Opinion Magazine
Number of visits: 9666135
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અપ્રાપ્ય અને અમુદ્રિત … એક નહીં, અનેક કાન્તિલાલ મ. શાહ મળી આવે

કેતન રુપેરા|Opinion - Opinion|11 December 2023

નવેમ્બર, ૧૯૧૧માં જન્મેલા અને ડિસેમ્બર, ૧૯૯૩માં અંતિમ યાત્રાએ‌ નીકળી ગયેલા, એટલે ન હીરક કે ન અમૃત જયંતી અને શતાબ્દી તો નહીં જ … છતાં, કાન્તિલાલ મ. શાહને ફરી યાદ કરી લેવાનું કારણ અથવા હવે ફરી ન વિસરી જઈએ એ માટેનું ઉમેરણ શું?

સ્વાતંત્ર્યસેનાની, પત્રકાર, લેખક, સંશોધક, અનુવાદક, સામાજિક કાર્યકર અને કોઈક અરસામાં વળી કોઈ છાત્રાલયના ગૃહપતિયે ખરા, એવા કાન્તિલાલનાં બે–પાંચ–સાત નહીં, અંકે પૂરાં 14 પૂર્ણ કદનાં પુસ્તકો, બે પુસ્તક શ્રેણીઓ અને સાથે જીવનસંગિની પ્રમીલાબહેન ભાવાનુદિત છ પુસ્તકોની શ્રેણી મળીને કુલ ત્રીસેક જેટલાં પુસ્તકો ગત જૂન માસે એકી ક્ષણે પ્રકાશિત થયાં એ વિદ્યાવ્યાસંગી પ્રસંગ. 

પોર્ટ્રેઇટ સૌજન્ય : તુષાર પટેલ

ઇતિહાસનાં પીળાં પડી ગયેલાં પાનાં પર ભલે વંચાતું નામ, વિસ્મૃત નહીં તો ય થોડું વિસરાયેલું નામ—કાન્તિલાલ મ. શાહ. સૌપ્રથમ ૧૯૫૫માં પ્રકાશિત ઠક્કરબાપાના જીવનચરિત્રની દ્વિતીય આવૃત્તિ એના પ્રકાશિત થયાના વર્ષે, ૨૦૧૮માં વાંચવાની થઈ ત્યારે કાન્તિલાલ મ. શાહ લિખિત આ પુસ્તક વાંચીને અવાચક થઈ જવાયું હતું. એવું ન હતું કે ગુજરાતી સાહિત્યમાં આવું સુરેખ ચરિત્ર કોઈ લખાયું નહિ હોય, એવું પણ નહીં જ હોય કે ચરિત્ર લખવા માટે આટલું ઊંડું સંશોધન કદી થયું નહીં હોય, પણ આ બધું સુપેરે કર્યા પછી પણ ચરિત્રકાર કાન્તિલાલના ‘નિવેદન’ અને ‘ઋણ સ્વીકાર’માં જે કેફિયત ઊઘડી આવી છે, એ કોઈ સ્કોલરે લખેલી ‘અભ્યાસની મર્યાદા’ અને ‘આભાર’ની ઔપચારિકતા-અનિવાર્યતા ન રહેતાં ઠક્કરબાપા પ્રત્યેની તેમની અપાર લાગણી અને ગાંધીસેનાનીની નમ્રતા બની ઊભરે છે!

હકીકતે, આચારમાં ઘણો અઘરો એવો નમ્રતાનો આ ગુણ, ગાંધીયુગના અથવા ઓછામાં ઓછું ગાંધીપ્રભાવ હેઠળના લેખકોમાં સહજ હતો, તે એ અરસાના અન્ય કેટલાક લેખકોને વાંચીને પણ અનુભવી શકાય.

જીવનચરિત્રકાર તરીકે કાન્તિલાલની કર્મણ્યતા

‘ઠક્કરબાપા’નું જીવનચરિત્ર લખવા માટે કાન્તિલાલ મ. શાહે જાત પાસેથી પૂરાં ચાર વરસની મહેનત લીધી હતી. જે જે સંસ્થાઓ સાથે બાપા સંકળાયેલા રહ્યા એવી સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટી – પૂના, ભીલ સેવા મંડળ – દાહોદ, હરિજન સેવક સંઘ – દિલ્હી … આ બધી સંસ્થાઓનાં વાર્ષિક અહેવાલો જોઈ ગયા હતા. બાપા લિખિત અન્ય વિસ્તૃત અહેવાલો અને અનેક છાપાંના કટિંગો પણ જોઈ ગયા હતા. બાપાની છેલ્લાં વીસ વર્ષોની ડાયરી પર પણ‌ નજર ફેરવી ગયા હતા. આ સઘળું કરનાર ‘નવજીવન’, ‘હરિજનબંધુ’, ‘સૌરાષ્ટ્ર’ અને ‘ફુલછાબ’ જેવાં માતબર અખબારોની ફાઈલો‌ સ્વાભાવિક જ ન ચુકે … પણ આટલેથી ન અટકતા તેઓ ગુજરાતમાં સ્થાનિક સ્તરે પરીક્ષિતલાલ મજમુદાર, છગનલાલ જોષી, આભાબહેન ગાંધીથી માંડીને દેશમાં દાદાસાહેબ માવળંકર, રામેશ્વરી નેહરુ (જવાહરલાલનાં પિતરાઈ બહેન અને નારી ઉત્કર્ષમાં મોખરે), વિયોગી હરિ જેવાં દસ-પંદર નહીં, પચાસેક જેટલી વ્યક્તિઓની પણ મુલાકાત લે છે.

આ બરનાં સંશોધન તથા ક્ષેત્રકાર્ય પછી ભીલ સેવા મંડળ – દાહોદ પ્રકાશિત, ડેમી સાઈઝ (૫.૫ × ૮.૫ ઈંચ)નાં ૪૪૮, નામ-સૂચિ સાથે પૂરાં ૪૫૬ પૃષ્ઠનું ઠક્કરબાપાનું ચરિત્ર આપે છે અને આવા એ પુસ્તકમાં લેખક ‘નિવેદન’માં નોંધે છે શું? : “બાપાના જીવનચરિત્રની સામગ્રી માટે જેમને મળવું અનિવાર્ય ગણાય એવાં હજી કેટલાક ભાઈ બહેનો બાકી રહી ગયાં છે. … અમુક સ્થિતિ સંજોગોને લીધે છેવટ સુધી એનો મેળ જ ન ખાધો એટલે અંશે આ ચરિત્રમાં અધૂરાપણુ રહી ગયું છે અને એ અપૂર્ણતા મને ખટકે છે.” કાન્તિલાલની આ દૃષ્ટિ ‘મંગળપ્રભાત’માં ગાંધીજીએ લખેલી ‘નમ્રતા’ પ્રકરણની યાદ અપાવે : “નમ્રતા કેળવવાથી આવતી નથી. તે સ્વભાવમાં આવી જવી જોઈએ. … તેને વ્રતમાં સ્થાન નથી, છતાં વ્રતોના કરતાં કદાચ વધારે આવશ્યક છે.” (પ્રકરણ ‌: ૧૨). સ્વભાવમાં નમ્રતા લાવનાર કાન્તિલાલ નિવેદનમાં આગળ લખે છે, “આ બધા [સંશોધન] પછી ચરિત્ર લખવામાં મેં એક મુશ્કેલી અનુભવી છે તે એ કે બાપા પોતે મૂંગા, એમનું કામ મૂંગું, એમનો સ્વભાવ મૂંગો. આ કારણે એમનું વ્યક્તિત્વ એમના કાર્યમાં મળી ગયું. આથી એમના જીવનનું, એના વિધવિધ પ્રસંગોનું સ્થૂળ રૂપે જે દર્શન થવું જોઈએ એ એમનાં વિરાટ કામો‌ જોતાં પ્રમાણમાં બહુ ઓછું થયું છે.” આ ઉક્તિ વળી, “સ્વાભાવિક નમ્રતા છાની નથી રહેતી. છતાં નમ્ર મનુષ્ય પોતે તે દેખી શક્તો નથી.” એવા ગાંધીજીના વિચાર સાથે કાન્તિલાલના વ્યક્તિત્વનું સંધાણ કરી આપે.

ભીલ સેવા મંડળ-દાહોદ પ્રકાશિત જીવનચરિત્ર : ઠક્કરબાપા

આવા અનિવાર્ય છતાં આસાધારણ ગુણની સાથે વિચારની સ્પષ્ટતા, વિગતની પ્રચુરતા અને ભાષાની પ્રવાહિતાથી હર્યાંભર્યાં ઠક્કરબાપાના આ ચરિત્રને દેશના પ્રથમ અને તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની પ્રસ્તાવના પ્રાપ્ત છે એ પણ આ પુસ્તક માટેની લેખકની પરિશીલનતાનું દ્યોતક છે. 

ફરી યાદ કરવાનું અને હવે ન વિસરવાનું કારણ–ઉમેરણ

નવેમ્બર, ૧૯૧૧માં જન્મેલા અને ડિસેમ્બર, ૧૯૯૩માં અંતિમ યાત્રાએ‌ નીકળી ગયેલા, એટલે ન હીરક કે ન અમૃત જયંતી અને શતાબ્દી તો નહીં જ … છતાં, કાન્તિલાલ મ. શાહને ફરી યાદ કરી લેવાનું કારણ અથવા હવે ફરી ન વિસરી જઈએ એ માટેનું ઉમેરણ શું?

સ્વાતંત્ર્યસેનાની, પત્રકાર, લેખક, સંશોધક, અનુવાદક, સામાજિક કાર્યકર અને કોઈક અરસામાં વળી કોઈ છાત્રાલયના ગૃહપતિયે ખરા, એવા કાન્તિલાલનાં બે-પાંચ-સાત નહીં, અંકે પૂરાં 14 પૂર્ણ કદનાં પુસ્તકો, બે પુસ્તક શ્રેણીઓ અને સાથે જીવનસંગિની પ્રમીલાબહેન ભાવાનુદિત છ પુસ્તકોની શ્રેણી મળીને કુલ ત્રીસેક જેટલાં પુસ્તકો ગત જૂન માસે એકી ક્ષણે પ્રકાશિત થયાં એ વિદ્યાવ્યાસંગી પ્રસંગ. 

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં સાહિત્યકાર રઘુવીર ચૌધરી, રતિલાલ બોરીસાગર, પ્રકાશ ન. શાહ, કુમારપાળ દેસાઈ, (લેફ્ટનન્ટ) સતીષચંદ્ર વ્યાસ, રાજુલ દવે, પ્રીતિ શાહ—અન્ય કોઈ સાહિત્ય સ્વરૂપ-વિષયનો કાર્યક્રમ હોત તો પોતે પણ મંચસ્થ હોઈ શકત એવા પણ કેટલાક મહાનુભાવો—સહિત અનેક સાહિત્યિક અગ્રણીઓ-રસિકોની હકડેઠઠ ઉપસ્થિતિમાં, એક નાનકડી આખી છાજલી ભરાઈ જાય એટલાં પુસ્તકોનાં અક્ષરસ: અનાવરણનો પ્રસંગ પાર પડ્યો. જાણીતા રસાયણવિજ્ઞાની અને ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક અનામિક શાહનું, જાણે પિતાને કરેલું વિદ્યાકીય અર્પણ-તર્પણ બની રહ્યું. પ્રકાશનપુણ્ય હતું સંસ્કાર સાહિત્ય મંદિર – અમદાવાદને ફાળે.

મૂળે કાન્તિલાલના જ ભાઈઓ જયંતીભાઈ શાહ અને અનુભાઈ શાહે (સૌથી મોટા વજુભાઈ શાહ પણ સૌરાષ્ટ્રનાં સંસ્થાકીય અને રાજકીય ઇતિહાસનું અગ્રીમ નામ) મળીને ભાવનગરમાં સ્થાપેલી સંસ્કાર સાહિત્ય મંદિર (1945) નામે પ્રકાશન સંસ્થાએ પાંચ દાયકાથીયે વધુ વરસોના ગાળામાં નાનાભાઈ ભટ્ટ, મેઘાણી, ‘દર્શક’, મૂળશંકર મો. ભટ્ટ, ભૂપત વડોદરિયા, મોહમ્મદ માંકડ જેવા ગરવા લેખકો-સાહિત્યકારોનાં પુસ્તકો અને ટોલ્સટોય તથા પર્લ બક જેવાં લેખકોની કૃતિઓનાં અનુવાદો સહિત અનેક પ્રકાશનો કર્યાં હતાં. “સમાજશિક્ષણને પોષે તેવો સંસ્કારવારસો આપવાની છેવટ સુધી ટેક જાળવનારા પ્રકાશક તરીકે” ‘સંસ્કાર સાહિત્ય મંદિર’નું નામ ખૂબ જાણીતું હતું. પણ પછીનાં વર્ષોમાં વયમર્યાદાને ધ્યાનમાં રાખી આ સમગ્ર વારસો જીવંત રહે તે માટે મનુભાઈ શાહ-ગૂર્જર સાથે પરામર્શ કર્યો અને ગૂર્જરની ભગિની પ્રકાશન સંસ્થા તરીકે આ સંસ્થા કાર્યરત થઈ. એ પછી આ પ્રસંગે એકસાથે ત્રીસેક પુસ્તકો પ્રકાશિત થયાં તેમાં, “મનુભાઈના વ્યક્તિગત લાગણી સંબંધોની ઉષ્મા ભળેલી છે” એમ અનામિકભાઈ લખે છે. 

કાન્તિલાલ મ. શાહ લિખિત-અનુવાદિત 14 પૂર્ણ કદનાં પુસ્તકો, બે પુસ્તક શ્રેણીઓ અને સાથે જીવનસંગિની પ્રમીલાબહેન ભાવાનુદિત છ પુસ્તકોની શ્રેણી મળીને કુલ ત્રીસેક જેટલાં પુસ્તકો એક ક્ષણે પ્રકાશિત થયાં

સાહિત્યપ્રકાર અને પુસ્તકોની નામ-યાદી—શીર્ષકોનું વિષય વૈવિધ્ય આનંદ પમાડે એવાં છે.

Ø   અનૂદિત નવલકથા‌ :

૧. પદ્માને તીરે (હુમાયૂ કબીર) ૨. પ્રથમ પત્ની અને બીજી વાતો (પર્લ બક) ૩. આશાનું બીજ ૧-૨ (પર્લ બક) ૪. ચિત્રાની પ્રેમકથા (લીન યુ ટાંગ)

Ø    પ્રવાસકથા :

૫. હરતાં-ફરતાં હાડપિંજરો વચ્ચે ૬. દુર્ભિક્ષ (વાર્તાઓ)

Ø   લોકકથા સાહિત્ય :

૭. બંગાળની લોકકથાઓ ૮. કાશ્મીરની લોકકથાઓ ૯. દક્ષિણ દેશની લોકકથાઓ

Ø   જીવનચરિત્ર :

૧૦. રાષ્ટ્રસપૂત બળવંતરાય મહેતા ૧૧. કવિવર રવીન્દ્રનાથ ઠાકુર ૧૨. સૌરાષ્ટ્રમાં ગાંધીજી : આશા અને પૂર્તિ ૧૩. મુસ્તફા કમાલ પાશા

Ø   કિશોરકથા : ૧૪. દરિયાની વેળ (પર્લ બક)

Ø   કિશોરસાહિત્ય : ૧૫. બલિદાન કથાઓ ભાગ ૧-૫

૧. રામપ્રસાદ બિસ્મિલ; ૨. કાકોરીના દેશભક્તો; ૩. અમર શહીદો; ૪. બાબા ગુરુદત્તસિંહ; ૫. ક્રાંતિના ઝંડાધારીઓ

Ø   બાળ-કિશોરસાહિત્ય :

૧૬. ચક્રવર્તી રાજગોપાલાચારી લિખિત મહાભારત કથાવલિ ભાગ-૧-૪

Ø   બાળ-કિશોરસાહિત્ય :

૧૭. જાપાનની પરીકથા ભાગ ૧થી ૬ (પ્રમીલાબહેન શાહ ભાવાનૂદિત) ૧. યામાતો તાકેનાં પરાક્રમો, ૨. ચાંદકુમારી, ૩. જાદુઈ આરસ ૪. અક્ષયપાત્ર, ૫. બૂઢી કુભારજા, ૬. અમરલોક

… અને આ પુસ્તકોનાં અંતિમ પૃષ્ઠો પરની યાદીમાં નજર ફેરવીએ તો હજુ તેરેક પુસ્તકો અપ્રાપ્ય હોવાનું ધ્યાને ચઢે.

ઇતિહાસ અને દસ્તાવેજીકરણ પ્રત્યે કાન્તિલાલની દીર્ઘદૃષ્ટિ

‘સંસ્કાર સાહિત્ય મંદિર’ના છત્ર હેઠળ પુનઃપ્રકાશન પામેલાં આ પુસ્તકોનાં કાર્યક્રમ પ્રસંગે વિતરીત કરાયેલી પત્રિકામાં અનામિકભાઈ લખે છે, “૧૯૭૨થી [કાન્તિલાલને] અસ્થમાનો રોગ લાગુ પડ્યો અને પથારીવશ રહ્યા. અસ્થમાના રોગને કારણે કેટલા ય દિવસો સુધી ખોળામાં ઓશિકું અને તેના પર માથું રાખીને બેસવું પડે, પરંતુ જ્યારે જ્યારે તબિયત થોડી સ્વસ્થ લાગે ત્યારે એમની અંગત વિશાળ લાયબ્રેરીમાંથી પુસ્તકો મંગાવીને વાંચતા.” ૧૯૭૪માં કાન્તિલાલ પાસેથી ‘વિરમગામ સત્યાગ્રહ’ અને ૧૯૭૫માં ‘ધ્રાંગધ્રાની લોકલડત’ પુસ્તકો મળ્યાં. એ કદાચ આ રોગ દરમિયાનનો જ યોગ બની રહ્યો હશે?!

સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ચંપારણ, બારડોલી કે દાંડી જેવાં ખરેખર જ વધુ વ્યાપક અને મોટા સત્યાગ્રહો, મોટા નેતાઓની આગેવાની હેઠળ થયેલા આ સત્યાગ્રહોની વચ્ચે ભૌગોલિક વ્યાપની દૃષ્ટિએ નાના એવા ધોલેરા, ધ્રાંગધ્રા, બરવાળા, માતર, વિરમગામ જેવાં અનેક સત્યાગ્રહો આઝાદી પછીનાં વર્ષોમાં સ્વાભાવિક જ લોકસ્મૃતિ અને રાજ્યવૃત્તિમાં ઓછાં રહ્યાં, પરંતુ સ્થળપ્રભાવની રીતે પ્રમાણમાં નાની એવી આ લડતો-સત્યાગ્રહોએ પણ‌ મોટી લડતો માટે પૂરાં પાડેલાં ઊંજણ અને ઈંધણ ઓછાં ન હતાં. આવી લડતો માટે વધુ મોડું થાય એ પહેલાં અને વેળાસર ઇતિહાસ આલેખી લેવો એ લેખકની—સમાજ અને રાજ્ય બંનેને ઓળખી શકવાની—દીર્ઘદૃષ્ટિ અને દસ્તાવેજીકરણની એમને મન રહેલી મહત્તા દર્શાવી જાય છે.

૧૯૪૩માં બંગાળમાં દુષ્કાળ પડેલો. ‘ગુજરાત સમાચાર’ના પ્રતિનિધિ તરીકે કાન્તિલાલને બંગાળ જવાનું થયું. તેના પરિણામસ્વરૂપનો આંખે દેખ્યો અહેવાલ ‘હરતાં-ફરતાં હાડપિંજરો વચ્ચે’ (૧૯૪૫) નામે પ્રાપ્ય થયો છે. દેશના પશ્વિમ છેડે આવેલા બંગાળના દુષ્કાળગ્રસ્ત માનવીની દારૂણતા પૂર્વ છેડાના ગુજરાતમાં ગુજરાતી ભાષામાં પ્રાપ્ત થવી એ તો દસ્તાવેજકારની અને ત્યારના ગુજરાતની કેવી સંવેદનશીલતા!

કાન્તિલાલ મ. શાહ લિખિત ‘હરતાં-ફરતાં હાડપિંજર વચ્ચે’ (1945)માં બંગાળના જે દુષ્કાળ-1943નું વર્ણન છે એ દરમિયાનની એક કરુણ છબી

ઇતિહાસ અને દસ્તાવેજીકરણ પ્રત્યેની કાન્તિલાલની પ્રતિબદ્ધતાનો આવો પહેલો પુરાવો એમની માત્ર ૨૭ વરસની વયે, છેક 1938માં મળી જાય છે. તે ઇજિપ્તના ‘ક્રાંતિવીર મુસ્તુફા કમાલ પાશા’નું જીવનચરિત્ર. ‘ઇન્ડિયન ઓપિનિયન’માં ગાંધીભાઈ અવારનવાર જગત પર પ્રભાવ પાથરનાર વ્યક્તિત્વોનું ચરિત્રલેખન કરતાં રહેતાં. તેમાં કમાલ પાશા વિશે પણ લખ્યું હતું. મો.ક. ગાંધીના શબ્દોમાં, “મુસ્તુફા કમાલ પાશાને લોકો પોતાનો રખેવાળ અને ઉદ્ધારક ગણતા. … જ્યારે જ્યારે કોઈ કોમને (અંગ્રેજી) સરકાર સામે ફરિયાદ હોય ત્યારે તેઓ મુસ્તુફા કમાલ પાશાની છાપાંની ઑફિસને ઘેરી લેતા, અને વચ્ચે પડવા અથવા રસ્તો બતાવવા પાશા આગળ પોકાર કરતા. તે વખતે તેમને કેમ વર્તવું તેની પાશા શિખામણ આપતા.” (ઈ. ઓ., ૨૮-૦૩-૧૯૦૮).

ગાંધીયુગની સાહિત્યિક પ્રેરણા અને ગુજરાતી સાહિત્યમાં પૂર્તિ

કાન્તિલાલે આપેલું કમાલ પાશાનું કે મણિલાલ ભ. દેસાઈએ આપેલું એબ્રહામ લિંકનનું જીવનચરિત્ર કે વિઠ્ઠલદાસ કોઠારીએ આપેલો હેલન કેલરની આત્મકથા Midstream: My Later Lifeનો ‘મઝધાર’ નામે અનુવાદ … આ અને આવાં ઘણાં ચરિત્રોનું મહત્ત્વ એટલા માટે વિશેષ છે કે ઓગણીસમી અને વીસમી સદીમાં જગત આખાના ઘણા દેશોમાં વિવિધ યુરોપિયન હકુમતનું શાસન પ્રવર્ત્યું ત્યારે તેના વિરોધમાં કે તેના પ્રભાવ હેઠળ પણ તે તે દેશોમાં રાજકીય અને સામાજિક સ્તરે કેવી કેવી પ્રતિભાઓ ઊભરી આવી, વ્યક્તિગત-સામૂહિક સંઘર્ષ આદરીને તેમણે પોતાના દેશવાસીઓને કેવી રીતે નવી રાહ બતાવી તેનું ગુજરાતી ભાષામાં આલેખન-અનુવાદ એ ગાંધીયુગનું અને એ યુગના એકથી વધુ લેખકો-અનુવાદકોનું એક વિશેષ લક્ષણ બની રહ્યું હતું. એનાથી ગાંધીસાહિત્ય અને સરવાળે ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ બન્યું. ત્યારની અને એ પછીની પેઢીના વ્યક્તિગત ઘડતર અને એ વાટે સામાજિક ઘડતરમાં આ ચરિત્રોનું-આ સાહિત્યનું ચોક્કસ જ મહત્ત્વનું પ્રદાન રહ્યું હશે. કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા કે નરહરિ દ્વારકાદાસ પરીખ સરીખા સ્વાતંત્ર્યસેનાની-સાક્ષરો વચ્ચે નવી આવૃત્તિઓનાં ધોરણે જેનું સાહિત્ય લાંબો સમય અપ્રાપ્ય રહ્યું એવા અન્ય કેટલાક કાન્તિલાલ મ. શાહ પણ આપણને મળી આવે, એમનું ક્યાંક અપ્રાપ્ય તો ક્યાંક અમુદ્રિત રહી ગયેલું સાહિત્ય ગુજરાતની જનતાને મળે … અને આખરે તો બસ, ગાંધીને પગલે ચાલવામાં ગુજરાતને કોઈ બહાનું ન મળે!

Email : ketanrupera@gmail.com
(સાભાર : “ભૂમિપુત્ર”, 1 ડિસેમ્બર, 2023; પૃ. 08-10)

Loading

નીલેશ રૂપાપરાની આંચકાજનક વિદાય

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|11 December 2023

નીલેશ રૂપાપરા

પ્રેમાળ મિત્ર નીલેશ રૂપાપરા ઓચિંતા-અણધાર્યા જતા રહ્યા.

સવારે કેતનભાઈ મિસ્ત્રીનો ફોન આવ્યો. જાણવા મળ્યું કે ગઈ કાલે રાત્રે નીલેશભાઈ પરિવારજનો સાથે હતા અને બ્લડ પ્રેશર ઓચિંતું વધી ગયું, ભારે બ્રેઇન સ્ટ્રોક આવ્યો. હાલત બહુ ગંભીર છે.

ને સાંજે ટૂંકો સંદેશોઃ નીલેશભાઈ ગયા.

1995થી 2023 સુધીના સમયગાળાની અનેક મધુર યાદો ઉભરી આવી.

તેમને પહેલી વાર જોયા મુંબઈમાં ‘અભિયાન’ની ઓફિસમાં. ત્યારે તેમના માથે ખાસ્સા છાપરા જેવા વાળ હતા. ચહેરા પર ધ્યાન દોરે એવી ભરાવદાર છતાં ખૂંખાર ન લાગે એવી મૂછો, ચશ્માંની પાછળ દેખાતી, સહેજ ઢળેલાં પોપચાંવાળી આંખો, ધીમી પણ ખચકાટ વગરની ચાલ, હાથમાં સિગારેટ. બોલ્યા એટલે થયું કે આમનો તો અવાજ પણ સરસ છે. એકદમ બેઝવાળો.

તે ‘અભિયાન’ના સંપાદક હતા. દીપક સોલિયા ચીફ રીપોર્ટર. બંને જણ અત્યંત કામગરા તરીકે જાણીતા. નીલેશભાઈ ડેસ્ક સંભાળે. એટલે કે જે અહેવાલો-લખાણો આવે તેમનું કમ્પ્યુટર પર જ એડિટિંગ કરે, કાપકૂપ કરે, સુધારેમઠારે અને છેલ્લે લેખનું મથાળું તથા ભૂમિકા (ઇન્ટ્રો) બાંધે. તેમની ભાષા અત્યંત સમૃદ્ધ. લેખનમાં અભિવ્યક્તિ જોરદાર. પાછા ચહેરેથી લાગે તેવા ધીરગંભીર કે ઠાવકાઠમ પણ નહીં. છૂટથી મસ્તીમજાક કરે ને ખૂલીને હસે.

‘મારી પત્રકારત્વ-લેખનની સફર’ પુસ્તક માટે નીલેશભાઈ પાસેથી 1995ના અરસાનો ફોટો મંગાવ્યો ત્યારે તેમણે બે-ત્રણ ફોટા મોકલ્યા હતા. તેમાંનો આ ફોટો મારા મનમાં રહેલી તેમની એ અરસાની છબીની સૌથી નજીકનો હતો.

ત્યારે હું તો પત્રકારત્વમાં સાવ નવો. અનુભવ શૂન્ય. પહેલી મુલાકાત નીલેશભાઈ સાથે થઈ ને પહેલા જ દિવસથી તેમણે સિનિયોરિટીના કડપને બદલે પ્રેમાળ મિત્ર તરીકે અપનાવી લીધો. અમારું બેસવાનું ક્યુબિકલ એક જ. પણ તેમને એવું ન થયું કે આ ક્યાં આવી પડ્યો. ઊલટું, જોડાયા પછી તરતના અરસામાં કાર્ટૂન વિશેની મારી કવર સ્ટોરી જોઈને તેમણે કહ્યું, ‘મેડ મેગેઝીન વિશે ખ્યાલ છે?’ મેં ના પાડી, એટલે તેમણે ટેબલના ખાનામાંથી એક અંક કાઢીને મને આપ્યો, રાખી લેવા માટે. ત્યારથી ‘મેડ’ સાથેનું ગાઢ પ્રેમપ્રકરણ શરૂ થયું.

‘અભિયાન’માં તેમની પાસેથી – તેમને જોઈને હું ડેસ્ક કામગીરીમાં ઘણું શીખ્યો. એ વિશે મેં ‘મારી પત્રકારત્વ-લેખનની સફર’માં લખ્યું, ત્યારે તેમણે તેમની શાલીનતાને અનુરૂપ ધોખો કર્યો હતો, ‘તું મને બહુ ફૂટેજ આપે છે.’ ‘અભિયાન’માંથી તે અમદાવાદ ‘ઇન્ડિયા ટુડે’ની ગુજરાતી આવૃત્તિમાં આવ્યા. અગાઉ તે ‘ઇન્ડિયા ટુડે’ ગુજરાતીની દિલ્હી ઓફિસમાં પણ હતા જ. થોડા સમય પછી મારે પણ ‘અભિયાન’ની અમદાવાદ ઓફિસે આવવાનું થયું. ત્યારે અને પછી ‘સંદેશ’માં જોડાયો ત્યારે નીલેશભાઈના કારણે ‘ઇન્ડિયા ટુડે’ની ઓફિસમાં મારી અવરજવર ઘણી રહી. તેમાંથી હિમાંશુ કીકાણી, દિલીપ ગોહિલ, મનીષ મહેતા, વિવેક મહેતા સહિત બીજા ઘણા સાથે પરિચય અને દોસ્તી થયાં. ‘સંદેશ’માં મારી (પ્રશાંત દયાળ સાથેની) દૈનિક હાસ્યકોલમ શરૂ થઈ ત્યારે તેના શરૂઆતના લેખ મેં આગ્રહપૂર્વક નીલેશભાઈને વાંચવા આપ્યા હતા અને તેમનો પ્રામાણિક અભિપ્રાય માગ્યો હતો. તેમના પ્રોત્સાહન અને કેટલાંક સૂચનનું મારે મન બહુ મહત્ત્વ હતું. આનંદ એ વાતનો પણ છે કે અહીં લખેલી આ બધી વાતો મેં તેમના સુધી મૌખિક અને ‘મારી પત્રકારત્વ-લેખનની સફર’ થકી લેખિત સ્વરૂપે પણ પહોંચાડી અને મારી કૃતજ્ઞતા વ્યક્ત કરી શક્યો. તેના માટે અંજલિલેખની રાહ ન જોઈ. આમ પણ, મારે તેમનો અંજલિલેખ લખવાનો આવશે, એવું તો સપને ય ક્યાંથી વિચાર્યું હોય.

મહેમદાવાદના ઘરે (ડાબેથી) ઉર્વીશ, નીલેશ રૂપાપરા, દીપક સોલિયા, રમેશ ઓઝા, બીરેન કોઠારી (મે 2016) :  વિચારધારાના મતભેદો એની જગ્યાએ, પણ દોસ્તી એના કરતાં બહુ ઊંચી છે.

તેમણે ‘ઇન્ડિયા ટુડે’ (ગુજરાતી) પછી અમદાવાદ છોડ્યું, ત્યાર પછી પણ અમારી વચ્ચે અનિયમિત રીતે નિયમિત સંપર્ક ચાલુ રહ્યો. તે નાટકો અને ટી.વી. સીરિયલ લખવાના કામમાં વળ્યા. ‘અભિયાન’માં જોડાતા અગાઉ તેમણે મિર્ઝાબંધુઓ(સઈદ-અઝીઝ)માંથી કોઈ એકની સાથે કામ કર્યું હોવાની મારી છાપ છે. (એ વિશે તેમના એ સમયગાળાના સાથીઓ સંજય છેલ અને રાજુ પટેલ વધુ કહી શકે.)

અસલમ પરવેઝ સાથે નીલેશભાઈની જોડી બની. ‘લેખકઃ અસલમ પરવેઝ’ અને ‘રૂપાંતરઃ નીલેશ રૂપાપરા’ – એવી રીતે ઘણાં નાટકો થયાં. તેમાંના એક, ઘણા સફળ થયેલા કોમેડી નાટક ‘જલસા કરો જયંતિલાલ’નો અમદાવાદમાં શો હતો ત્યારે તેમણે બીજા મિત્રોની સાથે મને પણ સજોડે નાટકના શો માટે આમંત્રણ આપ્યું હતું અને અમને બધાને પહેલી-બીજી હરોળમાં બેસાડીને નાટક બતાવ્યું હતું. 

તેમની લેખનક્ષમતા અને ભાષાસજ્જતા વિશે મારા મનમાં બહુ આદર હતો. તે પોતે પણ એ બાબત વિશે સભાન અને સજાગ હતા. 2006-07માં છ મહિના માટે એક એવો સોનેરી યોગ બની આવ્યો, જ્યારે આકાર પટેલ ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી બન્યા, હું ત્યાં રોજ ચાર કલાક ‘ઓપ-એડ’ પેજના કામ માટે જતો હતો અને દીપક સોલિયા ‘આહા જિંદગી’ સામયિકના સંપાદક ઉપરાંત પૂર્તિઓના સંપાદક તરીકે મુંબઈથી અમદાવાદ આવ્યા. તે વખતે અમે કેટલીક પૂર્તિઓ નવેસરથી કરવાનું વિચાર્યું. તેમાં રવિવારની પૂર્તિ માટે અમે નીલેશભાઈ પાસે એક નવલકથા લખાવવાનું નક્કી કર્યું. દીપકને ખબર હતી કે નીલેશભાઈ પાસે કોઈ આઇડિયા છે. તેમની સાથે વાતચીત કર્યા પછી નીલેશભાઈએ નવલકથાનું બેકગ્રાઉન્ડ અને તેનાં બે પ્રકરણ મોકલ્યાં. એ નવલકથા કેવી થશે અથવા કેવી થાય એવું તે ઇચ્છે છે, તેના માટે નીલેશભાઈએ આપેલું વન લાઇનર હતું, ‘અશ્વિની ભટ્ટનો પ્લોટ, મધુ રાયની ભાષા’. 

અખબારી દુનિયામાં ઘણીખરી સારી બાબતોનું થાય છે તેમ, ન આ નવલકથા શરૂ થઈ શકી, ન નવા અંદાજવાળી પૂર્તિઓ. છેવટે, એકાદ દાયકા પછી એ નવલકથા અમે સ્થાપેલા ‘સાર્થક પ્રકાશન’માં ‘છલનાયક’ નામે પ્રગટ થઈ, ત્યારે એક વર્તુળ પૂરું થયાનો આનંદ આવ્યો. ‘સાર્થક જલસો’માં એક વાર તેમણે માતૃભાષા વિશે અને ‘સાર્થક જલસો-18’માં ‘સમકાલીન’ તથા હસમુખ ગાંધી વિશે પ્રેમથી લખી આપ્યું હતું.

રાજકીય ધ્રુવીકરણ સમાજમાં અને સોશ્યલ મીડિયામાં પ્રસરી ગયું, ત્યારે અમારે વિચારધારાના સાવ સામસામા છેડે ઊભા રહેવાનું થયું. પરંતુ અમને એ વાતનો બહુ સંતોષ રહ્યો કે અમારી મૈત્રી પર તેનો ડાઘ સરખો ન લાગ્યો. એ બાબતે અમે એકબીજા વિશે બહુ આશ્વસ્ત હતા. તેમની ભદ્રતા એવી કે એક વાર તેમની પોસ્ટ નીચે કમેન્ટમાં કોઈએ મારા વિશે કંઈ એલફેલ લખ્યું હશે, તો એ તેમણે કાઢી નાખ્યું. એ તો ઠીક, મને મેસેજ મોકલ્યો. ત્યારે મેં તેમને લખ્યું હતું કે તમારે આવો મેસેજ મોકલવાનો ન હોય. એક તો, મેં એ વાંચ્યું નથી અને ખાસ તો, તમારા વિશે મને ખાતરી છે કે તમે સંબંધની ગરીમા કદી ચૂકો નહીં.

થોડાં વર્ષ પહેલાં એક વાર હું મુંબઈ ગયો ત્યારે દીપક, નીલેશભાઈ અને હું ચહીને અમારા ‘અભિયાન’ સમયના બાર ‘સંધ્યા’માં સંભારણાં ખાતર ગયા હતા. તે પહેલાં અને પછી પણ તેમને ક્યારેક મળવાનું થતું હતું. પરંતુ મારા માટે એ ‘અભિયાન’વાળા નીલેશભાઈ હતા અને તેમના માટે હું એ જ ઉર્વીશ. તેમનો મિત્રપ્રેમ એવો કે મારી હાસ્યવ્યંગ વીડિયોના 100 ભાગ થયા ત્યારે, તે વીડિયોની સામગ્રી તેમની વિચારધારાથી સાવ સામા છેડાની હોવા છતાં, તેમણે લખ્યું કે મિત્રની સેન્ચુરી થાય ત્યારે આનંદ તો થાય જ, ભલે તે સામેની ટીમમાંથી રમતો હોય. તેમની આ બાબત તેમને બીજા ઘણા લોકો કરતાં જુદા અને ઊંચા બનાવતી હતી.

તેમની નવલકથા ‘મહેકનામા’ અને ખાસ તો તેમના વાર્તાસંગ્રહ ‘આનંદ રોડને પેલે પાર’ વાંચ્યા પછી અમારી વચ્ચે મેઇલની મઝાની આપ-લે થઈ હતી. તેમાં તેમની માનસિક નિર્મળતાનું વધુ એક ઉદાહરણ મળ્યું. આમ તો એ અંગત મેઇલ છે અને જાહેરમાં મુકતાં ખચકાટ થાય. પણ હવે એ નથી ત્યારે અંગતતાના ભંગનો દોષ વહોરીને પણ એ મેઇલના અંશ મુકતાં જાતને રોકી શકતો નથી.

“(વાર્તાસંગ્રહની) પ્રસ્તાવના સાથે હું સહમત નહોતો, ખાસ તો એમણે આ વાર્તાઓને લોકભોગ્ય શ્રેણીમાં મૂકી (હું ટી.વી.લેખક ને પત્રકાર હોવાને કારણે લોકભોગ્ય વાર્તાઓ જ લખું એવા ગૃહિત સાથે એમણે લખ્યું હોય એમ લાગ્યું.) એ વાત સાથે મારી વધુ અસહમતિ હતી … જો કે પછી એના રિએક્શન રૂપે મારી વાત મેં બહુ અઘરી અઘરી લખી જે મારે નહોતું કરવું જોઈતું … પણ ક્યાંક અંદરખાને એવું દેખાડી દેવાની વૃત્તિ હતી કે અમને ય લખતાં આવડે છે … છેલ્લે, ઘરવાપસી વિશે. 2015ની શરૂઆતમાં Koenraad Elstનું પુસ્તક Negationism in India: Concealing the Record of Islam વાંચેલું અને એ મગજ પર ચઢી ગયેલું. પુસ્તકની અધિકૃતતા વિશે તો આજે ય શંકા નથી પણ એની જાલીમ અસરમાંથી નીકળવું હતું. સાથેસાથે દીકરાની મુસ્લિમ પ્રેમિકા પ્રત્યે મનમાં એક ટકોય  મેલ હોય તો એ કાઢવો હતો. પરિણામે એ વાર્તા લખાઈ. અને લખ્યા પછી ઘણા પૂર્વગ્રહો-પક્ષપાતો નીકળી શકે એનો અનુભવ લગભગ પહેલી વાર થયો.” (19 એપ્રિલ 2018)

‘મારી વાચનયાત્રા’ એવા એક પુસ્તકનો ખ્યાલ ઘણા વખતથી મનમાં છે. તેમને એ વિષય પર લખવાનું કહેતાં તેમનો મેઇલ આવ્યો હતો, ‘થૅન્ક્સ ઉર્વીશ, મને ગમે એવું લખવાનું કહ્યું છે તેં … અને હું પ્રયત્ન પણ કરીશ. પરંતુ હાલના તબક્કે વાયદો કરી શકું તેમ નથી. કારણ, તબિયત રિસાયેલી પ્રેમિકા જેવી દશામાં છે. ઉપરથી પહેલાં લીધેલું નાટક લખવાનું કમિટમેન્ટ પૂરું કરવાનું છે. આથી મને ગણતરીમાં ન રાખીને ચાલે તો સારું … ફરી કહું છું કે કોશિશ કરીશ, પણ …’ (12 જુલાઇ, 2023)

નીલેશભાઈ, આપણે તો આ લેખ પૂરતા તમને ગણતરીમાં ન રાખવાની વાત થઈ હતી અને તમે તો … 

*

સૌજન્ય : આ લખાણની તસવીરો સાથેની લિન્કઃ https://urvishkothari-gujarati.blogspot.com/…/blog-post…

Loading

શિક્ષકો વગર શિક્ષણ આપવામાં ગુજરાત મોખરે છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|11 December 2023

રવીન્દ્ર પારેખ

ગુજરાત સરકાર કોઈ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવવાની ફિરાકમાં હોય તેમ તેણે, બને ત્યાં સુધી શિક્ષકો પૂરતી સંખ્યામાં સ્કૂલોને અપાઈ ન જાય તેની કાળજી રાખી છે. શિક્ષક વગર શિક્ષણ આપવાના પ્રયોગમાં ગુજરાત મોખરે છે. શિક્ષણ નીતિ નવી આવે તો પણ, શિક્ષકો વગર અમલમાં મૂકવામાં સરકારને કોઈ અડચણ આવતી નથી, એનું આશ્ચર્ય છે. સ્કૂલો હોય તો બંધ થાય, વર્ગો હોય તો જર્જરિત હોય, વિદ્યાર્થીઓ નિયમિત આવતા હોય પણ શિક્ષક સમ ખાવા પૂરતો પણ ન હોય, વર્ગો ખુલ્લામાં એકાદ શિક્ષક દ્વારા માંડ લેવાતા હોય, શિક્ષણનાં ઠેકાણાં ન હોય, પણ પરીક્ષાઓ લેવાતી હોય, પાસિંગ માર્કસ આવતા ન હોય, અરે ! પરીક્ષાઓ ન થઈ હોય, તો પણ વિદ્યાર્થીઓ ઉપલા વર્ગમાં પહોંચ્યા હોય … જેવી અનેક મુશ્કેલીઓ વચ્ચે શિક્ષણ એટલે ચાલે છે કે શિક્ષણ વિભાગની જીવાદોરી ચાલતી રહે, એના અધિકારીઓનાં પગાર, પેન્શન અટકે નહીં !

એ ખરું કે કેટલાક શિક્ષકો વફાદારીથી નોકરી નથી કરતા, પણ બધા જ બિનવફાદાર છે એવું નથી. જે એવા હોય એમની સામે પગલાં લઈ શકાય, પણ પાડાને વાંકે પખાલીને ડામ ન દેવાય. વળી શિક્ષણ જગતમાં જ વફાદારી ખૂટે છે એવું ક્યાં છે? સરકારી ખાતાઓમાં, ખાનગી સંસ્થાઓમાં પણ કામચોરો નથી એવું કહી શકાશે? એટલે થોડા એવા હોય એટલા માત્રથી શિક્ષકો મૂકવા જ નહીં એ બરાબર નથી ને એમાં વિદ્યાર્થીઓનો શો વાંક છે કે એમણે ઓછા શિક્ષકોથી ચલાવવું પડે?  સાધારણ રીતે 30 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવો જોઈએ, પણ સેંકડો વિદ્યાર્થીએ પણ એક શિક્ષક ન હોય એવી સ્કૂલો ગુજરાતમાં શોધવી મુશ્કેલ નથી. એક મંત્રીને ત્રીસ સુરક્ષાકર્મીઓ ફાળવવાનો વાંધો નથી આવતો, પણ ત્રીસ વિદ્યાર્થીઓ માટે એક શિક્ષક ફાળવવાનું સરકારને પરવડતું નથી- એવા મતલબના મેસેજમાં તથ્ય છે.

વારુ, શિક્ષકો મળતા નથી એવું નથી. ટેટ-ટાટ પાસ હજારો ઉમેદવારોને કાયમી નોકરી માટે આંદોલન કરવું પડે એ કરુણતા છે. જે કાયમી નોકરીની પાત્રતા ધરાવે છે એમને જ્ઞાન સહાયકની કે પ્રવાસી શિક્ષકની કામચલાઉ નોકરીની ઓફર અપાય એ શરમજનક એટલે પણ છે કારણ, કાયમી કરવા માટે તો એમની પરીક્ષાઓ લીધી અને એમાં એ પાસ પણ થયા ને હવે એમને કામચલાઉ નોકરીમાં રાખવાની યોજના કરીને સરકાર, ભાવિ શિક્ષકોનો ભરોસો તોડી રહી છે. રાજ્યમાં 32,000 કાયમી શિક્ષકોની ઘટ છે, છતાં એ જગ્યા ભરવાને બદલે કામચલાઉ નોકરી અપાય છે, તે એટલે કે કાયમી નિમણૂક અપાય તો નિવૃત્તિ પછીના પેન્શન વગેરે લાભો આપવા પડે. એ લાભ આપવાની, પેન્શન વગેરે લાભોની ખાતરી મેળવી ચૂકેલા મંત્રીઓ અને અધિકારીઓની દાનત નથી તે દુખદ છે.

કોઈ કંજૂસ વેપારી પોતાના કારીગરોને ઓછામાં ઓછો લાભ પણ કેવી રીતે ન મળે એની જે રમત કરે, એવા પેંતરા સરકાર કરે છે. ગુજરાતના શિક્ષણ વિભાગે ત્રણેક વર્ષમાં મંજૂર મહેકમમાં મોટો કાપ મૂકીને 40,000 જગ્યા ઘટાડી દીધી. આ ઘટાડા છતાં 22,721 જગ્યાઓ તો હજી ખાલી જ છે. આ યુક્તિથી 32,000 કાયમી શિક્ષકોની ઘટ, 22 હજાર પર લાવી દેવાઈ છે. આવતે વર્ષે વળી મંજૂર મહેકમ ઘટાડીને કાયમી શિક્ષકોની ઘટ 12 હજાર પર લાવી દેવાય તો નવાઈ નહીં ! 2021-‘22માં પ્રાથમિક શિક્ષકોનું મહેકમ સરકારના જ અહેવાલ મુજબ 2,44,211નું હતું ને શિક્ષકોની ખાલી જગ્યાં 13,270 હતી. 2023-‘24માં શિક્ષકોનું મહેકમ 2.44 લાખ પરથી 2.04 લાખ પર આવી ગયું. સીધો 40,000નો ઘટાડો. આટલા ઘટાડા છતાં, શિક્ષકોની ખાલી રહેલી જગ્યા તો 22,721ની છે જ ! શિક્ષકોની જગ્યા ઘટાડી દેવા છતાં, ભરતી ન થતી હોવાને કારણે આટલી જગ્યાઓ ખાલી રહેવા પામી છે. શિક્ષણ વિભાગે 30થી ઓછા વિદ્યાર્થીઓવાળી સ્કૂલો, નજીકની એકાદ કિલોમીટરના એરિયાની સ્કૂલોમાં મર્જ કરી. એ સ્કૂલના શિક્ષકો પણ નજીકની સ્કૂલમાં ટ્રાન્સફર થયા, એટલે મંજૂર જગ્યાઓમાં ઘટાડો થયો. એનું પરિણામ એ આવ્યું કે ગામડાંની ઘણી સ્કૂલો બંધ થઈ. આ ખેલ તો છેલ્લાં 6 વર્ષથી ચાલે છે ને ગમ્મત એ છે કે કેરળ સહિતનાં 6 રાજ્યોમાં શિક્ષકોની કાયમી ઘટ જેવી કોઈ સમસ્યા જ નથી. ઘટનો આ આખો ખેલ ગુજરાત સરકારની આગવી નીપજ છે.

વિદ્યાર્થીઓ ઓછા થાય તો શિક્ષકોની સંખ્યા ઘટે એ સમજી શકાય, પણ વિદ્યાર્થીઓ વધતા હોય, તો પણ શિક્ષકો ઘટે એ ચમત્કાર કેવળ ગુજરાત સરકાર જ કરી શકે. સંસદમાં ગયા સોમવારે રજૂ થયેલ રિપોર્ટમાં 2019થી ’22 સુધીમાં સરકારી સ્કૂલોમાં 1.23 કરોડ વિદ્યાર્થીઓ વધ્યા, જ્યારે ખાનગી સ્કૂલોમાં એ ત્રણ વર્ષોમાં 99.37 લાખ વિદ્યાર્થીઓ ઘટ્યા. ગુજરાતની વાત કરીએ તો એ ત્રણ વર્ષો દરમિયાન સરકારી સ્કૂલોમાં 2.75 લાખ વિદ્યાર્થીઓ વધ્યા અને ખાનગી સ્કૂલોમાં 5.53 લાખ વિદ્યાર્થીઓ ઘટયા. આ આંકડાઓ એટલું તો સૂચવે છે કે સરકારી સ્કૂલોમાં છેલ્લાં ત્રણેક વર્ષમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓ લાખોની સંખ્યામાં વધ્યા છે. જો આ સાચું હોય તો શિક્ષકો વધવા જોઈએ, તેને બદલે ઘટ્યા. 40,000 શિક્ષકો ઘટાડવા છતાં, શિક્ષકોની ખાલી જગ્યા તો 22 હજારથી વધુની રહી જ ! આ આખી કસરત 32 હજાર શિક્ષકોની ઘટ, કાગળ પર 22 હજારની બતાવવા તો નથી થઈને એવો વહેમ પડે. બીજી વાત નોંધવા જેવી એ છે કે આ આંકડા સાચા હોય તો ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ દેશમાં અને રાજ્યમાં લાખોની સંખ્યામાં ઘટ્યા છે. સરકારી સ્કૂલો બંધ કરવા છતાં ને ખાનગી સ્કૂલોને ભરપૂર લાઇસન્સ આપવા છતાં, સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વધ્યા છે અને ખાનગીમાં ઘટ્યા છે તે સૂચક છે. શિક્ષણનું ખાનગીકરણ સરકારને માફક આવતું હોય તો પણ, દેશને અને ગુજરાતને માફક આવ્યું નથી તે સ્વયં સ્પષ્ટ છે. ખરેખર તો સરકારે આ સંકેતોની નોંધ લઈને આગળની સ્ટ્રેટેજી નક્કી કરવાની રહે.

એટલું છે કે ભાવિ શિક્ષકો અને કાર્યરત સરકારી શિક્ષકો સરકારની ગતિવિધિથી સંતુષ્ટ નથી. અન્ય રાજ્યોમાં કાયમી જગ્યાઓ ખાલી નથી, તો ગુજરાતમાં કાયમી જગ્યા ભરવાને બદલે કામચલાઉનો ચાલતો ખેલ લાંબો ચાલવાનો નથી તે સરકારે સમજી લેવાનું રહે. શિક્ષકોની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી પણ, હવે તો જૂની થવા આવી છે, પણ સરકાર તે તરફ ધ્યાન આપતી નથી. એ માંગ ઉપરાંત કેટલાક પડતર પ્રશ્નોને મુદ્દે 9 ડિસેમ્બરે શિક્ષકોએ વિરોધ પ્રદર્શિત કરવા રાજ્યમાં જુદા જુદા 11 શહેરોમાં એક લાખ શિક્ષકોની પદયાત્રા યોજી. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચાએ મેગા પદયાત્રાનું આયોજન કર્યું, જેમાં શિક્ષકો સહિત 70થી વધુ સંગઠનો જોડાયાં. આ વિરોધનું મુખ્ય કારણ એ છે કે 2005 પહેલાં નોકરીમાં જોડાયેલા સરકારી શિક્ષકો સહિતના કર્મચારીઓનો ઓલ્ડ પેન્શન યોજનામાં સમાવેશ થયો નથી. સરકાર સમાવેશ કરવાને મામલે સંમત તો થઈ, પણ તેનો ઠરાવ કરવાની તેને આજ સુધી ફુરસદ મળી નથી. અમદાવાદ, સૂરત, નવસારી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને અન્ય વિસ્તારના હજારો શિક્ષકોએ પ્લેકાર્ડ અને બેનર્સ સાથે પદયાત્રાઓ અને મહાપંચાયતો યોજી, જેમાં પેન્શન ઉપરાંત બદલીના નિયમો, શિક્ષકોની કાયમી ભરતી, 4,200 ગ્રેડ પે જેવા પડતર પ્રશ્નોની વાત મુખ્ય હતી. શિક્ષકોનાં આ આંદોલનની અનિવાર્યતા સામે કોઈ પ્રશ્ન જ નથી, પણ શિક્ષણની ગુણવત્તા અંગેની ચિંતા પણ શિક્ષકોએ કરવાની રહે જ છે. NCERT કે GCERT દ્વારા અભ્યાસક્રમોમાં કે પાઠ્યપુસ્તકોમાં મનસ્વી ફેરફારો સામે પણ શિક્ષકો સજાગ અને સભાન રહે એ અપેક્ષિત છે. શિક્ષકોને સોંપાતી શિક્ષણેતર જવાબદારીઓને લીધે વર્ગશિક્ષણ ખોરંભાય છે તે વાતો પણ આંદોલનનું એક કારણ છે – એવી પ્રતીતિ સરકારને કરાવવાની હજી બાકી છે.

સરકારને કદાચ એમ હશે કે શિક્ષકોનું કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાસેથી લેવામાં આવે તો તેમની જરૂર જ ન રહે, પણ એ ભૂલવા જેવું નથી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખરેખર તો ઇન્ટેલિજન્સનું પરિણામ છે. ઇન્ટેલિજન્સ જ ન હોત તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સપનું ય પડે એમ ન હતું. એકલવ્યે ગુરુ વગર જ્ઞાન મેળવ્યું, પણ પ્રેરણામૂર્તિ તો ગુરુ જ હતા. ટૂંકમાં, શિક્ષણ માટે શિક્ષક અનિવાર્ય છે, એ વાત સરકાર સુધી પહોંચે તે જરૂરી છે. કમનસીબી એ છે કે શિક્ષક, કારકૂની માટે નહીં, પણ શિક્ષણ માટે અનિવાર્ય છે – એ વાત સરકારને સમજાવવી પડે એ હદે શિક્ષણનું ધોવાણ થયું છે, વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 ડિસેમ્બર 2023

Loading

...102030...868869870871...880890900...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved