Opinion Magazine
Number of visits: 9741656
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માર્ચ 1974, 1975, 1977 – માર્ચ 2024માં ક્યાં છે ઉત્તરાધિકારી?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 March 2024

1971માં ઇંદિરાજીએ ‘નઈ રોશની’ અને ‘ગરીબી હટાવો’ના નારા સાથે લોકસભાની મધ્યસત્ર ચૂંટણીનો પાસો ફેંકી ફતેહ હાંસલ કરી હતી

પ્રકાશ ન. શાહ

1937માં નેહરુ ત્રીજી વાર કૉંગ્રેસ પ્રમુખ ચૂંટાયા, ત્યારે રામાનંદ ચેટર્જીના ‘મૉડર્ન રિવ્યૂ’માં ‘ચાણક્ય’ ઉપનામથી એક લેખ છપાયો હતો કે પરિસ્થિતિમાં જરી વળાંક આવ્યો કે નેહરુ એમની લોકપ્રિયતા, પ્રભાવ, જનવિરાટ સાથેનું તાદાત્મ્ય જોતાં સરમુખત્યાર બની પણ શકે. પછીથી ખબર પડી કે આ બેબાક પ્રસ્તુતિ લોકશાહીને વરેલા નેહરુની ખુદની મૂલ્યસભાનતામાંથી આવેલી હતી.

લોકસભાની ચૂંટણીના માહોલમાં આ લખી રહ્યો છું, ત્યારે જોઉં છું કે અક્ષરશ: એક અસમાન સ્પર્ધાનો દોર છે. રાજીવ ગાંધીએ 1984માં એક પ્રતિમાન સર્જ્યું હતું એનેય લાંઘી જઈ શકાય એવો મિજાજ મોદી-અમિતનો વરતાય છે. પણ રાજીવ ગાંધીની ફતેહ અને મોદીની આગામી ફતેહ વચ્ચે એક પાયાનો ફેર છે. 

રાજીવ ગાંધીને ઇંદિરાજીની નિર્ઘૃણ હત્યાને પગલે ગજબનાક સહાનુભૂતિ મત મળ્યો હતો. બાકી, હત્યાના થોડા વખત પહેલાં, ધીરેન અવાસિયાને યાદ હશે, ઈ.એમ.આર.સી.માં અમે કુલદીપ નાયર સાથે વાત કરતા બેઠા હતા અને કુલદીપે રાજ્યવાર બેઠકો ગણાવી ઇંદિરાજી બસોનો આંકડો નહીં લાંઘી શકે એવું પાકે પાયે કહ્યું હતું. પણ હાથી મરેલો સવા લાખનો એ કહેવત જે રીતે સદ્દગત ઇંદિરા ગાંધી રાજીવને અને કાઁગ્રેસને ફળ્યાં તે પછી સમજાવવાની રહેતી નથી.

સ્વરાજ લડતની વડી પાર્ટી તરીકે ઉત્તરોત્તર વિકસતી કાઁગ્રેસની ભૂમિકા યશસ્વી રહી છે અને પ્રજાએ પણ સ્વરાજના પહેલા દોઢ દાયકા એને ખાસી વધાવી છે. નેહરુ-શાસ્ત્રી કાળ પછી ઇંદિરા ગાંધીની શરૂઆત જેને હાંફતી કહી શકાય એ રીતની હતી. 1967ની ચૂંટણીએ તો બિનકાઁગ્રેસવાદનો એક નાનો શો દોર પણ જોયો. પણ 1971માં ઇંદિરાજીએ ‘નઈ રોશની’ અને ‘ગરીબી હટાવો’ના નારા સાથે લોકસભાની મધ્યસત્ર ચૂંટણીનો પાસો ફેંકી અચ્છી ફતેહ હાંસલ કરી અને બાંગ્લાદેશના સર્જન સાથે એમના શાસકીય નેતૃત્વ ફરતે અજબનું આભામંડળ પણ રચાઈ ગયું હતું.

જો કે, તે પછી તરતનાં વરસોમાં લોકો સામે એક વિલક્ષણ વિરોધાભાસ પણ આવ્યો : ઇંદિરાજીની વધતી કીર્તિ અને કાઁગ્રેસની પૂર્વવત્ વિસ્તરતી સત્તાની જોડાજોડ મૂલ્યધોવાણ પણ વધતું જતું હતું. આખરે તો, રાજાના કુંવરની શું કે ઉકરડાની શું, નિયતિ દિવસે નહીં એટલી રાતે ને રાતે નહીં એટલી દિવસે વધતા રહેવાની જ હોય છે ને. બીજું, નેહરુની લોકપ્રિયતા અને સત્તાવ્યાપ તેમ જ ઇંદિરાજીની લોકપ્રિયતા અને સત્તાવ્યાપ વચ્ચે એક મૂલ્યાત્મક ફરક હતો. ઇંદિરાજી મહદઅંશે રાજકારણી હતાં અને નેહરુ મહદઅંશે એક સ્વરાજકારણી હતા.

ઇંદિરાજીના ઉદયકાળે ઉમાશંકર જોશીએ શિવકુમાર જોશી સાથે વાત વાતમાં કહેલું કે આપણે ઝાંસીની રાણી તો ક્યાં જોઈ’તી, પણ … આગળ ચાલતાં ઉમાશંકરે એમની રીતે નેહરુ ને ઈંદિરાજી વચ્ચે વિવેક કર્યો કે પંડિતજીની આંતરડી ગરીબો ને ગરીબી માટે કકળતી. (મતલબ, ઇંદિરાઈ રાજકારણમાં ગરીબો ક્રયવસ્તુ હતા.) નવનિર્માણ આંદોલનના અરસામાં ઉમાશંકરે ઇંદિરા કાઁગ્રેસના સૌને અંગે મડાં, મીંડા ને મેઢાં એ યાદગાર પ્રયોગ કર્યો હતો.

લોકપ્રિયતાના શિખરે પણ નેહરુ સત્તાના કેન્દ્રીકરણ પરત્વે સભાન હતા. છેક 1937માં, નેહરુ જ્યારે કાઁગ્રેસના પ્રમુખ પદે ત્રીજી વાર ચૂંટાયા ત્યારે ‘મોડર્ન રિવ્યૂ’માં રામાનંદ ચેટર્જીએ પક્ષમાં ને રાષ્ટ્રીય રાજકારણમાં એમની વધતી વગ ને વર્ચસ્વ વિશે ટીકા અને શંકાની ભાષામાં વાત કરી હતી. એક રીતે એને અનુમોદન આપતો એવો લેખ ‘મોડર્ન રિવ્યૂ’માં જ ત્યારે ‘ચાણક્ય’ની કલમે પ્રગટ થયો હતો: પરિસ્થિતિમાં જરી જુદો વળાંક આવ્યો ન આવ્યો અને નેહરુ એમની લોકપ્રિયતા, પ્રભાવ, વિરાટ જનસમૂહ સાથેની તદાકારતાને જોરે સરમુખત્યાર થઈ શકે છે. એમનો ભાવનાત્મક ઉછેર જોતાં એ ફાસીવાદ ભણી જરૂર નહીં વળે પણ સરમુખત્યાર તો બની શકે. પછીથી ખબર પડી કે નેહરુનું આવું બેબાક વિશ્લેષણ કરનાર ચાણક્ય બીજું કોઈ નહીં પણ પંડિતજી પોતે હતા.

વાત ખાસી લંબાઈ ગઈ, પણ અત્યારે 2024ના ચૂંટણી મહિનાઓમાં આ બધું સાભિપ્રાય સંભાર્યું છે. ઇંદિરાજી સામે અખિલ હિંદ પડકારની સચોટ શરૂઆત ગુજરાતમાં નવનિર્માણ આંદોલનથી થઈ. માર્ચ 1974માં વિધાનસભાના વિસર્જન પછી એંશી દિવસનું આ આંદોલન દેખીતું શમી ગયું. પણ તે દરમ્યાન પરિવર્તનની રાજનીતિને બિહારની પ્રયોગશાળા અને જયપ્રકાશ સરખી વિરલ શખ્સિયત મળી ચૂકી હતી.

અમદાવાદમાં મનીષી જાની, ઉમાકાન્ત માંકડ, મુકેશ પટેલ, રાજકુમાર ગુપ્તા, સોનલ દેસાઈ આદિ ફરતે નવનિર્માણનો તખ્તો ચાલ્યો ત્યારે એની સાથે પણ અંતરિયાળ અમદાવાદમાં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં એક છાત્રયુવા જમાવડો સક્રિય હતો. જ્યારે જયપ્રકાશ નવનિર્માણના છાત્રોને મળવા આવ્યા એ જ દિવસોમાં ગુજરાતના સર્વોદય સાથીઓ સાથે મળીને શાંતિ પ્રતિષ્ઠાને લોકસ્વરાજ સંમેલનનું આયોજન કર્યું હતું. 

બિહાર આંદોલન સાથે સીધા સંપર્કમાં રહી લોકસ્વરાજ આંદોલને ગુજરાતમાં કામ જારી રાખ્યું એમાં જેપી આંદોલનની અખિલ હિંદ આબોહવામાં બીજાં પણ બળો જોડાતાં ચાલ્યાં જેણે આગળ ચાલતાં જનતા મોરચાનું રૂપ પકડ્યું. માર્ચ 1974 પછી દેખીતો ઠરી ગયેલો નવનિર્માણ તિખારો માર્ચ 1975માં જેપી રાહે લોકસંઘર્ષ સમિતિના નવરૂપે પ્રગટ્યો : એની બધી મર્યાદાઓ સાથે સંઘર્ષ સમિતિ ને જનતા મોરચો સ્વરાજની કાઁગ્રેસનો સ્વાતંત્ર્યોત્તર ઉન્મેષ હતો. માર્ચ 1977માં કટોકટીરાજ સામે જનતા રાજ્યારોહણ નવસંવતની શરૂઆત શું હતું.

આ બધું સંભારીએ કે તરત બ્રહ્માસ્ત્ર પેઠે એક ટીકાવચન ઝિંકાય છે કે જેપીના આંદોલને જનસંઘને સ્વીકૃતિ અપાવી અને ભા.જ.પ. રૂપે આજે એ સત્તારૂઢ છે, ભલા ભાઈ, કાઁગ્રેસે અસલનેરનું નૂર ગુમાવ્યું અને ઇંદિરાજીના એકાધિકાર સામે પ્રતિકારનો અવાજ ઉઠાવ્યો નહીં. એથી લોકઆંદોલન અને નવી દિલ્હી વચ્ચે સાર્થક સંવાદને બદલે સંઘર્ષ અનિવાર્ય બન્યો અને જે સંઘર્ષની સાથે રહ્યા તે તરી ગયા.

આજે નાગરિકની નિયતિ એવી વસમી ને કપરી છે કે ગલત રસ્તેથી પાછા ફરવામાં કાઁગ્રેસે ખાસો વિલંબ કર્યો છે અને મોડે મોડે રાહુલ ગાંધી કંઈક નવજીવન પ્રેરવા મથી રહ્યા છે, તો ભા.જ.પ.ને જનસંઘ રૂપે જનતા અવતારમાં જે નવદીક્ષા મળવી જોઈતી હતી તે મળી ન મળી અને એણે ભળતો રસ્તો પકડ્યો છે. એ 1975, 1977નો લાભાર્થી હશે, ઉત્તરાધિકારી નથી.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 27 માર્ચ 2024

Loading

હોળી આવી !

"તારક"|Poetry|27 March 2024

આજ અમે ઘોળ્યો કેસૂડાંનો રંગ,

સહુ ખેલો ગુલાલ લાલ રંગ !

વન વનનાં, પલાશ કેરાં વૃક્ષોને,

મોર્યાં કેસૂડાં અનંત !

મ્હોરતી વસંત કેરે,

હૈયેથી ઝીલ્યો, કેસૂડાંનો રંગ !

આજ અમે ઘોળ્યો, કેસૂડાંનો રંગ !

ભડકે ભભૂકેલી કાળની, હુતાશનીમાં,

દેખ્યો ‘તો શોણિતનો રંગ !

ભારેલા અગ્નિના, અંતરપટ શોધતાં,

લાધ્યો ગુલાલ લાલ રંગ !

આજ અમે ઘોળ્યો કેસૂડાંનો રંગ !

ધૂળ હટી (ધૂળેટી )આજ હવે રંગનાં હુલામણાં

સંસ્કારે રંગાયેલાં સહુને વધામણાં !

તમે ખેલો ગુલાલ લાલ રંગ,

આજ અમે ઘોળ્યો કેસૂડાંનો રંગ!

(સ્વાતંત્ર સેનાની મારા પિતાશ્રી એક સમયે તારક ઉપનામથી, હસ્ત લિખીત માસિક ચલાવતા. એમની જ લખેલી, આજે, એમની 115 વર્ષની જન્મતિથિ નિમિત્તે)

 —વસુધા ઇનામદાર 

27 માર્ચ 2024
e.mail : mdinamdar@hotmail.com

Loading

ડરીને મૂંગા રહેવું અને પૈસા ખાઈને ખોટાને અનુમોદન આપવું એમાં પાયાનો તફાવત છે !

રમેશ સવાણી|Opinion - Opinion|26 March 2024

[મૂલ્યનિષ્ઠ વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝાની કોલમ બંધ થઈ, ત્યારે વાંચકોનો આભાર વ્યક્ત કર્યો.] 

રમેશ ઓઝા

હું ગદ્દગદ્દ છું. ‘મિડ – ડે’માં મારી ‘કારણ તારણ’ કૉલમ બંધ થઈ, એ પછી તેનું કારણ જાણવા એટલાં બધાં ફોન, ઈ-મેઈલ્સ, મેસેજીઝ અને ફેસબુક પર પોસ્ટ આવી જેની મેં કલ્પના નહોતી કરી. કેટલાંક એવા મિત્રો પણ હતા જેઓ મારા વિચારનો વિરોધ કરતા હોવા છતાં મને વાંચતા હતા અને હું લખતો રહું એમ ઈચ્છતા હતા.

હું ગદ્દગદ્દ એટલા માટે નથી કે તમે મને વાંચો છો અથવા મારા પણ મોટી સંખ્યામાં વાચકો છે. વાચકોની સંખ્યા ગણવાના અને ગણીને પોરસાવાના સંસ્કાર તો જ્યારથી લખવાનું શરૂ કર્યું ત્યારથી વિકસવા દીધા નથી. જો એવો મોહ હોત તો સસ્તું ચિંતન અને જ્ઞાનની ગોળી પીરસવાની ચેષ્ટા કરી હોત ! પવનની દિશા જોઇને લોકોને ગમે એવું લખવાની ચેષ્ટા કરી હોત ! લોકપ્રિય થવાના પદાર્થોથી હું અજાણ નથી. હું ગદ્દગદ્દ એટલા માટે છું કે જે ભારતના અને જે સમાજના પડખે હું ઊભો રહું છું એના પડખે ઊભા રહેનારાઓની સંખ્યા મેં ધારી હતી એના કરતાં પણ ઘણી મોટી છે. જે નથી ઊભા રહેતા એમાંના ઘણા એવા છે જે એમ માને છે કે ‘આ ભાઈ ભલે આપણને ગમે એવી વાત નથી કરતા; પણ કરે છે વ્યાપક સમાજહિતની, અંગત એજન્ડા વિનાની, પક્ષપાત વિનાની, તાર્કિક વાત.

હું બે નિસબત સાથે જીવું છું અને પ્રસંગ પડ્યે લખું કે બોલું છું. પહેલી નિસબત છે મૂળભૂત માનવીય મૂલ્યો. પરસ્પર માનવીય આદર અર્થાત્ બંધુતા, સહિષ્ણુતા, દરેક પ્રકારની સમાનતા, સ્વતંત્રતા, સર્વધર્મ સમભાવ, લોકતંત્ર, વહીવટી પારદર્શકતા, જવાબદાર રાજ્ય વગેરે. આ મૂળભૂત માનવીય મૂલ્યો છે જે દેશ અને સમાજ માટે હિતકારી છે. આને પાછા આપણા બંધારણમાં પણ આમેજ કરવામાં આવ્યા છે, એટલે આપણે માટે તે અનિવાર્ય અને પવિત્ર બને છે. આમ જે સકળ સમાજ માટે હિતકારી હોય તેનું જતન કરવું જ જોઈએ. 

મારી બીજી નિસબત રહી છે; ગરીબ, વંચિત, શોષિત છેવાડાના માણસનાં હિતની ચિંતા. એવો તે કેવો પત્રકાર જે ખોટું કરનારા કે બોલનારાને પડકારે નહીં, બલકે અનુમોદન આપે અને નક્કર વાસ્તવિકતાને વ્યક્ત નહીં કરી શકનારા મૂંગાને વાચા આપે નહીં ! મેં આ બે નિસબતને મારું જીવનકર્તવ્ય માન્યું છે.

મેં મારી યુવાની કૉંગ્રેસનો વિરોધ કરવામાં વિતાવી છે. કાઁગ્રેસનાં કુકર્મો હજુ પણ યાદ છે અને તેનો રસ્તા પર ઉતરીને અને જેલ જઇને વિરોધ કર્યો છે. કારણ એ જ હતાં. મૂળભૂત મૂલ્યો અને છેવાડાના માણસ માટેની નિસબત. પરંતુ અત્યારે જે બની રહ્યું છે અને ત્યારે જે થતું હતું એમાં ફેર છે. કૉંગ્રેસની સરમુખત્યારશાહી સત્તાજન્ય અને સત્તા માટેની હતી. અત્યારની સરમુખત્યારશાહી પાછળ ચોક્કસ એજન્ડા છે. એ એજન્ડા છે; સેક્યુલર-લિબરલ – ડેમોક્રેટિક ભારતની જગ્યાએ હિંદુ રાષ્ટ્ર સ્થાપવાનો, જેમ પડોશમાં ઇસ્લામિક રાષ્ટ્ર છે. ઈમરજન્સીમાં મીડિયા, પત્રકારો, સમાજના પ્રતિષ્ઠિત માણસો ડરેલા હતા એટલે મૂંગા હતા. અત્યારે ખરીદાયેલાં કે વેચાયેલાં છે, એટલે હળહળતાં જૂઠાણાંને વાચા આપે છે. ડરીને મૂંગા રહેવું અને પૈસા ખાઈને કે કાંઈક મેળવીને ખોટાને અનુમોદન આપવું એમાં પાયાનો તફાવત છે. આવી સ્થિતિમાં દેશ માટે સરોકાર ધરાવનારા મૂલ્યનિષ્ઠ લોકોએ બોલવું જરૂરી છે. આરતી ઉતારનારાઓને માલામાલ કરો અને વિરોધ કરનારાઓના પ્લેટફોર્મ છીનવો એ અત્યારની નીતિ છે !

આટલી મોટી સંખ્યામાં સાથ આપવા માટે દિલથી આભાર અને પ્રણામ !

[સૌજન્ય : રમેશ ઓઝા]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...779780781782...790800810...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved