Opinion Magazine
Number of visits: 9457442
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મણ ઘાસનો ભાવ 4 આના અને મણ શેરડીનો ભાવ 6 આના ! શું આ અન્યાય નથી?’

રમેશ સવાણી|Opinion - Opinion|13 November 2023

[ભાગ-1]

હજુ ગુજરાત રાજ્યનો જન્મ નહોતો થયો; ત્યારે સૌરાષ્ટ્ર રાજ્યના ધારાસભ્યોમાં કેવો જુસ્સો હતો / કેવી કર્તવ્યનિષ્ઠા હતી / કેવી પ્રમાણિકતા હતી / મૂલ્યો માટે લડવાની કેટલી હિમ્મત હતી તે જોઈએ ત્યારે 2023માં જે ધારાસભ્યો છે તેમની તરફ દૃષ્ટિ કરતા ભારે નિરાશા ઉપજે છે. હાલના ધારાસભ્યો લોકોને પ્રતિબદ્ધ નથી, પક્ષના ગુલામ છે. ફરી ટિકિટ નહીં મળે તેની ચિંતા તેમને સતાવે છે. જૂની કોઈ ફાઈલ ખોલી સત્તાપક્ષ હેરાન કરશે એ ડર પણ હોય / સ્વાર્થ હોય; પણ લોકોના પ્રશ્નો અંગે લડત કરવાની ત્રેવડ ધારાસભ્યોએ ગુમાવી દીધી છે. કનુભાઈ કલસરિયા જેવા એકાદ ધારાસભ્ય લોકોના પ્રશ્નો ઉઠાવે તો તેમને પક્ષ છોડવો પડે છે અને તેમને હરાવવા સત્તાપક્ષ નેવાનાં પાણી મોભે ચડાવે છે. દુ:ખની બાબત એ છે કે લોકો પણ પોતાના પ્રશ્નો ઊઠાવનાર કર્તવ્યનિષ્ઠ ઉમેદવારને ચૂંટણીમાં હરાવે છે. જ્ઞાતિ / જાતિ / ધર્મ / સંપ્રદાયને કેન્દ્રમાં રાખીને લોકો માયકાંગલા / ક્રિમિનલ / તડિપાર ધારાસભ્યને ચૂંટે છે અને પછી પેટ ભરીને પસ્તાય છે !

1936માં ભાવનગરના પ્રગતિશીલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ચોગઠ ગામમાં પધાર્યા હતા. એમની સાથે કેળવણી ખાતાના અધિકારી પણ હતા. મહારાજાની નીતિ હતી કે લોકો સાથે સીધો સંપર્ક કરવો. રુબરુ જઈ લોકોના પ્રશ્નો જાણવા. ગામના ઉતારામાં માનવમેદની ઉમટી હતી. બધી રીતરસમો પૂરી થયા બાદ મહારાજાએ પૂછ્યું : “ગામમાં કોઈને મૂંઝવણ છે? કાંઈ ફરિયાદ છે? છે કોઈની રાવ? જેમને કહેવું હોય તે ખુશીથી કહો.” સભામાં કેટલાક આગેવાનો બેઠાં હતાં તેમણે કહ્યું કે ‘મહારાજ ! રૈયતને સુખ શાંતિ છે. આપના રાજ્યમાં ફરિયાદ શેની હોય? આપની મહેરબાનીથી બધી વાતે સારું છે.’

છગનભાઈ પટેલ

ત્યાં બધાંના આશ્ચર્ય વચ્ચે સભામાંથી એક 22 વરસના જુવાનનો હાથ ઊંચો થયો. બાજુમાં બેઠેલા લોકોએ એ જુવાનનો હાથ પાછો ખેંચવા પ્રયત્ન કર્યો. આગેવાનોએ કહ્યું કે ‘મહારાજ, એ તો અમસ્તો, એવું કાંઈ નથી…’ પરંતુ મહારાજાએ એ જુવાનને પોતાની પાસે બોલાવ્યો. જુવાને કહ્યું કે “ગામના માસ્તરો પૂરું ભણાવતા નથી ! અને ગામમાં કજિયો થાય તેવું કરે છે.”

કૃષ્ણકુમારસિંહજી એ જુવાનની પીઠ થાબડી સધિયારો આપ્યો. શિક્ષકોને શિક્ષણમાં ધ્યાન આપવા અને ગામમાં સંપ વધે તેવું કરવા સૂચના કરી.

આ જુવાને પછી 1945 થી 1962 દરમિયાન 17 વરસ સુધી ધારાસભ્ય તરીકે રહી લોકોના આદર્શ પ્રતિનિધિ કેવા હોય તેનું ઉદાહરણ પૂરું પાડ્યું. આ જુવાન એટલે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામના છગનભાઈ પટેલ (9 જુલાઈ 1914 – 4 ફેબ્રુઆરી 1976). તેમની અટક ગોપાણી હતી. તેમનો અભ્યાસ માત્ર 4 ચોપડી સુધીનો હતો. પરંતુ કુદરતે તેમને બૌદ્ધિકતા અખૂટ આપી હતી. તેમનો પહેરવેશ કાયમી એક સરખો રહ્યો હતો; ચોરણો / કફની / બંડી / ખંભે ખેસ / માથે પાઘડી. બધું ખાદીનું. પડછંદ કાયામાં તેઓ જાજરમાન લાગતા હતા. તેમની વિશેષતા એ હતી કે ગામના નાનામાં નાના દલિત માણસ પણ તેમની ઓસરીમાં બેસી ચા-પાણી પીઈ શકતા હતા. તેમણે 1976માં અંતિમ શ્વાસ લીધા ત્યારે 33 હજારનું દેવું મૂકીને ગયા હતા !

ભાવનગર રાજ્યના દિવાન અનંતરાય પટ્ટણીના સમયે એક ખાનગી કંપનીએ ધોળા ખાતે એક ખાંડનું કારખાનું ઊભું કરેલ. આ કારખાના માટે કાચા માલ તરીકે શેરડી પૂરી પાડવા દિવાને, ખેડૂતોએ ફરજિયાત શેરડી પૂરી પાડવા કાયદો કર્યો હતો. એક જોડી બળદ રાખતા હોય તેવા ખેડૂતોએ ફરજિયાતપણે 48 ગૂંઠા (3 વીઘા) શેરડી વાવવી અને તે શેરડી છેક ધોળાના કારખાને પહોંચાડવી પડતી ! આ શેરડીનો ભાવ એક મણના ફક્ત 6 આના (36 પૈસા) રાખવામાં આવ્યો હતો. એક જોડી બળદવાળા ખેડૂતની જમીન બહુ ઝાઝી હોય નહીં. જે કાંઈ જમીન હોય તેમાંથી ત્રણ વીઘા જમીનમાં શેરડી વાવવામાં આવે તો 12 મહિના સુધી પાણી પાવા માટે કોસ ચલાવવામાં જ બળદ રોકાયેલા રહે ! બાકીના ખેતીના કામો થઈ ન શકે. ખેડૂતો શેરડી સિવાયનું કોઈ કામ કરી શકે નહીં અને એક વર્ષ કાળી મજૂરી કરે ત્યારે શેરડીના એક મણે ફક્ત 6 આના મળે ! આ હળાહળ અન્યાય હતો, ખેડૂતોમાં ગણગણાટ થયો. સૌના મનમાં રોષ હતો પરંતુ રાજના હુકમ આગળ સૌ લાચાર હતા.

ઉમરાળામાં ગાંધીચિંધ્યા માર્ગે સવિનય કાનૂનભંગ જેવી લડત માટે એક વિશાળ સભાનું આયોજન થયું. હજારો ખેડૂતો હાજર રહ્યા. તેમાં છગનભાઈએ આગેવાની લીધી અને શેરડી મોકલવાનું બંધ કરવાની હાકલ કરી. રાજ્યના આદેશનો ભંગ થવાથી પોલીસ અધિકારીએ તેમને પકડીને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સમક્ષ રજૂ કર્યા. છગનભાઈએ કહ્યું : “રાજ્યના ઘોડાઓને ખવડાવવાના ઘાસનો ભાવ મણના 4 આના છે. ઘાસને ઉગાડવા મહેનત કરવાની હોતી નથી. તે આપોઆપ વગર પાણીએ અને ખેડખાતર વિના ઊગે છે. જ્યારે 12 મહિના સુધી પાણી પીવડાવીને, ખાતરખેડ વગેરે બધું કર્યા પછી શેરડીને છેક ધોળા પહોંચાડવા છતાં એનો ભાવ ફક્ત 6 આના ! મણ ઘાસનો ભાવ 4 આના અને મણ શેરડીનો ભાવ 6 આના ! શું આ અન્યાય નથી? આપની આજ્ઞા છે એટલે હું સજા ભોગવવા તૈયાર જ છું પરંતુ આપને વિનંતી છે કે મારી આ વાત મહારાજા સુધી પહોંચાડવામાં આવે.” પોલીસ અધિકારી સારા હતા. તેમણે દિવાન દ્વારા આ વાત મહારાજા પાસે પહોંચાડી. મહારાજાએ ખેડૂતોને ફરજિયાત શેરડી મોકલવામાંથી મુક્ત કર્યા !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દિવાળીનો आकाशकंदील 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|13 November 2023

દિવાળીનો આકાશકંદીલ એ ત્રેપન વર્ષથી અમદાવાદમાં રહેતા અમારા ભાવે પરિવારને મહારાષ્ટ્રમાંથી મળેલો સુંદર વારસો છે.

આ આકાશકંદીલ અમદાવાદમાં વસતા અમ ત્રણ ભાઈઓ – સંદીપ, સુનીલ અને સંજય – પોતપોતાના ઘરે જાતે બનાવીને લગાવીએ છીએ. कंदील એ મરાઠી શબ્દનો અર્થ થાય છે ફાનસ અથવા દીવો.

અમને આ વારસો અમારા પિતા શ્રીપાદ માધવ ભાવે, જેમને અમે ‘ભાઉ’ કહેતા તેમની પાસેથી મળ્યો છે. આકાશકંદીલ બનાવીને લગાવવામાં અમારી દિવાળીની સાર્થકતા હોય  છે.

વાંસની સળકડીઓ, સૂતરની દોરી (કે પતંગનો માંજો), પતંગના કાગળ અને ચોંટાડવા માટે ઘંઉના લોટની ‘લઇ’ – આટલી જ સામગ્રીમાંથી બનતું આ સુશોભન સંપૂર્ણપણે હાથથી બનાવેલું અને eco-friendly હોય છે.

તે મુંબઈ જેવા મહાનગર સહિત મહારાષ્ટ્રમાં બધે જ જોવા મળે છે. ઘણાં લોકો તે તૈયાર પણ લાવે છે. મહારાષ્ટ્રમાં વાચનસમૃદ્ધ મરાઠી દિવાળી અંકોની જેમ જાતભાતનાં આકાશકંદીલનું પણ બહુ મોટું ચલણ છે.

આકાશકંદીલ બનાવવાના બે-ત્રણ દિવસ અમારા માટે તે બનાવવાનો આનંદના હોય છે. પણ તેમાં તે મોડામાં મોડો ધનતેરસ પર સરસ રીતે બનાવીને મૂકાશે કે નહીં એના કંઈક તણાવ પણ હોય છે.

આકાશકંદીલ બનાવવાની એક ચોક્કસ રીત અને સમયપત્રક હોય જે જાળવવાં પડે છે. આકાશકંદીલ બનવવાનું શરૂ કરો એટલે તે પૂરો કરીને, ઘરની બહાર લટકાવીને અંદર દીવો  પ્રગટાવ્યે જ છુટકો.

આકાશકંદીલ સાથે ઉછેરનાં વર્ષો, તબક્કા અને અલબત્ત યાદો જોડાયેલાં છે.

આ મનગમતું કામ અમને દર વર્ષે એક વાર કેટલી ય વસ્તુઓ/પ્રવૃત્તિઓ સાથે જોડે છે – વાંસ, છરી, દોરા, કાતર, કાગળ, ફૂટપટ્ટી, નકશીકામની કોતરણી, જાતે બાફીને બનાવેલી ‘લઈ’ (જે અમને ગુંદર કે ફેવિસ્ટિક કરતાં ય વધુ વહાલી લાગે છે), સીડી, વાયર, બલ્બ, પલાંઠી વાળીને બેસવું, ગાંઠો વાળવી, બાળપણ, બાપુજી, બા, કાકા, ફોઈ, માસી, ડહેલું ….

પૂના-મુંબઈના અમારા પિતરાઈઓ અત્યારે ભલે કૉર્પોર્રેટમાં હોય કે આઈ.ટી.માં, ફૅક્ટરીમાં હોય કે બાંધકામમાં, સમય કાઢીને ખસૂસ જાતે આકાશકંદીલ બનાવે છે, એ નહીં તો ઘરનાં બહેનો બનાવે છે. ગ્રુપમાં તેના ફોટા મૂકે છે. એમનાં પપ્પા-મમ્મીઓને મેં મારા નાનપણમાં આકાશકંદીલ બનાવતાં જોયાં છે.

અમારા ભાઉ સ્વયંમેવ પ્રતિભાવાન અને સ્વશિક્ષિત-સ્વદિક્ષીત મિકૅનિકલ અને ઇલેક્ટ્રૉનિક એન્જિનિયર હતા. ‘ઇસરો’ના એક મહત્ત્વના વિભાગના મૅનેજર તરીકે નિવૃત્ત થયા. મેં જોયેલા અત્યંત બૂદ્ધિશાળી, ખૂબ ઊંચો બૂદ્ધિઆંક IQ ધરાવનાર વ્યક્તિઓમાં એક હતા. મારા નાનપણમાં એ આકાશકંદીલ બનાવતા. ક્યારેક વધારામાં નાતાલમાં હોય છે તેવો એક તારો પણ બનાવતા.

ત્યાર બાદ હું કંદીલ બનાવતો થયો. પછીનાં વર્ષોમાં એ આનંદ મારા બંને ભાઈઓએ એક પછી એક માણ્યો. અમે ત્રણેય નોકરીઓ વગેરેમાં વ્યસ્ત રહેવા લાગ્યા, અને ભાઉ નિવૃત્ત થયા એટલે ફરી પાછા એ બનાવતા. થોડાંક વર્ષ બાદ તેમને ઉંમરને કારણે મુશ્કેલી પડવા લાગી. એટલે મેં  બનાવવાનું શરૂ કર્યું.

ભાઈઓનાં પોતાનાં ઘર થયાં એટલે હવે તેઓ એમના ઘરે બનાવે છે. પણ અમારા ‘ભાઉ’ના કામમાં હતાં તેટલાં ચોકસાઈ અને finishing અમારામાં નથી આવતાં. પણ ત્રણેય માટેના કાગળ વચેટ સુનીલ ગાંધી રોડ પરની જૂમા મસ્જિદેથી લઈ આવે છે.

વચ્ચે ત્રણેક વર્ષ મુશ્કેલીના ગયા. આકાશકંદીલ ન બની શક્યો. ગયા વર્ષ હું બનાવવા બેઠો, પણ કોણ જાણે કેમ પણ સળકડીઓનું માળખું ધાય જ નહીં. મારી તો ઊંઘ ઊડી ગઈ. આવું તે કેમ થાય ? વર્ષાભાભી અને સુનીલે અરધી રાત સુધી મદદ કરી પછી બધું પાર ઊતર્યું.

આકાશકંદીલ બને એટલી ચીવટથી બનાવીને લગાવી દીધા પછી રાત્રે તેને ઉજાસતો જોવાનું મને બહુ ગમે છે. મારી પાસે જે કંઈ ચપટીક કસબ, મૂઠીભર મુગ્ધતા અને જિંદગી માટેનો થેલાભર ઉમંગ છે તે મને એ આકાશમાં લટકતા દીવામાં દેખાય છે. મને ખૂબ આનંદ અને સંતોષ મળે છે.

અમારાં મમ્મી જેને અમે ‘આઈ’ કહેતા તેમને આકાશકંદીલ બહુ ગમતો. એ તો ગોવત્સ દ્વાદશીએ, મરાઠીમાં વસુબારસે, આકાશકંદીલ બની જાય એવું ઇચ્છતાં. ભાઉ એ દિવસ જાળવતા. અમે બનાવતા ત્યારે મોટે ભાગે ધનતેરસ કે ક્વચિત કાળી ચૌદસ પણ આવી જતી.

આકાશકંદીલ જોયા બાદ અમારી આઈના ચહેરા પર જે અજવાસ ફેલાતો એ જાણે દિવાળીના કોડિયાનો ઉજાસ ! અને તેના મોંમાંથી જે શબ્દો નીકળતા તેના માટે જ કદાચ આજે ય મારા હાથે આકાશકંદીલ બની જાય છે. દર વર્ષે આકાશકંદીલ બન્યા બાદ હરખના આંસુ સાથે આઈ કહેતી – शाब्बास रे माझ्या बाळा !’ 

12 નવેમ્બર 2023, દિવાળી
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

ચોમેર ઝળહળાટ હોવા છતાં આપણે દિવાળીએ દીવા પ્રગટાવીએ છીએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 November 2023

રવીન્દ્ર પારેખ

સર્વપ્રથમ તો સૌને દીપોત્સવ અને નૂતન વર્ષનાં અનંત અભિનંદનો અને અઢળક શુભેચ્છાઓ. સંવત 2080માં આવનારા અનેક આનંદો અને પડકારો ઝીલવાની જગત નિયંતા આપણને શક્તિ આપે એવી હૃદયપૂર્વકની પ્રાર્થનાઓ. સાચું તો એ છે કે આજે જીવવું જ મોટો પડકાર છે, છતાં આપણે આનંદથી, આંસુથી જીવીએ છીએ. નાનામાં નાનો માણસ પણ દિવાળીમાં એક કોડિયું કે આરતી પ્રગટાવવામાંથી નથી જતો. એને માટે તો એ પણ સાહસ જ છે. અનેક અંધકાર વચ્ચે એને તો દીવાનું જ આશ્વાસન છે. એવું ય થતું હશે કે કોઈ વાર તેલનું કામ એ આંસુથી લે ને ભીનો ઉજાસ હાથ લાગે. આનંદ એ વાતે પણ છે કે ગમે તેવો અમીર પણ દીવો તો પ્રગટાવે જ છે. એ રીતે દીવો સૌને સમાન કરે છે. ઘીનો હોય કે તેલનો, આપે છે તો અજવાળું જ ! એનું અજવાળું કાયમી નથી. અખંડ દીવો પણ અખંડ નથી, એ ક્યારેક હોલવાય છે, બિલકુલ મનુષ્યની જેમ જ ! દેવો જો હોલવાતા હોય તો મનુષ્યની તો શી વિસાત !

કૃષ્ણ જો પારધીને હાથે મોક્ષ મેળવે તો અહંકારને ક્યાં ય રહેવા જગ્યા જ ક્યાં બચે છે? આપણો દિવાળીનો તહેવાર રમા એકાદશીથી શરૂ થાય છે ને એ પાંચેક દિવસોમાં ત્રણ ત્રણ તો શક્તિપૂજા થાય છે. વાકબારસે સરસ્વતીનો, ધનતેરસે લક્ષ્મીનો, કાળી ચૌદસે કાલિનો મહિમા થાય છે. કાળી ચૌદસે કૃષ્ણે નરકાસુરનો વધ કરેલો એને લીધે કાળી ચૌદસને નરક ચતુર્દશી પણ કહે છે. ભગવાન રામ લંકા વિજય કરીને અયોધ્યા પધાર્યા તે દિવસે અયોધ્યાની પ્રજાએ આનંદોચ્છવ મનાવ્યો, ત્યારથી દિવાળી ઉજવાય છે, ત્યારે પણ અનેક દીવડાં રામરાજ્યમાં પ્રગટ્યાં હતાં. આ દિવાળીએ ફરી એક વાર અયોધ્યામાં 22 લાખથી વધુ દીવડાં પ્રગટ્યાં છે. આમ તો દિવાળી એટલે આસોની અમાસ ! અમાસ અંધારી હોય છે. ચંદ્ર પણ નથી હોતો, એટલે તારાઓ વધુ પ્રકાશે છે. એની સ્પર્ધામાં હોય તેમ દિવાળીએ ધરતી પર એટલા દીવા પ્રગટે છે કે અંધારી રાત અજવાળાઈ ઊઠે છે. કોઈ અમાસ તેજનો આટલો અંબાર નથી સજતી.

આમ તો અસુરોનો વિનાશ એ દેવોનું ધર્મ કાર્ય રહ્યું છે. દેવો એ કરી શક્યા. આજે એ દેવોના વશની વાત નથી રહી. વિશ્વ આખું આસુરી તત્ત્વનો મહિમા કરતું હોવાનું લાગે છે ને આ સંગ્રામ દેવ-દાનવો વચ્ચેનો નથી, દાનવો-દાનવો વચ્ચેનો છે. એમાં દીવા તો ના સળગે, પણ માણસો જરૂર સળગે છે. આ તો રોજની રામકહાણી છે. એમાં જવું નથી ને દિવાળીએ તો દીવાની જ વાત હોયને !

દીવો એકલો છે. દીવાનો સમૂહ હોય, તો પણ દીવો તો એકલો જ હોય. મનુષ્યનું પણ એવું જ છે. સમૂહમાં પણ એકલો હોય એવું બને. દીવો ય એક જ હોય ! સૂર્ય પણ એક જ છેને ! સૂર્યના સમૂહ હોય તો પણ, સૂર્ય તો એકલો જ હોય. સૂર્ય સૃષ્ટિ અજવાળે છે. દીવો ઘર ઉજાળે છે. દીવો સૂર્ય સામે કરાય તેથી સૂર્ય વધુ ઊજળો ન થાય, પણ જે સૂર્ય દીવો શોધવામાં મદદરૂપ થાય છે, એના પ્રત્યેની ભક્તિ પ્રગટ કરવા આરતી કે દીવો થાય છે. એથી દીવાનો ઉજાસ નથી વધતો, પણ તેની ગરિમા તો વધે જ છે. સૂર્ય સામે જ્યોતિનું પ્રગટવું જ કેવું મોટું સાહસ છે ! સાહસ તો એ પણ છે કે ગમે તેવા ઝંઝાવાતમાં પણ તેણે પ્રગટવાનું છે. ભલે હોલવાઈ જવાનું હોય, તો પણ જ્યોતિએ પ્રગટવાનું તો હોય જ ! સૂર્યને વાદળો ઢાંકી શકતાં હોય, તો જ્યોતિને ઝંઝાવાત હોલવે તેનો અફસોસ કરવાનો ન હોય ! તેણે તો ફરી ફરી પ્રગટવાનું જ હોય.

એ વિચારવા જેવું છે કે રોશનીના આટલા ઝળહળાટ વચ્ચે પણ આપણે દીવો પ્રગટાવીએ છીએ. એથી અજવાળું તો ખાસ વધતું નથી, પણ તેની જ્યોત થરથરીને તેનાં અસ્તિત્વની નોંધ તો લેવડાવે છે. ઇલેક્ટ્રિસિટી ન હતી, ત્યારે કોડિયું જ અજવાળું પાથરતું હતું. પછી તો ઠેકઠેકાણે કોડિયાં મુકાયાં ને અજવાળું વિસ્તર્યું. એ પછી ફાનસો, પેટ્રોમેક્સ આવ્યાં. વીજળી આવી ને એવી આવી કે આંખો ચકાચૌંધ થઈ ગઈ. આજે તો ઘરો, મહેલાતો ને સંસ્થાનોમાં ઇલેક્ટ્રિક તોરણો, સેંકડો ઝુમ્મરો, હેલોઝન્સ, સ્પોટ લાઇટ્સ, ફ્લડ્સ ને એવાં તો કૈં કૈં સાધનોથી એટલો પ્રકાશ ખડકાય છે કે દૂર દૂર સુધી અંધકાર ફટકી પણ ન શકે, છતાં ઘરનાં ઉંબરા પર, પાળી પર, સાથિયા પર, મંદિરોમાં, સમારંભોમાં દીપ પ્રાગટ્યનો અનેરો મહિમા છે. તેનું કારણ છે. દીવો બહુ પ્રકાશ આપી દે છે એવું નથી. દીવાની અવધિ પણ બહુ નથી. દીવાના ઘણા વિકલ્પો છે, પણ સાંજ પડે દીવો કરવાનું ગૃહિણીઓ ભાગ્યે જ ચૂકે છે. સાંજને ટાણે અનેક ટ્યૂબલાઇટ્સ, બલ્બ્સના ઝગારા વચ્ચે પણ મંદિરોમાં થાય છે તો આરતી જ ! ટોડલે દીવો જ પ્રગટે છે. કમાલ એ છે કે ફાનસ સળગે છે ને દીવો પ્રગટે છે. ચૂલો સળગે છે ને આરતી પ્રગટે છે. એક સ્વિચ, ઓન કરવા માત્રથી, ધોધમાર રોશની રેલાવી શકે છે, તો ય વાર-તહેવારે મંદિરે, ગોખમાં, પાણિયારે દીવો મુકાય છે. અઢળક રોશની વચ્ચે પણ દીવો લઘુતાથી પીડાતો નથી, પૂરાં સામર્થ્યથી ટમટમે છે.

આરતીનું, દીવાનું તેજ જરા શાંતિથી જોવા જેવું છે. ઇલેક્ટ્રિક દીવામાં પણ જ્યોત એક સરખી રીતે ઊંચીનીચી થતી રહે છે. પણ દીવાનું તેજ, આરતીનું તેજ સૌમ્ય, સ્નિગ્ધ હોય છે. એક પ્રકારની શાતાનો અનુભવ આરતીની જ્યોત આપે છે. આટલી ઝાકઝમાળ વચ્ચે દીવો ટમટમે છે તો ગમે છે. એની બીજી વિશેષતા એ છે કે તે તેજની સાથે છાયા પણ આપે છે. એ તુલસી ક્યારે મુકાય છે, તો એનું તેજ વર્તુળ ક્યારાની છાયાનો સાથિયો પણ પૂરી આપે છે.

દિવાળીમાં સાથિયાનું અનેરું મહત્ત્વ છે. હવે તો બધું તૈયાર મળે છે. જમીન પર સાથિયાનું સ્ટિકર પાથરી દો કે રંગો પૂરવાની ઝંઝટ જ નહીં ! પણ, હજી ઘણાં ઝૂકીને રંગો પૂરે છે. એક જમાનો હતો જ્યારે મહોલ્લાના સાથિયા જોવા લોકો મોડી રાત સુધી ઉમટતા ને શેરી કોઈ ફાનસની જેમ ઝગમગી રહેતી. આ એવો તહેવાર છે, જેમાં સરસ્વતી, સંપત્તિ અને કલાનો સમન્વય એક સાથે થાય છે ને ત્રણેમાં દીવાનું તેજ ક્યાંક ને ક્યાંક પથરાતું રહે છે.

દીવા વિષે ‘તું જ તારા દિલનો દીવો થા’ કે ‘આત્મદીપો ભવ:’ કે ‘તમસોમા જ્યોતિર્ગમય’ જેવું ઘણું કહેવાયું છે. દીવો બહાર તો પ્રકાશ આપે છે, પણ ભીતરે એનો પ્રકાશ પડતો નથી. આપણે બહારનું અજવાળું ભીતર ફેલાવવા મથીએ છીએ, એટલે ભીતરનું અજવાળું બહાર પડતું નથી. એવું નથી કે ભીતરે અંધકાર જ છે. આત્માને આપણે દીપ કહ્યો છે, પણ એનું અજવાળું અનુભવતાં નથી. આપણું ધ્યાન બહારનાં અજવાળાં તરફ એટલું હોય છે કે ભીતરી અજવાસ તરફ નજર જતી નથી. ભીતરે ઊઠતો આનંદ અજવાળું નથી તો શું છે? એ છલકે છે અંતરના દીવાથી. આમ પણ આપણી શોધ બહાર છે, એટલી અંદર નથી. આંખો બહારનું અજવાળું પામે છે, પણ એને ભીતર વાળીએ તો અહીં પણ ઘણું જોવા મળે એમ છે. ન જોઈએ તો અંધકાર જ હાથ આવવાનો છે. તેજપુંજ બહાર છે એમ જ અંદર પણ છે. પ્રકાશ આપણને દેખાડે છે. રાતના અંધકારમાં તો ઘરની વસ્તુઓ ન દેખાય, પણ એ તરફ દીવો ધરીએ તો વસ્તુઓ પ્રગટ થવા લાગે છે. એ પ્રકાશમાં હોય, પણ આપણે જોઈએ જ નહીં તો ન દેખાય. એવું જ મનનું છે. એ પ્રકાશિત છે, પણ એ તરફ ન જોઈએ તો ન દેખાય. સાચું તો એ છે કે આપણે અંદર બહુ જોતાં નથી ને જતાં પણ નથી, કારણ ત્યાં સત્ય ઝળહળે છે ને આપણને એ ઝળહળનો ભય લાગે છે.

મૂળ માટીમાં રહે છે, અંધકારમાં રહે છે, એ ન દેખાય, પણ મૂળમાંથી ઉપર આવે તો પુષ્પ દેખાય છે. એ ખીલે છે એટલે કે મૂળ અંધકારમાં છે. એવું જ ભીતરનું છે. ભીતરનો પ્રકાશ દેખાતો નથી એટલે એને અંધકાર માનીએ છીએ. પણ મૂળનો પ્રકાશ જો ફૂલ થઈને ખીલતો હોય તો મૂળ દેખાતું નથી એટલું જ ! તે નથી એવું નથી. મનુષ્યનુ પણ એવું જ છે. એ પોતે દીવો છે. પ્રકાશ છે. એનો પ્રકાશ ધરતી પર ફેલાય છે તેથી વિશ્વ તેને દેખાય છે. એ હોલવાય છે તે સાથે આખું બ્રહ્માંડ તેને માટે આથમી જાય છે. મનુષ્ય જન્મે છે તો બ્રહ્માંડ પ્રકાશી ઊઠે છે ને એ મૃત્યુ પામે છે તો એને માટે, બધું જ અસ્ત પામે છે. એ છે તો વિશ્વ છે. એ નથી તો વિશ્વ હોય તો ય એને કશા કાયમનું નથી.

આપણે આત્માને દીપ કહ્યો છે. એ દીપને લીધે મનુષ્ય પ્રકાશે છે. દીપ હોલવાય છે તો દેહ નષ્ટ થાય છે. આત્મા અમર છે. એ દેહમાં છે તો અનુભવાય છે, પણ દેહ છૂટે છે તે પછી એ ક્યાં જાય છે ને ક્યાં રહે છે તેની ખબર પડતી નથી. શરીરને નાશવંત કહીને આપણે આત્માનો વધુ મહિમા કર્યો છે. સાચું તો એ છે કે શરીર અને આત્મા એકબીજાના પૂરક છે. એક વિના બીજું નથી. આત્મા અનુભવાય છે તે શરીર છે એટલે, પણ શરીર વગરના આત્માને કોઈ બતાવી શકતું નથી. કમ સે કમ જે શરીરનો એ આત્મા છે એની ઓળખ એ શરીર વગર આપવાનું શક્ય નથી. જે આત્માને કારણે શરીરને એક ઓળખ મળી, એક નામ મળ્યું એ આત્મા, દેહ છોડતાં કયાં શરીરમાં હતો એની ઓળખ આપી શકતો નથી. મૃત્યુ પછી પણ, એ કોનું શરીર છે એની ઓળખ આપી શકાય છે, કારણ શરીરને નામ મળ્યું છે. એ નામની ચિઠ્ઠી હેઠળ શરીર વર્ષો સુધી રહ્યું છે. એવી ચિઠ્ઠી આત્માને નથી. એટલે એ કયાં શરીરને જીવાડતો હતો એ શરીરમાં હોય ત્યાં સુધી જ ખબર પડે છે, એ પછી એની કોઈ ઓળખ ક્યાંયથી મળતી નથી. દીવાનું પણ એવું જ છે. જ્યોત છે ત્યાં સુધી એ દીવો છે. જ્યોત ગઈ કે દીવો, કોડિયું થઈ જાય છે. જરા ધ્યાનથી જોઈશું તો સમજાશે કે દીવામાં અને દેહમાં બહુ ફરક નથી. બંને જ્યોતથી પ્રગટે છે. એકમાં જ્યોત દેખાય છે. બીજામાં અનુભવાય છે. જેવી જ્યોત હોલવાય છે કે બંને માટી થઈ જાય છે …

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 નવેમ્બર 2023

Loading

...102030...768769770771...780790800...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved