Opinion Magazine
Number of visits: 9457443
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભ્રષ્ટાચારનો ભોરિંગ અને લોકપાલ-લોકાયુક્તની મોરલી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|27 October 2023

ચંદુ મહેરિયા

અન્ના હજારેનું ૨૦૧૧નું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન યાદ છે? તેને કારણે જ લગભગ સર્વાનુમતે સંસદે લોકપાલ–લોકાયુક્તને લગતો કાયદો ઘડ્યો હતો. આજે  અન્ના આંદોલનના સવા અને લોકપાલ–લોકાયુક્ત અધિનિયમ–૨૦૧૩ના એક દાયકે દેશ ભ્રષ્ટાચાર મુક્ત થયાનું કે લાંચ–રુશ્વતની બદી ઘટ્યાનું લાગે છે ખરું ? દેશના સર્વ રાજકીય પક્ષો પર જે લોકપાલનો કાયદો ઘડીને ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવાનું દબાણ ઊભું થઈ શક્યું હતું તે કાયદો નબળો કે બોદો લાગે અને સમસ્યા યથાતથ હોય ત્યારે નાગરિક માત્રને નિરાશા ઉપજે છે. આર્થિક ગેરરીતિઓ, લાગવગ, લાંચ કહેતાં ભ્રષ્ટાચારનો પડકાર કેટલો મોટો અને ગંભીર છે અને દેશવ્યાપી આંદોલન પછી પણ શઠ રાજકારણીઓની રાજકીય ઈચ્છાશક્તિના અભાવે તેનો કાનૂની માર્ગે મર્યાદિત ઉકેલ પણ શક્ય નથી બની શકતો તેનો રંજ થાય છે.

લોકતાંત્રિક દેશોમાં નાણાકીય ગેરરીતિ, લાગવગ, લાંચ, સત્તાનો દુરુપયોગ  જેવા વહીવટી તંત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટ આચારો અંગે સ્વતંત્ર, નિષ્પક્ષ અને નિર્ભીકતાથી વિચાર કરી શકે તેવી વ્યવસ્થા જરૂરી છે. આ પ્રકારની વ્યવસ્થા હોય તો લોકો ફરિયાદ કરી શકે અને તેની સમુચિત તપાસ કરી તેને દૂર કરી શકાય. આ પ્રકારની વ્યવસ્થા લોકોનો વહીવટમાં વિશ્વાસ ટકાવી રાખે છે.

દુનિયાના ઘણા દેશોમાં ભ્રષ્ટાચારની તપાસ માટે ઓમ્બુડ્સમેન કે લોકપાલ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકપાલનું પગેરું છેક ૧૮૦૯ની સાલમાં સ્વીડનમાં મળે છે. વીસમી સદીમાં તેનો સંસ્થાગત વિકાસ થયો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી તેમાં ગતિ આવેલી જણાય છે. ફિનલેન્ડમાં ૧૯૨૦થી સંસદીય લોકપાલ અસ્તિત્વમાં છે. નોર્વે અને ન્યૂઝીલેન્ડમાં ૧૯૬૨માં લોકપાલની પ્રણાલિ દાખલ થતાં તેનો વ્યાપક પ્રસાર થયો હતો. ૧૯૬૬માં લોકપાલનો વિચાર અપનાવનાર ગુયાના પ્રથમ વિકાસશીલ અને ૧૯૬૭માં તે અપનાવનાર બ્રિટન પ્રથમ લોકતાંત્રિક દેશો છે. મોરીશસ, સિંગાપુર અને મલેશિયાએ પણ તે પછી લોકપાલની રચના કરી છે.

ભારતમાં લોકપાલની રચનાનો દીર્ઘ ઇતિહાસ છે. ૧૯૬૦ના દસકના આરંભે સૌ પ્રથમ વખત તેનો વિચાર કાયદા મંત્રી એ.એન. સેને સંસદમાં રજૂ કર્યો હતો. જો કે લોકપાલ અને લોકાયુક્ત શબ્દ સૌ પ્રથમ વખત ૧૯૬૩માં કાયદાવિદ અને સાંસદ લક્ષ્મીમલ સિંઘવીએ પ્રયોજ્યો હતો. મોરારજી દેસાઈના પ્રમુખપણા હેઠળના પ્રથમ વહીવટી સુધારણા પંચે ૧૯૬૬માં સાંસદો સહિતના લોકસેવકો અને જાહેર સેવકોના ભ્રષ્ટાચારની ફરિયાદોની તપાસ માટે કેન્દ્ર અને રાજ્યોમાં લોકપાલ-લોકાયુકતની રચનાની ભલામણ કરી હતી. તે અન્વયે ૧૯૬૯માં ચોથી લોકસભામાં લોકપાલ-લોકાયુક્ત વિધેયક પસાર થયું હતું. આ વિધેયક રાજ્યસભામાં પડતર હતું તે દરમિયાન લોકસભાનું વિસર્જન થતાં તે લેપ્સ ગયું. નહીં તો પચાસેક વરસ પહેલાં લોકપાલનો કાયદો અસ્તિત્વમાં આવી ગયો હોત ! ૨૦૦૨માં બંધારણ સમીક્ષા પંચે અને ૨૦૦૫માં બીજા વહીવટી સુધારણા પંચે પણ લોકપાલની ભલામણ કરી હતી. ૧૯૭૧, ૧૯૭૭, ૧૯૮૫, ૧૯૮૯, ૧૯૯૬, ૧૯૯૮, ૨૦૦૧ અને ૨૦૧૧ એમ કુલ આઠ પ્રયાસો પછી ૨૦૧૩માં અન્ના આંદોલનના ધક્કે લોક્પાલ વિધેયક સંસદે પસાર કર્યું હતું. ૨૦૧૪થી તે અમલમાં આવ્યું છે. આ ક્રોનોલોજી દર્શાવે છે કે રાજનેતાઓ લોકપાલ કાયદાથી ડરતા હતા અને તેને ટાળતા હતા.

કેન્દ્રના લોકપાલ-લોકાયુક્ત કાયદા પૂર્વે ઘણાં રાજ્યોમાં લોકાયુક્તના કાયદા ઘડાયા હતા. એટલે ભ્રષ્ટાચાર નિવારણની દિશામાં કાનૂની માર્ગ અખત્યાર કરવામાં કેન્દ્ર કરતાં રાજ્યો આગળ હતાં. ઓડિશામાં ૧૯૭૦માં, મહારાષ્ટ્રમાં ૧૯૭૧માં અને ગુજરાતમાં ૧૯૮૬માં રાજ્ય લોકાયુક્ત અધિનિયમ ઘડાયા હતા.

વડા પ્રધાન સહિતના મંત્રી મંડળના સભ્યો, સાંસદો અને કેન્દ્ર સરકારના તમામ શ્રેણીના અધિકારીઓના ભ્રષ્ટાચારની તપાસને આવરી લેતો ૨૦૧૩નો અધિનિયમ  તપાસથી  માંડીને જપ્તી સુધીની ભલામણની સત્તા ધરાવે છે. જો કે લોકપાલ કોઈ બંધારણીય દરજ્જો ધરાવતી નહીં પણ વૈધાનિક સંસ્થા છે. એક ચેરપર્સન અને અન્ય આઠ સભ્યોના બનેલા લોકપાલની પસંદગી વડા પ્રધાન, લોકસભા અધ્યક્ષ, વિપક્ષના નેતા, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વગેરેની બનેલી સમિતિએ કરવાની જોગવાઈ છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભા.જ.પ.ના વડા પ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને અન્ના આંદોલનનું સમર્થન ઘણું ફળ્યું હતું. ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’ની ઈમેજ  ઊભી કરનાર મોદીએ ભ્રષ્ટાચાર પર લગામ કસવા વડા પ્રધાન બન્યા પછી તરત જ લોકપાલની નિમણૂક કરવી જોઈતી હતી, પરંતુ તેમની તે માટે કોઈ પ્રતિબધ્ધતા જ નહોતી. એટલે ૨૦૧૪માં અમલી બનેલા લોકપાલ કાયદા હેઠળ ન.મો.એ છેક પાંચ વરસે ૨૦૧૯માં પ્રથમ લોકપાલની નિમણૂક કરી હતી. આ બાબત વડા પ્રધાન મોદીની અને ભારતીય જનતા પક્ષની ભ્રષ્ટાચાર બાબતે કેવી રાજકીય ઈચ્છાશક્તિ છે તે દર્શાવે છે.

રાજ્યોએ એક વરસમાં આ કાયદાની જોગવાઈ મુજબ લોકાયુક્તની રચના કરવાની હોય છે. પરંતુ આઠ રાજ્યોમાં હજુ ૨૦૧૩ના કાયદા પ્રમાણે લોકાયુક્તની રચના થઈ નથી. કેટલાક રાજ્યોમાં લોકાયુક્ત કે સભ્યોની જગ્યાઓ ખાલી છે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીકાળમાં તો ગુજરાતમાં દસ વરસ કરતાં વધુ સમય ૧૯૮૬ના કાયદા મુજબની લોકાયુક્તની જગ્યા ખાલી રહેવા પામી હતી. જ્યારે ગવર્નર કમલા બેનીવાલે ખુદે જસ્ટિસ આર.એ. મહેતાને લોકાયુક્ત તરીકે નિયુક્ત કર્યા ત્યારે બી.જે.પી. સરકારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં તેને પડકારી હતી. બંને કોર્ટોએ સરકારની વિરુદ્ધમાં ચુકાદા આપી રાજ્યપાલે કરેલી નિમણૂક્ને કાયદેસર ઠેરવી ત્યારે પણ સરકાર તે હકીકત સ્વીકારી શકી નહોતી.. વળી આજ મોદી ‘ન ખાતા હું ન ખાને દેતા હું’નો રાગ સતત આલાપ્યા કરે છે. ૨૦૧૩ના કાયદાની કલમ-૫માં અધ્યક્ષ અને સભ્યોના કાર્યકાળ (૭૦ વરસની વય અને પાંચ વરસ)ની સમાપ્તિના ત્રણ મહિના પહેલાં નવી નિમણૂકો કરવાની જોગવાઈ છે. કેન્દ્રમાં લોકપાલનો કાર્યકાળ ૨૦૨૨માં અને ત્રણ સભ્યોનો ૨૦૨૦માં સમાપ્ત થઈ જવા છતાં ન.મો. શાસનમાં હજુ નવી નિમણૂકો થઈ નથી.

પર્સોનલ, પબ્લિક ગ્રિવન્સિસ, લો એન્ડ જસ્ટિસ વિભાગ સંબંધી સંસદની સ્થાયી સમિતિએ લોકપાલની કામગીરી અંગે હળવામાં હળવા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું છે કે ‘લોકપાલની કામગીરી સંતોષજનક પ્રતીત થતી નથી’. સમિતિના મતે સ્વચ્છ અને જવાબદાર શાસનમાં વૃદ્ધિના પ્રયાસો માટે  લોકપાલની રચના થઈ છે.  તેથી તેણે અવરોધકને બદલે સહાયકના રૂપમાં કાર્ય કરવું જોઈએ. પોતાની આલોચનાના આધાર તરીકે સમિતિએ જણાવ્યું છે કે ૨૦૨૨-૨૩ના વર્ષમાં લોકપાલને કુલ ૨,૫૧૮ ફરિયાદો મળી હતી. તેમાંથી ૨,૨૭૬ (૯૦ ટકા) ફરિયાદો તેણે નિયત નમૂનામાં ન હોવાના કારણસર રદ્દ કરી છે. બાકીની ૨૪૨માંથી ૧૯૧નો એટલે કે  ૮૮ ટકા ફરિયાદોનો નિકાલ દર્શાવી વાહવાહી મેળવવા પ્રયાસ કર્યો છે. પરંતુ સમિતિએ “વાસ્તવિક કે તથ્ય જણાય તેવી ફરિયાદો ટેકનિકલ કારણોસર રદ્દ ના કરવા” લોકપાલને સલાહ આપી છે. વળી ભ્રષ્ટાચારની જેમના પર ફરિયાદો છે એવી વ્યક્તિઓ પર ચાર વરસમાં લોકપાલે એક પણ કેસ ચલાવ્યો નથી તે અંગે સંસદીય સમિતિએ આઘાત અને આશ્ચર્ય વ્યક્ત કર્યાં છે.

રાજ્યોમાં લોકાયુકતની કામગીરી પણ ઝાઝી વખાણવા લાયક નથી. ગોવાના લોકાયુકત તરીકેના કાર્યકાળની સમાપ્તિએ જસ્ટિસ પ્રફુલ્લકુમાર મિશ્રએ તેમના અનુભવો અને પ્રતિભાવ લેખિત નિવેદન મારફત જણાવ્યા હતા. તેમણે લખ્યું છે  કે “લોકાયુકતને માત્ર ભલામણની સત્તા છે. મેં રાજ્ય સરકારને ૨૧ ભલામણો કરી હતી. પરંતુ એક પણ ભલામણ અંગે સરકારે કોઈ પગલાં લીધા નથી. તો પછી લોકાયુક્તની જરૂર શું છે ? જનતાના નાણાંનો બગાડ કરવાને બદલે લોકાયુક્ત સંસ્થાને ખતમ કરી દેવી સારી”. ઉત્તરાખંડમાં ૨૦૧૩થી લોકાયુક્ત અને સભ્યોના પદ ખાલી છે. પરંતુ વગર લોકાયુક્તે ઓફિસમાં ૨૪ અધિકારી-કર્મચારી કામ (?) કરે છે. લોકાયુક્તની કચેરી માટે સરકારે રૂ. ૩૬ કરોડ ૯૫ લાખની ગ્રાન્ટ ફાળવી હતી અને રૂ. ૨૯ કરોડ ૭૩ લાખનો (મુખ્યત્વે પગાર-ભથ્થાનો) ખર્ચ થયો છે. શું આ રીતે આપણે ભ્રષ્ટાચાર હઠાવી શકીશું ખરા?

e.mail : maheriyachandu@gmail.com

Loading

… ત્યારે રાવણ એક હતો, આજે અનેક છે !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 October 2023

રવીન્દ્ર પારેખ

દશેરાએ રાવણ દહન થયું ને ફાફડા ખાઉ પ્રજાએ અનેક રાવણોને ભડકે બાળ્યા. રામે તો એક જ રાવણને મારવાનો હતો, પણ આજે રાવણોની વસ્તી એટલી છે કે રામ શોધ્યા જડતા નથી. ગમ્મત એ છે કે બાળનાર રાવણ છે, તો ભડકો થનાર પણ રાવણ જ છે. આમ તો રાવણ મહાવિદ્વાન હતો, તેને હવે તેનાથી પણ ‘વિદ્વાન’ પ્રજા બાળે છે. અત્યારે થયું છે એવું કે ક્યાં ય કોઈ સમસ્યા જ રહી નથી. આખો દેશ વિશ્વની થર્ડ ઈકોનોમી બનવા તલપાપડ થઈ રહ્યો છે ને ઘણા વિકાસના શેકેલા પાપડ ભાંગી પણ રહ્યા છે. બહુ આનંદ થાય છે કે દેશ વિકાસ સિવાય કૈં જ કરી રહ્યો નથી. દેશ, પરદેશમાં પણ ઘણું ફરી રહ્યો છે ને ત્યાં આબરૂના ધજાગરા ઉડાવી રહ્યો છે એવું વિપક્ષોને લાગે છે, પણ એ તો ઈર્ષાનું પરિણામ છે, બાકી, ઠેર ઠેર દેશની ધજા ફરફરી રહી છે, તે દેશીઓ તો ઠીક, પરદેશીઓ પણ જોઈ રહ્યા છે ને મોટ્ટી તાળીઓથી વધાવી રહ્યા છે.

આમ તો વિપક્ષ જેવું ખાસ કૈં હતું નહીં, પણ ‘ઈન્ડિયા’ આંચકી લેવા બધા ભેગા થઈ ગયા ને એન.ડી.એ.ની ચામડી થથરી ગઈ. હોય એ તો, ગામ હોય ત્યાં … સમજી જાવને હવે ! નકામું થૂંક ઉડાડવું નથી. હું કોઈમાં નથી. ન પક્ષમાં, ન વિપક્ષમાં. એટલે શુદ્ધ બુદ્ધિથી જે લાગે તે કહું છું. ખોટો હોઈ શકું, પણ ખોટા ઇરાદાથી કૈં કહેતો નથી. મને વિકાસમાં રસ છે, પણ એકલી વિકાસની વાતોમાં નથી. ધુમાડો હોય તો અગ્નિ હોયને ! ક્યારેક અગ્નિ વગર જ ધુમાડો ફેલાયા કરતો હોય તો તે ગૂંગળાવે છે. જેમ કે, શિક્ષણ ખાતું હોવા છતાં વરસી વળી ગઈ હોય તેવું નથી લાગતું? શિક્ષકો વગર શિક્ષણ ચાલે એ ધુમાડો જ છેને ! શિક્ષણ વગર પરીક્ષાઓ થયા કરે ને પરિણામો આવ્યાં કરે એ ય ધુમ્મસ જ છેને ! કાલથી જ 32,000 શાળાઓનાં 54 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. એમાં શિક્ષણ કેટલું થયું એ તો આપનાર અને મેળવનાર જાણે, પણ નવી શિક્ષણ નીતિનો લાભ એ છે કે એમાં બધું સરળ થઈ ગયું છે, એટલે શિક્ષણ વગર પણ પરીક્ષણ શક્ય છે. હવે તો પરીક્ષણ જ શિક્ષણ છે, એટલે શિક્ષક વગરનું શિક્ષણ વિદ્યાર્થીઓ મેળવી લે એમ બને. ભવિષ્યમાં વિદ્યાર્થી પોતે જ પોતાને ભણાવે, એ જ પેપર કાઢે ને એ જ તપાસે તો નવાઈ નહીં !

તમે માનો કે ના માનો, પણ પ્રજા ભગવાનમાં બહુ માનતી થઈ છે. બધું ભગવાન જ કરે છે ને એના પર જ બધું છોડવામાં આવે છે. જેમ કે, ગયે વર્ષે મોરબીનો પુલ તૂટયો ને 135 લોકો મરી ગયાં એ શું માનવ સર્જિત હતું? હોય કૈં ! આટલાં બધાંને એક સાથે મારવાનું શક્ય છે? એ તો ઉપરવાળો જ બધું નીચેવાળા પાસે કરાવે છે. કોન્ટ્રાક્ટરે નવો પુલ બાંધ્યો, તે શું લોકોને મારવા માટે? એ તો ભગવાને જ કોઈને મિશન તો કોઈને કમિશન આપ્યું હોય છે, બાકી, માણસ તો નિમિત્ત માત્ર છે. એ બિચારાઓનું આવી બનેલું તેમાં કોઈ શું કરે? હવે પાલનપુરમાં નિર્માણાધીન પુલ તૂટી ગયો તે કોઈ માણસે તોડ્યો? ના રે ના ! એ તો પુલને જ આળસ મરડવાનું મન થયું તે મરડી ને બે વ્યક્તિનાં મોત થયાં. અલબત્ત ! એ દુ:ખદ છે, પણ એ બે વ્યક્તિઓએ પણ સમજવું જોઈએને કે પુલ આળસ ખાય તે જોવા ઊભાં ના રહેવાય, પણ કાળ ભાન ભુલાવે તેમાં એ બે વ્યક્તિ પણ શું કરે? લોકો એ વાતે ધૂંધવાયાં કે કોઈએ આશ્વાસનના બે શબ્દ પણ ન કહ્યા. બે શબ્દો કહેવા જોઈએ, પણ બે શબ્દોને બદલે બે લાખ મળે તો આશ્વાસનની જરૂર રહે? શું છે કે આવા આકસ્મિક મોત માટે જુદું ફંડ જ કાઢેલું છે. જેવી ખબર આવે કે કોઈ ગયું તો તરત જ બેપાંચ લાખ ઢીલા કરી દેવાય છે. એ તો સારું છે કે એડ્વાન્સમાં કોઈની ખબર નથી પડતી, બાકી, તેનું પણ વળતર જાહેર કરવા ખાતું તત્પર રહે છે. હવે વિપક્ષ કહે કે 10 લાખ વળતર ચૂકવો, તો એ બરાબર નથી. આ એક જ પુલ છે કે એક બે માટે ભંડોળ ખાલી કરી દેવાનું? હજી તો ઘણા પુલ છે. એમાં કોઈ ઝૂલી ગયું તો એને શું અંગૂઠો બતાવવાનો? બધાંને ભાગે પડતું આપીએ એમાં જ ઈશ્વર રાજી.

શું છે કે કોન્ટ્રાક્ટ અને કમિશન અભિન્ન છે. કોન્ટ્રાક્ટ જોઈએ તો કમિશન આપો, પછી છોને પુલ બાંધો કે નનામી, શું ફેર પડે છે? સાચું તો એ છે કે કોઈ કૈં કરતું નથી, આ બધું તો થાય છે. હવે પાલનપુર પુલને મામલે પણ કોઈ ડાયરેક્ટર, કોન્ટ્રાકટરના ગળામાં ગાળિયો ફિટ કરવાનું ચાલશે. ચાલશે, આવું થોડા દિવસ ને જેવો કોઈ બીજો પુલ તૂટશે કે બધું ભુલાઈ જશે. 2022માં જ સાત પુલ તૂટ્યા. શું થયું? પાલનપુરનો પુલ તૂટ્યો જને ! તપાસ થશે ને છેલ્લે બધું પાસ થશે. બાયપાસ થશે. ગયું તે નાપાસ, બાકી બધું પાસ ! વારુ, છેલ્લે સુધી કોઈ રાહ જુએ એમ જ નથી, કારણ બીજા પુલ પણ ખરાને ! એ કૈં થોડા જ લક્ષ્મણઝુલા છે કે દાયકાઓ સુધી ઝૂલ્યા કરે? હવે તો એ જ કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાય છે જે બાંધવામાં કાચી ને કમિશનમાં પાકી હોય. એમાં કોઈ કહે કે પુલ ચકાસીને તેનું ફિટનેસ સર્ટિફિકેટ ઓનલાઈન મૂકો, તો એ તો ગધેડાને તાવ આવે એવી જ વાત છે. ભલા માણસ સર્ટિફિકેટ મેળવવાનું એટલું અઘરું છે? ભણ્યા વગર પીએચ.ડી.નું સર્ટિફિકેટ ઘરે આવી જતું હોય, ત્યાં ફિટનેસ સર્ટિફિકેટ પૈસા વેરો તો ગધેડે ગવાય એ કહેવાનું હોય? પાલનપુર પુલના કોન્ટ્રાક્ટરે અમદાવાદ રોડનાં બાંધકામમાં પણ 300 કરોડનાં ખોટાં બિલ મૂક્યાંનો ગણગણાટ છે જ, તો પુલ બંધાતાં પહેલાં જ જમીન પર આવે એમાં નવાઈ નથી.

થોડો વખત આરોપો મૂકવાનું ચાલશે, પણ કોન્ટ્રાકટરો ચૂંટણી ફંડ આપે છે એટલે નબળું બાંધકામ પણ ચાલી જાય છે. બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાકટરોનું લિસ્ટ રખાય છે જ એટલે કે નવો કોન્ટ્રાક્ટ આપી શકાય, પછી ગરીબોનો બેલી તો ભગવાન છે જ ને ! એ બધું જુએ છે ને જાણે છે. એ જ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરશે. એ કોણ બોલ્યું, દૂધ છે જ નહીં તો પાણીનું પાણી જ રહેશેને ! જરા તો શરમ કરો. ભગવાનથી જરા તો ડરો. એ ખરું કે પ્રજા ટેક્સ ચૂકવે છે તો મજબૂત પુલ માંગે, પણ તમે ભ્રષ્ટાચારના પૈસા ચૂકવો છો? એ તમે ન ચૂકવો તો કોણ ચૂકવે? પછી પુલ તો કાચોપાકો જ બંધાયને ! ખરેખર તો સરકારે ભ્રષ્ટાચારના ટકા પણ ટેક્સમાં અલગથી બતાવવા જોઈએ, જેથી પ્રજાને પણ ખબર પડે કે ટેક્સના કેટલા છે ને ભ્રષ્ટાચારના કેટલા છે? પ્રજાએ સમજી જ લેવાનું રહે કે પુલ તૂટવા માટે ને પરીક્ષાનું પેપર ફૂટવા માટે જ હોય છે. એ કૈં કાચ છે કે તૂટે કે ફૂટે નહીં?

જો કે, આપણી સરકારો બહુ ભોળી હોય છે. એ થોડે થોડે વખતે બોલ્યા કરતી હોય છે કે કોઈને બક્ષવામાં નહીં આવે, કોઈ જવાબદારોને નહીં છોડાય … વગેરે. અરે, ભાઈ ! જવાબદારો તો છૂટા જ ફરે છે, એ કદી છૂટા થતા જ નથી. સરકારને ક્યારે ય ભ્રષ્ટાચાર દેખાતો નથી. તેનું કારણ છે. જ્યાં ગંદકી હોય ત્યાં જોવું જ નહીં. એટલું કરો તો બધું ચોખ્ખું જ દેખાય. જેમ કે, શહેરોની ગલીઓમાં ડ્રગ્સ ઘેરીયા રમે છે, પણ સરકારને તો એમ જ છે કે ક્યાં ય ડ્રગ્સ નથી. ડ્રગ્સ રાજસ્થાનથી વાયા નવસારી થઈ યુ.એસ. પહોંચ્યું, પણ ઊહાપોહ નથી. ગાંધીધામ નજીક મીઠીરોહર ખાડીમાંથી 800 કરોડનું કોકેઈન મળી આવ્યું તે છતાં સરકારને એ ખબર નથી કે એ લાવ્યું કોણ? બને કે ભગવાને જ મોકલ્યું હોય, જેથી હેરાફેરી કરનારા પેટિયું રળી લે. સરકાર ભગવાન ભરોસે હોય તો ભગવાન પણ સરકાર ભરોસે જ હોયને ! દાંત આપ્યાં છે, તો ચવાણું ય આપશે એ ન્યાયે ડ્રગ્સ આપ્યું છે તો ડ્રગ્સ માફિયા પણ આપશે. ગયા સોમવારે ઔરંગાબાદથી 200 કરોડનું ડ્રગ્સ અને 300 કરોડનું રૉ મટિરિયલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ડી.આર.આઈ.ને હાથ લાગેલું. જો આ શક્ય હોય તો 800 કરોડનાં કોકેઈનનો પણ હિસાબ મળશે, શરત એટલી કે ડ્રગ્સ ક્યાં ય નથી એવું ભોળપણ છોડવાનું રહે.

છેલ્લા થોડા મહિનાઓથી હાર્ટ એટેકથી મૃત્યુ પામનારની સંખ્યા પણ વધતી આવે છે, તે ‘દિલ દિયા, દર્દ લિયા’ને કારણે નહીં, પણ ગરબાને નિમિત્તે. ખરેખર તો જેમને હાર્ટ ટ્રબલ છે, તેમણે ગરબામાં ભાગ લેવાનો જ ન હોય, પણ ગરબા વગર રહી જતાં હોય તેમ કેટલાક એમાં ખેંચાયા ને ખર્ચાયા. કેટલાંક હાર્ટ એટેકને માટે કોરોનાની રસી ને બુસ્ટર ડોઝને જવાબદાર ગણે છે, પણ સરકારે પોતાની બાજુ સાફ કરતાં કહી દીધું છે કે રસી કે બુસ્ટર ડોઝ હાર્ટ એટેકનું કારણ નથી જ ! કેટલાક હાર્ટ એટેકને માટે યુવાનોની મોડી રાતની ફૂડ હેબિટ્સને જવાબદાર ગણે છે. એમાં તથ્ય હોય તો પણ એને લીધે જ હાર્ટ એટેક્નો ભોગ યુવાનો બને છે, એવું સોય ઝાટકીને કહી શકાય એમ નથી ને હકીકત એ છે કે છેલ્લા છ મહિનામાં 1,060 લોકોનાં મોત હાર્ટ એટેકથી થયાં છે. ફલાણાંથી હાર્ટ એટેક નથી એવા દાવા થાય છે, પણ શેનાથી છે, એનો ફોડ પડાતો નથી, ત્યારે ફરી એક વાર ભગવાનને આશરે જ જવું પડે એમ છે. કમાલ એ છે કે કરે છે બધું જ માણસો, પણ તેઓ તો કોઈ જવાબદારી લેતા નથી તો, જે નથી કરતા એ ભગવાનને જ જવાબદાર ઠેરવીને આપણે હાથ ઊંચા કરી શકીએ. તો, ચાલો, એ જ કરીએ.

બોલો રે, બધા –

ૐ શિક્ષણાય નમ:, પુલ ધબાય નમ:, કોન્ટ્રાક્ટરાય નમ:, મિશનાય નમ:, કમિશનાય નમ:, કોકેનાય નમ:, હાર્ટ એટેકાય નમ: …                                  

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ઑક્ટોબર 2023

Loading

ઐતિહાસિક સંભારણાં રૂપે પીરસાયું છે

કાન્તિ નાગડા|Diaspora - Features, Opinion - Opinion|26 October 2023

[ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, શનિવાર, 07 ઑક્ટોબર 2023ના યોજાઈ ઑનલાઈન સભામાં, યુનાઇટેડ કિંગ્ડમમાં ચાળીસ વર્ષમાં રચાયેલાં વિવિધ ગુજરાતી સાહિત્ય સ્વરૂપોનાં લેખાંજોખાં કરતાં પુસ્તક ‘ચાળીસીએ ઓચ્છવ’નું લોકાપર્ણ કર્યા બાદ કાન્તિભાઈ નાગડાનું પ્રવચન]

•

અતિથિ વિશેષ, પ્રમુખ સાહેબ, અકાદમીની કાર્યવાહી સમિતિનાં સભ્યો, સજ્જનો અને સન્નારીઓ

કાન્તિ નાગડા

46 વર્ષ અને 08 મહિનાથી ચાલતી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની યાદ મને યુગાન્ડાના પાટનગર કમ્પાલાની સાત ટેકરીઓ વચ્ચે લઈ જાય છે.

સ્વર્ગસ્થ ડાહ્યાભાઈ પટેલ, પુરુષોત્તમ હરજી ભોજાણી, મનુભાઈ કોટક, અનસૂયા પંડ્યા, વનુ જીવરાજ, નરેન્દ્ર દાવડા અને બીજાં ઘણાં લેખકો, કવિઓ અને કલાકારોની સાથે વિવિધ વ્યક્તિઓના ઘેર કે પાટીદાર સમાજના હોલમાં હું પણ કવિતા રજૂ કરતો.

કેતનભાઈ રુપેરાની રજૂઆતના સંદર્ભે આટલી વિગતો પૂરવણી રૂપે ય આપું : નાઈરોબીથી એક વખત ઇન્દુભાઈ દેસાઈ ‘નવયુગ’ સાપ્તાહિક પ્રગટ કરતા. એ સાપ્તાહિકમાં ‘મૂરતિયો કે નોકર’ નામે મારી એક નવલકથા 45 અઠવાડિયા સુધી હપ્તાવાર પ્રગટ થઈ હતી.

લંડનમાં 1976 – 1977ના ગાળા દરમિયાન ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ની સ્થાપના કવિ ડાહ્યાભાઈ પટેલે શરૂ કરેલી અને યુનાઇટેડ કિંગ્ડમમાં ગુજરાતી ભાષાના કવિ-લેખકોને પ્રોત્સાહન તેમ જ વેગ આપી રહેલ આ મંડળે ઊગતા કવિ-લેખકોને મેદાન આપ્યું. જતે દહાડે આ મંડળને અકાદમીમાં ફેરવી આજે પણ આ સંસ્થા જાગૃત છે તે સર્વ ગુજરાતી ભાષીઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે.

આ ગાળા દરમિયાન ગુજરાતી ભાષાને આવરી લેતી કેટકેટલી સભાઓ યોજાઈ છે – કવિતા, ટૂંકી વાર્તાઓ, નિબંધો, નવલકથાઓ, ગીત-સંગીત, રાસ-ગરબા, નાટકો, જીવન કથાઓ અને આત્મકથાઓ, ગુજરાતી શીખીએનાં પુસ્તકો, ભાષા અને શિક્ષણના વર્ગો, આમ ઘણા કાર્યક્રમો આ સંસ્થાના નેજા હેઠળ યોજાયા છે. અને વળી આ બધું આજે ય કાર્યરત છે.  તેનાથી મને ફક્ત સંતોષ જ નહીં ગૌરવ પણ છે.

ગુજરાતી ભાષાની સેવામાં ઘણી બધી સંસ્થાઓએ ગુજરાતીના વર્ગો ચલાવ્યા અને હજુ ચલાવે છે.

‘ગુજરાત સમાચાર’, ‘ગરવી ગુજરાત’, ‘નવ બ્રિટન’, ‘અસ્મિતા’, ‘નયા પડકાર’, ‘ઓપિનિયન’, ‘અમે ગુજરાતી’ વગરે વગેરે સમસામયિકો પ્રગટ થયાં અને હજુ તેમાંનાં કેટલાંક થાય છે, તેનાથી ગુજરાતી ભાષાને ટેકો મળ્યા કર્યો છે.

કેતન રુપેરા સંપાદિત અને વિનય કવિને અપર્ણ આ દસ્તાવેજી પુસ્તક – ‘ચાળીસીએ ઓચ્છવ’નું જાહે રલોકાર્પણ કરવાની મને જે તક મળી છે તેનાથી મારી છાતી ગજ ગજ ફૂલે છે. 

ચાળીસીએ ઓચ્છવ એ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનો, યુનાઇટેડ કિંગ્ડમમાંના ઐતિહાસિક સંભારણાં રૂપે અમૂલ્ય ઇતિહાસનો ખજાનો છે.

પંચમ શુક્લની કવિતાની રમઝટ. વલ્લભ નાંઢાએ આપ્યું નવલકથાનું સરવૈયું. ભદ્રા વડગામાનું સુગમ સંગીત. કૃષ્ણકાન્ત બૂચનું આત્મકથા સાહિત્ય. અહમદભાઈ લુણતની બોલ્ટન, બલેકબર્ન, પ્રેસ્ટન, બ્રેડફર્ડ વગેરે સ્થળોની ગુજરાતી સંસ્થાઓ અને તેમાં ખસ કરીને સાહિત્યની ઊંદાણભરી રજૂઆત. વિપુલ કલ્યાણીની લાગણી અને કુન્તલ અને કુંજના અથાગ સાથ અને મહેનત. ડાયસ્પોરાની વાત અનિલ વ્યાસ કરે છે અને સાથે સાથે ટૂંકી વાર્તાને સાંકાળી લે છે. આશા બૂચનો નિબંધ સાહિત્ય બાબતનો લેખ. વર્ષો સુધી શિક્ષિકા રહેલાં વિજયા ભંડેરી ભાષા અને શિક્ષણની વાત કરે છે, જેમાં પરીક્ષાઓ અને તાલીમનું પણ વર્ણન કરે છે. વ્યોમેશ જોશીએ નાટક પ્રવૃત્તિને તખતા પર મૂકી આપી છે. નયના પટેલ અને શૂચિ ભટ્ટના સભાસંચાલનના લેખો. સુષમા શેઠનાનો પત્રકારત્વ અંગેનો લેખ શક્ય છે, ફરી કોઈ વાર વાંચવા મળે. અદમ ટંકારવીનું આરંભિક વક્તવ્ય ખૂબ સરસ પણ છે અને નક્કર હકીકત પણ પિરસે છે. તદુપરાંત, વિપુલભાઈનું એક વિહંગાવલોકન એક સંભારણા તરીકે તમે જરૂર વાંચી શકશો.

આ તબક્કે મારા મિત્ર જેનાથી તમે સૌ પરિચિત છો તેમનો એક સંદેશ આપવા મને સૂચવાયું છે. આ મિત્ર, સી.બી. પટેલે મને ખાસ કહ્યું છે કે ‘ગુજરાતી સાહિત્ય અકાદમીની’ની આ સભાને કહેજો, અને એમના શબ્દો છે : ‘ગુજરાતી ભાષા માટે વિપુલભાઈએ કમ્મર કસી છે તે બદલ તેમને ખૂબ જ ધન્યવાદ.’

અને હવે છેલ્લે, સજ્જનો અને સન્નારીઓ, ચાળીસીએ ઓચ્છવ આપણને એક ઐતિહાસિક સંભારણાં રૂપે આપણને પીરસાયું છે, તેનું જાહેર લોકાપર્ણ કરવા માટે હું ખૂબ જ ગૌરવ અનુભવું છું. … ધન્યવાદ.

Loading

...102030...789790791792...800810820...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved