Opinion Magazine
Number of visits: 9457681
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજી પરની કવિતાઓનો તાજગીસભર સંચય

સંજય સ્વાતિ ભાવે|Gandhiana, Opinion - Opinion|1 October 2023

પુસ્તક પરિચય

સંજય ભાવે

‘સત્યનું કાવ્ય : બાપુ: 75 ગાંધી કાવ્ય’ સચિત્ર, સુરુચિપૂર્ણ અને તાજગીસભર સંચય છે. તે અમરેલી જિલ્લાના નાનકડા ગામ બાબાપુરની શ્રી સર્વોદય વિદ્યા મંદિર સંસ્થાએ, પોતાના અમૃતમહોત્સવી વર્ષના આરંભે, ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ કર્યો છે, પણ તેનું પ્રકાશન ‘યજ્ઞ’એ કર્યું છે.

સંગ્રહની રચનાઓમાં ગાંધીજીના પ્રભાવ અને અભાવ, તેમના વ્યક્તિત્વ અને મહત્ત્વને અનેકવિધ રીતે અભિવ્યક્ત કર્યા છે. તેમાં એકાદ સદીથી બિલકુલ અત્યાર સુધીના સમયગાળાના કવિઓનો સમાવેશ છે. એટલે તેમાંના સહુથી વરિષ્ઠ કવિ પિંગળશી ગઢવી અને અરદેશર ખબરદાર છે. સાહિત્યના ઇતિહાસના ગાંધીયુગ અને અનુગાંધી યુગના સાહિત્યકારો હોય એ સ્વાભાવિક છે.

સંગ્રહની વિશેષતા બિલકુલ અત્યારે કવિતાઓ લખતા-લખતા વાંચતા હોય તેવા ભાવેશ ભટ્ટ અને પારુલ ખખ્ખરની રચનાઓના સમાવેશમાં છે. સાથે તેમનાં પહેલાંની તાજેતરની પેઢીના ઉદયન ઠક્કર અને હરીશ મીનાશ્રુ પણ છે. આવી નોંધપાત્ર સમકાલીનતામાંથી આવતી નજરિયાની તેમ જ રચનારરીતિની નવીનતા સંગ્રહને તાજગી આપે છે. પદ્યરચનાની એકંદર વિવિધતા પણ નોંધપાત્ર છે.

સંગ્રહના સંપાદકો અમિત ચાવડા, અખિલ દવે અને મનીષા રીબડિયા બાબાપુરની નીવડેલી સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ અને અત્યારે અન્યત્ર શિક્ષકો છે. ગાંધી માટેની તેમની આસ્થા અને સાહિત્યિક સૂઝ સંગ્રહમાં દેખાય છે. જો કે ‘અગાઉના સંપાદનોની મોટા ભાગની કવિતાઓ લેવામાં આવી નથી’ એવું વિધાન વિચારણીય છે.

ગાંધીનું મહાત્મ્ય ઉજાગર કરવા માટેની કવિઓની એક દુ:ખદ પ્રેરણા ગાંધીહત્યા છે. તેનાથી અવિનાશ વ્યાસને ‘ઝૂકી પડ્યો હિમાલય’ અને સ્નેહરશ્મિને ‘મોટા ઘરનો મોભ તૂટ્યો આ’ એમ લાગે છે. કવિ ખબરદાર ગાંધીનાં ‘ફૂલવિસર્જન’ વેળાની જનતાની વેદનાની કવિતા લખે છે.

જો કે ઉપેન્દ્ર પંડ્યા માટે હત્યા ‘મહાત્માનું મહાપ્રસ્થાન’ છે. અમીન આઝાદ માટે ગાંધીના મૃત્યુએ અહિંસાને અમર બનાવી છે. મકરંદ દવે કહે છે કે ગાંધીનો અંત અમરોને પણ ઇર્ષાથી બાળે તેવો છે. બ.ક. ઠાકોર ‘ગાંધીજીની શહીદી (પંડિતજીની નભોવાણી)’ નામની રચના કરે છે. 

ગાંધીજીની સમાધિની મુલાકાત અનિરુદ્ધ બ્રહ્મભટ્ટની ત્રણ પંક્તિમાં મૂકાયેલા 16 શબ્દોની કવિતાનો વિષય છે. સંગ્રહની આ સહુથી ટૂંકી કવિતા, કવિઓના નામના કક્કાવારી મુજબ ગોઠવાયેલા સંગ્રહની પહેલી રચના છે. ઉશનસ્‌ રાજઘાટે મંદાક્રાન્તામાં પૂછે છે : ‘કેવી સહેલી સરલ ભૂલવા કેરી આ રીત,ગાંધી !’ યોસેફ મેકવાન પણ ‘રાજઘાટ જોતાં’ કવિતા લખે છે. 

ગોળમેજી પરિષદમાંથી ગાંધીજી ‘હતાશ હૈયે’ પાછાં વળ્યાં તે વિશે ઝવેરચંદ મેઘાણી ‘માતા ! તારો બેટડો આવે  રે..’ નામનું લાંબું ગીત ‘શિવાજીનું હાલરડું’ના તાલે લખે છે. અત્યારના ઉદયન ગોળમેજી વખતે બાપુને ઇંગ્લેંડના ગરીબો, મજૂરો અને બાળકોએ આપેલા પ્રેમની વાત કરે છે. કલ્પનો સાથેની ત્રણ નાની પંક્તિઓની અગિયાર કડીની કવિતાને અંતે તેઓ પૂછે છે : ‘… તમે કહો છો કે ગોળમેજીથી / ગાંધી આવેલા ખાલી હાથે ?’ 

નલીન રાવળની કવિતામાં રંભા દાઈએ આપેલા રામનામના મંત્રથી ડર ભગાડનાર ‘નાનો મોહન’ દક્ષિણ આફ્રિકાના અંધારાંમાં અને નોઆખલીની આગમાં અભયપદ જાળવી રાખે છે. પ્રવીણ ગઢવી ચોટદાર રીતે લખે છે કે રામથી હો ચિ મિન્હ સુધીના નાયકો પદો પર બિરાજ્યાં પણ ‘એકલો ગાંધી કેવળ તું, તાજ ઓ તખ્ત વિહીન’.

‘ગાંધીને પત્ર’માં હિતેન આનંદપરા ફોટા, તેમના નામના રસ્તા, ઇમારતો, ટ્રસ્ટો, પુસ્તકો, વેબસાઈટ ઇત્યાદિ થકી થતાં મહાત્માના મહિમામંડનની વચ્ચે ગાંધી ‘ક્યાં ય નથી’ તેવો કટાક્ષ વિકસાવે છે. સિંતાશુ યશશ્ચન્દ્રની ત્રણ પાનાંની, સાદ્યંત મધ્ય ગુજરાતની બોલીમાં લખાયેલી અઘરી વ્યંજનાત્મક ‘દૂધ’ કવિતા પૂછે છે : ‘ચઈ બચરીનું પીવે દૂધ, ગોંધીડો ?’ 

સંગ્રહની સહુથી લાંબી ચાર પાનાંની કવિતા ‘ગાંધીને માથે કાગડો’ હરીશ મીનાશ્રુની છે. તેમાં સાંપ્રત દેશકાળનું કંઈ કેટલું ય છે – વિદ્યાપીઠ, રિવરફ્રન્ટ, ન્યુ નૉર્મલ, ન્યૂઝ ચૅનલ, સાર્થ જોડણીકોશ, ડેમૉક્રસી, રાફેલ, રાષ્ટ્રવાદ, સુડા બહોતેરી, ફેન્ગ શુઇ, ક્રોમેટોલોજિ, પૉલિટિકલી કરેક્ટ – આવા સંદર્ભોની યાદી લાંબી થઈ શકે.

અંતે પ્રશ્ન છે કે આપણે જેને કાગડો કે બીજું કોઈ પક્ષી સમજી રહ્યા છીએ ‘એ હુમા તો નહીં હોય ને ?’ કેમ કે, ‘કિવાદંતી છે કે / જે વ્યક્તિ પર પડછાયો પડે હુમાનો / એ ચક્રવર્તી બને ભૂમાનો’. રમેશ પારેખની કવિતા ‘બાપુ બોલ્યા’માં કટાક્ષ સાથેનું હાસ્ય છે.

બાપુને કરસનદાસ માણેક ‘હરિનો ખેપિયો’ કહે છે, તો કિસ્મત કુરેશી ‘રાષ્ટ્રના બાગબાં’. એકવીસ શબ્દો અને છ લીટીમાં લાલજી કાનપરિયા લખે છે કે નજીકના ભવિષ્યમાં ‘સપ્તર્ષિ બની જશે અષ્ટર્ષી’. વિપિન પરીખ ગાંધી સાથે ઇસુને મૂકે છે, તો રાજેશ પંડ્યા કબીરને. ચશ્માં,ઘડિયાળ, ચપ્પલ, લાકડી  જેવી ગાંધીની વિવિધ વસ્તુઓમાં તેમના ગુણોના પ્રતીક જોતી એકાધિક રચનાઓ છે.

ગાંધીજનો તેમ જ ગાંધીયુગ કે વિચારની વત્તીઓછી અસર ઝીલનારાની ભાતીગળ રચનાઓ અહીં છે. પિંગળશીભાઈ અને ભૂદર લાલજી જોશી દુહા રચે છે, તો મુરલી ઠાકુર ભજન. 1913માં લખાયેલું ‘સહુથી પહેલું ગાંધીગીત’ એ ‘લલિતજી’ પાસેથી મળે છે.

કૃષ્ણલાલ શ્રીધરાણી અને જયમિત પંડ્યાએ ગુલબંકી છંદમાં લખેલી વીરરસની કવિતાઓ છે. ગાંધી માટેની લાગણી ‘કોલક’ પૃથ્વી છંદમાં તો મનસુખલાલ ઝવેરી અને જયંત પાઠક અનુષ્ટુપમાં, અને સુંદરમ શિખરિણીમાં વ્યક્ત કરે છે. અમૃત ઘાયલ, અશોક ચાવડા, શેખાદમ આબુવાલાની ગઝલો અહીં છે.

આવરણ હકુ શાહની કૃતિનું છે, અને દરેક કવિતાને અનુરૂપ, ગુલામ મોહમદ શેખનાં ચિત્રો સહિતના, ચિત્રો મળે છે. તેનો અને પાનાં પરની મોકળાશભરી માંડણીનો યશ ‘યજ્ઞ’ના પ્રકાશન વૃંદના હંમેશના કસબીઓ પારુલબહેન દાંડીકર, આઝરાબહેન અને જ્યોતિબહેનને આપી શકાય. ચાળીસ વર્ષની આસપાસની ઉંમરના શિક્ષક-સંપાદકો માટે, અત્યારના ગાંધીવિરોધી માહોલમાં, આવો દૃષ્ટિપૂર્ણ સંચય કરવા પાછળના  ચાલકબળ અંગે કુતૂહલ રહે.

સંપાદકોની માતૃસંસ્થા શ્રી સર્વોદય વિદ્યા મંદિરનાં નિયામક તેમ જ આરઝી હકૂમત અને આઝાદી જંગના લડવૈયા દંપતી દમયંતીબહેન અને ગુણવંતરાય પુરોહિતનાં પુત્રી મંદાકિનીબહેન પુસ્તકની આરંભિક નોંધમાં લખે છે : ‘અમૃતમહોત્સવની આથી રૂડી શરૂઆત સર્વોદય માટે બીજી કઈ હોઈ શકે ?આજે જ્યારે ચારે બાજુથી સંકુચિતતા, જડતા અને સ્વાર્થનો પવન  ફુંકાઈ રહ્યો છે ત્યારે પરસ્પર સહજીવન અને સૌહાર્દ ગાંધી જ શીખવી શકે, કેમ કે અસમાનતા અને કટ્ટરતાના વિષને જનમાનસની નસોમાંથી ઉતારવાની જાદુગરી ગાંધી નામના ગારૂડી  પાસે જ છે.’

નવી પેઢીના સંપાદકો અને  ગાંધી તેમ જ સર્વોદય વિશે ઉત્તમ પુસ્તકો પ્રસિદ્ધ કરતાં રહેનાર યજ્ઞ પ્રકાશનના સુમેળથી આવેલું આ ગાંધી કાવ્ય સંપાદન વસાવવા જેવું, પાઠ્યક્રમોમાં મૂકવા જેવું છે. 

‘સત્યનું કાવ્ય’, પ્રકાશક – યજ્ઞ પ્રકાશન, પાનાં 100, રૂ. 60/-

પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગલાજ માતાની વાડીમાં, હુજરાપાગા, વડોદરા 390 001, સંપર્ક : 0265 –  2437957, 9016479982 

01 ઑક્ટોબર 2023
[આભાર : ચંદુ મહેરિયા, તોરલબહેન પટેલ, અજય રાવલ, સરલાબહેન ભટ્ટ, હંસાબહેન પટેલ]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 01 ઑક્ટોબર 2023
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

અનુવાદ વિશે થોડી વાતો 

સુમન શાહ|Opinion - Literature|1 October 2023

જે ‘ઇન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડે’ છે, એના માનમાં —

== હૉંશે હૉંશે વિદેશી કે પરભાષાીય કૃતિઓના અનુવાદ, આસ્વાદ, પરિચયાત્મક લેખ કે સમીક્ષા કરતા મારા ગણ્યાગાંઠ્યા નવજુવાન મિત્રોને આ લેખ અર્પણ કરું છું. ==

(નેશનલ ટ્રાન્સલેશન મિશન, મૈસૂરના ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ મુકામે તારીખ ૨૨ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ યોજાયેલા ‘ઓરિઍન્ટેશન પ્રોગ્રામ ઑન ટ્રાન્સલેશન’ પરના પાંચ-દિવસીય કાર્યક્રમમાં આપેલું અતિથિ-વ્યાખ્યાન.)

Respected Dr. Sudarshanbhai, Professor Kanubhai Naik, Dr. Khimani, My friend Dr. A.K. Singh and Participant Friends : 

સુમન શાહ

In her invitation-call, coordinator Ms. Chhaya (Trivedi) requested me to keep the invitee address possibly in three languages –Gujarati, English and Hindi. So, temporarily of course I get an exalted sense of my importance to this well-designed project, called Orientation Program on Translation, organized by National Translation Mission.

But normally હું મારા મોટા ભાગના શ્રોતાઓની ભાષામાં બોલવાનું પસંદ કરું છું. I am sorry for this personal reservation. So, mostly I would speak in Gujarati, hardly translate into English, and I am sure for not to speak in Hindi.

માનવસંસારમાં ૧૯-મી સદી ઇન્ડસ્ટ્રીયાલિઝેશનની, ઔદ્યોગિકીકરણની, હતી. ૨૦-મી મૉડર્નાઇઝેશનની, આધુનિકીકરણની, અને ૨૧-મી ગ્લોબલિઝેશનની, વૈશ્વિકીકરણની, છે. ગ્લોબલિઝેશન સૂચવે છે કે પૃથ્વી હવે એક અખિલ ગ્રહ છે. The Process of Globalization suggests that now the planet Earth is one and undivided. પૃથ્વીનો આ ગોળાર્ધ પૂર્વ, ને આ પશ્ચિમ, જેવા ભેદ બહુ ઝડપથી ભૂંસાઇ રહ્યા છે. આ પૂર્વનું, આ પશ્ચિમનું, એમ નહીં પણ બધું વૈશ્વિક અનુભવાઇ રહ્યું છે.

ઇન્ટરનેટ અને વર્લ્ડવાઇડ વેબ્સ-ના પ્રતાપે આજે બધી દીવાલો ફટોફટ તૂટવા માંડી છે. સૂચન એમ પણ છે કે પશ્ચિમના વર્ચસ્ હેઠળ રહેવાના દિવસો હવે નથી રહ્યા — we are supposed to get rid of the prolonged hegemony of West. બલકે પૂર્વ પાસે પશ્ચિમને આપવા-જોગ જે છે એ આપવાના દિવસો છે.

જુઓ, મૉડર્નાઇઝેશનનો પાસવર્ડ મારી દૃષ્ટિએ ‘change’ છે, ‘પરિવર્તન’. આધુનિક થવા વ્યક્તિએ કે કોઈપણ સભ્યતાએ બદલાવું પડે. પરમ્પરાઓ અને રીતરસમોથી બલકે જૂનવટમાત્રથી છૂટવું પડે. પણ ગ્લોબલિઝેશનનો પાસવર્ડ exchange છે, ‘આદાનપ્રદાન’, ‘વિનિમય’. પૃથ્વી હવે જો એક અને અખિલ ગ્રહ છે, આપણે જો પૃથ્વી નામના એક-ગ્રહવાસી જીવો છીએ, વૈશ્વિક છીએ, તો imperative કે આદેશ એ છે કે આપણે આદાન-પ્રદાન કરીએ, વિનિમય કરીએ. The simplest imperative is to evolve exchange programs, to develop the practices of give and take, to welcome the ways of offering and accepting.

સવાલ એ છે કે એ આદાન-પ્રદાન કે વિનિમયો થાય શી રીતે? એ એકતા અને અખિલાઇ વિકસી શકે શી રીતે? મારો ઉત્તર એ છે કે, અનુવાદોથી. અનુવાદને હું ગ્લોબલિઝેશનનું મહત્તમ સાધન ગણું છું. To my mind, translation enterprise is the most efficient instrument to achieve gains of globalization.

In 2003, I had been to the University of Pennsylvania, Philadelphia. There I worked as a Writer-in-Residence. ૨૦૦૩-માં, અમેરિકાની પૅન્નસિલ્વૅનિયા યુનિવર્સિટીમાં હું રાઇટર-ઇન-રૅસિડેન્ટ રૂપે હતો. કૅમ્પસ પર રહેવાનું. હું અને મારાં પત્ની ૨૦-મા માળે રહેતાં હતાં. રોજ વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને મળવાનું. વ્યાખ્યાન-વાર્તાલાપ કરવાનાં. પોતે નક્કી કરેલા વિષયમુદ્દા પર કામ કરવાનું. મારો વિષયમુદ્દો હતો, ગ્લોબલિઝેશન — વૈશ્વિકીકરણ. મેં એક પબ્લિક લૅક્ચર આપેલું — શીર્ષક હતું : The Fate of a Regional Writer in the Days of Globalization : વૈશ્વિકીકરણના દિવસોમાં પ્રાદેશિક ભાષાના લેખકની નિયતિ.

દાખલા રૂપે, હું ગુજરાતી નામની પ્રાદેશિક ભાષાનો લેખક છું તો આ વૈશ્વિકીકરણના દિવસોમાં મારી નિયતિ શી હોઇ શકે. વાસ્તવિક સ્થિતિ એ છે કે હું જે વાચકો ગુજરાતી જાણે છે એમનો જ લેખક છું. પણ મારા અનુવાદો થાય તો મારી નિયતિમાં પરિવર્તન આવી શકે. એટલું જ નહીં, અનુવાદોની મદદથી હું જેમ વિશ્વ-સાહિત્યને જાણી શક્યો છું એમ કોઈપણ વિદેશી વ્યક્તિ અનુવાદોની મદદથી ગુજરાતી સાહિત્યને જાણી શકે. મેં એ સભામાં પૂછેલું – Is there anyone to learn Gujarati language to get certain perception of my regional literature…?… કશો ઉત્તર ન્હૉતો !

Look, multi-nationals have already started to exploit the spirit of translation — just to capture the gains out of globalization mechanism. જુઓ, મલ્ટિનેશનલ કમ્પનીઓએ ગ્લોબલિઝેશનનો લાભ ઉઠાવવાનું ક્યારનું શરૂ કરી દીધું છે — દાખલા તરીકે, એ આપણી ભાષામાં બોલે છે — ‘ઠંડા મતલબ કોલા’. અનુવાદની એ શૈલીએ, દેશના બલકે દુનિયાના કોઈપણ ખૂણે કોકાકોલા આસાનીથી વેચાય છે. આપણા એકથી વધુ ઍક્ટર્સ વિદેશી પ્રોડક્ટસના બ્રાન્ડ ઍમ્બેસેડર્સ છે.

મૂંઝવતો સવાલ, માનવવિદ્યાઓના આદાન-પ્રદાનનો છે; લિટરેચર વગેરે હ્યુમેનિટીઝની પ્રોડક્ટ્સને એકથી બીજા રાષ્ટ્રમાં, એકથી બીજી સંસ્કૃતિમાં, શી રીતે પહોંચાડવી, એ છે. How to forward to others the products related to humanities is the acute problem. My answer is that it could be done with the way of translation. મારો ઉત્તર એ છે કે એ કામ અનુવાદોથી થઇ શકે.

અનુવાદને હું ગ્લોબલિઝેશનનું મહત્તમ સાધન ગણું છું. મારી એ માન્યતા સાથે મારા આ ભૂમિકારૂપ વ્યાખ્યાનનો પૂર્વ ભાગ પૂરો થાય છે. Herewith I end up the first part to my present address. વ્યાખ્યાનના ઉત્તર ભાગમાં, અનુવાદકો માટે જરૂરી, કહો કે અનિવાર્ય એવી, કેટલીક વાતો કરું : Now, some useful tips for enthusiast translators.

૧ : 

અનુવાદ માટે હાથ પર લીધેલી રચનાને અનુવાદક ચાહતો હોય, એને એનો લગાવ થઈ ગયો હોય, એ પહેલી જરૂરિયાત છે. In absence of love with the original work, one should not venture for translations. મને ગાંધીજી યાદ આવે છે. ‘ભગવદ્ ગીતા’-નો પહેલવારકો પરિચય એમને ઇન્ગ્લૅન્ડમાં પેલા બે અંગ્રેજ બન્ધુઓથી થયેલો. ૧૮૮૮-૮૯-માં. એ લોકો નિયમિત ‘ગીતા’-પાઠ કરતા અને ગાંધીજીને જોડાવા માટે આગ્રહ કરતા. એમને એમ કે ગાંધીજીના સાથમાં ‘ગીતા’-નું સંસ્કૃત સારી રીતે સમજી શકાશે.

પણ ત્યારે ગાંધીજીને સંસ્કૃત ન્હૉતું આવડતું. એઓશ્રી તો કાયદો ભણતા’તા. એમને ખૂબ શરમ થયેલી. એટલે પછી સર એડવિન આર્નોલ્ડનો અંગ્રેજી પાઠ વાંચી લે છે. અને પાછળથી તો, મૂળ સંસ્કૃત ‘ગીતા’-ના નિત્ય પાઠ કરે છે, આજીવન ચાહક બલકે ભક્ત બની જાય છે. પરિણામે ગાંધીજીએ કરેલો ‘ગીતા’-નો ગુજરાતી અનુવાદ મને હમેશાં વધારે શ્રદ્ધેય લાગ્યો છે, કેમ કે એમાં મૂળ રચનાને વિશેની હું કહું છું એવી ચાહત હતી, લગાવ હતો.

૧ : ૨ : 

અનુવાદક માટે source language અને target language — બન્નેનું જ્ઞાન અનિવાર્ય છે. અનુવાદકને જો કે આ અનિવાર્યતાની ખબર હોય છે. એટલું જ નહીં, એને એવું પણ લાગે છે કે મને બે ભાષા આવડે છે એટલે અનુવાદ મારા માટે જરા પણ મુશ્કેલ નથી, હું આરામથી કરી શકીશ. પણ એની આ લાગણી વિશે થોડો વિચારવિમર્શ કરવો જરૂરી છે :

૨ : 

ધારણા કરીએ કે કાલિદાસના ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ નાટકના અનુવાદનો પ્રસંગ છે. નાટકની ભાષા સંસ્કૃત છે. અનુવાદની ભાષા ગુજરાતી છે. બન્નેમાં સમાન વસ્તુ ભાષા છે. અનુવાદક ઘડીમાં સંસ્કૃતમાં જશે, ઘડીમાં ગુજરાતીમાં — એની, બે ભાષામાં આવ-જા ચાલશે. સમજવાનું એ છે કે અનુવાદ નામની ઘટના એક નહીં પણ બે ભાષાના સમાગમથી પ્રગટે છે. આ દાખલામાં, source language સંસ્કૃત છે અને target language ગુજરાતી છે. source language-ને ‘સ્રોત ભાષા’ કે ‘મૂળ ભાષા’ અને target language-ને ‘લક્ષ્ય ભાષા’ કે ‘અપેક્ષિત ભાષા’ કહી શકીએ.

જુઓ, મારે બન્ને સંજ્ઞાઓનું તરત જ ગુજરાતી કરવું પડ્યું. આખા વ્યાખ્યાન દરમ્યાન મારે જો એક અનુવાદકની રીતે ઘડીમાં મૂળને જોવાનું હોય, ઘડીમાં લક્ષ્યને, તો મારું શું થાય?

ધારો કે હું મને કે કમને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં આવ-જા કરું — more or less, I am doing the same — પણ તો પછી સવાલ એ થાય કે મારા વ્યાખ્યાનનું માધ્યમ કયું છે –? What is the exact medium of my discourse? સાદો જવાબ એ છે કે એ એક કામચલાઉ અને સંમિશ્ર માધ્યમ છે — It is a working mixture of two languages. મારી આવ-જા આ કામચલાઉ અને સંમિશ્ર માધ્યમમાં થતી હોય છે. Through it, I come and go.

આ સંમિશ્ર માધ્યમ મહત્ત્વની વસ્તુ છે કેમ કે એ જ છે અનુવાદનું ગર્ભાશય, અનુવાદની માતૃકા — the very matrix of translation. એટલે એ માધ્યમને વધારે ધ્યાનથી જોવાની જરૂર છે :

૨ : ૧ : 

જુઓ, પહેલી બાબત : ઘરમાં વ્યક્તિઓ કે મારી વાર્તામાં પાત્રો હમેશાં શિષ્ટમાન્ય — standard — ગુજરાતી નથી બોલતાં. પોતા વડે જિવાતા જીવનની ભાષા બોલે છે, જેમાં ગુજરાતીની સાથે ને સાથે અંગ્રેજી, હિન્દી કે સંસ્કૃત પણ હોય છે. એ ‘યુ નો વ્હૉટ’ બોલે તેમ ‘મુઝે પતા નહીં’ એમ પણ બોલે. એમાં ‘સ્પષ્ટ’ જેવો શિષ્ટમાન્ય શબ્દ હોય, તેમ એમાં ‘ચોખ્ખું’ જેવો જનજીવનમાં વપરાતો શબ્દ પણ હોય. એમાં ‘ઢેખાળો’ કે ‘ઢેફું’ જેવા દેશ્ય શબ્દો પણ આવે. ‘જીવા પટ્યલનો બરદિયો મરી જ્યો’ જેવી બોલી પણ આવે — dialect.

૨ : ર : 

એક વધારાની બાબત એ કે પતિદેવ જે રીતની ગુજરાતી બોલે એ રીતની, બને કે શ્રીમતી ન બોલતાં હોય. પતિ બોલે — જો તો, કાર ‘લઇ આવ્યો’. પત્ની બોલે –જુઓ તો, કાર ‘લૈ આઇ’. એ જ પતિ, ઑફિસમાં જુદી જ ગુજરાતી બોલે છે. એ જ પત્ની, શાકમાર્કેટમાં જુદી જ ગુજરાતી બોલે છે. 

૨ : ૩ :  

એક બીજી વધારાની બાબત એ કે માણસ શબ્દો કે વાક્યો બોલે ત્યારે એમાં શારીરિક હાવભાવ એની ઇચ્છાથી કે અનિચ્છાથી ભળી જતા હોય છે — ઇશારા, ચેષ્ટાઓ. ‘વાતમાં કંઈ માલ નહીં’ બોલે ત્યારે, સાથે, માણસ પોતાને કપાળે ટપલી મારે છે. ‘અરે’ તમે શું કરો છો?’ — એ વખતે એનો હાથ ઊંચો થઈ જાય છે. ઉપરાન્ત, સ્વરભાર, કાકુ વગેરે પણ ઉમેરાતાં હોય છે — જેમ કે, ‘તમે આવશો.’ ‘તમે’ આવશો? તમે ‘આવશો?’ વગેરે.

ટૂંકમાં, મુદ્દો એમ બને છે કે, જિવાતા જીવન દરમ્યાન વ્યક્તિઓ ભલે ગુજરાતી બોલતી હોય છે પણ એ એની પોતાની ગુજરાતી હોય છે — જેને સામાન્યપણે ‘વ્યક્તિભાષા’ કહેવાય છે — idiolect.

વાતનો સાર એ છે કે અનુવાદકે બે ભાષા જાણવાનો આટલો મોટો અર્થ થાય છે : એ છે, ભાષામાં છુપાયેલી ભાષા — language within the language. આ સઘળી એની ગર્ભિત સમ્પદા. એ સમ્પદાને વિશેની સઘળી સમજદારી. હકીકત એ છે કે એની target language-માં પણ ભાષામાં ભાષા જેવી ગર્ભિત સમ્પદા ભરી પડી હોય છે. એટલે અનુવાદકે એ સમજદારી પણ કેળવવી રહે છે. એ બન્ને પર કામ કરવું રહે છે.

ટૂંકમાં, એણે બે ઘોડા પલાણીને આખો ખેલ ખેલવાનો હોય છે. તેથી એ સંસ્કૃત જાણતો હોય, શિષ્ટમાન્ય — standard — ગુજરાતી જાણતો હોય, એટલું પૂરતું નથી. બન્ને ભાષાના આ પૂર્ણ રૂપેણ જિવાતા સ્વરૂપની એને પૂરેપૂરી સૂઝબૂઝ હોવી જોઇશે. It is not enough only to know the source and target languages — but translator must know fully all aspects related to dialect and idiolect including all nuances of the said languages.

૨ : ૪ : 

અનુવાદક ભાષાના આ પૂર્ણ રૂપેણ જિવાતા સ્વરૂપને જાણતો હોય એ પણ પૂરતું નથી. એની પાસે મૂળ રચનાના વિષયનું જ્ઞાન પણ હોવું જોઇશે. He must be proficient with the discipline related with the subjectmatter. હું વિવધ સાહિત્યોનો અનુવાદક છું, ગમે એટલો સારો છું, પણ રસાયણશાસ્ત્ર કે ભૂસ્તરવિદ્યાના ગ્રન્થનો અનુવાદ ન કરી શકું. મારે ‘ના’ પાડવી જોઈએ.

આના જેવી જ બીજી જરૂરિયાત એ છે કે મને મૂળ રચનાના દેશકાળ અને સંસ્કૃતિ-સભ્યતાનું પણ જ્ઞાન હોવું જોઇએ — knowledge of the culture related to source text. કોઈ અમેરિકન અનુવાદક ‘ચાંલ્લા’-નું અંગ્રેજી ‘a red spot in the centre of a forehead’ કરે, તો ન ચાલે. એ જ રીતે, Indian family system is too complex to understand; ભારતીય પરિવારની સંકુલ જાળ આખા વિશ્વમાં બેજોડ છે, સમજવી મુશ્કેલ છે. ‘સાઢુ’ ‘સાળો’ ‘સાળાવેલી’ શબ્દો અનનુવાદ્ય છે — untranslatable. અનુવાદકો પાસે એ વિવેકની આશા રહે છે કે એઓ ‘ના’ પાડે.

કેમ કે કોઈ એક સ્થાન તો એવું જરૂર આવે છે જ્યાં મૂળ રચના સાવ અનનુવાદ્ય બની જતી હોય છે. એટલા માટે, ઘણા વિચારકો કવિતાને અનનુવાદ્ય ગણે છે. જો કે, irony of this activity એ છે કે વધુમાં વધુ અનુવાદો કાવ્યોના થતા હોય છે ! 

૩ : 

એક સર્જકને પોતાના target reader-ની ખબર હોય છે પણ એક અનુવાદકને ખબર નથી હોતી કે પોતાના અનુવાદનો વાચક કોણ હશે — who could be the reader of translation? There are two types : અનુવાદના વાચકો બે પ્રકારના હોય છે : એક એવા કે જેઓ સંસ્કૃત જાણે છે, કાલિદાસના ‘શાકુન્તલમ્’-ને વાંચ્યું છે, બલકે સાહિત્યપદાર્થ શું છે એના પણ પાકા જાણતલ છે. બીજા એવા, જે માત્રજિજ્ઞાસુ છે. એમને ગુજરાતી આવડે છે પણ સંસ્કૃત નથી આવડતું, સાહિત્યની બહુ ગતાગમ પણ નથી.

અહીં સવાલ એ ઊભો થાય છે કે એ સંજોગોમાં અનુવાદકે શું કરવું — એણે પેલા જાણતલને ધ્યાનમાં રાખવો કે પેલા માત્રજિજ્ઞાસુને? જાણતલને માટે અનુવાદકે મૂળને વફાદાર રહેવું કે જિજ્ઞાસુ માટે પ્રકાર પ્રકારની બાંધછોડો કરવી? અનુવાદનું એણે કયું સ્વરૂપ રાખવું — જેને બધી રીતે યથાર્થ કહી શકાય?

૩ : ૧ : 

હકીકત એ છે કે અનુવાદના વાચકો મૂળ રચના અને રચનાકારની ખ્યાતિ અનુસારના જ હોવાના. એટલે કે હાથ પરના દાખલામાં, ‘શાકુન્તલમ્’ અને કાલિદાસની ખ્યાતિ અનુસારના. સાહિત્ય અકાદમી, દિલ્હીવાળા એટલે જ કદાચ, ટાઇટલ પેજ પર મૂળ લેખકનું નામ છાપે છે — ‘એમ. કે. નાયક’, પણ અનુવાદકનું ‘સુમન શાહ’ નામ નથી છાપતા ! એટલે આનો સીધો ઉત્તર તો એ છે કે કોઈપણ અનુવાદકે હમેશાં મૂળને જ વફાદાર રહેવાનું હોય. The obvious answer is that he or she should be most faithful to the original work through out the job. કોઈપણ અનુવાદનું એ જ યથાર્થ સ્વરૂપ છે.

આળસુ કે ધંધાદારી અનુવાદકો આ સત્ય નથી સ્વીકારતા. એને કારણે અનુવાદોના હીન પ્રકારો જન્મેલા છે :

એક પ્રકાર છે, ‘તરજૂમો’. એમાં અનુવાદક મજૂરી કરે છે. કશું જ છોડતો નથી બલકે શબ્દ સામે શબ્દ ગોઠવીને કામ પતાવે છે.

બીજો પ્રકાર છે, ‘ભાષાન્તર’ — literal translation. એમાં અનુવાદક મૂળને જડસુની જેમ વળગેલો રહે છે. કાનો, માત્રા – દરેકનો લાભ અંકે કરે છે. જો કે કશું વળતું નથી. કહેવાય કે એણે, માત્ર ભાષા બદલી — જે માણસ, ધોતિયું ઝભ્ભો ને ટોપીમાં હતો એને પાટલૂન ખમીસ ને હૅટ પહેરાવ્યાં ! કે ઊલટું ! એણે વેશાન્તર પ્રકારનું ‘ભાષાન્તર’ કર્યું.

આને metaphrase કહેવાય.

પણ એની સામેનો પ્રકાર paraphrase છે. એમાં અનુવાદક અર્થભાવ પકડે છે. મૂળને નુક્સાન ન પહોંચે એવી છૂટછાટો લે છે — કહેવાય કે, સહ-સર્જન કરે છે, co-creation.

પણ એમાં જો વધારે પડતી છૂટછાટો લેવાય તો અનુવાદ ‘રૂપાન્તર’ બની જાય છે, adaptation — જેમાં બધી વસ્તુઓ મૂળથી દૂરાતિદૂર ચાલી ગઈ હોય છે.

ઘણી વાર એમાં મૂળનું મૉં-માથું પણ નથી જડતું. એટલે પછી એને ‘ઉઠાન્તર’ નામે ચોરી કહેવાનો વારો આવે છે — plagiarism.

ત્રણેક નિર્દેશ કરીને વિરમું : Let me conclude with 3 remarks :

૧ : 

અનનુવાદ્ય સ્થાનો એમ સૂચવે છે કે એટલું નુક્સાન તો વેઠવું પડશે. આ એક ખાસ પ્રકારનો irreparable loss છે. તેથી જેટલું અને જેવું થઈ શક્યું હોય એટલાથી અનુવાદકે સંતોષ માનવો. એમ સ્વીકારાયું છે કે ‘ચાંલ્લો’ જેવા અનનુવાદ્ય શબ્દોને અનુવાદમાં એ-ને-એ રૂપે મૂકવા. એ જાતના સમાધાનને સ્વીકારી લેવું. એથી એમ પણ સૂચવાય છે કે અનુવાદ પોતે જ એક સમાધાન કે સગવડથી વિશેષ નથી. એટલે જ એને thankless job પણ કહે છે !

૨ : 

પ્રારમ્ભે મેં કહ્યું કે ગ્લોબલિઝેશનમાં વિનિમયનું મહત્તમ સાધન અનુવાદ છે. પણ એ સાધન સાથે જોડાયેલા ભયનો પણ મારે નિર્દેશ કરવો જોઈએ. અત્યારસુધી અમુક અનુવાદકોનું કામ અનુવાદના અનુવાદ કરવાથી ચાલી જતું’તું. જેમ કે, ચેખવના ‘થ્રી સિસ્ટર્સ’ નાટકનો મેં ‘ત્રણ બહેનો’ નામે ગુજરાતી અનુવાદ કર્યો તે ઓલ્ગા શાર્ત્સના અંગ્રેજી અનુવાદ પરથી. એ જ રીતે, મિર્જી અન્નારાયની કન્નડ નવલ ‘નિ સર્ગ’-નો અનુવાદ મેં એના હિન્દી અનુવાદ પરથી કર્યો. કેમ કે મને રશિયન કે કન્નડ નથી આવડતી. મૂળને વિશેની વફાદારીનો આ જે પ્રશ્ન હતો તે આજે અનેકશ: તીવ્ર બની ગયો છે. કેમ કે, અપવાદો બાદ કરતાં, કોઈપણ અનુવાદકને બે-ચાર ભાષાઓ જ આવડતી હોય છે.

એટલે ગ્લોબલિઝેશનના આ દિવસોમાં, મૂળ રચનાના અનુવાદોના અનુવાદો ને તેના પણ અનુવાદો જેવી એક જોખમી પરિસ્થિતિનો સ્વીકાર કરવો રહે છે. જેમાં ઑથોરિટી — કર્તૃત્વ —  અને ઓરિજિનાલિટી — મૌલિકતા–નો નાશ થવાનો ભય મોટો છે. (AI -ના સમયમાં આજે આ મુદ્દો તીવ્ર બની ગયો છે.)

૩ : 

જો કે અનુવાદના લાભ, ખાસ તો મૂળને વશ રહેવાથી થતા લાભ, નોંધપાત્ર છે : અનુવાદથી અનુવાદકને ‘close reading’-ની, ‘સઘન વાચન’ની, ટેવ પડે છે. એની પોતાની સર્જકતા ખીલે છે. એની સમીક્ષાવૃત્તિ વિકસે છે કેમ કે એને જાતભાતની સાહિત્યિક સમાન્તરતાઓનો, inter literariness-નો કે inter textuality-નો લાભ મળ્યો હોય છે.

મુદ્દો એમ બને છે કે અનુવાદ માણસે બીજા માટે નહીં પણ પોતા માટે કરવા જોઈએ : મને હમેશાં લાગ્યું છે કે ચેખવ, બૅકેટ, બાર્થેલ્મ, માર્ક્વેઝ કે હૅરોલ્ડ પિન્ટરની રચનાઓના અનુવાદો મેં મારા માટે, મારી ગરજે કરેલા. જુઓ, સમજુ સાહિત્યકારો તો એમ કરતા જ હોય છે : પાસ્તરનાકે ગ્યુઇથેના ‘ફાઉસ્ટ’-ને અને શેકસ્પીયરના ‘હૅમ્લેટ’-ને રશિયનમાં કે બૉદ્લેરે ઍડગર ઍલન પો-ને ફ્રૅન્ચમાં ઝીલી જાણ્યા છે. અરે, બૅકેટે, રવીન્દ્રનાથ ટાગોરે, બોર્હેસે, કે નબાકોવે પોતાની રચનાઓના અનુવાદો પોતે કર્યા છે.

એ માર્ગે વ્યક્તિની સર્જકતાને, રસ, કલા કે સૌન્દર્યને તે-તેના સ્વ-રૂપમાં ઓળખી શકાય છે. કોઈપણ અનુવાદે આખરે તો એની જ ઓળખ કરાવવાની હોય છે !

આભાર. Thanks. 

 = = =

(09/30/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભારતના પાડોશી દેશઃ કાં તો શત્રુ કાં તો બહુ મજબૂત નહીં એવા સાથી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|1 October 2023

બાંગ્લાદેશ અને પાકિસ્તાન તો ભારતનો જ હિસ્સો હતા, પણ બન્ને સાથેના સંબંધોમાં આસમાન જમીનનો ફેર છે. શ્રીલંકા જે ભારતને સાથી માને છે તે અરાજકતામાંથી હમણાં જ બેઠો થયો છે અને ચીન સાથે તો ભારતના સંબંધો બહુ જટિલ છે

ચિરંતના ભટ્ટ

ભારતની વિદેશ નીતિ છેલ્લાં કેટલાંક વર્ષોથી (ખાસ કરીને ભા.જ.પ. કેન્દ્રમાં સત્તા પર આવ્યા પછી) વૈશ્વિક રાજકારણમાં એ નિર્ણયાત્મક રાષ્ટ્ર તરીકે ભારતની ગણતરી થાય એ દિશામાં આગળ વધી છે. આ કેન્દ્ર સરકારનો જ દાવો છે અને તેમના મતે છેલ્લાં નવ વર્ષમાં આ રીતે કામ થતું આવ્યું છે. ભા.જ.પ.નો બહુમત મજબૂત હોવાથી વિદેશી નીતિ ઘડવામાં મોદી સરકારનું વજન પહેલાંની ગઠબંધનની સરકાર કરતાં પણ વધુ હોય તે સ્વાભાવિક છે.

ભારત યુ.એસ.એ. કે યુરોપ સાથેનાં સમીકરણોમાં જે પગલાં લે તેનો પ્રભાવ તો ખરો જ પણ ભારતના પાડોશી દેશો સાથે જે વહેવાર કે વાટાઘાટો ચાલે તેની અસરોની ગણતરી કરવી પણ જરૂરી. ભારતની સરહદો તો સાત દેશો જોડે જોડાયેલી છે, પણ બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા અને ચીન – આ ચાર દેશોમાં જે પણ થાય અથવા તો આ ચાર દેશ જે પણ પગલાં લે તે અંગે ભારતે સતર્કતા સાથે પ્રતિભાવ આપવાની તૈયારી પણ રાખવી જ પડે કારણ કે તેનો આધાર વિશ્વના બીજા શક્તિશાળી રાષ્ટ્રો સાથેના સંબંધો અને રાજકીય-ભૌગોલિક પર પડવાનો જ છે.

બાંગ્લાદેશ અને પાકિસ્તાનની વાત કરીએ તો આ બન્ને દેશો એક સમયે ભારતનો જ હિસ્સો હતા. એમાંથી એકને ભારત સાથે સતત હુંસાતુંસી રહે છે તો બીજાએ 52 વર્ષથી ભારત સાથેના રાજદ્વારી-વ્યાપારી સંબંધોને બહેતર બનાવવાની કોશિશ કરી છે. 1971માં જ્યારે બાંગ્લાદેશે સ્વતંત્રતા માટે યુદ્ધ છેડ્યું ત્યારે ભારતે તેને સૌથી વધુ સહકાર આપ્યો. 1975 પછી ભારત સાથે બાંગ્લાદેશના સંબંધ બગડ્યા કારણ કે ત્યાં વિદેશનીતિ બદલવામાં આવી પણ જ્યારે 2008માં બાંગ્લાદેશમાં પ્રમુખ તરીકે શેખ હસીના ચૂંટાયાં 2015માં ભૂમિ સીમા સમજૂતિ કરારને પગલે બન્ને દેશો વચ્ચેના સંબંધો સંબંધો બહેતર થવા લાગ્યા. આજે ભારતની દક્ષિણ એશિયા માટેની ‘નેબરહૂડ ફર્સ્ટ પૉલિસી’માં પણ તે સૌથી મોટો વ્યાપારી ભાગીદાર દેશ બાંગ્લાદેશ છે. બાંગ્લાદેશ ત્રણ તરફથી ભારતની સરહદ સાથે જોડાયેલો હોવાથી રાજકીય દૃષ્ટિએ બાંગ્લાદેશમાં કોની સત્તા આવે છે તેમાં ભારતને હંમેશાં રસ હોય. વળી ભારતે બાંગ્લાદેશ ઉપરાંત મૉલદિવ્ઝ, મ્યાનમાર, નેપાળ અને શ્રીલંકા જેવા દેશો માટે કૂલ એનર્જી અને ઇન્ફ્ર્રા સ્ટ્રક્ચર માટે 37 ક્રેડિટ લાઇન્સ આપી છે.  સલામતી અને આતંકવાદ આ બે મામલે ભારતને બાંગ્લાદેશ તરફથી ચિંતા તો રહે જ છે અને માટે જ ત્યાં સત્તા પર બેઠેલાઓ સાથે સારાસારી રાખવી અનિવાર્ય થઇ પડે છે. બાંગ્લાદેશમાં થનારી ચૂંટણીમાં ભારતની સક્રિયતા પર ઘણી ચર્ચા થઈ ચૂકી છે, અને એવું માનવામાં આવે છે કે ભારતે અવામી લીગની સરકારને એકતરફી ટેકો આપ્યો હોવાથી 2014 અને 2018ની ચૂંટણીમાં બાંગ્લાદેશમાં તેની જ સત્તા આવી હતી. અત્યારે બાંગ્લાદેશમાં થનારી ચૂંટણીઓ અંગે અમેરિકા અને રશિયા વચ્ચે પણ વિરોધી અભિપ્રાય છતા થઈ ચૂક્યા છે પણ આ બન્ને રાષ્ટ્રોને ભારત સાથે બને છે. ચીનની દાદાગીરી સામે ભારત અને અમેરિકા ભેગા છે ખરા પણ બાંગ્લાદેશને મામલે બન્ને દેશો એક મત પર નથી. અમેરિકાએ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને અસ્થિર કરવાનાં પગલાં લીધાં છે જેને કારણે ભારતની જ નહીં પણ આખા દક્ષિણ એશિયાની સલામતી પર જોખમ છે. જો બાંગ્લાદેશમાં અસ્થિરતા થાય, કટ્ટરવાદીઓની (જમાત-એ-ઇસ્લામીઓ જેને અમેરિકા રક્ષણ પુરું પાડે તો) સત્તા આવે તો તેનો સીધો પ્રભાવ ભારતની સુરક્ષા પર પડે તે નક્કી છે અને પછી બાંગ્લાદેશમાં ચીનનો પ્રભાવ પણ ખાસ્સો વધી જશે, એ તો અમેરિકાને પણ પોસાય એમ નથી. ભારત બાંગ્લાદેશના આંતરિક પ્રશ્નોમાં માથું  ન મારે એવુ કહેનારા રાષ્ટ્રો પણ છે. હવે આ સાથે જ ભારતના બીજા પાડોશી દેશ એટલે કે પાકિસ્તાનની વાત પણ છેડવી પડે કારણકે ભારતનું માનવું છે કે જમાત-એ-ઇસ્લામીની પાછળ પાકિસ્તાનનો હાથ છે.

પાકિસ્તાન અને ભારતના રાજદ્વારી, આર્થિક, સાંસ્કૃતિક બધા જ સંબંધોમાં નકરો તણાવ જ છે. એમાં પાછું કેનેડા અને ભારત ખાલિસ્તાનને મામલે સબંધો વણસ્યા છે ત્યારે એવી વાતો બહાર આવી કે આવું થાય એમાં પાકિસ્તાનને પૂરો રસ હતો અને પાકિસ્તાની જાસૂસી એજન્સી ISIએ નિજ્જરની હત્યા કરાવી. ISI જ કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓને ફંડ પૂરું પાડે છે એવું એક યા બીજી રીતે જાહેર થયું છે. બીજી તરફ કાશ્મીરને મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા સંઘર્ષનો કોઇ અંત નથી. આને સમાંતર એક બીજી વાસ્તવિકતા એ છે કે રાજકીય અને આર્થિક સ્તરે પાકિસ્તાનની હાલત ખરાબ છે અને ભારત આ મામલે ચૂપકીદી સેવી છે જે બહુ મુત્સદ્દી ભર્યું પગલું છે. જો ભારત કંઇ કહે તો પાકિસ્તાન એનો ય મુદ્દો બનાવીને ઉછાળે અને કેન્દ્ર સરકારને ખ્યાલ છે કે ભારત પ્રત્યે પાકિસ્તાનનું વલણ બદલાવાનું નથી અને જ્યાં સુધી સરહદ પાર કરીને ત્યાંના કંકાસની અસર અહીં ન વર્તાવા માંડે ત્યાં સુધી ચૂપ રહેવામાં જ સાર છે. વળી દિલ્હી બેઠી સરકારનું પૂરું ધ્યાન ચીન અને ઇન્ડિયન ઓશ્યન રિજ્યન પર હોવાથી પાકિસ્તાનને મામલે સરહદ પર કોઇ તણાવ ન થાય અને ‘જૈસે થે’ની સ્થિતિ રહે એ વધારે ફાયદાકારક છે. ભારત કંઇ કહે અને વગર કારણ પાકિસ્તાન આર્મી એ વાત ઝડપી લઈને સુરક્ષાને મામલે કાંકરી ચાળા કરે એ પોસાય તેમ નથી.

ચીનની વાત કરીએ તો તાજેતરમાં જ વિદેશ મંત્રી જયશંકરે નિવેદન આપ્યું કે ચીન સાથે ભારતના સંબંધો ક્યારે ય સરળ નથી રહ્યા. અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશને પોતાના નકશામા ગણાવીને ચીને ભારતનો વધુ રોષ વહોર્યો. ચીન અને ભારત બન્ને વૈશ્વિક સ્તરે આર્થિક અને રાજકીય સત્તાને મામલે રેસમાં છે. ઉત્પાદન ક્ષમતા અને વસ્તીને મામલે બન્ને પોતાનું જોર બતાડવામાં ક્યાં ય પાછા નથી પડતા. ચીને સરહદ પર ગલવાન ઘાટીમાં જે કર્યું તે પછી ભારત અને ચીન વચ્ચે કંઇ બરાબર નથી. ચીને હાંગઝોઉ એશિયન ગેમ્સ માટે ભારતીય ખેલાડીઓને વીઝા આપવાની પણ ના પાડી દીધી હતી. G-20 માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપંગ ભારત ન આવ્યા. ચીન અને ભારત વચ્ચેની રસાકસીમાં એશિયામાં જે બીજા નાના રાષ્ટ્રો છે જ્યાં અરાજકતા નથી તેમણે પોતાના લાભ માટે કોને ટેકો આપવો એ પ્રશ્ન પણ રહેવાનો જ છે. ચીને શ્રલંકાના હમ્બનટોટા બંદર અને પોર્ટ સિટી કોલંબો, ટ્રાન્સ હિમાલયન કોરિડોર અને ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને ભંડોળ પૂરું પાડ્યું છે તો અફઘાનિસ્તાન સાથે ઑઇલ એક્સ્ટ્રેક્શનનો સોદો કરીને મેલ સાથે ફ્રી ટ્રેડનો કરાર કર્યો છે. બેઇજિંગે ભારત અને ચીન વચ્ચેની – એક્ચુઅલ લાઇન ઑફ કન્ટ્રોલ પર ગામડાં અને હાઇવે વિકસાવ્યાં છે. આ કારણે ભારતે પણ આ વિસ્તારમાં પોતાના માળખાંકીય પ્રોજેક્ટ્સને વેગ આપવો પડ્યો છે.

હવે દક્ષિણે આવેલા પાડોશી દેશ શ્રીલંકાની વાત પણ છેડવી રહી. શ્રીલંકાની સરકાર અને ત્યાંના લોકો ચીને તાઇવાન પર જે દબાણ કરે છે તે જુએ છે અને ભારત ચાહે તો આવું કંઇપણ કરી શકત. પરંતુ કટોકટીના સમયે ભારતની મદદ મળી હોવથી શ્રીલંકા ઉપકાર હેઠળ જ રહેવાનો છે. શ્રીલંકાએ તો ચીનને જણાવી પણ દીધું છે કે પોતાને માટે ભારત વધુ અગત્યનો પાડોશી દેશ છે. કેનેડાને મામલે પણ શ્રીલંકાએ ભારતને પોતાનો ટેકો આપ્યો છે અને કેનેડાને વખોડ્યો છે. વળી શ્રીલંકાએ ચીનના નેવીના જહાજને પોતાના બંદરે નાંગરવાની પરવાનગી ન આપીને પોતાની ભારત સાથેની દોસ્તીનો પુરાવો આપી દીધો છે.

ભારત દક્ષિણ એશિયામાં સૌથી મોટો અને મહત્ત્વનો દેશ છે. સાત દેશો સાથે જમીની સરહદ અને દરિયાઈ સરહદ શ્રીલંકા સાથે વહેંચનારા ભારત સંતુલનનો ખેલ બરાબર જાળવવો પડે એમ છે. પોતાનો અભિગમ, વળી પોતાના વલણ પ્રત્યે અન્ય રાષ્ટ્રોનો અભિગમ બધું જ ગણતરીમાં લેવું પડે તેમ છે.

બાય ધી વેઃ

બાંગ્લાદેશ અને પાકિસ્તાન તો ભારતનો જ હિસ્સો હતા, પણ બન્ને સાથેના સંબંધોમાં આસમાન જમીનનો ફેર છે. શ્રીલંકા જે ભારતને સાથી માને છે તે અરાજકતામાંથી હમણાં જ બેઠો થયો છે અને ચીન સાથે તો ભારતના સંબંધો બહુ જટિલ છે. આવામાં અમેરિકાને વાકું ન પડે અને જે નવા સાથીઓની સાથે હાથ મેળવ્યો છે તે પકડ ઢીલી ન પડે એ રીતે કામ કરવા સિવાય ભારતને કોઈ છૂટકો નથી. પાકિસ્તાન અને ચીનના કાંકરીચાળામાં હવે કેનેડાની આડોડાઈ ઉમેરાઈ છે ત્યારે ત્રણની લડાઈમાં ચોથો ફાવે વાળું ન થાય અને અમેરિકા પોતાની રીતે પાકિસ્તાન, ચીન સાથે ગોઠવણ કરીને ભારતની વિટંબણાઓનો લાભ ન ખાટી જાય તે જોવું રહ્યું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 ઑક્ટોબર 2023

Loading

...102030...832833834835...840850860...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved