Opinion Magazine
Number of visits: 9457573
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીનું પ્રથમ ચરિત્ર લખનાર : અવંતિકાબાઈ ગોખલે

ટીના દોશી|Gandhiana, Opinion - Opinion|21 October 2023

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રથમ ક્રમાંકે જેની ગણના થાય છે, એવા ચંપારણ સત્યાગ્રહમાં એ સહભાગી થયેલાં, મહાત્મા ગાંધીજીનાં પ્રથમ ભારતીય પટ્ટશિષ્યા બનેલાં અને ગાંધીજીનું પહેલું ચરિત્ર પણ એમણે જ લખેલું …. ઓળખ્યાં એમને?

અવન્તિકાબાઈ ગોખલે

એમનું નામ અવંતિકાબાઈ ગોખલે. મરાઠીભાષી સ્વતંત્રતા સેનાની. નિઃસ્પૃહી, સ્પષ્ટવકતા અને અનુશાસનપ્રિય સેનાની તરીકે આઝાદી આંદોલનમાં જાણીતાં થયાં. એમનાં પ્રયત્નોને પરિણામે મુંબઈમાં સેંકડો સ્ત્રીઓ મીઠાના સત્યાગ્રહમાં સામેલ થયેલી. સ્ત્રીઓના વ્યક્તિત્વ વિકાસ માટે અને સ્ત્રી સશક્તિકરણ માટે ‘હિંદ મહિલા સમાજ’ની સ્થાપના એમણે કરેલી. મિલમાં કામ કરતી મજૂર સ્ત્રીઓનાં બાળકો માટે એમણે દેશમાં પ્રથમ ઘોડિયાઘર શરૂ કરેલું.

અવંતિકાબાઈ ગોખલેનો જન્મ ૧૮૮૨માં ઈન્દોરમાં થયો. પિતા વિષ્ણુપંત જોશી ઈન્દોરમાં રેલવેના પ્રામાણિક કર્મચારી હતા. એ સમયમાં કન્યાશિક્ષણનું પ્રચલન ન હોવાને કારણે પિતાએ અવંતિકાને ભણાવ્યાં નહોતાં. વળી પુરાણી પરંપરાઓને વળગી રહીને એમણે અવંતિકાને નવ વર્ષની વયે બબનરાવ ગોખલે સાથે પરણાવી દીધાં. બબનરાવના ઘરમાં સુધારક વિચારોનું ચલણ હતું. એથી નિરક્ષર અવંતિકાને એમનાં સાસુએ કામચલાઉ મરાઠી ભણાવી દીધી. પરંતુ કેટલાંક વર્ષો બાદ બબનરાવ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા વિલાયત ગયા, ત્યારે તેમણે ચીમકી આપી કે, મારા વિદેશ પ્રવાસ દરમિયાન અવંતિકા અંગ્રેજી નહીં શીખી લે તો હું કોઈ પરદેશી મેમ સાથે વિવાહ કરીને એને ઘેર લઈ આવીશ. … અવંતિકા ગભરાઈ ગયાં. ડરના માર્યા એકાદબે વર્ષમાં જ અંગ્રેજી ભાષા શીખી ગયાં.

દરમિયાન બબનરાવ વિલાયતમાં સાત વર્ષ રહીને, ભણીને અને કામનો અનુભવ મેળવીને ભારત પાછા ફર્યા. એક યાંત્રિક દુર્ઘટનામાં આંગળીઓ સહિત હાથનાં પંજા કપાઈ ગયા. ભવિષ્યનો વિચાર કરીને બબનરાવે અવંતિકાને નર્સિંગનું શિક્ષણ પ્રાપ્ત કરવાની મંજૂરી આપી. એક વર્ષ સુધી તાલીમ લીધા બાદ અવંતિકાબાઈએ પરીક્ષા આપી. પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયાં. ઘરની આર્થિક સ્થિતિ સમૃદ્ધ હોવાથી પરિચારિકા તરીકે નોકરી એમણે ન કરી, પરંતુ રોગીઓની સુશ્રુષા કરવામાં પાછું વળીને ન જોયું. આ અરસામાં બબનરાવે દીવાસળીનું કારખાનું નાખ્યું. ભારતમાં હજુ સ્વદેશી આંદોલન શરૂ થયું નહોતું. નાનીમોટી સાધનસામગ્રી વિદેશથી તૈયાર થઈને આવતી. બબનરાવ દેશમાં જ ઉત્પાદન કરીને સ્વદેશી ચીજવસ્તુઓ બનાવવાના પક્ષે હતા. એક વાર ડાયનામાઈટનો વિસ્ફોટ કરીને પ્રયોગ કરી રહ્યા હતા, ત્યારે એમનો હાથ બૂરી રીતે ઘવાયો. અવંતિકાબાઈએ તરત જ પોતાની સાડી ચીરીને પતિના જખમ પર પાટો વીંટી દીધો. લોહી નીકળવાનું બંધ થયું. પછી ડૉક્ટર પાસે લઈ ગઈ. પતિની શસ્ત્રક્રિયામાં ડૉક્ટરની મદદ કરી. બબનરાવના પંજા તો કપાયેલા હતા જ, જમણો હાથ પણ કલાઈથી છૂટો થઈ ગયેલો. બબનરાવને ઓશિયાળા હોવાનું અનુભવાયું. અવંતિકાબાઈએ સ્નેહ નીતરતા સાદે કહ્યુંઃ “તમારી આંગળીઓ કપાઈ ગઈ છે તો શું થયું? મારી તો દસેય આંગળીઓ સલામત છે. હું છું ત્યાં સુધી તમારા સુધી કોઈ તકલીફ પહોંચી નહીં શકે.”

અવંતિકાબાઈએ બબનરાવને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ ચીવટ રાખી. દરમિયાન ૧૯૧૩માં ઈચલકરંજીનાં રાણી સાથે ઇંગ્લેન્ડ જવાનો અવસર મળ્યો. ત્યાં પ્રતિષ્ઠિત ઘરની મહિલાઓને સામાજિક કાર્યો કરતી જોઈને અવંતિકાબાઈને પ્રેરણા મળી. ભારત પાછા ફરીને એ સમાજસેવામાં પરોવાયાં. ભારત સેવક સમિતિના કાર્યકર્તા દેવધરના માર્ગદર્શનમાં મુંબઈની પ્રખ્યાત સંસ્થા સેવાસદનમાં કાર્યરત થયાં.

આ ગાળામાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા. એ હજુ મહાત્મા તો નહોતા બન્યા, પણ એમનાં કાર્યોને પગલે ગાંધીના નામનો ડંકો વાગેલો. અવંતિકાબાઈએ ગાંધીજીનું નામ સાંભળેલું. પણ સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન શ્રીનિવાસ શાસ્ત્રીએ ગાંધીજીનો પરિચય ગોખલે દંપતી સાથે કરાવ્યો. ગાંધીજી હીરાની પરખ કરી જાણનારા કુશળ ઝવેરી હતા. અવંતિકાબાઈની શક્તિ પિછાણી. અવંતિકા પણ પહેલી નજરે જ ગાંધીજીથી પ્રભાવિત થયાં.

માળામાં એક પછી એક મણકા પરોવતા જાય એમ પ્રસંગોના અંકોડા સાંકળ બનીને ગોઠવાતા ગયા. પરિણામે ગાંધીજીના નેતૃત્વમાં બિહારમાં આઝાદી આંદોલનનો સૌથી પહેલો ચંપારણ સત્યાગ્રહ થયો. અવંતિકાબાઈ સત્યાગ્રહી બન્યાં. ગાંધીજીના શબ્દોમાં કહીએ તો, ચંપારણ જનક રાજાની ભૂમિ છે. ચંપારણમાં જેમ આંબાનાં વન છે તેમ ત્યાં સને ૧૯૧૭માં ગળીનાં ખેતરો હતાં. પોતાની જ જમીનના ત્રણ વિશાંશ ભાગમાં ચંપારણના ખેડૂતો ગળીનું વાવેતર તેના મૂળ માલિકોને સારુ કરવા કાયદેથી બંધાયેલા હતા. આનું નામ તીનકઠિયા કહેવાતું હતું. વીસ કઠાનો ત્યાંનો એક એકર ને તેમાંથી ત્રણ કઠાનું વાવેતર એનું નામ તીનકઠિયાનો રિવાજ. ગળીની ખેતીને કારણે જમીન ખરાબ થતી. ખેડૂતોની દુર્દશા થતી.

ચંપારણના એક ખેડૂત રાજકુમાર શુક્લના પ્રેમભર્યા આગ્રહથી ગાંધીજી ત્યાંના ખેડૂતોની દયનીય પરિસ્થિતિની જાતતપાસ માટે ગયેલા. એમને લાગ્યું કે ચંપારણમાં બરોબર કામ કરવું હોય તો ગામડાંમાં કેળવણીનો પ્રવેશ થવો જોઈએ. લોકોનું અજ્ઞાન દયાજનક હતું. ગામડાંનાં છોકરાં રખડતાં હતાં. અથવા માબાપો તેમને દિવસના બે કે ત્રણ પૈસા મળે તેટલા સારુ આખો દહાડો ગળીનાં ખેતરોમાં મજૂરી કરાવતાં. આ સમયે પુરુષોની મજૂરી દસ પૈસા કરતાં વધારે નહોતી. સ્ત્રીઓની છ પૈસા અને બાળકોની ત્રણ, ચાર આનાની મજૂરી મળે તે ખેડૂત ભાગ્યશાળી ગણાય.

ગાંધીજીએ પોતાની આત્મકથા ‘સત્યનાં પ્રયોગો’માં ચંપારણ સત્યાગ્રહની ભૂમિકા બાંધતાં નોંધ્યું છે કે, “સાથીઓ સાથે ઠરાવ કરી છ ગામડાંમાં પ્રથમ તો બાળકોને સારુ નિશાળ ખોલવાનો ઠરાવ થયો. શરત એવી હતી કે, તે તે ગામડાંનાં આગેવાનોએ મકાન અને શિક્ષકનું ખાવાનું આપવું, તેનું બીજું ખર્ચ અમારે પૂરું પાડવું. અહીંનાં ગામડામાં પૈસાની છોળ નહોતી, પણ અનાજ વગેરે પૂરું પાડવાની લોકોની શક્તિ હતી, એટલે લોકો કાચું અનાજ આપવા તૈયાર થઈ ગયા હતા. શિક્ષકો ક્યાંથી લાવવા એ મહાપ્રશ્ન હતો. મારી કલ્પના એ હતી કે, સામાન્ય શિક્ષકના હાથમાં બાળકો ન જ મુકાય; શિક્ષકને અક્ષરજ્ઞાન ભલે ઓછું હોય, પણ તેનામાં ચારિત્રબળ જોઈએ.’’

આ કામને સારુ ગાંધીજીએ સ્વયંસેવકોની જાહેર માગણી કરી. અવંતિકાબાઈ ગોખલેને તેડું મોકલ્યું. મુંબઈનાં સુશિક્ષિત, સભ્ય સમાજનાં હતાં. આલીશાન ઘરમાં રહેતાં. વીજળી અને ગેસની સુવિધા એમને ઉપલબ્ધ હતી. પરંતુ બિહારમાં જે ગામમાં રહેવાનું હતું ત્યાં ફાનસની સગવડ મેળવવી પણ અઘરું હતું. છતાં ગાંધીજીનો આદેશ થતાં જ બબનરાવ અને અવંતિકાબાઈ મુંબઈથી ચંપારણ જવા નીકળી પડ્યા. પતિપત્ની હંમેશાં રેલમાં બીજા વર્ગમાં પ્રવાસ કરતાં, પણ ગાંધીજીના આદેશથી બિહાર જઈ રહ્યાં હોવાથી ત્રીજા વર્ગમાં મુસાફરી કરીને ચંપારણ પહોંચ્યાં. ગાંધીજીએ પુત્ર દેવદાસને ગોખલે બેલડીને સ્ટેશને તેડવા માટે મોકલ્યો ત્યારે કહ્યું : “અવંતિકાબાઈ ત્રીજા વર્ગમાં આવશે તો જ એમને અહીં રાખીશ, નહીંતર મુંબઈ ભેગાં કરી દઈશ.” પણ દેવદાસ રેલવેના બીજા વર્ગમાં તપાસ કરીને ખાલી હાથે પાછો આવ્યો. ગાંધીજીને કહ્યું, “અવંતિકાબાઈ તો આ ગાડીમાં આવ્યાં નથી.” ત્યાં સુધીમાં અવંતિકાબાઈ તો ગાંધીજી પાસે પહોંચી ગયેલાં. ગાંધીજી કહે, “મેં તો પહેલાં જ કહેલું કે અવંતિકાબાઈ ત્રીજા વર્ગમાં આવશે.”

અવંતિકાબાઈ ઉપરાંત દક્ષિણથી આનંદીબાઈ આવ્યાં. મહાદેવ દેસાઈનાં પત્ની દુર્ગાબહેન તથા નરહરિ પરીખનાં પત્ની મણિબહેન પણ આવ્યાં. કસ્તૂરબાઈ આવી ગયાં. આટલો શિક્ષકો અને શિક્ષિકાઓનો સંઘ પૂરતો હતો. ગાંધીજીએ નોંધ્યું છે કે, ‘બહેનોને સમજાવી કે તેમણે છોકરાંને વ્યાકરણ નહીં પણ રીતભાત શીખવવાની છે, વાંચતાંલખતાં કરતાં તેમને સ્વચ્છતાના નિયમો શીખવવાના છે. હિંદી, ગુજરાતી, મરાઠી વચ્ચે મોટો ભેદ નથી એ પણ તેમને બતાવ્યું, ને પહેલાં વર્ગમાં તો માંડ આંકડાઓ માંડતાં શીખવવાનું હોય એટલે મુશ્કેલી ન જ આવે. પરિણામ એ આવ્યું કે, બહેનોના વર્ગ બહુ સરસ રીતે ચાલ્યા. બહેનોને આત્મવિશ્વાસ આવ્યો ને તેમને પોતાના કામમાં રસ પણ આવ્યો. અવંતિકાબાઈની શાળા આદર્શશાળા બની. તેમણે પોતાની શાળામાં પ્રાણ રેડ્યો. તેમની આવડત પણ પુષ્કળ હતી.

સ્વયં ગાંધીજીએ અવંતિકાબાઈની પ્રશંસા કરવી પડે એવું અદ્દભુત કામ એમણે કરી બતાડેલું. પણ એનાથીયે મોટું કામ એમણે એ કર્યું કે ગાંધીજીનું પ્રથમ ચરિત્ર લખ્યું. ચંપારણમાં મહાત્મા ગાંધીના માર્ગદર્શનમાં સ્વયંસેવિકાઓને કામ કરતી જોઈને અવંતિકાબાઈને ગાંધીજીનું ચરિત્ર લખવાનો વિચાર આવ્યો. મનમાં થયું કે આટલા મહાન મહાત્માના ચરિત્રને અક્ષરદેહે કંડારવાનું કામ મારા જેવી અલ્પમતિ સ્ત્રી કરે એ તો નાના મોંએ મોટી વાત કરવા જેવું થાય. પણ પછી વિચાર્યું કે જે રીતે પ્રભુનાં ગુણગાન કરવાનો અધિકાર સહુને છે, એ રીતે મહાત્માના ગુણોની ભક્તિ કરવાનો અધિકાર સૌને એક સમાન છે. આ ભાવનાથી પ્રેરાઈને અવંતિકાબાઈએ ભગીરથ કામ હાથ ધર્યું. ૧૯૧૮માં અવંતિકાબાઈ ગોખલે લિખિત ‘મહાત્મા ગાંધી યાંચે ચરિત્ર-વિશેષ પરિચય, લેખ વ વ્યાખ્યાન’ શીર્ષક સાથે ગાંધીજીનું સર્વપ્રથમ ચરિત્ર મરાઠી ભાષામાં પ્રકાશિત થયું. પ્રસ્તાવનામાં લોકમાન્ય ટિળકે સાચું જ કહ્યું છે કે, ભવિષ્યના ચરિત્રલેખકો માટે આ પુસ્તક દિશાદર્શકનું કામ કરશે!

મહાત્મા ગાંધીજીના મૃત્યુ પછી બે જ મહિનામાં ૨૫ માર્ચ ૧૯૪૮ના ગાંધીજીનાં પટ્ટશિષ્યા એવાં અવંતિકાબાઈનું નિધન થયું. પરંતુ આજે પણ ગાંધીજી વિશેનું એમનું પુસ્તક જીવનચરિત્રના લેખકો માટે સાચા અર્થમાં દિશાદર્શક બની રહ્યું છે!

સૌજન્ય : “કોડિયું”; ઑક્ટોબર 2023; પૃ. 99-101
મુદ્રાંકન સૌજન્ય : વલ્લભભાઈ નાંઢા તેમ જ કેતનભાઈ રુપેરા

Loading

ચલ મન મુંબઈ નગરી—219

દીપક મહેતા|Opinion - Opinion|21 October 2023

એશિયાની સૌથી મોટી કાપડ બજાર બંધાવનાર મૂળજી જેઠા હતા કોણ?    

પાત્રો : સ્વામી આનંદ (૧૮૮૭-૧૯૭૬), રતનજી ફરામજી વાછા (૭૮ વરસની ઉંમરે બેહસ્તનશીન થયા, ૨૨ ઓગસ્ટ ૧૮૯૩) અને આપનો નાચીઝ દી.મ.

વાછા શેઠ : મિસ્ટર મહેતા, આજે વાતની શુરુઆત હું કરસ અને તે બી તમુને એક સવાલ પૂછીને. બોલો, આપના આખા એશિયા ખંડની સૌથી મોટ્ટી ક્લોથ માર્કેટ કાં આવેલી છે, અને તેનું નામ સુ?

દી.મ. : આપ કહો છો તે ક્લોથ માર્કેટ આપણા મુંબઈ શહેરમાં આવેલી છે. અને તેનું નામ છે મૂળજી જેઠા માર્કેટ. 

વાછા શેઠ : સહી જવાબ. હવે બીજો સવાલ, આ મૂળજી જેઠા હતા કોણ?

દી.મ. : લાઈફ લાઈન.

વાછા શેઠ : કોને ફોન લગાડવાનો છે?

દી.મ. : કોઈને નહિ. સ્વામી દાદા આપણી સાથે હોય પછી કોઈ બીજાને પૂછવાની શી જરૂર? 

સ્વામી આનંદ : મૂળજી જેઠાનો જન્મ ૧૮૦૪, જામનગર. કુટુંબની સ્થિતિ પાતળી. જેઠોભા નાનકડી હાટડી ચલાવે. મહામહેનતે કુટુંબનું ભરણપોષણ કરે. મૂળજી ધૂડી નિશાળમાં થોડું ભણ્યા. પણ પછી નિશાળ છોડી કામે વળગ્યા. નાની નાની દુકાનોમાં ફેરી કરી નાનો-મોટો માલ વેચે. થોડો વખત તેલની દુકાને વાણોતર તરીકે કામ કર્યું. અને પછી બીજા અનેક ભાટિયા જાતભાઈઓની જેમ પકડી મુંબઈની વાટ. ત્યારે ઉંમર વરસ સોળ.

દી.મ. : તેમની વાત પણ જીવરાજ બાલુ અને નાનજીભાઈની વાત જેવી જ લાગે છે.

જામનગરના દેશી રાજ્યનું જોડિયા બંદર 

સ્વામી આનંદ : અરે, આ વાત તો સેંકડો નહિ, હજારો ગુજરાતીઓની છે. એ વખતે ગુજરાતના કંઠાળ પ્રદેશના લોકો માટે મુંબઈ એ તો સોનાની લંકા. આગગાડી તો બહુ મોડી આવી. એટલે એ વખતે મુંબઈ આવવાના રસ્તા બે. કાં વહાણમાં બેસીને, કાં જમીન રસ્તે ગાડામાં કે ચાલતાં. એ વખતે જામનગર એક દેશી રજવાડું. તેનું એક બંદર, નામે જોડિયા. આજે તો હવે એ મરવાને વાંકે જીવે છે, પણ એ જમાનામાં ધીકતું બંદર. મુંબઈ સુધી વહાણોની આવનજાવન. ત્યાંના એક વહાણમાં ચડીને ૧૬ વરસનો મૂળજી આવ્યો મુંબઈ. 

દી.મ. : મુંબઈમાં કોઈ ઓળખીતું-પાળખીતું? ગાંઠે ગરથ?

સ્વામી આનંદ : ગરથમાં કપડાંની થેલીમાં ત્રણ જોડ કપડાં. ઓળખીતો એક ઉપરવાળો. અચકાતા ગભરાતા મુંબઈના બારાની બહાર નીકળ્યા. કોઈ કાઠિયાવાડી વાણિયાની દુકાન દીઠી. ત્યાં જઈને બેઠો. ભૂખ્યો-તરસ્યો. નીમાણે મોઢે. તે કાળે ભાટિયા ગણ્યાગાંઠ્યા મુંબઈ આવેલા. છૂટાછવાયા મજૂરી કરે. સ્ત્રીઓ તો નામે ન આવે. સુરતનું બારું કાદવથી ભરાયું. કંપની સરકારનાં વહાણ હવે મુંબઈ બંદરે નાંગરે. પછી તો ગવંડરે પણ સુરત છોડ્યું અને મુંબઈ આવી વસ્યો.  

દી.મ. : હા, સ્વામી દાદા. પણ મુંબઈના પહેલા ગવર્નર જ્યોર્જ ઓક્સેનડન તો ફક્ત એક જ વાર સુરતથી મુંબઈ આવેલા – ઈ.સ. ૧૬૬૭ના સપ્ટેમ્બરની ૨૧મી તારીખે  પોર્ટુગીઝો પાસેથી મુંબઈનો કબજો લેવા તે સુરતથી મુંબઈ આવેલા. અને બીજે જ દિવસે સુરત ભેગા થઈ ગયેલા. તેના પછી આવેલ જેરાલ્ડ ઓન્ગીયાર અવારનવાર સુરતથી મુંબઈ આવતા અને પોર્ટુગીઝોએ બાંધેલા બોમ્બે કાસલમાં રહેતા. સરકારનું વડું મથક સુરતથી મુંબઈ ખસેડવાની ભલામણ તેણે બ્રિટનમાં બેઠેલા કંપનીના ડિરેક્ટરોને મોકલેલી, પણ તેની હયાતીમાં અમલ થયો નહિ. 

સ્વામી આનંદ : મૂળજી મુંબઈ આવ્યો ત્યારે કોટનો કિલ્લો હજી ઊભો હતો. તે વારે મુંબઈની વસતી અડધો લાખ કરતાં વધારે નહિ. સાંજ પછી કોટની બહાર નીકળો તો ચોર-લૂંટારાનો ભો. આવા મુંબઈમાં અજાણ્યો મૂળજી જાય પણ ક્યાં? પણ નસીબ પાધરાં તે દુકાનદારને દયા આવી. પાસે બોલાવી થોડી વાત કરી. સારા ઘરનો છોકરો છે જાણી બે પૈસાના દાળિયા કુરમુરા મગાવી ખાવા આપ્યા. મૂળજી ખાતો જાય ને પોતાની કરમ કથની કહેતો જાય. દુકાનદારને ભરોસો પડ્યો. કહ્યું કે દિવસે દુકાનનાં નાનાંમોટાં કામ કરજે ને રાતે દુકાનમાં જ સૂઈ રહેજે. મૂળજીએ મન લગાડી કામ કર્યું. સવારે દુકાન વાળીચોળીને સાફ કરવી. પછે ઉઘરાણીએ જવું, શેઠની ગેરહાજરીમાં માલ વેચવો. બધાં કામ મૂળજી હોંશે હોંશે કરે. પૈસાની બાબતમાં વાણિયાએ ચકાસી જોયો. ખાતરી થઈ કે છોકરો હાથનો ચોક્ખો છે. રોકડમાં પૈનો ય ફેર ન પડે. થોડા વખત પછી મહીને પાંચ રૂપિયા પગાર કરી આપ્યો. 

વાછા શેઠ : મૂળજી દુકાનમાં કામ કરતો થયો પછી વાણિયો કમાવા લાગ્યો. છ મહિનામાં કમાણી વધીને રૂપિયા સો! નાના દુકાનદારોને બદલે મોટી ઓફિસો સાથે કામ કરવા લાગ્યો. મોટી દુકાન લીધી. નામું લખવા મહેતાજી રાખ્યા. પણ મૂળજી રોજે રોજ નામાની ચકાસણી કરે. અડધા કલાકમાં વીશીએ જઈ જમી આવે. કામ સવારે શરૂ કરવાનું એ નક્કી. ક્યારે પૂરું કરવાનું એ નક્કી નહિ. આજનું કામ આજે જ. પછી ભલે રાત પડે!

સ્વામી આનંદ : વાણિયાની ગાંઠે ૧૫ હજારની મૂડી થઈ. મૂળજીનો પગાર પાંચ રૂપિયાથી વધીને ત્રીસ થયો. બાવીસ વરસનો થયો મૂળજી. વાણિયાએ એને ગામ મોકલીને પરણાવ્યો. ૫૦૦ રૂપિયા પાઘડીના આપ્યા અને ૧,૫૦૦ અંગ ઉધાર. મૂળજી વેપાર વધારતો ગયો. કન્ત્રાક્ટ લે, ગોરાઓની વેપારી ઓફિસોમાં જાય. રેલવેની ઓફિસે જાય. અંગ્રેજી જાણે નહિ તો ય કુશળતાથી ગાડું ગબડાવે. હવે વાણિયાની પેઢીમાં આઠ-દસનો સ્ટાફ.

વાછા શેઠ : વાણિયો ધનદોલત કમાયો, ચારમાં પૂછાતો થયો. પણ મોટી ખોટ એ કે ઘેરે દીકરો નહિ. એક દિવસ કામધંધો મૂળજીને સોંપી પોતે ગયો ‘દેશ.’ હવે મૂળજીએ પેઢીનું નામ બદલીને કર્યું ‘મૂળજી જેઠા.’ મૂળજી વેપારમાં હતો પાવરધો, પણ આજ સુધી શેઠને પૂછીને પાણી પીવું પડતું. હવે મૂળજી આઝાદ હતો. મલબારથી દેશી વહાણોમાં કોપરેલ મગાવવા માંડ્યું. નફો સારો. નામ થયું. જામનગરથી કુટુંબને તેડાવી લીધું. દીકરો જનમ્યો. નામ પાડ્યું સુંદરદાસ. 

વાછા શેઠ : વેપાર વધતો ગયો. કોચિનમાં ઓફિસ શુરુ કીધી. જોડિયા બંદરેથી નાનું વહાણ ખરીદ કીધું. જાણીતા ખારવા રોક્યા. પછી નવાં વહાણો બંધાવિયાં. કુલ છ બારકસના માલિક થયા. કોટન ગ્રીન પરની ગોરાઓની ઓફિસો, પોર્ટ ટ્રસ્ટની કચેરી, જી.આઈ.પી. રેલવેને માલ પૂરો પાડે. ઘેરે ગારી-ઘોરા. 

સ્વામી આનંદ : એ વખતે મુંબઈમાં કાપડ મિલો નંખાવા લાગેલી. એટલે રૂની માગ વધતી ચાલેલી. કોલાબામાં મોટું રૂ-બજાર. કાનમ, બિરાર, ખાનદેશથી કપાસ આવે અને વેલાત જાય. મૂળજી શેઠે કપાસની વખાર કરી. જોસભેર ખરીદીઓ કરવા માંડી. કપાસ વિલાયત ચડાવે. જોતજોતામાં રૂના મોટા વેપારી થઈ ગયા. પણ સટ્ટાનું નામ નહિ. ખરીદી બધી રોકડ. પિતરાઈ વાલજી દામોદર અને નારણજી મૂળજીને ધંધામાં જોડીને ભાગીદાર બનાવ્યા. દીકરો સુંદરદાસ. એકનો એક, પણ લાડમાં ન ઉછેર્યો. સાતની વયે નિશાળે મૂક્યો. ૧૬મે વરસે પાંચ અંગ્રેજી ભણ્યા પછી સ્કૂલમાંથી ઉઠાડીને ધંધામાં સાથે લીધો. થોડાં વરસ પછી ભાગીદાર બનાવ્યો. દીકરાએ પણ વેપાર વધાર્યો, વિકસાવ્યો. 

વાછા શેઠ : હા, સ્વામીજી. મૂળજી શેઠના ધીકતા ધંધાને સુંદરદાસે મધ્યાહ્ને પહોંચાડ્યો. સુંદરદાસની વેપારી કૂનેહનો એક જ દાખલો : અમેરિકન સિવિલ વોર શુરુ થઈ તેની આગમચ   છ વહાણ ભરીને રૂનો ગંજાવર જથ્થો લિવરપુલ માટે રવાના કીધેલો. એ જમાનામાં સુએઝની કેનાલ તો બની નહોતી. એટલે વહાણો કેપ ઓફ ગુડ હોપને રસ્તે જાય. જે માલ રવાના કીધેલો તેનું વેચાણ કરવા ગોરા વેપારીઓ દબાણ કરે. પણ અગમચેતી અને કોઠા સૂઝને કારણે માલ લિવરપુલ પહોંચે તે પહેલાં વેચવાની સુંદરદાસે ચોખ્ખી ચણાક ‘ના’ પાડી દીધી. વહાણો લિવરપુલ પહોંચ્યા તેની આગમચ અમેરિકન સિવિલ વોર ફાટી નીકળી. સુંદરદાસને રૂના છ ગણા ભાવ મળ્યા. 

સ્વામી આનંદ : આકોલા, મૂર્તજાપુર, કારંજા, ધુલિયા, જલગાંવ ખાતે સુંદરદાસે ‘જિન પ્રેસ’ કાઢ્યા. મુંબઈ અને જલગાવમાં મિલો શરૂ કરી. ઠાકરસી મૂળજી સાથે ભાગમાં મૂળજી જેઠા માર્કેટ શરૂ કરી. એ વખતે એ બાંધવાનો ખરચ થયો હતો રૂપિયા છ લાખ.

એશિયાની સૌથી મોટી કાપડ બજાર – મૂળજી જેઠા માર્કેટ 

દી.મ. : ઓહોહો! રિલાયન્સ ઉદ્યોગ સામ્રાજ્યના સ્થાપક ધીરુભાઈ અંબાણીએ પોતાની કારકિર્દીની શરૂઆત એક અદના ‘યાર્ન ટ્રેડર તરીકે આ માર્કેટથી જ કરી હતી.

કાલબાદેવી પરની વિઠ્ઠલવાડીને નાકે આવેલું દ્વારકાધીશજીનું મંદિર તેમણે જ બંધાવેલું. પણ ત્યાં તો ન બનવાનું બન્યું. માંડ ૩૯ના થયા સુંદરદાસ, અને એકાએક તેડાં આવ્યાં તે વૈકુંઠવાસી બની ગયા. સુંદરદાસને બે દીકરા. પણ સુંદરદાસ પાછા થયા ત્યારે બંને બાળક. મૂળજી શેઠ હવે મૂળજી ડોસા બનેલા. એટલે નવો ભાગીદાર લીધા વગર છૂટકો નહોતો. વાલજી દામોદરના દીકરા વલ્લભદાસ શેઠે બધો ભાર ઉપાડી લીધો.  

વાછા શેઠ : આજના પી.ડી. મેલો રોડ અને મિન્ટ રોડના નાકે જે સુંદર ફુવારો છે તે ‘મૂળજી જેઠા ફૌંતન’ તરીકે ઓળખાય છે તો …

મૂળજી જેઠા ફાઉન્ટન – ત્યારે અને અત્યારે 

સ્વામી દાદા : ના જી. એ ફવ્વારો મૂળજીશેઠે બંધાવ્યો નહોતો. એ બંધાવેલો શેઠ રતનસી મૂળજીએ, પોતાના એકના એક દીકરા ધરમસીની યાદમાં. ફુવારા નીચે જે આરસની તકતી ચોડેલી છે તેમાં આ હકીકત બહુ સ્પષ્ટ રીતે જણાવી છે.  ધરમસી હતો તો વેપારીનો દીકરો, પણ ચોપડીઓ વાંચવાનો જબરો શોખીન. એટલે ફુવારાના મથાળે હાથમાં ચોપડી લઈને વાંચતા ધરમસીનું બાવલું મૂક્યું છે.

દી.મ. : મુંબઈના રસ્તાઓ પર આવેલાં બીજાં ઘણાં સ્મારકોની જેમ આ ફુવારાએ દાયકાઓ સુધી માઠી દશા વેઠી. ભંગેરી-ગંજેરીઓનો અડ્ડો બનેલો. પણ પછી ૨૦૧૭માં આપણી આંખ ઊઘડી. બીજાં કેટલાંક સ્મારકોની જેમ આ ફુવારાનું પણ ‘રેનોવેશન’ થયું.

સ્વામી આનંદ : આ ફવારાની ડિઝાઈન કોણે બનાવી હતી, જાણો છો?

દી.મ. : ના, સ્વામીજી. 

ફ્રેડરિક સ્ટિવન્સ

સ્વામી આનંદ : જેમણે વિક્ટોરિયા ટર્મિનસની ભવ્ય ઈમારતની ડિઝાઈન બનાવેલી તે ફ્રેડરિક વિલિયમ્સ સ્ટીવન્સે. અને તેમના મદદનીશ હતા જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સના એ વખતના  પ્રિન્સિપલ જોન ગ્રીફિથ્સ. ૧૮૯૪ના જાનેવારીની આઠમી તારીખે આ ફવ્વારો મુંબઈની જનતાને ભેટ આપવામાં આવ્યો.

દી.મ. : સ્વામી દાદા! વાછા શેઠ! મુંબઈને મુંબઈ બનાવનારા બીજા કેટલાક ઘરાણાં વિષે પણ વાત કરવી છે. પણ આજે તો હવે ટાઈમ પૂરો થયો છે. ફરી મળશું આવતા શનિવારે.

સ્વામી આનંદ : ત્યાં સુધી સૌને દશેરો મુબારક.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 21 ઓક્ટોબર 2023

Loading

જીવનમ્‌ સત્ય શોધનમ્‌

વિનોબા|Opinion - Opinion|21 October 2023

જીવનનું સ્વરૂપ છે ‘सत्य शोधनम्‌’. મેં એક શ્લોક બનાવ્યો છે –

“वेदवेदान्तगीतानां विनुना सार उद्धृत:

ब्रह्म सत्य जगत्‌ स्फूर्ति: जीवनं सत्य शोधनम्‌।।”

ગાંધીજીએ ‘એક્સપેરિમેન્ટસ વીથ ટ્રૂથ’ (સત્યના પ્રયોગો) કહ્યું. હું ‘એક્સપેરિમેન્ટસ’ને બદલે ‘શોધ’ શબ્દ પસંદ કરું છું. ‘એક્સપેરિમેન્ટ’ વિજ્ઞાનનો શબ્દ છે. એમાં સત્યનો એકેક અંશ હાથમાં આવે છે, સમૂચું સત્ય એકદમ સાંપડતું નથી ……

ब्रह्म सत्य जगत्‌ स्फूर्ति: जीवनं सत्य शोधनम्‌ –

બ્રહ્મ સત્ય છે અને તે વિશ્વમાં વ્યાપ્ત છે. વિશ્વ તેની સ્ફૂર્તિ છે, પ્રેરણા છે. આ જ્ઞાનની સાથે વિશ્વમાં સત્યની શોધ કરવી, જે જીવનનો કાર્યક્રમ છે.

સમાજનો આધાર શું છે ? સત્ય ! સત્ય છે તો સમાજ છે. સત્ય એટલે અસ્તિત્વ. ચાર માણસને સાથે રહેવું છે તો એમાં સત્ય હશે, તો જ તે શક્ય બનશે. જો એમાં સત્ય નહીં હોય તો એમાં મેળ કેવી રીતે બેસશે ? તેઓ એકસાથે કેવી રીતે રહેશે? આમ, બધા જ વ્યવહારનું મૂળ છે સત્ય.

સત્ય એટલે શું એની ચર્ચા ઘણી વાર મારી પાસે થાય છે. એક વાર વિનોદમાં મેં જવાબ દીધો કે સત્ય એટલે ખજૂર. તો મને  કહેવામાં આવ્યું કે તમે વિનોદ કરો છો. ત્યારે મેં કહ્યું કે એનો અર્થ એ છે કે તમે સત્ય એટલે શું તે જાણો છો. તો કહે, ના, હું જાણતો નથી.

સત્ય, અહિંસા જેવાની વ્યાખ્યા કરવા જઈએ તો તે કરમાઈ જાય છે. કોમળ ફૂલોની માળા ગૂંથવા જઈએ તો ફૂલો કરમાઈ જાય તેમ. વળી, સત્યની વ્યાખ્યા કરવાની જરૂર પણ નથી. કારણ કે વ્યાખ્યાના મૂળમાં સદૈવ સત્ય રહે છે. કોઈપણ વ્યાખ્યા સત્યની કસોટી પર ચકાસાય છે. તો સત્યની વ્યાખ્યાને કઈ કસોટી પર ચકાસવી ?

સત્ય એટલે ‘છે’. સંસ્કૃતમાં સત્યનો અર્થ નૈતિક સત્ય (મોરલ ટ્રુથ) કહ્યો છે. કોઈપણ વસ્તુની વ્યાખ્યા કરવી હોય તો સત્યને જ આધારે એ થઈ શકે. અમુક માણસ સત્યવાદી છે તો તે નૈતિક દૃષ્ટિએ સત્યવાદી હોઈ શકે છે. નૈતિક દૃષ્ટિએ સત્યની વ્યાખ્યા કરી શકાય. પરંતુ પરમ સત્ય (સુપ્રીમ ટ્રુથ)ની વ્યાખ્યા ન થઈ શકે. જે થકી અંતરાત્માને આપણે પારખી શકીએ જેથી અંતરાત્માનું સમાધાન થાય. એ જ સત્ય છે. જ્યાં અંતરાત્માને અસમાધાન થાય કે ધક્કો લાગે ત્યાં તે અસત્ય છે. મતલબ, અંતરાત્મા સત્યા-સત્યનો સાક્ષી છે. અનુભૂતિ જુદી જુદી હોઈ શકે, કોઈ ધાડ પાડનારો એમ કહી શકે કે, ‘મેં તો આ કામ મારાં બાળબચ્ચાંને પોષવા કર્તવ્ય-ભાવનાથી કર્યું છે.’

પરંતુ એ બરાબર નથી. કારણ, સત્યમાં સમત્વ હોય છે. આ બીજી ઓળખ છે. સત્યમાં સંતુલન છે. એમાં ચિત્ત ડામાડોળ નથી થતું. સત્યમાં સમદર્શન છે, સમાધાન છે, અંત:સમાધાન છે. તારા અંતરમાં એક અવાજ ઊઠે છે, એની સાથે તું ચાલે છે તો તું સત્ય પર ચાલે છે એમ થશે. સમત્વયુક્ત નિર્ણયમાં સત્ય છે. ‘સત્યાગ્રહ’ શબ્દનો ગાંધીજીએ પ્રયોગ કર્યો એટલે એ પવિત્ર થઈ ગયો. એમની પાછળ બીજાઓએ એનો દુરુપયોગ કર્યો તો તે દૂષિત થઈ ગયો. મૂળત: સત્ય પવિત્ર જ છે અને ‘આગ્રહ’ દૂષિત. સંસ્કૃતમાં ‘આગ્રહ’ શબ્દનો અર્થ બહુ સારો નથી થતો. તેલુગુમાં તો ‘આગ્રહ’ એટલે ક્રોધ. પણ એના પ્રયોગથી એ શબ્દ હવે પાવન થઈ ગયો છે. મેં એક નવો શબ્દ બનાવ્યો છે, ‘સત્યગ્રાહી’. ‘સત્યાગ્રહી’ બનતાં પહેલાં આપણે ‘સત્યગ્રાહી’ થવું જોઈએ. સત્યગ્રાહી થયા સિવાય સત્યાગ્રહી ન થઈ શકાય. સામેના પક્ષના સત્યાંશને ગ્રહણ કર્યા વગર હૃદયપરિવર્તન થઈ જ ન શકે. અને હૃદયપરિવર્તન વગર હૃદયપ્રવેશ શક્ય જ નથી. આ પ્રક્રિયા શાંકર ચિંતનની છે.

હવે સત્ય પ્રાપ્ત કેવી રીતે થાય છે તે સવાલ છે. ગાંધીજીએ કહ્યું હતું કે સત્ય અહિંસાથી પ્રાપ્ત થાય છે. સત્ય નમ્રતા, તટસ્થતા, અને અનાગ્રહથી પ્રાપ્ત થાય છે, એવો મારો મત છે. નમ્રતા અને અનાગ્રહ હોય તો સત્ય હાથમાં આવે છે. વિજ્ઞાનમાં અનાગ્રહ હોય છે. પ્રયોગોમાં જે સાચું હશે, તે જ સાચું નીવડશે.

આજે આ ગામમાં (૧૮ એપ્રિલ ૧૯૫૧ – પોચમપલ્લીમાં) હરિજન લોકો મળવા આવ્યા. એમણે કહ્યું કે જો અમને થોડીક જમીન મળે તો અમે મહેનત કરીશું અને મહેનતનું ભોજન જમીશું. મેં એમને કહ્યું કે તમે લખીને આપો. તમારી અરજી અમે સરકારમાં રજૂ કરીશું. પરંતુ એમને ૧૦૦ એકર પોતાની જમીન આપવા માટે એક ભાઈ તૈયાર થઈ ગયા. એ ભાઈએ અમારી સમક્ષ હરિજન ભાઈઓને વચન આપ્યું કે હું તમને આટલી જમીન દાનમાં આપું છું. એ ભલો દયાળુ માણસ તમારી સામે છે. જો તે જમીન દાનમાં ન આપત, તો ઈશ્વરનો ગુનેગાર બનત. પણ તે જમીન આપશે તો હરિજનો પર જવાબદારી આવશે કે તેઓ બધાં પ્રેમપૂર્વક એકસાથે હળીમળીને ખેતી કરે. જો આ પ્રકારના સજ્જન માણસો દરેક ગામમાંથી નીકળતા હોય તો, કમ્યુનિસ્ટોનો પ્રશ્ન હલ થઈ જાય. તમે આટલું જરૂર સમજી લો કે હિંદુસ્તાનમાં શ્રીમાન લોકો પોતાની પાસે વધારે જમીન ન રાખી શકે. કોઈપણ શ્રીમાન ગરીબોની મદદ કર્યા વગર પોતાની જમીન પોતાની પાસે ન રાખી શકે.

હું વિચારવા લાગ્યો કે જેવી રીતે આ ગામના ભૂમિહીનોએ માંગણી કરેલી, તેવી જ રીતે દરેક ગામેગામથી ભૂમિહીનો તરફથી આવી માંગ થઈ શકે છે. ત્યારે હું સૃષ્ટિ-રચનાનો અથવા તો જેને આપણે ઈશ્વરની યોજના કહીએ છીએ, તેનું ચિંતન કરવા લાગ્યો. હું વિચારવા લાગ્યો કે સૃષ્ટિમાં એકાંગી અથવા અધૂરી યોજના હોઈ ના શકે, બલકે સર્વાંગ પરિપૂર્ણ યોજના જ હોય છે. જન્મ લેતાંની સાથે નવજાતના પેટમાં ભૂખ રહેલી છે, તેમ તેની સાથે માના સ્તનમાં દૂધ રહે છે. ઈશ્વર એકાંગી યોજના નથી કરતો. જ્યારે તે બાળકના પેટમાં ભૂખ રાખે છે, તો માના સ્તનમાં દૂધ રાખે છે અને એ દૂધ પીવડાવનારી પ્રેરણા પણ રાખે છે. આમ હું સમજી ગયો કે વિશ્વશક્તિ એક નવું કામ કરવા ઇચ્છે છે.

મને પાકો નિશ્ચય થઈ ગયો કે અહિંસા ચાલશે. તો એક ઈશારો મને મળી ગયો છે, એને પકડી લેવો જોઈએ. રામાવતારમાં જ્યારે વાનરોથી કામ થયું હતું, તો હું વાનર તો નથી. હું માણસ છું અને અહિંસા પર વિશ્વાસ કરનારો માણસ છું. જેણે એ વાનરો પાસેથી કામ લીધું, તે મારી પાસેથી પણ લેશે. શરત એટલી કે હું અભિમાન છોડીને શૂન્ય થઈ જાઉં, જેવી રીતે એ વાનરોમાં અભિમાન નહોતું.

સત્ય એક પાયાનો વૈકલ્પિક ગુણ છે. સત્ય સૌથી શ્રેષ્ઠ નીતિધર્મ છે. એક બાજુ આખું નીતિશાસ્ત્ર અને બીજી બાજુ કેવળ સત્ય હોય તો બંનેની તુલનામાં સત્યનું પલડું જ નમશે. એટલે બીજા બધા નીતિધર્મ સત્યની તુલનામાં ગૌણ છે. આત્મપ્રાપ્તિ માટે સત્ય અત્યંત મહત્ત્વની વસ્તુ છે. સત્ય એટલે કેવળ વાણીનું સત્ય નહીં, મનસા-વાચા-કર્મણા સત્યનું પાલન થાય. માણસનું જીવન સત્ય પર ઊભું થશે ત્યારે જ એને આત્માનું દર્શન થશે. પરમેશ્વર સુધી પહોંચવાનો રસ્તો સત્યથી બનેલો છે. સત્ય પાયાની વસ્તુ છે. મહાપુરુષોમાં કેટલા ય દોષો હોય છે. ઋષિઓના ક્રોધ અંગે સાંભળીએ છીએ. પણ કોઈ જુઠ્ઠા હોય અને છતાં ય સત્પુરુષ હોય તેવું ન બની શકે. એટલે પ્રાચીનકાળથી આજ સુધી સત્યને પાયાની વાત માનવામાં આવી છે.

સત્ય બે પ્રકારનાં છે. એકને સંસ્કૃતમાં ऋत કહે છે અને બીજાને સત્ય. ऋत શબ્દ આપણી ભાષામાં ચાલતો નથી. એનો વિરોધી શબ્દ છે अनृत. એટલે અસત્ય. સત્યનો વિરોધી શબ્દ અસત્ય અને ऋतનો વિરોધી શબ્દ અનૃત. આપણે આ બંનેમાં કંઈ ફરક નથી કરતા પણ ऋत અલગ છે અને सत्य અલગ છે. સૃષ્ટિના દર્શનમાં જે વાસ્તવિક સત્ય છે તે ઋત છે. અને સત્ય એટલે આપણા જાણવા પ્રમાણે સાચું બોલવું તે, છુપાવીને ન બોલવું તે.

શાસ્ત્રમાં કહે છે કે ‘सत्यमेव जयते नानृतम्‌’ – સત્યનો જ વિજય થાય છે, ફકત સત્યુગમાં જ નહીં પણ દરેક યુગમાં. દરેક યુગમાં કશ્મ-કશ થાય છે, લડાઈ ઝઘડા ચાલે છે પરંતુ છેવટે જીત તો સત્યની જ થાય છે. હિંદુ-મુસલમાન બધાં ભૂમિદાન આપી રહ્યાં છે. નાનાં નાનાં બાળકો બોલી રહ્યાં છે કે ‘ભૂમિદાન આપો’, ‘ધન અને ધરતી વહેંચાઈને રહેશે.’ સત્યનો, પરોપકારનો, પ્રેમનો વિચાર બળવાન છે અને લૂંટવાનો, હિંસાનો, ઝઘડાનો વિચાર નબળો છે, માટે જ છેવટે તો સત્ય અને પ્રેમના વિચારની જ જીત થવાની છે.

શાસ્ત્રોમાં કહ્યું છે કે, ‘त्यक्तेन भूंजीथा:। આપણી પાસે જે કાંઈ છે, તેનો એક હિસ્સો સમાજને આપીએ. તે આપ્યા વગર આપણને ભોગ કરવાનો અધિકાર જ નથી. ભારતીય મનને ધનદૌલતથી સંતોષ નથી થતો. ભારતનો સૌથી મોટો વૈભવ આધ્યાત્મિક જિજ્ઞાસા છે. લોકોને ભૂદાન એટલા માટે ગમે છે કેમ કે એમાં ત્યાગની વાત આવે છે. આખરે આ બધું શું થઈ રહ્યું છે ? ૨૪ એકરવાળો પોતાની પાસે સાડાત્રણ એકર રાખે છે. અને ભૂમિહીનને ૫ એકર જમીન મળી રહી છે.

‘अशक्य तें तुम्हां, नाहीं नारायणा। निर्जीवा चेतना आणावया ।

અચેતનમાં ચેતન પૂરવું, તમારા માટે અશક્ય છે, પરંતુ ભગવાન માટે અશક્ય નથી.

આસ્તિકતા એટલે મનુષ્યના હૃદય પરની શ્રદ્ધા. આ શ્રદ્ધા ભૂદાન આંદોલનનું અધિષ્ઠાન છે. જનતા કામધેનુ છે. જ્યાંથી જમીન આવે છે, ત્યાંથી અન્ય સાધન પણ આવશે. શુદ્ધ હૃદય અને પૂર્ણ વિશ્વાસની સાથે માંગો, તો બધું કાંઈ મળતું જશે.

ચારેકોર અસત્ય છે તો સત્ય વધારે દીપી ઊઠશે. અંધારું જેટલું વધારે, તેટલું ટોર્ચ અજવાળું વધારે ફેલાવી શકે છે. વેદમાં આવે છે ‘सत्येन उत्तभिता भूमि: सूर्येणोत्तभिता द्यौ:।’ આ ભૂમિનો આધાર કયો ? સત્ય. સ્વર્ગનો આધાર કયો ? સૂર્ય. ઉપર સૂર્ય અને નીચે સત્ય. એટલા માટે સંધ્યા કરતી વખતે કહીએ છીએ – ज्योतिषि जुहोमि स्वाहा ।  – સૂર્યરૂપી જ્યોતિને આહુતિ આપું છું. પૃથ્વીને મજબૂત કોણ કરે છે ? સત્ય. સત્યપાલન કેવી રીતે કરવું જોઈએ ? સૂરજ ઊગવામાં ક્યારે ય ભૂલ નથી કરતો. કયા દિવસે કયું નક્ષત્ર ઊગશે, સૂર્યોદય ક્યારે થશે – આ બધું પંચાંગમાં લખેલું હોય છે તે પ્રમાણે બરાબર ચાલે છે. તેમાં જરા ય ફેરફાર ન હોય. પંચાંગ પણ ક્યારેક ખોટું નીકળી શકે, પણ સૂરજ તો પોતાના સમયે ઊગશે જ. વેદમાં પ્રાર્થના છે – स्वस्ति पंथामनुचरेम सूर्यचंद्रमसाविव । આપણું જીવન સૂર્યચંદ્રની જેમ નિયમિત રહેવું જોઈએ.

અસત્ય એ સૌથી મોટો અધર્મ છે. તેના પ્રમાણમાં બીજા બધા યે દોષો ગૌણ છે. આ વાત અત્યારે સમાજ સમજતો નથી. અત્યારનો સમાજ અસત્ય બોલીએ તો તેને બહુ નીતિહીન માનતો નથી, પણ વ્યભિચારને અત્યંત નીતિહીન અને ખરાબ સમજે છે. આ મૂલ્યાંકન ખોટું છે. બધા સદ્ગુણોમાં સૌથી શ્રેષ્ઠ સદ્ગુણ સત્ય છે. તેમ હોય કે ન હોય, પણ બધા દુર્ગુણોમાં અસત્ય એ સૌથી વધારે ખરાબ દુર્ગુણ છે એમ હું ચોક્કસ માનું છું. ભૂદાન હૃદયશુદ્ધિનું આંદોલન છે. હૃદયશુદ્ધિ દ્વારા સમાજમાં પરિવર્તન કરવું તે આ આંદોલનનું લક્ષ્ય છે. પોતાની હૃદયશુદ્ધિ કરવી એટલે કે ઉત્તમ બીજ નિર્માણ કરવું, પોતાના જીવનમાં પરિવર્તન લાવવું એટલે કે બીજને વાવવું, અને સમાજનું પરિવર્તન કરવું એટલે તૈયાર પાકની લણણી કરવી.

અમારા આશ્રમમાં એક છોકરો ચોરીથી બીડી પીતો હતો. એ પહેલાં એક છાત્રાલયમાં રહેતો હતો, જ્યાં તેને આ લત લાગી ગયેલી. આશ્રમમાં આ છોકરો બહુ સારું કામ કરતો હતો, પણ તેણે આ વાત છુપાવેલી. ચોરીથી એ બીડી પીતો. આશ્રમના એક ભાઈએ એને જોયો. એને મારી સામે લાવવામાં આવ્યો. મેં જોયું કે બિચારો બહુ ગભરાઈ ગયેલો. મેં એને કહ્યું કે, “ડર નહીં. મોટા મોટા લોકો પણ બીડી પીએ છે. તેં કાંઈ ખરાબ કામ નથી કર્યું. પરંતુ ખરાબ તો એ છે કે તેં આ કામ છુપાઈને કર્યું છે. તેથી આજથી હું તને આ નાનકડી ઓરડીમાં બીડી પીવાની છૂટ આપું છું. અઠવાડિયામાં એટલા બંડલ તને આપીશ.” આશ્રમવાસીઓને આ પદ્ધતિ અજબ લાગી. ત્યારે મારે તેમને સમજાવવું પડ્યું, “નિ:શંક બીડી પીવી તે ખોટું છે, આપણે બીડી નથી પીતા, તે વાત આ છોકરો જાણે છે. એને તેની આદત પડી ગયેલી, એટલે તે પીએ છે. પરંતુ આ છુપાવવાની આદત ખરાબ છે અને ખુલ્લેઆમ પીવું પણ ખોટું છે. એટલા માટે જ એને આ આદત છોડાવવાનો મોકો આપવો જોઈએ. આ અહિંસાનો વિચાર છે. અહિંસામાં સહન કરવાની શક્તિ છે. માટે નાની નાની વાતોમાં આગ્રહ ન હોવો જોઈએ.

ધર્મ અનેક છે, પરંતુ બધા ધર્મોનું મૂળતત્ત્વ એક જ છે. મુક્તિ માટે એક જ માર્ગ છે.

‘असतो मा सद्‌गमय।

तमसो मा ज्योतिर्गमय ।

मृत्योर्मां अमृतं गमय।’

આપણે અસત્યમાંથી સત્યમાં જવાનું છે. અંધકારમાંથી પ્રકાશમાં જવાનું છે, અને વિકારમાંથી નિર્વિકાર તરફ જવાનું છે. બધા ધર્મોએ આ વાત જુદી જુદી પદ્ધતિથી સમજાવી છે. આપણે બધાં ઋષિઓને માનીએ છીએ, ભલે તેઓ કોઈપણ ધર્મના હોય ! એમની પ્રેરણા અને અશીર્વાદથી આ કામ ચાલે છે.

મુંડક ઉપનિષદમાં એક મંત્ર આવે છે (૩:૧:૫-૬). આ મંત્રમાં આત્માની પ્રાપ્તિ માટે ચાર સાધનો બતાવ્યાં છે. તેમાં સત્ય સૌથી પહેલું મૂક્યું છે. કારણ કે તે બહુ મહત્ત્વનું છે. જેમ બહાર સૂર્યજ્યોતિ છે, તેમ હૃદયમાં સત્યજ્યોતિ છે. આપણા પૂર્વજો આ બંને જ્યોતિની ઉપાસના કરતા હતા. સૂર્યોપાસના દ્વારા સત્યની પ્રાપ્તિ સુલભ થાય.

આત્મલાભ માટે બીજું સાધન તપ કહ્યું છે. સત્યને સમજવા માટે જે મહેનત કરવી પડે તે તપ જ કહેવાય. ખાસ કરીને જો ઇન્દ્રિયો પર કાબૂ મેળવાય તો તેની મારફત સત્ય સુધી પહોંચી શકાય અને તો એ બહુ સરળ થઈ શકે. પણ ઇન્દ્રિયો પર જો કાબૂ ન હોય તો લગામ વગરના ઘોડા જેવી હાલત થાય. એટલે तपस्‌માં મુખ્યત્વે ઇન્દ્રિય પરનો કાબૂ આવે. તદ્ઉપરાંત સત્યપ્રાપ્તિ માટે જે પ્રયોગો કરવા પડે તે પણ ‘तपस्‌’માં આવે.

ત્રીજું સાધન સમ્યક્ જ્ઞાનનું છે. આત્માના સ્વરૂપનું યોગ્ય આકલન કરવા માટે યોગ્ય બુદ્ધિ હોવી જોઈએ. યોગ્ય બુદ્ધિ એટલે અનાસક્ત બુદ્ધિ. જેમાં પૂર્વગ્રહો ન હોય એવી બુદ્ધિ. તે સમ્યક્ જ્ઞાન કરાવી શકે. પૂર્વ-ગ્રહરહિત બુદ્ધિથી જ આત્માનું દર્શન થાય.

ચોથું સાધન બ્રહ્મચર્યનું બતાવ્યું છે. અહીં બ્રહ્મચર્ય અને તપ અલગ પાડ્યાં છે. એટલે બ્રહ્મચર્યમાં મુખ્યત્વે અધ્યયન, ચિંતન, મનન વગેરે સમજવાં જોઈએ. કેમ કે જો તપને અલગ ન રાખ્યું હોત તો બ્રહ્મચર્યમાં તપ આવી જ જાત.

આ રીતે सत्य એક નૈતિક મૂળતત્ત્વ થયું. અને तपस् એટલે સત્ય માટે જે પ્રયોગો કરવા પડે તેની તૈયારી થઈ. સમ્યક્ જ્ઞાન એટલે કે બુદ્ધિની સૂક્ષ્મતા અને તટસ્થતા અને બ્રહ્મચર્ય એટલે કે નિરંતર અધ્યયન, મનન, ચિંતન વગેરે. આ બધું જો હોય તો આત્માનું દર્શન થાય.

આપણે સત્યનું આચરણ કરી રહ્યા છીએ કે નહીં તેની ખબર પડે તે માટે હંમેશાં આત્મનિરીક્ષણ કરવું જોઈએ. મેં વાણીથી કોઈને અસત્ય તો નથી કહ્યું ને ! બીજાના દિલને દુભાવે, બીજાનું અહિત કરે તેવી વાણી બોલી ઈશ્વરે આપેલી અમૂલ્ય વાણીનો દુરુપયોગ તો નથી કર્યો ને ! આપણા હાથે કાંઈ ખરાબ કામ તો નથી કર્યું ને ! આમ, અનેક સવાલો પૂછવાનો નિશ્ચય કરવો અને ઈશ્વરની ક્ષમા માંગવી. તેને પ્રાર્થના કરવી કે ફરીથી આવી ભૂલ ન થવા દે. આમ કરવાથી ધીમે ધીમે સત્યનું ભાન થશે. આવું દરેક વ્રત માટે છે.

મનુષ્યની શક્તિ મર્યાદિત છે કેમ કે તેનું શરીર મર્યાદિત શક્તિવાળું છે. એટલા માટે જ એની સેવાઓ પણ મર્યાદિત જ રહેશે. પરંતુ વૃત્તિ મર્યાદિત નહીં હોવી જોઈએ. કોઈ મારા કાર્યક્ષેત્રની બહાર જાય તેનો વાંધો ન હોવો જોઈએ. પણ સહાનુભૂતિના વિચારના ક્ષેત્રથી બહાર થઈ જાય છે તો હું મારી શક્તિ ગુમાવું છું. મારી શક્તિ મર્યાદિત થઈ જાય છે. માટે ભલે સેવાનું ક્ષેત્ર મર્યાદિત હોય પણ ભાવના અને સહાનુભૂતિનું ક્ષેત્ર અમર્યાદ રહેવું જોઈએ. માણસને માણસની રીતે જોવો જોઈએ, નહીં તો હિંદુધર્મના આત્માને જ આપણે ખોઈ બેસીશું. હિંદુધર્મ કહે છે કે બધાંમાં એક જ આત્મા છે. આ એક એવો વિશાળ ધર્મ છે જેમાં કોઈપણ સંકુચિત ભાવ નથી રહી શકતો. આપણે જો આ વાત ધ્યાનમાં નથી રાખતા તો ધર્મની બુનિયાદ ખોઈ બેસીએ છીએ.

‘एकं सत्‌ विप्रा: बहुधा वदन्ति।’

‘સત્ય એક જ છે, બુદ્ધિમાન લોકો તેને અનેક નામથી બોલાવે છે.’ અહીં ‘विप्रा: बहुधा वदन्ति’ કહ્યું છે, ‘मूर्खा: बहुधा वदन्ति’ કહેવાયું નથી. હિંદુધર્મ કહે છે કે સત્ય તો એક છે. પરંતુ ઉપાસના માટે અલગ અલગ થઈ શકે છે.

સત્ય બધા ગુણોનો આધાર છે. સત્ય નહીં રહે તો બધા ગુણ નિરાધાર થઈ જશે. વ્યવહારનો આધાર સત્ય પર છે. લોકો આનાથી વિપરીત વાત કહે છે. એ કહે છે કે અસત્ય વગર વ્યવહાર ચાલે નહીં. હકીકતમાં તો મોટા વેપારી હશે તે સચ્ચાઈ વગર વેપાર કરશે નહીં, આપેલું વચન તે તોડશે નહીં, અને એ સારી રીતે વર્તશે નહીં તો તેનો વેપાર ચાલશે નહીં. વાણીના તપમાં ગીતા કહે છે કે – ‘अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च।’ જ્ઞાનદેવ મહારાજ કહે છે કે મને ગીતા પર ભાષ્ય કરવાનું જે ભાગ્ય મળ્યું છે અથવા શક્તિ મળી છે તેનું કારણ છે – ‘माज्ञिया सत्यवादाचे तप। वाचा केलें बहुत कल्प’ – મારી વાણીએ એક જન્મ નહીં, ‘અનેક કલ્પ’ સત્ય બોલવાનું તપ કર્યું છે. એના બળથી મારા મુખેથી ભગવદ્ગીતા નીકળી રહી છે. મનુ પણ કહે છે, ‘वाच्यार्था नियता: सर्वे वोडमूला वाग्‌-विनि:सृत:’ । બધા અર્થ વાણીમાં જ નિયત છે.

હિતાર્થ સત્ય બોલવું. સત્ય બોલવા પાછળ હિતપ્રેરણા હશે તો જ બોલવાનું સાહજિક પ્રેમથી હશે – બીજાને ઘાયલ કરે તેવું નહીં હોય. જે હિતાર્થ નથી, તે બોલવાથી જવાબદારી માણસ પર આવતી નથી.

સત્યની આરાધના માટે જીવન. અને કાર્ય માત્ર સત્ય માટે, શ્વાસ માત્ર સત્ય માટે થાય. સામાન્યત: અસત્યના ત્રણ પ્રકાર છે. હાસ્ય-મજાકમાં જુઠ્ઠું બોલાય છે. આ અસત્યનો પહેલો પ્રકાર છે. આ અસત્ય નિરુપદ્રવી મનાય છે. વ્યવહારમાં સ્વાર્થ માટે અસત્ય બોલાય છે. એ અસત્યનો બીજો પ્રકાર છે. પરાર્થ માટે અથવા દેશહિત માટે અસત્ય બોલાય છે. એ અસત્યનો ત્રીજો પ્રકાર છે. આ અસત્ય કર્તવ્યરૂપ મનાય છે. ધર્મ, અર્થ, અને કામ – આ ત્રણે પુરુષાર્થ અંગે વિપરીત કલ્પના હોવાને લીધે આવા ત્રણ પ્રકારનાં અસત્ય ઉદ્ભવ્યાં છે.

એ બધાંનો ત્યાગ સત્યવ્રતમાં આવે છે. મિતભાષણ સત્યનું કવચ છે. એટલે તેનો પણ સમાવેશ આ વ્રતમાં સમજી લેવો જોઈએ. અને કોઈપણ કારણે કાયા, વાચા, મનસા પણ અસત્યનો આશ્રય ન લેવામાં આવે, તેવી ભાવના બની જવી જોઈએ.

‘વકીલ’ શબ્દ અરબી છે. અને તે ભગવાન માટે છે. – ‘अंतवकील’ – ભગવાન, તું મારો વકીલ છે. વકીલ એટલે રક્ષણકર્તા. જેમ હકીમ, કરીમ, રહીમ છે તેમ વકીલ. કહે છે કે વકીલાતમાં અમે અમારે માટે નહીં, પણ બીજાંને માટે ખોટું બોલીએ છીએ. પ્રાચીનકાળથી સત્ય અંગે એક કલ્પના ચાલી આવી છે કે બીજાંની રક્ષા માટે જુઠ્ઠું બોલીએ તો વાંધો નહીં. સત્યમાં અપવાદ આવે છે. પણ હું તો નિરપવાદ સત્યમાં માનું છું. મનુસ્મૃતિમાં આવે છે – एष धर्म: सनतान: – આ સનાતન ધર્મ છે. કયો ? सत्यं ब्रूयात, प्रियं ब्रूयात्‌। न ब्रूयात सत्यं अप्रियम्‌। प्रियं च नानृतं ब्रूयात्‌। પ્રિય લાગે તેવું સત્ય બોલવું. પ્રિય અસત્ય ન બોલવું અને અપ્રિય સત્ય ન બોલવું. પ્રિય અને સત્ય બંને એકઠાં ન હોય ત્યારે શું કરવું ? “मौनम्‌” । બાકી આપણી વાણીમાંથી જે કંઈ નીકળે તે સત્ય જ નીકળે.

મેં સત્યાદિ વ્રતોના નિરંતર સ્મરણને ઈશ્વરનું સતત સ્મરણ માન્યું છે. ઈશ્વર અર્થાત્ સત્યાદિની અખંડ મૂર્તિ. સત્ તત્ત્વ માટેની નિષ્ઠા. નૈતિક સત્યની આધ્યાત્મિક બેઠક. બ્રહ્મ સત્ તત્ત્વ છે. એને સત્-ચિત્-આનંદ કહે છે. Morall Truth – નૈતિક સત્યને જ આધ્યાત્મિક આધાર જોઈએ. સત્ય બ્રહ્મ છે, એ જ એનો આધાર છે.

સત્-કાર સ્મરણથી સત્યનિષ્ઠા, સાધુત્વ (સૌજન્ય) પ્રાપ્ત થાય છે, એવી જ રીતે કર્મમાં સુંદરતા (કલાત્મકતા) આવે છે. સત્ય, સાધુત્વ અને સૌંદર્ય – આમ આ રીતે સત્કર્મની ત્રિવિધ કસોટી થઈ ગયા બાદ વસ્તુત: ત્રણેનો સમાવેશ એક સત્યમાં જ થઈ જાય છે અને એ જ સત્ શબ્દનો મુખ્ય અર્થ છે. સત્યથી અલગ થયેલ સાધુત્વ ઔપચારિક અને સૌંદર્યરહિત થશે. સત્ય મૂળભૂત ગુણ હોવાથી એની કસોટી પર સાધુત્વ અને સૌંદર્યને કસવું પડશે. પૂર્ણદૃષ્ટિમાં આ ત્રણેય એકરૂપ રહેશે. અપૂર્ણ અવસ્થામાં સત્યને  વળગવું પડશે. સાધુત્વ, સાધુતા, સુંદરતા = સત્યં શિવં સુન્દરમ્. સત્ તત્ત્વની ત્રિવિધ વ્યાખ્યા કરી છે, તેમ છતાં ત્રણેયમાં સત્ય જ મુખ્ય છે. સાધુત્વ એટલે ભલાપણું. સત્યથી અલગ સાધુત્વ ફસાવશે, સૌંદર્ય ભ્રામક નીવડશે. જે સત્ શબ્દનું સ્મરણ કરશે, એને એ નામના મહિમાને કારણે ત્રણેય ગુણ પ્રાપ્ત થશે.

અહિંસા આત્માની શક્તિ છે. ‘नायं हन्ति न हन्यते।’ આત્મા ન તો મારે છે, ન તો મરી જાય છે. આ જ એની શક્તિ છે. શરીરને મારી નાખી શકાય છે. શરીર કરતાં આત્માની શક્તિ વધારે છે. પરંતુ આપણે દેહબુદ્ધિથી જોઈએ છીએ. જે કોઈને પણ જોઈએ છીએ, તેને શરીર જ માનીએ છીએ. એટલા માટે જો શરીર છોડીને મનુષ્યને જોઈશું, શરીરનું આવરણ છોડીને અંદરની વસ્તુ તરફ – જે દેહથી પર છે – જોઈશું કે આપણો આખો વ્યવહાર – બોલવા ચાલવા અને વિચારવાની પદ્ધતિ – બધું જ બદલાઈ જશે. એને આખી દુનિયા એ જ રંગે રંગાયેલી દેખાઈ પડશે. આવું જેની સાથે થશે, તે માણસના સંપર્કમાં જે પણ આવશે, એના પર એ જ રંગ ચઢશે, એના પર બીજો રંગ નહીં ચઢે. આ વાત આપણા ધ્યાનમાં આવશે ત્યારે આપણે જે અહિંસામાં વિશ્વાસ રાખીએ છીએ, તે અહિંસાને આપણા પોતાના જીવનમાં ક્યાં સુધી ઉતારી શક્યા છીએ, એની ઉપાસના ક્યાં સુધી થઈ અને કેટલી એકાગ્રતાથી કરીએ છીએ, તેનો ખ્યાલ આવશે. આપણે અહિંસા શક્તિને પ્રગટ કરવા માટે અંત:શોધન, અંત:શુદ્ધિ અને તપસ્યા કરવી જોઈએ.

જ્યાં લોકો પોતાના પરિવારને વ્યાપક સમજીને પોતાનો એક હિસ્સો સમાજને આપી દે છે અથવા પોતાના જીવનમાંથી વ્યક્તિગત માલિકી મિટાવી દે છે ત્યાં જ મૂલ્ય–પરિવર્તન થાય છે. આ મૂલ્ય પરિવર્તનને ‘શાન્તિમય ક્રાન્તિ’ કહે છે. વાસ્તવમાં ક્રાન્તિ આગળ ‘શાન્તિમય’ વિશેષણ લગાડવાની જરૂર જ નથી. કેમ કે અશાન્તિમય ક્રાન્તિ હોતી જ નથી. જ્યાં વિચાર નથી બદલાતો અને સમાજમાં કાંઈક પરિવર્તન થઈ જાય તો તે ખરેખર ક્રાન્તિ હોતી નથી. ક્રાન્તિમાં બુનિયાદી અંતર હોવું જોઈએ. મૂલ્ય બદલવું જોઈએ. મૂલ્યમાં પરિવર્તન શાન્તિથી થાય છે, વિચારથી જ થાય છે. જો ડરાવી–ધમકાવીને અથવા હિંસાથી પરિવર્તન કરવામાં આવે તો તે વિચાર પરિવર્તન નહીં કહેવાય …. કેટલાક લોકો ‘શીઘ્રવાદ’ને ક્રાન્તિ માને છે પણ આપણને એ મંજૂર નથી. ખાવાનું શીઘ્ર મળે – ભલે રોટલી ન મળે, તો ઝેર જ ખાઈએ પણ શીઘ્ર મળવું જોઈએ. આપણે આ પ્રકારના વિચારોને નથી માનતા.

સચ્ચાઈની રાહ પર ચાલીએ. જો તારું ભલું ઇચ્છતો હો તો સાચને પકડ. દુનિયા અસત્ય પર જ ચાલે છે, આવું તું માનવા લાગ્યો છે, એવું જણાય છે. એ વાત છોડી દે. સૃષ્ટિ પરમેશ્વરની છે અને પરમેશ્વર તો સત્યમૂર્તિ છે, પછી એ દુનિયાને જૂઠી કેવી રીતે બનાવે ? સંસાર કપટી નથી. કે નથી સંસાર અસત્ય પર ઊભો !

હકીકતમાં, તો સત્ય જેવી સરળ ચીજ દુનિયામાં છે જ નહીં. આ વાત તો નાનકડું બાળક પણ જાણે છે. ઊલટું, જૂઠું બોલવું ઘણું અઘરું છે. એક જૂઠને છુપાવવા કોણ જાણે બીજાં કેટલાંક જૂઠ ઊભાં કરવાં પડે છે. દરેક જણ આવું ન કરી શકે. એટલે આવા લોકોનો ખાસ વર્ગ બનાવવામાં આવ્યો છે, જેને ‘કૂટનીતિજ્ઞ’ કહે છે. પાણીનો પ્રવાહ સમથળ ઢાળે સડસડાટ વહેતો જતો હોય ત્યારે પાણી થંભી ગયાં હોય તેવો ભાસ થાય. આ રીતે કૂટનીતિજ્ઞો જૂઠાણાં પર જૂઠાણાં ચલાવીને દુનિયાની આંખો પર પાટા બાંધવાની નિરંતર મથામણ કરતા રહે છે. પરંતુ ક્યારેક ને ક્યારેક તો દુનિયા સામે એમનો ભાંડો ફૂટી જ જાય છે. સાચા માણસને આવો પ્રયત્ન કરવાની કદી જરૂર નથી પડતી, ન એને પોતાની મુઠ્ઠી ઉઘાડી પડી જવાનો ડર રહે છે. કારણ કે એનું તો બધું કામ ખુલ્લંખુલ્લું અને સાફ હોય છે અને ત્રીજી વાત આ પણ છે કે એનું કોઈ કામ વ્યર્થ પણ નથી જતું. ખટપટિયાને સવાયા ખટપટિયા મળી શકે, એટલે એ ક્યારેક તો હાર ખાય જ છે. જ્યારે સચ્ચાઈ કદી હાર નથી ખાતી. કારણ કે સચ્ચાઈમાં સવાયા-દોઢાનો પ્રશ્ન જ ઊભો નથી થતો કારણ કે એના પર ચઢાઈ જ થઈ શકતી નથી.

એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ, કૂટનીતિજ્ઞોની જ બધી ખટપટ કેમ હોય છે ? કારણ કે એમને ટૂંકો રસ્તો જોઈએ છે. પરંતુ તું તો રેખાગણિત જાણે છે ને ? તો પછી તું આ નિયમ કેવી રીતે ભૂલી જાય છે કે બે બિંદુઓને જોડનારી નાનામાં નાની રેખા કેવળ સીધી લીટી જ હોઈ શકે છે. પરંતુ ખટપટિયા લોકો સરળ અને ટૂંકો રસ્તો શોધવા આમ તેમ ભટક્યા કરે છે. હકીકતમાં, ટૂંકો રસ્તો સીધો જ હોય છે. એના માટે મગજ ખપાવવાની જરૂર નથી. માત્ર એના પર ચાલવાનું જ હોય છે. સત્ય સામે શાણપણ નકામું છે અથવા તો સત્ય જ શાણપણ છે એટલે ખટપટિયાઓનો અટપટો રસ્તો છોડી દે. સંતોનો સીધો મારગ પકડ. આ રસ્તો સહેલો છે, સરળ છે, સીધો છે અને વળી સૌથી નજીક છે. તારી મંજિલે એ જ તને પહોંચાડશે.

સત્ય, સંયમ અને સેવાભાવ આ આપણી યત્નત્રયી છે. આ ત્રણેયની નિરંતર રક્ષા કરવાની છે. આનાથી મૂલ્યવાન બીજું કોઈ ધન નથી. તમે આ દરિદ્રનારાયણની પૂજા કરો, જે બોલે છે, જે હરે ફરે છે. અને તેમ છતાં પણ જો ભગવાન દર્શન નથી આપતા, તો મને કહેવા આવજો …..

…. હું ચાર વર્ષથી ફરી રહ્યો છું અને ગરીબોની હાલત જોઈ રહ્યો છું. સર્વત્ર એમનું શોષણ થઈ રહ્યું છે. એમનામાં સહન કરવાની શક્તિ અને શાંતિ અપાર છે.

(સંકલિત)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑક્ટોબર 2023; પૃ. 02-06

Loading

...102030...797798799800...810820830...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved