Opinion Magazine
Number of visits: 9457707
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૧૫) 

સુમન શાહ|Opinion - Literature|24 October 2023

સુમન શાહ

આજે, પણ્ડિતરાજ જગન્નાથ  વિશે —

એમનો સમય છે, ૧૭-મી સદીનો મધ્ય ભાગ. એમના ગ્રન્થનું શીર્ષક છે, “રસગંગાધર”.

(રા.બ. આઠવલેના “રસગંગાધર ખણ્ડ : ૧”-નો અનુવાદ નગીનદાસ પારેખે ગુજરાતીમાં કર્યો છે, પણ મને યાદ છે એ મુજબ, એમાં સંસ્કૃત પાઠ નથી.)

સૌ કાવ્યાચાર્યોની જેમ જગન્નાથના ગ્રન્થમાં પણ કાવ્યલક્ષણ, કાવ્યહેતુ, કાવ્યભેદ કે ગુણદોષની ચર્ચા છે.

એમણે ‘ધ્વનિકાવ્ય’-ના એક મહત્ત્વના ભેદ ‘રસધ્વનિ’-ના ચર્ચાપ્રસંગે ભરત મુનિના રસસૂત્રની અને અનુષંગે ભટ્ટ લોલ્લટ, શંકુક, ભટ્ટ નાયક અને અભિનવગુપ્તના મતોની ચર્ચા ઉમેરી છે. પરન્તુ એ ચર્ચા રસ-સમ્પ્રદાય અને ધ્વનિ-સમ્પ્રદાયના જ્ઞાતા અને અધ્યેતા માટે કશો નવો પ્રકાશ નથી પાડતી. અલબત્ત, કેટલીક નાની બાબતોમાં જગન્નાથ જુદા પડતા હોય છે, પણ જરાક જ.

જગન્નાથે કાવ્યના અર્થને રમણીય કહ્યો, રમ્ય, પ્લેફુલ, એ એમનો મહત્તમ વિશેષ છે.

Pic Courtesy : Chaukhamba  Vidya Bhavna Varanasi

એ રમ્ય કે રમણીય તત્ત્વને અનેક વિદ્વાનોએ સાહિત્યસર્જન સંદર્ભે લાક્ષણિક ગણ્યું છે. અંગ્રેજ કવિ વિલિયમ બ્લેક કલાકારને બાળ-સહજ ગણતા, ‘ધ ટ્રુ આર્ટિસ્ટ ઈઝ નેવર ઍનિથિન્ગ બટ અ ચાઇલ્ડ’. અમેરિકન નવલકથાકાર ફ્લૅનરી ઓ’કોનોર કહેતા કે ‘રાઇટિન્ગ ઇઝ લાઇક પ્લેઇન્ગ ધ પિયાનો ઇન ધ ડાર્ક’. સુખ્યાત સમીક્ષક નૉર્થ્રોપ ફ્રાયે કહેલું, ‘લિટરેચર ઇઝ ધ ફૉર્મ ઑફ પ્લેફુલ રિચ્યુઅલ’. ‘ભાવક-પ્રતિભાવ સમ્પ્રદાય’ના વિદ્વાનો – રીડર્સ રીસ્પૉન્સ ક્રિટિસિઝમ’ના વિદ્વાનો – કૃતિના અર્થ માટે ભાવકના અનુભવને નિર્ણાયક લેખે છે, પણ ભાવનની એ પ્રક્રિયાને ‘પ્લેફુલ ઇન નેચર’ કહે છે.

સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જગન્નાથ એ રીતે જુદા પડે છે કે એમણે રમણીયતાની વિભાવનાને વીગતનાં એક પછી એક ડગ ભરીને શાસ્ત્રીય પદ્ધતિએ રજૂ કરી છે.

તેઓ પ્રારમ્ભે જ કહે છે : 

રમણીયાર્થપ્રતિપાદક: શબ્દ: કાવ્યમ્ 

– રમણીય અર્થનું પ્રતિપાદન કરનારો શબ્દ કાવ્ય છે. 

રમણીયતા કોને કહેવાય? : 

રમણીયતા ચ લોકોત્તરાહ્લાદજનક જ્ઞાનગોચરતા. 

– રમણીયતા લોકોત્તર આનન્દ જનમાવનારી જ્ઞાનગોચરતા છે. 

એટલે કે લોકોત્તર, અલૌકિક, આનન્દજનક જ્ઞાનનો વિષય, રમણીયતા છે. 

લોકોત્તરતા શું છે? : 

લોકોત્તરત્વમ્ ચાહ્લાદગતશ્ચમત્કારત્વાપર્યાયોડનુભવસાક્ષિકો જાતિવિશેષ: 

– લોકોત્તરતા જ ચમત્કાર છે; બીજા શબ્દોમાં, એ એક વિશિષ્ટ પ્રકારની આહ્લાદદાયક અનુભૂતિ છે. પુત્રજન્મ કે ધનપ્રાપ્તિથી થતો આનન્દ લૌકિક છે, જ્યારે આ અ-લૌકિક છે, લોકોત્તર છે.

એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? 

એ પ્રશ્નનો ઉત્તર જગન્નાથે સરસ આપ્યો છે, કે એ આહ્લાદ લોકોત્તરતાની ભાવનાનું વારંવાર અનુસન્ધાન કરવાથી પ્રગટે છે – કારણમ્ ચ તદવચ્છિન્નમ્ ભાવનાવિશેષ:પુન:પુનરનુસન્ધાનાત્મા.

મને જાણ છે કે કલાકૃતિનાં મારાં ભાવન, કૃતિના કેન્દ્રથી પરિઘ સુધી અને પરિઘથી કેન્દ્રમાં આવ-જા કરીને રસ ઘોળતાં હોય છે …

જગન્નાથે રમણીયાર્થયુક્ત કાવ્યની આ અનુભૂતિ માટે પ્રયોજેલાં બે વિશેષણ મને ખૂબ યથાર્થ અને સયુક્તિક લાગ્યાં છે -અનુભવસાક્ષિક: અને જાતિવિશેષ:

આ પરત્વે જગન્નાથનું તાત્પર્ય એ છે કે કાવ્યના અનુભવનું કોઈ સાક્ષ્ય અથવા પ્રમાણ હોય તો તે છે, સહૃદયનો કાવ્યાનુભવ. એટલે કે, કાવ્યકલાને અન્ય પ્રમાણોથી પ્રમાણી શકાય નહીં, એમ કરવા જતાં, કશું પણ પ્રમાણ હાથ આવશે નહીં. 

વળી, કાવ્યનુભવને તેઓ જાતિવિશિષ્ટ કહે છે. એટલે કે, કાવ્યાનુભવની જાતિ કાવ્યાનુભવ પોતે જ છે. એમનું તાત્પર્ય મારા શબ્દોમાં સમજાવું તો કહું કે કલાની કોટિ કલા જ છે, એની કોઈ બીજી કોટિ નથી, કલા અદ્વિતીય છે, યુનિક છે.

આ ઉપરાન્ત, જગન્નાથે કરેલી કાવ્યહેતુની ચર્ચા પણ મને ઘણી નૉંધપાત્ર લાગી છે, કેમ કે એ પણ યથાર્થ અને સયુક્તિક છે :

સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અનુસાર, કાવ્યના કારણભૂત પરિબળોમાં પ્રતિભા, વ્યુત્પત્તિ, અને અભ્યાસ છે, શાસ્ત્રમાં એ ત્રણને કાવ્યહેતુ કહ્યા છે. જગન્નાથ કહે છે કે કાવ્યનો હેતુ, કારણ, પ્રતિભા છે. પણ પ્રતિભા શું છે? તેઓ કહે છે કે કાવ્યઘટનાને અનુકૂળ શબ્દાર્થોની ઉપસ્થિતિનું નામ પ્રતિભા છે. 

અન્ય કાવ્યાચાર્યોએ પ્રતિભાને ઈશ્વરદત્ત ગણી છે, પણ જગન્નાથનું આ દૃષ્ટિબિન્દુ જુદું, વાસ્તવિક અને વિશ્વસનીય છે.

તેઓ કહે છે કે કોઈ દેવતા કે કોઈ મહાપુરુષની પ્રસન્નતા કારણ હોય પણ એ તો અદૃષ્ટ કારણ છે. ક્યારેક અસાધારણ અધ્યયન, વ્યુત્પત્તિ, કારણ હોય; ક્યારેક કાવ્યરચનાનો અભ્યાસ કારણ હોય; પણ કોઈ કોઈ અબુધોમાં તો માત્ર મહાપુરુષની પ્રસન્નતાથી જ પ્રતિભોત્પત્તિ થઈ હોય છે ! એમાં એમના પૂર્વજન્મની વિલક્ષણ વ્યુત્પત્તિ અને અભ્યાસને પણ સ્વીકારી શકાય નહીં કેમ કે એમાં બિનજરૂરી વિસ્તાર થાય અને પ્રમાણનો પણ અભાવ હોય છે. જગન્નાથે દૃષ્ટ-અદૃષ્ટનું વૈચારિક નિદર્શન સ્વીકારીને વિશેષ છણાવટ પણ કરી છે, જેમાં જવાનું અત્રે કારણ નથી. 

પરન્તુ તેઓ કાવ્યને એક ઘટના ગણે છે, અને એ ઘટે તેમાં કારણ બને એ શબ્દાર્થોને પ્રતિભા ગણે છે, એ મહત્ત્વનું છે. કેમ કે એથી એમણે વ્યક્તિમાં નહીં પણ શબ્દાર્થમાં પ્રતિભા જોઈ, એ વસ્તુલક્ષીતા વિચારલાભ કરાવે છે, અને તેથી પ્રશંસાપાત્ર ઠરે છે.

= = =

(10/23/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મહારોગ

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|23 October 2023

પ્રીતમ લખલાણી

‘અરે! આવો માસ્તરસાહેબ!’ મોહન પટેલે દાઢમાંથી આવકાર આપતાં કહ્યું, ‘માસ્તર, તમારો ભાઈ ગામમાં ભારે વટ છે, હોં! હમણાં બે ચાર છોકરાં પાદરથી દોડતાં આવી મને ખબર આપી ગયા કે તમે સરકારી ડૉકટરો સાથે હરિજનવાસની સેવા કરવા નિશાળને રેઢી મૂકીને ગયા છો! ઠીક છે, ભલા! સરકારી નિશાળ છે! એટલે તમને પૂછવાવાળું કોણ છે?’

‘ના, સરપંચસાહેબ, એવું કંઈ નથી! સરકાર ન પૂછે પણ તમે તો જરૂર પૂછી શકો છો, ખરેખર! અમે તો સરકાર કરતાં તમારા સેવક સાચા.’

‘ઠીક છે, એ બધી ઉપરછલ્લી વાત! બોલો ચૌહાણસાહેબ શું હુકમ પાણી છે?’

‘મોહનભાઈ, મારી સાથે આવેલ આ ભાઈ અને બહેન સરકારી ડૉકટર છે. ટાઈફૉડ, મેલેરિયા અને કૉલેરા જેવા રોગે આપણા જિલ્લાને ભરડામાં લીઘો છે. સદ્ભાગ્યે તેનાં દર્શન હજી આપણા ગામમાં દીઠાં નથી. સરકાર તરફથી રોગ પ્રતિકારક રસી મૂકવા માટે આવ્યાં છે. બસ તમે હુક્મ કરો કે ગામમાં કયાંથી ડોકટરસાહેબોએ કામની શુભ શરૂઆત કરવી!’

હુક્કાનો એક ઊંડો કસ લેતાં સરપંચ બોલ્યા, ‘ચૌહાણસાહેબ, હું તમને કશુંક કહું તે પહેલાં જ જો તમે મારા વતી આ ડોકટરોને જણાવી ઘો કે ગામમાં તમે જે પગલે આવ્યાં છો તે પગલે પાછા ફરી જાવ. નકામી કારણ વિના મારે ના કહેવા કયાં મારી જીભ બગાડવી.’

‘અમે એવો કયો ગુનો કર્યો છે કે તમારે અમારા માટે આવા શબ્દો વાપરવા પડે છે!’ જો તમે અમને આ બાબતમાં ખુલાસો કરીને જણાવો તો અમને અમારી ભૂલ સમજાય! ડૉ. નીતાએ જરા ગુસ્સો દબાવતાં સરપંચને પૂછયું.

ડૉ. નીતા સામું જોઈ ડૉ. કમલેશે જરા ગંભીર સ્વરે પૂછયું, ‘સાહેબ, તમારે જે કંઈ પણ કહેવું હોય તે છૂટથી સંકોચ વિના અમને કહી શકો છો. અમારે તો તમને પ્રેમપૂર્વક સાંભળવા જોઈએ! આમ તો અમે સરકારી નોકરચાકર છીએ! જો તમે અમારી ભૂલ સામું ઘ્યાન નહીં આપો તો બીજું કોણ આપશે?’

‘ડૉકટરસાહેબ, તમે ગામમાં પગ મૂકતાની સાથે જ ગામમાં સવર્ણોને બદલે આ માસ્તરની ચઢામણીએ હરિજન વાસમાં રસી મૂકવા ચાલ્યા ગયા. હવે તમારાં આ ઈન્જેકશનના પંપો અને  આ સોયોથી રસી લઈને હું મારા દેહને અભડાવું! જો તમે એમ માનતા હો કે અમે તમારી મીઠી મીઠી વાતોમાં આવીને રસી મુકાવી અમારા દેહને અભડાવી લેશું તો, તમે એ વાતને ભૂલી જજો.’

‘સરપંચસાહેબ, શું આવી ફાજલ વાતો કરો છો? અમારે સરકારને જવાબ આપવાનો હોય છે! અમે સરકારી નોકરો કોઈ નાતજાતમાં ન માનીએ! અમારે મન તો બઘા માણસો સરખા!’

ડૉ. નીતા આવેશમાં આવીને વઘારે કયાંક કંઈક બોલી ન નાખે, એટલે ડૉ. કમલેશે તેમને વચ્ચે અટકાવીને સરપંચને બહુ જ વિવેકપૂર્વક કહ્યું, ‘સાહેબ, અમારાથી ભૂલ થઈ ગઈ છે એ વાત અમે કબૂલ કરીએ છીએ, પણ ભૂલને આમ કયાં લગી આપણે વળગીને બેસી રહેશું, બાપુ. ભૂલમાંથી બહાર નીકળવાનો ય કોઈક એકાદ માર્ગ તો હશે જ ને!’

‘ડૉકટરસાહેબ, આ વિષય તો બ્રાહ્મણ અને પુરોહિતોનો છે! હું તમને શુદ્ઘિ કરવાનો માર્ગ શું દેખાડું? આ બાબતમાં તો તમારે અમારા ગામના પુરોહિત પ્રભાશંકર જોશીની જ સલાહ લેવી પડશે. એ જેમ કહેશે તે પ્રમાણે જો તમે રાજી હો તો બોલો. હું હમણાં જ તેમને બોલાવવા તેમના ઘરે કોઈ છોકરાને મોકલું?’

‘જરૂર સરપંચસાહેબ, તમ તમારે જોશીને બોલાવવા છોકરાને મોકલો. અમને ભલા એમાં શો વાંઘો હોય.’ ડૉ. નીતાએ હસતાં હસતાં કહ્યું.

ચોરે પાનાં કૂટતા એકાદ બે છોકરાને સરપંચ, પુરોહિત પ્રભાશંકરને બોલાવવા મોકલે તે પહેલાં જ ખરે બપોરે અવાડેથી ભેંસને પાણી પાઈને ખભે ભીનું પંચિયું નાખીને પ્રભાશંકરને ઉઘાડે ડિલે ચોરા ભણી આવતા જોઈ સરપંચે હાક મારી, ‘અરે! ભૂદેવ, તમે જરા આમ આવો તો, આજ ખરા બપોરે ગામને તમારું કામ પડયું છે!’

‘અરે! બોલો મારા બાપ અમે તમારી સેવાચાકરી નહીં કરીએ તો કોની કરીશું?’

‘પુરોહિત બાપા, આ સરકારી ડૉક્ટરો આપણા ચૌહાણસાહેબના કહેવાથી ગામમાં સવર્ણોને પ્રથમ રસી મૂકવાને બદલે પહેલાં હરિજનવાસમાં ગયાં. હવે તમે જ કહો, આ હરિજનના દેહથી અભડાયેલ સોયો અને ઈન્જેકશનના પંપથી ભલા આપણે કઈ રીતે રસી મુકાવી શકીએ?’

‘અરે! અરે! ઈશ્વર હું આ શું સાંભળી રહ્યો છું. ગામમાં આ માસ્તરના પ્રતાપે તો પાપે લજ્જા મૂકી છે. મોહન પટેલ! જો ઘરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થાય છે.’

‘પુરોહિતબાપા, જે થયું તે ઈશ્વરની જ ઈચ્છા! આ ખરા બપોરે તમને ચોરે બોલાવવાનું કારણ એ જ કે તમે આ પાપમાંથી મુકત થવા અમને કોઈ એકાદ રસ્તો દેખાડો. અને જો કોઈ પ્રાયશ્ચિત્તનો માર્ગ જ ન નીકળે એમ હોય તો કહો એટલે આ ડૉકટરને બે હાથ જોડીને પાદર લગી વળાવી આવું!’

‘મોહન પટેલ, તમને આ જનોઈના સોગંદ ખાઈને કહું છું કે તમે ધારો છો એવડું આ કંઈ નાનું પાપ નથી! તમે કહો છો એટલે આ જીવતા જીવ ગામના ભલા માટે આ પાપમાં હાથ નાખી પ્રાયશ્ચિત  વિઘિ કરાવું છું. આ તમામ ઈન્જેકશનના પંપો અને સોયને ગામની પંચકલ્યાણી ગાયોનાં ગોમૂત્રથી ઘોઈ, મંત્રો, પૂજાપાઠ કરી પવિત્ર તુલસીદળને માથે ચઢાવી, આપણે ડૉકતરસાહેબને રસી મુકાવવાનો આદેશ આપી શકીએ!’

‘શું કહ્યું! તમે પુરોહિતબાપા! ગોમૂત્રથી આ ઈન્જેક્શનની સિરિંજ  અને સોયને પવિત્ર કરી, લોકોને રસી મુકાવવાની!’ ડૉ. નીતાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં તેમને પૂછ્યું.

ડૉ. નીતાને પુરોહિત બાપાના માર્ગદર્શનમાં સંકોચ અનુભવતી જોઈ, માસ્તર ચૌહાણ બાજી પોતાને હસ્તક લેતાં બોલ્યા, ‘પુરોહિત બાપા, ખરેખર તમારી વાતને જેટલી દાદ આપીએ એટલી મારી દૃષ્ટિએ ઓછી કહેવાય! બાપા, જો આ રીતે ઈન્જેકશનની સિરિંજ અને સોય ફરી પવિત્ર કરી શકાતી હોય તો તમે કયા શુભ ચોઘડિયાની રાહ જુઓ છો! મંગાવો તાબતોબ ગામની પંચ કલ્યાણી ગાયના ગોમૂત્ર અને કરી દો પૂજાપાઠ.’

આ પ્રમાણે પુરોહિતને પાનો ચઢાવી. બંને ડૉકતરોને એક બાજુએ લઈ જઈને કાનમાં કહ્યું, ‘ડૉકટર, એક વાર આ પૂજા પાઠથી ઈન્જેકશનની સીરિંજ અને સોય પવિત્ર થઈ જવા દો. પછી આપણે આગળ શું કરવું તે વિચારીશું.’

ચોરે પાનાં રમતાં છોકરાંવને સરપંચનો આદેશ મળતાં જ છોકરાઓ હડી કાઢતાં ગામમાં જઈ બેચાર મિનિટમાં જ ચારપાંચ ગાયોનું ગોમૂત્રને એકાદ ત્રાંસાના લોટામાં એકથું કરી ચોરે હાજર થઈ ગયા.

પુરોહિતે ખભેથી મેલાઘેલા પંચિયાને ઉતારી ચોરાના એક ખૂણામાં પાથરી અને ડૉક્ટરોને તેના પર ઈંજેકશનની સિરિંજ અને સોયને મૂકવા જણાવ્યું થોડી જ વારમાં ચોરે એક છોકરો થાળીમાં તુલસી, ઘીનો દીવો તેમ જ પૂજાપાની સામગ્રી લઈને આવી ચઢ્યો. પુરોહિતે સરપંચને સાદ પાડયો, ‘અરે! મોહન પટેલ જો હુક્કો પિવાઈ ગયો હોય તો બેચાર ઘડી આમ આવો. હું તમારા હાથે જ આ પવિત્ર પૂજાની વિઘિ આરંભ કરાવું.’

પુરોહિતનું આમંત્રણ મળતાં જ હરખપદૂડા મોહન પટેલ હાથનો હુક્કો બાજુમાં બેઠેલા રાઠોડને આપી પૂજા કરવા બેસી ગયા.

મોહન પટેલે દરેક ઈન્જેકશનની સિરિંજ તેમ જ સોયને પવિત્ર ગોમૂત્રથી ઘોઈ કરીને પુરોહિતે પાથરેલા પંચિયા ઉપર મૂકી, અબીલગુલાલનાં છાંટિયા કરી પ્રભાશંકર પુરોહિતે શુદ્ધિકરણના શ્લોકના જાપ કરી પ્રત્યેક સિરિંજ  તેમ જ સોયને કૌતુકભરી નજરે જોતાં ડૉ. નીતાની હથેળીમાં મૂકી તેના ઉપર તુલસીદળ મૂકતાં બોલ્યા,’બહેનશ્રી, તમે આ ઈન્જેકશનના પંપો અને આ સોયને બે હાથમાં મૂકી ચોરાની ચારે દિશામાં એક આખું ચક્કર મારો. પ્રત્યેક દિશાના વાયુઓથી આ પંપો અને સિરિંજ પવિત્ર થઈ જશે.’

લોકોની અંઘશ્રદ્ઘા ઉપર મનોમન હસતાં હસતાં ડૉ. નીતાએ પુરોહિત તેમ જ સરપંચને ખુશ રાખવા ચોરાની ફરતું એક ચક્કર મારી તમામ ઈન્જેકશનની સિરિંજ અને સોયને ફરીથી પુરોહિતના હાથમાં મૂકી દીઘાં!

‘મોહન પટેલ, તમે એક વાર આ પંપો અને સોયને સાચવીને એક ડબ્બીમાં મૂકી ઘો અને એ તો ઠીક, પણ ભૂલથી પણ હરિજનનો પડછાયો સુઘ્ઘાં તેના ઉપર ન પડવો જોઈએ. પુરોહિતે સલાહ આપી.’

‘ડૉ. કમલેશ હવે અત્યારે ખરે બપોરે ગામને કયાં ચોરે ભેગું કરવું, એના કરતાં સાંજના ઠંડા પહોરે જો રસી મુકાવવાનું રાખીએ તો મારી દૃષ્ટિએ વિશેષ અનુકૂળ રહેશે. શું કહો છો સરપંચસાહેબ, તમે આ બાબતમાં?’ માસ્તર ચૌહાણે પૂછ્યું?

‘માસ્તર, કયારેક તમે ખરેખર લાખ રૂપિયાની વાત કરો છો. હું પણ તમને હમણાં કહેવાનો જ હતો, પણ તમે મારા મનની વાત કરી લીઘી. તમે એમ કરો …. આ બંને ડૉકટરોને નિશાળે લઈ જઈ એકાદ ખાલી વર્ગમાં તેમને આરામ કરાવી ફરી ડૉકટરોને લઈ સાંજના ચાર સાડા ચારે આવી જજો. ત્યાં સુઘીમાં હું ગામ આખાને અહીં ભેગું કરી નાખીશ. લ્યો ત્યારે રામ રામ.’

ચોરાથી નિશાળ તરફ પ્રયાણ કરતાં ડૉ. નીતાએ કહ્યું, ‘ડૉ. મહેતા આ ગોમૂત્રવાળી સિરિંજ અને સોયથી લોકોને રસી આપવી એ તંદુરસ્તી માટે કેટલી હાનિકારક નીવડે? મને પણ નથી સમજાતું કે તમે પણ આ ગામના ગમારની વાતોમાં આવી જઈને તેમના રંગે રંગાઈ ગયા. પણ હું એક વાત તમને ચોખ્ખીચટ કહી દઉં છું કે હું આ સિરિંજ અને સોયથી ગામના લોકોને કોઈ હિસાબે રસી આપી શકું નહીં. જો તમારે આ લોકોને આ સિરિંજ અને સોયથી રસી આપવી હોય તો તમે પ્રેમથી તેમ કરી શકો છો, પણ આ વાત મેડિકલની દૃષ્ટિએ તેમ જ મારા નૈતિક મૂલ્યની પણ વિરુદ્ધ છે.’

‘નીતા, તમે જરા મન પર ઘીરજ રાખો. આ ગામના લોકોને આપણે કોઈ પણ હિસાબે સમજાવી શક્યા ન હોત. આ ધાર્મિક મનના લોકોને તો પુરોહિતના માર્ગે જ સમજાવી શકાય.’ આમ કહી વાતને આગળ ચલાવતાં માસ્તર ચૌહાણ બોલ્યા, ‘ડૉ.નીતા મેં સમજીવિચારીને જ સરપંચસાહેબને જણાવ્યું કે અત્યારે ખરે બપોરે રસી મુકાવા ગામને ભેગું કરવું તેના કરતાં સાંજના નમતા પહોરે આ કાર્યક્રમ રાખવો. આ શા કારણે મેં આમ કહ્યું, લ્યો આ વાત તમને વિગતે સમજાવું. આપણે નિશાળે જઈ આ ગોમૂત્રવાળી સિરિંજ અને સોયને ગરમ પાણીમાં ઉકાળી સ્ટરિલાઈઝ કરી નાંખીશું. પછી સાંજે આ લોકોને આ સિરિંજ દ્વારા રસી મૂકવામાં શો વાંઘો છે? હવે તો તમે ડૉ. નીતા ખુશ ને?’

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

ગુજરાત : હિંદુત્વની રાજનીતિનું ઉછેરસ્થાન : ભાગ-2

સ્વાતિ જોષી|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|23 October 2023

‘સામાજિક એકીકરણના બળ તરીકે કામદાર સંગઠનવાદનો ઉદય અને પડતી’ લેખમાં યાન બ્રેમાન મજૂર મહાજન સંઘની દલિતોને મુખ્ય પ્રવાહમાં લાવવાની નિષ્ફળતા પર ભાર મૂકે છે. મિલોમાં દલિતોની આર્થિક જીવનરીતિ સુધરી પરંતુ સંઘના નેતાઓ સવર્ણ હોવાથી જે નિર્ણયો કરે એમાં દલિતો અને બીજા સભ્યોનો કોઈ સક્રિય હિસ્સો ન હતો. દલિતો સામે ભેદભાવ મિલોમાં પણ ચાલુ હતો. કેન્ટીનમાં સવર્ણ અંદર જમવા બેસતા જ્યારે દલિતો બહાર જમવા બેસતા. સમાજમાં અસ્પૃશ્યતા ખૂબ ફેલાયેલી હતી. જાતિ ભેદભાવને લીધે મજૂરોની એક વર્ગ તરીકે એકતા ન સ્થપાઈ. ૧૯૮૦ના દશકમાં જ્યારે અમદાવાદમાં મોટા ભાગની મિલો બંધ થઈ ત્યારે મજૂર મહાજન સંઘે કોઈ વિરોધ કર્યો નહીં અને કામદારોના હક માટે કોઈ લડ્યું નહીં.

મિલો બંધ પડવાથી એક લાખથી વધુ કામદારો, દલિત તેમ જ મુસ્લિમ, બેકાર બન્યા અને અસંગઠિત ક્ષેત્રમાં ધકેલાયા. એમની રોજ બ-રોજની જિંદગીમાં અનિશ્ચિતતા અને ચિંતા ઊભી થઈ. કેવળ પૈસા માટે એ કોઈ પણ કામ કરવા તૈયાર થયા. સંઘ પરિવારે આ પરિસ્થિતિનો લાભ લીધો. મિલોમાંથી બેકાર બનેલા દલિતો વચ્ચે રાહત કામ કર્યું અને તેમની સહાનુભૂતિ મેળવી. ૧૯૮૦ના દશકમાં અનામત વિરોધી આંદોલનમાં શરૂઆતમાં સવર્ણ આંદોલનકારીઓએ દલિતોને નિશાન બનાવ્યા ત્યારે દલિત-મુસ્લિમ એકતાનું પ્રદર્શન થયું. પરંતુ પછીથી બીજા આંદોલનમાં સિફતથી જમણેરી તત્ત્વોએ અનામત વિરોધી આંદોલનને મુસ્લિમ વિરોધી આંદોલનમાં બદલ્યું અને આંતરજાતીય ઘર્ષણ એ આંતરસમુદાયનું ઘર્ષણ બન્યું. જમણેરી રાજકીય બળો જે દલિતો અને મુસ્લિમોને કોમવાદી ઓળખમાં વિભાજિત કરવા ઉત્સુક હતાં એમણે આ બદલાયેલી આર્થિક પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો અને એ સફળ થયાં. દલિતોને જ્યારે અનામતની નીતિથી આશા જાગી ત્યારે હિંદુ પરિબળોએ તેમને કોમવાદી વિભાગોમાં વહેંચીને નિર્બળ બનાવ્યા, ૧૯૮૦ના દશકમાં આમ ગુજરાતમાં સમાજનું કોમવાદીકરણ સંપૂર્ણ થયું.

દલિતોને હિંદુઓએ નિયંત્રણમાં લીધા અને મુસ્લિમો અને દલિતો એકબીજાના દુ:શ્મન બન્યા, ત્યાં સુધી કે એકબીજાને મારવા તૈયાર થયા. યાન બ્રેમાન કહે છે તેમ શહેરની અર્થવ્યવસ્થામાં શ્રમનો અને શ્રમિકોનો સંગઠિત ક્ષેત્રમાંથી નિકાલ અને ૨૦મી સદીના અંતે થયેલી કોમવાદી હિંસા વચ્ચે સીધો કારણ-શોધક સંબંધ છે. ૧૯૮૦ના દશકમાં બદલાયેલાં આર્થિક અને સામાજિક સમીકરણોને કારણે હિંદુત્વ વિચારધારા એક રાજકીય શક્તિ તરીકે ગુજરાતમાં ઊભી થઈ. આદિવાસીઓ અને દલિતોને રામ જન્મભૂમિ યાત્રા માટે અને પછી બાબરી મસ્જિદ વિધ્વંસ વખતે સક્રિય કરવામાં આવ્યા. ૨૦૦૨ના જનસંહારમાં દલિતોએ લૂંટ અને મુસ્લિમોને મારી નાખવામાં ભાગ ભજવ્યો. વ્યવસ્થિત યોજના મુજબ ટોળાંઓએ, જેના દલિતો પણ ભાગ હતા, પોલીસના પ્રોત્સાહન અને રક્ષણ નીચે, જનસંહારને શક્ય બનાવ્યો. ઘનશ્યામ શાહના કહેવા મુજબ એ જરૂરી નથી કે દલિતોનું હિંદુત્વની વિચારધારાને કે ભા.જ.પ.ને સમર્થન હતું કે કોમવાદથી પ્રેરાઈને એ હિંસામાં જોડાયા હતા. આ દર્શાવે છે કે દલિતોનો સવર્ણ સાથેના સંબંધનો પ્રશ્ન વિરોધાભાસોથી ભરેલો છે.

ચૂંટણીના રાજકારણમાં પણ જમણેરી બળોએ કેવી રીતે ગુજરાતમાં ઈંટ પર ઈંટ મૂકીને પોતાની સત્તાનું નિર્માણ કર્યું એનું વિસ્તૃત વર્ણન પુસ્તકમાં છે. આર.એસ.એસ. અને હિંદુ મહાસભા ગુજરાતમાં ૧૯૩૦થી કાર્યરત છે. આર.આર.એસ.એ ૧૯૫૦ના દશકમાં શહેરી યુવાનોને સ્વયંસેવક બનાવવાનું શરૂ કર્યું. ૧૯૫૬માં ‘સાધના’ સામયિક દ્વારા પોતાની વિચારધારા ફેલાવવાનું શરૂ કર્યું અને ૧૯૬૦ના દશકથી એણે નાગરિક સમાજમાં, ખાસ તો હિંદુ મધ્યમ વર્ગમાં, પોતાનો પગ જમાવવા જમીની સ્તરે ઘણું કામ કર્યું. સવર્ણના આધિપત્યવાળા સમાજની અંદર દાખલ થવા સેવા અને સંસ્કારનું વલણ ધરાવતી ‘ભારત વિકાસ પરિષદ’ સ્થાપી. મુસ્લિમ વિરોધી પોતાની વિચારધારા ફેલાવવાનું અને ‘હિંદુ રાષ્ટ્ર’ વિશે ચર્ચા વહેતી કરવાનું શરૂ કર્યું. ૧૯૬૯નાં કોમી રમખાણોમાં એણે પોતાની શક્તિ અને સત્તાનો સમાજમાં પરચો બતાવ્યો. ૧૯૬૭માં ભારતીય જનસંઘે ગુજરાતમાં ચૂંટણી લડવાનું શરૂ કર્યું અને ૧૯૬૯માં કાઁગ્રેસમાં ભાગલા પડ્યા ત્યાર પછી કાઁગ્રેસ (ઓ) સાથે ગઠબંધન કર્યું. ૧૯૭૦ના દશકમાં નવનિર્માણ આંદોલનનો ઉપયોગ એ.બી.વી.પી.એ વંચિતોની આકાંક્ષાઓ સામે મધ્યમ વર્ગના ઘમંડને ઉકસાવવામાં કર્યો.

ઘનશ્યામ શાહ

૧૯૭૫માં જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ જનતા મોરચાની સ્થાપના થઈ જેમાં જનસંઘ એક ઘટક હતું. એ સમયે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જનસંઘના ૪૦ ઉમેદવારો હતા અને મંત્રીમંડળમાં ૩ મંત્રીઓ હતા. ૧૯૮૦માં જનસંઘનો નવો અવતાર ભારતીય જનતા પક્ષ તરીકે ઓળખાયો, જેનું આર.એસ.એસ. સાથે જોડાણ ચાલુ રહ્યું અને એણે પોતાની રાજકીય સત્તાનો ઉપયોગ આર.એસ.એસ.ની વિચારધારાવાળા એજન્ડાને અનુસરવા માટે કર્યો. ગુજરાત અને બિહારની ચળવળો, પછીથી નર્મદા બંધની ચળવળ વખતે, અને ઇંદિરા ગાંધીની વંચિત વર્ગો તરફી નીતિઓ સામે આર.આર.એસ.ને સવર્ણ મધ્યમ વર્ગમાં પોતાનો પાયો મજબૂત કરવાની તક મળી. આ ઉપરાંત ઇંગ્લેંડ અને અમેરિકામાં વસતા ગુજરાતીઓ સાથે સંઘ પરિવારે સંપર્ક સ્થાપ્યો અને મોટા પ્રમાણમાં આર્થિક સહાયતા મેળવી. ૧૯૮૦ના દશકમાં જ્યારે કૉંગ્રેસે ઓ.બી.સી.નું રાજકારણ ચલાવ્યું તે દરમ્યાન ભા.જ.પે. સામાજિક સમીકરણો બદલવાનું કામ કર્યું અને છેવટે સમાજને ધર્મને આધારે વિભાજિત કર્યો. મજૂરોમાં વધતા જતા અસંતોષને શાંત પાડવા અને એમને હિંદુત્વના રાજકારણ તરફ વાળવા પક્ષ સક્રિય બન્યો. એક બાજુ ભા.જ.પે. સવર્ણોમાં પોતાની વગ મજબૂત કરવા અનામત આંદોલનને અંદરથી ટેકો આપ્યો. સાથેસાથે દલિતોને રાજી કરવા ‘સામાજિક સમરસતા મંચ’ શરૂ કર્યો. ૧૯૮૪માં ગુજરાતમાં સંઘ પરિવારે વિશ્વ હિંદુ પરિષદની યુવા શાખા બજરંગદળ શરૂ કરી અને તે પછી સ્ત્રીઓની બ્રિગેડ ‘દુર્ગા વાહિની’ શરૂ કરી. આ બંને એકમો સંઘ પરિવારના જમીની સ્તરે પોતાના કાર્યક્રમો આગળ ચલાવવા માટેની સેનાઓ બન્યાં, જે હિંસાનો ઉપયોગ કરતાં હતાં અને જેનાં સભ્યો મુખ્યત્વે શ્રમિક વર્ગનાં ઓ.બી.સી. અને દલિત સમૂહોનાં હતાં.

૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી ભા.જ.પ.ને લોકસભામાં માત્ર બે બેઠકો મળી અને ત્યારથી અડવાણીના નેતૃત્વ નીચે ઉગ્રવાદી હિંદુત્વનો રસ્તો ભા.જ.પે. અપનાવ્યો. ગુજરાતમાં ૧૯૮૭માં આદિવાસી પ્રદેશમાં રામ જાનકી યાત્રા, ૧૯૮૯માં રામ શીલા પૂજન યાત્રા, અને છેવટે ૧૯૯૦માં અડવાણીની અયોધ્યા યાત્રા જેનું ધ્યેય કોમવાદી ધ્રુવીકરણ હતું. એ બધી યાત્રાઓ સમાજમાં હિંદુ-મુસ્લિમ વિભાજન કરવાની અને હિંદુ સ્વાભિમાનને જગાડવાની ઝુંબેશો હતી. ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા પછી લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ભા.જ.પ.ને ગુજરાતમાં ૨૬માંથી ૨૦ બેઠકો મળી.

ગુજરાત વિધાનસભામાં ૧૯૯૫માં ભા.જ.પ.નો પ્રથમ વાર વિજય થયો. પક્ષમાં સત્તાની સાઠમારી ચાલી અને ભંગાણ પડ્યું. ફરીથી ૧૯૯૮માં ચૂંટણી થઈ તેમાં ભા.જ.પ.ને ૧૧૭ બેઠકો મળી. કેશુભાઈ પટેલ નબળા મુખ્ય મંત્રી સાબિત થતાં નરેન્દ્ર મોદી જે એ સમયે રાષ્ટ્રીય કક્ષાએ જનરલ સેક્રેટરી હતા એ ૫૧ વર્ષની વયે ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા. ૧૯૭૦ના દશકની વિદ્યાર્થી ચળવળ સાથે એ જોડાયેલા અને પછી કટોકટી દરમ્યાન નાગરિક સમાજની વધુ નજીક આવ્યા હતા. મુખ્ય મંત્રી તરીકે હિંદુ રાષ્ટ્રના ધ્યેયને પરિપૂર્ણ કરવા એમણે પક્ષને શિસ્તબદ્ધ કર્યો અને એમના નેતૃત્વ નીચે ગુજરાતનો ભા.જ.પ. સંપૂર્ણ રીતે બદલાઈ ગયો. ૨૦૦૨ના જન સંહારમાં ભા.જ.પે. આત્યંતિક પગલાં લીધાં હતાં તેમ છતાં ચૂંટણીમાં એને ભારે બહુમતી મળી. જો આ જાતનાં પગલાં બીજા પ્રદેશોમાં લેવાય તો બીજે પણ રાજકીય સત્તા મળે. ગુજરાતની પ્રયોગશાળાનો આ સંદેશ હતો.

૨૦૦૨ પછી ગુજરાતને દેશમાં વિકાસના મોડેલ તરીકે રજૂ કરવામાં આવે છે. પરંતુ વિકાસ કોને માટે એ મોટો પ્રશ્ન છે. ગુજરાત હંમેશાં આર્થિક વિકાસના ક્ષેત્રે મોખરે રહ્યું છે. પરંતુ મોટાભાગની પ્રજા માટે યોગ્ય રોજગારી, સ્વાસ્થ્ય અને શિક્ષણના પ્રશ્નો સુધર્યા નથી. આર્થિક વૃદ્ધિમાંથી વંચિત વર્ગો બહાર રહ્યા છે. કાયદાઓ હોવા છતાં સામાજિક ભેદભાવો યથાવત્ છે. ગુજરાતનું સુશાસનનું મોડેલ આર્થિક વૃદ્ધિ પર કેન્દ્રિત છે, વ્યાપક, સમાવેશી વિકાસ પર નહીં. પુસ્તકના છેલ્લા બે વિભાગના લેખો હિંદુત્વના આધિપત્યના પ્રાદેશિકથી રાષ્ટ્રીય સ્તરે બદલાતા ફલક વિશે છે. ગુજરાતમાં સમાજને ધર્મને આધારે વિભાજિત કરવાના હિંદુત્વના સફળ પ્રયોગો ગુજરાતમાં રાજકીય બહુમતી મેળવ્યા પછી રાષ્ટ્રીય કક્ષાએ અજમાવવાના અને ગુજરાતના વિકાસના મોડેલને પણ બહુમતીવાદને મજબૂત બનાવવા આગળ ધરીને દેશમાં નફરતભર્યા કોમવાદને ફેલાવવાના ભા.જ.પ.ના પ્રયત્નો સફળ થયા છે.

પુસ્તકના લેખોમાં ગુજરાતમાં ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં સામાજિક, આર્થિક, રાજકીય પરિબળોનાં બદલાતાં સમીકરણો દ્વારા હિંદુત્વના ઉછેર અને વર્ચસ્વની રજૂઆત છે જે ૨૦૦૨ના જનસંહારની પૂર્વ ભૂમિકા રજૂ કરે છે. ૨૦૦૨માં ફાટી નીકળેલી કોમી હિંસા અને જનસંહાર એ ગુજરાતમાં હિંદુત્વના સફળ પ્રયોગોની ચરમસીમા છે. એનાં વ્યાપ, સ્વરૂપ અને ધ્યેયમાં તેમ જ રાજકીય હેતુ અને પરિણામોમાં પહેલાંનાં રમખાણો કરતાં એ તદ્દન જુદી કક્ષાના છે. એનું પહેલું અને સૌથી ભયાનક પાસું એ હતું કે નાગરિક સમાજના જુદાજુદા સમૂહો આ સંહારમાં મુસ્લિમો સામે એક થયા. હિંદુત્વનો વિજય એમાં રહેલો છે કે એ એકબીજાનો વિરોધ કરતા સામાજિક સમૂહો-વર્ગો અને જાતિઓને પોતાના વાડામાં સમાવી શક્યું છે, જેમ કે ઉદ્યોગપતિઓ અને કામદારો, સવર્ણ અને દલિતો તેમ જ આદિવાસીઓ, ધનિકો અને ગરીબો, સ્ત્રીઓ અને પુરુષો. ૨૦૦૨માં ગુજરાતમાં કોમવાદી ધ્રુવીકરણ અને વિભાજન સંપૂર્ણ હતું. જમણેરી બળો વંચિત વર્ગોને ‘હિંદુ’ ઓળખ આપવામાં સફળ થયાં છે જે ખરેખર તો તેમના ખરા શોષણ અને અત્યાચારને ઢાંકે છે અને તેમના તરફથી પ્રતિકારની શક્યતાઓને ટાળી શકે છે.

યાન બ્રેમાન

દલિતો, કામદારો કે સ્ત્રીઓની જમીની સ્થિતિ ખરેખર તો બિલકુલ બદલાઈ નથી. બીજું, આ હિંસાના બનાવો ગુજરાતમાં ઘણી જગ્યાઓએ, પહેલાંની જેમ કેવળ શહેરોમાં જ સીમિત ન રહેતાં ગુજરાતનાં અનેક ગામોમાં, એકસાથે થયા હતા. ત્રીજું, આ બનાવો નિશ્ચિતરૂપે પૂર્વ યોજિત હતા. દરેક જગ્યાએ એકસરખો પ્રચાર અને પૂર્વ તૈયારી, મોટાં ટોળાંઓ દ્વારા એકસરખા હુમલાઓ અને લૂંટફાટ, મુસ્લિમ પુરુષોને અને સમુદાયને અપમાનિત અને પરાજિત કરી શકાય એ ચોક્કસ હેતુથી મુસ્લિમ સ્ત્રીઓ પર બળાત્કાર, “મારો, કાપો, બાળો” જેવી ઉશ્કેરણીજનક કિકિયારીઓ, બધું યોજનાપૂર્વક બધી જગ્યાઓએ એકસાથે અનુસરવામાં આવ્યું હતું. રાજ્ય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવનાર તંત્ર-પોલીસ-ની ભૂમિકા સ્પષ્ટ હતી. આ જનસંહારના એ મૂક સાક્ષી હતા. બ્રેમાન કહે છે તેમ આ હિંસાના બનાવોમાં ૧૯૩૦ના દશકના જર્મનીના બનાવોની ઝાંખી થાય છે. ઉપરાંત, આ સંહારમાં મૂડીવાદીઓનું રાજ્યને સમર્થન હતું, જે એક મહત્ત્વની નવી ઘટના હતી.

બ્રેમાન સ્વીકારે છે કે ૨૦૦૨ની કોમવાદી હિંસાને રાજકીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં જોવી જોઈએ. પરંતુ તેઓ એને સામાજિક ડાર્વિનવાદની અસર તરીકે જુએ છે, જેમાં નીચલા સ્તરના લોકોનું અસ્તિત્વ સતત જોખમમાં મુકાય છે અને શક્તિશાળી સમૂહોનું એમના પ્રત્યે અમાનવીય વર્તન હોય છે. નીચલા સ્તરની નવી આર્થિક વ્યવસ્થામાં છિન્નભિન્નતા, એક વર્ગ તરીકેની એકતાનો અભાવ, એ વાસ્તવિકતા છે પરંતુ જમણેરી તત્ત્વોની સત્તા અને આધિપત્ય દરમ્યાન નવા અસ્તિત્વમાં આવેલા મૂડીવાદ સાથેના એના સંબંધો ચકાસવા પણ જરૂરી છે.

પુસ્તકમાં હિંદુત્વની ગુજરાતમાં વૃદ્ધિ માટે જૂની અર્થવ્યવસ્થાના અંતને કારણે ઊભી થયેલી મોટા પાયા પરની બેકારીનો અને મજૂર મહાજન સંઘની નિષ્ફળતાનો યોગ્ય ઉલ્લેખ છે. પરંતુ ૧૯૮૦ના દશકમાં ગુજરાતમાં, ખાસ તો અમદાવાદમાં, થયેલા મૂડીવાદી અર્થવ્યવસ્થાના આમૂલ પરિવર્તનની વિસ્તૃત ચર્ચા પણ જરૂરી છે. ૧૯૮૦ના દશકમાં ગુજરાતમાં ઔદ્યોગિક મૂડીવાદી વ્યવસ્થાનો અંત આવ્યો એ સાથે જ જમણેરી તત્ત્વોનો ઉદય થયો. ત્યારથી એક નવા મૂડીવાદી વર્ગ અને હિંદુત્વનાં બળોએ ભેગાં મળીને કામ કર્યું છે. ઉદારીકરણની નીતિઓ અને કોમવાદ એકબીજાની સાથે હાથ મિલાવીને વધ્યાં છે.

અમદાવાદમાં ઔદ્યોગિક મૂડીવાદના સમયમાં કાપડની મિલોના ઉદ્યોગપતિઓ સમૃદ્ધ ઉચ્ચ જૈન અને વૈષ્ણવ જાતિના હતા. સદીઓથી ચાલી આવતી મહાજન પરંપરા જે ઘર્ષણો અને ઝગડાઓનો નિકાલ સમજૂતી અને સમાધાનથી લાવવા માટે જાણીતી હતી એ સામાજિક, રાજકીય અને ધાર્મિક સંઘર્ષો ટાળતી હતી. આ વ્યાવહારિક વિચારધારા – જે મજૂર મહાજન સંઘે પણ અપનાવી હતી તેને કારણે અમદાવાદમાં મૂડીવાદી અર્થવ્યવસ્થા હોવા છતાં ક્યારે ય મોટો વર્ગ વિગ્રહ થયો નહીં. રાજ્યની દખલગીરી આ વ્યવસ્થામાં નહિવત્ હતી. આ મૂડીવાદી વર્ગ પ્રમાણમાં રાજ્યથી સ્વતંત્ર હતો અને એથી રાજ્યમાં જ્યારે ઘર્ષણો પેદા થયાં ત્યારે એનાથી અલિપ્ત રહ્યો. એ નોંધપાત્ર છે કે ૧૯૬૯નાં કોમી રમખાણોમાં કરફ્યુ હોવા છતાં મિલો ચાલુ રહી, અને ઘણા મુસ્લિમ મજૂરો માર્યા ગયા હોવા છતાં મિલોની અંદર કોમવાદી ઝેર ફેલાયું નહીં.

૧૯૮૦ પછી જે નવાં મૂડીરોકાણો ઊભાં થયાં તે મધ્યમ જાતિઓમાંથી આવ્યાં હતાં. એમણે પાવર લૂમ અને મશીન ઉત્પાદનના ધંધા શરૂ કર્યા. બિન રહેવાસી, ગુજરાતીઓએ પણ ભારે ઉત્પાદન યંત્રોના ઉદ્યોગોમાં રોકાણ કર્યું. આ મધ્યમ જાતિના મૂડીવાદીઓ માટે હિંદુ ઓળખ સન્માન અને શક્તિની સૂચક હતી. બિન રહેવાસી ગુજરાતીઓ માટે પરદેશમાં ધાર્મિક રિવાજો અને ઉત્સવોની ઉજવણી હિંદુ ઓળખ માટે જરૂરી બની. આ સમૂહો ગુજરાતમાં હિંદુત્વ બળોને મજબૂત બનાવવામાં અને આર્થિક સહાય કરવામાં સક્રિય ભાગ ભજવે છે. ઉપરાંત ઉદારીકરણની નીતિઓને લીધે વિશ્વનાં બજારો સાથે સંપર્ક વધ્યો છે તેનો અને સરકારની ખાનગીકરણની નીતિઓનો લાભ આ નવા ઉદ્યોગપતિઓને મળ્યો છે. વર્તમાન સમયમાં રાજ્ય અને મૂડીવાદીઓ એકબીજાને મદદ કરીને સમૃદ્ધ બન્યાં છે જેને અંગ્રેજીમાં ‘ક્રોની કેપિટલીઝમ’ (દિલોજાન દોસ્તોનો મૂડીવાદ) કહે છે. આજે રાજ્ય, મૂડી અને જમણેરી તત્ત્વોનું મજબૂત જોડાણ અસ્તિત્વમાં આવ્યું છે. મૂડીવાદ અને રાજ્યની આ પ્રકારની નજદીકી આજે દેશની રાજકીય સ્થિતિનું પણ મુખ્ય બળ બન્યું છે. ઉચ્ચ વર્ગ અને જાતિનાં હિતો સાચવતી આ પરિસ્થિતિમાં સમાજના વંચિત વર્ગો અને લઘુમતી સમૂહો સતત હિંસા અને અત્યાચારના ભય નીચે જીવે છે.

આજે દેશમાં અને સમાજમાં હિંદુત્વનું વર્ચસ્વ છે. આ પુસ્તકમાં ગુજરાતને આ હાનિકારક કોમવાદના ઉછેરના સ્થાન અને સંદેશવાહક તરીકે વિગતે બતાવ્યું છે. દેશની આજની પરિસ્થિતિ સમજવા માટે, એનાં કારણો જાણવા માટે, દેશના મોટા ભાગના વંચિતો અને લઘુમતી સમુદાયો પર એની કેવી ભયાનક અસર થઈ છે એ વિશે ચિંતિત સૌ કોઈ માટે આ એક ખૂબ મહત્ત્વનું પુસ્તક છે.

(સંપૂર્ણ)  

પહેલો ભાગ : 

ગુજરાત : હિંદુત્વની રાજનીતિનું ઉછેરસ્થાન : ભાગ-1

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑક્ટોબર 2023; પૃ. 17-18 તેમ જ 21

Loading

...102030...794795796797...800810820...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved