Opinion Magazine
Number of visits: 9741656
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીપથના ગરવા યાત્રી : નારાયણભાઈ દેસાઈ

ભદ્રા વિક્રમ સવાઈ|Gandhiana, Profile|18 March 2024

ભદ્રા વિક્રમ સવાઈ અને નારાયણ દેસાઈ

આપણું સદ્ભાગ્ય છે કે જેમણે ગાંધીજીને જોયા હતા, જે બાળવયે ગાંધીજીના ખોળામાં ઊછર્યા હતા અને ગાંધીજી સાથે રમ્યા હતા; ઉંમરે મોટા થતા ગયા તેમ તેમ ગાંધીજીને વધુ ને વધુ જાણતા, પ્રમાણતા ગયા હતા, તેવા નારાયણભાઈ દેસાઈ જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે ગાંધીજીને જાણવાનો, માણવાનો અને એમના અંગે લખાયેલા, એમનાં લખાણો થકી એક મોટો મુકામ હતા.

આપણે એમની જન્મશતાબ્દી નિમિત્તે એમને એમની વાતો થકી, એમના સાહિત્યસર્જન થકી, જુદા જુદા લોકોએ એમને અંગે લખેલા લેખો થકી એમને સમજવા-જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

૨૪-૧૨-૧૯૨૪ના રોજ વલસાડ જિલ્લાના ઓલપાડ તાલુકાના દિહેણ ગામે એમનો જન્મ થયેલો. નારાયણભાઈનું ઊંચું પહોંચતું હાડ, મોટી ઉંમરે પણ ટટ્ટાર. એમની ઊંચાઈ કોઈને પણ પ્રભાવિત કરે તેવી હતી. તેમના પિતા મહાદેવભાઈ પણ ઊંચા હતા. એટલે નારાયણભાઈ માટે કહી શકાય કે ઊંચાઈ તો એમના બાપની જ ! એમનું બેસવાનું પણ ટટ્ટાર, એમનું ચાલવાનું પણ ટટ્ટાર અને બોલવાનું પણ ટટ્ટાર. નારાયણભાઈ બહારથી તેમ જ અંદરથી પણ ઊંચા અને પહોંચેલા માણસ હતા. નારાયણભાઈ વયને પણ ગાંઠે તેવા ન હતા અને વિષમતાઓને પણ ગાંઠે તેવા ન હતા. જ્યાં બેઠા હોય ત્યાં તેમની ગરિમા ઊભી થતી. કેટલીક વ્યક્તિઓ એવી હોય છે, જે સભામાં બેઠી હોય તો સભાની શોભા વધે. એમની ઉપસ્થિતિ માત્રથી સભાને એક વિશિષ્ટ અર્થ અને દરજ્જો મળવા માંડતો હોય છે. નારાયણભાઈ આવું એક સંપન્ન વ્યક્તિત્વ હતું.

નારાયણભાઈને એક સાથે બેવડો નહીં, ત્રેવડો લાભ થયો છે. ‘પિતા’ તરીકે મહાદેવભાઈનો લાભ, ‘માતા’ તરીકે દુર્ગાબહેનનો લાભ અને ‘બાપુ’ તરીકે ગાંધીજીનો લાભ. ‘બા’ તરીકે કસ્તૂરબાનો લાભ તો ખરો જ. સૂચક અર્થમાં કહીએ તો જેને માથે ગાંધીજીએ હાથ મૂક્યો હોય તે કોઈથી ગાંજ્યો જાય ? બીજી રીતે કહીએ તો જેણે ગાંધીજીનો હાથ ઝાલ્યો હોય; અથવા એમ કહીએ કે ગાંધીજીએ જેનો હાથ ઝાલ્યો હોય એ પછી બીજા કોઈથી ઝાલ્યો રહે ? ઝાલ્યો રહે તો ફક્ત ગાંધીજી થકી જ ઝાલ્યો રહે. ગાંધીવિચાર થકી ઝાલ્યો રહે, ગાંધીદર્શન થકી જ ઝાલ્યો રહે.

નારાયણભાઈનું બાળપણ ગાંધીજીના ખોળામાં ઊછર્યું હતું. મહાદેવભાઈ તો ગાંધીજી સાથે રહ્યા હતા, પણ નારાયણભાઈ તો ગાંધીજી સાથે રમ્યા હતા. ગાંધીજી સાથે રહેવું એટલે જ્વાળામુખીની ટોચ ઉપર રહેવા જેવું હતું. મહાદેવભાઈએ ત્યાં રહી બતાવ્યું હતું. ગાંધીજી સાથે રમવાની વાત તો બાજુએ રહી, તેમની પાસે બેસવાનું પણ ભારે હતું. જ્યારે નારાયણભાઈએ તો એમની સાથે રમી બતાવ્યું હતું.

નારાયણભાઈનો ખરો પરિચય આપવો હોય તો એકસાથે મહાદેવભાઈ અને ગાંધીજી બેઉનો છેડો ઝાલવો પડે. અને એમ કરવા જતાં એકની વાત બીજામાં જતી રહે, બીજાની વાત પહેલામાં પેસી જાય, એમાં વળી ત્રીજો કે જેની વાત માંડવી છે તે બાજુએ રહી જાય એવી સ્થિતિ છે.

શરૂઆતનાં મુગ્ધ અને બાળવયનાં તેમ જ આગળ જતાં કિશોર અને વયસ્ક વયનાં કુલ મળીને વીસેક વર્ષનો, નારાયણભાઈને ગાંધીજીનો સહવાસ મળ્યો. આ દરમિયાન એમણે એક વિરાટ પુરુષ અને મહાનાયકના વ્યક્તિત્વની અનેક છબિઓ ઝીલી હતી.

નારાયણભાઈ દેસાઈ આપણા લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર હતા. સાહિત્યકાર થવાના આશયથી તેમણે કલમ ઉપાડી ન હતી, પરંતુ એમણે પોતે ગાંધીજીને જે રીતે જે રૂપે જોયા જાણ્યા હતા, માણ્યા પ્રમાણ્યા હતા તેની ઊલટ વ્યકત કરવાને સારુ તથા ગાંધીવિચાર, ગાંધીદર્શન અને ગાંધીકાર્યના સંદર્ભમાં પોતાની જે પ્રવૃત્તિ અને યાત્રા ચાલેલી તેના અનુભવનું નિરૂપણ કરવાને સારુ એમની કલમ ચાલેલી. નારાયણભાઈની કેળવાયેલી અને કસાયેલી કલમે માતબર સાહિત્ય આપ્યું છે. ગુજરાતી, હિંદી, અંગ્રેજી એમ જુદી જુદી ભાષામાં નાનામોટા ચાળીસેક જેટલા ગ્રંથોની સંપદા તેમણે આપી. આમાં કેટલાક વિચારપ્રધાન ચિંતનાત્મક પ્રકારના ગ્રંથો છે, કેટલાક સંપાદન-ગ્રંથો છે, કેટલાક અનુવાદગ્રંથો છે, ચરિત્રગ્રંથો પણ છે.

જેમના થકી નારાયણભાઈ નિરંતર સેવાયા છે અને સંસ્કારાયા છે, નિત્ય અંજાયા છે અને મંજાયા છે તેવા ‘બાપુ’ વિશેના તેમના કેટલાક ચરિત્ર ગ્રંથો અ-જોડ છે. ગાંધીજીના જીવનચરિત્ર સંબંધે દેશ અને દુનિયામાં ઘણું લખાયું છે, પરંતુ નારાયણભાઈએ ગુજરાતીમાં ‘મારું જીવન એ જ મારી વાણી’ના ચાર ગ્રંથો આપ્યા. તેણે ગાંધીચરિત્રના અધિકૃત ગ્રંથની ખોટ પૂરી કરી. ગુજરાતી સાહિત્યમાં અને વિશ્વસાહિત્યમાં ગાંધીજીના ચરિત્રને આટલી સમગ્રતામાં અને આટલી અખિલાઈમાં પ્રગટ કરતો આ પ્રથમ ગ્રંથ છે. ભારતીય જ્ઞાનપીઠે આ ગ્રંથને ‘મૂર્તિદેવી પુરસ્કાર’ આપી તેનું ઉચિત ગૌરવ કરેલું. ‘સંત સેવતાં સુકૃત વાધે’ પુસ્તક એ નારાયણભાઈના ગાંધીજી સાથેના બાળપણનાં સંસ્મરણોનો આત્મીય ગ્રંથ.

દેશવિદેશની આઠેક ભાષામાં આ કૃતિ અનુવાદ પામેલી. ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’માં નારાયણભાઈએ તેમના પિતા મહાદેવભાઈનું સર્વગ્રાહી, સમતોલ, સંતર્પક ચરિત્ર આલેખ્યું. આવા ચરિત્રગ્રંથો દુર્લભ છે. ગ્રંથના આમુખમાં ચી.ના. પટેલે લખ્યું છે કે આ ગ્રંથ વાંચતાં ‘હું જાણે પુરાણ-કથા વાંચતો હોઉં એવો અનુભવ થયો’. નારાયણભાઈએ ’My Gandhi’ પુસ્તક જે મૂળ અંગ્રેજીમાં લખેલું તેનો તેમણે પોતે જ ‘મારા ગાંધી’ રૂપે અનુવાદ આપ્યો છે. ગાંધીજીએ વિશ્વ ને આપેલી ત્રણ મહાન ભેટ (૧) સત્યાગ્રહ (૨) એકાદશ વ્રતો (૩) રચનાત્મક કાર્યો અંગનું નિરૂપણ વસ્તુઘનતા, પ્રમાણભૂતતા અને અધિકૃતતાની એકધારી છાપ પાડે. ‘કવિ ઉશનસ્‌’ આ ગ્રંથને કિશોરલાલ મશરૂવાળાના ‘ગાંધીવિચાર દોહન’ અને ‘સમૂળી ક્રાંતિ’ જેવાં પુસ્તકોની અડોઅડ અને લગોલગ મૂકે. તેઓએ ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ બિન હરીફ શોભાવેલું. એક સમયે મહાત્મા ગાંધીજીએ પણ આ પદ શોભાવેલું.

‘કથા’ એ આપણું પરંપરાગત, પ્રચલિત અને બહુભોગ્ય લોકમાધ્યમ છે. આપણા જનસમાજે એને અનેક રીતે ઝીલ્યું છે. સામાન્ય માણસનો આ માધ્યમ સાથે સીધો, આત્મીય અને જીવંત સંબંધ રહ્યો છે. ‘સત્યનારાયણની કથા’, ‘ભાગવત કથા’, ‘રામકથા’ આપણા સમસ્ત જન-ગણ-મનમાં ગુંજે છે. આમ ‘કથા’નું માધ્યમ લોકહૃદયમાં સ્થાપિત થયેલું છે. જો કે આ બાબતે નારાયણભાઈ પોતે એકદમ સ્પષ્ટ હતા. એમણે તો માધ્યમ તરીકે જ ‘કથા’ શબ્દ અને તેના પ્રકારનો સ્વીકાર કર્યો હતો.

કથાના માધ્યમ દ્વારા લોકો સુધી ગાંધી, ગાંધી દર્શન, ગાંધીપ્રવૃત્તિની વાતો પહોંચે તે માટેનો આ પ્રયોગ હતો. આમાં કોઈ આંધળી ગાંધી ભક્તિ નથી. વિશ્વ સમસ્ત અને માનવજાતના કલ્યાણની જે મૂળભૂત બાબતો છે તે અને ગાંધીજી દ્વારા વ્યવહારમાં લવાયેલી છે તે બાબતો લોકો સમક્ષ મૂકીને, લોકોને તેમાં સામેલ કરવાનું મુખ્ય પ્રયોજન હતું.

(ડૉ. દલપત પઢિયાર લિખિત ‘શ્રી નારાયણ દેસાઈ – ગાંધીપથના ગરવા યાત્રી’ નામક પુસ્તિકામાંથી સારવીને)

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ 2024; પૃ. 10-11 

Loading

અરણ્યરુદન

Opinion - Short Stories|18 March 2024

મંગલ એટલે જંગલનું સંતાન. પહાડ, ઝરણાં, ખેતર અને તળાવ – આ જ બધું હતું એનું જીવન. જંગલમાં ગયા વિનાનો એનો એક્કે દિવસ ન જાય. જંગલનાં ઝાડ-પાન, પશુ-પંખી, અરે! જંગલના એક એક વળાંકને એ ઓળખતો. એની પત્ની શુકરી એને કહેતી, ‘તું તો પહેલેથી જંગલને પરણેલો જ હતો તો મારી સાથે શું કામ પરણ્યો?’

‘તને પરણ્યો કેમ કે, હું તને ચાહું છું પણ જંગલની તો હું પૂજા કરું છું.’

સાચે જ, મંગલ જંગલનાં વૃક્ષોને ભગવાન માનીને એમની પૂજા કરતો. લાકડાં એકઠાં કરવા ભલે ઝાડની ડાળીઓ કાપવી પડે પણ થડ પર કદી ય કુહાડી ન મારતો. પોતાના સાથીદારોને ય સમજાવતો, ‘આ ઝાડ તો જંગલની રખેવાળી કરે છે. આપણને સૌને પાળે-પોષે છે. એની રક્ષા કરવાની આપણી ફરજ છે. મહેરબાની કરીને એનો નાશ ન કરો.’

વૃક્ષો પ્રત્યેના પૂજ્યભાવને કારણે એ સવાર-સાંજ વૃક્ષોને વંદન કરતો. એનું આવું વર્તન જોઈને બધા મજાક ઉડાવતા, ‘આ મંગલિયાનું મગજ ચસકી ગયું લાગે છે. એને ભાન નથી કે, સરકારે આ આખું જંગલ એક પરદેશની કંપનીને વેચી દીધું છે. હવે જંગલ સાફ કરીને અહીં કારખાનું નખાશે.’

‘આપણી જેમ એક ઝાડ કાપવાના પાંચસો રૂપિયા ચુપચાપ ખિસામાં મૂકી દેતો હોત તો અત્યાર સુધીમાં તૂટેલાં-ફૂટેલાં ઝૂપડાંને બદલે પાકું ઘર બનાવી લીધું હોત.’

પણ મંગલમાં સાચે જ એવી ગતાગમ નહોતી. એ તો સામી છાતીએ કોંટ્રાક્ટરને કહેવા જતો, ‘કપાવી તો જુઓ જંગલ! અમારા બાવડામાં એટલું જોર છે કે, તમારા માણસોને ભોંયભેગા કરી દઈએ. અમે એવા બાણાવળી છીએ કે, અમારા ધનુષમાંથી નીકળેલું તીર બરાબર નિશાન પર જ વાગે.’

કોંટ્રાક્ટર જોરથી હસીને કહેતો, ‘વાહ રે બાણાવળી! જરા તારા દોસ્તોને પૂછી તો આવ કે તને સાથ દેવા કોણ તૈયાર છે? ને હવે તીર-કામઠાંનો નહીં, રિવોલ્વર ને મશીનગનનો જમાનો છે, સમજ્યો?’

શુકરીને પણ લાગતું કે, નક્કી મંગલને કોઈ ભૂત-પ્રેત વળગ્યું છે. મારે કોઈ ભગત-ભૂવા પાસે જવું પડશે. ભગતને જઈને પૂછીશ કે, ‘જુઓને, આને હું થ્યું છે? જંગલ કપાતું જોઈને ક્યારેક રડવા લાગે છે તો ક્યારેક વળી દાંત કચકચાવીને ગુસ્સે થાય છે.’ એ રોજ કાલે જઈશ, કાલે જઈશ એમ વિચારતી પણ એના પેટમાં મંગલની નિશાની હતી. જ્યારથી એને ખ્યાલ આવ્યો કે, મહિના રહ્યા છે ત્યારથી એ વિચાર્યા કરતી કે, પોતાનો ધણી જંગલમાં એકલો એકલો ઉદાસ બેઠો હશે ત્યારે જઈને આ વાત કરીશ. આ સાંભળીને જરૂર એના મનમાં મોહ-માયા જાગી ઊઠશે.

શુકરીની આશા પર પાણી ફરી વળ્યું જ્યારે બાજુના ખોરડા વાળા શામુએ દોડતા આવીને ખબર આપી કે, ‘મંગલે એવું તાકીને તીર ચલાવ્યું કે, કોંટ્રાક્ટર ત્યાં ને ત્યાં ઢળી પડ્યો. એના હાથમાં બેડી નાખીને પોલીસ એને પકડી ગઈ.’

ખલાસ! શુકરી ને એની સાસુને માથે આભ તૂટી પડ્યું. એ બેઉનું કલ્પાંત જોઈને કિશોરને દયા આવી ગઈ. એ મંગલના પિતરાઈનો દીકરો હતો અને શહેરમાં રહીને ભણતો હતો. એ આ સાસુ-વહુને આશ્વાસન આપવા આવ્યો.

‘ચિંતા ન કરો. હું કાલે જ પાછો શહેરમાં જવાનો છું. એક હોશિયાર વકીલને ઓળખું છું. ભલભલા ગુનેગારને એ નિર્દોષ છોડાવે છે. મંગલકાકા પણ જરૂર પાછા આવશે.’

મહાંતી વકીલ ખરેખર બાહોશ હતા. એણે મંગલને બરાબર પટ્ટી પઢાવી. ‘કોઈ ગમે તેટલું પૂછે, તારે ફક્ત એટલું જ કહેવાનું કે, મને નથી ખબર.’

શુકરી જેલમાં મંગલને મળવા આવી ત્યારે એના હાલ-હવાલ જોઈને રડી પડી. પચીસ વર્ષનો મજબૂત બાંધાનો એનો પતિ આટલા દિવસમાં પંચાવનનો લાગતો હતો. છાતીની પાંસળીઓ દેખાતી હતી અને  કાળા ભમ્મર વાળ સફેદી પકડવા લાગ્યા હતા. એને રડતી જોઈને મંગલે કહ્યું, ‘મારી ફિકર કરજે મા. હું મજામાં છું. બસ, તું મારી માને ને તારા પેટમાં આપણું બચ્ચું છે એ બેયને સાચવજે. હું જલદી પાછો આવીશ.’ શુકરીએ જેલના સળિયામાંથી હાથ નાખીને મંગલનો હાથ પકડ્યો અને પોતાના પેટ પર મુકાવીને સોગંદ આપ્યા કે, એ વકીલના કહેવા મુજબ જ કોર્ટમાં બોલશે.

કેસ ચાલ્યો ત્યારે મહાંતીએ જોરદાર દલીલો અને કેટલા ય સાક્ષીઓ દ્વારા પુરવાર કરવાની કોશિશ કરી કે, ‘મંગલ ઘટનાના દિવસે જંગલમાં ગયો જ નહોતો. એ તો કંઈક ખરીદી કરવા બાજુના ગામમાં ગયો હતો.’

સાચું બોલી દેવા મંગલના હોઠ ફફડતા હતા પણ વકીલનો ઈશારો સમજીને એ ચૂપ થઈ ગયો ને વળી શુકરીને આપેલા સોગંદ પણ એને રોકતા હતા. મહાંતીની દલીલોના જવાબમાં સામા પક્ષના વકીલ ઊભા થયા અને મંગલ તથા બીજા વનવાસીઓની એમણે ઝાટકણી કાઢવા માંડી.

‘યોર ઓનર, આ લોકો ભલા-ભોળા દેખાય છે પણ હકીકતમાં મહા પાખંડી છે. આ જે આરોપીના પાંજરામાં શાંતિથી ઊભો છે એ એક નર પિશાચ છે. માણસને મારવા એ તો એમનો ડાબા હાથનો ખેલ છે.’ એમણે પોતાની પાસેના કાગળિયા આત્મવિશ્વાસથી રજૂ કરતા કહ્યું, ‘નામદાર કોર્ટને માલુમ થાય કે, આ ગરીબડો દેખાતો આદિવાસી એક ખુંખાર માઓવાદી ટોળકીનો સભ્ય છે. મારી વાતને ટેકો આપતા પુરાવા મેં આપ સમક્ષ રજૂ કર્યા છે.’

એક વિજયી સ્મિત સાથે મંગલની આંખમાં આંખ નાખી એમણે પૂછ્યું, ‘એક જીવતા-જાગતા માણસ પર તીર ચલાવીને એની હત્યા કરતી વખતે તને એવો વિચાર ન આવ્યો કે, એનામાં જીવ છે?’

મંગલે ધીમેથી કહ્યું, ‘આવ્યો હતો ને સાહેબ!’

‘એનામાં જીવ દેખાયો તે છતાં તેં એની હત્યા શા માટે કરી?’

મંગલ જોરથી હસી પડ્યો અને બોલ્યો, ‘કેવી વાત કરો છો સાહેબ? મને કોંટ્રાક્ટરમાં જીવ ન દેખાય એ મારો ગુનો, પણ તમને સૌને આટલાં બધાં ઝાડમાં જીવ ન દેખાય અને તમે એની હત્યા કરો એનું કંઈ નહીં?’

ચુકાદો લખવા જતા ન્યાયાધીશના હાથમાંથી કલમ ક્યારે પડી ગઈ એનું એમને ધ્યાન ન રહ્યું.

(બિજય નાયકની ઓડિયા વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ 2024; પૃ. 24

Loading

ભારતનું મહાભારત !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 March 2024

રવીન્દ્ર પારેખ

અનેક અટકળો વચ્ચે મોડે મોડે પણ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ને એ સાથે જ આચાર/લાચાર સંહિતા પણ લાગુ થઈ છે. દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતની છે ને એની ચૂંટણીનું ભગીરથ કાર્ય ચૂંટણી પંચને માથે આવ્યું છે. ચૂંટણી પંચનાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં થવાની જાહેરાત કરી છે. પહેલો તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે ને સાતમા તબક્કાની ચૂંટણી 1 જૂને પૂરી થશે. 21 રાજ્યોમાં 1 જ તબક્કે મતદાન થશે, જ્યારે યુ.પી., બિહાર અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 7 તબક્કામાં મતદાન થશે. ગુજરાતની વાત કરીએ તો 26 બેઠકો પર 7 મેએ મતદાન થશે ને એ જ દિવસે વિધાનસભાની 5 બેઠકો પર પણ મતદાન સંપન્ન થશે. ભારતના કુલ 96.88 કરોડ મતદાતાઓ 55 લાખ ઇ.વી.એમ. પર, 10.5 લાખથી વધુ મતદાન કેન્દ્રો પર મતદાન કરશે ને 1.5 કરોડ કર્મચારીઓ મતદાનની વિધિ સંપન્ન કરાવશે. મતદાતાઓમાં 49.72 કરોડ પુરુષો હશે ને 47.15 કરોડ મહિલાઓ હશે, તથા 1.82 કરોડ મતદાતાઓ પહેલી વખત મતદાન કરશે. 85થી વધુ ઉંમરના મતદાતાઓ તથા 40 ટકાથી વધુ દિવ્યાંગ મતદાતાઓ ઘરેથી મતદાન કરી શકશે. ગુજરાતની વાત કરીએ તો હજી બંને પક્ષના 21 ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે. માત્ર ગુજરાતનાં જ 4.94 કરોડ મતદાતાઓ મતદાન કરશે. ગુજરાતમાં જ 10,322 એવા મતદાતાઓ છે જેમની ઉંમર 100થી વધુ વર્ષની છે. રહી વાત સુરતની તો 4,476 મતદાન મથકો પર 48,23,163 મતદાતાઓ મતદાન કરશે, જેમાં 25.23 લાખ પુરુષો અને 21.84 લાખ સ્ત્રીઓ હશે. 4 જૂને 543 સીટોનાં ચૂંટણીનાં પરિણામો જાહેર થશે.

81 દિવસ લાગુ થનારી આચાર સંહિતાની સાથે જ શું ન થઈ શકે એની મોટા ઉપાડે ચૂંટણી પંચે જાહેરાત કરી છે, પણ તેનો અમલ રાજકીય પક્ષોએ કરવાનો હોય છે ને તે કેટલો થાય છે તે સૌ જાણે છે. બીજી મહત્ત્વની વાત એ કે 81 દિવસ આચાર સંહિતા લાગુ થવાને કારણે લગભગ બધાં જ સરકારી કામો ઠપ થઈ જતાં હોય છે. એક તરફ અતિશય ખર્ચાળ ચૂંટણી ને બીજી તરફ લગભગ ત્રણેક મહિના સરકારી કામકાજની બંધી, આ બંનેની અસર થયા વગર રહેતી નથી. આ સ્થિતિમાં સુધાર થયો નથી ને થતો નથી તે ચિંત્ય છે. આમ તો એનો સીધો રસ્તો એ છે કે ચૂંટણી ઓછા તબક્કાઓમાં ને ઓછામાં ઓછા સમયમાં થાય, પણ એ તો થાય ત્યારે ખરું. બીજો એક રસ્તો તે વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીઓ સાથે સાથે થાય તે છે. આ વખતે આંધ્ર, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડીસા વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ થઈ રહી છે તે પરથી ભવિષ્યમાં પણ અન્ય વિધાનસભાઓ સંદર્ભે વિચારી શકાય. ચાર વિધાનસભાની ચૂંટણી જો લોકસભાની ચૂંટણી સાથે થઈ શકતી હોય તો બધી વિધાનસભાની પણ થઈ જ શકે. એટલીસ્ટ, કોશિશ તો થઈ જ શકે.

આચાર સંહિતાનું તો એવું છે કે રાજકીય પક્ષો છટકબારીઓ શોધીને ધારેલું કરી જ લેતા હોય છે. જેમ કે ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે જાતિ-ધર્મને નામે ઉશ્કેરશો તો પગલાં લઈશું ને આ વખતે ઠપકો આપીને છોડી નહીં મુકાય, પગલાં જ લેવાશે. ચૂંટણી પંચ દ્વારા એવું ભારપૂર્વક કહેવાયું છે. સાંભળવામાં આ બધું સારું લાગે છે, પણ પ્રચારમાં કઈ જાતિ કે ધર્મને ટાર્ગેટ કરાય છે તે જગજાહેર છે. જોઈએ, આવનાર પચાસેક દિવસમાં કેવો પ્રચાર થાય છે ને તેનો પંચ કેવોક પડઘો પાડે છે ! જાહેરાતો તો એવી પણ થઈ છે કે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકાશે તો તેને રોકવામાં આવશે કે નાણાંની હેરાફેરી રોકવાના પ્રયત્નો પણ થશે. કલંકિત ઉમેદવારોને ચૂંટણી લડતા તો રોકી શકાય એમ નથી, કારણ એવું થાય તો મોટે ભાગના ઘરે બેસે, પણ એવા ઉમેદવારો માટે ચૂંટણી પંચે એવી સગવડ કરી છે કે ઉમેદવારે પોતે કલંકિત છે એવી ત્રણ વખત અખબારોમાં જાહેરાત આપવી પડશે. પંચ પણ કેવું કરમુક્ત મનોરંજન પૂરું પાડે છે, નહીં? કલંકિત ઉમેદવાર એક વાર નહીં, ત્રણ ત્રણ વખત છાપાંમાં જાહેરાત આપે તો એ પગ પર કુહાડો નહીં, કુહાડા પર પગ મારે છે એમ જ માનવું પડે. એવી તો ઘણી વાતો છે જેમાં અગાઉ ચૂંટણી પંચે ઉદારતા દાખવી છે ને એનો લાભ ઉમેદવારોએ/પક્ષોએ લીધો છે.

આમ જોઈએ તો આ વખતનો ચૂંટણી જંગ એન.ડી.એ. અને ‘ઇન્ડિયા’ વચ્ચેનો છે. ભા.જ.પ. અને તેના સાથી પક્ષોનું નેતૃત્વ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંભાળે છે, જ્યારે ઇન્ડિયામાં કોઈ એકનું નેતૃત્વ સ્પષ્ટ નથી. 28 વિપક્ષોનું ગઠબંધન ઉત્તરોત્તર વિખેરાતું રહ્યું છે. એક તબક્કે જેટલા વિપક્ષી નેતાઓ એટલા વડા પ્રધાન પદના દાવેદાર – એવી સ્થિતિ હતી. મમતા બેનરજી જેવી તૃણમૂલ કાઁગ્રેસની સક્ષમ મુખ્ય મંત્રીએ ગઠબંધન છોડ્યું ને 42 સીટો પર સ્વતંત્ર રીતે લડી લેવાનું નક્કી કર્યું. આ પગલું એટલે પણ સફળ ન થાય એમ બને કે સંદેશખાલી પ્રકરણે પશ્ચિમ બંગાળની ભીષણ વાસ્તવિકતાને ઉઘાડી કરી દીધી છે. વધારામાં ચૂંટણી બોન્ડમાં કાઁગ્રેસને પાછળ મૂકીને તૃણમૂલ કાઁગ્રેસ બીજા નંબરે છે તે પણ સૂચક છે. એ જ પ્રમાણે ચૂંટણી બોન્ડ દ્વારા સૌથી વધુ રકમ અંકે કરીને ભા.જ.પ. પહેલે નબરે છે તે વાત પણ તેની તરફેણમાં કેટલી જાય તે વિચારવાની રહે. આમ તો ચૂંટણી બોન્ડ વધુ પારદર્શિતા માટે શરૂ કરાયા, પણ એ પણ રાજકીય પક્ષો સાથેની સાંઠગાંઠ અને લાભાલાભને જ ખુલ્લાં કરે છે, બલકે, બીજા શબ્દોમાં કહીએ તો તેનું રક્ષણ કરે છે એમ પણ ખરું.

બિહારના નીતીશકુમારની અનીતિ એ જ નીતિ રહી છે. ભા.જ.પ. અને નીતીશ એકબીજાને ભરપૂર ધિક્કારી ચૂક્યા પછી એકબીજામાં ફરી ભળી-ગળી ગયા છે. રાજકારણમાં કોઈ સિદ્ધાંત કે નીતિ જરૂરી નથી એટલે આ બધું હવે શક્ય છે. એક તબક્કે નીતીશ, ઇન્ડિયાનું નેતૃત્વ કરે એવી સ્થિતિ હતી, પણ હવે તો તેમને જ ભા.જ.પ. સંભાળે એવી સ્થિતિ છે. કાઁગ્રેસ અને અખિલેશ યાદવે માયાવતીને વડા પ્રધાનપદની ઓફર સાથે 25 બેઠકો ધરી, પણ માયાવતીએ એ ઓફર ઠુકરાવી. મહારાષ્ટ્રમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે, બિહારમાં તેજસ્વી અને ઉત્તર પ્રદેશમાં અખિલેશ રાહુલ ગાંધી સાથે દોસ્તીદાવ અજમાવી રહ્યા છે, પણ ભા.જ.પ. સામે એમનો પનો ટૂંકો જ પડી રહ્યો છે તે એમને ય ખબર છે. સાચું તો એ છે કે ઇન્ડિયા ગઠબંધન પાસે ભા.જ.પ. સામે વન ટુ વન મૂકી શકાય એવાં માથાં જ નથી. રાહુલ ગાંધીને ન્યાય યાત્રામાં છે એટલો રસ કદાચ ચૂંટણીમાં નથી, એટલે ભા.જ.પ. સામે સક્ષમ એવો વિપક્ષ જ લગભગ નથી.

આમ તો કૈં ન કરે તો પણ ભા.જ.પ.ને જીતવા બહુ મહેનત કરવી પડે એમ નથી. વિપક્ષોનો કુસંપ જ ભા.જ.પ.ને વિજયી બનાવવા પૂરતો છે. એની સામે 370 નાબૂદી, સી.એ.એ., રામમંદિર, મહિલાઓને 33 ટકા અનામત જેવા ઘણા મુદ્દા ભા.જ.પ.ને જમા પક્ષે છે. એ સ્થિતિમાં ભા.જ.પ. 370 અને એન.ડી.એ.ના બીજા 39ની જીતનો દાખલો ગણે તો એ ખોટો પડે એવું લાગતું નથી. ભા.જ.પે. દક્ષિણના રાજ્યો પર વધારે ધ્યાન આપવાનું રહે. તેણે આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુના તેલુગુદેશમ્‌ સાથે અને કર્ણાટકમાં જનતા દળ યુનાઈટેડના દેવેગૌડા સાથે ચૂંટણીનું ગઠબંધન કર્યું છે. એ દિશામાં જ ભા.જ.પે. વધુ સક્રિય રહેવું પડે. એ ખરું કે ભા.જ.પે. હિંદુત્વની મતબેન્ક મજબૂત કરી છે. જો કે, વિપક્ષો પાસે પણ મોંઘવારી, બેકારી, ગરીબીના મુદ્દા છે જ, પણ દેશ સામે ધરી શકાય એવું સર્વસંમત માથું નથી ને એ તેને કોઈ ચમત્કાર વગર જીત અપાવે એવું લાગતું નથી.

હજી ઘણા દિવસો ચૂંટણીને છે ને રાજકીય પક્ષો જીતવા માટે શક્ય તે બધું જ કરી છૂટશે. દરેકને માટે જીત એ જ એક માત્ર લક્ષ્ય હશે. તે કેવી રીતે જીતાય છે, તેનું મહત્ત્વ નથી. તે જીતાય તે જ મહત્ત્વનું છે. એને જીતાડનાર પ્રજા છે. પ્રજાએ અણધાર્યાં પરિણામો પણ આપ્યાં જ છે. એ પરિણામોમાંનું એક તે 2014નું પરિણામ છે. આ એ જ પ્રજા છે જેણે દાયકાઓનાં કાઁગ્રેસી શાસનને બદલ્યું હતું ને તે વખતના વિપક્ષી ભા.જ.પ.ને સત્તા સોંપી હતી. 2024માં સ્થિતિ એ છે કે પ્રજાએ શાસન બદલવું હોય તો પણ સામે કોઈ એવું નથી જેના પર ભરોસો મૂકી શકાય. લોકશાહીમાં વિપક્ષ સબળ ન હોય તો ભવિષ્યમાં ચૂંટણી જ ન આવે  એવા દિવસો પણ આવી શકે છે. વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 માર્ચ 2024

Loading

...102030...789790791792...800810820...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved