મ.  

*

શેઠ ગોકળદાસ તેજપાલ 

ક્રાફર્ડ : વેલકમ સેટ ગોખુલદાસ. શુ ખબર ચે?

શેઠ ગોકળદાસ : શેર બજાર રાતોરાત ભાંગ્યું તે દિવસથી બધા ખબર તો બુરા જ આવે છે, સાહેબ!

ક્રાફર્ડ : પણ અમે સાંભળ્યું છે કે બીજાઓ જેટલા તુમારા ખરાબ હાલ થયેલા નથી છે.

શેઠ ગોકળદાસ : એ તો ઉપરવાળાની મહેરબાની અને વડીલોના આશીર્વાદનું ફળ. પણ આજે હુજૂરે મને યાદ કર્યો તેનું કારણ …

ક્રાફર્ડ : ઓકે. હવે હું કારનની વાત પર જ આવું. અમારી સરકાર મુંબઈમાં ‘દેશી’ લોકો માટે એક મહોતી હોસ્પિટલ બાંધવા માગે છે.

શેઠ ગોકળદાસ : હા જી. એ તો બહુ જરૂરી છે. 

ક્રાફર્ડ : પણ પ્રોબલમ એ છે કે તેને માટે સરકાર પાસે પૈસા નથી. એટલે હમોએ રૂસ્તમજી જમશેદજી જીજીભોયને વાત કરેલા અને તેઓ પંદર હજાર પાઉન્ડ આપવા રાજી થયેલા. બીજા દસ હજાર પાઉન્ડ સરકાર ખરચશે.

શેઠ ગોકળદાસ : બે અદબી માફ કરજો સાહેબ, પણ સાંભળ્યું છે કે હાલમાં તેઓની સ્થિતિ …

ક્રાફર્ડ : એ જ તો પ્રોબલમ છે. શેર બજારની સાથે તેઓ બી ડૂબી ગિયા છે. એટલે એવન એક પાઈ બી આપી સકે તેમ નથી.

શેઠ ગોકળદાસ : મને ખાતરી છે કે આપના જેવા દૂરંદેશી હાકેમે બીજો રસ્તો વિચારી રાખ્યો જ હશે. 

ક્રાફર્ડ : હા, અને એ બીજો રસ્તો છે શેઠ ગોકળદાસ તેજપાલ.

શેઠ ગોકળદાસ (મનમાં) : હવે સમજાયું કે સાહેબ આટલી નમનતાઈથી કેમ વાત કરે છે આજે. (પ્રગટ) : સાહેબ, આપ કહો એમાં વિચાર કરવાનો હોય જ નહિ. પણ આપ જાણો જ છો કે મને પણ ઘા નહિ તો ઘસરકો તો વાગ્યો જ છે. 

ક્રાફર્ડ : એલફન્ટને એવા ઘસરકા વાગે એથી …

ગોકળદાસ : બસ સાહેબ! આપીશ. પંદર હજાર પાઉન્ડ હું આપીશ. અને દસ હજાર પાઉન્ડ સરકાર આપશે.

ક્રાફર્ડ : તમોની પાસેથી હંમે આવા જવાબની જ હોપ રાખેલી. સરકાર અને હું આપના આભારી છીએ. અને હા. આ હોસ્પિટલ સાથે સરકાર તમારું નામ જોડશે : ગોકળદાસ તેજપાલ હોસ્પિટલ. અને આવતા અનેક વરસ સુધી લોકો તમને દુઆ દેશે.

*

દી.મ. : પણ સરકાર જેનું નામ. હોસ્પિટલના મકાનનું બાંધકામ શરૂ થયું છેક ૧૮૭૦ના મે મહિનાની ૧૦મી તારીખે અને પૂરું થયું ૧૮૭૪ના એપ્રિલની ૮મી તારીખે.

વાછા શેઠ : પણ કામ શુરુ થયું તે આગમચ ૧૮૬૭માં ગોકળદાસ શેઠ તો પ્રભુને પ્યારા થઈ ગિયા હુતા.

સ્વામી આનંદ : આ શેઠ ગોકળદાસના ખાનદાનની વાત જીવરાજ બાલુની વાત સાથે ઘણી મળતી આવે છે. કચ્છ અબડાસાનું કોઠારા ગામ. આ ગામના ઠક્કર ખટાઉ કેશવજીએ કારમી ગરીબીથી ત્રાસીને દસ વરસની ઉંમરના દીકરા નાનજીને પડખેના ગામનું કોઈ કોટીયું વહાણ જાય તેમાં ટંડેલને આજીજી કરીને મુંબઈ કૂટી ખાવા ચડાવી દીધો. બે ટંક ચાલે એટલા ભાતા ઉપરાંત ગાંઠે પાઈ બંધાવેલી નહિ. 

વાછા શેઠ : અજાણ્યો મલક. નહિ કોઈની ઓલખ કે નહિ પાલખ. પેટમાં તો બલાડા બોલે. રડવા લાગ્યો. એક મજૂરને દયા આવી. પોતાના ભાતાની પોટલીમાંથી થોરૂં ખવરાવ્યું. પછી લઈ ગયો એક ગુજરાતી મોદીની દુકાને. નાનજી હૂતો કચ્છી. પાધરું ગુજરાતી બોલતાં બી આવરે નહિ. પેલા મજૂરે મોદીને એક આનો આપી છોકરાને ખજૂર આપવા કહ્યું. મોદીને બી દયા આવી હોસે તેથી બે આના જેટલું ખજૂર આપ્યું. બાજુમાં એક મહેતાજીની નિશાળ. છોકરાને કીધું કે નિશાળની બહાર બેસીને ખજૂર વેચવા માંડ. સાંજ સુધીમાં છોકરાએ છ પૈસાનો નફો કીધો. રોટલો ઘરીને ખાધો અને પછી મોદીની દુકાનને ઓટલે સૂઈ ગયો. વરસ થયું તે વારે દસ રૂપિયા બચાવ્યા તે દેશમાં બાપને મોકલ્યા. 

સ્વામી આનંદ : પણ આ દસ રૂપિયા એ તો આભ ફાટ્યું હોય ત્યાં થીગડું દીધા જેવી વાત હતી. એટલે બાપે તો પાંચ વરસના તેજપાલને પણ વહાણમાં ચડાવી ધકેલી દીધો મુંબઈ! નાનજીને માથે તો આભ ફાટી પડ્યું. એક પેટ માંડ ભરાતું હતું ત્યાં બે પેટ પાળવાં કેમનાં? છતાં થોડા દિવસ રાખ્યો. પણ પછી ના છૂટકે વતન પાછો મોકલી દીધો.

દી.મ. : બીજી બાજુ નાનજી નવાં નવાં કામ શીખતો જાય. સારા-નરસા મિક્સ કપાસને તારવી જુદા પાડવાનું કામ શીખ્યો. પગાર મહીને પાંચ રૂપિયા. પછી સારા નમૂના તારવી ઓફિસોમાં પહોંચાડવા લાગ્યો. છ મહિનામાં પગાર પંદર. રૂની ગાંસડીઓ પર માર્કાની છાપ મારતાં શીખ્યો. ઉમર ૧૬, પગાર ૩૦. હવે બાપને લખીને ભાઈને પાછો બોલાવી લીધો. ત્યારે તેજપાલની ઉંમર સાત. માર્કા મારવાના કામમાં નાનજી અંગ્રેજી બારાખડી શીખી ગયેલો તે નાના ભાઈને શીખવી અને કપાસ પારખતાં પણ શીખવ્યું. એ કામ ભાઈને સોંપીને કપાસનો પોતીકો ધંધો શરૂ કર્યો. પહેલે જ સોદે સો રૂપિયાનો નફો.

સ્વામી આનંદ : વીસ વરસની ઉંમરે ગાંઠે દસ હજારની મૂડી. દેશ જઈ પરણી આવ્યો. પછી મલબારમાં પેઢી નાખી કોપરા, કરિયાણાં, તેજાનાનો વેપાર જમાવ્યો. તેજપાલને પરણાવ્યો. નાનજીને સંતાન ન થયું. તેજપાલને દીકરો ને બે દીકરી. દીકરાનું નામ પાડ્યું ગોકળદાસ. ગાંઠે મૂડી ત્રણ લાખ. પણ અચાનક ૩૧ની ઉંમરે તેજપાલ ગુજરી ગયો!

દી.મ.: ગોકળદાસ તેજપાલનો જન્મ મુંબઈમાં, સને ૧૮૨૨. પાંચ ગુજરાતી સુધી ભણ્યો અને પછી નિશાળ છોડી. પણ પારસી માસ્ટર પાસે અંગ્રેજી ભણ્યો.

સ્વામી આનંદ : નાનજી શેઠે ગોકળદાસને ધંધામાં પલોટવા માંડ્યો. કિશોર ગોકળદાસે પાણીમાં માછલીની જેમ બધું શીખવા માંડ્યું. નાનકડી ઓરડીમાં પેઢી. કામ ચૌદ કલાક. ઉઘરાણીમાં માળાના દાદર ચડવા, દિવસ બધો ગલીકૂંચીઓ રવડી પગનાં પાણી ઉતારતાં, મોડી રાતે રોજનું નામું પૂરું કરવું, પુરાંત સાચવવી. વેપાર અને ઘર ઉપરાંત બીજી દુનિયા ન મળે. 

વાછા શેઠ : તે વારે લોકો ગારીઘોરા ને ચાકર રાખે તે મંદિરે અને ઓફિસે જવા. બીજો કોઈ ઝાઝો ખરચ નહિ. કરકસર તો ત્રીજો ભાઈ એમ મનાય. 

સ્વામી આનંદ : હા જી. પણ ભાઈના મરણ પછી નાનજીનો ઉમંગ તૂટી ગયો. મલબારનો વેપાર બંધ કર્યો. પથારો સંકેલવા માંડ્યો. ૧૮૩૯ની આસપાસ ટૂંક બીમારી ભોગવી ગુજરી ગયા. મરણ વેળાએ ગાંઠે છ લાખનો જીવ. વારસ ગોકળદાસ. ઉંમર વરસ ૧૭. ઘા જીરવીને ગોકળદાસે વેપારમાં મન પરોવ્યું. મલબારનો વેપાર ફરી ચાલુ કર્યો. કોટમાં હોળી ચકલે રહેતા.

દી.મ. : મુંબઈના કોટમાં હોળી ચકલો?

સ્વામી આનંદ : હા, હતો. બોરી બંદર સ્ટેશનથી થોડે દૂરના ભાગમાં ભાટિયાઓની ઝાઝી વસતી. એ સ્ટેશનની બહાર નીકળો ત્યાં એક બગીચો આવે. એનું નામ ભાટિયા બાગ.

દી.મ. : હા, હા. થોડા દિવસ પહેલાં જ ત્યાંથી પસાર થતાં જોયેલો, એલ.આર. તેરસી ભાટિયા બાગ. હવે એની રખાવટ પણ સારી રીતે થાય છે.

સ્વામી આનંદ : ગોકળદાસ, ઠિંગણું કાઠું, શરીરે સ્થૂળ, તેજસ્વી આંખો, સૂઝ ગજબની. ઘેર ગાડી ઘોડા, પણ રહેણી બહુ સાદીનરવી. બરકત વધ્યે ગઈ. મિલકત કરોડે ગણાવા લાગી. જો કે અમેરિકન લડાઈ પછી રૂના ભાવ ભોંય થયા તેમાં ૨/૩ જેટલી પૂંજી ગુમાવી. 

દી.મ. : ભાટિયા કોમ વલ્લભ સમ્પ્રદાયી પુષ્ટિમાર્ગી વૈષ્ણવોની. રુઢિચુસ્ત. એટલે ગોકળદાસ જૂનવાણી માનસ અને રહેણીકરણીના. પણ એમના સારે નસીબે એક દોસ્ત મળ્યા તે ભાટિયા કોમના સૌથી વધુ જાહેર જુસ્સાવાળા શેઠ લખમીદાસ ખીમજી, અગ્રણી સુધારક. એમની અસર નીચે ગોકળદાસ જૂનવાણી વિચારોમાંથી બહાર આવતા ગયા. તેમણે કરેલી સખાવતો પાછળ સૌથી મોટી પ્રેરણા આ લખમીદાસ શેઠની. 

સ્વામી આનંદ : એટલું જ નહિ, ગોકળદાસ ‘સુધારાવાળાઓ’ સાથે ઊઠતા-બેસતા થયા. કરસનદાસ મૂળજી, કવિ નર્મદાશંકર, ડો. ભાઉ દાજી, બહેરામજી મલબારી, બધા સુધારાવાળા જોડે ઊઠબેસ. તેથી લાખોને ખર્ચે સ્કૂલો વગેરે કાઢ્યાં. પ્રેરણા લખમીદાસની, પૈસો ગોકળદાસનો. એમની જ અસરથી, કહેવાય છે કે, એ વખતે દેશ-વિદેશમાં ચકચાર જગાડનાર મહારાજ લાયબલ કેસ દરમ્યાન પણ ગોકળદાસ શેઠે સુધારાવાળાઓને છૂપી રીતે મદદ કરેલી. 

જી.ટી. હોસ્પિટલની અસલ ઈમારત

દી.મ. : વાછા શેઠ, બિલાડીને જેમ ઉંદરની વાસ આવે તેમ મને જૂની ચોપડીઓની ગંધ આવે, અને પછી બને ત્યાં સુધી એ ચોપડી મારા પેટમાં – સોરી, પટારામાં હોય. આવી એક ચોપડી તે ૧૪૪ પાનાંની ‘શેઠ ગોકળદાસ તેજપાલનાં ધર્મખાતાના કાયદાનો ખરડો’. જે તૈયાર કરેલો મથુરાદાસ લવજીએ, અને પોતાને ખર્ચે ઈ.સ. ૧૮૮૩માં છપાવેલો. ગોકળદાસ શેઠની કુલ ૩૭ સખાવતોથી શરૂ થયેલી સંસ્થાઓમાંથી કેટલીકનાં માત્ર નામ જોઈએ તો ય અચરજ થાય. ગોકળદાસ તેજપાલ બોર્ડિંગ સ્કૂલ, ગોકળદાસ તેજપાલ વિદ્યાલય (જી.ટી. હાઈસ્કૂલ), ગો.તે. એન્ગલોવર્નાક્યુલર સ્કૂલ, ગોકળદાસ તેજપાલ સંસ્કૃત વિદ્યાલય, ગો.તે. કન્યાશાળા, ગો.તે. કચ્છ માંડવી સંસ્કૃત પાઠશાળા, ગો.તે. ઇંગ્લિશ સ્કૂલ, ગો.તે. જખાઉ સ્કૂલ, ગો.તે. નળિયા સ્કૂલ, ગો.તે. વિંજાણ સ્કૂલ, ગો.તે. કોઠારા સ્કૂલ, ગો.તે. લો ફંડ, ગો.તે. લાઈબ્રેરી ફંડ, ગો.તે. લક્ષ્મીનારાયણ ધર્મ ફંડ. સખાવતોનો કુલ આંકડો ૩૭.

સ્વામી આનંદ : ભાઈ, તમે તો વિષ્ણુસહસ્રનામનો પાઠ કરતા હો તેમ નામો બોલી ગયા. પણ તેમાંની એક સંસ્થાનું નામ તો આપણા દેશના ઇતિહાસ સાથે જોડાઈ ગયું છે, ખબર છે?

વાછા શેઠ : સ્વામીજી! આય વાત કંઈ સમજાતી નઈ.

સ્વામી આનંદ : આપણા દેશની આઝાદી માટેની લડતમાં સૌથી મોટો ફાળો જો કોઈનો હોય તો તે ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસનો.

દી.મ. : આવી વાત કરવાની આજે ફેશન નથી, પણ સ્વામીજી! આપની વાત સો ટકા સાચી.

ગોકળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની સ્થાપના થઈ તેના પ્રતિનિધિઓ  

સ્વામી આનંદ : અંગ્રેજોની પ્રેરણા અને પુઢાકારીથી તેની સ્થાપના થઈ ૧૮૮૫ના ડિસેમ્બરની ૨૮મી તારીખે. એ વખતે આખા દેશમાંથી આવેલા ૭૨ પ્રતિનિધિઓની બેઠક મળી હતી ગોવાળિયા તળાવના કાંઠે આવેલી ગોકળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળાના મકાનમાં.

દી.મ. : સ્વામીજી, એ મકાન તો મેં અનેક વાર જોયેલું. બાજુની જ ન્યૂ ઈરા સ્કૂલમાં દસ વરસ ભણવા ગયો ત્યારે ટ્રામમાંથી ઊતરી રોજ સ્કૂલે જતાં રસ્તામાં એ મકાન દેખાતું. અને એની પાછળ આવેલું લક્ષ્મીનારાયણ મંદિર. પણ હવે નથી રહી મારી એ સ્કૂલ કે નથી રહ્યું પાઠશાળાનું એ મકાન! એની જગ્યાએ આજે ઊભું છે તેજપાલ ઓડિટોરિયમ. 

સ્વામી આનંદ : એટલે જ તો કહ્યું છે કે ‘સમય સમય બળવાન હૈ, નહિ પુરુષ બળવાન.’ ચાલો, હવે મારો પણ જવાનો સમય થઈ ગયો. આવજો, અને મુંબઈ વિશેની તમારી વાતો ચાલુ રાખજો.

વાછા શેઠ : પધારજો સ્વામીજી.

દી.મ. : ફરી મળવાનું થશે એવી આશા સાથે આપને પાયલાગણ, સ્વામીજી.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 14 ઓક્ટોબર 2023)

Loading

...102030...944945946947...950960970...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved