Opinion Magazine
Number of visits: 9665736
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુંબઈનો બહાર પુસ્તકના કર્તા રતનજી ફરામજી વાછા (૧૮૧૫-૧૮૯૩) સાથેની એક કાલ્પનિક મુલાકાત 

દીપક મહેતા|Opinion - Opinion|19 March 2024

દીપક મહેતા

દી.મ. : વાછા શેઠ, એક વાત પૂછું?

વાછા શેઠ : એમાં વલી પૂછવાનું સું? માલુમ હોસે તો જરૂર જવાબ આપીસું.

દી.મ. : આય પુસ્તકનું નામ આપે ‘મુંબઈનો બહાર’ એવું કેમ રાખ્યું?

વાછા શેઠ : તમે બંજર, ઉજ્જડ, વગડાઉ જમીન જોઈ છે? આય મુંબઈ બી પ્હેલાં એવું જ હુતું. જાત મહેનત કરીને, ખાતર-પાણી નાખીને, પસીનો રેડીને, બાગબાન જેમ એક ગુલજાર બગીચો બનાવે છે, તેમ આય મુંબઈને ઝીરોમાંથી હીરો બનાવનાર લોકોના ખાનદાનોની તવારીખ આય ચોપરીમાં આપવાની કોશિશ કીધી છે એટલે એને નામ આપ્યું ‘મુંબઈનો બહાર.’

દી.મ. : પણ આ ગ્રંથમાં ફક્ત પારસી ખાનદાનોની જ વાત છે?

વાછા શેઠ : ના, જી. તેમાં પોર્ટુગીઝ, મરાઠી અને ગુજરાતી બોલનારા હિંદુ, અને પારસી ખાનદાનોની મળી તેટલી માહિતી મેં આપી છે.

દી.મ. : આજે તો માગો તે આપે એવા ગુગલદેવાના અમારા પર ચાર હાથ છે. પણ એ જમાનામાં તો એ હતા જ નહિ. તો આપે આટલી બધી માહિતી ભેગી કઈ રીતે કરી?

વાછા શેઠ : હા, અમારા વખતમાં અખબાર સિવાય બીજું કોઈ બી સાધન હુતું નૈ. એટલે પહેલું કામ કર્યું તે મુંબઈના અખબારોમાં લાંબી લચક જાહેરાત છપાવી. તમારે એ વાંચવી છે? તો આપું નકલ.

દી.મ. : હા જી. પણ હું મોટેથી વાંચીશ અને વાંચતી વખતે ઘણા પારસી બોલીના શબ્દો બદલી નાખીશ.

વાછા શેઠ : જેવી તમારી મરજી. લો, વાંચો.

દી.મ. : (વાંચે છે) “મુંબઈ મધે વસનારા સઘળી જ્ઞાતના હિંદુઓ તથા મુસલમાનો, ઉપરાંત પારસીઓ, યહૂદીઓ, તથા ઈસાઈ કોમના શેઠ શાહુકારો, સોદાગરો, શાસ્ત્રીઓ, તથા બીજા ધંધાદારીઓની સેવામાં અરજ છે કે આ આબાદ શહેર જ્યારથી નેકનામદાર અંગ્રેજી રાજમાં પહેલવહેલું જોડાયું ત્યારથી તે હમણાંના વખત સુધીની હકીકત એકઠી કરીને એક પુસ્તકના આકારમાં બહાર પાડવાની ખ્વાહીશ એક ગૃહસ્થે રાખીને કેટલીક બાબતો મહેનત લઈ મેળવી છે, અને બીજીની શોધમાં પણ તે મશગુલ રહેલો છે, માટે ઉપર જણાવેલી વર્ણોના સાહેબોના વડવાઓ જે ઠેકાણેથી આવીને પહેલવહેલા મુંબઈમાં વસ્યા તેમના નેકીભર્યા કામોની યાદી તથા બીજી વિગતો જેમ બને તેમ તાકીદથી લખીને આજથી માસ એકની મુદત સુધીમાં જે કોઈ સાહેબ મોકલી આપશે તો તેમનો ઘણો અહેસાન માનીને નોંધવામાં આવશે.” 

વાછા શેઠ : અરે બાવા, આય તો તમે મારી પારસી બોલીને ‘શુદ્ધ’ ભાષાની અંગરખી પહેરાવી દીધી.

દી.મ. : પણ એ કહોને વાછા શેઠ, કે તમારી આ જાહેરાતનો રિસ્પોન્સ કેવો રહ્યો?

વાછા શેઠ : રૂપિયે બે આની બી નહિ. આ જાહેરાત છપાવેલી ૧૮૭૦ના ડિસેમ્બરની ૨૦મી તારીખે. દોઢ-બે મહિના રાહ જોઈ. પછી પેલી કહેતી યાદ આવી : હિંમતે મર્દા તો મદદે ખુદા. પહેલાં થોડા મિત્રોને મળિયો, થોડી વાતો મળી. પછી તેમના મિત્રો, પછી … એમ સાંકળ થતી ગઈ. પૂરાં તન વરસ આ રીતે ખબરો મલતી ગઈ. સાથોસાથ એ બધીને ગોઠવતો ગયો. પછી લખવાનું કામ. જે વારે હું લખતો હૂતો તે વારે એક દોહરો મારા મનમાં રમતો હૂતો:

ઉજડેલું ફરી વસે, ને મુફલીસ ઘર ધન જાયે,

ગયું જોબન નહિ આવે પાછું, મૂવો ન જીવતો થાયે. 

આય આપરું મુંબઈ શહેર બી એક વેલા ઉજ્જડ જેવા સાત ટાપુનું બનેલું હુતું. બધી કોમના નબીરાઓએ પસીનો પાડીને, બુદ્ધિ લડાવીને, પૈસો બનાવીને અને તેને સારી અને સાચી રીતે વાપરીને એ ઉજ્જડ જાગાને એક સુંદર બગીચા જેવી બનાવી. 

દી.મ. : વાછા શેઠ! તમુને જાણીને ઘન્ની ખુશી ઉપજશે કે તમારી આ ચોપડીનો અંગ્રેજી અનુવાદ છપાઈને બહાર પડ્યો છે. 

વાછા શેઠ : આવું કામ કરવાનું તે વલી કોને સૂઝ્યું?

દી.મ : હોમી દી. પટેલને. અને એવને કરેલો અનુવાદ ત્રણ ત્રણ જાણકારોએ ‘એડિટ’ કિધેલો છે: ઝેનોબિયા દુમાસિયા, આબાન મુખર્જી, અને રશના પોન્ચા. અને આ બધાને ચાનક ચડાવનાર છે ડો. નવાઝ મોદી.

વાછા શેઠ : પન આવરૂં મોટું થોથું છાપિયું છ કોન્ને?

દી.મ. : મુંબઈમાં લાયન ગેટ સામે આવેલી કે.આર. કામા ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટે. અને વાછા શેઠ, જરા દિલ થામ કે સાંભળજો : એની કિંમત છે ચાર હજાર રૂપિયા. ૧૪મી માર્ચ ૨૦૨૪ના દિવસે એ જ જગ્યાએ પુસ્તક રીલીઝ કરવાનો કાર્યક્રમ હતો તેમાં આ નાચીઝને બી બોલવા કહેલું. તે વારે મેં તમારી ચોપડી વિષે તો વાત કરેલી જ, પણ સાથોસાથ કહેલું કે હવે બમનજી બહેરામજી પટેલના ‘પારસી પ્રકાશ’ના પહેલા ત્રણ ભાગનું બી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન જલ્દીથી થવું જોઈએ. કારણ આ બે પુસ્તકો ઉથલાવ્યાં ન હોય તેમને ૧૯મી સદીના મુંબઈના ઇતિહાસ વિષે લખવાનો અધિકાર ન હોવો જોઈએ એમ અમારું માનવું છે.

વાછા શેઠ : થેંક યૂ મિસ્ટર મહેતા, થેંક્યું કામા ઇન્સ્ટિટ્યૂટ.

XXX XXX XXX

Loading

ગુજરાત પોલીસનું ખસીકરણ કરનાર સરકાર પોતે જવાબદાર નથી?

રમેશ સવાણી|Opinion - Opinion|18 March 2024

અમદાવાદમાં, 16 માર્ચ 2024ના રોજ રાત્રે 10.50 વાગ્યે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં, ઉઝબેકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના 4 મુસ્લિમ વિદ્યાર્થીઓ તેમને ફાળવેલ જગ્યામાં રમઝાનની નમાઝ અદા કરી રહ્યા હતા. ત્યારે કેસરી ખેસ ધારણ કરેલ એક ટોળું ત્રાટકે છે. મારમારી કરે છે. જેના કારણે 4 વિદેશી વિદ્યાર્થીઓ ઘવાયા. ઘાયલ વિદ્યાર્થીઓને તાબડતોબ SVP – સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કટ્ટર હિન્દુત્વવાદી ટોળાંએ લેપટોપ, મોબાઈલ ફોન, વાહનોની તોડફોડ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે હુમલાખોરો હાજર હતા; પણ પોલીસે તેમને સન્માનપૂર્વક જવા દીધાં !

આવું કૃત્ય ‘જયશ્રી રામ’ના નારા સાથે કરવામાં આવ્યું હતું, તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની અને ભારતની છાપ ખરડાઈ છે. ઘટનાની જાણ થતાં જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટનાના દેશભરના પડઘા પડ્યા છે. ગૃહ મંત્રીએ તપાસના આદેશ આપ્યા પછી પોલીસ કમિશનરે બીજા દિવસે મોડેથી સ્થળ વિઝિટ કરી હતી અને કહ્યું હતું કે ‘આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે !’

થોડાં પ્રશ્નો : 

[1] મુસ્લિમ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીએ ફાળવેલ જગ્યામાં નમાજ પઢે તે શું અસામાજિક કૃત્ય છે? નમાજના કારણે તેમની પર હુમલો કરવો કેટલાં અંશે ઉચિત? 

[2] ગૃહ મંત્રીએ અને કેન્દ્ર સરકારે તપાસના આદેશો આપ્યા છે; પરંતુ તેમણે જ હિન્દુ યુવાનોને ગોડસેવાદી બનાવ્યા નથી? કટ્ટરવાદી બનાવ્યા નથી? કોર્પોરેટ કથાકારો અને સ્વામિનારાયણના સંતોએ ગેડસેવાદીઓને નફરતી બનાવ્યા નથી? મારઝૂડ કરનારા અને તોડફોડ કરનારા હિન્દુ યુવાનોનો વાંક છે જ; પરંતુ વધારે વાંક તો ગોડસેવાદી સરકારનો અને ધર્મગુરુઓનો નથી? એક તરફ વડા પ્રધાન નફરત ફેલાવતી એજન્ડા ફિલ્મોને પ્રોત્સાહન આપે છે, બીજી તરફ આવી શરમજનક ઘટના બને ત્યારે તપાસના આદેશ આપી પોતાના હાથ ઉપર કરી લે છે; શું આ પાખંડ નથી? શા માટે યુવાનોને જેલમાં ધકેલી રહ્યા હશે? 

[3] આ કૃત્ય કરનાર યુવાનોએ મોરારિબાપુની અપીલના કારણે ‘કાશ્મીર ફાઈલ’ જોઈ હશે અને કટ્ટર બન્યા હશે? 

[4] વિદેશી વિદ્યાર્થીઓએ 100 પર જાણ કરી, પોલીસ આવી પણ તેણે જોયું કે આ તો કેસરી ખેસ ધારણ કરેલ ‘લાઇસન્સ વાળા ગુંડાઓ’ છે એટલે તેમણે કોઈને પકડેલ નહીં ! ગુજરાત પોલીસનું ખસીકરણ કરનાર સરકાર પોતે જવાબદાર નથી? શું ગોડસેવાદીઓને પોલીસનો કોઈ ડર જ નથી? પોલીસ પણ કેસરી ખેસ જોઈને ફરજ ભૂલી જાય તેવી સ્થિતિ કરનાર સરકારની જવાબદારી નથી? પોલીસ કમિશનર કહે છે કે ‘ગંભીર નોંધ લીધી છે’ પણ 24 કલાક સુધી એક પણ આરોપી મળે નહીં, એને ગંભીર નોંધ કહેવાય? 

[5] ગુનાવાળી જગ્યાએ ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ જઈ શકે તો સત્તાપક્ષના કોઈ ધારાસભ્યોને ગુનાવાળી જગ્યાએ જવાનું કેમ સૂઝ્યું નહીં હોય? શું સત્તાપક્ષના ધારાસભ્યો પણ હુમલાખોર ગોડસેવાદીઓનું સમર્થન કરતા નથી? 

[6] આવી ઘટના વિપક્ષની સરકારમાં બની હોત તો ગોદી મીડિયાએ બૂમો પાડી હોત ! વડા પ્રધાને ગળું ફાડીને વિપક્ષની સરકારને ભાંડી હોત; પરંતુ આ ઘટના તો ‘ગુજરાત મોડલ’નું પરિણામ છે; એટલે ગોદી મીડિયા અને વડા પ્રધાન ચૂપ રહેતાં હશે?

અમેરિકામાં મોટાભાગની યુનિવર્સિટીઓમાં ગુજરાતી વિદ્યાર્થીઓ નવરાત્રિમાં ગરબાનું આયોજન કરે છે. ગણેશ ઉત્સવ ઊજવે છે. પણ કોઈ રોકતું નથી. આવી સહિષ્ણુતા ગુજરાતમાં ગોડસેવાદીઓને દેખાતી નહીં હોય?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધીપથના ગરવા યાત્રી : નારાયણભાઈ દેસાઈ

ભદ્રા વિક્રમ સવાઈ|Gandhiana, Profile|18 March 2024

ભદ્રા વિક્રમ સવાઈ અને નારાયણ દેસાઈ

આપણું સદ્ભાગ્ય છે કે જેમણે ગાંધીજીને જોયા હતા, જે બાળવયે ગાંધીજીના ખોળામાં ઊછર્યા હતા અને ગાંધીજી સાથે રમ્યા હતા; ઉંમરે મોટા થતા ગયા તેમ તેમ ગાંધીજીને વધુ ને વધુ જાણતા, પ્રમાણતા ગયા હતા, તેવા નારાયણભાઈ દેસાઈ જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે ગાંધીજીને જાણવાનો, માણવાનો અને એમના અંગે લખાયેલા, એમનાં લખાણો થકી એક મોટો મુકામ હતા.

આપણે એમની જન્મશતાબ્દી નિમિત્તે એમને એમની વાતો થકી, એમના સાહિત્યસર્જન થકી, જુદા જુદા લોકોએ એમને અંગે લખેલા લેખો થકી એમને સમજવા-જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

૨૪-૧૨-૧૯૨૪ના રોજ વલસાડ જિલ્લાના ઓલપાડ તાલુકાના દિહેણ ગામે એમનો જન્મ થયેલો. નારાયણભાઈનું ઊંચું પહોંચતું હાડ, મોટી ઉંમરે પણ ટટ્ટાર. એમની ઊંચાઈ કોઈને પણ પ્રભાવિત કરે તેવી હતી. તેમના પિતા મહાદેવભાઈ પણ ઊંચા હતા. એટલે નારાયણભાઈ માટે કહી શકાય કે ઊંચાઈ તો એમના બાપની જ ! એમનું બેસવાનું પણ ટટ્ટાર, એમનું ચાલવાનું પણ ટટ્ટાર અને બોલવાનું પણ ટટ્ટાર. નારાયણભાઈ બહારથી તેમ જ અંદરથી પણ ઊંચા અને પહોંચેલા માણસ હતા. નારાયણભાઈ વયને પણ ગાંઠે તેવા ન હતા અને વિષમતાઓને પણ ગાંઠે તેવા ન હતા. જ્યાં બેઠા હોય ત્યાં તેમની ગરિમા ઊભી થતી. કેટલીક વ્યક્તિઓ એવી હોય છે, જે સભામાં બેઠી હોય તો સભાની શોભા વધે. એમની ઉપસ્થિતિ માત્રથી સભાને એક વિશિષ્ટ અર્થ અને દરજ્જો મળવા માંડતો હોય છે. નારાયણભાઈ આવું એક સંપન્ન વ્યક્તિત્વ હતું.

નારાયણભાઈને એક સાથે બેવડો નહીં, ત્રેવડો લાભ થયો છે. ‘પિતા’ તરીકે મહાદેવભાઈનો લાભ, ‘માતા’ તરીકે દુર્ગાબહેનનો લાભ અને ‘બાપુ’ તરીકે ગાંધીજીનો લાભ. ‘બા’ તરીકે કસ્તૂરબાનો લાભ તો ખરો જ. સૂચક અર્થમાં કહીએ તો જેને માથે ગાંધીજીએ હાથ મૂક્યો હોય તે કોઈથી ગાંજ્યો જાય ? બીજી રીતે કહીએ તો જેણે ગાંધીજીનો હાથ ઝાલ્યો હોય; અથવા એમ કહીએ કે ગાંધીજીએ જેનો હાથ ઝાલ્યો હોય એ પછી બીજા કોઈથી ઝાલ્યો રહે ? ઝાલ્યો રહે તો ફક્ત ગાંધીજી થકી જ ઝાલ્યો રહે. ગાંધીવિચાર થકી ઝાલ્યો રહે, ગાંધીદર્શન થકી જ ઝાલ્યો રહે.

નારાયણભાઈનું બાળપણ ગાંધીજીના ખોળામાં ઊછર્યું હતું. મહાદેવભાઈ તો ગાંધીજી સાથે રહ્યા હતા, પણ નારાયણભાઈ તો ગાંધીજી સાથે રમ્યા હતા. ગાંધીજી સાથે રહેવું એટલે જ્વાળામુખીની ટોચ ઉપર રહેવા જેવું હતું. મહાદેવભાઈએ ત્યાં રહી બતાવ્યું હતું. ગાંધીજી સાથે રમવાની વાત તો બાજુએ રહી, તેમની પાસે બેસવાનું પણ ભારે હતું. જ્યારે નારાયણભાઈએ તો એમની સાથે રમી બતાવ્યું હતું.

નારાયણભાઈનો ખરો પરિચય આપવો હોય તો એકસાથે મહાદેવભાઈ અને ગાંધીજી બેઉનો છેડો ઝાલવો પડે. અને એમ કરવા જતાં એકની વાત બીજામાં જતી રહે, બીજાની વાત પહેલામાં પેસી જાય, એમાં વળી ત્રીજો કે જેની વાત માંડવી છે તે બાજુએ રહી જાય એવી સ્થિતિ છે.

શરૂઆતનાં મુગ્ધ અને બાળવયનાં તેમ જ આગળ જતાં કિશોર અને વયસ્ક વયનાં કુલ મળીને વીસેક વર્ષનો, નારાયણભાઈને ગાંધીજીનો સહવાસ મળ્યો. આ દરમિયાન એમણે એક વિરાટ પુરુષ અને મહાનાયકના વ્યક્તિત્વની અનેક છબિઓ ઝીલી હતી.

નારાયણભાઈ દેસાઈ આપણા લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર હતા. સાહિત્યકાર થવાના આશયથી તેમણે કલમ ઉપાડી ન હતી, પરંતુ એમણે પોતે ગાંધીજીને જે રીતે જે રૂપે જોયા જાણ્યા હતા, માણ્યા પ્રમાણ્યા હતા તેની ઊલટ વ્યકત કરવાને સારુ તથા ગાંધીવિચાર, ગાંધીદર્શન અને ગાંધીકાર્યના સંદર્ભમાં પોતાની જે પ્રવૃત્તિ અને યાત્રા ચાલેલી તેના અનુભવનું નિરૂપણ કરવાને સારુ એમની કલમ ચાલેલી. નારાયણભાઈની કેળવાયેલી અને કસાયેલી કલમે માતબર સાહિત્ય આપ્યું છે. ગુજરાતી, હિંદી, અંગ્રેજી એમ જુદી જુદી ભાષામાં નાનામોટા ચાળીસેક જેટલા ગ્રંથોની સંપદા તેમણે આપી. આમાં કેટલાક વિચારપ્રધાન ચિંતનાત્મક પ્રકારના ગ્રંથો છે, કેટલાક સંપાદન-ગ્રંથો છે, કેટલાક અનુવાદગ્રંથો છે, ચરિત્રગ્રંથો પણ છે.

જેમના થકી નારાયણભાઈ નિરંતર સેવાયા છે અને સંસ્કારાયા છે, નિત્ય અંજાયા છે અને મંજાયા છે તેવા ‘બાપુ’ વિશેના તેમના કેટલાક ચરિત્ર ગ્રંથો અ-જોડ છે. ગાંધીજીના જીવનચરિત્ર સંબંધે દેશ અને દુનિયામાં ઘણું લખાયું છે, પરંતુ નારાયણભાઈએ ગુજરાતીમાં ‘મારું જીવન એ જ મારી વાણી’ના ચાર ગ્રંથો આપ્યા. તેણે ગાંધીચરિત્રના અધિકૃત ગ્રંથની ખોટ પૂરી કરી. ગુજરાતી સાહિત્યમાં અને વિશ્વસાહિત્યમાં ગાંધીજીના ચરિત્રને આટલી સમગ્રતામાં અને આટલી અખિલાઈમાં પ્રગટ કરતો આ પ્રથમ ગ્રંથ છે. ભારતીય જ્ઞાનપીઠે આ ગ્રંથને ‘મૂર્તિદેવી પુરસ્કાર’ આપી તેનું ઉચિત ગૌરવ કરેલું. ‘સંત સેવતાં સુકૃત વાધે’ પુસ્તક એ નારાયણભાઈના ગાંધીજી સાથેના બાળપણનાં સંસ્મરણોનો આત્મીય ગ્રંથ.

દેશવિદેશની આઠેક ભાષામાં આ કૃતિ અનુવાદ પામેલી. ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’માં નારાયણભાઈએ તેમના પિતા મહાદેવભાઈનું સર્વગ્રાહી, સમતોલ, સંતર્પક ચરિત્ર આલેખ્યું. આવા ચરિત્રગ્રંથો દુર્લભ છે. ગ્રંથના આમુખમાં ચી.ના. પટેલે લખ્યું છે કે આ ગ્રંથ વાંચતાં ‘હું જાણે પુરાણ-કથા વાંચતો હોઉં એવો અનુભવ થયો’. નારાયણભાઈએ ’My Gandhi’ પુસ્તક જે મૂળ અંગ્રેજીમાં લખેલું તેનો તેમણે પોતે જ ‘મારા ગાંધી’ રૂપે અનુવાદ આપ્યો છે. ગાંધીજીએ વિશ્વ ને આપેલી ત્રણ મહાન ભેટ (૧) સત્યાગ્રહ (૨) એકાદશ વ્રતો (૩) રચનાત્મક કાર્યો અંગનું નિરૂપણ વસ્તુઘનતા, પ્રમાણભૂતતા અને અધિકૃતતાની એકધારી છાપ પાડે. ‘કવિ ઉશનસ્‌’ આ ગ્રંથને કિશોરલાલ મશરૂવાળાના ‘ગાંધીવિચાર દોહન’ અને ‘સમૂળી ક્રાંતિ’ જેવાં પુસ્તકોની અડોઅડ અને લગોલગ મૂકે. તેઓએ ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ બિન હરીફ શોભાવેલું. એક સમયે મહાત્મા ગાંધીજીએ પણ આ પદ શોભાવેલું.

‘કથા’ એ આપણું પરંપરાગત, પ્રચલિત અને બહુભોગ્ય લોકમાધ્યમ છે. આપણા જનસમાજે એને અનેક રીતે ઝીલ્યું છે. સામાન્ય માણસનો આ માધ્યમ સાથે સીધો, આત્મીય અને જીવંત સંબંધ રહ્યો છે. ‘સત્યનારાયણની કથા’, ‘ભાગવત કથા’, ‘રામકથા’ આપણા સમસ્ત જન-ગણ-મનમાં ગુંજે છે. આમ ‘કથા’નું માધ્યમ લોકહૃદયમાં સ્થાપિત થયેલું છે. જો કે આ બાબતે નારાયણભાઈ પોતે એકદમ સ્પષ્ટ હતા. એમણે તો માધ્યમ તરીકે જ ‘કથા’ શબ્દ અને તેના પ્રકારનો સ્વીકાર કર્યો હતો.

કથાના માધ્યમ દ્વારા લોકો સુધી ગાંધી, ગાંધી દર્શન, ગાંધીપ્રવૃત્તિની વાતો પહોંચે તે માટેનો આ પ્રયોગ હતો. આમાં કોઈ આંધળી ગાંધી ભક્તિ નથી. વિશ્વ સમસ્ત અને માનવજાતના કલ્યાણની જે મૂળભૂત બાબતો છે તે અને ગાંધીજી દ્વારા વ્યવહારમાં લવાયેલી છે તે બાબતો લોકો સમક્ષ મૂકીને, લોકોને તેમાં સામેલ કરવાનું મુખ્ય પ્રયોજન હતું.

(ડૉ. દલપત પઢિયાર લિખિત ‘શ્રી નારાયણ દેસાઈ – ગાંધીપથના ગરવા યાત્રી’ નામક પુસ્તિકામાંથી સારવીને)

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ 2024; પૃ. 10-11 

Loading

...102030...758759760761...770780790...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved