Opinion Magazine
Number of visits: 9665798
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માધ્યમોની સ્વતંત્રતા અનિવાર્ય

હેમન્તકુમાર શાહ|Opinion - Opinion|11 March 2024

પ્રસ્તાવના

હેમન્તકુમાર શાહ

લોકશાહીમાં નાગરિક સ્વાતંત્ર્યનું એક અત્યંત અગત્યનું પાસું છે, માધ્યમો(media)ની સ્વતંત્રતા. માધ્યમોની સ્વતંત્રતા એટલે અખબારો, ટી.વી. ચેનલો, પુસ્તકો, પુસ્તિકાઓ, સામયિકો, ચોપાનિયાં, ન્યુઝ પોર્ટલ, વેબ સિરિઝ, ફીચર ફિલ્મો, દસ્તાવેજી ફિલ્મો, ટૂંકી ફિલ્મો, ચિત્રકલા, શિલ્પકળા, કાર્ટૂન, ગામમાં કે શહેરમાં લાગેલાં બ્લેક બોર્ડ વગેરે જેવાં અનેક માધ્યમો તેમ જ ફેસબૂક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સિગ્નલ વગેરે જેવાં સામાજિક માધ્યમોની અને ઇન્ટરનેટની સ્વતંત્રતા. આમ જુઓ તો, માધ્યમોનું સ્વાતંત્ર્ય એ વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો જ ભાગ છે. માધ્યમોની સ્વતંત્રતા સિવાય લોકશાહી શક્ય જ નથી. એમ પણ કહી શકાય કે માધ્યમોની સ્વતંત્રતા એ જ લોકશાહી છે. વળી, માધ્યમોની સ્વતંત્રતાનો અર્થ માત્ર મીડિયા કંપનીઓ કે માલિકોની કે મુખ્ય સંપાદકોની સ્વતંત્રતા થતો નથી, પણ પત્રકારોની સ્વતંત્રતાનો સમાવેશ પણ તેમાં થાય છે. ઘણી વાર મીડિયાની નીતિને બહાને પત્રકારોની સ્વતંત્રતા જોખમમાં મુકાય છે.

ઇંગ્લિશ નવલકથાકાર જ્યોર્જ ઓરવેલ (૧૯૦૩-૫૦) એમ કહે છે કે, “અખબારી સ્વાતંત્ર્યનો કશો પણ અર્થ હોય તો તે છે ટીકા કરવાની અને વિરોધ કરવાની સ્વતંત્રતા.” એનો અર્થ એ છે કે જેઓ કોઈ પણ સ્તરે સત્તામાં બેઠા છે તેમનાં વર્તનની અને વ્યવહારની, તેમનાં નીતિઓ, કાર્યક્રમો, યોજનાઓ, બજેટ, હુકમો, પરિપત્રો વગેરેની ટીકા માધ્યમો કરી શકે અને લોકો તેમનો વિરોધ કરી શકે એવું સામાજિક અને રાજકીય વાતાવરણ હોવું જોઈએ.

અમેરિકાની ૧૯૪૧માં સ્થપાયેલી ફ્રીડમ હાઉસ નામની સંસ્થા કહે છે કે, “સ્વતંત્ર માધ્યમો નાગરિકોને તેમના નેતાઓની સફળતા અને નિષ્ફળતા વિષે માહિતી આપી શકે છે, લોકોની જરૂરિયાતો અને ઇચ્છાઓ વિષે સરકારને અને તેની સંસ્થાઓને માહિતી આપી શકે છે અને તે માહિતી તેમાં જ વિચારોની આપ-લે માટેનો એક ખુલ્લો મંચ પૂરો પાડે છે. જ્યારે માધ્યમોની સ્વતંત્રતા પર નિયંત્રણો આવે છે ત્યારે આ મહત્ત્વનાં કામોમાં રુકાવટ ઊભી થાય છે અને તેને લીધે નિર્ણય પ્રક્રિયા ખરાબ થઈ શકે છે અને તેની વિપરીત અસર નેતાઓ તેમ જ લોકો બંને પર પડી શકે છે.”

માધ્યમોની સ્વતંત્રતાનો અર્થ એ છે કે તેમાં સરકારની દખલગીરી ન હોય. બંધારણીય રીતે અને કાયદાકીય રીતે માધ્યમોની સ્વતંત્રતાને રક્ષણ આપવામાં આવે તે લોકશાહી માટે આવશ્યક છે. અનેક બાબતો કે માહિતી સરકારો લોકોથી છુપાવવા માગતી હોય છે. એ સત્તાનો અને સરકારનો કુદરતી સ્વભાવ છે. એટલે જો માધ્યમો એ માહિતી બહાર પાડે તો તેની તેમને સ્વતંત્રતા હોવી જ જોઈએ. એમ થાય તો જ લોકોને સાચી માહિતી મળે.

સેન્સરશિપ : સરકારી

માધ્યમોની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનું લગભગ બધા સત્તાધીશોને ગમતું હોય છે. તેમનાથી પોતાની ટીકા સહન થતી નથી. તેઓ ઘણી વાર સત્તાવાર રીતે સેન્સરશિપ પણ લાદે છે. એવી સેન્સરશિપ ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫-૭૭ની કટોકટી દરમ્યાન લાદી હતી. આવી સેન્સરશિપ દરમ્યાન સરકાર નક્કી કરે છે કે શું છાપવું, શું બતાવવું અને શું બોલવું અથવા શું અભિવ્યક્ત કરવું. સરકારની મંજૂરી વિના એમાંનું કશું થઈ શકતું નથી.

હવે સેન્સરશિપ નવા સ્વરૂપે અપનાવી છે અને તે છે સામાજિક માધ્યમો પરનાં સરકારી નિયંત્રણો. અમેરિકાનું ફ્રીડમ હાઉસ એમ કહે છે કે સરકાર કનેક્ટિવિટીને નિયંત્રિત કરે છે તથા રાજકીય, સામાજિક અને ધાર્મિક વાણી અને અભિવ્યક્તિ ધરાવતાં સામાજિક માધ્યમોને તેમ જ વેબસાઈટ બ્લોક કરે છે. એટલે ડિજિટલ સંચાર વ્યવસ્થા લોકો વચ્ચે બરકરાર રહે તે માટે મજબૂત કાનૂની અને નિયમનકારી વ્યવસ્થાઓ જોઈએ. પરંતુ સરકાર પોતે જ એવા નિયમો કે કાયદા બનાવે છે કે જેથી આ પ્રકારની સેન્સરશિપ ઊભી થાય. સેન્સરશિપ ઊભી કરવાનો એક રસ્તો ઇન્ટરનેટ બંધ કરી દેવાનો પણ છે. દુનિયાભરમાં સરકારો લોકોની સલામતીને નામે ઇન્ટરનેટ બંધ કરી દેવાનું વલણ અપનાવતી રહી છે. ૨૦૨૨માં ૩૫ દેશોમાં ૧૮૭ વખત ઇન્ટરનેટ બંધ કરી નાખવામાં આવ્યું હતું. ભારત સરકારે ૨૦૨૨માં જુદા જુદા વિસ્તારોમાં જુદાં જુદાં કારણોસર દુનિયામાં સૌથી વધુ ૮૪ વખત ઇન્ટરનેટ બંધ કરી દીધું હતું. ૨૦૧૬થી ભારત દુનિયાભરમાં સૌથી વધુ ઇન્ટરનેટ બંધ કરી દેનારો પ્રથમ દેશ બન્યો છે. ભારતનો ફાળો તેમાં ૫૮ ટકા રહ્યો છે.

સરકારો જુદી જુદી દલીલો કરીને પણ આડકતરી રીતે સેન્સરશિપ લાદે છે. જેમ કે, ભારતમાં પી.એમ. કેર ફંડ અને રાજ્યોમાં મુખ્ય મંત્રી રાહત ફંડમાં કેટલી રકમ જમા થઈ અને કેટલો ખર્ચ થયો તેની વિગતો જાહેર કરવામાં આવતી જ નથી. તેથી લોકોને ખબર પડતી જ નથી કે આ રાહત નિધિઓમાં કેટલી રકમ જમા છે અને કઈ બાબતો પાછળ તેમાંથી કેટલો ખર્ચ કરવામાં આવે છે. એ જ રીતે ભારતમાં સત્તાવાર ગુપ્તતા ધારા-૧૯૨૩ હેઠળ સરકાર ઘણીબધી વિગતો જાહેર કરતી નથી. વળી, માહિતી અધિકાર ધારા-૨૦૦૫ હેઠળ પણ ઘણીબધી બાબતોની માહિતી લોકોને નહિ આપવાની સત્તા ભારતમાં સરકારને છે. માધ્યમો આવી વિગતો કોઈક રીતે બહાર લાવે તો તે પણ ગુનો બને છે !

એક રશિયન લેખક મિખાઈલ બુલ્ગાકોવ (૧૮૯૧-૧૯૪૦) એમ કહે છે કે, “સેન્સરશિપનું સ્વરૂપ ગમે તે હોય, અને તે ગમે તે સત્તા હેઠળ અસ્તિત્વમાં હોય, તેની સામે લડત આપવી એ જેમ અખબારી સ્વાતંત્ર્ય માટે હું લડું એમ, એક લેખક તરીકે મારી ફરજ છે. હું એ સ્વતંત્રતાનો અદમ્ય ચાહક છું અને હું માનું છું કે કોઈ લેખક પોતાને કોઈ સ્વતંત્રતાની જરૂર નથી એમ સાબિત કરવાની કલ્પના પણ કરી શકે, તો તે એવી માછલી જેવો કહેવાય કે જે જાહેરમાં એમ કહે કે તેને પાણીની જરૂર નથી.”

સેન્સરશિપ : સામાજિક–સાંસ્કૃતિક

કેટલીક વાર આવી સેન્સરશિપ જાતે બની બેઠેલા સંસ્કૃતિ રક્ષકો પણ લાદતા હોય છે. આવા સંસ્કૃતિ રક્ષકો દુનિયાભરમાં નાગરિકોના વાણી અને અભિવ્યકતિના સ્વાતંત્ર્ય પર હુમલા કરતા હોય છે. કેટલાંક ઉદાહરણો અહીં જોઈએ :

(૧) ૨૦૨૩માં ‘પઠાણ’ ફિલ્મમાં નાયિકાએ એક ગીત વખતે પહેરેલાં કેસરી રંગનાં વસ્ત્રો સામે ભારતમાં ભારે હોબાળો હિંદુ સંસ્કૃતિના કહેવાતા રક્ષકોએ કર્યો હતો. (૨) વિખ્યાત ચિત્રકાર એમ.એફ. હુસેન હિંદુ દેવદેવીઓનાં અભદ્ર ચિત્રો દોરે છે અને હિંદુ સંસ્કૃતિનું અપમાન કરે છે, એમ કહીને અમદાવાદમાં દોશી-હુસેન ગુફા પર પણ ૧૯૯૬, ૨૦૦૬ અને ૨૦૧૩માં હુમલા કરવામાં આવ્યા હતા અને તોડફોડ કરવામાં આવી હતી. (૩) ફ્રાન્સમાં ૨૦૧૫માં ‘ચાર્લી હેબ્દો’ નામના એક કાર્ટૂન મેગેઝિનને મામલે મુસ્લિમોએ હુમલો કર્યો હતો અને એ મેગેઝિનમાં છાપવામાં આવેલાં મહંમદ પયગંબર વિશેના કાર્ટૂન સામે દુનિયાભરમાં મુસ્લિમોએ વિરોધી દેખાવો કર્યા હતા. (૪) ‘મહંમદ ધ ઇડિયટ’ નામની એક વાર્તા ૧૯૮૦ના દાયકામાં બેંગ્લોરના અખબાર ‘ડેક્કપન હેરલ્ડ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યારે મુસ્લિમ જૂથોએ એ અખબારની ઓફિસ સળગાવી હતી અને તાફાનો કર્યાં હતાં.

આવાં તો ભારત અને દુનિયાના બીજા દેશોનાં અનેક ઉદાહરણો આપી શકાય તેમ છે. કોઈ પણ પ્રકારની સેન્સરશિપ લોકોના વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર કાપ મૂકે છે એટલું જ નહિ તે તેના સાચી માહિતી મેળવવાના અધિકારને અને વિભિન્ન મંતવ્યો પ્રાપ્ત કરવાના અધિકારને અને અભિવ્યક્તિના અધિકારને ગળે ટૂંપો દે છે.

માધ્યમોની સ્વતંત્રતાનું મહત્ત્વ

માધ્યમોની સ્વતંત્રતા એ નાગરિકોના રાજકીય અધિકારો અને તેમની રાજકીય સ્વતંત્રતાનો પાયાનો હિસ્સો છે. અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપ્રમુખ થોમસ જેફરસન (૧૭૪૩-૧૮૨૬) એમ કહે છે કે, “જો એ નક્કી કરવાનું મારી પર છોડી દેવામાં આવે કે અખબારો વિનાની સરકાર જોઈએ કે સરકાર વિનાનાં અખબારો, તો હું એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બીજો વિકલ્પ પસંદ કરું …. આપણી સ્વતંત્રતા અખબારોની સ્વતંત્રતા પર આધારિત છે, જો તેના પર મર્યાદા મૂકવામાં આવે તો સમજવાનું કે તે ગઈ.” આનો અર્થ છે કે માધ્યમોની સ્વતંત્રતા પર કોઈ મર્યાદા નાખવાની પણ જેફરસન હિમાયત કરતા નથી. જો કોઈ મર્યાદા કાયદાથી લાદવામાં આવે તો સ્વતંત્રતા જ જતી રહે એમ તેઓ કહે છે. ભારતના બંધારણમાં કલમ ૧૯(૨)માં વાણી અને અભિવ્યક્તિની આઝાદી કઈ મર્યાદાઓ સાથે ભોગવવાની છે તે નક્કી કરવામાં આવ્યું છે જ. પણ આ મર્યાદાઓનો ઉપયોગ સરકારે આઝાદીને કચડી નાખવા માટે કરવો જોઈએ નહીં.

માહિતી મેળવવાની નાગરિકોની સ્વતંત્રતા સાથે માધ્યમોની સ્વતંત્રતા જોડાયેલી છે. જો માધ્યમો સ્વતંત્ર ન હોય તો સરકારની કામગીરી વિષે સાચી માહિતી નાગરિકોને મળતી નથી અને તો તેઓ આ કે તે રાજકીય પક્ષ કે ઉમેદવાર વિષે માહિતીપ્રદ પસંદગી કરી શકતા નથી. અમેરિકાના એક સાંસદ ક્રિસ્ટોફર જ્હોન ડોડ (૧૯૬૦) એમ કહે છે કે, “જ્યારે લોકોના જ્ઞાનપ્રાપ્તિના અધિકાર સામે ખતરો ઊભો થાય છે ત્યારે અને વાણી-સ્વાતંત્ર્ય અને અખબારી સ્વાતંત્ર્ય જોખમમાં મુકાય છે ત્યારે આપણે જે અન્ય સ્વતંત્રતાઓને પ્રિય ગણીએ છીએ તે તમામ સ્વતંત્રતાઓ જોખમમાં મુકાય છે … અખબારી સ્વાતંત્ર્ય લોકશાહી માટે માત્ર મહત્ત્વનું છે એમ નહિ, એ જ લોકશાહી છે.” આમ, માધ્યમોની સ્વતંત્રતા અન્ય તમામ સ્વતંત્રતાઓ ભોગવવા માટે અનિવાર્ય છે. જો એ સ્વતંત્રતા ન હોય તો કોઈ સ્વતંત્રતા ભોગવી શકાતી નથી.

એક એવી ભૂલ પણ ઘણી વાર કરવામાં આવે છે કે માધ્યમોની સ્વતંત્રતા એટલે પ્રકાશકો, માલિકો અને પત્રકારોની સ્વતંત્રતા, ખરેખર એવું નથી. વાસ્તવમાં, એમની સ્વતંત્રતા હોય તો જ તો નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા ટકે છે, નહિ તો ટકે જ નહિ. અમેરિકાના વિખ્યાત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના ૧૯૩૫થી ૧૯૬૧ દરમ્યાન પ્રકાશક રહેલા આર્થર હેઝ સુલ્ઝબર્ગ (૧૮૯૧-૧૯૬૮) એમ કહે છે કે, “અખબારોની સ્વતંત્રતા, અથવા વધુ નિશ્ચિત રીતે કહીએ તો, અખબારોની સ્વતંત્રતાનો લાભ એ દરેકનો લાભ છે – એ નાગરિકોને માટે અને પ્રકાશક માટે બંને માટે લાભદાયી છે … મહત્ત્વનો મુદ્દો એ છે કે એ પ્રકાશકની મુદ્રણ કરવાની આઝાદી નથી, એ તો નાગરિકની માહિતી મેળવવાની આઝાદી છે.” ટૂંકમાં એમ કહેવાય છે કે માધ્યમોની સ્વતંત્રતા એ નાગરિકોની સ્વતંત્રતા જ છે. એટલે જ ભારતના એક રાજકીય નેતા શશી થરૂર યોગ્ય રીતે જ એમ કહે છે કે, “અખબારોની સ્વતંત્રતા એ લોકશાહીની ઈંટોને જોડનાર તત્ત્વ છે – એ તો એ ઈંટોમાં રહેલી ખુલ્લી બારી છે.”

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 ફેબ્રુઆરી 2024; પૃ. 08-09

Loading

ગઝલ

સિદ્દીક ભરૂચી|Opinion - Opinion|11 March 2024

સો અરથવાળી પણ મહોબત છે,

એવી કોઈ શહેરમાં વસાહત છે?

લાગણીશૂન્ય, દૂરતા, ઘોંઘાટ,

આ નવા કાળની સહુલત છે.

રોજ આપી જતા રહે આશિષ,

ભિક્ષુકોનીયે શું સખાવત છે,

દોસ્તી, પ્રેમ, ને ભલી – સંગત,

મારા નામે તો આ જ મિલ્કત છે.

“રાહ જોવામાં ખૂબ થાકી ગઇ”,

આટલી ભૂલથી અદાવત છે.

ભરૂચ
e.mail : siddiq948212@gmail.com

Loading

વય વધે છે ને લય ઘટે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 March 2024

સમય જાય છે તેમ વય વધે છે ને લય ઘટે છે, એ સ્થિતિમાં થોડી ખોટકાતા લયની ઘટનાઓ જોઈએ.

રવીન્દ્ર પારેખ

લોકસભા ચૂંટણી માથે છે, ત્યારે જ ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાષ્ટ્રપતિને રાજીનામું ધરી દીધું છે ને રાષ્ટ્રપતિએ તે સ્વીકારી પણ લીધું છે. સરકારે મનાવવાની કોશિશ તો કરી છે, પણ 2027 સુધીનો સમય ગોયલ પાસે હોવા છતાં, તેમણે પદ છોડ્યું છે. રાજીનામું મૂકવાના કારણમાં વ્યક્તિગત કારણ દર્શાવાયું છે. આમ તો ગોયલે 18 નવેમ્બર, 2022માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી, તેના બીજા જ દિવસથી ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક પામ્યા. તે સંદર્ભે સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ પણ કર્યો કે નિમણૂકમાં આટલી ઉતાવળ કેમ? જો કે, એ પિટિશન પછી રદ્દ કરાઈ હતી. હવે એક જ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર બાકી રહેતાં અન્ય નિમણૂકો તાકીદે કરવાની રહે છે. એ જે હોય તે, પણ ગોયલનું રાજીનામું અનેક અટકળો માટે મોકળાશ પૂરી પાડી રહ્યું છે તે ખરું.

આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થાય છે, તો સૌ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવીએ અને ઉત્તમ ટકાએ પાસ થાય તેમ ઈચ્છીએ, કારણ હવે તો ટકા પર જ બધું ટકેલું છે. વાલીઓ સંતાનની ક્ષમતા જોયા વગર તેને ડૉક્ટર, એન્જિનિયર જ જોવા ઈચ્છે છે. બધા જ ડૉક્ટર થશે તો દર્દી કોણ થશે એ સવાલ તો છે જ, પણ ઘોડાની રેસમાં બધા પહેલા નથી આવતા, તો ય વાલીઓ ઈચ્છે છે કે તેમનું સંતાન, કંતાન જેવું હોય તો પણ ફર્સ્ટ જ આવે. હવે આંકડાનો-ડેટાનો સમય છે. ઉપરી અધિકારીઓ કામ થાય કે ન થાય, ડેટા મળી જાય તો બીજી ચિંતા કરતાં નથી.

ઘણાંની ગેસ ટ્રબલ ઘટાડવા જ કદાચ, ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ 100 રૂપિયા ઘટી ગયો છે. આ ભેટ સરકારે મહિલા દિવસ નિમિત્તે ગૃહિણીઓને આપી છે. મહિલા દિનનો આભાર માનીએ કે તે 8 માર્ચે આવ્યો. તે જાન્યુઆરીમાં આવ્યો હોત તો 100 રૂપિયા જાન્યુઆરીથી ઘટયા હોત કે ડિસેમ્બર, 2024માં આવ્યો હોત તો નવેક મહિના રાહ જોવી પડી હોત. કહેવાય છે તો એવું પણ કે આ ઘટાડો આવી રહેલી લોકસભાની ચૂંટણીને આભારી છે. સરકાર પણ ભાવ ઘટાડી શકે છે, શરત એટલી કે ચૂંટણી નજીક હોય. એમ તો 19 નવેમ્બરે પુરુષ દિન પણ આવે છે, તો સરકાર પુરુષોને પણ કોઈ લાભ ખટાવે એમ બને. કારણ, મતદાન તો પુરુષો પણ કરે છે, એટલે પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટે એવી અપેક્ષા ઘણાંને છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ એવો ખુલાસો કર્યો છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ સ્થિર થાય તો સરકાર ભાવ ઘટાડવા અંગે વિચાર કરશે. આમ તો મે, 2022માં બેરલનો ભાવ 140 ડોલરે સ્થિર થયો ત્યારથી સરકાર ભાવ વધારીને બેઠી છે ને છેલ્લા કેટલા ય સમયથી બેરલનો ભાવ 80 ડોલર પર સ્થિર છે, પણ સરકારને સ્થિર ભાવ દેખાતો નથી, તેમાં ઈરાદાપૂર્વક ન જોવાનું વલણ કેન્દ્રમાં છે. ક્રૂડના ભાવ વધ્યા ત્યારે સરકારની તેલ કંપનીઓએ ઘણી ખોટ ખાધી ને અત્યારે ભાવ ન ઘટાડીને કંપનીઓ રિકવરી કરી રહી છે, ત્યારે સવાલ થાય કે ક્રૂડના ભાવ વધ્યા તે વખતે પણ ભારતમાં તો ભાવ વધ્યા જ છે, તો અત્યારે રિકવરી કોની હોજરી ભરવા થાય છે તેનો ખુલાસો થવો ઘટે. જો કે, સરકાર દયાળુ ઘણી છે, એટલે આંતર રાષ્ટ્રીય સ્તરે એલ.પી.જી.ના ભાવમાં 300 ટકાનો વધારો થયો, છતાં સરકારે માત્ર 72 ટકાથી જ સંતોષ માન્યો. એમ તો આઠેક લાખ બેન્ક કર્મચારીઓને સત્તરેક ટકા જેટલો વેતન વધારો પણ સરકારે મંજૂર કર્યો છે. ટૂંકમાં, સરકાર જીવદયામાં માને છે ને આ બધું ચૂંટણી પૂરતું સીમિત હોય તો એવી પ્રાર્થના કરવાની રહે કે ચૂંટણીઓ આવતી રહે ને પ્રજાને થોડુંઘણું ખટાવતી રહે. સાથે એ ફાળ પણ પડે જ છે કે ચૂંટણી પતે તે સાથે જ ગેસ સિલિન્ડરનો ભાવ વધે તો નહીંને કે પેટ્રોલ-ડિઝલના ભાવ ભડકે તો નહીં બળેને ! હશે, ‘જે ગમે ‘જગત ગુરુ’ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો …’

આટલી (ર)મૂજી કથાઓ એટલા માટે કે આપણે ત્યાં ઉંમર સંદર્ભે જે અરાજકતા છે તે અંગે ભલે ફોક જાય, પણ ખરખરો તો કરવો જ ! એક સમયે અઢી વર્ષની ઉંમરે પ્રિ-નર્સરીમાં છોકરું ગોઠવી દેવાતું હતું. હવે એ તકો ઊભી રાખીને સરકાર એ મુદ્દે કડક થઈ છે કે 6 વર્ષ પૂરાં ન થાય તો નવાં શૈક્ષણિક વર્ષમાં ધોરણ એકમાં બાળકને પ્રવેશ ન જ આપવો. એ સારું થયું, નહિતર જે રીતે નાની ઉંમરે બાળકો સ્કૂલોમાં ઠલવાતાં હતાં એ પરથી તો લાગતું હતું કે માતાઓ જતે દિવસે બાળકને જન્મ સ્કૂલમાં જ ન આપે તો સારું. ઉંમર 6 વર્ષ નક્કી થઈ છે, પણ અમલ કેટલો થાય છે તે તો સ્કૂલો કે સરકાર જ કહી શકે.

ઉંમરનો એવો જ ઉછાળ સરકારને 16 ડિસેમ્બર, 2021ને રોજ, કન્યાની લગ્નની ઉંમર 21 વર્ષની કરવાનો આવેલો. છોકરાની ઉંમર 21 રાખીને છોકરીની લગ્નની ઉંમર પણ 21 કરીને સમાનતાનો ખ્યાલ પુરસ્કૃત કરવાનો ભ્રમ સરકારને થયેલો ને કેન્દ્રીય કેબિનેટે તેને મંજૂરી પણ આપી દીધેલી. પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ, 2021માં લગ્ન માટેની છોકરીની ઉંમર 18થી વધારીને 21 કરવાની વાત હતી. આ ખરડો રજૂ થયો ત્યારે વિવાદ વધતા તે સંસદની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યો. એનું શું થયું તે ખબર નથી, પણ અત્યારે તો લગ્નની કન્યાની ઉંમર 18 છે એ ખરું. ઉંમર 21ની કરવા પાછળનું કારણ એ અપાયેલું કે 18ની ઉંમરે છોકરીઓ ભણતર પૂરું કરી શકતી નથી. એ રીતે 21ની ઉંમર કરવાનો તર્ક યોગ્ય લાગે, પણ પુરુષની 21 અને સ્ત્રીની 18ની ઉંમર કાયદેસર હોવાને કારણે બે વચ્ચે જે ત્રણેક વર્ષનો ફરક રહેતો હતો ને તે જૈવિક રીતે યોગ્ય પણ હતો, તે તફાવત બંનેની ઉંમર 21 થાય તો રહે નહીં. આ તફાવત એટલે પણ જરૂરી છે કે છોકરા કરતાં છોકરી વહેલી પુખ્ત થાય છે. આજના પ્રસાર માધ્યમોને કારણે છોકરી 15-16 આસપાસ જ પુખ્ત થઈ જાય છે. એ સારું છે કે કન્યાની લગ્નની ઉંમર 21 નથી થઈ. એવું થાય તો 18 વર્ષની ઉંમરે થયેલાં લગ્ન, બાળ લગ્નમાં ખપે. તેનાથી થયેલું સંતાન અનૌરસ ગણાય. 18થી ઓછી ઉંમરે થયેલાં લગ્નનું પ્રમાણ ઓછું છે, તે 18ની ઉંમરે થયેલાં લગ્નને પણ ગેરકાયદેસર ઠરાવીને વધારવું છે? 18ની ઉંમરે પરણેલ કન્યાઓ લગ્ન પછી પણ અભ્યાસ ચાલુ રાખતી જોવા મળી છે ને જેણે અભ્યાસ કરવો જ નથી, તે તો પચીસે પરણે તો ય કોણ રોકે એમ છે?

ગમ્મત તો એ છે કે લગ્નની ઉંમર 21નું વિચારતી સરકાર મતદાનની ઉંમર 21 કરવાના મતની નથી. મતદાનની 18ની ઉંમર પુખ્ત ગણાતી હોય તો કન્યાની લગ્નની ઉંમર પુખ્ત કેમ નહીં તે પ્રશ્ન જ છે. 18ની ઉંમરે વ્યક્તિ મતદાન કરી શકે, પણ ચૂંટણી ન લડી શકે. એની ઉંમર 25 નક્કી કરી છે. એ 21 કે 18 કરવાની વાત છે, પણ ચૂંટણી પંચ સંમત નથી. મતલબ કે 18ની ઉંમરે પુખ્ત ગણાતી વ્યક્તિ મતદાન માટે યોગ્ય છે, પણ ચૂંટણી લડવા અયોગ્ય છે. આવી જ અસમાનતા નોકરીઓમાં પણ છે. એનું કોઈ કારણ હશે કે જુદી જુદી સરકારને હિસાબે પણ નોકરીની કે નિવૃત્તિની વયમાં ફેર રખાયો હશે, પણ એક જ દેશમાં કમ સે કમ નિવૃત્તિ વય સરખી હોય તો શો વાંધો આવે તે સમજાતું નથી. બંને કહેવાય ન્યાયાધીશો, પણ હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય 62 વર્ષ છે, જ્યારે સુપ્રીમકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય 65 વર્ષ છે. ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ તથા અધિકારીઓની નિવૃત્તિ વય 58 છે જે 60ની કરવાની દરખાસ્ત છે. શિક્ષકોની વાત કરીએ તો તેમની નિવૃત્તિ 58 વર્ષે થાય છે, પણ કોલેજના અધ્યાપકો 62 વર્ષે રિટાયર થાય છે, એમાં પણ ક્યાંક તો 70 વર્ષ સુધીની છૂટછાટો પણ છે. રાષ્ટ્રીય કૃત બેન્કોમાં પણ નિવૃત્તિ વય 60 વર્ષ નક્કી છે. એક જ દેશમાં જુદી જુદી સરકારોમાં જુદી જુદી નિવૃત્તિ વય હોય એ ઠીક છે? મતાધિકારની વય નક્કી હોય, હિન્દુ મેરેજ એક્ટ મુજબ લગ્નની ઉંમર આખા દેશમાં એક જ હોય, તો નોકરીની નિવૃત્તિ વયમાં આટલો તફાવત યોગ્ય ખરો? આ નિવૃત્તિ વય પ્રજાને જ લાગુ પડે છે, રાજકારણમાં તો ક્યાં કશો બધ છે?

કહેવાનું એ છે કે કેટલુંક ચર્ચાસ્પદ છે તે ચર્ચાસ્પદ રહે જ, એમાં સરકારને રસ હોય એવી ઉદાસીનતા પ્રવર્તે છે. આમ થવાનું કોઈ કારણ હોય તો તેની સ્પષ્ટતા થવી જોઈએ ને જે નિવારી શકાય એમ હોય તેનું તેમ કરીને દેશના નાગરિકોને લાભ આપવો જોઈએ, જેથી સરળતા ને સમાનતાનો અનુભવ થાય. એટલું થશે તો થોડી રાહતનો અનુભવ પ્રજા પણ કરી શકશે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 માર્ચ 2024

Loading

...102030...768769770771...780790800...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved