Opinion Magazine
Number of visits: 9457766
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રેમના સહિયારાપણાની ‘કોશિશ’

રાજ ગોસ્વામી|Opinion - Opinion|24 August 2023

રાજ ગોસ્વામી

ગુલઝાર નિર્દેશિત સંજીવ કુમાર – જયા બચ્ચનની એવોર્ડ વિજેતા ફિલ્મ ‘કોશિશ’(1972)માં, શરૂઆતમાં મુખ્ય ભૂમિકામાં મૌસમી ચેટરજી હતાં એ વાત જાણીતી છે, પરંતુ એ ભૂમિકા કેવી રીતે જયાજી પાસે ગઈ તેને લઈને કોઈએ ખાસ ફોડ પાડ્યો નથી. વાત એવી છે કે મૌસમી મોંઘી-મોંઘી સાડીઓ, મહેનતાણાંના વધુ પૈસા અને મોડે સુધી શુટિંગ કરવાને લઈને ગુલઝારને પરેશાન કરતાં હતાં એટલે કંટાળીને તેમને પાણીચું આપવામાં આવ્યું હતું અને પછી જયા બચ્ચનને લેવામાં આવ્યાં હતાં.

તાજેતરમાં મૌસમીજીએ તેના માટે તે સમયના છળ-કપટનો દોષ કાઢ્યો છે. ‘લહેરે ટીવી’ ચેનલ માટે વરિષ્ઠ પત્રકાર ભારતી પ્રધાન સાથે વાત કરતાં તેમણે કહ્યું છે કે, “કોશિશ માટે મેં ત્રણ દિવસ શુટિંગ કર્યું હતું. હું જોતી હતી કે જયા બચ્ચનની સેક્રેટરી સવારથી સાંજ સુધી ગુલઝારની ઓફિસમાં બેસી રહેતી હતી. હું ગુલઝાર’દાને બહુ પહેલાંથી ઓળખતી હતી. એ મારાં સાસુ (સંગીતકાર અને ગાયક કલાકાર હેમંત કુમારનાં પત્ની બેલા મુખરજી)ને ઉર્દૂ શીખવાડવા માટે આવતા હતા. અચાનક જ તેમણે મને કહ્યું કે કાલથી તારે મોડી રાત સુધી શૂટિંગ કરવું પડશે. હું એ વખતે જ મા બની હતી. મેં કહ્યું કે, નહીં થાય, ઘરે શિશુ છે, હું એક જ શિફ્ટમાં કામ કરી શકું તેમ છું. તેમણે બધાની હાજરીમાં કહ્યું, તારી જગ્યા લેવા માટે ઘણી એક્ટ્રેસ લાઈનમાં છે. હું અકળાઈ અને બોલી, “તો લઇ લો.”

મૌસમી કહે છે કે આ સાંભળીને ગુલઝારે તેમના સસરા હેમંત કુમારને ફોન કર્યો કે “દાદા આ જતી રહે છે. સસરાએ કહ્યું કે ભલે જતી.” બીજા દિવસે, ગુલઝારનો સહાયક મૌસમીના ઘરે આવ્યો અને ફિલ્મમાં જે સાડી પહેરવાની હતી તેની માંગણી કરી. સાંજે તો એ જ સાડીમાં જયા બચ્ચને શુટિંગ શરૂ કરી દીધું. મૌસમીએ એ ઇન્ટરવ્યૂમાં એ એકરાર કર્યો છે કે આમ પણ, વ્યક્તિગત જીવનને પ્રાથમિકતા આપવાનાં કારણે તેના વ્યવસાયિક જીવનને ઘણું નુકશાન થયું હતું.

એમ તો સંજીવ કુમારને પણ ફિલ્મના નિર્માતા રોમુ અને રાજ એન. સિપ્પી સાથે વાંકું પડ્યું હતું. સંજીવ કુમારે ફિલ્મના નફામાં 25 ટકાની ભાગીદારીમાં એ ભૂમિકા કરી હતી, પરંતુ ફિલ્મ રિલીઝ થયા પછી નિર્માતાઓ ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યા કે ફિલ્મ ફ્લોપ ગઈ છે અને નફો નથી થયો.

સંજીવ કુમારે પૈસા માટે આ ફિલ્મ નહોતી કરી, પણ નિર્માતાઓના વ્યવહારથી તેમને દુઃખ થયું હતું. ગુલઝાર અને સંજીવ કુમાર વચ્ચે એવી સમજૂતી થયેલી હતી કે બંને જણા વર્ષમાં ઓછા બજેટની હટકે ફિલ્મ કરશે. તે વખતે ફિલ્મ જગતના લોકો ગુસપુસ કરતા હતા કે આ ફિલ્મ સંજીવ કુમાર અને ગુલઝારને જોવા માટે બનાવવામાં આવી રહી છે, બાકી બહેરા-મૂંગા યુગલની ફિલ્મ જોવા કોઈ નહીં આવે.

એવું નહોતું. ‘કોશિશ’ ગુલઝાર, સંજીવ કુમાર અને જયા બચ્ચનની કારકિર્દીની એક સીમાચિહ્ન રૂપ ફિલ્મ છે. તેને 1973નો બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ અને બેસ્ટ એક્ટરનો બેન્ગાલ ફિલ્મ જર્નાલિસ્ટ એશોસિએશન એવોર્ડ (બી.એફ.જી.એ.) મળ્યો હતો. તે ઉપરાંત, તેને 1974ના બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેકટર, બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસ ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી. અલબત્ત, તે વર્ષે ‘કોશિશ’ની સ્પર્ધા બોબી, ઝંઝીર, દાગ, અનુરાગ (જેમાં મૌસમીજી હતાં) સાથે હતી.

ગુલઝાર અને સંજીવ કુમારનું એ સાચે જ સાહસ કહેવાય કે 80ના દાયકાના મારધાડ અને ઘોંઘાટિયા ફિલ્મોના દોરમાં તેમણે એક એવી ફિલ્મ બનાવી હતી જેમાં નાયક અને નાયિકા ન તો બોલી શકે કે ન તો સાંભળી શકે છે. માનવીય લાગણીઓની જટિલતાને બતાવવા / સમજવાની વાત આવે ત્યારે, હિન્દી સિનેમામાં ગુલઝારથી બહેતર કોઈ લેખક કે નિર્દેશક નથી. ચાહે ‘મેરે અપને’ હોય, ‘ખુશ્બૂ’ હોય, ‘આંધી’ હોય, ‘મોસમ’ હોય કે ‘ઈજાજત’ હોય, ગુલઝારે આપસી સંબંધોની સંવેદનશીલતાને બહુ પ્રેમથી પ્રદર્શિત કરી છે. એ તર્જ પર, ‘કોશિશ’માં દર્શકોને ભાવનાઓની એક અલગ જ દુનિયામાં લઇ જવાનો પ્રયાસ હતો.

મૂળમાં આ ફિલ્મ 1961માં આવેલી જાપાનીઝ ફિલ્મ ‘હેપ્પીનેસ ઓફ અસ અલોન’ પરથી પ્રેરિત હતી. 1952માં, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ગુલઝારે આ ફિલ્મ જોઈ હતી. તેમાં, દ્વિતીય મહાયુદ્ધમાં બરબાદ થયેલા જાપાનમાં એક મૂંગું યુગલ બાળક પેદા કરે છે અને ક્રૂર સમાજ કેવી રીતે તેમને નકામા અને નાલાયક ગણીને ઉપેક્ષા કરે છે તેની હૃદયસ્પર્શી વાર્તા હતી. ગુલઝારે તેમાં થોડા ફેરફાર સાથે તેને ભારતીય સંદર્ભમાં પેશ કરવાનું નક્કી કર્યું હતું.

એક ઇન્ટરવ્યૂમાં તે કહે છે, “એ ફિલ્મમાં દિવ્યાંગ લોકો માટે વિશેષ અને અલગ દુનિયા સર્જવાનો ખ્યાલ કેન્દ્રમાં હતો. એ વાત મને બહુ નવી લાગી હતી. એ ફિલ્મ જોઈ ત્યારથી મને થયા કરતું હતું કે દિવ્યાંગ લોકો સમાજનો જ એક અવિભાજ્ય હિસ્સો છે એ વાત મારે કહેવી છે.” આ ફરક મહત્ત્વનો છે. જાપાનીઝ ફિલ્મ દિવ્યાંગ લોકો માટે અલગ દુનિયા હોવી જોઈએ તેની વકાલત કરતી હતી, ગુલઝારની ‘કોશિશ’ એવા લોકો સમાજનો જ હિસ્સો હોવા જોઈએ તેના પર ભાર આપતી હતી.

ફિલ્મમાં હરિચરણ (સંજીવ) અને આરતી (જયા) નામનાં ગરીબ અને દિવ્યાંગ યુગલને જિંદગીમાં કેવી પરેશાનીઓમાંથી પસાર થવું પડે છે તેની પીડાને ગુલઝારે અદ્ભુત સંયમથી પેશ કરી હતી. સંયમથી એટલા માટે કે બહેરાં-મૂંગાની વાર્તા હોય એટલે દર્શકોની સહાનુભૂતિ ઉઘરાવાની લાહ્યમાં ફિલ્મમેકર તેમને બિચારાં અને દયાને પાત્ર બતાવવાની લાલચને રોકી ન શકે.

તેના બદલે, ‘કોશિશ’માં ગુલઝારે એક એવા યુગલની વાર્તા માંડી હતી જે શારીરિક કમજોરી હોવા છતાં સામાન્ય માણસથી કોઈપણ રીતે ઉતરતાં નથી. એ બાબતમાં ગુલઝાર એક જાદુગર છે. એ લાગણીઓનો તમાશો નથી કરતાં, એ તેની કવિતા રચે છે. ‘કોશિશ’ જોયા પછી આપણને હરિચરણ-આરતી પર દયા આવવાના બદલે, તેમના જીવનની સુંદરતા, અડચણો સામે ટકી રહેવાના તેમના સાહસ અને ઉત્તમ ભવિષ્ય માટેનો તેમનો આશાવાદ જોઈને આપણને આપણા ખુદના ‘તંદુરસ્ત’ જીવનને કેવી રીતે જીવવું તેની પ્રેરણા મળે છે.

પ્રેમના સહિયારાપણાનું એ પ્રદર્શન ‘કોશિશ’ ફિલ્મને એક અવિસ્મરણીય અનુભવ બનાવે છે. બે મૂંગા અને બહેરાં સ્ત્રી-પુરુષ પ્રેમમાં પડે અને આજીવન સાથે રહેવાનું નક્કી કરે એથી વધુ રોમેન્ટિક વાર્તા બીજી શું હોઈ શકે! મજાની વાત એ છે કે માત્ર ગુલઝારને જ એવો વિચાર આવેલો કે બોલિવૂડના પડદા પર એક એવી પણ ફિલ્મ બનાવવી જોઈએ જ્યાં પ્રેમને શારીરિક ક્ષમતા કે કમજોરી સાથે સંબંધ ન હોય. એટલે જ ફિલ્મનો અંત એક પંક્તિ સાથે થાય છે : એન્ડ કોશિશ કન્ટિન્યૂઝ …

સંજીવ કુમાર એક ઉત્કૃષ્ઠ અદાકાર હતા તેની અનેક ફિલ્મો ગવાહી પૂરે છે પરંતુ 1972ની ‘કોશિશ’ અને 1975ની ‘શોલે’ તેમને એક અલગ જ શિખર પર લઇ જાય છે. બંને ફિલ્મોમાં તેમણે શારીરિક કમજોરીને આધાર બનાવીને અદાકારીનો એવો રંગ બતાવવાનો હતો કે દર્શકો દયા ખાવાને બદલે જોશ અનુભવે.

‘કોશિશ’ ફિલ્મે એટલા બધા લોકોની લાગણીઓને સ્પર્શ કર્યો હતો કે મુંબઈમાં તો એ જ નામની એક દિવ્યાંગ સ્કૂલ પણ સ્થાપવામાં આવી હતી અને સંજીવ કુમાર (જયા બચ્ચનની સાથે) આજીવન એ સ્કૂલ સાથે જોડાયેલા રહ્યા હતા.

(‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 23 ઑગસ્ટ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભારતીય ઇસ્લામ માટે મુસલમાનોએ ગર્વ લેવો જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|24 August 2023

રમેશ ઓઝા

ડેમોક્રેટિક પ્રોગ્રેસીવ આઝાદ પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે ભારતનાં મોટાભાગના મુસલમાનો એક સમયે હિંદુ હતા અને વિદેશથી આવેલા મુસલમાનો તો બહુ ઓછી સંખ્યામાં હતા. તેમણે કાશ્મીરનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે કાશ્મીરની ખીણમાં વસતા મુસલમાનોના બાપદાદાઓ કાશ્મીરી પંડિતો હતા અને છસોએક વરસ પહેલાં તેમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો.

ગુલામ નબી આઝાદે જે કહ્યું એ શુદ્ધ સત્ય છે, પણ એ સત્ય હિંદુ કોમવાદીઓ અને મુસ્લિમ કોમવાદીઓ એમ બન્નેને પરવડે એવું નથી. લગભગ ૯૦ ટકા મુસલમાનો મૂળ ભારતીય હિંદુઓ હતા અને માંડ દસ ટકા મુસલમાનો વિદેશથી આવ્યા હતા એ વાત જો સ્વીકારવામાં આવે તો ઇસ્લામના આક્રમણની થિયરી પાતળી પડી જાય. તો એનો અર્થ એ થાય કે સત્તાના લોભમાં કે લૂટના ઈરાદે કેટલાક વિદેશી મુસ્લિમ શાસકોએ કે સેનાનીઓએ ભારત પર આક્રમણ કર્યાં હતા અને તેને ઇસ્લામના વિસ્તાર સાથે કોઈ સંબંધ નહોતો અથવા હતો એ દ્વિતીય સ્તરનો હતો. મુખ્ય ઉદ્દેશ સત્તા અને સંપત્તિ હતાં. ટૂંકમાં ભારત પર જે આક્રમણ થયાં એ મુસલમાનોએ કરેલાં આક્રમણો હતાં, ઇસ્લામનું આક્રમણ નહોતું. પણ હિંદુ કોમવાદીઓ એ આક્રમણોને ઇસ્લામના રંગે રંગવા માગે છે, એટલે તેમને વિદેશથી આવેલા મુસલમાનોની સંખ્યા મોટી હોય એની આવશ્યકતા છે.

બીજું કારણ શરમ છે. જો ૮૦થી ૯૦ ટકા ભારતીય મુસલમાનોના બાપદાદાઓ હિંદુ હતા તો તેઓ મુસલમાન થયા શા માટે? અને કોણ થયા? શા માટે હિંદુઓ તેમને સાચવી ન શક્યા? જેમને ગામમાં પ્રવેશ નહોતો, જેમને હાંસિયામાં રાખવામાં આવતા હતા, જેમની સાથે અન્યાય કરવામાં આવતો હતો એવા લોકોએ સમાજમાં સન્માનપૂર્વકનું સ્થાન મેળવવા તેમ જ ન્યાય મેળવવા પોતાની ઈચ્છાથી ઇસ્લામનો સ્વીકાર કર્યો હતો એ વાત પણ સાચી છે. આ હકીકત કબૂલ કરવામાં કોમવાદી હિંદુઓને શરમ આવે છે માટે તેમને સત્તા કે લૂટના ઈરાદે કરવામાં આવેલા મુસલમાનોના આક્રમણોને ઇસ્લામના આક્રમણ તરીકે રંગવાં જરૂરી છે અને એ સારુ વિદેશથી આવેલા મુસલમાનોની સંખ્યા મોટી હોય એની આવશ્યકતા છે. ભારતમાં ઇસ્લામના વિસ્તારના ઈરાદે જો મોટી સંખ્યામાં મુસલમાનો ભારતમાં આવ્યા હોત અને ઇસ્લામના વિસ્તાર માટે જુલમ કર્યા હોત તો ભારતમાં મુસલમાનો બહુમતીમાં હોત. શા માટે ૭૫ ટકા હિંદુઓ નહીં વટલાયા? હિંદુઓએ મુસલમાનો સામે ધર્મ બચાવવા યુદ્ધ કર્યાં હોય કે પારસીઓની માફક ધર્મ બચાવવા એક સ્થળેથી બીજા સ્થળે દેશાટન કર્યું હોય એવી કોઈ ઘટના ઇતિહાસમાં જોવા મળતી નથી. હિંદુ-મુસ્લિમ વચ્ચેના સત્તાકીય યુદ્ધોનાં અનેક ઉદાહરણ છે, ધર્મયુદ્ધનું એક ઉદાહરણ બતાવો.

મુસ્લિમ કોમવાદીઓને પણ એ વાત સ્વીકારવામાં શરમ આવે છે કે ભારતમાં મોટાભાગના મુસલમાનોના બાપદાદાઓ પછાત હિંદુઓ હતા અને ન્યાય મેળવવા ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. તેઓ પોતાના વડાવાઓનાં મૂળ અરબસ્તાન, ઈરાન, ઈરાક, તુર્કસ્તાન અને મધ્ય એશિયામાં શોધે છે. માટે તેમને પણ વિદેશથી આવેલા મુસલમાનોની સંખ્યા છે એના કરતાં મોટી જોઈએ છે. “ઉચ્ચ ખાનદાન” અને “શુદ્ધ લોહી”નું વળગણ કમાલનું છે. ભલે નુકસાન થાય, પણ મૂળ તો વિદેશમાં જ શોધવાનાં.

આપણે તેમને પૂછવું જોઈએ કે ભારતીય ઇસ્લામ શું છે? જો ભારતીય ઇસ્લામ જેવી કોઈ ચીજ હોય તો એ ભારતીય મુસલમાનોએ જ વિકસાવી હોવી જોઈએ. દેખીતી રીતે તુર્કી, ઈરાની કે આરબ મુસલમાન ભારતીય ઇસ્લામ ન વિકસાવી શકે. ભારતીય ઇસ્લામ પર ભારતીય માટીની સુંગંધ છે. ભાષા, પહેરવેશ, રીતિરિવાજ, સંગીત, સાહિત્ય, કલાકારીગરી, વ્યંજન એમ કેટલી બધી ચીજો છે જે ભારતીય ઈસ્લામને એક વિશિષ્ટ ચહેરો આપે છે. જો વિદેશથી આવેલા મુસલમાનો મોટી સંખ્યામાં હોત તો ભારતીય ઇસ્લામનો ઘાટ ન ઘડાયો હોત. સૂફીઓમાં જોવા મળતી ખુદા અને બંદા વચ્ચેની એકત્વની તડપન જીવ અને શિવ વચ્ચેના એકત્વનો પ્રભાવ છે. આમ ભારતીય ઇસ્લામ પશ્ચિમ એશિયાના ઇસ્લામ કરતાં જુદો છે.

ભારતની માટીની સુગંધ ધરાવતો ભારતીય ઇસ્લામ ભારતની અને વિશ્વની એક સુંદર હકીકત છે જેને કટ્ટરપંથી મુસલમાનોએ નકારવાનું શરૂ કર્યું છે. તેઓ ભારતીય ઇસ્લામનું સાઉદીકરણ કરી રહ્યા છે. ભારતીય તો ઠીક ભારતના ઇસ્લામ પરના ઈરાની પ્રભાવને પણ ભૂંસી રહ્યા છે. આ દ્વારા તેઓ ભારતીય મુસલમાનોનો ચહેરો બદલી રહ્યા છે. હજુ હમણાં સુધી મુસ્લિમ સ્ત્રીઓ સાડી પહેરતી હતી, પણ હવે બુરખો પહેરે છે. બંગલાદેશની મુસ્લિમ મહિલાઓ સાડી પહેરવાનું છોડી રહી છે. એક સમયે બંગલાદેશ પૂર્વ પાકિસ્તાન હતું અને પશ્ચિમ પાકિસ્તાનના શાસકો સામે બંગાળી અસ્મિતાની લડાઈ લડતું હતું ત્યારે બંગાળી મુસ્લિમ સ્ત્રી ધરાર સાડી પહેરતી હતી. એમ કહેવા માટે કે અમારો ઇસ્લામ તમારા કરતાં અલગ છે. અમારો ઇસ્લામ બંગાળી સુગંધ ધરાવે છે.

ભારતમાં પોતાને ઇસ્લામના અને મુસલમાનોના પ્રવક્તા સમજનારાઓ પોતાને વિદેશી નસ્લના ઉચ્ચ કુલીન મુસલમાન તરીકે ઓળખાવે છે અને ભારતીય ઇસ્લામનો અને ભારતીય મુસલમાનોનો ચહેરો બદલવાનું કામ કરી રહ્યા છે. તેમને એ વાત નથી સમજાતી કે આવું કરીને તેઓ ભારતીય મુસલમાનોનું અહિત કરી રહ્યા છે. હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય વધારવાનું કામ કરી રહ્યા છે. આમ કરીને તેઓ હિંદુ કોમવાદીઓને મદદ કરી રહ્યા છે. મારી મુસ્લિમ મિત્રોને સલાહ છે કે એક ભારતીય મુસલમાન તરીકે ભારતીય ઇસ્લામ માટે ગર્વ લો અને તેનું જતન કરો. તેનાથી તમને દૂર કરનારાઓને દૂર કરો. આગળ કહ્યું એમ ભારતીય ઇસ્લામ આ ધરતી પરની એક સુંદર હકીકત છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 ઑગસ્ટ 2023

Loading

ચાલો, હરારી પાસે – 17 : લિબરાલિઝમ

સુમન શાહ|Opinion - Opinion|23 August 2023

સુમન શાહ

કોઈને હરારી નિરાશાવાદી લાગે, કોઈને ઉતાવળિયા લાગે, કોઈને ઓછા જીવનઅનુભવી લાગે. વગેરે બાબતોમાં એમની વિચારસૃષ્ટિની ટીકાટિપ્પણી થઈ શકે. પણ એ સ્વીકારવું જોઈશે કે તેઓ ઇતિહાસવિદ છે ને ઇતિહાસની ભૂમિકાએ વર્તમાનને મૂલવી રહ્યા છે અને પોતાની લાક્ષણિક દૃષ્ટિમતિથી માનવજીવનનું ભવિષ્ય ભાખી રહ્યા છે.

એમણે વિશ્વમાં પ્રવર્તતા લિબરાલિઝમને – ઉદારતાવાદી મતને –  ‘એ.આઈ.’-ના આવિષ્કાર સંદર્ભે તપાસ્યો છે તેમાં પણ એમની લાક્ષણિક દૃષ્ટિમતિનો પરિચય મળે છે. “21 Lessons for the 21st Century” -માં, તેઓ લખે છે :

“The rise of AI poses a fundamental challenge to the liberal world order. If we do not find ways to shape AI in accordance with our values, it could easily undermine the very foundations of liberalism.” (P. 158)

જરા, સમજી લઈએ :

માનવઇતિહાસમાં ઉદારતાવાદી મત તુલનાએ નવો છે. બે સદી જેટલા પાછળ જઈએ, તો જાણવા મળે તે વિચાર આ છે – સૌ મનુષ્યો સમાન જનમ્યા છે અને સૌ મનુષ્યો કેટલાક અકાટ્ય અધિકારો ધરાવે છે. જીવવા માટે અનિવાર્ય સ્થાવર-જંગમ મિલકત કે જમીનજાગીરના અધિકારો તો ખરા જ પણ તેમાં વ્યક્તિસ્વાતન્ત્ર્ય શિરમોર અધિકાર છે. વાણીસ્વાતન્ત્ર્ય, લગ્ન, લિવ-ઇન, મૈત્રીકરાર કે LGBT અધિકારો પણ એટલા જ મૂળભૂત છે. ટૂંકમાં, વ્યક્તિ પોતાના જીવન વિશે નિર્ણયો લેવાને મુક્ત છે, ચાહે તે પસંદ કરી શકે છે. એમાં રાજ્ય કે અન્ય સત્તાઓ દખલ ન કરી શકે.

યુવાલ નોહા હરારી

મને આ ક્ષણે હરારીનો એક TED વાર્તાલાપ યાદ આવે છે. એમણે કહેલું તે મારા શબ્દોમાં મૂકું. કહેલું કે રાજકારણમાં મતદાર કર્તાહર્તા છે, વેપારવણજમાં ગ્રાહક, સાહિત્ય અને કલાઓમાં ભાવક; વગેરે. સમજવાનું એ છે કે એ દરેકમાં વ્યક્તિની ઇચ્છામતિ જ નિર્ણાયક નીવડે છે.

હરારી જણાવે છે કે ઉદારતાવાદનો વિરોધ કરનારા પણ છે. કહેવાયું છે કે આ મત અતિશય વ્યક્તિવાદી છે અને તેથી સામાજિક જૂથોનાં હિતો નથી સચવાતાં. ઉપરાન્ત, હરારી ઉમેરે છે કે ૨૧-મી સદીમાં ઉદારતાવાદી મતનું ભવિષ્ય જોખમમાં છે. કેમ કે એક તરફ, રાજકારણીઓ બૌદ્ધિકોને બાજુએ મૂકીને લોકપ્રિયતાવાદને – પૉપ્યુલિઝમને – પોષી રહ્યા છે, અને ખાસ તો ‘એ.આઈ.’ તરફથી નવી નવી થ્રેટ ઊભી થઈ રહી છે.

હરારી એમ પણ જણાવે છે રાષ્ટ્રવાદ અને ધર્મવિષયક વિચારધારાઓ જોડે આ ઉદારતાવાદ હોડ બકી શકે એમ નથી. (દાખલો હું આપું કે ધર્મ સામે લોકશાહીવિષયક વિચારોએ પણ ટકવું મુશ્કેલ થઈ પડે છે !) તેથી હરારી જણાવે છે કે આપણે એ વિચારધારાઓના જે કંઈ દાવા છે તે સાથે ઉદારતાવાદનું સંતુલન સિદ્ધ કરવું પડશે, બલકે આપણા સમયમાં પ્રવર્તતી રાજસત્તાપરક વિચારધારાઓ સાથે એનો મેળ પાડવો પડશે. તેઓ તો આર્થિક અને રાજકીય સિસ્ટમ્સના પુનર્વિચારનો મુદ્દો આગળ કરે છે ! કહે છે, એવા પુનર્વિચારના પ્રભાવે કરીને આપણે ‘એ.આઈ.’-યુગના પડકારોને પ્હૉંચી વળવાની ક્ષમતા મેળવી શકીશું.

કેટલાક સમીક્ષકોને હરારીના ઉદારતાવાદી મતનું આ વિશ્લેષણ અતિશયિત લાગ્યું છે, કેટલાકને સાદું સરળ લાગ્યું છે, છતાં મોટાભાગનાઓને હરારીના આ વિચારો ૨૧-મી સદીના સંદર્ભમાં ઘણા ધ્યાનાર્હ લાગ્યા છે.

હરારીએ ‘એ.આઈ.’-પાવર્ડ સર્વેઇલન્સ સ્ટેટ્સનો, એટલે કે કડક દેખરેખ રાખનારી રાજસત્તાઓનો, નિર્દેશ કર્યો છે. સરકારો ‘એ.આઈ.’-પાવર્ડ સર્વેઇલન્સ સિસ્ટમ્સનો ઉપયોગ કરીને નાગરિકોના જીવન વ્યવહારોને ટ્રૅક કરી શકશે, મૉનિટર કરી શકશે; પરમ્પરાગત પદ્ધતિઓથી કરવા જાય તો ન કરી શકે. એક અપૂર્વ સ્વરૂપનું ટોટાલિટેરિયન રૅઝિમ, એકહથ્થુ શાસન, ઊભું થશે.

સ્પષ્ટ છે કે પરિણામે વ્યક્તિની અંગતતા અને સ્વતન્ત્રતા જોખમાશે. બહુ મોટા પાયે બનાવટી સમાચારો અને ખોટી માહિતીનાં પ્રસારણો થઈ શકશે અને તેથી સંસ્થાઓ પ્રત્યેના પ્રજાકીય ભરોંસાનો ક્ષય થશે. વળી, રાજકીય સ્થિરતા પણ જોખમાશે. હરારી જણાવે છે કે જો સુપર ઇન્ટેલિજન્ટ એ.આઈ.ઝનાં સર્જન થશે તો માનવજીવન માટે એ મહાજોખમ પુરવાર થશે. માણસને ટપી જઈને એ એમ પુરવાર કરશે કે માણસ જ પોતાના અસ્તિત્વ માટે એક હ્યુજ થ્રેટ છે !

આ વાતો અટકળોઆધારિત છે – હાઇપોથેટિકલ સીનારિયોઝ. અને એમ તો કહી શકાતું જ નથી કે એ પ્રમાણે થશે જ થશે. નિષ્ણાતોને દરેક ભય સાચો ભાસે છે તેમછતાં તેઓ કશી સહસમ્મતિ નથી સાધી શક્યા. કેમ કે, ખરી વાત એ છે કે ‘એ આઈ ’ પાસે ચૉક્કસ સ્વરૂપનું સામર્થ્ય હોય તેમ જ તેનો અમુક નક્કી પ્રકારે ઉપયોગ થાય તો જ સંભવિત ભય સાચા પડે, તો જ હરારીએ કે નિષ્ણાતોએ ભાખેલા જોખમો જોખમ રૂપે પુરવાર થાય.

અલબત્ત, હરારી પણ એવું નથી જ માનતા કે આ થ્રેટ્સ અનિવાર્યપણે સંભવશે જ સંભવશે. કહે છે, ઉદારતામતવાદ સાથે મેળ પાડી શકે એવી ‘એ આઈ ’-સિસ્ટમ્સ ડિઝાઇન કરવાનું અશક્ય નથી, પણ મૉડું થાય એ પહેલાં અત્યારથી ચેતી જવું જરૂરી છે.

= = =

(08/23/23: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...881882883884...890900910...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved