Opinion Magazine
Number of visits: 9457617
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૧૬ -૨) : ભરત મુનિ

Opinion - Opinion|17 November 2023

સુમન શાહ

મેં કહ્યું કે ભરત મુનિના “નાટ્યશાસ્ત્ર”-માં જીવવિજ્ઞાનીની શાસ્ત્રીયતા છે, એમાં ઉમેરું કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર સમગ્રમાં એ છે.

જેમ જીવવિજ્ઞાનમાં કે વિજ્ઞાન માત્રમાં પરિભાષા હોય એમ કોઈપણ શાસ્ત્રમાં પણ હોય, તેમ કાવ્યશાસ્ત્રમાં પણ હોય જ ! ઇતિ અલમ્. આ બાબત એટલી સ્પષ્ટ છે કે ઘૂંટીએ તો પુનરાવર્તન દોષ થાય.

ભરત મુનિએ આપેલું રસસૂત્ર : વિભાવાનુભાવ વ્યભિચારિ સંયોગાત્ રસનિષ્પત્તિ: – વિભાવ અનુભાવ અને વ્યભિચારી ભાવના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે.

આમાં, ‘વિભાવાદિ’ પારિભાષિક સંજ્ઞાઓ છે. એને આત્મસા્ત કરવી એ પાયાની જરૂરિયાત છે. હું એટલે સુધી કહીશ કે એ પરિભાષાની ઉપેક્ષા કરનારને કશું હાથ આવશે નહીં, એ માત્ર ફાંફાં મારી શકશે.

હવે, કાવ્યના પ્રાગટ્યમાં જવાબદાર ૮ સ્થાયી ભાવ, ૩૩ વ્યભિચારી ભાવ, ૮ સાત્ત્વિક ભાવ, બધું મળીને ૪૯ ભાવોના સંયોગથી જ રસની નિષ્પત્તિ થાય છે; તો એ ભાવોને જાણવા જ જોઈએ. એથી કંટાળીને વિદ્યાર્થી ભાગી જાય તે સ્વાભાવિક છે, પણ, ‘આની કંઈ જરૂર નથી, વધારે પડતું છે’, એમ બકવાસ કરીને અધ્યાપક ચાતરી કે કાતરી જાય એ મૂષકવૃત્તિ છે, એ પ્રજ્ઞાપરાધ પણ છે.

રસસૂત્રમાં વધારે નૉંધપાત્ર શબ્દ બે છે, ’ભાવ’ અને ‘રસનિષ્પત્તિ’. પ્રત્યેક મનુષ્ય ભાવ કે ભાવોનો સમૂહ ધરાવે છે. પણ યાદ રહે કે રસ કે રસસમૂહ તો કાવ્ય કહેતાં, સાહિત્યમાં અને કલાઓમાં જ સંભવે છે.

ભરત સરસ કહે છે : જે અર્થ હૃદયસંવાદી હોય, હૃદયને સ્પર્શે, એનો ભાવ સૂકા લાકડામાં જેમ અગ્નિ વ્યાપી વળે છે, એમ શરીરમાં વ્યાપી વળે છે, એ ભાવ રસનો ઉદ્ગમ છે. શ્લોક છે : 

યોડર્થો હૃદયસંવાદી તસ્ય ભાવો રસોદ્ભવ: I

શરીરમ્ વ્યાપ્યતે તેન શુષ્કમ્ કાષ્ઠમિવાગ્નિનામ્ II

રસસૂત્રનો સાર એ છે કે વિભાવાદિ ભાવોનો સંયોગ થવાથી રસ નિષ્પન્ન થતો હોય છે. પણ અહીં અનેક પ્રશ્નો છે, અથવા અધ્યેતાને થવા જોઈએ : 

ભાવ એટલે શું? વિભાવ અનુભાવ કે વ્યભિચારી ભાવ એટલે શું? સંયોગાત્ એટલે શું? રસનિષ્પત્તિ એટલે શું? અથવા એમ પ્રશ્ન થવો જોઈએ કે આ બધી સંજ્ઞાઓને શાસ્ત્રકારે કેવાક સંકેતાર્થો માટે પ્રયોજી છે. પ્રશ્ન થાય તો ઉત્તરની અપેક્ષા જાગે.

A colorful person with a creative mind, exploding inner world, emotions, imagination and creative concept.

AI generated By Blackdorian

ભરતે પ્રત્યેક સંજ્ઞાની વિશદ વ્યાખ્યા કરી છે :

ભાવ : 

એ સ્મરણમાં રાખવું જરૂરી છે કે “નાટ્યશાસ્ત્ર” મુખ્યત્વે નાટ્યકલાનું શાસ્ત્ર છે તેથી ભરત લગભગ બધી ચર્ચા અભિનય વગેરે નાટક સાથે જોડાયેલી બાબતોના સંદર્ભે કરતા હોય છે.

ભાવ વિશે પહેલાં તો એમણે પોતે જ પ્રશ્નો મૂક્યા – ભાવા ઇતિ કસ્માત્? – ભાવ શાથી કહેવાય છે? કિમ્ ભાવયન્તીતિ ભાવા:? ભાવ કોને ભાવિત કરે છે? ઉત્તરમાં કહ્યું કે વાણી, અંગ અને સત્ત્વને ભાવિત કરે છે, તેથી એ ભાવ છે. અહીં, અભિનયના પ્રકાર, વાચિક આંગિક અને સાત્ત્વિકનો નિર્દેશ છે. પણ કાવ્ય અથવા સાહિત્યકૃતિમાં પણ વાણી વગેરેનો વિનિયોગ તો હોય જ છે, અને તે પણ ભાવિત તો થાય જ છે.  

વિભાવ :

વિભાવ એટલે કોઈ કાર્યનું કારણ, હેતુ, કે નિમિત્ત. વાણી, અંગ અને સત્ત્વનો આશ્રય કરનારા અનેક અર્થો વિશેષત: ભાવિત થાય છે, વિભાવિત થાય છે, તેથી એ વિભાવ કહેવાય છે.

અનુભાવ :

વાણી, અંગ તથા સત્ત્વથી અનેક પ્રકારના અર્થસંકેતો ઊભા થતા હોય છે. એનો અભિનેતાએ કરેલો અભિનય અનુભાવિત થાય છે, તેથી એ અનુભાવ કહેવાય છે. બીજી રીતે કહીએ તો, અનુભાવ એટલે અભિનય.

વ્યભિચારી ભાવ :

ગત્યર્થવાચક ‘ચર્’ ધાતુ, ‘વિ’ અને ‘અભિ’ ઉપસર્ગ – એને કારણે ‘વ્યભિચારી’. આ એવા ભાવ છે જે આવે ખરા પણ ટકે નહીં, ચાલ્યા જાય; એટલે, એને ‘સંચારી ભાવ’ પણ કહે છે.

‘ચરન્તી’-નો એક અર્થ છે, લઈ આવવું. વ્યભિચારી ભાવો સંભાવ્ય રસને અભિમુખ થઈને વાણી, અંગ તથા સત્ત્વના મેળને તે રસ પ્રતિ લઈ જાય છે. કેવી રીતે લઈ જાય છે? કહ્યું કે, નક્ષત્રને કે દિવસને સૂર્ય બાહુ પકડીને કે ખભે બેસાડીને નહીં પણ સહજપણે લાવે છે, વ્યભિચારી ભાવોનું સંચરણ પણ એવું સહજ હોય છે.

મારું નમ્ર મન્તવ્ય છે કે આપણા સાહિત્યવિચારમાં વ્યભિચારી ભાવની વિશિષ્ટ પર્યેષણા નથી થઈ.

ગ્રન્થમાં, એ ૩૩ વ્યભિચારી ભાવોનો નામો સહિતનો ઉલ્લેખ છે : નિર્વેદ, ગ્લાનિ, શંકા, અસૂયા, મદ, શ્રમ, આલસ્ય, દૈન્ય, ચિન્તા, મોહ, સ્મૃતિ, ધૃતિ, વ્રીડા, ચપલતા, હર્ષ, આવેગ, જડતા, ગર્વ, વિષાદ, ઔત્સુક્ય, નિદ્રા, અપસ્માર, સુપ્ત, પ્રબોધ, અમર્ષ, અવહિત્થ, ઉગ્રતા, મતિ, વ્યાધિ, ઉન્માદ, મરણ, ત્રાસ, વિ તર્ક.

દરેક ભાવ માટેનો અંગ્રેજી શબ્દ જાણવાથી એનો અર્થ વધારે સ્પષ્ટ થશે, અને દરેક ભાવની સૂક્ષ્મતાનો પણ પરિચય થશે. જોઈ શકાશે કે એ સૂક્ષ્મતા ખાતર અંગ્રેજીના અર્થચ્છાયાસૂચક બે બે શબ્દ પ્રયોજવા પડ્યા છે :

નિર્વેદ – indifference, apathy. ગ્લાનિ – fatigue, exhaustion. શંકા – doubt, suspicion. અસૂયા – jealousy, envy. મદ – pride, arrogance. શ્રમ – toil, labor.  આલસ્ય – laziness, sloth. દૈન્ય – humility, meekness. ચિન્તા – worry, anxiety. મોહ – attachment, infatuation. સ્મૃતિ – memory, recollection. ધૃતિ – courage, perseverance. વ્રીડા – anger, wrath. ચપલતા – fickleness, inconstancy. હર્ષ – joy, delight. આવેગ – excitement, agitation. જડતા – inertia, sluggishness. ગર્વ – pride, arrogance. વિષાદ – sorrow, sadness. ઔત્સુક્ય – eagerness, enthusiasm. નિદ્રા – sleep. અપસ્માર – fainting, swoon. સુપ્ત – asleep. પ્રબોધ – awakening, waking up. અમર્ષ – resentment, ill will. અવહિત્થ – distraction, agitation. ઉગ્રતા – intensity, severity. મતિ – intelligence, intellect. વ્યાધિ – illness, disease. ઉન્માદ – madness, insanity. મરણ – death. ત્રાસ – distress, anguish. વિ તર્ક – argument, debate.

મનુષ્યમાત્રને આ ૩૩ વ્યભિચારી ભાવોનો અવારનવાર અનુભવ થતો હોય છે. દિવસ દરમ્યાન એમાંનો કયો ભાવ ક્યારે પ્રગટ્યો અને ક્યારે ચાલી ગયો, એની ખબર નથી પડતી. પણ આ દરેક ભાવ વિશે ધીરજથી વિચારતાં સમજાશે કે એમાં કેટલી તો સચ્ચાઇ છે.

મનોવિજ્ઞાન અનેક મનોભાવોનો નિર્દેશ જરૂર કરે છે, પણ એમાં આટલી સૂક્ષ્મતા નથી.

વિશ્વના અપ્રતિમ અભિનેતાઓના અભિનયમાં વ્યભિચારી ભાવોની અવરજવર હમેશાં જોવા મળે છે. સામાન્યો તો સાદાંસીધાં લટકાંમટકાં કરતા હોય છે.

એક સર્જક તરીકે મારે મન આ વ્યભિચારી ભાવોનું ખૂબ મહત્ત્વ છે. સર્જકે પોતાના સર્જનમાં કરેલા સૂક્ષ્મ કામનો એથી પરચો મળે છે. સિદ્ધ-પ્રસિદ્ધ સાહિત્યકારોની સૃષ્ટિમાં એનાં નિરૂપણો અવશ્ય જોવા મળે છે. સુજ્ઞ કથાસ્વામીઓનાં પાત્રો પણ એ સૂક્ષ્મતા દાખવતાં હોય છે પણ સામાન્ય લેખકોનાં પાત્રો એટલું બધું ઝીણું નથી જીવતાં હોતાં, કેમ કે એ લેખકોએ એમને એવું જી-વ-ન નથી બક્ષ્યું હોતું; એવા લેખકોનું બધું ‘જાડું’ માત્રલેખન જ હોય છે.

એ પણ નૉંધો કે વિભાવ અને અનુભાવની તુલનામાં વ્યભિચારી ભાવો જીવનની વધારે નજીક છે. વિભાવ અનુભાવ પરત્વે કલાપરક આયોજનો કરી શકાય છે, પણ વ્યભિચારી ભાવોનાં નિરૂપણો માટે આયોજકો પાસે જીવનનું ગભીર અને ગમ્ભીર અનુભવજ્ઞાન હોવું અનિવાર્ય છે.  

(ક્રમશ:)
(11/16/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘બહાદુરી અને કાયરતા બન્ને ચેપી છે !’

રમેશ સવાણી|Opinion - Opinion|17 November 2023

[ભાગ-5]

રમેશ સવાણી

ગરાસદારી પ્રથા નાબૂદ કરવાનું કામ અતિ મુશ્કેલ હતું. 15 ફેબ્રુઆરી 1948ના રોજ જામનગર ખાતે સરદાર પટેલે જંગીસભા વચ્ચે સૌરાષ્ટ્ર સરકારનું ઉદ્ઘાટન કર્યું. કાઠિયાવાડને નવું નામ મળ્યું – સૌરાષ્ટ્ર. જામ સાહેબ પ્રથમ રાજપ્રમુખ નિમાયા. તેમના નિમંત્રણથી ઉછરંગરાય ઢેબરે નવું મંત્રીમંડળ રચ્યું. તેમાં બળવંતરાય મહેતા / નાનાભાઈ ભટ્ટ / રસિકલાલ પરીખ / મનુભાઈ શાહ / જગુભાઈ પરીખ મંત્રીઓ નિમાયા. નવા રાજ્યના અનેક પ્રશ્નો હતા. જેમના રાજ્ય ગયા એવા નાના-મોટા ઠાકોરો, દરબારો, ભાયાતો અને તેમના અસંતુષ્ટ અનુયાયીઓએ નવી સરકારને રંજાડવાનું ષડયંત્ર રચ્યું. કાઁગ્રેસના કાર્યકરો / આગેવાનોની હત્યા કરવા વાઘણિયા દરબારના ડ્રાઈવર ભૂપતસિંહને છૂટ્યો દોર આપ્યો, તેણે હત્યાઓની પરંપરા રચી. વિધિની વક્રતા જૂઓ, ભાવનગર દરબાર કૃષ્ણકુમારસિંહજીએ, સૌપ્રથમ પોતાનું રાજ્ય સરદાર પટેલ અને બળવંતરાય મહેતાની હાજરીમાં ગાંધીજીના ચરણોમાં ધરી દીધું હતું, તેમના જ નાના ભાઈ નિર્મળસિંહ, ભૂપત બહારવટિયાના સાથીદાર હતા ! જો કે ભૂપત બહારવટિયો પણ ન હતો કે રોબિનહૂડ પણ ન હતો, તેણે નિર્દોષ લોકોના નાક કાપ્યા હતા. તે સ્થાપિત હિતોનો અત્યાચારી / જુલ્મી / ક્રૂર એજન્ટ હતો. દેશમાં 565 રજવાડાઓના સીમાડા ભૂંસાયા હતા પરંતુ સૌરાષ્ટ્ર જેવી હત્યાઓ / લૂંટફાટ બીજે કોઈ જગ્યાએ થઈ ન હતી. ભૂપતને 303 રાયફલ /કાર્ટિઝ અને બીજી મદદ રજવાડાઓ તરફથી છૂપી રીતે મળતી હતી.

ભૂપતના મુખ્ય નિશાનમાં છગનભાઈ પટેલ પણ હતા. ચોગઠમાં ધાડ-લૂંટ કરીને છગનભાઈનું મનોબળ તોડવું, શક્ય બને તો ખુદ છગનભાઈને ખતમ કરવા એવી મેલીમુરાદ પાર પાડવા ભૂપતે આયોજન કરેલ. છગનભાઈને માહિતી પણ મળી હતી. નબળા તત્ત્વોના સામના માટે છગનભાઈએ યુવાનોને તૈયાર કર્યા હતા. એક દિવસ છગનભાઈએ, રાતના નવ વાગ્યે ચોગઠ ગામના દરબારી ઉતારે ગ્રામપંચાયતની સભા બોલાવી હતી. ચર્ચા વિચારણા થતી હતી ત્યાં ખબર મળ્યા કે ઉગમણે પાદર શામજીભાઈ કોશિયાને ત્યાં ધાડ પડી છે, બંદૂકોની ગોળીઓની ધાણી ફૂટે છે ! સૌ હેબતાઈ ગયા. છગનભાઈ સ્વસ્થ થયા. કોઈ પણ જાતના ગભરાટ કે થડકાટ સિવાય નિર્ણય લીધો કે કોઈએ ઘરમાં છુપાઈ રહેવાનું નથી. જેની પાસે જે હથિયાર હોય તે લઈને હાજર થઈ જવાનું છે. હું સૌની આગળ છું. અને તેમના એક બોલ ઉપર કોદાળી, ધારિયા, લાકડી, ખરપિયો લઈને સૌ હાજર થયા. ફક્ત બે જ બંદૂક અને થોડી ગોળીઓ હતી. આટલાથી ભૂપતનો સામનો કરવાનું નક્કી થયું.

સૌ પ્રથમ ભૂપત અને તેની ટોળીએ ડેલો ખોલવવા માટે વાડામાં સૂતેલા મેઘજીદાદાને સાથે લીધા અને તેમને ડેલો ખોલાવવા કહ્યું. મેઘજીદાદાએ વિચાર્યું કે હું ખડ્યું પાન છું. 80 વર્ષની ઉંમર થઈ છે. મારે જીવતા રહેવા માટે કુટુંબને શા સારું ભૂખ ભેગું કરવું? જે થવું હશે તે થશે. ટોળીની હાજરીમાં મેઘજીદાદાએ ડેલે હાથ દઈને કીધું કે ‘તમારા બાપ બહારવટિયા આવ્યા છે. ડેલું ઉઘાડશો નહીં !’ તે જ વખતે ટોળીએ મેઘજીદાદાને બંદૂક ફટકારી બેહોશ બનાવી દીધા. જમાનાના ખાધેલા મેઘજીદાદા તરત જ જમીન ઉપર પડી ગયા. શ્વાસોચ્છવાસ બંધ કર્યા. બહારવટિયાને લાગ્યું કે દાદો મરી ગયો છે. બહારવટિયા પાછલી બારીએથી ઘરમાં ઉતર્યા. લૂંટની તૈયારી કરી ત્યાં ઘર સામેના ખોરડા ઉપરથી ગામલોકોએ નળિયાનો વરસાદ શરૂ કર્યો. આજુબાજુમાંથી પણ દેકારો બોલાવ્યો. આખું ગામ ઉમટ્યું. કોઈને બહારવટિયાની બીક ન લાગી. તે જ વખતે છગનભાઈએ, દિયાળભાઈ ગોપાણી અને માવજીભાઈ પગીને ઉમરાળા પોલીસ થાણે ખબર દેવા ઘોડા ઉપર રવાના કર્યા. બહારવટિયા લૂંટનો માલ ગોતવા પેટી પટારા ફેંદતા હતા પણ કંઈ હાથ લાગતું ન હતું. શામજીભાઈ કોશિયાને પડખામાં ગોળી વાગી. બીજા માણસોએ ફરતું ફાળિયું વીંટી દીધું. સામનો શરૂ રાખ્યો. છેવટે કંઈ પણ લીધા વિના ભૂપત બહારવટિયાને ખાલી હાથે પાછા ફરવું પડ્યું. પછી મેઘજીદાદાને બેઠા કર્યા. ચોમાસું હતું. રસ્તો કાદવ-કીચડ વાળો હતો. ચાર બળદ જોડીને ધોળાથી ટ્રેન મારફતે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં દાખલ કર્યા. પોલીસને ગામમાંથી 80 કારતૂસોના ખોખાં હાથ લાગ્યા હતા. આગેવાન નિર્ભય હોય તો ગામ આખું લડવા નીકળી પડે. ગૃહમંત્રી રસિકલાલ પરીખ, નાયબ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા, રતુભાઈ અદાણી, જાદવજીભાઈ મોદી, અકબર અલી જસદણવાળા ચોગઠ આવી છગનભાઈ તથા ગામલોકોની પીઠ થાબડી. ઈનામ આપ્યા. જરૂર હોય તેમને બંદૂકના પરવાના આપ્યા !

ધારાસભ્ય છગનભાઈ પટેલને અભિનંદન આપતા ગુજરાતના પ્રથમ ગવર્નર મહેંદીનવાઝ જંગ

એક વખત, મુખ્ય મંત્રી ઢેબરભાઈના ચૂંટણી પ્રચાર માટે છગનભાઈ ગોંડલ તાલુકાના એક ગામમાં ગયા. 21 જાન્યુઆરી 1952ની રોજ, ભૂપતે ખારચિયા ગામમાં ઢેબરભાઈની ચૂંટણીસભામાં ગોળીબાર કરી એક સાથે 11 લોકોની હત્યા કરી હતી. દેશભરમાં હાહાકાર મચી ગયો. ભૂપતે સરકારનું નાક કાપ્યું હતું. તેથી સાવચેતી માટે અડધો કલાક અગાઉ ખબર આપીને ચૂંટણી સભા ભરવામાં આવતી. છગનભાઈએ સભામાં કહ્યું : “નમાલા માણસ જ બીકણ હોય. માણસે મર્દ બનીને જીવવું જોઈએ. તમે હરણ જેવા છો તેમ ખબર પડે તો તમને કોઈ ઊભું જ ન રહેવા દે. સિંહની જેમ ત્રાડ નાખો તો બધા જ છેટે રહેશે. બહાદુરી અને કાયરતા બંને ચેપી છે. એક જણ મર્દ બનીને અડગ ઊભો રહેશે તો તરત જ તેની પાસે બીજો ઊભો જ રહેશે, પણ 51માંથી એક ભાગ્યો તો પાછળ રહેલા 50માં એક પણ ઊભો ન રહે. માટે નમાલા અને બીકણ બનીને જીવવાનું છોડી દેજો !” આમ જુસ્સાપૂર્વકનું પ્રવચન ચાલતું હતું એવામાં બે જીપ ભરીને ખાખી કપડાવાળા માણસો આવ્યા. લાઈટ બંધ કરી. ‘ભૂપત આવ્યો, ભૂપત આવ્યો. ભાગો ભાગો !’ એવી હવા ઊભી થઈ. કેટલાંક ભાગ્યા. છગનભાઈએ એક પળમાં નિર્ણય કર્યો કે અહીંથી એક ડગલું પણ હટવું નહીં. છગનભાઈએ પ્રવચન ચાલુ રાખ્યું : “ભૂપત આવ્યો હશે તો તે મારા માથા માટે આવ્યો હશે, તમારે બિલકુલ ગભરાઈને ભાગવાનું નથી. ભૂપતની ગોળી મારા લોહીની તરસી હોય તો ભલે ચલાવે. આઝાદી માટે નવ લોહિયાના બલિદાન દેવાયા છે. મારી પણ ભલે પ્રાણની આહુતિ અપાય.” પરંતુ ત્યાં જ ભાંડો ફૂટ્યો. આવનાર ટોળી ભૂપતની નહીં પણ બીજા પક્ષના ખાટસવાદિયા માણસોએ રચેલી ટોળી હતી ! છગનભાઈને ડરાવવા માટેનું કારસ્તાન હતું. પછી તો તેમને પકડી, બંને જીપને રાજકોટ લઈ જઈ પોલીસને સોંપી દીધાં. ભૂપત બહારવટિયો અને તેમના આશ્રયદાતા રાજાઓ અને ગરાસદારોનું એક માત્ર લક્ષ્ય ખેડૂત આગેવાનોને વીણી વીણીને હત્યા કરવાનું રહ્યું. કંઈકના માથાં કપાયાં, કંઈકને જમવામાં ઝેર પીરસાયાં, કંઈકના નાક કપાયા, આવા કપરા સમયે છગનભાઈ અને તેમના સાથીઓ અણનમ રહ્યા. ગરાસદાર સામે મળે, તેમના બાળકો સામે મળે, રસ્તામાં પણ ચંપલ કાઢીને પાઘડી ઊતારી માથું નમાવવું પડતું. પણ છગનભાઈ અને તેમના સાથીઓની માથાં પરની પાઘડીઓ અને તેમના માથા અણનમ રહ્યાં.

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દેશની પ્રથમ ઘટના : લોકશાહી જીવનમાં પ્રાણ પૂર્યા !

રમેશ સવાણી|Opinion - Opinion|16 November 2023

[ભાગ-4]

આઝાદી પહેલાં ગરાસદારી પ્રથા શું હતી? ઘરખેડનો પ્રશ્ન શું હતો? શા માટે ભૂપત ડાકુએ  85થી વધુ નિર્દોષ લોકોની હત્યાઓ કરેલ? શા માટે તેમણે અનેક લોકોના નાક કાપી નાખેલ? શા માટે તે કાઁગ્રેસના કાર્યકરો / નેતાઓને નિશાન બનાવતો હતો? શા માટે અનેક ખેડૂતોના કાસળ કાઢવામાં આવ્યા? શા માટે આ હત્યાઓ થઈ રહી હતી ત્યારે વૈષ્ણવ સંપ્રદાય / સ્વામિનારાયણ સંપ્રદાય / બીજા સંપ્રદાયો મૌન રહેલ? શા માટે આ સંપ્રદાયો લોકશાહીના બદલે સામંતશાહીની તરફેણ કરતા હતા? દુ:ખદ સ્થિતિ એ છે કે આવા પ્રશ્નો આજની પેઢીને થતાં નથી અને વધુને વધુ ધાર્મિક અંધશ્રદ્ધાળુ બની સ્થાપિત હિતોના રોબોટ બની તાળીઓ પાડ્યા કરે છે !

સૌરાષ્ટ્રમાં મોટા-નાના કુલ 220 જેટલાં રજવાડા હતા. તેમાં કેટલાંકનો વિસ્તાર, 3,000 ચોરસ માઈલથી લઈ થોડાંક એકરમાં હતો. આમાંના કેટલાંકને મહેસૂલ ઉઘરાવવા સિવાય બીજા કોઈ અધિકાર ન હતા. 26 રજવાડાઓને સંપૂર્ણ કે મર્યાદિત પ્રમાણમાં રાજસત્તા હતી, બાકીની સત્તા બ્રિટિશ રેસિડેન્ટને હસ્તક હતી. જે પોલિટિકલ એજન્ટ તથા તાલુકદારી કોર્ટ મારફત પોતાની સત્તા ચલાવતા હતા.

સૌરાષ્ટ્રની સૌથી મોટી સમસ્યા ગરાસદારી પ્રથા હતી. ગાદીવારસ સિવાયના રાજપુત્રોને નિભાવ માટે ગામો / જમીનો આપવામાં આવતી હતી. સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ ત્યારે 4,200 ગામોમાંથી 1,700 ગામો ગરાસદારી ગામો હતા ! લગભગ 5,00,000 ગરાસદારો હતા. તે ગામોમાં ખેડૂતોને જમીન ઉપર કશા ય હક હતા નહીં. ગરાસદારને ઠીક લાગે ત્યારે ખેડૂતને જમીન છોડી દેવી પડતી. આને કારણે જમીનની ખેતી અને સંભાળની સ્થિતિ નબળી હતી. જમીનમહેસૂલ ભાગબટાઈના ધોરણે હતું. અનેક પ્રકારના વેરા, લાગાલેતરીઓ પણ હતા. સામાન્ય વરસમાં તો ખેડૂત ખળામાંથી પછેડી ખંખેરીને બહાર નીકળતો ! ગરાસદારો જમીનની પેદાશમાંથી 1/6 માંડીને 1/3 સુધીનો ભાગ લેતા હતા. એને કારણે ખેડૂતો દેવાદાર બનતા. વેઠ પ્રથા હતી. ખેડૂતને ગમે તે વખતે વેઠ માટે પોતે પોતાના ગાડા લઈને જવું પડતું. ખેડૂતને ખાટલા / ગાદલાં / ગોદડાં પણ વેઠે મોકલવા પડતા. ગરાસદારોને દીવાની કે ફોજદારી હકૂમતો ન હતી અને છતાં એના ખેડૂત સાથેના સંબંધમાં એ સર્વસત્તાધીશ હતા, તે જાતનો એનો રૂવાબ અને વર્તન રહેતાં.

સૌરાષ્ટ્ર સરકારને, ગરસદારી વિસ્તારના ખેડૂતોનો પ્રશ્ન ઉકેલતા ખૂબ જ વિષમ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું. શરૂઆતમાં ગરાસદારી આગેવાનોએ સરકાર સામે સત્યાગ્રહનો માર્ગ લીધો. ધીરે ધીરે આ પ્રશ્ન કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન બની ગયો અને ધાડ-હત્યાનું એક મોટું મોજું અઢી વર્ષ સુધી સૌરાષ્ટ્ર ઉપર ફરી વળ્યું!

સૌરાષ્ટ્ર સરકારે જમીન અંગેની નીતિ અંગે વિચારવાનું શરૂ કર્યુ એટલે ગરાસદારોએ ખેડૂતો પાસેથી જમીનો પરત લેવાનું શરૂ કર્યું. કેમ કે, 

[1] ઘણા ગરસદારોને ભય હતો કે સરકાર વહેલામાં વહેલી તકે જમીન સુધારણાનો કાયદો કરશે અને એમને ખેડૂતો પાસેથી જમીન લઈ લેવાની તક રહેશે નહીં. 

[2] એમને એ વખતે આ જમીનમાંથી ઉપજનો ભાગ અને બીજા લાગાલેતરીમાં જે મળતું તે સરકાર ચાલુ રહેવા દેશે નહીં અને એમાં ઠીક મોટો ઘટાડો કરવામાં આવશે. 

[3] એમને એમ લાગતું હતું કે એમની આવક વધારવાનું હવે એકમાત્ર સાધન જમીન છે અને જેટલી જમીન તેઓ જાતખેડથી ચલાવી શકે તે કોઈ પણ કાયદો થાય તે પહેલા એમણે મેળવી લેવી જોઈએ. 

[4] ગરાસદારના ખેડૂતો એ મરજીના ખેડૂતો હતા એટલે કશી નોટિસ આપ્યા સિવાય એમની પાસેથી જમીન છોડાવી શકતા હતા; પણ આ સ્થિતિ લાંબો વખત રહેવાની ન હતી…

ગરાસદારોની દલીલ હતી કે અમારી જમીન જૂના વરસોમાં અમારા વડવાઓએ માથા આપીને મેળવેલ હતી, જેથી જમીન પર અમારો સંપૂર્ણ અધિકાર છે. સૌરાષ્ટ્ર સરકારે વટહુકમ બહાર પાડ્યો કે ગરાસદારે ખેડૂતો પાસેથી જમીન છોડાવવા માટે ખેડૂતને છ મહિનાની નોટિસ આપવી. સરકારને આશા હતી કે છ મહિનામાં આ પ્રશ્નના ઉકેલ માટે કાયદો ઘડી લેવાશે. નવેમ્બર 1948માં સૌરાષ્ટ્ર સરકાર, ગરાસદારો અને ખેડૂતો વચ્ચે સમાધાનની વાટાઘાટો ચાલી, પરંતુ જૂન 1949માં એ પડી ભાંગી. ગરાસદારોને ઘરખેડ માટે કેટલી જમીન આપવી તે મુદ્દો હતો. 

આખરે ગરાસદારો માટે મહેસૂલ મંત્રી શામળદાસ ગાંધીએ ઘરખેડનો વટહુકમ બહાર પડ્યો :

[1] ગરાસદારને એની જમીનના પ્રમાણમાં 40થી 360 એકર સુધી જમીન ઘરખેડ માટે મળી શકે.

[2] ઘરખેડની જમીન હપ્તે હપ્તે પાંચ વર્ષની અંદર ગરાસદારને આપવામાં આવશે. 

[3] ખેડૂતોએ જમીન ઉપર જે સુધારા કર્યા હોય તેનું વળતર ગરાસદાર આપશે. 

[4] જે જમીન ખેડૂતો પાસે રહે તે ઉપર ખાલસા ખેડૂતો જે મહેસૂલ સરકારને ભરે છે, તે દરે ગરાસદારને મહેસૂલ આપશે. 

[5] જાતખેડની જમીન ગરાસદારે જાતે ખેડવી પડશે. જો એ ખેડૂતને રાખવા માંગતા હશે તો જૂના ખેડૂતને જ આપવી પડશે અને તે રક્ષિત-Protected ખેડૂત ગણાશે. આવા ખેડૂતે ઉપજનો અમુક ભાગ મહેસૂલ તરીકે આપવાનો રહેશે. 

[6] ઘરખેડની જમીન મામલતદાર  મારફતે મળી શકશે. 

[7] ઘરખેડની જમીન ઉપર ગરાસદારે 4 આના મહેસૂલ આપવી પડશે અને જે જમીન ખેડૂતને ખેડવા માટે તેના ઉપર 12 1/2 % આપવા પડશે. 

[8] ઘરખેડની જમીન જો બે વરસ બિનખેડાયેલી રહે તો તે મૂળ ખેડૂતને આપવામાં આવશે અને તે ખેડૂત ગરાસદારને માત્ર વિઘોટી આપશે અને એને કાઢી શકાશે નહીં. તેવી જ રીતે જાતખેડની જમીન જો નવા ખેડૂતને આપશે તો તે પણ રક્ષિત ખેડૂત બની જશે. 

[9] ગરાસદારની ખેડવાણ પડતર જમીન ગરાસદારને આપવાની ઘરખેડની જમીનમાં અમુક પ્રમાણમાં સામેલ કરવામાં આવશે. 

[10] આ વટહુકમ પછી ગરાસદારના ખેડૂતોને ખાલસાના ખેડૂતના જેટલા જ હક રહેશે. માત્ર જ્યારે ખેડૂત સ્વેચ્છાએ જમીન છોડે ત્યારે તે ગરાસદારને મળે પણ સ્ત્રીઓ, નોકરીમાંના ગરાસદારો અને સગીરો પોતાની ઘરખેડની જમીન ખેડવા આપી શકશે… 

નેહરુને છગનભાઈ પટેલનો પરિચય કરાવતા જામ સાહેબ

આ વટહુકમનાં અમુક પ્રબંધો સામે ગરાસદારોએ વિરોધ ઉઠાવ્યો. સરકારે રજિસ્ટર્ડ ગરાસદારો જ ઘરખેડના અધિકારી છે એમ ઠરાવેલ. પરંતુ ગરાસદારોમાં પેટા ભાગદારો પણ હતા. તેમના નામો રજિસ્ટર કરવામાં આવેલ નહીં. બીજી બાજુ બધાને ઘરખેડની જમીન આપવામાં આવે તો ખેડૂતોને મોટી સંખ્યામાં જમીન છોડવી પડે. વળી નાના ગરાસદારોને જો થોડીઘણી જમીન ખેતી માટે ન મળે તો એમનું જીવનનિર્વાહનું સાધન ચાલ્યું જાય તો તેઓ કાયદો-વ્યવસ્થાને જોખમમાં મૂકે તે ભય પણ હતો. 1,700 ગામોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. પોતાની જમીન, ખેડ કરનારા શ્રમિક ખેડૂતોને આપી દેવી પડે તે કારણે સૌ ગરાસદારોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. ધારાસભામાં દિવસો સુધી જમીન વહેંચણીનો પ્રશ્ન ચર્ચાયો છતાં ઉકેલ આવતો ન હતો. છેવટે ધારાસભ્ય છગનભાઈ પટેલે ધારાસભ્યોની કમિટી રચવાની દરખાસ્ત મૂકી, જેમાં ગરાસદારો અને ખેડૂતોના પ્રતિનિધિ હોય. ‘ખેડે તેની જમીન’ / ‘ઘરખેડ’નો ક્રાંતિકારી કાયદો ઢેબરભાઈએ કર્યો તેની પાછળ ધારાસભ્ય છગનભાઈ પટેલ, મોટી મારડના ધારાસભ્ય ભીમજીભાઈ રુડાભાઈ હતા. અને સરદાર પટેલનું પીઠબળ હતું. મુખ્ય મંત્રી ઢેબરભાઈએ ખેડૂતોની સમસ્યા સમજવા છગનભાઈની વાડીએ જતા !

ચોગઠ ગામે છગનભાઈની વાડીએ આરામ કરતા મુખ્યમંત્રી ઢેબરભાઈ

છગનભાઈએ માત્ર ખેડૂત હિત માટે અવાજ ઉઠાવ્યો હતો તેવું નથી, તેમણે ગરાસદારોના હિત માટે પણ અવાજ ઊઠાવ્યો હતો. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું પરંતુ તે પહેલા 1948માં જમીનદારી નાબૂદી કાયદો બન્યો. પ્રવર સમિતિમાં જમીનદારો અને ખેડૂતોના પ્રતિનિધિઓ હતા. તેમાં છગનભાઈ પણ હતા. ખેતીની જમીનના ભાગ પાડવાની સત્તા પ્રવર સમિતિને હતી. ખેડૂતોને અને ગરાસદારોને અન્યાય ન થાય તે રીતે જમીનની વહેંચણી કરવાનું કામ મુશ્કેલ હતું. ગરાસદારોમાં ‘અ, બ, ક’ એમ ત્રણ ભાગ પાડવામાં આવ્યા હતા. ‘ક’ વર્ગના ગરાસદાર ટૂંકી જમીન ધરાવનાર હતા. જ્યારે ‘અ’ અને ‘બ’ વર્ગ મોટી જમીન ધરાવતા હતા. છગનભાઈએ કહ્યું કે “સૌરાષ્ટ્રમાં 85% ગરાસદારો ખેડૂત કક્ષાના ‘ક’ વર્ગના છે. તેથી તેમને અન્યાય ન થવો જોઈએ.” આ બાબત પ્રવર સમિતિએ સ્વીકારી. એક ગામમાં ગરાસદારોની માગણી સંતોષાતી નહોતી ત્યારે છગનભાઈએ કોઠાસૂઝથી એવો તોડ કાઢ્યો કે “જે જમીન ખેડૂતોને આપવાની થાય તેમાં જમીનના કટકા ક્યાંથી આપવા તે ગરાસદાર નક્કી કરશે ! ગરાસદારોને પોતાની પસંદગીની જમીન રાખવાની છૂટ આપવી !” આમ છગનભાઈ અને પ્રવર સમિતિના સભ્યોએ રાતદિવસ મહેનત કરીને ગરાસદારી પ્રથા / સામંતશાહી પ્રથા નાબૂદ કરી લોકશાહી જીવનમાં પ્રાણ પૂર્યા ! ખેડૂતો જમીનના માલિક બન્યા તેમાં સંપ્રદાયોની કોઈ ભૂમિકા ન હતી; કાઁગ્રેસ સરકારની પ્રગતિશીલ નીતિના કારણે બંધારણનો અમલ થાય તે પહેલાં આ શક્ય બન્યું. આખા દેશમાં આ પ્રથમ ઘટના હતી !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...764765766767...770780790...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved