Opinion Magazine
Number of visits: 9741956
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામી ચૂંટણીએ જનતા મેનિફેસ્ટો : ‘પગડી સંભાલ જટ્ટા!’

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|13 March 2024

શિવ છત્રપતિનું હિંદવી સ્વરાજ હોય કે ક્રાંતિકારીઓને વહાલું મુક્ત ભારત હોય, કિસાન આંદોલન એ સંદર્ભમાં ખાસું વૈચારિક ખાણદાણ લઈને આવે છે. બને કે વર્તમાન સત્તાવિમર્શ પરત્વે તે એક સંસ્કારક ભૂમિકા ભજવી શકે

પ્રકાશ ન. શાહ

અવરોધ પર અવરોધ અને એવો જ અનિરુદ્ધ પ્રતિરોધ : કિસાન આંદોલન જેનું નામ, થંભવાનું નામ જ લેતું નથી. બને કે કેન્દ્ર સરકાર તરતમાં ચૂંટણી જાહેરાત સાથે આચારસંહિતાનું નિમિત્ત પકડીને એમાં ઝોલો પાડવાની ફિરાકમાં હોય.

મારો રસ જો કે આ લખતી વેળાએ કિસાન આંદોલને હાલના સત્તાવાર રાજકીય વિમર્શમાં જે સંસ્કારક વિચાર પ્રક્રિયા(કરેક્ટિવ થોટ પ્રોસેસ)નાં ઈંગિત આપ્યાં છે એમાં છે. ગયે મહિને, ત્રીજી ફેબ્રુઆરીએ ક્રાંતિકારી અજિતસિંહના જન્મદિવસનો યોગ ઝડપીને એમણે ‘પગડી સંભાલ જટ્ટા’ (‘તારું સ્વમાન સંભાળ, ઓ ખેડુબાળ!) દિવસ મનાવ્યો.

‘પગડી સંભાલ’ એ લડાકુ પત્રકાર બાંકે દયાલની ઐતિહાસિક એટલી જ યાદગાર રચના છે જેનું પ્રથમ જાહેર પઠન લાયલપુરમાં 1907ની બાવીસમી માર્ચે થયું હતું. બસ, નવ દિવસ અને એને 117 વરસ થશે. બ્રિટિશ સરકારે કિસાન વિરોધી જુલમી કાયદાઓનું એલાન કર્યું એના પ્રતિકાર રૂપે આ રચના આવી હતી.

અહીં કાયદાની વિગતોમાં નહીં જતાં એટલું જ નોંધીશું કે ખેતી માટેનાં પાણી પર આકરા વેરા ઉપરાંત સવિશેષ તો મોટો પુત્ર કાચી વયે મૃત્યુ પામે ત્યારે જમીનની માલિકી પરબારી સરકાર હસ્તક ચાલી જાય એવીયે જોગવાઈ હતી.

બે શબ્દો અજિતસિંહ વિશે. જુલમી કાયદાઓ સામે પંજાબભરમાં એમણે ઝંઝાવાતી ઝુંબેશ ચલાવી હતી. એ ભગતસિંહના કાકા હતા એમ ઓળખાણ આપવી સહેલી પડે પણ તે અક્ષરશ: અપૂરતી બલકે સપાટ ઓળખ છે. ઉત્કટ દેશભક્તિવશ અજિતસિંહે સૂફી અંબાપ્રસાદ અને જિયા ઉલ્લાહ વગેરે સાથે મળીને ‘મહેબૂબાને વતન’(ભારતમાતા સોસાઈટી)ની સ્થાપના કરી હતી અને 1907માં 1857નાં પચાસ વરસ થતાં હતાં એની ઉજવણીનીયે યોજના કરી હતી. સ્વાતંત્ર્ય ચળવળના ભાગ રૂપે એમણે જલાવતન જિંદગી ગુજારી. 

સરદાર અજિતસિંહ (1881-1947)

શરૂનાં વરસોમાં અહીં કુટુંબને એમની ખાસ ભાળ નહોતી ત્યારે લાંબે ગાળે ભગતસિંહને એમના સમાચાર એગ્નીસ સ્મેડ્લીના પત્રથી મળ્યા હતા. આ એગ્નીસ એક આઝાદમિજાજ અમેરિકી પત્રકાર હતી અને હિંદની આઝાદી, રૂસી ક્રાંતિ, ચીની ક્રાંતિ યુદ્ધ વગેરેમાં હાથ બટાવવા ને કલમ ચલાવવામાં એણે પોતાનો ધર્મ જોયો હતો. બર્લિનના દિવસોમાં એ અને ચટ્ટો – સરોજિની નાયડુના ક્રાંતિકારી ભાઈ વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય સદૈવ સહચરવત્ હતાં.

દાક્તર સુમન્ત મહેતાએ એમને મળવાનું થયું તે પછી માર્મિક ટિપ્પણી કરેલી કે ભટકતાં રામસીતાને પરણવાની ફુરસદ નહોતી. આપણે ત્યાં જવાહરલાલના નેતૃત્વમાં વચગાળાની સરકાર રચાઈ ત્યારે એમના વિશેષ પ્રયાસથી અજિતસિંહ જર્મનીની જેલમાંથી છૂટ્યા હતા અને દિલ્હીમાં નેહરુના મહેમાન તરીકે રહ્યા હતા. કથળેલી તબિયતે આરામ સારુ તેઓ ડેલહાઉસીમાં હતા ત્યારે 14-15 ઓગસ્ટની મધરાતે ‘ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની’નું ચિર યાદગાર સંબોધન રેડિયો પર સાંભળી ‘જયહિંદ’ના ઉરઘોષ સાથે એ ભાવસમાધિમાં સરી ગયા તે સરી જ ગયા.

અજિતસિંહ વિશે ને મિશે જરી લાંબે પને વાત થતાં થઈ ગઈ, પણ જે મુદ્દો હતો અને છે તે એ કે એમનું ક્રાંતિકારી રુઝાન રૂંવે રૂંવે કેવળ ભારતભક્તિમાં બદ્ધ નહોતું. એની સાથે ન્યાયી પરિવર્તનની દૃષ્ટિએ આર્થિક-સામાજિક કાર્યક્રમ અવિનાભાવ જોડાયેલો હતો. ‘પગડી સંભાલ જટ્ટા’ એ સંસ્થાનવાદ અને શોષણ સામેનું જનતાનું જાહેરનામું છે. આ લખતાં ભગતસિંહ થકી લોકપ્રિય બનેલો નારો ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ (લોંગ લિવ રેવોલ્યુશન) પણ સાંભરે છે. રામાનંદ ચેટર્જી ત્યારે ‘મોડર્ન રિવ્યૂ’ ચલાવતા. કહે છે કે આ સામયિકની રાહ જોવામાં વાઈસરોય અને ગાંધીજી બેઉ હતા. એમાં ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ના નારા વિશેની ભગતસિંહની નુક્તેચીની એમનાં યાદગાર લખાણો પૈકી છે. જોગાનુજોગ કહી જ દઉં કે આ નારો મૂળે તો સ્વાતંત્ર્ય લડવૈયા શાયર મૌલાના હસરત મોહાનીની ભેટ છે. (હવે તો મોહાની જો કે ‘ચૂપકે ચૂપકે રાત-દિન આંસુ બહાના યાદ હૈ, હમકો અબ તક આશિકી કા વો જમાના યાદ હૈ’ થકી ગુલામ અલી અને ‘નિકાહ’ની કૃપાએ યાદ હોય તો હોય.)

કિસાન આંદોલને આ દિવસોમાં દિલ્હીની ભાગોળે 19મી ફેબ્રુઆરીએ શિવ જયંતી પણ વિશેષ રૂપે મનાવી. હિંદુ-મુસ્લિમ ચોકઠામાં શિવાજીની જે એક ઠાકરે આવૃત્તિ ચલણમાં છે તેથી ઉફરાટે શિવાજી ઘટના અને હિંદવી સ્વરાજનું એક વિશિષ્ટ ચિત્ર સૌની સામે આવ્યું અને જોતીબા ફૂલે સરખા ઝુઝારુ સુધારક શા સારુ ‘શિવાજી તો અમારા શુદ્રોના રાજા’ એવું ભાવભર્યું વિધાન કરતા હશે તે સમજાયું. મુઘલ સત્તાથી માંડી મરાઠા ઠકરાતો સાથે લડતાં એમણે કિસાનોને એમનો હક અપાવ્યો. કુલકર્ણી, પાટિલ, દેશમુખ એ ભૂમિ માલિકો ને જાગીરદારો પાસેથી આ હકનું કિસાનોમાં સંક્રાન્ત થવું એ છતી રાજાશાહીએ સામંતવાદના હ્રાસની ઘટના હતી. સ્વરાજકાળમાં આગળ ચાલતાં ઢેબરભાઈ હસ્તક સૌરાષ્ટ્રમાં ગિરાસદાર-નાબૂદીનો જે જગન મંડાવાનો હતો એની નાન્દી ઘટના પણ તમે એમાં જોઈ શકો.

વિદુષી પુષ્પા ભાવેનું માર્મિક અવલોકન છે કે એમની રાજવટમાં જે સરદારો અગ્રસ્થાને આવ્યા તે બધા ઓ.બી.સી. તબકાના હતા. શહીદ પાનસરેએ પણ શિવાજી થકી શક્ય બનેલ સંક્રાન્તિ રૂડી પેરે ઉપસાવી છે. કમનસીબે પેશવાઈએ આ બધું કોરાણે મેલ્યું. પરિણામે, શિવ પરંપરામાં આવેલા શાહુ મહારાજે પણ સંકુચિત શાસ્ત્રજ્ઞોની ખફગી વહોરવા વારો આવ્યો.

હાલના સત્તાવિમર્શ અને પ્રાયોજિત સોશિયલ મીડિયાના ચીસોટા પરત્વે તથ્યમંડિત એવી જે સંસ્કારક સોઈ આ આંદોલન નિમિત્તે આવી મળી છે એ જરૂર સ્વાગતાર્હ છે. કબૂલ કે એક કોયલે વસંત નથી થતી, પણ એકાદા કોયલટહૂકે એનાં વધામણાં અવશ્ય સંભળાય છે. દેશમાં એક નાનોયે તબકો તો છે ને, જેને મણિલાલ દેસાઈની ઉંબરે ઊભી નાયિકા પેઠે વાલમબોલ સંભળાય છે … પગડી સંભાલ જટ્ટા!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 13 માર્ચ 2024

Loading

મંદિર સામે બરફ

અનુવાદક : નંદિતા મુનિ|Poetry|12 March 2024

જાપાનીઝ કવિ તોમોત્સુને (14મી સદી)ના એક કાવ્યનો મારો અનુવાદ.  

મંદિર સામે બરફ.

મંદિરની સુશોભિત વાડને

નહીં વટાવું હું.

ચોક્કસ ભગવાનને પણ

વાંધો હશે

પગલાં પડે એનો,

આ તાજા બરફ  પર.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અઠે દ્વારકા

વિપુલ કલ્યાણી|Mukaam London|12 March 2024

પંચતંત્રની એક વાર્તા સાંભરે છે. પોપટભાઈ અને કાગડાભાઈ કમાવાધમાવા જાય છે, તેની દાસ્તાઁ તેમાં વણાઈ છે. પોપટભાઈ એની સમજણ અનુસાર કમાયધમાય છે; કાગડાભાઈ તેની મતિ અનુસાર. આવું તો સત્યનારાયણની કથામાં આવતા સાધુ વાણિયાની વાતને પણ આપણે સંભારી શકીએ. ‘જાવે જે કો નર ગયો, ના’વે મંદિર માંય, જો આવે પાછો ફરી, તો પરિયા પરિયા ખાય.’

આળસુ કાગડો અને ઉદ્યમી પોપટની વાર્તા વાટે વાર્તાકાર વાચકને મજબૂત ઓઠા સાથે નીતિમત્તાના પાઠ ભણાવે છે અને વાચકના ઘડતર ચણતરનું કામ સુપેરે પાર પાડે છે. જ્યારે સાધુ વાણિયાની આ કથા દ્વારા કથાકાર આપણને સાચું બોલવાના લાભ શીખવી જાય છે અને ખોટું બોલ્યા કરવાથી જે તે નુકસાન થાય છે તે ભણી ઈશારાઓ માંડે છે.

આવી ‘પરિયા પરિયા ખાય’ની બીજી વાત માંડીએ તે પહેલાં, જાણીતા વિચારક લેખક-પત્રકાર રમેશ ઓઝાના તાજેતરના એક લેખનું આ લખાણ પણ જોઈ લઈએ :

રમેશભાઈ સવાલે છે, ‘વતનને છોડવું કે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરવું એ ગુનો છે? બેવફાઈ છે?’ અને પછી ખુદ જવાબ આલે છે : ‘જરા ય નહીં. આ જગતમાં કોઈ એવો માણસ નહીં મળે જે માનવજીવ જે જગ્યાએ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી એનાં એ સ્થળે રહેતો હોય. આપણે બધા જ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આગંતુક છીએ. આદિવાસીઓ એક જ સ્થળે રહેનારા કેટલા આદિમ છે એ કહેવું મુશ્કેલ છે. તેમણે પણ સો બસો કિલોમિટરનું સ્થળાંતર કર્યું હશે. કાર્લ માર્ક્સે કહ્યું છે કે જગતનો ઇતિહાસ વર્ગસંઘર્ષનો ઇતિહાસ છે. જુદા જુદા વર્ગોનાં હિતસંબંધો અથડાય છે અને અથડાયા જ કરે છે. આનાથી વધાર મોટું સત્ય એ છે કે જગતનો ઇતિહાસ માનવીય સ્થળાંતરનો ઇતિહાસ છે. માણસ ચાર પાંચ પેઢીથી વઘારે એક જ સ્થળે રહેતો નથી અને હવે તો તેમાં ઝડપ વધી છે.’

અને આગળ વધતાં, રમેશભાઈ પૂછી પાડે છે : ‘પણ માણસ પોતાનાં પ્યારા અને પરિચિત વતનને છોડે છે શા માટે? શા માટે પરાયા અને અપરિચિત લોકોની વચ્ચે રહેવા જાય છે? શા માટે જોખમ વહોરે છે?’

‘એકથી બીજી જગ્યાએ સ્થળાંરિત થવા માટે અનેક કારણો છે અને તેમાંના મોટા ભાગનાં કારણો માણસના જ પેદા કરેલાં હોય છે. કુદરત રૂઠે અને સ્થાળાંતર કરવું પડે એવી પણ ઘટનાઓ બને છે પણ આજકાલ એમાં પણ મોટાભાગે તો માનવી જ જવાબદાર હોય છે. માનવી કુદરત સાથે ચેડાં કરે છે અને કુદરત રૂઠે છે.’

•••

પૂર્વ ઇંગ્લૅન્ડના એસેક્સ પરગણામાં આવ્યા બેઝિલડન બરૉના એક નાના અમથા ગામ ‘રામ્સડેન બેલહાઉસ’ નામના એક ગામની આ વાત છે. પાટનગર લંડનથી આશરે 43 કિલોમિટર દૂરને અંતરે આવેલા, હાલ આશરે નવસો જણની વસ્તીવાળા, આ ગામ અંગે ‘ડૂમ્સડે બૂક’માં તો સને 1086થી નોંધ જોવા મળી છે.

ક્રાઉચ નામનો રળિયામણો એક વોંકળો ય ગામ વચ્ચેથી વહ્યા કરે છે. વળી, ગામ વચ્ચાળે, પાઘડી પને ચર્ચ રોડ છે અને તેની પર એક પા ‘વિલેજ હૉલ’ છે અને સામેની તરફે પબ્લિક હાઉસ છે. વિલેજ હૉલની બીજી બાજુ, Hemmings Too નામે એક મોટી દુકાન છે. જીવન જરૂરિયાતની, ખાધાખોરાકીની સામગ્રીનો ધંધોધાપો કરતી આ દુકાનમાં સબ-પૉસ્ટ ઑફિસ પણ છે. આશરે ત્રણેક દાયકાથી તો કિશોરી અને જય રાવલ સુપેરે આ દુકાન ચલાવે છે. આ દંપતીની દાસ્તાઁની વાત અહીં માંડવી છે.

જય રાવલ

કિશોરી રાવલ

જય રાવલનાં દાદાદાદી કેન્યાના નકુરુ શહેરે એક વેળા દુકાન ચલાવતાં. જ્યારે કિશોરીનાં દાદાદાદી તો મૂળગત ટૅન્ઝાનિયામાં સ્થાયી થયેલાં. મોશી, અરુશા, મ્બુલુ, મ્ટોવામ્બુ જેવાં નાનાંમોટાં ગામોમાં એમને ધંધાધાપાનો અનુભવ. એ અનુભવ તેનાં માવતરની રગોમાં પણ ઊતરેલો ભળાતો. કિશોરીના દાદા, કેશવજીભાઈના મોટાભાઈ, મગનલાલભાઈ અને નાનાભાઈ, ભગવાનજીભાઈને પણ આવા ધંધાનો નખશીખ અનુભવ. આમ કિશોરી અને જયની નસોમાં લોહી જોડે ધંધાધાપાનો વારસો વહેતો ભળાય.

ગઈ સદીના નવમા દાયકામાં, કિશોરી અને જય પૂર્વ ઇંગ્લેન્ડના પરગણા એસેક્સની મુલાકાતે ગયેલાં. બેઝિડલ નામે ગામની પડખે, ક્રેય્ઝ હિલ નામે નાનકું અને તરત ગમી જાય તેવું નાનું ગામ. રળિયામણો વિસ્તાર. તેમાં જયના મોટાભાઈ દિલીપ કને ‘હેમિંગ્સ’ નામે મોટી દુકાનનો માલિકી હક. પોસ્ટ ઑફિસની સગવડ સમેતનો મોટો ભંડાર જ જાણે જોઈ લો. દુકાન, વેપારવણજ, ચોપાસનો વિસ્તાર દંપતીને મનમાં ખૂબ જ વસી ગયો. ત્રણ દાયકા પહેલાની જ આ વાત. અને એમણે આવા કોઈક વિસ્તારમાં, પલોંઠ લગાવીને મચી રહેવાનો મનસૂબો કર્યો. અને 1993ના અરસામાં, બાજુના રામ્સડેન બેલહાઉસ ગામે એક દુકાન ભાડાપેટે ખરીદી સારુ બજારમાં આવતાં, ખરીદવાનું ગોઠવી કાઢ્યું.

ત્રણ દાયકાને ઓવારે, કિશોરી – જય હવે તો બન્ને એ દુકાનના, ઈમારતના માલિક પણ છે.

રામ્સડેન બેલહાઉસ. નાનું ગામ. રળિયામણું. મોટા મોટા બગીચાવાળા છૂટા પટમાં મકાનોની બાંધણી. આ મકાનોના વસવાટીઓને પરોઢિયે તાજાં છાપાં પહોંચતાં કરવાનું કામ કિશોરીએ હાથમાં લીધું. મીઠી જીભાન અને ઘરાકને સાંચવી લેવાની સમજણ કેળવી. બન્ને યુવાન અંગ્રેજીનાં જાણકાર. કુનેહે ઘરોબો વધારતાં ગયાં. દુકાન ચલાવવા કર્મચારીઓની ગોઠવણ પણ કરી અને દરેક જોડે માનવતાભર્યો એખલાસવાળો વર્તાવ. દરેક ઘરાક સાથે અંગત ઘરોબો જોડાતો ગયો અને મીઠાશ વધતી ગઈ. નિર્વ્યાજ સ્મિત સાથે ઘરાકને આવકારે, નામથી બોલાવે અને ખબરઅંતર પણ પૂછે. આમ જાણે કે ઓરસિયે ચંદન ઘસાતું રહ્યું અને ચોમેર સુગંધી પ્રસરતી ચાલી.

ચોમેર મોંધાદાટ મકાનો હોય અને એકમેકથી ચડિયાતાં વાહનોની દોટમ્‌દોટ હોય તેવા આ ગામની બીજી ખાસિયત સીધી નજરે ન પડે છતાં, રામ્સડેન બેલહાઉસમાં નકરી બિરાદરી જ નીતરતી જોવાની સાંપડે. અને તેનો પૂરો જશ જૈફ વયના લોકોને વરે છે. જેમ જેમ ગામ વિકસતું જાય છે તેમ તેમ આવા મનમેળ અને ભાઈચારાને પણ મજબૂતાઈનાં મૂળ જોર પકડતાં જાય છે.

‘એસેક્સલાઈવ’ સમાચારસંસ્થા જોડે વાત કરતાં, કિશોરી રાવલે, ફેબ્રુઆરી 2022માં, આ જ વાત જોશપૂર્વક મૂકી આપેલી. જૈફ વયની આ ખેલદિલી, આ સમજણને કારણે આ ભાઈચારો એવો જામ્યો છે કે તે હવે નવાં આગંતુકોમાં ય તે ફરી વળ્યો છે. કિશોરી કહેતાં હતાં, આ બધું મને પોરસાવે છે કેમ કે આ સમાજ કેવો સરસ તેમ જ સમરસ છે તેની સુગંધ ચોમેર પ્રસરતી જ આપણે અનુભવીએ છીએ ને.

અમને દરેકને સાથમાં રાખવા જાણે કે વડીલ જૂથે હામ ભીડી હોય, અને દરેકને જોડતાં જોડતાં સામાજિક પ્રસંગો ઊભા કરાતા હોય, તેવો જાત અનુભવ રહ્યા કર્યો છે. તેથીસ્તો, પરિણામે, અમે જુવાનિયા પણ તેમાં પૂરેવચ્ચ ને સક્રિયપણે સામેલ રહીએ છીએ. 

•  

કમભાગ્યે, છેલ્લાં પાંચેક વર્ષ દરમિયાન, જયની તબિયત લથડતી ચાલી. એક પા કોવીડનો કેર; બીજી પા, જય ઇસ્પિતાલમાં. મોટે ભાગે તો એ બેભાનાવસ્થામાં જ સરકી પડ્યા. ઘરની, વરની, દુકાનની સઘળી જવાબદારીઓ કિશોરીને માથે આવી પડી. આ હિંમતવાન મહિલાએ દરેક વેળા મગરૂરીથી મારગ કાઢવાનો રાખ્યો. અને આવી વિપરીત પરિસ્થિતિ વચ્ચાળે જયે, 63 વર્ષની ઉમ્મરે, માયા સંકેલી લીધી. એ દિવસ હતો 11 નવેમ્બર 2022.

અને પારાવાર વેદના છતાં, કિશોરી એકલાં નહોતાં, સારું ગામ એની અડખેપડખે હતું. ગ્રામજનોએ કિશોરીને સાંચવી લીધાં. અને બીજી પાસ, જાણે કે સમગ્ર ગામ, તેમ જ ચોપાસનો અડોશપડોશ જયની અંતિમક્રિયા વેળા હાજરાહજૂર. અંતિમક્રિયા પછી, ગામના વિલેજ હૉલમાં, જાણે કે ગ્રામજન ખડે પગે હાજર ને હાજર. સૌએ જયને વિદાય આપી અને સમાજની રીતિનીતિ અનુસાર, ગ્રામજનોએ જયનાં માનમાં અંગત સ્નેહીજનોની જોડાજોડ, રોટલા/રોટલી, ખીચડી અને શાક આરોગી કિશોરી અને પરિવારને શાતા આપતાં હતાં.

આટલં ઓછું હોય તેમ, વળી, ગ્રામજનોએ સાર્વજનિકરૂપે જયની સ્મૃતિમાં, ‘હેમિંમ્ગ સ્ટોર ટૂ’ની તદ્દન બાજુમાં, કાયમી ધોરણે, એક બાંકડો નિયત કર્યો તેમ જ એ બાંકડા પર તકતી જડી આપી : “Enjoy the sunshine here in memory of Jay. Sit for a while and watch the world go by.”

•

સાડાછસ્સો વરસ પહેલાં ગુજરાતના સંજાણ બંદરે બનેલી ઐતિહાસિક ઘટના સાંભરી આવી. ઈરાનથી આવેલી આ જમાતને તત્કાલીન હિન્દુ રાજા જદી રાણાએ દૂધનો પ્યાલો પાઠવ્યો. તેમાં આગંતુકોએ સાકર ઊમેરી રાજાને પરત કર્યો. કહે છે, રાજા ભારે પ્રસન્ન હતા અને એમણે પારસીઓને રહેવાની પરવાનગી આપી. નજીકના ગામ ઉદવાડામાં આ જમાતે પોતાનું મથક ઊભું કરી કાઢ્યું. આજે ય સમાજના દરેક સ્તરે આ પારસીઓ દૂધમાં સાકર ભળે તેમ ભળીને જ રહ્યાં છે ને. બસ, કદાચ, એમ જ, કિશોરી – જય, અને એમનાં જેવાં બીજાં અનેકો આ ભૂમિમાં ઓતપ્રોત થઈને રહ્યાં છે અને પોતાનું વતન જાણી જીવન વ્યતીત કરતાં આવ્યાં છે. 

પાનબીડું : 

હું માણસ છું કે?

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે?
આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઈ જનમની હજી કનડતી ઇચ્છાઓથી જીવતર લથબથ ભીંજે,
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે?

આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

છાતી અંદર શ્વાસ થઈને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો
હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો
ફિલસૂફોનાં ટોળાં વચ્ચે એકલવાયો અવાજ લઈને રખડું છું હું માણસ છું કે?

ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?

                                                                  – ચંદ્રકાન્ત શાહ

[1,287 શબ્દો]
હેરૉ, 11/2 માર્ચ 2024
e.mail : vipoolkalyani.opinion@btinternet.com

Loading

...102030...797798799800...810820830...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved