Opinion Magazine
Number of visits: 9457641
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી સાહિત્ય પરિષદ : ન બોલ્યામાં નવ ગુણ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 November 2023

રવીન્દ્ર પારેખ

આજે ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખની અને મધ્યસ્થ સમિતિની ચૂંટણીનું પરિણામ છે. પ્રમુખ અને મધ્યસ્થ સમિતિનાં ચૂંટાયેલા 40 સભ્યો આજે જાહેર થઈ જશે. આ બંને ચૂંટણીમાં મતપત્રકો 5 ઓક્ટોબરે રવાના કરવા માંડેલાં ને તે અમદાવાદ કાર્યાલય પર પરત મોકલવાની છેલ્લી તારીખ 4 નવેમ્બર હતી. ટૂંકમાં, આ ચૂંટણી દર વખતે આશરે મહિનો ચાલે છે. એમાં મતદાન પોસ્ટથી કે કુરિયરથી થાય છે. પરિષદના સભ્યો સાડા ચાર હજારની આસપાસ હશે ને એમાંથી 1,200થી 1,250 સભ્યો જ મતદાન કરતા હોય છે. આવું મતદાન 33 ટકાથી પણ ઓછું ગણાય, તો ય આ પ્રક્રિયા લગભગ મહિનો ચાલે છે. આટલો સમય તો લોકસભાની ચૂંટણીમાં ય નથી જતો, જેમાં લાખોની સંખ્યામાં મતદારો, મતદાન મથકે જઈને મત આપતા હોય છે. પરિષદમાં લગભગ 33 ટકા મતદાન થતું હોવા છતાં, ઘણીવાર એવું બને છે કે કેટલાક સભ્યોને મતપત્રકો પહોંચતાં જ નથી, તો કેટલાકનાં મતપત્રકો કાર્યાલયમાં છેલ્લી તારીખ વીત્યા પછી પહોંચતાં હોય એમ પણ બનતું હશે. વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે. આ પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનું કોઈને જ મન થતું નથી એનું આશ્ચર્ય છે. આમ થવાનું એક કારણ પરિષદનું મુખ્ય કાર્યાલય અમદાવાદ છે, એ છે ને એ એક જ રહે એને માટે પરિષદનાં તંત્રોએ ઘણી મહેનત કરી છે.

પરિષદને અમદાવાદી માનસિકતા ઠીક ઠીક નડી છે. રણજિતરામ વાવાભાઈ મહેતા સૂરતના, પણ તેમણે 1905માં પરિષદની સ્થાપના અમદાવાદમાં કરી. તેમને ત્યારે ખ્યાલ નહીં હોય કે તેનું કાર્યાલય અન્ય શાખાઓમાં વિકસશે નહીં. આ લખનારે વારંવાર પરિષદની શાખાઓ અન્ય શહેરોમાં ખૂલે એ માટે પ્રયત્નો કરેલા, પણ પરિષદે એ પ્રયત્નોમાં કશો ઉત્સાહ આજ સુધી દાખવ્યો નથી. અહીંથી ફરી એકવાર પરિષદની શાખાઓ અન્ય શહેરોમાં ખૂલે એવી અપીલ કરવાની થાય છે. અમદાવાદને અન્ય શહેર/ગામના સભ્યો ખપે છે, પણ અન્ય શહેરમાં શાખા હોય એ ખપતું નથી. બેન્કની, હોટેલની, એલ.આઇ.સી.ની અન્ય શહેરોમાં શાખાઓ હોઈ શકે, પણ પરિષદની શાખાઓ અન્ય શહેરોમાં ન ખોલવાની માનસિકતા સમજાતી નથી. અમદાવાદમાં મુખ્ય કાર્યાલય હોય ને અન્ય શહેરોમાં શાખાઓ ખૂલે ને તે મુખ્ય કાર્યાલયને જવાબદાર હોય એવું થાય તો શું તકલીફ થાય એનો કોઈ ખુલાસો મળતો નથી.

જો અન્યત્ર પરિષદની શાખાઓ ખૂલે તો સભ્ય સંખ્યા પણ વધી શકે, જે તે શહેરમાં સાહિત્યિક, કલાકીય કાર્યક્રમો થઈ શકે, રસિકોનું ઇન્વોલ્વમેન્ટ વધી શકે, પણ કોઈક કારણોસર એ પરિષદને માફક આવતું નથી. પ્રમુખની ને મધ્યસ્થ સમિતિની ચૂંટણીઓ મહિના સુધી ચાલે છે, તે થોડા જ દિવસોમાં જે તે શાખાઓ પર મતદાન કરાવીને થઈ શકે. આમ થાય તો પરિષદનું કયું અહિત થાય તે સમજવાનું અઘરું છે. બંધારણમાં ફેરફાર કરીને પણ આ અંગે ઘટતા પ્રયત્નો કરવા જેવા છે.

સાચું તો એ છે કે પરિષદનો વિકાસ થાય એવું પરિષદ જ નથી ઇચ્છતી. બહારના સભ્યો વધે તે માટે સઘન પ્રયત્નો પણ ખાસ થતા નથી. જુદા જુદા શહેરોમાંથી ચૂંટાઈને આવતા સભ્યોને પણ નવા આજીવન સભ્યો બનાવવાની જવાબદારી સોંપાય તો તેમનું ચૂંટાવું પણ લેખે લાગે. મધ્યસ્થ સમિતિ સિત્તેરથી વધુ સભ્યોની થતી હશે. આ સમિતિ ત્રણ વર્ષ માટે નક્કી થાય છે. વધારે નહીં તો દરેક સભ્યો વર્ષે દસ નવા આજીવન સભ્યો બનાવે તો ત્રણ વર્ષમાં 2,100 સભ્યો થઈ શકે. પરિષદને 118 વર્ષ થયાં, પણ સભ્યો બનાવવાની વૃત્તિ ઓછી જ રહી છે. સાડા છ કરોડ ગુજરાતીઓ છતાં, પરિષદના દસેક હજાર આજીવન સભ્યો પણ ન હોય એનો પરિષદને સંકોચ નથી. બેચાર રસ લેનાર સભ્યો, પોતાની ગરજે, જે પાંચ-પચીસ સભ્યો બનાવે છે એટલાથી બધાં રાજી છે.

ચૂંટાયેલા સભ્યોની સક્રિયતા પણ મધ્યસ્થમાં કે કારોબારીમાં હાજરી આપી છૂટવાથી વિશેષ નથી. એ હાજરી પણ રજિસ્ટરમાં સહી કરવાથી આગળ ન જતી હોય એમ બને. મોટે ભાગે તો સભામાં નતમસ્તક રહીને સભ્યો, ચા પીને કે આઇસક્રીમ ખાઈને છૂટા પડી જતા હોય છે. એ સભ્યો ‘ન બોલ્યામાં નવ ગુણ’નો મહિમા ભલે કરે, પણ ‘બોલે તેનાં બોર વેચાય’ એ યાદ રાખવું પણ એટલું જ જરૂરી છે. સભ્યોની ઓછી સક્રિયતાને કારણે કેટલાંક હોદ્દેદારો પોતાનું ધાર્યું કરાવી લેતા હોય છે. કેટલાક તો પરિષદને પૈતૃક સંપત્તિ સમજીને નિર્ણયો લેતા હોય છે. ખરેખર તો એ સજ્જનો જ ઈચ્છે છે કે પરિષદ અમદાવાદી પકડની બહાર જાય નહીં, જેથી એમનું વર્ચસ્વ જળવાઈ રહે. એ જ કારણે પરિષદની શાખાઓ અમદાવાદની બહાર બની શકી નથી. કેટલાંક સભ્યો ને હોદ્દેદારો ઈચ્છે છે કે પરિષદ વિકસે જ નહીં. એમને ભય છે કે પરિષદ વિકસશે તો સ્થાપિત હિતોનું વર્ચસ્વ ઘટશે ને પરિષદ પરનો કાબૂ જશે.

નવા પ્રમુખ અને નવી સમિતિ પણ જૂની ઘરેડમાં જ ચાલવાનાં હોય, તો જૂની સમિતિ ફરી ચૂંટાઈ છે એમ જ માનવાનું રહે. અફસોસ તો એ વાતનો છે કે આજીવન સભ્યોનું પણ કોઈ મહત્ત્વ રહ્યું નથી. એ ત્રણ વર્ષે મત આપવા જ જીવંત થતાં હોય છે, એ સિવાય એમની કોઈ ભૂમિકા જ ન હોય એવી સ્થિતિ છે. ઘણા આજીવન સભ્યોની એ ફરિયાદ છે કે એમનું મહત્ત્વ મત આપવા પૂરતું જ રહ્યું છે. એ જ કારણે ઘણા સભ્યો મતદાન કરવાથી ય દૂર રહે છે. મતદાનની ઘટતી ટકાવારીમાં આ બાબત પડી હોય તો નવાઈ નહીં.

વારુ, જે નવા આજીવન સભ્યો થાય તેમને ‘પરબ’ મળવાનું તો ચાલુ થઈ જાય છે, પણ મતાધિકાર તરત મળતો નથી. આવું એટલે છે કે કોઈ, ચૂંટણીમાં જીતવા વધારે સભ્યો બનાવીને પોતાની તરફેણમાં મત ન ઉઘરાવી લે. પહેલી વાત તો એ કે એવા સભ્યો એમને એમ નથી થતા. એ ત્રણ હજાર રૂપિયા આજીવન સભ્ય ફી ભરે છે. ધારો કે કોઈ પોતાની તરફેણમાં એવું કરે છે તો તેથી પરિષદને તો એવા સભ્યોની આજીવન ફી મળે છે. એ ફી ભરનાર કે ભરાવનાર એમ જ કોઇની ફેવરમાં મતદાન કરશે? હવે તો લોકસભામાં અભણ મતદાતાઓ પણ ભોળવાતા નથી, તો સાહિત્ય રસિક ને શિક્ષિત આજીવન સભ્ય એમ જ કોઈના નામ પર ચોકડી મારશે? ને એવી કોઈ રમત હોય તો તે જે તે સભ્યની રમત છે, એની સાથે નવા આજીવન સભ્યને શી લેવા દેવા? એને ‘પરબ’ તરત મળતું હોય તો મતાધિકાર પણ તરત જ મળવો જોઈએ. તે ન કરવું હોય તો બંધારણ એમ સુધારવું જોઈએ કે એવા આજીવન સભ્યોને મતાધિકાર મળે તે પછી જ ‘પરબ’ મળવાનું શરૂ થશે.

મધ્યસ્થ સમિતિની ચૂંટણી એ જ આજીવન સભ્યો લડી શકે છે જેણે કોઈ પત્રોમાં દસ લેખો લખ્યા હોય અથવા તો તેને નામે એકાદ પુસ્તક બોલતું હોય. આ વખતે કેટલા સભ્યો એ રીતે ચૂંટણીમાં પ્રવેશ્યા એ જવા દઇએ, તો પણ દાતા સભ્યો કે સંસ્થા સભ્યોના જે તે પ્રતિનિધિઓ મધ્યસ્થમાં ઉમેરાય છે, એમની કોઈ પાત્રતા બંધારણમાં નક્કી કરવામાં આવી નથી. કોઈ દાતા સભ્ય કશી પાત્રતા વગરના સભ્યને આગળ કરે તો તે ઈચ્છવા જેવું ખરું? જે પાત્રતા મધ્યસ્થના સભ્યની નક્કી કરી હોય એ જ અન્ય કોઈ પ્રતિનિધિત્વ કરતા સભ્યની પણ હોય એવો ફેરફાર બંધારણમાં કરવાની જરૂર છે. એવા પ્રતિનિધિઓ આજીવન સભ્ય પણ હોય એ અનિવાર્ય ગણાવું જોઈએ, ન હોય તો તરત જ આજીવન સભ્ય બનાવવાનું અનિવાર્ય બનવું જોઈએ.

મધ્યસ્થની ચૂંટણીમાં 40 મત આપવાનું અનિવાર્ય ગણાયું છે એ બાબત પણ પુનર્વિચારણાને પાત્ર છે. એવું બને કે કોઈ વખત 35 જ સભ્યો મધ્યસ્થમાં ઉમેદવારી કરે છે, તો એ આપોઆપ જ ચૂંટાયેલા જાહેર થઈ શકે કે પછી બીજા પાંચ ગમે ત્યાંથી ઊભાં કરી ચાળીસ કરવા જ પડે એવું છે? એ જ રીતે 40થી વધુ સભ્યો ચૂંટણી લડતા હોય ત્યારે ચાળીસને મત આપવાનું ફરજિયાત છે. 39 કે 41 મત અપાય તો મતપત્રક રદ્દ થાય છે. આ બાબત પણ બંધારણીય સુધારો માંગે છે. મત આપવા જો પચાસ ઉમેદવારો યોગ્ય લાગતા હોય તો તે ઓછાં કરીને 40 કરવા પડે છે, એ જ રીતે 40થી ઓછાંને જ મત આપવાનું કોઈને યોગ્ય લાગતું હોય તો તેને એ છૂટ હોવી જોઈએ. તાણીતૂંસીને ચાળીસ ચોકડી કરવામાં તો ઘણા ખોટા દાખલ પડી જવાનો ભય રહેલો છે. જેટલા સભ્યોને મત મળ્યા હોય એને સૌથી વધુ મતોથી ઓછાના ક્રમે ગણતરીમાં લઈને, પહેલાં ચાળીસને વિજેતા જાહેર કરી શકાય. કહેવાનું તાત્પર્ય એ છે કે ચાળીસને ચોકડી મરાવવાનો આગ્રહ જતો કરીને ચૂંટણીમાં વધુ યોગ્યની પસંદગીનો આગ્રહ રાખવા જેવો છે.

પરિષદનું હિત જાણીને અહીં કેટલીક વાતો કરી છે. આશા છે એને પરિષદ ને એના નવાજૂના હોદ્દેદારો એ જ રીતે લેશે –

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 નવેમ્બર 2023

Loading

રવીન્દ્રનાથે રાષ્ટ્રવાદને જોખમી કહ્યો હતો

રમેશ ઓઝા|Opinion - Opinion|5 November 2023

રમેશ ઓઝા

રાષ્ટ્રવાદ બે પ્રકારના હોય છે એક સાત્ત્વિક અને બીજો તામસિક. આમાં તામસિક રાષ્ટ્રવાદ સહજસાધ્ય છે કારણ કે તેનાં પાયામાં ધર્મ, ભાષા અને વંશ જેવી ઓળખો રહેલી હોય છે. આ એક એવું રસાયણ છે જે એક જ ધર્મના એક જ ભાષાના અને એક જ વંશના લોકોને જોડી આપવાનું અને જોડી રાખવાનું કામ કરે છે. મારું અને અમારું એવો ભાવ આપણાં કરતાં વધારે પ્રબળ હોય છે. સાત્ત્વિક રાષ્ટ્રવાદ એટલો સહજસાધ્ય નથી કારણ કે તેનાં પાયામાં સહિયારાપણાનું અને બંધારણ આધારિત નિષ્ઠા રહેલી હોય છે. એમાં આપણાંપણાનો સહિયારાપણાનો ભાવ વિકસિત કરવો પડે છે. આપણી ભૂમિમાં જે જે લોકોનો જન્મ થયો એ આ ભૂમિનાં સંતાન છે અને માટે આપણાં પોતાનાં છે.

હવે વિડંબણા એવી છે કે તામસિક રાષ્ટ્રવાદીઓ સાત્ત્વિક રાષ્ટ્રવાદની આડે વિઘ્નો પેદા કરે છે અને તેને સફળ થવા દેતા નથી એ તો ખરું, પણ તામસિક રાષ્ટ્રવાદ સહજસાધ્ય હોવા છતાં પણ સફળ નીવડતો નથી કે નીવડ્યો નથી. ભારતીય ઉપખંડની વાત કરીએ તો પાકિસ્તાને તેની સ્થાપના સાથે જ ઇસ્લામિક રાષ્ટ્રવાદ સ્વીકાર્યો હતો, પરંતુ પૂર્વ પાકિસ્તાનને સાથે રાખી શક્યું નહીં. ૧૯૪૭માં પૂર્વ બંગાળ ઇસ્લામ ધર્મને બચાવવા ભારતથી અને પશ્વિમ બંગાળથી જુદું પડીને પાકિસ્તાનમાં જોડાયું અને ૧૯૭૧માં બંગાળી ભાષા બચાવવા પાકિસ્તાનથી અલગ થયું. અત્યારે બંગલાદેશમાં બંગાળી ભાષાકીય રાષ્ટ્રવાદ અને ઇસ્લામિક રાષ્ટ્રવાદ વચ્ચે અથડામણ ચાલી રહી છે. શ્રીલંકામાં સિંહાલા રાષ્ટ્રવાદ પ્રબળ છે અને તેને પરિણામે શ્રીલંકાની જે હાલત થઈ છે એ તમે જાણો છો. મ્યાનમાર(બર્માં)માં બૌદ્ધ રાષ્ટ્રવાદ પ્રબળ છે અને તેની હાલત પણ તમે જાણો છો. આવું જ જગત આખામાં જ્યાં જ્યાં ધર્મ, ભાષા કે વંશ આધારિત રાષ્ટ્રવાદ પ્રબળ છે ત્યાં અરાજકતા જોવા મળે છે.

આની સામે ભારતે ભારતીય રાષ્ટ્રવાદ સ્વીકાર્યો હતો જે હિન્દુત્વવાદીઓને સ્વીકાર્ય નથી. ભારતીય રાષ્ટ્રવાદ એટલે સર્વસમાવેશક રાષ્ટ્રવાદ. ભારતમાતાનાં પ્રત્યેક સંતાનને ભેદભાવ વિના ભારતીય તરીકે સ્વીકારવાના. એમાં બહુમતી પ્રજાની ધાર્મિક કે સાંસ્કૃતિક ઓળખો કોઈ રાજકીય પ્રભાવ ન પાડે. અહીં મેં વાપરેલો શબ્દપ્રયોગ ધ્યાનમાં રાખશો. માત્ર રાજકીય અને સત્તાકીય બાકી બહુમતી પ્રજાનો સાંસ્કૃતિક પ્રભાવ તો રહેવાનો જ.

ભારતે સર્વસમાવેશક અને અવિરોધી સાત્ત્વિક ભારતીય રાષ્ટ્રવાદ સ્વીકાર્યો એનું પરિણામ આપણી સામે છે. જો ભારતે હિન્દુ રાષ્ટ્રનો માર્ગ સ્વીકાર્યો હોત તો ભારતની હાલત અને આબરૂ પાકિસ્તાન જેવી હોત. એની થોડી ઝાંખી અત્યારે મળવા માંડી છે. વિકાસના અને સભ્ય સમાજનાં પ્રત્યેક ઇન્ડિકેટર્સમાં ભારત નીચે સરકી રહ્યું છે. સરકાર ઇન્‌કાર કરે એનો અર્થ એવો નથી કે જગતે તેનો સ્વીકાર કરી લીધો છે. એમાં કોઈ શંકા નથી કે ભારતે જે કોઈ સિદ્ધિ મેળવી છે એ સાત્ત્વિક રાષ્ટ્રવાદને કારણે. માત્ર ભારત જ નહીં જગતનાં દરેક દેશને આ વાત લાગુ પડે છે. સાત્ત્વિક રાષ્ટ્રવાદી દેશો અપવાદ વિના સફળ દેશો છે અને તામસિક રાષ્ટ્રવાદી દેશો અપવાદ વિના નિષ્ફળ દેશો છે.

રવીન્દ્રનાથ ટાગોર

પણ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે રાષ્ટ્રવાદ સ્વભાવતઃ સાત્ત્વિક ન હોઈ શકે, કારણ કે તે આવિરોધી હોઈ શકે નહીં અને જ્યાં વિરોધ હોય ત્યાં સાત્ત્વિકતા સંભવ નહીં. ગાંધીજીના અસહકારનાં આંદોલનનો પણ તેમણે વિરોધ કર્યો હતો. બીજું બહુમતી કોમના અસ્મિતા આધારિત રાજકીય સરસાઈ ઇચ્છનારાઓ રાષ્ટ્રવાદની ભાવનાનો દુરુપયોગ કરશે. એ ક્યારે ય સખણા રહેશે નહીં અને સાત્ત્વિક રાષ્ટ્રવાદને અંદરથી કોરી ખાવાનો પ્રયાસ કરતા રહેશે. માટે રાષ્ટ્રવાદ ગમે તેટલો ઉપયોગી હોય, હૃદયસ્પર્શી હોય, અપીલિંગ હોય, તેને સાત્ત્વિક રાખવાનો પ્રયાસ કરવામાં આવતો હોય, પણ એ અંતે તો જોખમી છે. રવીન્દ્રનાથે રાષ્ટ્રવાદને જોખમી તરીકે ઓળખાવ્યો છે.

રવીન્દ્રનાથ અને મહાત્મા ગાંધી વચ્ચેની ચર્ચા ૧૯૨૦ના દાયકાની છે. એ પછી ગુરુદેવે રાષ્ટ્રવાદ વિષે ત્રણ વ્યાખ્યાનો આપ્યાં હતાં જે વૈશ્વિક વૈચારિક ધરોહરમાં સ્થાન પામે છે. વાત એમ હતી કે સાંસ્થાનિક દેશોને તેની આઝાદી માટેની લડતમાં રાષ્ટ્રભાવનાની જરૂર હતી. એ સિવાય લોકોને જોડવા કેવી રીતે અને આંદોલિત કેવી રીતે કરવાં? બીજી બાજુ રવીન્દ્રનાથે જે ચેતવણી આપી હતી એનો પણ ડર હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આઝાદીની લડાઇમાં ભાગ નહોતો લીધો કારણ કે તેને ભારતને આઝાદ કરાવામાં રસ નહોતો, હિન્દુઓને કહેવાતા વિધર્મીઓથી આઝાદ કરવામાં રસ હતો. ભારતને આઝાદી મળ્યા પછી હિન્દુઓની આઝાદી માટે તેઓ આઝાદી પહેલાં થઈ તૈયારી કરતા હતા. આવું જ પાકિસ્તાનમાં બન્યું હતું. પાકિસ્તાનની સ્થાપના પછી પાકિસ્તાનને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા ઈસ્લામવાદીઓ સક્રીય થયા હતા.

એક બાજુ રાષ્ટ્રનિર્માણ માટે સાત્ત્વિક રાષ્ટ્રવાદની જરૂર અને બીજી બાજુ રવીન્દ્રનાથે ચેતવણી આપી હતી એમ રાષ્ટ્રવાદમાં તામસિકતા ઉમેરવાનો ભય. તામસિક રાષ્ટ્રવાદીઓ સતત ઓળખ આધારિત બહુમતી રાષ્ટ્રવાદ લાદવાનો પ્રયાસ કરતા રહેવાના અને એમાં તેમને સફળતા પણ મળી શકે છે. જો એમ બને તો? અને આજે એવું બની પણ રહ્યું છે. વિશ્વનો સૌથી સમૃદ્ધ, પ્રગતિશીલ અને અઢીસો વરસ જૂની લોકશાહી ધરાવતો દેશ અમેરિકા પણ તામસિક રાષ્ટ્રવાદનો શિકાર છે. જો આવું બને તો અરાજકતા અવશ્યભાવી છે અને ગમે તેવો દેશ નિષ્ફળ નીવડી શકે.

આના ઉપાયરૂપે રાષ્ટ્રવાદની હજુ એક કલ્પના વિકસિત કરાવામાં આવી જે બંધારણીય રાષ્ટ્રવાદ (constitutional nationalism) તરીકે ઓળખાય છે. જે કોઈ ઓળખ હોય એ ઘરની અંદર કે પોતાનાં સમાજ પૂરતી મર્યાદિત રાખવાની અને ઘરની બહાર એક માત્ર રાષ્ટ્રીય ઓળખ નાગરિક તરીકેની અપનાવવાની. પ્રત્યેક નાગરિકે બંધારણની મર્યાદામાં જીવવાનું. ટૂંકમાં સાત્ત્વિક હોય કે તામસિક બન્ને પ્રકારના લોકોએ બંધારણીય રાષ્ટ્રને સ્વીકારવાનું અને તેની મર્યાદામાં જીવવાનું.

 પણ શું બંધારણીય રાષ્ટ્રવાદ અભડાઈ ન શકે એવો અજેય છે? તે અકસીર છે? આની થોડી વાત હવે પછી.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 05 નવેમ્બર 2023

Loading

ઉર્વીશ કોઠારીનું સરદાર પટેલ પરનું સંપાદન  

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|5 November 2023

પુસ્તક પરિચય

A Plain Blunt Man : The Essential Sardar Patel એ ઉર્વીશ કોઠારીનું મહત્ત્વનું સંપાદન છે, અને સંશોધક-સંપાદક તરીકેની તેમની નોંધપાત્ર સિદ્ધિ છે. દિલ્હીના સુપ્રતિષ્ઠિત Aleph Book Company-એ ઑગસ્ટમાં પ્રસિદ્ધ કરેલાં આ પુસ્તકમાં સરદાર પટેલનાં ચૂંટેલાં પત્રો, ભાષણો અને લેખો છે, જેની સંખ્યા 190 છે.

પુસ્તકના નામમાં આવતા a plain blunt manનો અર્થ સીધોસાદો આખાબોલો માણસ એમ થાય છે. જાહેર જીવનમાં આ વિશેષણો જાણે સરદાર માટે જ છે (અને એમના સિવાય કોના માટે હોઈ શકે?!). essential એટલે આવશ્યક / ખૂબ જરૂરી એ શબ્દ પણ યથાર્થ છે.

પુસ્તકનાં પાનાંમાંથી સહેજ વિગતે પસાર થયા બાદ ધ્યાનમાં આવે છે કે ઉર્વીશભાઈએ અહીં આપી છે એટલી સામગ્રી સ્વતંત્ર ભારતના અત્યંત મહત્ત્વના શિલ્પી સરદારને અત્યારના કપરા કાળમાં સમજવા-મૂલવવા-અનુસરવા માટે વાંચવી ખૂબ જરૂરી છે. સરદાર વિશે આપણા મનમાં જે મુદ્દા હોય તે અંગે તેમના જ શબ્દોમાં જાણકારી મળે છે. 

પુસ્તકના આઠ Sections વિભાગ છે : 

  1. ‘I am just a soldier’ : The Formative Years – ‘હું માત્ર એક સૈનિક છું’ : ઘડતરનાં વર્ષો 
  2. The Party Strategist – પક્ષના વ્યૂહરચનાકાર
  3. Social Issues – સામાજિક સમસ્યાઓ 
  4. The Administrator – વહીવટકર્તા 
  5. Communal Issues – કોમવાદની સમસ્યા 
  6. Princely States and Integration – રજવાડાં અને વિલીનીકરણ 
  7. Nehru and Other Colleagues – નહેરુ અને સાથીઓ 
  8. A Plain Blunt Man – સાદોસીધો આખાબોલો માણસ.

આ અનુક્રમ બાદ ચાર પાનાંમાં સરદારની જીવન – તવારીખ મળે છે. સવા ત્રણસો પાનાંના પુસ્તકનું નિર્માણ બાહ્ય રીતે નોંધપાત્ર છે. 

સંપાદક પ્રસ્તાવનામાં એ મતલબનું જણાવે છે કે તેમણે સરદાર વિશેની પૂર્વગ્રહ અને ખામીયુક્ત રજૂઆત ચાલુ રહે તેવી સામગ્રી પુસ્તકમાં સ્થાન ન પામે તેની શક્ય એટલી તકેદારી રાખી છે.

સંપાદક એ પણ કહે છે કે તેમણે સરદારના ખ્યાલો અને વિચારોનું એવી ઝીણવટભરી દૃષ્ટિપૂર્વકનું ચયન (nuanced selection) આપવાની કોશિશ કરી છે જેમાંથી વધુ અભ્યાસની દિશા મળી શકે.

ઉર્વીશભાઈની અઢી પાનાંની આત્મવિશ્વાસપૂર્ણ પ્રસ્તાવના સરદાર પટેલ પર તેમણે વર્ષોથી કરેલા અભ્યાસની ફલશ્રુતિ છે. તેમાં કેટલાંક નિરીક્ષણો છે : સ્વરાજ્ય ત્રિપુટીમાં સરદાર પર ઘણો ઓછો અભ્યાસ થયો છે; એમના વિશે છેડાના અભિપ્રાયો પ્રવર્તે છે – ગાંધીને લીધે સ્વીકૃતિ પામેલા જમણેરી નેતા અને દેશનું એકીકરણ સાધનારા લોખંડી પુરુષ; રાજકીય મંતવ્યોમાં તેઓ right of centre અર્થાત્‌ મૂડીવાદનો વિરોધ નહીં કરનારા અને સમાજવાદ-સામ્યવાદ માટે અભાવ ધરાવનારા હતા.

સંપાદક કહે છે કે એ પાકા(staunch) હિંદુ હતા પણ કૉન્ગ્રેસના સમાવેશક સિદ્ધાન્તમાં માનતા હતા, અને અત્યારે જેને હિન્દુત્વ ગણવામાં આવે છે તેને કદાપિ આધીન થયા ન હતા.

ધાર્યું કરવાનો સ્વભાવ, ડંખીલી જીભ અને મક્કમ મનોબળ એ જ્ઞાતિની લાક્ષણિકતા ભલે તેમનામાં ઊતરી હોય, પણ તેમણે જ્ઞાતિગત ઓળખને છોડી દીધી હતી. બૅરિસ્ટર અવતારને ઢાંકી દઈને તેઓ ખુદને ખેડૂત તરીકે ઓળખાવતા અને દિલથી એવા રહ્યા પણ ખરા.

સાહિત્યિક પ્રવૃત્તિઓ, લાંબાં ભાષણો અને રાજકીય પંડિતાઈમાં તેમને રસ ન હતો. કોઈ મૌલિક વિચાર, વિચારધારા કે રાજકીય ચળવળનું સર્જન કર્યું હોવાનો કે મહાત્મા હોવાનો તેમનો દાવો ન હતો. 

પ્રસ્તાવના બાદ સરદાર પર ઉર્વીશે લખેલો ચાળીસ પાનાંનો મજબૂત ચરિત્રલેખ વાંચવા મળે છે. સરદાર પટેલના જીવનના આ આલેખને સાથે રાખીને તેમના લખાણો-ભાષણો વાંચવા એ રસપ્રદ વ્યાયામ છે.

ચરિત્રલેખના પાછલા દસેક પાનાંમાં લેખકે ઊંડી નિસબત ધરાવતા administrator તરીકે હિંદુ-મુસ્લિમ સમસ્યા તરફના સરદારના વલણ, હિન્દુ રાષ્ટ્રની વિભાવનાનો સરદારે કરેલો સાફ ઇન્કાર અને જૂનાગઢ-હૈદરાબાદ ભારતમાં સમાવવાના પ્રશ્નમાં સરદારની કુનેહનું સંતોષકારક નિરુપણ કર્યું છે.

તદુપરાંત અહીં નહેરુ સાથેના સરદારના સંબંધો, કેટલાક કૉન્ગ્રેસ સભ્યોના સનદી સેવાઓ સામેના વાંધા, રાજેન્દ્રપ્રસાદની રાષ્ટ્રપતિ તરીકે વરણી, સમાજવાદીઓ માટેનો તેમનો અણગમો અનામત નીતિની તરફેણ જેવા મુદ્દાઓની પણ વાત છે. જીવનક્રમ અને ચરિત્રલેખ ભેગા રાખીને અંગ્રેજી તેમ જ ગુજરાતીમાં અલગ મોનોગ્રાફ તરીકે વાચકો સામે મૂકવા જેવા છે.

ઉર્વીશભાઈની અંગ્રેજી ભાષા પણ ભારતીય એકેડેમિક લખાણોમાં વાંચવા મળતી સઘન અને યથાયોગ્ય શબ્દપ્રયોગોવાળી ભાષા છે. આ ગુણવત્તાવાળું અંગેજી સહજસાધ્ય નથી. ચરિત્રલેખનો છેલ્લો ફકરો છે : 

Vallabhbhai Patel was an inseparable part of Gandhi-Nehru-Sardar swaraj-troika that in many significant ways shaped the history of Indian independence and nation building. His achievements and limitations cannot be studied selectively or by detaching them from the time in which he lived and worked. It is true of any great leader, but even more so for Patel whose characteristics tempt people including historians, to draw oversimplified conclusions in an age marked by complete polarization.

પુસ્તકમાં પસંદ કરેલાં સરદારનાં ભાષણો-લખાણો માટે ચાળીસ જેટલાં પુસ્તકોનો આધાર લેવામાં આવ્યો છે, જે ચાર ગ્રંથશ્રેણીઓને આવરી લે છે, જેમાંથી ઝીણવટથી પસાર થવું પણ દુષ્કર છે.

સંચયનાં ભાષણોમાં હાકલો appeal અને લખાણોમાં મુખ્યત્વે પત્રો ઉપરાંત ‘નવજીવન’ સામયિકના લેખો, અખબારી નિવેદનો તેમ જ બે રસપ્રદ ટેલિગ્રામનો પણ સમાવેશ થાય છે.

ઉર્વીશભાઈના ચયનમાં મળતી સામગ્રીમાંથી કેટલીક મૂળ ગુજરાતીમાં જ છે, જેનું તેમણે પોતે અંગ્રેજી કર્યું છે. કેટલીક સામગ્રી મૂળ અંગ્રેજીમાં હતી. એક હિસ્સો ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ગયેલાં લખાણોનો હતો. પણ તેમાં અનુવાદની ચોકસાઈ અને વિશ્વસનીયતાની કચાશ ધ્યાનમાં આવી.

અનુવાદ/રજૂઆતને કારણે સરદાર વિશે ગેરસમજ ઊભી થાય તેવાં સ્થાનો પણ હતાં. એટલે ઉર્વીશભાઈએ સ્રોતભાષા અને લક્ષ્યભાષાને સરખાવીને અંગ્રેજી પાઠ પણ revise કરીને, ક્યારેક નવેસરથી અનુવાદ કરીને શક્ય એટલો વિશ્વસનીય બનાવ્યો છે.

આ કામ વિષયના અભ્યાસ અને સમજ ઉપરાંત થકવી દેનારી મહેનત માગી લેનારું હોય છે. આ પ્રક્રિયાનો અંદાજ જો ઉર્વીશભાઈ તેના પર દીર્ઘ લેખ કરે તો આવી શકે.

સરદાર અંગ્રેજી ભાષામાં માહેર હતા. તેનો નિર્દેશ પુસ્તકના પહેલા વિભાગમાં તેમણે લખેલાં સંભારણાંથી મળે છે, જે મૂળ અંગ્રેજીમાં જ છે. વચેટ સંતાન તરીકે પોતાના તરીકે ઉછેર, બાળપણનાં તોફાનો અને ખુશીઓ વિશે કંઈક ખુલીને વાત કરતાં સરદાર અહીં મળે છે. સરદારના હળવા, નિખાલસ લાગણીશીલ સ્વભાવની ઝલક છેલ્લા વિભાગના લખાણોમાં પણ મળે છે.

પહેલાં ભાગના ભાષણોમાં પ્રેરણાદાયી લોકસંગઠનકાર અને 1922માં પણ ગાંધીજીમાં ઊંડી શ્રદ્ધા ધરાવનારા અનુયાયી સરદાર જોવા મળે છે. કેટલાક પત્રોમાં વ્યક્ત થતી આ શ્રદ્ધાની સહુથી વધુ છતાં સંયત તીવ્રતા ગાંધીહત્યા પછી દેશને કરેલાં સંબોધનમાં મળે છે.

બીજા વિભાગ Party Strategistમાં કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીની શિસ્તભંગના સંદર્ભમાં નીતિ, કૉન્ગ્રેસ નામ અંગે માલવીયા સાથે મતભેદ, પ્રાંતીય સ્વરાજ્ય ચૂંટણી લડવા માટેનો જુસ્સો જેવી બાબતો વાંચવા મળે છે. ચુસ્ત અને લક્ષ્યવેધી અંગ્રેજી અહીં મળે છે, જે અન્ય વિભાગોમાં વધુ સફાઈદાર થતું જાય છે.

ત્રીજો વિભાગ Social Issues હૃદયસ્પર્શી છે. બાળલગ્ન, બાળવૈવિધ્ય, દીકરીઓ સાથે કઠોરતા અને સ્ત્રીઓ સાથે ખેડૂત પુરુષોના અપમાનજનક વર્તનથી સરદારને થતી વેદના તેમના ભાષણોમાં વ્યક્ત થાય છે. વળી ખેડૂતોને તે પ્રમાદ ત્યજીને જીવનધોરણ સુધારવાની પણ દિલથી હાકલ કરે છે.

‘મુસ્લિમોને પૂરેપૂરી મદદ એ હિંદુઓની ફરજ છે’, એવા 31 મે 1921માં વ્યક્ત થયેલા આદર્શવાદની પરાકાષ્ટા 10 જૂન 1947ના દિવસે બ્રિજ મોહનને લખેલા પત્રમાં છે : ‘I do not think it will be possible to consider Hindustan as a Hindu state.’

કરાચીના પાટીદારોએ સરદારનું 28 ઑગસ્ટ 1938ના રોજ સન્માન કર્યું. તેના પ્રતિભાવમાં તેમણે કહ્યું : 

‘You know that l have crossed the borders of caste and creed. So you cannot honour me as as a person belonging to a particular cast. You should come out of the shackles of caste and creed to break the shackles of slavery.’ 

સરદારની મહાનતાના જુદાં જુદાં પાસાં બતાવતાં આવાં ઉચ્ચરણો પુસ્તકના દરેક વિભાગમાં મળે છે. તે પુસ્તકના નામમાં મૂકાયેલા ‘the essential’ વિશેષણને સાર્થક કરે છે.

A plain, blunt man અંગ્રેજી શબ્દપ્રયોગ શેક્સપિયરનો છે. તેના Julius Caesar નાટકમાં રોમન શાસક સીઝરની, તેનો દોસ્ત બ્રૂટસ, જાહેરમાં હત્યા કરે છે. પછી ભાષણમાં રોમન લોકોને એમ સમજાવે છે કે તેણે સીઝરને સર્વસત્તાધીશ બનતો અટકાવીને લોકોની આઝાદી ટકાવી રાખવા માટે આમ કર્યું.

ત્યાર બાદ પછી સીઝરના બીજા ખાસ મિત્ર માર્ક એન્ટની પોતાના વિશ્વવિખ્યાત ભાષણથી સીઝરની હત્યા વિશેનો લોકમત બદલી નાખે છે. તે વક્તવ્યમાં એન્ટની ખુદને a plain, blunt man તરીકે ઓળખાવે છે.

અલ્લાહબાદ યુનિવર્સિટીએ સરદારને 27 નવેમ્બર 1948ના રોજ Doctor of Lawની માનદ્દ પદવી પ્રદાન કરી. તેના પ્રતિભાવ પ્રવચનમાં સરદારે ખુદને a plain, blunt man તરીકે ઓળખાવે છે.

પુસ્તકની સોનાની થાળીમાં લોઢાની મેખ છે તે ખૂબ મર્યાદિત searchability છે. પુસ્તકમાં સરળતાથી જડે એમ હોય તે માત્ર સામગ્રીની આઠ વિભાગોમાં વહેંચણી છે. પણ એ દરેકમાંથી કે આખા પુસ્તકમાંથી કંઈ પણ શોધવામાં બહુ મુશ્કેલી પડે છે.

તેનું સીધું કારણ પેટાશીર્ષક, અનુક્રમ અને ઉલ્લેખ-સૂચિનો અભાવ છે. પુસ્તકોની ઉપયોગને તેનાથી અસર થવાની સંભાવના છે. Aleph જેવા પ્રકાશક પાસે methodology રજૂઆત-પદ્ધતિ અને professionalism વ્યવસાય કુશળતાના અભાવની નવાઈ લાગે.

અલબત્ત, આપણે ત્યાંના એક અભ્યાસીએ નિષ્ઠાપૂર્ણ સંશોધનથી તૈયાર કરેલું પુસ્તક દેશ-વિદેશના ઉચ્ચ વિદ્યાકીય વર્તુળો સુધી પહોંચે એ આનંદદાયક બાબત છે. તેમાં સ્થાન પામવું એ માત્ર ઉપલક સામાજિક કે વ્યવહારુ રીતે નહીં પણ વિદ્યાકીય માપદંડોની દૃષ્ટિએ ગૌરવપ્રદ હોય છે.

દેશના દરેક પ્રદેશના લોકોએ કરેલાં વિદ્યાકીય કામોના અંગ્રેજી પ્રકાશનોનો એક વ્યાપક અને મોભાદાર પ્રવાહ છે. તેમાંથી ઓછાં કામ એવાં હોય છે કે જે લાભ કે સિદ્ધિનિરપેક્ષ માનસથી કેવળ વ્યાસંગ તરીકે થયા હોય. ગુજરાતમાં વસતાં સ્વરોજગાર self-employed, સ્વતંત્ર સંશોધક independent researcher તરીકે ઉર્વીશભાઈનું આ કામ વ્યાસંગ તરીકે થયું છે, એવી આ લખનારની છાપ છે.

ઊંચા દરજ્જાના અંગ્રેજી એકેડેમિક પુસ્તકો કરનારા અભ્યાસીઓ મોટે ભાગે મોટા શહેરોમાં ઉત્તમ અંગ્રેજી શિક્ષણ / સંશોધન સંસ્થાઓમાં ભણેલા / તાલીમ પામેલા, સંસાધન અને સંપર્ક સંપન્ન હોય છે. આ અંગ્રેજી પુસ્તક આપનારા આપણા ગુજરાતી plain blunt man તો અમદાવાદીય નથી. એ મેમદાવાદી છે – ટ્વીટર પર જોખમકારક વ્યંગ કરનારા મેમદાવાદી. 

(Pic : પાર્થ ત્રિવેદી)
[1330 શબ્દો]
04 નવેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...776777778779...790800810...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved