Opinion Magazine
Number of visits: 9561578
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૧૬) : ભરત મુનિ  

સુમન શાહ|Opinion - Opinion|14 November 2023

સુમન શાહ

આજે, ભરત મુનિ વિશે —

એમનો સમય છે, વિક્રમ-પૂર્વ બીજા શતકથી બીજા વિક્રમી શતકનો મધ્ય. એમના ગ્રન્થનું શીર્ષક છે, “નાટ્યશાસ્ત્ર”.

સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં ભરત મુનિનું કેન્દ્રવર્તી સ્થાન છે.

કાવ્યશાસ્ત્રના અધ્યેતા વિદ્વાનો ભરતના વિચારોનો, સવિશેષે એમણે પ્રયોજેલા રસસૂત્રનો, વિમર્શ-પરામર્શ કરે જ કરે, કેમ કે એ વિચારોથી રસ-સમ્પ્રદાયની ભૂમિકા બની છે અને કાવ્યશાસ્ત્રમાં તેમ જ કાવ્યો અને નાટકોનાં સર્જનોમાં રસતત્ત્વ મહિમાવન્ત રહ્યું છે.

રસ તો ભારતીય પરમ્પરામાં પહેલેથી સ્પૃહણીય તત્ત્વ છે. હું “તૈતેરીય ઉપનિષદ”-ના સુખ્યાત સૂત્ર ‘રસો વૈ સ:’-ને રસપ્રદ ગણું છું, કેમ કે સમગ્ર અસ્તિત્વનો સ્રોત ગણાતા અને પરમ વાસ્તવિકતા મનાતા બ્રહ્મને વિશેની સમ્પૂર્ણ દાર્શનિકતાનો એ નીચોડ છે. એને એકપંક્તિ કાવ્ય અથવા કાવ્યશીલ પંક્તિ પણ કહી શકાય.

અને જુઓ, એનો એટલો જ કાવ્યશીલ પ્રસાર ભક્તિ-પરમ્પરા છે. રસ વિના ભક્તિ અસંભવ છે અને ભક્તિ પોતે રસસ્વરૂપ છે; તેમછતાં, એને ઉચ્ચ કોટિની આધ્યાત્મિકતા પણ કહેવી જોઈશે.

ભરત-પ્રણીત એ રસસૂત્રની ચર્ચા આ પછી કરીશું. આજે એમના “નાટ્યશાસ્ત્ર”-ની શાસ્ત્રીયતાનો કંઈક પરિચય મેળવીએ.

મને એમાં જીવવિજ્ઞાનીની શાસ્ત્રીયતા ભળાય છે : 

જીવવિજ્ઞાન એકકોષી જીવોથી માંડીને પ્રાણીઓ અને છોડવાઓનું વિજ્ઞાન છે – સાયન્સ ઑફ ઑલ ઑર્ગેનિઝમ્સ. 

Orgenisms —

Pic courtesy : National Geographic en Español

દરેક ઑર્ગેનિઝમ, જીવ, એક જીવન્તતા છે, એને એક નિશ્ચિત સંરચનાવાળી કાયા મળેલી છે. આપણે રસને પ્રાણ ગણીએ છીએ, તો રસપ્રાણની કાયા કૃતિરૂપે સરજાઈ જ હોય છે. સમજાય એવું છે કે કાયા જીવના જી-વ-ન માટે, એને ટકી રહેવા માટે, અનિવાર્ય છે.

પરન્તુ તે માટે એનાં અંદરનાં રસાયનોની સમતુલા સચવાવી જોઈએ, કેમ કે તો જ જીવોની બધાં કામો સારી રીતે કરવાની ક્ષમતા જળવાય. એ માટે દરેક જીવ એક આન્તરિક પ્રક્રિયા ધરાવે છે, જેને ‘પ્રોસેસ ઑફ હોમીઓસ્ટેસિસ’ કહેવાય છે. રસ પણ આપણે જોઈશું કે વિભાવ, અનુભાવ અને સ્થાયી ભાવનાં સંતુલનને આભારી છે. એથી જ રસની નિષ્પત્તિ થાય છે અને ભાવન-અનુભાવનનાં આનુષંગિક કાર્યો શક્ય બને છે. કાવ્યશાસ્ત્ર પણ એને રસનિષ્પત્તિની પ્રક્રિયાનું ગૌરવ આપે છે.

જીવો પોતાના જેવા જીવોનું પુનરુત્પાદન કરે છે. આપણે જોઈશું કે રસની ઉત્પત્તિ વિશે ભરત જણાવે છે કે કયા રસથી કયા રસ જનમ્યા છે.

પૃથ્વી પર અસંખ્ય જીવો છે તેથી જીવવિજ્ઞાનીઓ હમેશાં જીવોનાં નામોનો ઉલ્લેખ કરે, ન હોય તો નામો પાડે, જૂથો બનાવે, વર્ગો પાડે. પરિણામે, જીવો વિશે તેઓ જે કહેવા માગતા હોય તેનું આયોજન કરી શકે. એથી એમની અભિવ્યક્તિ સ્પષ્ટ બને અને સરવાળે તેઓ સફળ સંક્રમણ સાધી શકે.

આ સંશોધનગુણને ટૅક્સોનૉમિ કહેવાય છે – નામકરણ અને વર્ગીકરણ.

સમજી શકાશે કે કોઇપણ વિજ્ઞાનમાં કે શાસ્ત્રમાં એ ગુણ જરૂરી છે, અનિવાર્ય છે. ખરેખર તો એ, શાસ્ત્રીય દૃષ્ટિમતિનું પરમ લક્ષણ છે.

“નાટ્યશાસ્ત્ર”-માં, શાસ્ત્રગુણરૂપ આ સદ્ગુણ ભરત મુનિએ એક શાસ્ત્ર-રચયિતા તરીકે ભરપૂર દાખવ્યો છે.

એમણે ૮ રસ, ૮ ભાવ, ૩૩ વ્યભિચારી ભાવ, ૮ સાત્ત્વિક ભાવ, નાટકના આશ્રય ગણાતા ૪ પ્રકારના અભિનય, ૨ પ્રકારના ધર્મી, જેમાં ‘નાટ્ય’ સર્વવિદિત છે એ ૪ વૃત્તિઓ, ૫ નાટ્યપ્રવૃત્તિઓ, વગેરે દરેકની એમણે નામોલ્લેખ સહિતની વિશદ વ્યાખ્યાઓ આપી છે. એની વીગતોમાં ઊતરવું અહીં જરૂરી નથી.

પણ એમણે કરેલી કેટલીક વિશિષ્ટ વાતોની નૉંધ લઈએ :

એમણે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત એમ ૮ રસ ગણાવ્યા છે. પણ એમણે, 

૧ : રસોની ઉત્પત્તિ : 

૨ : રસોના વર્ણ અથવા રંગ : 

૩ : રસોના દેવતાઓ : 

એમ ત્રણ મહત્ત્વની બાબતોની સરસ વાત કરી છે.

૧ : 

રસોની ઉત્પત્તિ :

તેઓ શૃંગાર, રૌદ્ર, વીર અને બીભત્સ એ ચાર રસને બધા જ રસોની ઉત્પત્તિમાં કારણભૂત લેખે છે. કહે છે, શૃંગારથી હાસ્ય રસ જનમ્યો છે, રૌદ્રથી કરુણ જનમ્યો છે, વીરથી અદ્ભુત રસ, અને બીભત્સથી ભયાનક રસ. 

કેમ કે એમ મનાયું છે, ભરત જણાવે છે, કે શૃંગારનું ‘અનુકરણ’ હાસ્ય રસ છે. રૌદ્રનું ‘કાર્ય’ કરુણ રસ છે. વીરનું ‘કર્મ’ અદ્ભુત રસ છે. બીભત્સનું ‘દર્શન’ ભયાનક રસ છે. 

એમણે ‘અનુકરણ’ ‘કાર્ય’ ‘કર્મ’ અને ‘દર્શન’-ને ‘કારણ’ સાથે જોડ્યાં એમાં એમના તર્કવિષયક સામર્થ્યનો પરિચય મળે છે. 

૨ : 

રસોના વર્ણ અથવા રંગ :

જો રૂપે, પરમ તત્ત્વ રસ છે, એ કાયા ધરાવે છે, તો એને રંગ તો હોવો જ જોઈએ. એ અટકળને આધારે દરેક રસના રંગની આ વાત આવકાર્ય લાગશે. 

શૃંગાર રસનો વર્ણ શ્યામ છે. હાસ્ય રસનો શ્વેત, કરુણનો કર્બુર, અને રૌદ્રનો લાલ છે. વીર રસનો વર્ણ ગૌર છે, ભયાનકનો કાળો, બીભત્સનો નીલો અને અદ્ભુતનો પીળો. 

ભરતે ‘પ્રકીર્તિત:’ તેમ જ ‘સ્મૃત:’ કહીને સૂચવી દીધું છે કે રસ અને વર્ણ વચ્ચે કશો કાર્યકારણ સમ્બન્ધ નથી, પણ એમ કે એમ કહેવાતું આવ્યું છે, મનાતું આવ્યું છે. કરુણ કર્બુર હોય, રૌદ્ર લાલ હોય, કે ભયાનક કાળો હોય; એવી સર્વસાધારણ લોકકલ્પના એનો પુરાવો છે.

૩ : 

રસોના દેવતાઓ : 

જો રૂપે, પરમ તત્ત્વ રસ છે, એ દરેકને રંગ છે, એ દરેક કાયા ધરાવે છે, તો એ દરેકના કોઈ ને કોઈ દેવતા પણ હોવા જ જોઈએ. ભરત જણાવે છે કે શૃંગાર રસના દેવતા વિષ્ણુ છે, હાસ્યરસના પ્રમથ (મહાદેવના ગણ) છે. રૌદ્રના રુદ્ર, કરુણના (સમજાય એવું છે કે) યમ. બીભત્સ રસના દેવતા મહાકાલ છે, વીર રસના મહેન્દ્ર, અને અદ્ભુતના બ્રહ્મા.

રસતત્ત્વને વર્ણ અને દેવતા સાથે જોડીને શાસ્ત્રકારે વિચારકેન્દ્રને એના યથાશક્ય પરિઘ લગી વિકસાવ્યું છે, એની નૉંધ લેવી જોઈશે. 

વાત કરવાની ભરતની એક શૈલી છે. કહે કે અમે આ તો વ્યાખ્યાયિત કર્યું – એવમ્ એતેષામ્ ઉત્પત્તિ વર્ણ દેવતાન્યભિવ્યાખ્યાતાનિ. 

હવે, વિભાવાનુભાવવ્યભિચારિ સંયુક્તાનામ્ લક્ષણદર્શનાન્યભિવ્યાખ્યાસ્મ: સ્થાયિભાવાંશ્ચ રસત્વમ્ ઉપનેષ્યામ: એટલે કે, વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ સહિત રસોનાં લક્ષણો તેમજ સ્થાયી ભાવોના રસત્વ વિશે કહીશું …

(ક્રમશ:) 

= = =

(11/13/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘જો મારે ધંધો જ કરવો હોત તો આ કૂવો ગાળવો ન પડત !’

રમેશ સવાણી|Opinion - Opinion|14 November 2023

[ભાગ-3]

રમેશ સવાણી

જે કામ ગાંધીજી કરી શકે, સરદાર કરી શકે, મોરારજી દેસાઈ કરી શકે, ઉછરંગરાય નવલશંકર ઢેબર કરી શકે તે કામ કથની અને કરણી સાવ ભિન્ન હોય તે નેતા ન કરી શકે ! ભલે હજારો પ્રયત્ન કરે; મીડિયાને ખરીદી લે; કોર્પોરેટ કથાકારો, મોટિવેશનલ સ્પીકર્સ, સંપ્રદાયના સ્વામીઓ, બાબાઓ વગેરે ગમે તેટલા વખાણ કરે તો પણ નેતાનું ચરિત્ર ઊંચું થઈ શકતું નથી. હા, ખાલી ચણો વાગે ઘણો ! વખાણ કરવાથી ચરિત્ર બનતું નથી, કાર્યથી ચરિત્ર નિર્માણ થાય છે. પ્રામાણિક માણસ સત્યપ્રિય હોય છે, સ્પષ્ટવક્તા હોય છે. પ્રામાણિક માણસ અપ્રામાણિકતા સહન ન કરે અને અપ્રામાણિકતા આચરે પણ નહીં. અન્યાય સહન ન કરે અને કોઈને અન્યાય પણ ન કરે. મૂલ્યનિષ્ઠ ખેડૂત અને મૂલ્યનિષ્ઠ રાજપુરુષ કેવા હોય તે જોવા માટે ધારાસભ્ય છગનભાઈ પટેલનું વ્યક્તિત્વ જોવું પડે.

આઝાદી પહેલા ભાવનગરના મહારાજાએ પ્રજાને જવાબદાર લોકતંત્રની વ્યવસ્થા આપેલી. જેમાં રાજ્ય તરફથી પ્રતિનિધિઓની ધારાસભ્ય નિમણૂક થતી, તેને બદલે ચૂંટણીઓ દ્વારા ધારાસભાની રચના થઈ. જેમાં ‘ભાવનગર પ્રજા પરિષદ’ નામની સંસ્થા કોાઁગ્રેસના નેજા તળે બળવંતભાઈ મહેતાની રાબરી નીચે ચાલતી. પ્રજા પરિષદના ઉમેદવાર તરીકે છગનભાઈએ ચૂંટણી લડવાની થઈ ત્યારે તે વખતના દિવાન અનંતરાય પટ્ટણીએ નિલમબાગ પેલેસમાં છગનભાઈને બોલાવીને રાજ સામે ચૂંટણી નહીં લડવા સામ-દામ દંડ અને ભેદની નીતિ અપનાવી. અડગ રહેલા છગનભાઈને ધનની લાલચ આપી અને કહ્યું કે “ભાવનગર રાજને તમારા જેવા સારા ખેડૂતની ખૂબ જરૂર છે માટે રાજ સામેનું આંદોલન મૂકીને રાજની સાથે આવી જાવ !” છગનભાઈએ નમ્રતાપૂર્વક દિવાનને કહ્યું : “મેં આજીવન અણહકની પાઈ પણ ન લેવાનું વ્રત લીધું છે !”

છગનભાઈની આગેવાની હેઠળ કાશ્મીર પ્રવાસે ગયેલ સૌરાષ્ટ્રના ધારાસભ્યો

છગનભાઈ ચોગઠ ગામના સરપંચ હતા ત્યારે પંચાયત ઓફિસમાં અંગત કાગળ અને પોસ્ટકાર્ડ રાખતા, અલગ શાહીનો ખડિયો રાખતા. કોઈ કહેતું કે નાની વાતમાં આવું ન કરાય. ત્યારે છગનભાઈ કહેતા : “લપસણી તો નાની હોય છે. ત્યાંથી શરૂઆત થયા પછી પાછું ફરવું મુશ્કેલ હોય છે. પારકું લેવું, મફતનું લેવું, બીજાને છેતરવા, આરામનું ખાવું આ વૃત્તિ થઈ જાય છે. સારી અને નરસી વૃત્તિ બંને ચેપી છે. એક હશે તો બીજું નહીં આવે. હકનું ખાવું કે હરામનું ખાવું. એક વખત નક્કી થઈ જાય પછી તેમાં બહુ ઓછો ફેર પડે છે. એક દાખલો આપું. સંત્રી પહેરો ભરનારા બે જણ ભરી બંદૂકે 10 ફૂટના દરવાજામાં સામસામા આવ-જા કર્યા જ કરે છે, કોઈએ અટકવાનું નહીં. આવું શા માટે? બંને સામસામે ફક્ત ઊભા રહે તો પણ ચાલે. ખુરશી ઉપર બંને બેસી રહે તો પણ ચાલે, છતાં આવું ગોઠવ્યું કેમ? તેનો વિચાર કરો તો ખ્યાલ આવશે કે ચાલવું બંધ કરી ઊભા રહ્યા તેમાંથી બાંધછોડ કરીને એક બેઠો પછી એક ઊભો રહ્યો, પછી બાંધછોડ થઈ અને બંને બેસી રહ્યા. પછી બાંધછોડ થઈ, એક જાગે અને એક ઊંઘ લઈ લ્યે, પછી બાંધછોડ થઈ બંને ઊંઘી ગયા. પરિણામ, ખજાનો લૂંટાઈ ગયો. આમ નીતિ અને સત્યમાં માણસ ઊણો ઉતરે ત્યારે અનર્થ સર્જાય. માટે બાંધછોડ કરવાની જરૂર લાગે ત્યાં જરૂર કરો, પણ જીવન વ્યવહારની નીતિ વિષયક વાત આવે ત્યારે નીતિને વળગી રહે તે જ જીવન જીવી શકે.”

છગનભાઈ ઘરખેડ પ્રવર સમિતિના સભ્ય હતા. એક વખત એક ખેડૂત તેમની પાસે પોતાનો પ્રશ્ન લઈને ચોગઠ આવ્યા. છગનભાઈ ઘરે ન હતા, વાડીએ ગયા હતા. પેલો ખેડૂત વાડીએ પહોંચ્યો. જોયું તો છગનભાઈ કૂવામાં હતા અને કૂવો ગાળતા હતા. છગનભાઈ કૂવા બહાર આવ્યા અને ખેડૂતનો પ્રશ્ન સાંભળ્યો. ખેડૂત કહે : “છગનભાઈ, મારો પ્રશ્ન પતાવી આપો. તમારું સમજી દઈશ.” છગનભાઈએ કહ્યું : “જો મારે ધંધો જ કરવો હોત તો આ કૂવો ગાળવો ન પડત ! આવો તડકો ખમીને ખેતી કરતો ન હોત. મારે ઘેર મોટર સહિત બધું જ હોત. હવે તમે બીજે ગમે ત્યાં જઈ શકો છો. ફરી વખત આવું કરતા નહીં.”

ભાવનગર રાજ્યના સમયમાં રાજ્યના કામે આવતા ગ્રામજનો માટે રાતવાસો કરવા ‘પટેલ ભુવન’ નામનું વિશાળ મકાન ઊભું થયું. આઝાદી બાદ છગનભાઈએ દરેક કોમના ગ્રામજનોના વિસામા માટે આ મકાન વાર્ષિક 12 રૂપિયાના ટોકન ભાડાથી મેળવ્યું. તેના નિભાવ અને વહિવટ માટે કમિટી રચી, ટ્રસ્ટ કરાવ્યું. 25 વરસ સુધી પટેલ ભુવન ટ્રસ્ટના પ્રમુખ રહ્યા. તેઓ પટેલ ભુવનની મીટિંગ માટે આવે ત્યારે પ્રવાસ ભથ્થું લેતા નહીં. એટલું જ નહીં, રૂમ ભાડું પણ પોતાના ખિસ્સામાંથી ચૂકવતા ! ધારાસભાની કામગીરી કરી રાતે ઉમરાળા ઉતરે. ચાલતા ચોગઠ જાય. જીવનભર પોતાનું વાહન ખરીદ્યું નહીં. ઘરનું નળિયું બદલ્યું નહીં. ક્યાં તે સમયના નિષ્ઠાવાન ધારાસભ્યો અને ક્યાં આજના ખર્ચાળ અને મૂલ્યહીન ધારાસભ્યો !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પાંચ ગઝલ 

સાહિલ|Poetry|14 November 2023

1

મન ન માને એમને નમતો નથી

એટલે તો કોઈને ગમતો નથી 

ભૂખ જીવતરનું ગળું ટુંપે ભલે

જૂઠનો વેપાર હું ખમતો નથી 

મારી કેડી મેં જ કંડારી સદા

ભોમિયા સંગાથ હું ભમતો નથી 

એ નથી પૂરી થવાની જાણું છું હું

તોય ઈચ્છાઓને હું દમતો નથી 

મન દુભાયે કોઈનું જેના થકી

જાણીબૂઝી એ રમત રમતો નથી 

આશનો બંદો છું સાહિલ એટલે

હું નિરાશાની ધમણ ધમતો નથી 

2

ખુલ્લો છું તોય અર્થ હું પર્દોનો થઈ ગયો

દુનિયાનો ન મારી થઈ તો હું દુનિયાનો થઈ ગયો

ઊંડાણ  અંધકારનુ માપી શક્યા પછી

હું હણહણાટ સૂર્યના ઘોડાનો થઈ ગયો 

લોકો સમજ પ્રમાણે રહ્યા છે ઉકેલતા

લોકોના માટે પ્રશ્ન હું પાયાનો થઈ ગયો 

ગરકી ગયો હું મૌન સરોવરમાં જે ક્ષણે

અવતાર એ જ ક્ષણથી હું વાચાનો થઈ ગયો 

કંઈ કેટલા પ્રયોગ કર્યા સત્યના સતત

પર્યાય તોય આખરે અથવાનો થઈ ગયો 

તરતો રહ્યો તો ચોતરફ સામે મળ્યાં વમળ

ડૂબી ગયા પછી જ  કિનારાનો થઈ ગયો 

ક્યારેય મારી જાતથી ના થઈ શક્યો અલગ

સાહિલ હું અંશ આખરે ટોળાંનો થઈ ગયો

3 

બોલો નમો શિવાય હવે હૉઈ નહીં મળું

છે આખરી વિદાય હવે હું નહીં મળું      

જ્યાં જાઉં છું હું ત્યાંથી પ્રભુ ઈચ્છે તોય પણ

પાછું નહીં ફરાય હવે હું નહીં મળું 

આંખો મીચો તો તત્ક્ષણે હું હાજરાહજૂર

શોધો તો જગમાં ક્યાંય હવે હું નહીં મળું 

યત્નો પ્રયત્નો એળે તમારા જશે બધા

કોટિ કરો ઉપાય હવે હું નહીં મળું 

આકાશકુસુમવત્ છે હવે મળવું રુબરુ

સપનાં સ્મરણ સિવાય હવે હું નહીં મળું 

આઠે  પહોર હું તમારી આસપાસમાં

હાજર હઈશ છતાંય હવે હું નહીં મળું 

4

આયખું આખું વીતાવ્યું બાગમાં

તોય લાગે જીવ્યાં છીએ આગમાં

જિંદગી પૂરી ગીતો ગાતાં રહ્યાં

ગીત ના એકે ગવાયું રાગમાં 

કામનો શું એ વસંતી વાયરો

પાંપણો ભીની કરે જે ફાગમાં 

સાતે સ્વર્ગો એ મજા ના દઈ શક્યા

જે મદજા મનને મળી છે ત્યાગમાં 

એમનાથી ના કશુંયે થઈ શકે

જે જીવે છે જોઈને પંચાગમાં 

વિશ્વ સઘળાં મારા હિસ્સામાં મળ્યાં

હું જ ના આવ્યો છું મારા ભાગમાં

મારા ઘરમાં હું જ સાહિલ ના મળ્યો

માત્ર ખાલીપો મળ્યો અસબાબમાં 

5 

જ્ઞાનમાં મીંડું છતાં જી. એ. – છીએ

અટપટા પ્રશ્નો તણાં ઈ.એ. – છીએ 

પાઠશાળા ના ગયાં તો શું થયું

કોઠા વિધ્યાપીઠના બી.એ. – છીએ 

શબ્દથી સંબંધ બંધાયા પછી

આપણે ભગવાનના પી.એ. – છીએ 

ઘરના ખૂણે બેસી કીધી નોકરી

તોય ગામેગામના ટી.એ. – છીએ 

ક્યાં હિસાબો લાગણીના જાળવ્યા

આમ સાહિલ જાણીતા સી.એ. – છીએ

જી.એ. – ગુડ આર્કિટેક્ટ
ઈ.એ.  –  એક્સપર્ટ એડવાઈઝર
બી.એ. –  બેચલર ઓફ આર્ટસ
પી.એ. –  પર્સનલ આસીસ્ટન્ટ
ટી.એ. –  ટ્રાવેલિંગ એલાઉન્સ
સી.એ. – ચાર્ટર્ડ એકાઉટન્ટ 
14-11-2023
નીસા 3/15, દયાનંદ નગર, રાજકોટ 360 002 
e.mail : sahilrjt1946@gmail.com

Loading

...102030...858859860861...870880890...

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved