Opinion Magazine
Number of visits: 9456314
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|10 July 2025

દુનિયાના ચોથા  મોટા અર્થતંત્રમાં ઘટતી અસમાનતાનો દાવો છતાં …  

વરવી વાસ્તવિકતા એ છે કે અહીં એક ટકો શ્રીમંત વર્ગ રાષ્ટ્રીય આવકનાં 22-23 ટકા  અને રાષ્ટ્રીય સંપત્તિના 40 ટકા પર કબજો  ધરાવે છે; અને સરકાર જેનું નામ તે અબજોપતિના વધતા જુમલાને વિકાસમાં ખપાવે છે. 

પ્રકાશ ન. શાહ

ગિની કહેતાં સોનાનો સિક્કો સમજાય એ અર્થમાં નહીં પણ ઇટાલિયન અંકશાસ્ત્રી ગિનીએ દેશોમાં આંતરિક સમાનતા અને અસમાનતાનું પ્રમાણ સમજવા માટે નિપજાવેલ સૂચકાંક, તે ગિની ઇન્ડેક્સઃ આજે તે યાદ કરવાનું કારણ, આ સૂચકાંક મુજબ તાજેતરનાં વર્ષોની આપણી પ્રગતિ ચીનથી માંડી અમેરિકા જેવા વિકસિત દેશો કરતાં બહેતર છે. વચ્ચે વિશ્વ બેન્કે કહ્યું કે, હવે હિંદ દુનિયાની ચોથી મોટી સમાનતામંડિત પ્રજા બની રહેલ છે. સત્તાવાર સરકારી દાવો આમે ય આપણે દુનિયાનું ચોથું મોટું અર્થતંત્ર હોવાનો હતો જ, હવે ચોથી સમાનતામંડિત પ્રજા હોવાનાં વિશ્વ બેન્કી વધામણાં આવી પડ્યા. (આ સંજોગોમાં અખો શું કહે? વઢકણી વહુએ દીકરો જણ્યો … દઇ જાણે.)

વાસ્તવ કાર્ય પાછળના ખર્ચ કરતાં તેની જાહેરાત અંગેનો ખર્ચ વખત છે ને વધુ હોય એવા દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. ત્યારે સમાનતાને મુદ્દે આવા દાવાદુવી ઊંડી તપાસનો મુદ્દો બની રહે છે. પગ વગર ચાલી શકતી ભીંતો વિશે સાંભળવાનું ગઝલિસ્તાનમાં બનતું રહ્યું છે, પણ આપણે ત્યાંનો ક્લાસિક કિસ્સો કેટલીયે બાબતોમાં ડેટાનિરપેક્ષ દાવાદુવીનો હમણેના દસકામાં સતત રહ્યો છે. 

તેમ છતાં, ઘટતી અસમાનતામાં આપણે અગ્રેસર છીએ એ દાવાને શક્ય વિગતોને આધારે આપણે તપાસીએ તે પહેલાં વિશ્વબેન્કના એ અવલોકનની પણ નોંધ લઈએ કે અત્યધિક ગરીબીનું પ્રમાણ મનમોહન દશક ઊતરતે 28-29 ટકા જેવું હશે. તેની સામે મોદી દશક ઊતરતે તે 2-3 ટકે પહોંચી ગયું છે. 

જો મોદી દશક ઊતરતે આવું ઝળહળતું ચિત્ર હોય તો એવું કેમ છે, અમદાવાદ-સ્થિત અર્થશાસ્ત્રી ઇંદિરા હિરવેએ પૂછ્યું છે, આજકાલ પાંચ વરસથી નાનાં બાળકો પૈકી પાંત્રીસ ટકા જેટલાં ઠીંગરાયેલાં માલૂમ પડે છે, અને 18-19 ટકા જેટલાં વળી ઋણવજનિયાં છે. કદાચ, એ પણ સાથે લગો જ પૂછવા જેવો પ્રશ્ન છે કે સરકારી દાવા પ્રમાણે દેશમાં 80 કરોડ લોકો સારુ મફત અનાજની સોઈ હોવા છતાં વૈશ્વિક ભૂખમરાના સૂચકાંકમાં આપણે લથડિયાં કેમ ખાઈએ છીએ. મુદ્દે, એવું તો નથી ને કે અત્યધિક ગરીબી એટલે શું તેની વ્યાખ્યા જ પુનર્વિચાર માંગે છે?

એ તો સ્થાપિત વિગત છે કે 6-7 ટકા જેટલો જી.ડી.પી. દર છે, પણ આ દરના મુકાબલે લોકોની સ્થિતિમાં સુધારદર નોંધપાત્રપણે નીચો છે, મતલબ, અસમાનતા બલકે વિષમતા વસ્તુતઃ બરકરાર છે. 

જેમ અત્યધિક ગરીબીની વ્યાખ્યા પુનર્વિચાર માગે છે તેમ વિશ્વપ્રતિષ્ઠ ગિની સૂચકાંક પણ, એની મર્યાદાઓ સંદર્ભે પુનર્વિચાર અને સમીક્ષા માગે છે, અભ્યાસીઓનું અવલોકન છે કે ગિની સૂચકાંક બહુધા જેની ફરતે રમેભમે છે તે તો જે તે અર્થતંત્ર માંહેલું મધ્યમ આવક જૂથ હોય છે. એકદમ ટોચ પરના કે તળેટી પરના, કદાચ એથીયે નીચેરા તબકા એની તપાસ – રમણામાં નથી આવતા.

આ દૃષ્ટિએ વાસ્તવચિત્ર સમજવા વાસ્તે, વિશ્વપ્રતિષ્ઠ ફ્રેન્ચ અર્થશાસ્ત્રી થોમસ પિકેટી અને સાથીઓનું જે એક શોધપત્ર 2022-23માં આવ્યું છે તે ઉપયોગી (અને આંખ ખોલનારું) થઈ પડે એમ છે. હિંદની વસ્તીનો એક ટકો શ્રીમંત વર્ગ રાષ્ટ્રીય આવકના 22-23 ટકા અને રાષ્ટ્રીય સંપત્તિના 40 ટકા હિસ્સા પર કબજો ધરાવે છે. તળિયાનો પચાસ ટકા વર્ગ રાષ્ટ્રીય આવકના પંદર ટકા અને રાષ્ટ્રીય સંપત્તિના 6-7 ટકા પર જ અધિકાર ધરાવે છે. 

અહીં 2023ના જુલાઈમાં પરકાલા પ્રભાકર સાથે થયેલી ચર્ચા સાંભળે છે. 

નિર્મલા સીતારામન્‌ વિત્તમંત્રી બન્યાં, પણ એમના પતિ પ્રભાકરને ધીરે ધીરે મોદીકારણ બાબતે મોહભંગનો અનુભવ થયો. ધોરણસરના ડેટા પર ઢાંકપિછોડા છતાં ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ની લીક મારફતે જણાયું કે 2017-18માં બેરોજગારી દર છેલ્લાં પિસ્તાલીસ વરસમાં સૌથી ઊંચે હતો. જ્યાં સુધી સમાનતા-અસમાનતાનો સવાલ છે, પ્રભાકરે કહ્યું, 2022માં અબજોપતિ 55થી વધીને 146 થઈ ગયા એ વિગત સરકારી વર્તુળો વિકાસના નિદર્શનરૂપે ઉછાળે છે!

વિશ્વનું ચોથું મોટું અર્થતંત્ર, અને ઓસરતી અસમાનતા તે આનું નામ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 09 જુલાઈ 2025

Loading

કર્મ સમોવડ

ઉમાશંકર જોશી|Gandhiana|9 July 2025

ઉમાશંકર જોશી

ગાંધીજી મુખ્યત્વે કર્મના માણસ હતા, શબ્દના નહીં. એમનું ચાલે તો શબ્દ વગર જ ચલાવે. પછીથી અઠવાડિયે એક દિવસ મૌનને એમણે રાખ્યો પણ હતો. પણ પ્રવચન કરતાં અધેાળ આચરણ વધે એવી એમની શ્રદ્ધા. પણ એમણે જોયું કે શબ્દ પણ મોટી શક્તિ છે, કર્મને પ્રેરનારી શક્તિ છે. ક્યારેક શબ્દ કર્મ સમોવડ પણ નીવડે છે. એટલે એમણે શબ્દની શક્તિને પણ યોજી. ભરપૂર યોજી, સબળપણે–સફળપણે યોજી.

શરૂઆતમાં શબ્દ એમને વશ નથી એવું ઇંગ્લેંડમાં ભાષણ આપવા ઊભા થયા અને એક જ વાક્ય બે ત્રણ વાર બોલીને આગળ વધી ન શક્યા અને બેસી જવું પડયું એ જાતના દાખલા પરથી માનવામાં આવે છે. દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપિનિયન’નું ગુજરાતી જોઈને પણ કોઈને એવું લાગે. છતાં જરી બારીકાઈથી તપાસતાં, ગાંધીજીમાં ભલે વાગ્મિતા જોવા ન મળતી હોય, પણ એમનામાં કથનની સુરેખતા અને સરળતાનાં તો લગભગ સર્વત્ર દર્શન થશે. ‘ઇન્ડિયન ઓપિનિયન’માં બધાં લખાણો એવાં નથી, પણ જે ગાંધીજીના ખાતરીપૂર્વક છે, તેની ભાષા હૃદયસોંસરી ઊતરી જાય એવી જોવા મળે છે.

મોહનદાસ 19 વરસની વયે વિલાયત જવા ઊપડે છે ત્યારે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં જુલાઈ 4, 1888ના રોજ એમને વિદાયમાન આપવા થયેલા મેળાવડામાં ઉત્તર આપતા જે બોલેલા તેમાંનું એક વાક્ય ‘કાઠિયાવાડ ટાઈમ્સ’ના 12-7-1888ના અંકમાં છપાયેલા અહેવાલમાં સંઘરાયું છે. એ વાક્યમાં ગાંધીજીના વ્યક્તિત્વની આખી તાસીર પ્રગટ થાય છે :

“હું આશા રાખું છું કે બીજાઓ મારો દાખલો લેશે અને ઇંગ્લેન્ડથી પાછા આવ્યા બાદ હિંદુસ્તાનમાં સુધારાનાં મોટાં કામો કરવામાં ખરા જિગરથી ગૂંથાશે.”

(1) સ્વભાવની અનાક્રમકતા અને વાત્સલ્ય ‘હું આશા રાખું છું”- એ ઋજુ વચનમાં નીતરે છે.

(2) એ ઉંમરે પણ પોતાનો પોતા વિશે ખ્યાલ એ છે કે બીજાઓએ પોતાનો દાખલો લેવાનો છે. નેતૃત્વ કરવાની ખાતરી છે. 

(3) આ કામ ઇંગ્લેંડ જઈ આવવાનું હતું એટલે એ કરવા દ્વારા મુખ્ય શું સાધવાનું હતું તેની તરત વાત કરે છે. 

(4) હિંદુસ્તાનમાં પાછા ફરીને ઇંગ્લેન્ડમાં મેળવેલી સજ્જતા વડે મોટાં કામો કરવાનાં છે. પોતાના અંગત ઉત્કર્ષ માટેનાં મોટાં કામો નહીં, પણ ‘સુધારા’નાં મોટાં કામે કરવાનાં છે. હાડે પોતે સુધારક (રિફોર્મર) છે તે ઉપર પૂરેપૂરો ભાર અહીં મુકાયો છે.

(5) ખરા જિગરથી સુધારાનાં કામો કરવાનાં છે. દેશના લોકો કેવા નગુણા કે નઠોર કે અપાત્ર છે એવી ટીકા કરતાં, બળાપા કાઢતાં કે કણસતાં સેવા કરવાની નથી. કોણ ફરજ પાડવા આવ્યું હતું ? પોતાને એના વિના ચેન પડતું નથી એ રીતે કરવાની છે. ખરા જિગરથી કરવાની છે.

આ બે શબ્દો આખા વાક્યોમાં આત્મત્યાગના અમૃતઘૂંટડા પીવાની લગનીને છતી કરી દેનારા છે. 

(6) સેવાનાં કામો હાથ ધર્યાં, પતાવ્યાં, હાશ છૂટ્યા!—એમ કહી હાથ ખંખેરી પછી મોજશોખમાં પડવાનું નથી. આ તો લગની લાગી તે લાગી. ગૂંથાઈ જવાનું છે, સમગ્ર જાત એમાં ડુબાવવાની (ટોટલ ઇન્વોલ્વમેન્ટની) આ વાત છે. ક્રિયાપદની પસંદગી ઉત્કૃષ્ટ છે. ગાંધીજી ક્રિયાના માણસ છે. એમનાં વાક્યો ટૂંકાં ટૂંકાં, કેવળ ક્રિયાપદના આધારે ઊભેલાં જણાશે.

એક આત્માના આખા ય અભિગમને એક વાક્યમાં આપણે પામી શકીએ છીએ. ગાંધીજીનો સૌથી પહેલો નોંધાયેલો આ ઉદ્ગાર હત્યાપૂર્વે કોઈએ હસ્તાક્ષર માગતાં એમણે ટપકાવી દીધો હોત તો તે વખતે પણ એમને ભાગ્યે જ એથી વધુ કહેવાનું હોત.

ગાંધીજી સવ્યસાચી હતા. અંગ્રેજી વધુ સુઘડ, બાઈબલની શૈલીની ઝાંયવાળું લખતા એમ પણ કોઈ કહે.

એડવર્ડ થોમ્પ્સન બીજી ગોળમેજી પરિષદ વખતે એમને ખરડાઓ તૈયાર કરી આપતા અને પછી જોતા કે ગાંધીજી કેટલુંક કાપી નાખે અને ક્યાંક એકાદ નામયોગી અવ્યય મૂકી દે. થોમ્પ્સન નોંધે છે કે ગાંધીજી અંગ્રેજી ભાષાની નામયોગી અવ્યયની શક્તિના ભારે પરખંદા હતા. 

ગાંધીજીના ગુજરાતી લખાણમાં સરળતા, ઘરેલુપણું, સોંસરાપણું અને અનુભવમાંથી નીતરતી વાણીમાં અવશ્ય પ્રગટ થતી સચ્ચાઈ અને ઉદારતા જોવા મળે છે. ‘મંગળ પ્રભાત’ના કોઈ પણ એક નિબંધની ભાષાશક્તિ તપાસી જુઓ. અરે, ‘આરોગ્યની ચાવી’ જેવી પુસ્તિકામાં પ્રગટ થતી ભાષાની શક્તિનું પૂરું બયાન કરવું હોય તો તેનું એ પુસ્તક કરતાં ક્યાં ય મોટા કદનું પુસ્તક મારે લખવું પડે.

ગાંધીજી ધ્યેયલક્ષી સાહિત્યકાર છે. લલિતવાઙમયના પ્રકારમાં આવી શકે એવું કાંઈ હોય તો તે ચરિત્રાત્મક લખાણો અને કોઈ-કોઈક જ-નિબંધો બલકે નિબંધકંડિકાઓ. એટલે સાહિત્યકાર કે એવાં ખાનાંઓમાં ગોઠવવા કરતાં એમની ભાષાની શક્તિનો તાગ મેળવવો એ જ મુખ્ય ઉપક્રમ રહે એ યોગ્ય છે.

(ડૉ. રમણ મોદીના પુસ્તક ‘ગાંધીજીનું સાહિત્ય’ના પ્રવેશકમાંથી)
09 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 358

Loading

ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|9 July 2025

ચંદુ મહેરિયા

સ્વચ્છ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણીઓના આયોજન માટે ભારતના ચૂંટણી પંચનો દુનિયામાં ડંકો વાગે છે. પરંતુ આજકાલ તેની એ જ સાખ પર પ્રશ્નો ઊઠી રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાર્લામેન્ટરી સ્પીચ, પ્રેસ કોન્ફરન્સ અને હવે આર્ટિકલ (MATCH-FIXING MAHARASHTRA) દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઈલેકશન કમિશનની ભૂમિકા સામે સવાલો ઊઠાવ્યા છે. કાઁગ્રેસ નેતાએ મહારાષ્ટ્રના ચૂંટણી વિજયને મતોની ચોરી ગણાવી, ચૂંટણી પૂર્વેના છ માસમાં મતદારોમાં થયેલા વધારાને અસાધારણ અને પંચની સત્તા પક્ષ સાથેની મિલીભગતથી થયેલો ગોટાળો કહ્યો છે. 

અઢાર લોકસભા અને સંખ્યાબંધ વિધાનસભાઓની ચૂંટણીઓનું મુશ્કેલ, પડકારજનક અને ગંજાવર કામ ચૂંટણી પંચે પાર પાડ્યું છે. બંધારણના અનુચ્છેદ ૩૨૪ પ્રમાણે બંધારણીય સંસ્થા તરીકે સ્થાપિત ચૂંટણી પંચનું કાર્ય મતદાર યાદી તૈયાર કરવાથી માંડીને ચૂંટણીનું પરિણામ જાહેર કરવા સુધીનું છે. ભારતની ભૌગોલિક, સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતા વચ્ચે પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેનથી વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સરાહનીય કાર્ય કર્યું છે. દેશના દુર્ગમ વિસ્તારોના મતદાન મથકો પર ચૂંટણી અધિકારીઓ તથા કર્મચારીઓ અને ચૂંટણી સામગ્રીને પગપાળા, બોટ અને હાથી-ઊંટ સવારીથી પહોંચાડી ચૂંટણીઓ પાર પાડી છે. ચૂંટણી પંચની નિમણૂક સંપૂર્ણ સરકાર હસ્તક હોવા છતાં પંચની નિષ્પક્ષતા મુદ્દે ઝાઝા વિવાદો થયા નથી. 

જો કે છેલ્લા એકાદ દાયકાથી ચૂંટણી પંચ વિવાદોના ઘેરામાં છે. વિપક્ષો તેને નિષ્પક્ષ રેફરી કે એમ્પાયરને બદલે ખેલાડી (અને એ ય બારમો) તરીકે ઓળખે છે. ઈલેકશન કમિશન સરકારના કહ્યાગરા તરીકે વર્તતું હોવાની છાપ ઊભી થઈ રહી છે. સરકારી તંત્ર સાથેના મેળાપીપણાથી વિપક્ષોને વેઠવું પડે છે અને જીતની બાજી હારમાં પલટાઈ જાય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓમાં વિપક્ષી મહાયુતિ વિજય માટે આશાવાદી હોવા છતાં સત્તાધારી મહા અઘાડી ભારે બહુમતીથી પુન: સત્તામાં આવી ત્યારે વિરોધ પક્ષોના ગઠબંધને ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ભારે શંકાઓ વ્યક્ત  કરી છે. 

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે લોકસભાની ચૂંટણી થઈ હતી. લોકસભા ચૂંટણીમાં સત્તાધારી બી.જે.પી. ગઠબંધન કરતાં વિરોધ પક્ષોના ગઠબંધનને વધુ લોકસભા બેઠકો પર જીત મળી હતી. તેના  છ જ મહિના પછી થયેલી વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષોનો સફાયો થઈ ગયો હતો. જે લોકસભા બેઠક વિપક્ષ જીત્યો હતો તેના હેઠળની વિધાનસભા બેઠકોમાં પણ તેની હાર થવી તે ચિંતા અને વિવાદનો વિષય છે. આ કારણે ચૂંટણી પંચ પર સત્તા પક્ષના પક્ષધર અને કઠપૂતળી હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. 

લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચેના માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં મતદારોમાં થયેલો આઠ થી દસ ટકાનો (ચાલીસ લાખ મતદારોનો) વધારો સૌથી મોટો વિવાદનો મુદ્દો છે. રાહુલ ગાંધીના દાવા પ્રમાણે મહારાષ્ટ્રમાં ૨૦૧૯ થી ૨૦૨૪ના પાંચ વરસોમાં બત્રીસ લાખ મતદારો વધ્યા હતા. પરંતુ વિધાનસભા ચૂંટણીના છેલ્લા છ જ માસમાં ચાળીસ લાખ મતદારો વધ્યા હતા. આ વૃદ્ધિ અભૂતપૂર્વ અને અસાધારણ તો છે જ , શંકા પણ જન્માવે છે. રાહુલ ગાંધીના આરોપ પ્રમાણે ભા.જ.પ. અને સાથી પક્ષો લોકસભા ચૂંટણીમાં જ્યાં નબળા હતા તે જ વિસ્તારોમાં મતદારોમાં અને છેલ્લા કલાકોમાં મતદાનમાં વૃદ્ધિ મતોની ચોરી માટે ઘડાયેલો પ્લાન છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસના મતક્ષેત્ર નાગપુરમાં પણ ત્રીસ હજાર મતદારો વધ્યાનું જણાવ્યું છે. 

ઈલેકશન કમિશન રાહુલ ગાંધીના આરોપના પ્રત્યુત્તરમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયામાં તમામ રાજકીય પક્ષોની સામેલગીરી સાથેની પારદર્શી પ્રક્રિયાનું વિગતે વર્ણન કરે છે. મતદારોમાં થયેલ વધારા-ઘટાડા સામે કોઈએ જે તે સમયે કોઈ વાંધો ન લીધો હોવાનું ગાણું ગાયે રાખે છે. વિરોધપક્ષોની માંગ છે કે પંચ લોકસભા અને વિધાનસભા ઈલેકશનની ડિજિટલ મતદાર યાદીઓ પૂરી પાડે કે જાહેર કરે. જેથી તેમના આરોપના આધારો આપી શકાય. પરંતુ પંચ આ માટે તૈયાર નથી. 

વિપક્ષનો બીજો આરોપ તેથી પણ વધુ ગંભીર છે. મતદાનના છેલ્લા એક બે કલાકોમાં થયેલા આઠ ટકા જેટલા વધારાને તેઓ અપ્રત્યાશિત કહે છે. અને આ મતદાન વૃદ્ધિના પંચે જણાવેલાં કારણો તેમને પ્રતીતિકર લાગતા નથી કે સંતોષી શકતા નથી. એટલે તેઓ મતદાન કેન્દ્રના ફૂટેજ અને બીજા ઈલેકટ્રોનિક દસ્તાવેજોની માંગણી કરે છે. 

મતદાનના છેલ્લા કલાકોમાં મતદાનની ટકાવારીમાં થયેલા અસામાન્ય વધારાનાં વાજબી કારણો અને આધારો પૂરા પાડવાને બદલે ચૂંટણી પંચની ભલામણથી ભારત સરકારે ૧૯૬૧ના ચૂંટણી પ્રક્રિયા સંબંધી નિયમોના નિયમ ૯૩માં સુધારો કર્યો છે. આ સુધારા પ્રમાણે ઈલેકટ્રોનિક ડોક્યુમેન્ટસ (સી.સી.ટી.વી. ફૂટેજ, વેબ કાસ્ટિંગ ફૂટેજ અને વીડિયો રેકોર્ડિંગ) જાહેર કરવા કે જાહેર નિરીક્ષણ માટે આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. પંચ અને સરકારનું આ પગલું વિરોધપક્ષના આરોપોને સાચા ઠેરવવા લેવાયું હોવાનું પ્રથમ નજરે લાગે છે.

ઈલેકટ્રોનિક્સ ડોક્યુમેન્ટ્સ પરની બંધી પછી ઈલેકશન કમિશને દેશના તમામ ચૂંટણી અધિકારીઓને જો તેમના મતવિસ્તારની ચૂંટણીને અદાલતમાં પડકારવામાં આવી ન હોય તો પિસ્તાળીસ દિવસ પછી તમામ ઈલેકટ્રોનિક્સ ડોક્યુમેન્ટ્સનો નાશ કરવા જણાવ્યું છે. આ આદેશ પણ વિપક્ષના ચૂંટણી પંચની તટસ્થતા સામેના આરોપોને સાચા ઠેરવે છે. 

રાહુલ ગાંધી સહિતના ઘણાં વિપક્ષી નેતાઓ જ્યારે પંચની નિષ્પક્ષ ભૂમિકા સામે સવાલ કરે છે ત્યારે પંચનું વલણ તટસ્થતા દર્શાવવાનું કે સંવાદનું નથી પણ આક્રમક અને વિરોધનું છે. ઈલેકશન કમિશન માટે તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો એક સમાન હોવા જોઈએ. તેને બદલે  જો પંચ ખુદ તેમને વિરોધી માને તો તે સ્વસ્થ લોકતંત્ર માટે સારી બાબત નથી.

ચૂંટણી પંચની કાર્યપ્રણાલી અને ચૂંટણી કમિશનરોની નિયુક્તિ બાબતે સરકારના વલણ સંદર્ભે અદાલતી પડકાર અને રાજકીય વિવાદ થયા છે. એક વ્યક્તિના ચૂંટણી પંચને નવમી લોકસભા પૂર્વે, ૧૯૮૯માં,  તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ ત્રણ સભ્યોનું બનાવ્યું હતું. એનું દેખીતું કારણ તો એ સમયના ચૂંટણી કમિશનર આર.વી.એસ. પેરીશાસ્ત્રી પર સરકારી અંકુશનું હતું. રાજીવ ગાંધી પછીના વડા પ્રધાન વી.પી. સિંઘે એટલે જ તેને કમિશનમાંથી કમિશનરમાં ફેરવી નાંખી એક વ્યક્તિનું બનાવ્યું હતુ. ૧૯૯૩માં પી.વી. નરસિંહરાવે તેમના પ્રધાન મંત્રી કાળમાં ફરી તેને ત્રણ સભ્યોનું બનાવ્યું હતું. ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી ૨૦૦૨ના ગોધરા, અનુગોધરાકાંડ પછી વિધાનસભાની જલદી ચૂંટણીઓ ઈચ્છતા હતા, પરંતુ તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર લિંગદોહ તેમાં સંમત નહોતા. એટલે ચૂંટણી સભાઓમાં મોદી જેમ્સ માઈકલ લિંગદોહના પૂરા નામ સાથે ચૂંટણી કમિશનર પર આક્ષેપો કરતા હતા. આ હકીકતો દર્શાવે છે કે ગઈકાલની અને આજની સરકારો ચૂંટણી પંચ તેમની મનમરજી મુજબ વર્તે તેવા પ્રયાસો કરે છે. 

ચૂંટણી પંચના સભ્યો અને તેમની સંખ્યા બાબતે કોઈ સ્પષ્ટ કાયદો ન હોવાથી ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે કાયદો ન ઘડાય ત્યાં સુધી વડા પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની સમિતિ પંચના સભ્યોની પસંદગી કરે તેવો આદેશ કર્યો હતો. હાલની સરકારને તે માફક આવે તેવો ન લાગ્યો એટલે તેણે વડા પ્રધાન, કેબિનેટ મિનિસ્ટર અને વિપક્ષી નેતાની પસંદગી સમિતિ બનાવી છે. એ રીતે તેણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની બાદબાકી કરીને અને કેબિનેટ મિનિસ્ટરને સામેલ કરીને સમિતિમાં પોતાની બહુમતી ઊભી કરી દીધી છે. 

ટી.એન. શેષન અને જે.એમ. લિંગદોહ જેવા અપવાદોને બાદ કરતાં ભાગ્યે જ કોઈ ચૂંટણી કમિશનર તેમની નિષ્પક્ષતા અને રાજકીય પક્ષો પર ધાકની કાયમી છાપ છોડી શક્યા છે. ભારત જેવા વિશાળ દેશમાં લોકતંત્રની આધારશિલા નિષ્પક્ષ, ન્યાયી અને સ્વતંત્ર ચૂંટણીઓ છે. તેના માટે ચૂંટણી પંચનું તટસ્થ હોવું અને તટસ્થ દેખાવું જરૂરી છે. 

રાહુલ ગાંધીએ એમના તાજેતરના લેખમાં ઈલેકશનની કમિશનની તટસ્થ ભૂમિકા હંમેશાં અને બધે જ નહીં પણ ઘણીવાર શંકા પેદા કરનારી હોવાનું જણાવ્યું છે. પંચે આ બાબતને વિપક્ષો હારે છે એટલે પંચ પર દોષનો ટોપલો ઢોળે છે, એ રીતે જોવાને બદલે હકારાત્મક ગણી વિરોધ પક્ષો સામે હલ્લાબોલની ભૂમિકાને બદલે સંવાદની ભૂમિકા રચી તેનો તટસ્થતા પુરવાર કરવાનો વર્તમાન કસોટી કાળ વધુ ન લંબાય તેમ કરવું જોઈએ. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...85868788...100110120...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved