Opinion Magazine
Number of visits: 9457463
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાપુને પત્ર

લિખિતંગઃ  સેજલ શાહ|Gandhiana|4 November 2023

પૂજ્ય બાપુ,

તમને પત્ર લખવાની કલ્પના જેટલો રોમાંચ આપે છે, તેટલો જ સંકોચ મનને રોકી રહ્યો છે અને છતાં આજે તમારી સાથે વાત કરવી જ છે એ નિશ્ચય સાથે આ પત્ર.

સેજલ શાહ

બાપુ, તમને પ્રત્યક્ષ નથી મળી અને છતાં મારાં જીવનમાં નાનપણથી જ વણાઈ ગયા છો. તેનું કારણ કે નાનપણમાં સહુએ ખાદી જ પહેરવી એવો નિયમ બાપુજી(દાદા)એ રાખેલો. ઉપરાંત મારે દર ત્રણ મહિને પુસ્તકથી ભરેલો લાકડાંનો કબાટ એકલા હાથે જ સાફ કરવાનો, ઉંમરના 10માં વર્ષથી લીધેલ આ જવાબદારી 24 વર્ષની થઈ ત્યાં સુધી દાદાના ઘરે નિભાવી. પણ એને કારણે ચોપડીઓને પૂઠાં ચઢાવતાં – ચઢાવતાં, એ વંચાતી ગઈ અને તમારે પરિચય કેળવાતો ગયો. બાપુજી તમારા રંગે રંગાયેલા એટલે મોટાં ભાગનાં પુસ્તકો તમારા. આ ઉપરાંત પંડિત નેહરુ વિષે, કાકાસાહેબનાં, ફાધર વાલેસનાં, એવાં બીજાં પુસ્તકોથી કબાટ ખીચોખીચ ભરેલો હતો. ‘ચક્રમ’ અને ‘રમકડું’ અને બીજી ઘણી બધી વાર્તાઓ પણ મળતી. આ બધાનો ફાયદો એ થયો કે પુસ્તક જીવનમાં જોડીદાર બન્યાં.

મને તમારી સૌથી વધુ ગમી ગયેલી વાત કે ‘આત્માના અવાજને અનુસરવું’. અને ત્યારે નાનપણમાં એ વાક્યનો અર્થ બહુ નહોતી સમજી એટલે મારી મમ્મીને એ વાક્ય કહીને બહુ પજવતી. પણ બાપુ તમે જીવન ઘડતરનો ભાગ આયાસ વિના જ બની ગયા. સાચું કહું તો તમે મને સાહસિક બનાવી. કોઈ સાથે ઊભું ન પણ હોય, કોઈ સાથે પણ ન હોય ત્યારે પણ સત્ય સાથે ઊભા રહેતા તમે શીખવ્યું, બાપુ. અન્યાય માટે જાત ભોગે પણ લડતા શીખી છું. મૂલ્ય માટે ઊભી રહેતા શીખી છું. હા, એક પ્રશ્ન મૂંઝવે છે કે જ્યારે મારી લડત અન્યાય સામે હોય ત્યારે મોટાભાગના લોકો મારી સામે આશ્ચર્ય અને કુતૂહલતાથી જુએ છે, ત્યારે ક્ષણ માટે મને સમજાતું નથી, કે કેમ આટલી સહજ વાત અસહજ લાગે છે. પણ પછી પાછી પેલી આત્માને અનુસરવાની વાત મને બચાવી લે છે. બસ, આ આત્મા તમે કહ્યો છે એવો, છેલ્લે સુધી શુદ્ધ રહે તેમ ઈચ્છું છું અને તેવા આશીર્વાદ સદાકાળ આપજો.

આજે પણ ઘણીવાર ‘સત્યની શોધ’ કરતી વખતે મૂંઝવણ અનુભવાય છે અને ઘોંઘાટ વચ્ચે ખોટો રસ્તો પકડાઈ જશે એવો ડર પણ લાગે છે. આવા ‘ડર’નો સામનો કઈ રીતે કરવો તે હજી નથી સમજાતું, ત્યારે ફરી પાછી આત્માને અનુસરવાની વાત યાદ કરી લઉં છું. હા, જેમ તમને ‘રામ મંત્ર’ મળ્યો હતો તેવો મને ‘બાપુ મંત્ર’ મળ્યો, પણ આ પત્રનો ઉત્તર આપતી વખતે તમે જ જો આનો ઉકેલ આપો તો કેવું સારું !

બાપુ, તમે કેવા નસીબદાર છો કે તમારા મોટાભાગના અનુયાયીઓ તમારી હાકલ મુજબ દેશની સ્વતંત્રતા બાદ ભારતના ગામડે જઈ વસ્યા અને શિક્ષણના, સુધારાના, વિકાસ માટે અનેક પ્રયોગો કરતા રહ્યા. બાપુ, આજે એ લોકોની ઉંમર પણ 80ને વટાવી ગઈ છે. આ બધામાં બાપુ તમે મને મળ્યા છો. એ લોકોની આસપાસ મને તમારી ચેતનાનો અનુભવ થાય છે. તેમની આંખમાં, વાતમાં ભળી જાઉં એટલે બાપુ, તમારી સાથે જ હોઉં એવું લાગે છે. આ તરલાબહેન વેડછીમાં, ‘નાનીમા’ બારડોલીમાં, રમેશભાઈ કચ્છમાં કેટલું ય કામ કરે છે, જી.જી.એ મુંબઈમાં રહીને કેટલું કર્યું. મુંબઈના માલતી ઝવેરીએ પણ દામુભાઈ સાથે કેટલું કામ કર્યું. પણ બાપુ, પ્રશ્ન વર્તમાનનો છે. અત્યારે આ સમય કેમ આટલો વિખાઈ ગયો છે ?

‘સ્વ-અર્થે’ માત્ર અર્થને પ્રાધાન્ય આપવાનુ શિક્ષણ આજે પ્રસરી રહ્યું છે. શિક્ષણને કેળવણી નહીં, પણ ‘નોકરીનું સાધન’ માત્ર બનાવ્યું છે અને તેમાં કૌશલ, સદાચાર, નૈતિકતા અને એવું બધું જ હાંસિયામાં ચાલ્યું ગયું છે. કેટલાક પ્રયોગો ચાલે છે, એની ના નહીં, પણ તેનાં વહેણ સુકાઈ રહ્યાં છે. શિક્ષણમાં પ્રવેશેલી આ અરાજક્તા તમને ન જ ગમે. ગ્રેજ્યુએટ થયેલ 20 વર્ષનો યુવાન કે યુવતી જ્યારે આત્મવિશ્વાસ સાથે બોલતા અચકાય ત્યારે મન ક્ષુબ્ધ થઈ જાય છે, અર્થ માટે નૈતિકતાને કોરણે મૂકાઈ છે અને બાપુ, તમે આના માટે શું સૂચન કરત એ સતત વિચારું છું. સર્જનાત્મક વિચાર, સાહસ, નૈતિકતા, પ્રેમ આ શબ્દોએ વિદાય લીધી છે અને લઈ રહ્યા છે. યુવાનના મનમાં ભૌતિકતાસભર જીવનનાં સ્વપ્ન છે, દરેક વ્યક્તિ બધી સુવિધા પોતાના ઘરમાં ઈચ્છે છે, મારું જીમ, સ્વીમીંગ પુલ, ઘરમાં થિયેટર, ઘરમાં જ પોતાના પ્લાન્ટ સાથે ગાર્ડન વગેરે. સામૂહિક સગવડનું નિર્માણ અને એની જાળવણીની સામૂહિક જવાબદારી જેવા વિચારો નાગરિકશાસ્ત્રમાં શીખવવાનું વિસરાઈ ગયું છે. તમને ખબર છે તમારા મુંબઈના ‘મણિભવન’નાં ઘરે તમને શોધવા હું આવી હતી, પણ ત્યારે તમે મુંબઈ શહેરે આડાઅવળી ઊભી કરેલી ઈમારતો, સ્કાયબ્રીજ અને રેલવે બ્રીજ અને ખરાબ કરી નાખેલ સમુદ્ર અંગે પ્રજાને સમજાવવા અને વિકાસનો અર્થ સમજાવતા હતા. તેના અવળા પરિણામની ચેતવણી આપતા હતા. તમારું મન વ્યથિત હતું, મનુષ્ય જીવનને સ્વાવલંબી કરવાની વાત તમે ફરી ફરી સમજાવીને થાક્યા હતા, પણ તમે હાર્યા નહોતા જ. તમે આવી શક્તિનો વારસો અમને આપ્યો છે. પણ અમે તેને અત્યારે તો લાયબ્રેરીમા પૂરી દીધો છે. તમે જ કહો કે હવે શું કરવું. અમે ક્યાં ય ચૂક્યા છીએ અને કદાચ સદા ઉદાર રહ્યા જ છો અને અમારે મન પિતા, એટલે અત્યારે તો તમારા વિચાર વારસાને અનુસરવાની માત્ર શક્તિ નહીં પણ સાથે માર્ગ દેખાડો તેમ ઈચ્છું છું.

તમારી વાણીને ફરી સમજવાનો, જીવંત કરવાનો આ સમય છે. સહુ ફરી – ફરી ત્યાં જાય. તમારા જે અનેક અંશો આ પૃથ્વી પર વિસ્તર્યા છે, તેમની પાસે હું જાઉં અને તમને મળું ત્યારે તમારું સાહસ, શક્તિ અને સત્ય મને મળે, એવા આશીર્વાદ આપજો, બાપુ.

તમને સમજવામાં પ્રયત્નશીલ 

સેજલ

10 ઑક્ટોબર, 2023
સૌજન્ય : “પ્રબુદ્ધ જીવન”; ઑક્ટોબર 2023; પૃ. 15-16

Loading

શાન્તિના સિપાહી

વિપુલ કલ્યાણી|Mukaam London|3 November 2023

‘મુકામ લંડન’ −

હવે આ સાપ્તાહિક કર્મને ય પાંચ દાયકા થવામાં. રૉબિન ડેના વારાથી, નિયમિતપણે દર રવિવારે, સવારે નવને ટકોરે, સાંપ્રત પ્રવાહોને આવરી લેતો રાજકીય વિશ્લેષક કાર્યક્રમ બી.બી.સી. ટેલિવિઝન પરે દાયકાથી માણતો રહેતો હોઉં છું. રૉબિન ડે નિવૃત્ત થયા પછી, સંચાલનપદે ડેવિડ ફ્રૉસ્ટ આવ્યા. એમના પછી, નીક રૉબિન્સન આવ્યા, અને એમના પછી આવ્યા એન્ડ્રુ માર. હવે સંચાલકપદે છે, લૉરા કુન્સબર્ગ. સામાન્યપણે બી.બી.સી.ના રાજકીય બાબતો માટેનાં તંત્રી આ કાર્યક્રમના સંચાલકપદે રહેતાં આવ્યાં છે.

લયલા મોરૅન, ‘હાઉસ ઑવ્‌ કૉમન્સ’માં, યુનાઈટેડ કિંગ્ડમના લિબરલ ડેમોક્રેટિક પક્ષનાં સાંસદ છે. ગયા રવિવારે, બી.બી.સી.ના ‘સન્નડે વીથ લૉરા કુન્સબર્ગ’ નામક આ કાર્યક્રમમાં, ઉદ્દઘોષક વિક્ટોરિયા ડાર્બીશરને કહેતાં હતાં : હવે લોકો એમ કહેતાં નથી, અમે ક્યાં સલામત હોઈશું ? એ લોકો હવે સવાલ કરે છે, આપણે જ્યાં મરવાનું છે, તે જગ્યા આપણને મળશે જ કે ?” (“No longer are people saying, where do we go to be safe? The question they are now asking is, where do we want to be when we die?”)

આ સાંસદની માતા ફિલિસ્તાની ઈસાઈ છે અને પિતા બ્રિટિશ. લયલા મોરૅનનાં માવતર ગાઝા નગરના એકાદ ફિલિસ્તાની દેવળમાં અત્યારે શરણાર્થી છે.

આ આઘાતજનક ખુલાસો સાંભળી, ઊંડી હમદર્દી વ્યકત કરતાં કરતાં વિક્ટોરિયા ડાર્બીશર શ્રોતાઓને બસ્સામ આરામીન અને રામી એલહનાનની વાતમાં લઈ ગયાં.

રામી એલહનાન  – વિક્ટોરિયા ડાર્બીશર – બસ્સામ આરામીન 

પૂર્વ જેરુસલામના કોઈક ઉપનગરમાં આ બન્નેનો વસવાટ. બસ્સામ ફિલિસ્તાની આરબ અને રામી ફિલિસ્તાની યહૂદી. બન્નેની અકેકી દીકરી આરબ-યહૂદી હિંસક ઘમસાણમાં જ હણાયેલી. અબીર આરામીનનું દશની વયે 1997માં ખૂન થયું. સ્મેદર એલહનાનનું પણ એ જ સાલે ચૌદની વયે ખૂન થયેલું.

ફિલિસ્તાની લડતમાં કિશોરાવસ્થાથી બસ્સામ સામેલ હતા. એ દિવસોમાં પ્રાચીન નગર હેબ્રૉનમાં એ રહેતા હતા. એમનું વય હશે માંડ સત્તરનું ને ઇઝરાયલી સેના ઉપર પથ્થરમારો કરવાના કોઈક આરોપસર તે ઝડપાયેલા અને તે પછી ઈઝરાયેલી કેદમાં સાત વરસ ગાળવાના તેને આવે છે. બસ્સામ કહેતા હતા, એ દિવસો દરમિયાન, ફિલિસ્તાની પરચમ હાથમાં ફરકાવતા રહી તે ઇઝરાયલી કબજા સામે હુંકાર કરતા રહેતા. બાકી બીજા કેદીઓ અમને વીરલા લેખતા. પરંતુ જેલરો અમને એકાબીજાને ધીક્કારવાનું તેમ જ પ્રતિકાર જ કરવાનું કહેતા હતા. એવામાં એક દહાડે સૈનિકોનું ધાડું આવી પૂગ્યું. અમને દરેકને નિ:વસ્ત્ર થઈ જવાનું કહેવામાં આવ્યું અને પછી અકેકને પકડીને કોરડે કોરડે વીંઝવા લાગ્યા.

મેં જોયું, બસ્સમ કહેતા હતા, સૈનિકોના મોં પર સ્મિત હતું અને કોઈ પણ જાતના ધીક્કાર વિના અમને ફટકારતા હતા. એમને માટે તો એ કદાચ તાલીમ હતી; અને અમે એ તાલીમ સારુ જીવતાં જાગતાં ઓજાર ! અને લાગલા મને વરસો પહેલાં હોલોકોસ્ટ બાબતની જે ફિલ્મ જોયેલી તેનું સ્મરણ થઈ આવ્યું. એ ફિલ્મ જોતાં જોતાં હું ડૂસકે ચડેલો. યહૂદીઓને ગેસ ચેમ્બરમાં ધકેલવામાં આવી રહ્યાં હતાં તે મારાથી દેખી શકાતું જ નહોતું. અને હું તાદાત્મ્ય અનુભવતો રહ્યો.

આમાંથી જ તો સંવાદ પેદા થયો. એકદા હું કેદખાનાના એક રખેવાળ જોડે વાતે વળગ્યો. મારે તો યહૂદીઓને સમજવા હતા, પામવા હતા. એ રખેવાળ મને પૂછી બેઠો, ‘તારા જેવો માણસ આમ આતંકવાદી કેમ બની શકે ?’ મેં લાગલા કહ્યું, ‘ના, હું નથી; આતંકવાદી તો તું છો. હું તો આઝાદી માટે લડતો સૈનિક છું.’ અમે ફિલિસ્તાનીઓ અહીં વસવાટી જ માત્ર છે તેમ એ માનતો હતો. મેં તેને પડકાર્યો અને અમે વસવાટી જ છીએ તે પુરવાર કરવા કહ્યું. અને આમ અમારો સંવાદ વિકસતો રહ્યો. એ રખેવાળને ય પરિણામે સમજાયું કે ખરા વસવાટી તો એ લોકો છે ! અને પછી અમે એકબીજાને સમજતા ગયા. સંવાદ જોડાજોડ અમે ભાઈબંધી બાંધી. ફિલિસ્તાની આંદોલનનો તે ટેકેદાર પણ બની બેઠો. આ સંવાદ, આ સજદારીમાંથી અમને દેખાતું ગયું કે અહિંસક માર્ગે અને શાંતિના પથ પર રહીને જ આ જટિલ કોયડો ઉકલવો જોઈએ. બીજો કોઈ જ ચારો નથી. જોયું ને, એક વારનો સંવાદ અને સામા પક્ષે હૃદયની ખરાઈ તેમ જ પાક્કી લગની મજબૂત બનતી રહી.

અને પછી ‘ઓસલો સમજૂતિ’ થઈ અને દ્વિ-રાષ્ટૃની વાત કેન્દ્રસ્થ બની. સન 2005 પછી તો અમે આવી માન્યતા ધરાવતા લોકો ખાનગીમાં ભૂતપૂર્વ યહૂદી સૈનિકો જોડે સંવાદ પણ કરતા ગયા. અમે ઉભય પક્ષની જવાબદારીઓ જેમ જેમ સમજતા ગયા, તેમ તેમ અમારો સલુકાઈવાળો વહેવાર પણ કરતા રહ્યા. અને પછી 2007ની ઘટના ઘટી. વેળાએ મારી દીકરી અબીરને બંદૂકની ગોળીએ વીંધી નંખાઈ. એ બીચારી દુકાને કેન્ડી લેવા નીકળેલી અને તેમાં તે હણાઈ. હું હતપ્રભ થઈ ગયો; સાડાચાર વરસ સુધી એક પછી એક અદાલતે લડતો રહ્યો. અબીર હમાસમાં સામેલ નહોતી; વળી તે અલ ફતહમાં ય નહોતી. ફિલિસ્તાની આરબ અને ફિલિસ્તાની યહૂદીઓ વચ્ચે જો ભાઈચારો કેળવવો હોય તો સુલેહ આધારિત સમજૂતિ બનવી જ રહી. ઈઝરાયલ આવા ગુનાઓનો સ્વીકાર કરે તેમાંથી ક્ષમાપનાનો ભાવ જાગશે ને. છેવટ, વેરથી વેર સમતું નથી.

વેર વસૂલવાને પંથે હું જઈ શક્યો હોત; એ સરળ માર્ગ હતો. પણ સંવાદિતામાંથી પાછા ફરવાને કોઈ જ કારણ નહોતું. એક સૈનિકે મારી દીકરીને હણી નાંખી, ત્યારે આશરે સોએક પૂર્વ ઇઝરાયલી સૈનિકોએ જ અબીર જે જગ્યાએ હણાઈ તે નિશાળના પટાંગણમાં અબીરની સ્મૃતિમાં એક બાગની રચના કરી.

સન 2005માં બસ્સામે ‘Combatants of Peace’ (શાંતિના સિપાહી) નામક રચનામાં એક સ્થાપક સભ્ય નાતે જોડાવાનું રાખ્યું. ભૂતપૂર્વ ફિલિસ્તાની યહૂદી સૈનિકો તેમ જ ભૂતપૂર્વ ફિલિસ્તાની આરબ સ્વાતંત્ર્ય સૈનિકો આ સંસ્થામાં અહિંસાનો માર્ગ તેમ જ સંવાદ એક માત્ર નીતિ રહેવા પામી છે.

બીજી પાસ, રામી એલહનાન ઇઝરાયલી ગ્રાફિક ડિઝાઇનર છે અને જોડાજોડ શાન્તિ માટે કામ કરનાર એક કર્મઠ કર્મશીલ પણ. એમના પિતા હોલોકોસ્ટમાંથી બચનાર યહૂદી હતા અને 1946 વેળા ઇઝરાયલ આવી વસવાટી બન્યા હતા. જુવાનીમાં રામી ઇઝરાયલી સેનામાં દાખલ થયા હતા અને 1973ના યોમ કિપુર યુદ્ધમાં સૈનિક પણ રહ્યા હતા.

જેરુસલામની એક શેરીમાં ચોપડીઓની એક દુકાનમાં તેમની દીકરી સ્મેદર પુસ્તક ખરીદીએ ગયેલી તે સમયે, સન 1997 દરમિયાન, ત્યાં કોઈક આત્મવિલોપન કરતા બોંબ ધડાકામાં મારી ગઈ. ઉભય પક્ષે ઇઝરાયલી – ફિલિસ્તાની સંઘર્ષમાં માર્યાં ગયેલાં બાળકોનાં સમવિચારી માતાપિતા જોડે ‘Parents’ Circle – Families Forum’ રચના કરાઈ. રામી તેમાં સક્રિય રહ્યા. વળી, ‘Combatants of Peace’માં ય જોડાયા અને સક્રિયપણે ભાગ લેતા રહ્યા. અહીં આ જૂથોમાં રામી અને બસ્સામ નજીક આવ્યા અને ભાઈબંધ બની ગયા. આ બન્નેની ભાઈબંધી તેમ જ સક્રિયતાને કારણે 2012માં ‘વિધિન ધ આઇ ઑવ્ ધ સ્ટોર્મ’ નામક એક દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરાઈ છે. શેલી હેરમોને તેનું નિયમન (ડિરેકશન) કર્યું છે.  વળી, અલહનાન અને આરામીનની ભાઈબંધીને પરિણામે એક આયરીશ લેખક, કોલમ મેકકાને 2020માં, ‘અપિરોગાન’ (Apeirogon) નામે એક મજેદાર નવલકથા ય આપી છે. આ નવલકથાને પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે.

વારુ, વિક્ટોરિયા ડાર્બીશર સાથેની વાતચીતમાં, ગયા રવિવારે, આ બન્ને ભાઈબંધો કહેતા હતા, અમે ફિલિસ્તાનીઓ બન્ને ભાઈઓ છીએ અને અમારા આંદોલનમાં સાતસો ઉપરાંત માતાપિતાનું સક્રિય યોગદાન રહ્યું છે. જગતના વિવિધ ભાગોમાં અમને બોલાવવામાં આવે છે ત્યાં પરિસંવાદોમાં, સભાઓમાં જોડિયા ભાગીદાર પણ બનીએ છીએ. ફિલિસ્તાનીઓમાં સુમેળનું વાતાવરણ ગોઠવી શકાય અને આ બે કોમોનો આ મુલક બને તેવી અમારી ખ્વાયેશ છે.

રામી કહેતા હતા, એક બાજુ આરબોના મૃતદેહો અને બીજી પાસ યહૂદીઓના મૃતદેહોના ઢેર જોઈએ છીએ અને અરેરાટી થાય છે કે શું આ મુલક માત્ર મોટું કબ્રસ્તાન તો નહીં થઈ બેસે ને ? અમને શાન્તિ અને અહિંસાને મારગે એખલાસ ભર્યા બે કોમોના મુલકો થાય તેવી શ્રદ્ધા છે. આ સિવાય અમને બીજો કોઈ રસ્તો સૂજતો જ નથી. કોઈ જ ચારો નથી.

આ સંદેશ લઈને અમે સાથે ઘૂમીએ છીએ. બાળકોને, કિશોરોને, યુવકોને ય વાત કરીએ છીએ. અમારી વાત બહૂધા કાને પડે છે. એકાદને પણ તેની અસર પહોંચે તો અમને સંતોષ વળે છે.

બસ્સામ તો માનતા હતા કે એમના જીવનકાળમાં આ શક્ય થાય તેમ છે, કેમ કે તેમનાં સંતાનો અને સંતાનોનાં સંતાનો પહેલાં એ અને એમની ખુદ પેઢી જ આવા આશાવાદના જોરમાં સલુકાઈએ જીવન ગુજારે તેવા એ સૌને ઓરતા છે.

પાનબીડું :

કચ્છના આદિપુરના વસવાટી સિંધી સાહિત્યકાર હૂંદરાજ દુખયાલ [16 જાન્યુઆરી 1910 – 21 નવેમ્બર 2003] આચાર્ય વિનોબાજીની પદયાત્રામાં લાંબા અરસા સુધી સામલે હતા.. પદયાત્રા સારુ એ  કૂચગીતો લખતાં અને પછી પદયાત્રીઓને ય ગવડાવતાં. એમની આ રચના ખૂબ પ્રસિદ્ધિ પામી છે. અને અહીં લેખને અનુરૂપ પણ છે.

शांति के सिपाही चले ….

शांति के सिपाही चले, क्रांति के सिपाही चले

लेके खैरख्वाही चले, रोकने तबाही चले

बैर भाव तोड़ने, दिल को दिल से जोड़ने

कौम को संवारने जान अपनी वारने। रोकने तबाही….

विश्व के ये पासवां, लेके सेवा का निसां

भिरुता से सावधान, चल पड़े हैं बेगुमां। रोकने तबाही…

सत्य की संभाल ढाल, अहिंसा की ले मशाल

धरती मां के नौनिहाल, निकल पड़े सुचाल। रोकने तबाही…

जय जगत पुकार के, बढ़ रहे बिना रुके

लेके दिल के वलवले, अपने ध्येय को चले। रोकने तबाही…

                                                                                  − हूंदराज दुखायाल जी

[1,260 શબ્દો]
હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ, 01 નવેમ્બર 2023
E.mail : vipoolkalyani.opinion@btinternet.com
બે વીડિયો લિંક :
https://www.bbc.co.uk/news/av/uk-politics-67254147
 https://www.youtube.com/watch?v=ppGSDVKO2iM

[પ્રગટ : “અખંડ આનંદ”; મે 2024; પૃ. 67-70]

Loading

હા, કેન્સર એટલે કેન્સલ નહીં પણ મહિલાઓ માટે તે સાચું નથી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 November 2023

ચંદુ મહેરિયા

મુખપોથી મિત્ર ડો. ઈરફાન સાથિયાએ થોડા સમય પહેલાં તેમની એક પોસ્ટમાં લખ્યું હતું કે, “દુનિયા આખીમાં કેન્સર સામાન્ય બીમારી બની રહ્યું છે, ત્યારે મુસ્લિમ કમ્યુનિટીમાં તે દિવસે ને દિવસે જીવલેણ બનતું જઈ રહ્યું છે. મુસ્લિમોમાં કેન્સરથી થતા મોતનો આંક ચોંકાવે તે રીતે વધી રહ્યો છે.” આ વાંચીને કોઈ રોગને પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, રંગ, દેશ, પ્રદેશ સાથે સંબંધ હોઈ શકે એ વાતનું આશ્ચર્ય થયું હતું. જો કે ડોકટરરસાહેબે તેમના નિરીક્ષણના સમર્થનમાં કમ્યુનિટી મેડિસિનના અભ્યાસનો હવાલો આપ્યો હતો.

અમેરિકામાં ગોરી મહિલાઓ કરતાં કાળી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરમાં સૌથી ઘાતક ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર(ટી.એન.બી.સી.)નું પ્રમાણ વધારે હોય છે અને શ્વેત કરતાં શ્યામવર્ણની આફ્રો-અમેરિકન મહિલાઓમાં આ કેન્સરને કારણે ત્રીસેક ટકા વધુ મોત થતા હોવાનો અભ્યાસ પણ વાંચવામાં આવ્યો હતો.

તાજેતરમાં વિજ્ઞાન સંશોધન સામયિક ‘લાન્સેટ’માં પ્રગટ અધ્યયન જણાવે છે કે કેન્સર થવાનો ખતરો પુરુષોમાં વધુ હોય છે, પરંતુ કેન્સરને કારણે મહિલાઓ વધુ મરે છે. ભારત માટે તો આ અધ્યયન એવી ચિંતાજનક બાબત નોંધે છે કે ભારતીય મહિલાઓના કેન્સરને કારણે થતાં મોતમાં ૩૭ ટકા મોત સમયસર નિદાન અને સારવારના અભાવે થાય છે. ૬૭ ટકા મહિલાઓને જો સમયસર કેન્સરની તપાસ અને ઈલાજ મળ્યાં હોત તો તેમનો રોગ આગળ વધતો અટકાવી શકાયો હોત.

માનવ શરીરના કોષોમાં અનિયંત્રિત વૃદ્ધિ એટલે કેન્સર. આજે પણ અસમય મોતનાં ત્રણ કારણો પૈકીનું એક કારણ કેન્સર છે. એટલે કેન્સર એટલે કેન્સલ એમ કહેવાય છે. પરંતુ હવે સાવ એવું નથી. કેન્સરની સારવાર મોંઘી અને લાંબી છે એ ખરું પણ ઈલાજ શક્ય છે.

‘વિમેન, પાવર એન્ડ  કેન્સર’ શીર્ષક હેઠળનું ‘લાન્સેટ’નું અધ્યયન વિશ્વના ૧૮૫ દેશોના ૩૦ ‘થી ૬૯ વર્ષના લોકોના અસમય મોતના કારણો પર આધારિત છે. અભ્યાસમાં જણાવાયા પ્રમાણે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક કારણોથી મહિલાઓમાં કેન્સરથી થતા મોતનું પ્રમાણ પુરુષોના મુકાબલે ઘણું વધારે છે. જો ‘લાન્સેટ’ રિપોર્ટમાં દર્શાવાયેલાં આ કારણો દૂર કરી શકાય તો ભારતમાં ૬૯ લાખ મહિલાઓના કેન્સરથી થતાં મોત રોકી શકાયાં હોત અને ૪૦.૩ લાખનો ઈલાજ થઈ શક્યો હોત.

મહિલાઓમાં સ્તન કેન્સર, ગર્ભાશયનું કેન્સર, અંડાશયનું કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર સવિશેષ જોવા મળે છે. કેન્સરના દર સોએ વીસ કેસ સ્તન કે બ્રેસ્ટ કેન્સરના હોય છે. તેમાંથી અડધોઅડધના મોત થાય છે. ભારતમાં દર ત્રીજી મિનિટે બ્રેસ્ટ કેન્સરનો એક કેસ નોંધાય છે અને દર છઠ્ઠી મિનિટે એક મોત થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે ૨૦૨૦માં ૨૩ લાખ બ્રેસ્ટ કેન્સરના કેસો બન્યા હતા અને તેમાંથી ૬.૮૫ લાખના મોત થયા હતા. કેટલાક કેન્સર સાઈલન્ટ હોય છે અને છેલ્લા તબક્કામાં જ તેની જાણ થાય છે. જ્યારે બીજા કેટલાકને મટાડી શકાય છે.

ના માત્ર ભારતમાં લગભગ આખા વિશ્વમાં સ્ત્રી-પુરુષ ભેદભાવ અને તેમની વચ્ચેની સત્તા કે શક્તિની અસમાનતા જોવા મળે છે. રોગના ઈલાજમાં પણ તે દેખાય છે.આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક કારણો મહિલાઓના કેન્સરના ઈલાજની આડે આવે છે. સમાજના સત્તા સમીકરણો અને કેન્સરની તપાસ, નિદાન અને ઈલાજ સુધી મહિલાઓની પહોંચ વચ્ચે સીધો સંબંધ છે. નિર્ણય પ્રક્રિયા અને આર્થિક સત્તામાં મહિલાઓની ભાગીદારીનો અભાવ તેમને કેન્સરની સમયસર તપાસથી દૂર રાખે છે. તેને કારણે તે કેન્સરની આશંકા વર્તાય કે તરત જ તપાસ કરાવી શકતી નથી. ઘરના કામનો બોજ અને સામાજિક જવાબદારી પણ કારણભૂત છે.

કેન્સર જેવા રોગની ગંભીરતા અને ઘાતકતાની જાણકારીનો અભાવ અને ઘરના પુરુષ સભ્યોનું કે પિતૃસત્તાક સમાજનું મહિલાઓના આરોગ્ય પ્રત્યેનું ઉદાસીન વલણ પણ મહિલાઓના મોતમાં વધારા માટે જવાબદાર છે. મહિલા પોતાના રોગની સારવારનો નિર્ણય જાતે લઈ શકતી નથી અને ઘરના પુરુષ સભ્યો તેની બીમારીની ઉપેક્ષા કરે છે. નાણાંકીય સગવડનો અભાવ કે મહિલા માટે વધુ નાણાં નહીં ખર્ચવાનું વલણ પણ મહિલાઓને મોતના મુખમાં ધકેલે છે.

જેમ સ્ત્રી-પુરુષ તેમ શહેર અને ગ્રામ, અમીર ને ગરીબ, શિક્ષિત અને અશિક્ષિત જેવા ભેદ પણ કેન્સરના ઈલાજમાં જોવા મળે છે. ઘરની દીકરી માટે સરકારી શાળામાં ભણતર તેમ ઘરની મહિલાની સારવાર માટે સરકારી દવાખાનાની પસંદગી કે સારવાર બાબતે જ કુટુંબનું નિમ્ન પ્રાથમિકતાનું વલણ સાવ સહજ મનાય છે. કેન્સરની બીમારીના ઈલાજ માટે પણ મહિલાઓને સરકારી દવાખાના પર નિર્ભર રહેવું પડે છે. વળી આ સેવાઓની સ્થિતિ બદતર છે તેથી પણ મહિલાની યોગ્ય સારવાર થતી નથી. ગ્રામીણ અને ગરીબ સ્ત્રીઓમાં આરોગ્ય સંભાળની ઓછી જાણકારી હોય છે. મહિલાઓ પુરુષ ડોકટરો પાસે શરીરની તપાસ કરાવતાં સંકોચાય છે કે ગભરાય છે અને મહિલા ડોકટરોની સંખ્યા ખૂબ ઓછી છે તે પણ જવાબદાર પરિબળ છે. ઘરકામ આટોપીને કે તેને પડતું મૂકીને મહિલાઓ નજીકના નગરો કે મહાનગરોમાં સારવાર માટે જઈ શકતી નથી તેથી પણ તેમનો ઈલાજ યોગ્ય રીતે થતો નથી.

મહિલાઓમાં થતા કેન્સર અંગે વધુ સંશોધનોની પણ આવશ્યકતા છે. પુરુષોની તુલનામાં મહિલાઓમાં કેન્સરની આરંભિક અટકાવની શક્યતા ઓછી છે. તે દિશામાં સંશોધન થવું જરૂરી છે. બ્રેસ્ટ કેન્સર થવાનાં કારણો (જેનેટિક અને રિપ્રોડક્ટિવ ફેકટર) વિશે વધુ ઉંડાણપૂર્વકના અભ્યાસ-સંશોધનની જરૂરિયાત વર્તાય છે. સરકારી આરોગ્ય યોજનાઓ ગર્ભવતી અને ધાત્રી માતાઓ માટે સવિશેષ છે તેની સાથે મહિલા આરોગ્યના અન્ય પાસાં વિષે પણ યોજનાઓ ઘડાવી જોઈએ. કેન્સર જાગ્રતિના કાર્યક્રમો તથા બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી-સોનોગ્રાફીની તપાસ ગ્રામીણ વિસ્તારોમાં સુલભ બનવી જોઈએ. લિંગ ભેદ જો કેન્સરની સારવારનું મહત્ત્વનું પરિબળ હોય તો જેન્ડર એન્ડ સેક્સ ઈન્કલુઝિવ પોલિસીસ એન્ડ ગાઈડલાઈન્સ સત્વરે ઘડાવી જોઈએ.

યુનાઈટેડ કિંગડમનો ૨૦૧૯નો એક અભ્યાસ દર્શાવે છે કે દારુ બ્રેસ્ટ કેન્સરનું મુખ્ય જોખમી કારક છે, તેવી જાણ કેન્સરની તપાસ કરાવનારી ૭૯ ટકા મહિલાઓને નહોતી ! શહેરીકરણ પણ કેન્સરના કેસો વધવાનું અગત્યનું કારણ છે. પરંતુ શું આ કારણ દૂર કરવું શક્ય છે ? મેદસ્વીતા, બેઠાડું જીવન, મોડા લગ્ન, બાળકોને સ્તનપાન ના કરાવવું, ધૂમ્રપાન, દારુનું વ્યસન જેવાં કારણો પણ મહિલાઓના કેન્સરમાં મહત્ત્વના છે તે કઈ રીતે દૂર કરી શકાય તે માટો પ્રશ્ન છે.

અમેરિકામાં મહિલાઓના ઘણા કેન્સર પહેલા કે બીજા તબક્કામાં જ ઓળખી શકાય છે જ્યારે ભારતમાં એમ થઈ શકતું નથી. સરકારી કાર્યક્રમો હેઠળ માંડ ત્રીસ ટકા મહિલાઓની કેન્સરની તપાસ થઈ શકતી હોય તો તેનું પ્રમાણ વધારવાથી અને મહિલા તબીબોની કમી દૂર કરવાથી કદાચ કેન્સરની સરવારમાં રહેલો લિંગભેદ ઘટાડી શકાશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...778779780781...790800810...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved