Opinion Magazine
Number of visits: 9457542
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે – 33 : સાહિત્યસંદર્ભે વિવિધ ‘એ.આઈ.’-ઑજારો, અને જરૂરી શિસ્ત

સુમન શાહ|Opinion - Opinion|15 October 2023

સુમન શાહ

‘કદાચ હું કાલે નહીં હોઉં’ કાવ્ય વિશે ‘ગૂગલ બાર્ડે’ જે ત્રણ મૂલ્યાંકનો પીરસ્યાં એ પરથી બે વસ્તુ સ્પષ્ટ થાય છે : 

૧ :

ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉપલબ્ધ ડેટાસૅટની ભૂમિકાએ ‘બાર્ડે’ આ મૂલ્યાંકનો આપ્યાં.   આપણે જોયું કે બીજાં બે મૂલ્યાંકનોની સરખામણીએ ફૉર્માલિસ્ટિક અભિગમ અનુસારનું મૂલ્યાંકન કંઈકે ય શ્રદ્ધેય બન્યું, એનું મુખ્ય કારણ એ કે એ માટેનો એની પાસે હ્યુજ ડેટાબેઝ છે. બાકી, ‘બાર્ડ’-ને મેં સુરેશભાઈનાં દસ કાવ્યો આપ્યાં હોત તો પણ ડેટાબેઝની આ મર્યાદાને કારણે ખાસ ફર્ક ન પડ્યો હોત.

૨ :

એટલે, આપણે સૌ એકઠા થઈ બહુસમ્મત ગુજરાતી ડેટાબેઝ ઊભો કરીએ એ મારી વાત (પ્રકરણ ક્રમાંક -25 જુઓ.) કેટલી સયુક્તિક અને તાકીદની છે, તે સમજાઈ જશે.

જુઓ, સાહિત્યિક અધ્યયનો વિવિધ હેતુથી મુદ્દા નક્કી કરીને થતાં હોય છે, અને મારે એ જણાવવું છે કે એ સંદર્ભમાં ઉપકારક એવાં વિવિધ ‘એ.આઈ.’-ઑજારો ઉપલબ્ધ હોય છે. એટલે અધ્યેતાએ સૌ પહેલાં એ નક્કી કરવું પડશે કે પોતે અધ્યયન કયા મુદ્દાઓના અનુલક્ષમાં કરવા માગે છે.

વીગતે જોઈએ :

હું ‘બાર્ડ’ પાસે એ જાણવા ગયેલો કે એ મને મારા પ્રશ્નોના કેવા ઉત્તરો આપે છે, અને મારા મનમાં ‘કદાચ હું કાલે નહીં હોઉં’-ના મૂલ્યાંકનનો મુદ્દો પણ હતો. એ મુદ્દો મેં દાખલ કર્યો એટલે મને ત્રણ સ્વરૂપનાં મૂલ્યાંકન મળ્યાં.

જો કોઈ અધ્યેતાને સુરેશ જોષીની મુશ્કેલ અને સંકુલ મનાતી કૃતિ “છિન્નપત્ર”-ને એના ખરા રૂપમાં પામવી હશે તો સૌ પહેલાં એણે એનું વિશ્લેષણ કરવું જોઈશે. એણે કે અન્ય અધ્યેતાએ એક કે વધુ કૃતિઓનાં વિશ્લેષણ મેળવવાં હોય, તો વિશ્લેષણ કરી આપે એવાં ઑજારોનો – Text analysis toolsનો – વિનિયોગ કરવો જોઈશે. મેં માહિતી મેળવી કે Voyant Tools, AntConc, કે Leximancer એવાં ઑજાર છે.

એ અધ્યેતા આમાંના કોઈક ઑજારનો વિનિયોગ કરશે એટલે એ “છિન્નપત્ર”-નું વિષયવસ્તુ અને તેની પૅટર્ન્સ દર્શાવશે. વિષયવસ્તુના એકમો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તે સમ્બન્ધભૂમિકાઓ દર્શાવશે.

જો સરખી રીતે પ્રશ્નો કરવામાં આવ્યા હશે તો નવલકથા અને લઘુનવલ સાથે સંકળાયેલી ઘટના વગેરે વિભાવનાઓ સાથે તેમ જ ‘લખવા ધારેલી નવલકથાનો મુસદ્દો’ એટલે શું તે સાથે પણ વાતને જોડી આપશે. જો કોઈ બીજો અધ્યેતા “જનાન્તિકે”-ના કેટલાક નિબન્ધો લઈને જશે તો એને એ નિબન્ધોમાં રહેલી સમાન ભાતો જાણવા મળશે. એ નિબન્ધોમાં સરજાયેલી શૈલી વિશે એ જો જિજ્ઞાસુ હશે તો એને શૈલીવિશેષો પણ જાણવા મળશે. મને આ ક્ષણે જ વિચાર આવે છે કે ‘ઘટનાતત્ત્વનો હ્રાસ’ વિશે આપણે ત્યાં થયેલી તમામ ચર્ચાઓ આમાનાં કોઈ ઑજારને સૉંપીએ, તો એ એમાં રહેલા સબ્જેક્ટિવિઝમ અને ઑબ્જેક્ટિવિઝમને આરામથી જુદાં તારવી બતાવશે.

સાહિત્યકૃતિના સઘન વાચન પછી અધ્યયનનો પ્રારમ્ભ જ વિશ્લેષણથી કરવાનો હોય છે. તેથી આ ઑજારોનો ઉપયોગ મને આપણા અધ્યાપકો અને વિવેચકો માટે પણ ઉપયોગી લાગે છે. જો કે એથી વાચનપ્રમાદીઓને લાભ છે, પણ દેખીતું છે કે એટલા લાભથી અધ્યયનમાં પ્ર-ગતિ નહીં થાય. ખરો લાભ તો એ છે કે વિશ્લેષણથી કૃતિનાં ભાષિક અંગાંગની બધી રેખાઓ ઊઘડી આવે છે, એમાં રહેલી કેટલીક સૂક્ષ્મતાઓ તરફ ધ્યાન જાય છે. સાહિત્યક્ષેત્રે પ્રવર્તતાં પૂર્વવર્તી માનવ-મૂલ્યાંકનોમાં સુધારા-વધારા કરવાની જરૂરત પણ સમજાય છે.

સાહિત્યસંશોધનક્ષેત્રે પણ વિશ્લેષણો ઘણાં જરૂરી છે, ઉપયોગી પણ છે. વિવિધ સિદ્ધાન્તો વચ્ચે પ્રવર્તતાં સામ્ય અને ભેદની જાણકારીથી સિદ્ધાન્તજ્ઞાન વિકસે, નવા સિદ્ધાન્ત રચવાનું સામર્થ્ય લાધે. સામ્પ્રતમાં, પીએચ.ડી. પદવીના આકાંક્ષુઓ વિશ્લેષણથી પ્રારમ્ભ કરે છે કે શેનાથી, તેની મને ખબર નથી, પણ તેઓને આટલી વાતથી વિશ્લેષણની સંશોધનમાં અકાટ્ય અનિવાર્યતા છે એ ખયાલ તો આવી જ જવો જોઈશે. એ સંદર્ભમાં, Literature search tools-નો વિનિયોગ કરવો જોઈશે.

મેં માહિતી મેળવી કે Google Scholar, MLA Handbook, કે Chicago Manual of Style એવાં ઑજારો છે. ગૂગલ, સાહિત્યના સંશોધકો માટે ઉપયોગી સર્ચ ઍન્જિન છે. એમાં, લેખો સામયિકો પુસ્તકો તેમ જ ડિસ્સર્ટેશન્સ પણ છે. ઍમ.ઍલ.એ. હૅન્ડબુક તેમ જ શિકાગો મૅન્યુઅલ ઑફ સ્ટાઇલ, સાહિત્યિક લેખો માટે જરૂરી એવી લખાવટની ગાઇડો છે. એ ઉમેરવાની જરૂર નથી કે આ ઑજારો પીએચ.ડી.ના માર્ગદર્શકો માટે પણ એટલાં જ ઉપયોગી છે.

વિશ્લેષણ નહીં પણ સંશ્લેષણ, વિવેચન કે સંશોધન નહીં પણ સર્જન, એમ સામા છેડાની સાહિત્યપ્રવૃત્તિ માટે Creative writing tools -નો વિનિયોગ કરવો જોઈશે. મેં માહિતી મેળવી કે Bard, GPT-3, કે QuillBot એવાં ઑજારો છે. આ ઑજારો અવનવાં વિષયવસ્તુઓ અને વિચારો પ્રેરે છે, જેનાં સંશ્લેષણથી કાવ્ય ટૂંકીવાર્તા લલિતનિબન્ધ વગેરે સર્જનો કરી શકાય એવી સહાય મળે છે.

‘એ.આઈ.’-ઑજારો પ્રયોજનારે એક શિસ્તબદ્ધ વ્યક્તિ તરીકે વર્તવું પડશે, ઘણું શીખવું પડશે :

૧ :

ઑજારો જેમ પોતાની મર્યાદાઓનો ખુલ્લા દિલથી સ્વીકાર કરે છે, એમ આપણે પણ એની આગળ (તેમ જ આપણા સૌ આગળ) જે ન જાણતા હોઈએ તે જણાવવું જોઈશે. એ પોતે પણ પોતાને વિશે હમેશાં એમ જ કહે છે કે – હું લાર્જ લૅન્ગવેજ મૉડેલ છું અને હજી બધું શીખું છું.

એ વિનમ્રતા છે અને જ્ઞાનીનું પરમ લક્ષણ છે, એનું અનુકરણ કરવું સૌના હિતમાં છે.

૨:

‘એ.આઈ.’ સાથે જોડાઈને કરવામાં આવતાં અધ્યયનો, કે કોઈપણ વ્યવહાર, કદી એકમાર્ગી નથી હોતો, હમેશાં ઇન્ટરઍક્ટિવ હોય છે. તેથી સૌથી વિશેષ નૉંધપાત્ર બાબત એ બને છે કે આપણને પ્રશ્નો કરતાં આવડવું જોઈશે; નહિતર, આપણા ભ્રાન્ત પ્રશ્નોને કારણે એ રવાડે ચડી જશે અને આપણને ય ચડાવશે. બાકી, આપણી વિશિષ્ટ જિજ્ઞાસાને એ એની મર્યાદામાં રહીને પૂરેપૂરી અચૂક સંતોષશે.

૩ :

ઘણાં ‘એ આઈ ’-ઑજારો પોતાના વપરાશની પદ્ધતિઓનું વીગતવાર ડૉક્યુમૅન્ટેશન રજૂ કરતાં હોય છે, એ માટે ટયુટોરિયલ્સ પણ યોજાયા હોય છે. એ જાણવાથી સાચી દિશાના પ્રશ્નો કરવાનું સૂઝશે, ભૂલો ઓછી થશે અને શરૂ થયેલી અધ્યયનપ્રક્રિયામાં આગળ વધાશે.

૪:

‘એ.આઈ.’-ઑજારોથી મળેલાં પરિણામો આપણા અધ્યયનમાં એક પૂર્તિ ગણાય. એને પ્રવર્તમાન પૂર્વવર્તી અધ્યયન-પદ્ધતિનો પર્યાય ન ગણાય. હું તો એમ પણ કહું કે એણે જે પરિણામો સંપડાવ્યાં એ માત્રસામગ્રી છે, અને તે પર કામ કરવું બાકી છે. એનો ગર્ભિત અર્થ એ છે કે એ પરિણામોને ઉપલબ્ધ માનવ-અધ્યયનો અને પુસ્તકો વગેરે સાથે જોડીને અધ્યયનને વિકસાવવાનું બાકી રહે છે. 

૫ :

સાથોસાથ, ‘એ.આઈ.’-ઑજારોએ આપેલાં પરિણામો પર પૂરો ભરોસો ન મુકાય, એનું વિવેક વાપરીને મૂલ્યાંકન કરવું જોઈશે. કેમ કે, ‘એ.આઈ.’ પોતે કહે છે એમ એ હજી વિકસી રહ્યું છે ને ભૂલો કરી શકે છે.

હમેશાં એ સત્ય યાદ રાખવું જોઈએ કે કૃત્રિમ બુદ્ધિથી કે કુદરતી બુદ્ધિથી ઉપલબ્ધ થયેલું જ્ઞાનમાત્ર અધૂરું છે કેમ કે જ્ઞાન અનન્ત છે. 

= = =

(10/14/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કૃત્રિમ બુદ્ધિ નૈસર્ગિક બુદ્ધિને પરાજિત કરી રહી છે 

રમેશ ઓઝા|Opinion - Opinion|15 October 2023

રમેશ ઓઝા

૨૧મી સદીમાં અચાનક વિકાસનો રથ થંભી ગયો છે. પ્રજાને હવે આપવા માટે કાંઈ જ નથી. નવી રોજગારી પેદા થતી નથી અને રળવાની ઉંમર ધરાવનારાઓની સંખ્યા વધી રહી છે. ઓછામાં પૂરું ટેકનોલોજીએ છલાંગ ભરી છે. ૨૦મી સદી સુધી માનવીના હાથો પાસેથી કામ છીનવી લેનારી મશીન આધારિત ટેકનોલોજી વિકસતી જતી હતી, પણ હવે ૨૧મી સદીમાં કૃત્રિમ બુદ્ધિકૌશલ્ય (આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ – એ.આઈ.) ધરાવનારી ટેકનોલોજી આવી રહી છે જેણે હાથ સાથે માથાને પણ નવરું કરવાનું શરૂ કર્યું છે. જગત આખામાં બેકાર યુવાન યુવતીની સંખ્યા વધી રહી છે અને એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. જગત જ્વાળામુખીનાં મોઢાં પર આવીને બેઠું છે.

કરવું શું? કોઈની પાસે આપવા માટે કશું જ નથી, પણ પ્રજાને કશાકમાં વ્યસ્ત રાખવી જરૂરી છે. બે ઉપાય છે; એક, પ્રજાને અસ્મિતાઓનો અમલ પીવડાવો, કેફમાં રાખો, એકાદ દુ:શ્મન પકડાવી દો, પોરસાવો, ડરાવો અને રડાવો. બે, પ્રજાને સોશ્યલ મીડિયા પર વ્યસ્ત રાખો. પહેલાં લોકો દિવસના આઠ કલાક ઉત્પાદક પ્રવૃત્તિ માટે ખર્ચ કરતા હતા, અત્યારે દિવસના આઠ કલાક જે તે સ્ક્રીન સામે ખર્ચે છે જેને સ્ક્રીન ટાઈમ કહેવામાં આવે છે. આઠ કલાકના સ્ક્રીન ટાઈમમાં લોકો ઝેરનો સંગ્રહ કરવાનું અને ઝેર ઓકવાનું કામ કરે છે. આવો ભય અને લઘુતાગ્રંથિ ધરાવતી પ્રજા કોઈકની આંગળી પકડવા અને કોઈકના ખોળામાં બેસી જવા તત્પર હોય એ તો સ્વાભાવિક છે. આમ પણ માનવી સમૂહમાંથી વ્યક્તિ બન્યો અને તેને સ્વતંત્રતા તેમ જ માનવીય અધિકારો મળ્યા ત્યારથી ભયભીત છે. સ્વતંત્રતા એક જવાબદારી છે અને માનવીને તેનાથી ભાગવું છે. હમણાં કોઈકે લખ્યું હતું કે કૃત્રિમ બુદ્ધિ નૈસર્ગિક બુદ્ધિને પરાજિત કરી રહી છે.

પ્રજાને ઉત્પાદક પ્રવૃત્તિમાં પરોવી રાખવી એ સહેલું કામ છે, પણ ફાલતુ ચીજોમાં પરોવી રાખવી એ અઘરું કામ છે. ઉત્પાદક પ્રવૃત્તિ તો માનવી પોતાની જાતે કરી લેશે કારણ કે તેમાં તેને લાભ દેખાય છે, ફાલતુ પ્રવૃત્તિમાં પરોવી રાખવા માટે જહેમત કરવી પડે છે. રોજ કહેવાતા દુ:શ્મનનું એક કહેવાતું કારસ્તાન સામે લાવવાનું. પછી તેને સાયબર સેલ અને પાળીતા મીડિયા દ્વારા લોકો સુધી પહોંચાડવાનું, લોકો પર ભયની કેટલી અસર થઈ રહી છે એ માપતા રહેવાનું. જો ભયભીત કરવા માટે દુ:શ્મનનું કોઈ કારસ્તાન જલદી ન જડે તો પોરસાવવા માટે મહાનતાની સ્ટોરી વહેતી કરવાની. માનવચિત્તની ચક્કીમાં ચોવીસે કલાક દળણું ઓરતા રહેવાનું એ કોઈ મામૂલી કામ છે!

એ પ્રચંડ જહેમતનું કામ છે અને એ સાથે ખર્ચાળ પણ એટલું જ છે. એમાં પણ જે દેશોમાં લોકતંત્ર હતું અને છે એ દેશોમાં એ વધારે ખર્ચાળ છે કારણ કે ત્યાં પ્રજાની આંખ ખોલનારાઓ પણ છે. એવા લોકો છે જે ધરાર ક્લોરોફોર્મની અસર હેઠળ આવવા તૈયાર નથી અને બીજા લોકોને ક્લોરોફોર્મની અસર હેઠળ આવતા રોકે છે. એ મૂર્છિત થવા તૈયાર નથી અને બીજાને સચેત કરે છે. આવા લોકોનું જે તે બહાને દમન કરવાનું અને પ્રજા તેમની અસર હેઠળ ન આવે તેનું ધ્યાન રાખવાનું. પાછા સચેત કરનારાઓ વધારે બુદ્ધિશાળી અને વધારે કલ્પનાશક્તિ તેમ જ મૌલિકતા ધરાવે છે. કલ્પના કરો, આ આખું તંત્ર કેટલું ખર્ચાળ હશે! અને એમાંથી જન્મે છે ક્રોની કેપિટાલિઝમ, જેનો અનુભવ જગત આખાને થઈ રહ્યો છે. આજે જગતની અડધોઅડધ સંપત્તિ માત્ર એક ટકો પ્રજાના કબજામાં છે. એ એક ટકો શાસકોના આંગળિયાત છે અને આજના નવ-મૂડીવાદના યુગમાં શાસકો તેમનાં આંગળિયાત છે. અત્યારે જગતને ક્રોની કેપિટાલિસ્ટોની જગ્યાએ ક્રોની રુલર્સનો નવો અનુભવ થઈ રહ્યો છે.

આ ક્યાં સુધી ચાલશે અને ક્યાં જઇને અટકશે એ આપણે જાણતા નથી. એક. કુદરત રૂઠી છે. બે.  આરોગ્યનો પ્રશ્ન વિકટ થઈ રહ્યો છે. ભારત મધુમેહની બીમારીની રાજધાની ગણાય છે. ત્રણ. રળવાની ઉંમર ધરાવતા હાથો પાસે કામ નથી અને ઉપરથી કૃત્રિમ બુદ્ધિકૌશલ્ય નૈસર્ગિક  બુદ્ધિની જગ્યા લઈ રહી છે. ચાર. કુપ્રચાર દ્વારા માનવચિત્તને અભડાવવામાં આવી રહ્યું છે અને પ્રજાનું ઝેરીલું ચિત્ત ભવિષ્યમાં શું અનર્થો કરશે એની કલ્પના કરતાં પણ થરથરી જવાય છે અને પાંચ. એક ભયભીત, દાધારીંગી, લઘુતાગ્રંથિથી પીડિત પેઢી અસ્તિત્વમાં આવી રહી છે જે શેક્યો પાપડ પણ ભાંગી નહીં શકે ત્યાં પુરુષાર્થ શું કરવાની? અને એ પણ એવે વખતે જ્યારે સમાજ પરનું સંકટ અભૂતપૂર્વ છે. જગતે ક્યારે ય જોયું નથી એવું વિકટ સંકટ ક્ષિતિજે નજરે પડી રહ્યું છે અને આપણે નમાલી પ્રજા પેદા કરી રહ્યા છીએ.

આનાથી બચવાનો ઉપાય છે અને એ ઉપાય છે; ધરાર ક્લોરોફોર્મની અસર હેઠળ નહીં આવવાનો. ધરાર મૂર્છિત નહીં થવાનો. મળેલી વ્યક્તિગત સ્વતંત્રતા ધર્મ, દેશ, પ્રદેશ, જ્ઞાતિના ઠેકેદારો અને પરિવારમાં પરિવારહિતના ઠેકેદાર પુરુષને તાસક પર પાછી ધરી નહીં દેવાનો. સ્વતંત્રતાથી નહીં ડરવાનો અને બીજાની સ્વતંત્રતાનો આદર કરવાનો. જ્યારે સંકટ નજીક આવશે અને ખરાખરીની પળ આવશે ત્યારે આવી ખુમારી જેણે જાળવી રાખી હશે એ પાર નીકળી જશે અને નમાલાઓ ખપી જશે.

આ પત્થરની લકીર છે અને તેમાં કોઈ મીનમેખ થવાનો નથી. જગતના તમામ પ્રતાપી લોકો પર એક નજર કરી જુઓ. એમાં બે લક્ષણો સમાન જોવા મળશે. તેઓ સ્વતંત્ર હતા અને પુરુષાર્થી હતા.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 15 ઑક્ટોબર 2023

Loading

માણસ યુદ્ધ માટે જન્મ્યો નથી : દર્શકનું દર્શન 

સોનલ પરીખ|Opinion - Literature|15 October 2023

‘હામ તો છે કે પાછો એક દિવસ આવીશ. તું એ વખતે નાહીને ભીને વાળે કપડાં સૂકવતી હોઈશ. એક–બે વાછરડાં તારી આજુબાજુ ફરતાં હશે. આપણી બોરસલીની ઘટામાં ચકલીઓ, પોપટ ખેલતાં હશે. તારી સાથે માથું ઘસવા આવતી વાછરડીને તું હસીને થોભી જવા કહેતી હોઈશ. એ હાસ્યને નીચું પડતું અટકાવી, ઝીલી લેવા હું આવીશ, પણ સંભવ છે કે ન પણ આવું … તારું હાસ્ય ને નિર્મલ તેજ ન વિલાય તે રીતે જીવન ગોઠવજે. જે પ્રેમ બાંધે છે, તે મોહનું છદ્મરૂપ છે.’

મનુભાઈ પંચોળી ‘દર્શક’

મનુભાઈ પંચોળી ‘દર્શક’ એટલે માત્ર સાહિત્યપુરુષ નહીં, સાહિત્યે તો એમના જીવનનો ત્રીજો ભાગ જ રોક્યો છે. બાકીના દર્શક શિક્ષણપુરુષ અને પ્રજાપુરુષ છે. વિમલાતાઈએ ‘સદભિ: સંગ’ની પ્રસ્તાવનામાં દર્શકને વર્ણવ્યા છે : ‘પિંડ દેશભક્તિનો, પૂજારી સત્યના, હાડોહાડ શિક્ષક, લોહીમાં સાહિત્યસર્જનની છોળો! કાવ્યપ્રેમ શબ્દાતીત. કોઠાસૂઝ રાજનીતિજ્ઞની. ઈતિહાસના મર્મજ્ઞ અને વર્તમાનના શિલ્પી.’ 29 ઑગસ્ટે દર્શકની પુણ્યતિથિ છે. વાત કરીએ દર્શકની અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’માં પ્રગટ થયેલા એમના દર્શનની.

મનુભાઈ પ્રાથમિક શાળાના શિક્ષકનાં આઠ સંતાનો પૈકી ચોથા. સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેવા નવમા ધોરણથી શાળા છોડી, સત્યાગ્રહી બન્યા અને જેલમાં જઈ આવ્યા. નાનાભાઈ ભટ્ટ સાથે પરિચય થતાં એમની સંસ્થાઓ ભાવનગરની દક્ષિણામૂર્તિ, આંબલાની ગ્રામદક્ષિણામૂર્તિ અને સણોસરાની લોકભારતીનાં સ્થાપના-સંચાલનમાં જોડાયા. વચ્ચે તળાજા પંથકનાં ગામોમાં લોકચેતના જાગ્રત કરવા મથામણ કરી.

દરમિયાન ભાવનગર રાજ્યના પ્રજાતંત્રમાં શિક્ષણ પ્રધાન, ગુજરાત વિધાનસભાના સભ્ય અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી બન્યા. શિક્ષણવિદ તરીકે ડેન્માર્કની તથા સાહિત્યકાર તરીકે ઇઝરાયલ, ઇંગ્લૅન્ડ-યુરોપ તથા અમેરિકાની યાત્રા કરી. રણજિતરામ સુવર્ણચંદ્રક, ‘સૉક્રેટિસ’ નવલકથા માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથા માટે ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર જેવાં સન્માન મેળવ્યાં. ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં અધ્યક્ષપદ શોભાવ્યાં.

આવા દર્શક વિશ્વઇતિહાસ, ધર્મતત્ત્વદર્શન, સાહિત્ય, રાજનીતિ, શિક્ષણશાસ્ત્ર, કૃષિવિદ્યા અને સમાજકારણના ઊંડા અભ્યાસી; પણ એમનું સર્જક-હાડ મધ્યકાલીન સંતપરંપરા, ગાંધીવિચાર, સૌંદર્યપ્રેમ અને જીવનરાગથી બંધાયેલું. કહેતા, ‘હજારોના ચિત્તને જે નિર્મળ, ઉજ્જવળ અને ઉદાત્ત કરે તેવું સાહિત્ય સર્જાવું જોઈએ.’ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથાને આ શબ્દોના અજવાળામાં જોઈએ, તો જ એનું સાચું તેજ આપણી ઝાંખી આંખમાં ઊગે.

ત્રણ ભાગમાં લખાયેલી આ નવલકથા પૂરી થતાં લગભગ ચાલીસ વર્ષ લાગ્યાં – ભાગ 1, 2 અને 3 અનુક્રમે 1952, 1058 અને 1985માં પ્રગટ થયા. વચ્ચે ‘સોક્રેટિસ’ લખાઈ. વાચકોવિવેચકોએ ખૂબ રસપૂર્વક, જિજ્ઞાસાપૂર્વક, પ્રેમપૂર્વક આટલાં વર્ષ રાહ જોઈ અને નવલકથાને એવી તો વધાવી લીધી કે ત્રણે ભાગોની અનેક આવૃત્તિઓ થઈ. 1989માં આર.આર. શેઠે કરેલી ત્રણ ભાગની સંયુક્ત આવૃત્તિનાં પણ એક ડઝનથી વધારે પુનર્મુદ્રણ થયાં. 

પહેલા ભાગમાં સત્યકામ અને રોહિણીનો ગોપાળબાપાની વાડીમાં થતો ઉછેર, લગ્નમાં ન પરિણમતો તેમનો પ્રણય, ગોપાળબાપાનું અવસાન, શીતળાને કારણે દૃષ્ટિ ગુમાવી બેઠેલા સત્યકામનો આત્મહત્યાનો પ્રયાસ, તેમાંથી બચી જતાં કેશવદાસ નામે ને સાધુરૂપે બૌદ્ધ ધર્મનો અભ્યાસ, હેમન્ત સાથેનું રોહિણીનું લગ્ન ને વૈધવ્ય, દિયર અચ્યુતના ઘડતરમાં રોહિણીની સક્રિયતા વગેરે મુખ્ય ઘટનાઓ છે. ગોપાળબાપાની ધર્મપરાયણ સેવાવૃત્તિ ને કુદરતને ખોળે ખીલતાં પુષ્પો જેવી જ સુંદર, કોમળ અને સુગંધી સત્યકામ-રોહિણીની પ્રણયકથા વાચકને પુલકિત કરે છે.

બીજા ભાગમાં બૌદ્ધ ધર્મનો વિશેષ અભ્યાસ કરવા સત્યકામ યુરોપ જાય છે. પ્રથમ વિશ્વયુદ્ધે વેરેલા વિનાશનો ભોગ બનેલાંઓના પુનર્વસવાટ માટે મથતાં જ્યોર્જ ક્લેમેન્શો, ભગિની ક્રિશ્વાઈન, વોલ્ટર રેથન્યૂ અને એમના કામમાં અવરોધો ઊભા કરનાર નાઝી-નેતા હેર કાર્લ જેવા પાત્રોની સાથે સંકળાતા પંડિત કેશવદાસની નોંધપોથીરૂપે ઊથલપાથલથી ઘેરાયેલા યુરોપની કથની વર્ણવાઈ છે. ત્રીજા ભાગમાં મહત્ત્વ ધારણ કરનાર અચ્યુતનો પાત્રવિકાસ પણ આ ભાગમાં જ થયો છે.

ત્રીજા ભાગમાં વર્ષો પછી કેશવદાસ તથા ડૉ. અચ્યુતનું સ્વદેશાગમન, રેથન્યૂના પુત્રોને વતન પહોંચાડવા માટે અચ્યુતનું ઈઝરાયેલ જવું, યહૂદી પ્રજાની વ્યથા, બીજા વિશ્વયુદ્ધમાં ભારતની બર્મા-સરહદે તબીબી સેવા આપતાં અચ્યુત-મર્સીનું પ્રસન્ન-દાંપત્ય તથા યુદ્ધ દરમ્યાન એમનું વિખૂટાં પડી જવું, નર્સ બનીને યુદ્ધમોરચે પહોંચેલી રેખા દ્વારા અચ્યુત-મર્સીનાં બાળકોનું જતન કરવું તેમ જ કથાના અંતે અચ્યુત, બાળકો અને રેખા તથા સત્યકામ અને રોહિણીનાં સુભગ મિલન જેવી ઘટનાઓ આલેખાઈ છે. યુદ્ધનાં તાદ્દશ વર્ણનો વચ્ચે સ્થવિર શાંતિમતિ સાથેની કેશવદાસ, જેમ્સ લેવર્ટી, ડૉ. અચ્યુત, બર્મી સેનાની ઓંગસો તથા જાપાની સેનાપતિ યામાશિટાએ કરેલ ધર્મમીમાંસા પણ નિરુપાઈ છે.

અંત સુખદ અને પ્રેમના-સેવાના કલ્યાણકારી વિકાસની શક્યતાઓ આપતો છે. કથા સુખાન્ત જણાય છે પણ જગતમાં વ્યાપેલા ઝેરની પ્રતીતિ આખી નવલકથામાં થતી રહી છે. રોહિણીની જેમ બહુ થોડા માણસો પોતાની પરવા કર્યા વિના સર્પદંશનું ઝેર ચૂસી શકે છે. આ જ રોહિણી અંતે ‘ધ્યાનમાં બહુ એકલું લાગતું હતું’ કહી સત્યકામને આલિંગે છે ત્યારે કેવી સહજ પ્રણયિની બની જાય છે!

અને સત્યકામ? એ કહે છે, ‘આ બ્રહ્માંડમાં આપણે તો સાવ રજકણ જેવાં છીએ, પણ ઈશ્વરે આપણા મનમાં બ્રહ્માંડમાં ય ન માય એટલું સુખ કેમ કરીને ગોઠવી દીધું હશે ?’ અને લખે છે, ‘હામ તો છે કે પાછો એક દિવસ આવીશ. તું એ વખતે નાહીને ભીને વાળે કપડાં સૂકવતી હોઈશ. એક-બે વાછરડાં તારી આજુબાજુ ફરતાં હશે. આપણી બોરસલીની ઘટામાં ચકલીઓ, પોપટ ખેલતાં હશે. તારી સાથે માથું ઘસવા આવતી વાછરડીને તું હસીને થોભી જવા કહેતી હોઈશ. એ હાસ્યને નીચું પડતું અટકાવી, ઝીલી લેવા હું આવીશ, પણ સંભવ છે કે ન પણ આવું … તારું હાસ્ય ને નિર્મલ તેજ ન વિલાય તે રીતે જીવન ગોઠવજે. જે પ્રેમ બાંધે છે, તે મોહનું છદ્મરૂપ છે.’

પણ, લેખકને તો વિશ્વઇતિહાસના પ્રવાહો, યુદ્ધની વિભિષિકા અને વિવિધ ધર્મશ્રદ્ધાઓ બધું આવરી લેવું છે. રઘુવીર ચૌધરીએ નોંધ્યું છે કે ‘વીસમી સદીના વૈશ્વિક મનુષ્યને અહીં ભારતીય નજરે જોવામાં આવ્યો છે.’ વિશાળ ફલક પર પથરાયેલી હોવાથી વાર્તાપ્રવાહમાં અકસ્માતોનો અતિરેક અને શિથિલતા બન્ને પ્રવેશ્યાં છે, છતાં અત્યંત સુંદર ગદ્ય, જીવંત પાત્રો અને કુશળ વાર્તાકલા કૃતિની મહત્તા પ્રગટ કર્યા વિના રહેતાં નથી. યુદ્ધની ભયાનકતા, કીડીઓથી ખવાઈ ગયેલા કાર્લના હાડપિંજરનું અને યામાશિટાએ કરેલી હારાકીરીનાં વર્ણનો અદ્દભુત છે. લેખકે બે વિશ્વયુદ્ધોનાં સાક્ષી બનતાં પાત્રો દ્વારા માનવધર્મની, કલ્યાણરાજની ઝંખના પૂરી થશે એવો રચનાત્મક નિર્દેશ આપ્યો છે. વાચકમાં મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષાનો ભાવ કેળવાતો આવે છે. મનના વિલય પછીની અવસ્થા – બ્રહ્મવિહાર વિશે સમજ કેળવાય છે. શાંતમતિ આહાર ઘટાડીને દેહ છોડવાના છે. કહે છે, ‘મરવાની પણ તૃષ્ણા નથી, સહેજે બધું થશે.’

કૃષિજીવન, સંતસંસ્કૃતિનું પવિત્ર વાતાવરણ, સંન્યસ્ત, પ્રેમ, અનુરાગ અને દામ્પત્ય, લગ્નમાં બ્રહ્મચર્ય, વૈધવ્ય, ભારતના આશ્રમજીવન સાથે પશ્ચિમનાં વિશ્વયુદ્ધોની ભૂમિકા, જર્મનોનો યહૂદીદ્વેષ, સત્યકામને મળતાં રેથન્યુ અને ક્રિશ્વાઈન જેવાં માનવતાપૂર્ણ પાત્રો, એમનાં મનોમંથનો, સંવાદો, પત્રો અને ડાયરીઓ રૂપે આવતાં વર્ણનો અને વિચારો – વાચકને જીવનનું એક બહુઆયામી ચિત્ર જોવા મળે છે.

કથાની પરિકલ્પના મનમાં આકાર લેતી હતી ત્યારથી જ દર્શક સ્પષ્ટ હતા કે વાચકને ક્યાંથી ક્યાં લઈ જવાનો છે ને ક્યાં પહોંચાડવાનો છે. પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે, ‘આ નવલકથા વેરાન કોતરોને જાતમહેનતે પલ્લવિત કરતા નિર્ગુણિયા સંતથી શરૂ થઈ, રાષ્ટ્ર અને જાતિના અભિમાનમાં અટવાયેલા યુરોપને આશ્વસ્ત કરી, મધ્ય પૂર્વમાં યહૂદીઓના જીવનસંગ્રામને સલામી આપી, મ્યાનમારની હજાર બુદ્ધની ગુફામાં સ્નાનશુદ્ધ થઈ કોરિયાના અવિસ્મરણીય ઘેરામાં પ્રવેશે છે.’

વિશ્વયુદ્ધની પરિસ્થિતિ આલેખતી વખતે તો દર્શકની વર્ણનશૈલી મહાકાવ્યને સ્પર્શે છે, પણ તેઓ જ્યારે યુદ્ધનું વર્ણન કરે છે ત્યારે તેમને આલેખવો તો હોય છે માનવીય મૂલ્યો માટેનો સંઘર્ષ. વાચકને પીડા, યાતના, ઘોર નિરાશા અને શ્રદ્ધાની કટોકટી સુધી લઈ જઈ, આ બધામાંથી પસાર કરાવીને દર્શક એવી પ્રતીતિ આપે છે કે વિશ્વનો કોઈપણ ખૂણો હોય, ‘માણસ યુદ્ધ માટે જન્મ્યો નથી, નહીંતર તેને મગર જેવા દાંત કે વાઘ જેવા પંજા કુદરતે આપ્યા હોત.’

હા, માણસ યુદ્ધો માટે જન્મ્યો નથી – પ્રેમ માટે જન્મ્યો છે. અને પ્રેમનો તો અનંત અર્થવિસ્તાર છે…

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 27 ઑગસ્ટ  2023

Loading

...102030...808809810811...820830840...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved