Opinion Magazine
Number of visits: 9741744
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાયકોમ સત્યાગ્રહની શતાબ્દી અને દલિતોના મંદિર પ્રવેશનો પ્રશ્ન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 April 2024

ચંદુ મહેરિયા

સો વરસ પૂર્વેનો ત્રીસમી માર્ચ ૧૯૨૪નો એ દિવસ. તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સીના ત્રાવણકોર રજવાડાનું અને હાલના કેરળ રાજ્યના  કોટ્ટાયમ  જિલ્લાનું વાયકોમ ગામ. ખાદીના વસ્ત્રો પહેરેલા અને ગળામાં માળા ધારણ કરેલા ત્રણ સત્યાગ્રહી યુવાનો અને તેમની પાછળ સેંકડોની ભીડ સવારસવારમાં વાયકોમના શિવ મંદિર તરફ જઈ રહી છે. જે ત્રણ યુવાનોએ સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું છે, તેમાં કથિત સવર્ણ અને અવર્ણ બંને જ્ઞાતિના છે. તેમનો ઉદ્દેશ વાયકોમના શિવ મંદિર ચોફેરના રસ્તાઓ પરથી કહેવાતા શૂદ્રો અને અતિ શૂદ્રોને પસાર થવાની મનાઈ છે, તેનો વિરોધ કરવાની છે. સત્યાગ્રહીઓ જેવા પ્રતિબંધની જાહેરાત કરતા નોટિસ બોર્ડ નજીક પહોંચ્યા કે તરત તેમને અટકાવવામાં આવ્યા. સેંકડોની ભીડ શાંત અને અહિંસક રીતે ત્યાં થોભી ગઈ. ત્રણ સત્યાગ્રહીઓની પોલીસે ધરપકડ કરી. પરંતુ તેથી સત્યાગ્રહીઓ ડગ્યા નહીં. જ્યાં અટકાવ્યા હતા ત્યાં સત્યાગ્રહ છાવણી બનાવી બેઠા અને ઘણાં રેંટિયો કાંતવા લાગ્યા. આ સિલસિલો રોજેરોજ ચાલતો રહ્યો. છેક દસમી એપ્રિલ સુધી નવા ત્રણત્રણ સત્યાગ્રહીઓની પોલીસ ધરપકડ કરતી રહી. પોલીસ અટકાયત કરતી અટકી પણ નવા સત્યાગ્રહીઓ આવવાનું ન અટક્યું કે સત્યાગ્રહ ન અટક્યો. વાયકોમના શિવ મંદિરમાં પ્રવેશનો નહીં, મંદિરના માર્ગ પરથી પસાર થવાના અધિકાર માટેનો ભારતના દલિતોનો એ કદાચ પહેલો સત્યાગ્રહ હતો. જેનું આ શતાબ્દી વરસ છે. ગાંધીજીના માર્ગે શાંત અને અહિંસક રીતે અવિરત છસો દિવસ, (૩૦ માર્ચ, ૧૯૨૪ થી ૨૩ નવેમ્બર, ૧૯૨૫) સુધી ચાલેલો વાયકોમ સત્યાગ્રહ અંશત: સફળ  થયો હતો.

શિક્ષિત, સમૃદ્ધ અને પ્રગતિશીલ કેરળમાં રુઢિવાદ, સામંતવાદ અને ભયાવહ જ્ઞાતિભેદ જોઈને ઈ.સ. ૧૮૯૨ની કેરળ મુલાકાત પછી વિવેકાનંદે તેને પાગલખાનું કીધું હતું. વાયકોમ જેવા સેંકડો મંદિરોમાં દલિતોને પ્રવેશ તો નહોતો, મંદિરો નજીકના માર્ગો પરથી અન્ય ધર્મના લોકો કે જાનવરો પસાર થઈ શકતા હતા, માત્ર દલિતો જ પસાર થઈ શકતા નહોતા. આભડછેટ સ્પર્શની જ નહીં સંસર્ગની પણ હતી. એટલે દલિતોને અડવાથી જ નહીં જોવાથી પણ અભડાઈ જવાતું હતું. જો દલિતો મંદિરો નજીકના રસ્તા પરથી પસાર થાય તો ભગવાન અભડાઈ જતા હતા.

ડો. પદ્મનાભ પલ્પૂએ મદ્રાસથી ડોકટરીનો અભ્યાસ કર્યો હતો. પછી તે વિદેશ જઈને પણ ભણ્યા. પરંતુ તે દલિત હોવાથી કદી કેરળમાં પ્રેકટિસ ન કરી શક્યા! અલુમુટી ચેન્નાર વાયકોમના એવા દલિત હતા જેમની પાસે મોટરકાર હતી અને રાજ્યના તે સૌથી મોટા કરદાતા હતા. પરંતુ જ્યારે વાયકોમના શિવ મંદિર પાસેથી પસાર થવાનું આવે ત્યારે તેમને દલિત હોવાના કારણે કારમાંથી ઉતરીને બીજા રસ્તે ચાલતા આગળ વધવું પડતું. તેમનો બિનદલિત ડ્રાઈવર મંદિર પાસેના રસ્તેથી ગાડી લઈને જતો અને આગળ તેમની રાહ જોતો. આર્થિક સમૃદ્ધિ કે ઉજળા ધંધા છતાં વાયકોમના દલિતોને ક્રૂર એવી નાતજાતની વ્યવસ્થા સહેવી પડતી હતી.

૧૯૨૪ના અભૂતપૂર્વ વાયકોમ સત્યાગ્રહ પહેલાં પણ દલિતોએ મંદિરના રસ્તેથી પસાર થવા માટે સંઘર્ષ કર્યા હતા. ૧૮૦૫માં ૨૦૦ દલિત યુવાનોએ સંગઠિત થઈ શિવ મંદિરના રસ્તે ચાલવાનો કાર્યક્રમ આપ્યો હતો. મંદિરમાં જતાં પહેલાં બાજુના તળાવમાં તે નહાવા ગયા ત્યારે જ રાજ્યના સાથથી બિનદલિતોએ તેમના પર હિંસક હુમલો કર્યો જેમાં ઘણાં યુવાનોને મારી નાંખ્યા અને તેમની લાશો તળાવમાં ફેંકી દીધી હતી. વકીલ અને દલિત નેતા ટી.કે. માધવને ૧૯૧૭માં પોતાના અખબાર ‘દેશાભિમાની’ના તંત્રીલેખમાં વાયકોમ મંદિરના દલિતો માટે પ્રતિબંધિત રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો. માત્ર લખીને ના અટકતા તેઓ પ્રતિબંધિત રસ્તે ચાલ્યા પણ હતા. ૧૯૨૧માં તેમણે આ મુદ્દે લોક આંદોલન કરવા ગાંધીજીની મુલાકાત લીધી અને સમર્થન માંગ્યું હતુ. ૧૯૨૩ના કાઁગ્રેસના કાકીનાડા અધિવેશનમાં કેરળ કાઁગ્રેસ સમિતિએ કાઁગ્રેસે અસ્પૃશ્યતા વિરોધી વ્યાપક અભિયાન ચલાવવા અંગે પ્રસ્તાવ કર્યો હતો. ટી.કે. માધવન., કે.પી. કેશવ મેનન, કે. કેલપ્પન અને જોર્જ જોસેફની આગેવાનીમાં ૧૯૨૪થી વાયકોમ સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો હતો. 

વાયકોમ સત્યાગ્રહના મુખ્ય સત્યાગ્રહી નેતાઓની ધરપકડ થતાં તમિલનાડુ કાઁગ્રેસ કમિટીના પ્રમુખ અને દ્રવિડ આંદોલનનો શક્તિશાળી અવાજ એવા રામાસામી નાયકર”પેરિયાર’ને બોલાવવામાં આવ્યા. ગાંધીજીનું સમર્થન અને પેરિયારની સક્રિયતાથી આંદોલનને વેગ માળ્યો. વાયકોમ સત્યાગ્રહ કોઈ સ્થાનિક મુદ્દો ન રહેતાં રાષ્ટ્રવ્યાપી બન્યો હતો. સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી અને પેરિયારના મતભેદો ઉભર્યા. ગાંધીજી માટે વાયકોમ હિંદુ સુધારાવાદી આંદોલન હતું. જ્યારે પેરિયાર માટે જ્ઞાતિ આધારિત આત્યાચારો સામેનો સંઘર્ષ હતો. આ સત્યાગ્રહમાં પેરિયારની બે વાર ધરપકડ થઈ અને ૧ માસ અને પછી ૬ માસની જેલની સજા થઈ હતી. તેઓ વાયકોમ વીર કે વાયકોમ નાયક તરીકે જાણીતા થયા હતા.

સત્યાગ્રહીઓના પક્ષે છેક સુધી શાંતિ અને અહિંસા જાળવી રાખવામાં આવ્યાં. વીસ મહિના લાંબા સત્યાગ્રહ દરમિયાન જ્યારે પૂર આવ્યું તો કમરસમા પાણીમાં ઊભા રહીને સત્યાગ્રહ જારી રાખ્યો. શીતળાનો વાવર પણ વેઠ્યો. ગાંધીજી કથિત સવર્ણોના હ્રદયપલટામાં માનતા હતા. વાયકોમના ઘણા બિનદલિતો સત્યાગ્રહના સમર્થક હતા અને અન્યાયનો વિરોધ કરતા હતા. વાયકોમ સત્યાગ્રહના તરફદાર બિનદલિતોએ વાયકોમથી તિરુઅનંતપુરમ સુધી કૂચ કરી, પચીસ હજાર લોકોની સહીઓ સાથેનું આવેદના પત્ર મહારાણીને આપ્યું. મહારાણી દલિતોની વાજબી માંગ સાથે સહમત હોવા છતાં તે બિનદલિતોને નારાજ કરવા માંગતા નહોતાં એટલે તેમણે પ્રસ્તાવ વિધાન પરિષદ સમક્ષ મુક્યો હતો. જ્યાં દલિતોના પક્ષે ૨૧ અને વિરોધમાં ૨૨ મતો પડ્યા. નવાઈની વાત એ હતી કે એક દલિતે દલિતોની માંગણીના વિરોધમાં મત આપ્યો હતો અને તે ડો. પલ્પૂના ભાઈ હતા! સત્યાગ્રહીઓને રંજાડવામાં વિરોધીઓએ કંઈ બાકી રાખ્યું નહોતું તો ય તેઓ અડગ રહ્યા. જેમ પેરિયાર, નારાયણ ગુરુ, તેમ સી. રાજગોપાલાચારી પણ સત્યાગ્રહીઓના સમર્થનમાં હતા. 

માર્ચ ૧૯૨૫માં ગાંધીજી વાયકોમ આવ્યા અને તેમણે મહારાણી તથા સત્યાગ્રહીઓના વિરોધીઓની મુલાકાતો કરી. અંતે ચાર પૈકીના ત્રણ રસ્તા બધાને માટે ખૂલ્લા કરવા અને મંદિરનો પૂર્વનો માર્ગ કથિત ઉચ્ચ વર્ણ અને રાજપરિવાર માટે આરક્ષિત રાખવો તેવી સમજૂતી થઈ. તેનો અમલ કરવામાં પણ ઘણો સમય લાગ્યો. પેરિયાર અને અન્યોને ગાંધીજીનું આ સમાધાન મંજૂર નહોતું. નવેમ્બર ૧૯૨૫માં વીસ મહિના બાદ વાયકોમના ત્રણ માર્ગો દલિતો માટે ખૂલ્યા, પરંતુ  મંદિરમાં તેમનો પ્રવેશ તો બીજા સવા દાયકે ૧૯૩૬માં શક્ય બન્યો હતો. 

દલિતોનો હિંદુ મંદિરોમાં પ્રવેશનો પ્રશ્ન આજે વાયકોમ સત્યાગ્રહની શતાબ્દીએ પણ ઊભો છે. આજે ય કેટલાક મંદિરોમાં દલિતો પ્રવેશી શકતા નથી. જાણીતા સમાજવિજ્ઞાની આઈ.પી. દેસાઈએ “અનટચેબિલીટી ઈન રુરલ ગુજરાત” સ્ટડીમાં ૧૯૭૧-૭૨માં ગુજરાતના ગામડાઓમાં મંદિર પ્રવેશમાં ૮૩ ટકા આભડછેટ પળાતી હોવાનું નોધ્યું છે. સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહના “એ સ્ટડી ઓફ અનટચેબિલીટી એન્ડ એટ્રોસિટી ઈન ગુજરાત”માં ૧૯૯૬માં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં મંદિરપ્રવેશમાં આભડછેટનું પ્રમાણ, પચીસ વરસે ૧૯ ટકા ઘટીને, ૬૪ ટકા થયાનું નોંધ્યું છે. જો કે ૨૦૦૫થી ૨૦૦૯ વચ્ચેનો એક અન્ય અભ્યાસ, “અન્ડરસ્ટેન્ડીંગ અનટચેબિલીટી”માં, ગુજરાતના ગામડાઓના ૯૦.૮ ટકા મંદિરોમાં દલિતો પ્રત્યે આભડછેટ રખાતી હોવાનું જણાવ્યું છે. એટલે વાયકોમ સત્યાગ્રહની  સ્મૃતિસદી દલિતોના મંદિર પ્રવેશમાં વ્યાપક અસ્પૃશ્યતા અને તે નિવારવાના પાંખા પ્રયાસોની કટુ યાદની પણ છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

સત્તાનો સામનો કરવામાં અર્થશાસ્ત્રીઓ નબળા પડે છે

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|25 April 2024

સત્તા અને અર્થશાસ્ત્ર : 

ભાગ – ૯ અને છેલ્લો

રોબર્ટ સ્કિદેલસ્કી

વિજ્ઞાપન એટલે કે જાહેરખબરો વિશે પણ મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રમાં આ જ પ્રકારની વાત કરવામાં આવી છે. અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે ગ્રાહકો હરીફાઈવાળા બજારમાં પોતાનો સંતોષ મહત્તમ કરવા માટે જ ખરીદી કરે છે. આ પ્રકારના મોડેલમાં તો વિજ્ઞાપનની જરૂર રહેતી જ નથી. વિજ્ઞાપન સત્તા કે તાકાતની અભિવ્યક્તિ છે તે બાબતને તો અદૃશ્ય બનાવી દેવાઈ છે. તેને માટે એવી દલીલ કરવામાં આવે છે કે વિજ્ઞાપન ગ્રાહકોની પસંદગીઓને માત્ર સમર્થન આપે છે અથવા તો તે ગ્રાહકોને માહિતી આપે છે.

આજે cloud storageને નામે કોમ્પ્યુટર નેટવર્ક ઊભું થયું છે કે જેની માલિક ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ છે. આ કંપનીઓ તમારી રુચિ, વિચારો અને ખરીદી પર ખબર ન પડે તે રીતે પ્રભાવ ઊભો કરે છે. તેઓ મુખ્યત્વે યુવાન ગ્રાહકોને નિશાન બનાવે છે. આ ઘટનાને મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રીઓ મોટે ભાગે અવગણે છે. 

ત્રીજો મુદ્દો એ છે કે અર્થશાસ્ત્ર પ્રભાવક સત્તા વ્યવસ્થાને ટેકો આપે છે. તેને માટે તે પોતાના સંશોધનમાં ગ્રાહકોની પસંદગીઓને બજારમાં કેવી રીતે આકાર આપવામાં આવે છે એનો સમાવેશ કરતું જ નથી. ઉપરાંત, તે રાજકીય કાર્યક્રમોને વૈજ્ઞાનિક ટેકો પણ આપે છે. આજના સમયનું એનું એક મોટું ઉદાહરણ આ છે : અર્થતંત્રમાં રાજ્યની ભૂમિકા ઓછી કરવા માટેના રાજકીય કાર્યક્રમમાં મુખ્ય પ્રવાહનું અર્થશાસ્ત્ર સામેલ થઈ જાય છે. 

મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રમાં એક બાબત ખાસ કહેવામાં આવે છે કે બજાર વ્યવસ્થા જ એવી છે કે જેથી ઉદ્યોગપતિઓને તેમની લાયકાત કે મહેનતથી વધુ કશું નહિ મળે. તેમાં એમ પણ કહેવામાં આવે છે કે વૈશ્વિકીકરણથી જેઓ નોકરી ગુમાવી છે તેમને પણ ફાયદો થાય છે, મંદીમાં જો સરકાર બજેટમાં ખાધ ઊભી કરે તો પરિસ્થિતિ બગડે છે, અને ધિરાણ એ તો પોતે કંઈ કર્તા નથી પણ આર્થિક વ્યવસ્થામાં માત્ર મધ્યસ્થી તરીકે જ કામ કરે છે. 

હેમન્તકુમાર શાહ

આ બધી બાબતો સંપૂર્ણપણે કે આંશિકપણે સાચી હોઈ શકે છે. તે સંજોગો પર આધાર રાખે છે. પરંતુ તે બધી બાબતોમાં બધો સમય લાગુ પાડવામાં આવે તો તેનાથી નુકસાન થાય છે. 

નોબેલ ઈનામ વિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રીડમેન વિજ્ઞાન અને વિચારધારા વિશે બહુ જ સરસ રજૂઆત કરે છે :

“મારી આખી કારકિર્દી દરમ્યાન હું મારી જાતને કંઇક schizophrenic સમજતો રહ્યો છું …. એક તરફ હું શુદ્ધ વિજ્ઞાનમાં રસ ધરાવતો રહ્યો અને મને લાગે છે કે મારી વિચારધારા મારા વૈજ્ઞાનિક કામને પ્રદૂષિત ન કરે તે જોવામાં હું સફળ થયો છું. બીજી તરફ, મને આસપાસની ઘટનાઓ વિશે ભારે ચિંતા થાય છે અને મનુષ્યની સ્વતંત્રતા વધે તે માટે હું તેમની પર પ્રભાવ પાડવા ઈચ્છું છું. સદ્દનસીબે મારા રસના આ બે વિષયો મને એકબીજા સાથે સુમેળ સાધતા લાગ્યા છે.”

એમ લાગે છે કે મિલ્ટન ફ્રીડમેન સીધા રસ્તે ચાલે છે પણ પછી પાછા હટી જાય છે. પરંતુ તેમનું બઘું વૈજ્ઞાનિક કામ એમ દર્શાવવામાં જ થયું છે કે અર્થતંત્રમાં સરકારની દરમ્યાનગીરી નકામી છે. જો કે, વિજ્ઞાન અને મૂલ્યો વચ્ચે સુમેળ સાધવામાં સમસ્યા આવી શકે છે એ ફ્રીડમેન દ્વારા સ્વીકારવામાં આવ્યું છે ખરું. મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ એને અવગણે છે. 

વિચારધારા અને અર્થશાસ્ત્ર વચ્ચેનો સંબંધ જટિલ છે. એવું નથી કે વિચારધારા કોઈ દલીલમાંથી નીકળતા તારણને વિકૃત કરે છે. પરંતુ તે તો દલીલ કેવી રીતે આકાર લે તેમાં જ ઘૂસે કરે છે. એટલે કે, તે મહત્ત્વની સમતુલા અને ઇષ્ટ સ્થિતિની ધારણા, અભ્યાસ માટે પ્રશ્નની પસંદગી, તે માટે વિવિધ પરિબળોની પસંદગી, માહિતીની પસંદગી, અમુક મોડેલની પસંદગી વગેરે બાબતો તે નક્કી કરે છે. આમ, અર્થશાસ્ત્રીઓ જે સંશોધન કાર્યક્રમ નક્કી કરે છે તેમાં જ વિચારધારા ઘૂસે છે. આ રીતે અર્થશાસ્ત્ર વૈજ્ઞાનિક તપાસના સિદ્ધાંતોને વળગી રહીને પણ મજબૂત વિચારધારા રજૂ કરી શકે છે. તેની વૈજ્ઞાનિક પદ્ધતિએ તેને તે સત્તાની સેવામાં કામ કરે છે અથવા તેમાં વિચારધારાની છાંટ છે એવા આક્ષેપથી બચાવે છે. 

અર્થશાસ્ત્ર સત્તાનાં મોડેલ તૈયાર કરવાના માર્ગો શોધી શક્યું નથી. પરંતુ એનાથી પણ ખરાબ બાબત બની છે. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્ર નવ-ઉદારમતવાદી રાજકીય કાર્યક્રમ માટેનો બૌદ્ધિક ટેકો પૂરો પાડે છે. જો એરલે, કેહાલ મોરાન અને ઝેક વાર્ડ પર્કિન્સ જેને econocracy કહે છે તેને જોડે છે. તેમાં કેન્દ્રીય બેંકો, મોટી બેંકો અને મહાકાય કંપનીઓ જેવી ટેકનોક્રેટિક સંસ્થાઓએ સરકારોના જ્ઞાનતંતુ વિનાના હાથમાંથી અર્થતંત્ર પરનો કાબૂ પોતાની પાસે લઈ લીધો છે. આને કારણે જ અર્થશાસ્ત્રમાં સુધારાની જરૂર છે. 

સત્તાનો સામનો કરવામાં અર્થશાસ્ત્ર નબળું પડે છે. વાસ્તવિકતાના નકશાને તે પોતાનો અંતર્ગત ભાગ ગણતું નથી. અર્થશાસ્ત્રના નકશામાં તો માત્ર વ્યક્તિ છે કે જે મહત્તમ સંતોષ કે મહત્તમ નફો મેળવવા જ કામ કરે છે. યોગ્ય અર્થશાસ્ત્ર સમાજના વર્ગો, સંગઠનો અને સામાજિક ધોરણો જેવી સંસ્થાઓથી શરૂઆત કરે. પછી તે આ સંસ્થાઓ કેવી રીતે વ્યક્તિઓની પસંદગીઓને આકાર આપે છે તે જણાવે. વાંધો ત્યાં છે કે આવો અભિગમ ગાણિતિક મોડેલમાં બેસાડી શકાય જ નહિ. ગાણિતિક મોડેલ માટે તો તમારે પહેલેથી નિશ્ચિત બાબતો જ જોઈએ, કે જેથી જથ્થાત્મક તારણો કાઢી શકાય. ગાણિતિક સિવાયનો બીજો કોઈ પણ અભિગમ અપનાવો તો તમારે રાજકીય અર્થતંત્રની વાત કરવી જ પડે. આ સંદર્ભમાં જ્હોન મેનાર્ડ કેઇન્સ દ્વારા જે કહેવામાં આવ્યું હતું તે મને યોગ્ય લાગે છે : “જાહેર નીતિઓની બાબતમાં તદ્દન ખોટા હોવા કરતાં અંદાજે સાચા હોવું વધુ સારું.”

સ્રોત :
લેખકનું પુસ્તક : What is Wrong with Economics?
પ્રકરણ : Economics and Power.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હંગેરીમાં ગાંધી વિચારની સ્વીકૃતિ અને દેણગી

આના આકલાન (Anna Aklan) અને ટીબોર કોવાક્સ (Tibor Kovacs) [અનુવાદક : આશા બૂચ|Gandhiana|24 April 2024

(હંગેરી વિશે પ્રમાણમાં ઘણી ઓછી માહિતી હતી. તેમાં પણ ગાંધીના યુગમાં એ દેશની કોઈ હસ્તીઓ તેમને મળી હોય અને ગાંધીની વિચારધારા મુજબ કોઈ કાર્ય થયું હોય તેના વિશે તો કશી જાણ નહોતી. આ લેખ વાંચતા પ્રતીત થયું કે છેલ્લા કેટલાક દાયકાઓમાં ગાંધી વિચારોનું પ્રસરણ અને અનુસરણ વિવિધ માધ્યમો દ્વારા હંગેરીની યુવા પેઢી કરી રહી છે, એથી આનંદ થયો.) 

આના આકલાન

આના આકલાન ભારતીય વિદ્યાના નિષ્ણાત, ભાષાવિદ્ અને બુડાપેસ્ટમાં એશિયાટિક આર્ટ્સના ફેરેંસ હોપ મ્યુઝિયમનાં વસ્તુપાલ છે. તેઓ બુડાપેસ્ટના વિશ્વવિદ્યાલયોમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપે છે. તેમણે 2018માં સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટી, બુડાપેસ્ટથી ગ્રીક-ભારતીય તત્ત્વજ્ઞાનના તુલનાત્મક અભ્યાસ પર ડોક્ટરેટની ઉપાધિ મેળવી છે. તેઓ  ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ, ગાંધારની કલાઓ અને વેદાંતમાં સંશોધન કરવામાં રુચિ ધરાવે છે. આના આકલાને Gandhi: Essays, Aphorisms, Quotations પુસ્તકનું સંપાદન અને ભાષાંતર કર્યું છે. 

ટીબોર કોવાક્સ

ટીબોર કોવાક્સ સાંસ્કૃતિક વિભાગના રાજદૂત અને દિલ્હી ખાતે હંગેરિયન સાંસ્કૃતિક અને માહિતી કેન્દ્રના ભૂતપૂર્વ નિયામક રહી ચુક્યા છે. હાલમાં તેઓ હંગેરીમાં વિદેશી સહાય અને વ્યાપાર મંત્રાલયમાં સેવાઓ આપી રહ્યા છે.

ઉપર ઉલ્લેખ કર્યો છે તેમાંના એક લેખકને નવી દિલ્હીમાં ઘણાં વર્ષો સુધી રહેવાનો લાભ મળ્યો હતો. તેમના નિવાસ્થાનની એક બાજુ તીસ જનવરી માર્ગ – ગાંધીની શહાદતના સ્થળથી પથ્થર ફેંકો તેટલી દૂર હતી. આ સ્થળ એટલું નિકટ હતું, તેથી તેઓ ભારતના અને વિશ્વના મહાત્માને જેટલી વખત ચાહે તેટલી વખત શ્રદ્ધાંજલિ આપવા ગાંધી સ્મૃતિ જઈ શકે તેવી સવલત હતી. સામાન્ય મુલાકાતીઓ દેશના એ મહાપુરુષના અવસાનના સિત્તેર વર્ષ બાદ આવતા છતાં, તેમને કેટલો આદરભાવ આપતા એ જોવું ખૂબ તેમના માટે ખૂબ હૃદયસ્પર્શી હતું.

ગાંધીનો પ્રચંડ પ્રભાવ આખી દુનિયા પર પડ્યો છે, અને હજુ પણ એમના વિચારો આપણા અશાંત વિશ્વમાં સમાધાન સાધીને શાંતિ સ્થાપી શકે તેવી સંભાવના છે. ઉદાહરણ તરીકે આપણે તેમના અહિંસાના પાયાના બોધપાઠ સમા શાકાહારનો વિચાર લઈએ તો તેનાથી આજના યુગમાં પ્રસ્તુત હોય તેવા બે ખૂબ મહત્ત્વનાં પરિણામો આવશે. પહેલો મુદ્દો એ છે કે આપણને સમજાશે કે તેઓ એક આર્ષદૃષ્ટા હતા, એક ભવિષ્યની આગાહી કરનાર હતા, જેમની પાસે એકવીસમી અને બાવીસમી સદીમાં લોકોને પોષણ પૂરું પાડવાનો અને એ રીતે દુષ્કાળનો અંત લાવવાનો માર્ગ હતો. બીજી બાજુ જોઈએ તો આજે પર્યાવરણવાદીઓ આબોહવા પર થતી વિપરીત અસરોને નિવારવા શાકાહારની હિમાયત કરી રહ્યા છે. (અથવા મોટા ભાગના લોકોને સ્વીકાર્ય હોય તેવી પરિભાષામાં કહીએ તો નિરામિષ ભોજનની માત્રા ઘટાડવાની વાત કરી રહ્યા છે). એકાદ સદી પહેલા મહાત્મા ગાંધીએ જે વિચારનો પ્રચાર આદરેલો તેને આજના પર્યાવરણવાદીઓ વ્યાજબી ઠરાવી રહ્યા લાગે છે.

ભારતની સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ જે હત્યાકાંડ થયા તેના સિવાય ભારતને આઝાદી પ્રમાણમાં શાંતિપૂર્ણ માર્ગે મળેલી. એ સાબિત કરે છે કે ગાંધીના રાજકીય આદર્શો સાચા હતા. અલબત્ત તેઓ એક આક્રમણકારીના હાથે મોતને ભેટ્યા, પણ એવા મૃત્યુથી એમના જીવનની સુસંગતતાનો એક વધુ આયામ ઉમેરાયો : તેઓને જેના પર શ્રદ્ધા હતી તેને ખાતર તેઓ મોતને ભેટ્યા, અને એ રીતે અહિંસક પ્રતિકારના પ્રતીક બન્યા. આર્થિક, રાજકીય અને લશ્કરી સમસ્યાઓને શાંતિમય ઉપાયોથી હલ કરવા માટે દુનિયા આખીમાં અહિંસક પ્રતિકારના અનુયાયીઓ વધે એવી શક્યતા છે.

ગાંધીની ગરીબો પ્રત્યેની અનુકંપા પણ સમગ્ર વિશ્વમાં આદર પામી છે. ગાંધી જેવી જ સંત પ્રકૃતિ ધરાવતાં મધર ટેરેસા, કે જેને ગાંધી કદી મળ્યા નહોતા, તેઓ ગાંધીના દલિત, નિરાધાર, એકવાયા અને ગરીબ લોકો પ્રત્યેના પ્રેમના ગુણો સાથે સામ્ય ધરાવતાં હતાં. ભારતના અને અન્ય દેશોના ખૂણે ખૂણેથી ગાંધીને મળેલ આદર પાછળ તેમની આ આધ્યાત્મિક મહાનતાનો ફાળો છે.

ભારતીય વિચારક અને લેખક સુધેન્દ્ર કુલકર્ણી થોડો સમય પહેલાં હંગેરી ગયા હતા ત્યારે જાણીતાં ભારતીય વિદ્યાના નિષ્ણાત, ભાષાવિદ્ અને બુડાપેસ્ટમાં એશિયાટિક આર્ટ્સના ફેરેંસ હોપ મ્યુઝિયમનાં વસ્તુપાલ તેમ જ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ, ગાંધારની કલાઓ અને વેદાંતમાં સંશોધન કરવામાં રુચિ ધરાવનાર અભ્યાસી ડૉ. આન્ના આકલાનને મળેલાં તે વેળા લેવાયેલી તસ્વીર. 

હંગેરીમાં ગાંધી વિચારની સ્વીકૃતિ અને દેણગી 

હંગેરીમાં ગાંધીની જીવનદૃષ્ટિ, તેમની કાર્યપ્રણાલી અને વિચારોની જાણ અમૃતા શેર-ગિલના મામા બહુશ્રુત અને લોકપ્રિય લેખક ઇર્વિન બાક્ટે (Ervin Baktey) દ્વારા થઇ. તેઓએ 1926થી 1929 દરમિયાન અને ત્યાર બાદ પણ ભારતની મુલાકાત લીધેલી. ભારતીય વિદ્યાના નિષ્ણાતોમાંના એક એવા ઇર્વિન બાક્ટેએ ભારતમાં રહીને વિશદ તપાસ તેમ જ સંશોધન કર્યું અને તેમનાં નવસર્જિત લખાણો તથા પુસ્તકોનો હંગેરીમાં ભારત વિષે માહિતી પૂરી પાડવામાં ઘણો મોટો ફાળો રહ્યો. તેમનું મહાત્મા ગાંધી વિશેનું પુસ્તક : ભારતની સ્વતંત્રતાના નાયક 1930ની સાલમાં હંગેરીની પ્રજાને ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધી વિચારથી પરિચિત કરાવવામાં એક માર્ગસૂચક સ્તંભ પુરવાર થયું.

હંગેરીના એલિઝાબેથ સસ-બૃનર અને તેમના પુત્રી એલિઝાબેથ બૃનરને ગાંધીને પ્રત્યક્ષ મળવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું હતું. આ બંને પ્રખ્યાત અને સમર્પિત ચિત્રકાર પોતાનાં સ્વપ્નને સાકાર કરવા ખાસ હેંગેરીથી ભારત ગયાં. રવીન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધી માટે તેમને સંનિષ્ઠ આદર હોવાથી એ બંને મહાનુભાવોની છબીનું આલેખન કરવાની પરવાનગી આપવામાં આવી હતી. તેઓએ કવિની શાંતિનિકેતનમાં મુલાકાત લીધી હતી અને સાબરમતી આશ્રમમાં નિવાસ કર્યો હતો. આ મહાન સ્વાતંત્ર્ય સેનાની કમનસીબે ત્યારે કારાવાસમાં કેદ હતા. છેવટ 1934માં તેઓ મહાત્માને બેંગ્લોરમાં મળ્યા અને યુવાન ચિત્રકારને ગાંધીએ પોતાના ચિત્ર માટે અનુમોદન આપ્યું. એલિઝાબેથ બૃનરનું ગાંધીનું એક માત્ર ચિત્ર એવું છે, જેને માટે ગાંધીએ પોતાની છબી ચિત્રિત કરવા માટે વિશિષ્ટ બેઠક આપી હોય.

ગાંધી અને તેમના સ્વતંત્રતાની ચળવળનું વર્ણન 1930માં પ્રગટ થયેલી રોઝસ હાજનેકઝી(Rozsa Hejneczy)ની નવલકથામાં વાંચવા મળે છે. તેમના પતિ, ગયુલા જરમાનુસ (Gyula Germanus), કે જેઓ એક ઇતિહાસવિદ અને પૂર્વના દેશોના ઇતિહાસના નિષ્ણાત હતા, તેમને શાંતિનિકેતન વિશ્વવિદ્યાલયમાં ઇસ્લામિક વિભાગ શરૂ કરવા અને અધ્યાપન કરવા ખુદ ટાગોરે નિમન્ત્રણ પાઠવેલું. જરમાનુસ અને તેમના પત્નીએ ભારતમાં ત્રણ વર્ષ કામ કર્યું, જેને કારણે તેઓને તત્કાલીન સામાજિક અને રાજકીય ઘટનાઓનું અવલોકન કરવાની તક મળી. એ નવલકથામાં ગાંધીની શાંતિપૂર્ણ ચળવળનું આલેખન થયું છે. ભારતમાં રહ્યા તે દરમિયાન જરમાનુસે મોડર્ન મુવમેન્ટ ઈન ઇસ્લામ અને ઇન્ડિયા ટુડે જેવા ઘણાં પુસ્તકો પ્રકાશિત કર્યાં. તેમના પુસ્તક : ધ લાઈટ ઓફ ઇન્ડિયા – મહાત્મા ગાંધી 1934માં બુડાપેસ્ટમાં પ્રકાશિત થયું, જેમાં તેઓ ગાંધીના જીવનની, તેમના ચારિત્ર્યની અને તેમની પાસેથી મળેલા બોધની ઝાંખી કરાવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણીને મળવાનું સદ્ભાગ્ય તેમને પણ મળ્યું હતું.

આપણે એક વધુ હંગેરિયનને પણ ભૂલવા ન જોઈએ. અલબત્ત, તેઓ હંમેશ પશ્ચાદભૂમિમાં રહ્યાં, પરંતુ ભારતની વીસમી સદીમાં આવેલ પરિવર્તનોના હંમેશ સાક્ષી રહ્યાં હતાં. શોભા (ફોરી – Fori) નહેરુ, બ્રિજ કિશોર નહેરુનાં પત્ની, કે જેમણે પોતાના દીર્ઘ આયુષ્ય દરમિયાન ભારતના ઇતિહાસને આકાર આપવામાં સક્રિય ફાળો આપ્યો હતો. બ્રિજ કિશોર નહેરુ ભારતના પ્રથમ વડા પ્રધાનના પિતરાઈ થાય. શોભાનું મૂળ નામ Magdolna Friedmann હતું, તેઓ હંગેરીમાં ન્યુમરસ ક્લૉસસ (numerous clausus) નામનો ધારો પસાર થયો ત્યાર બાદ હંગેરી છોડીને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં આગળ અભ્યાસ કરવા માટે આવ્યાં, જ્યાં તેમને ભાવિ પતિનો મેળાપ થયો. નહેરુ પરિવારના સભ્ય તરીકે મહાત્મા ગાંધીના પાર્થિવ શરીર પાસે જઈને શોક વ્યક્ત કરવાની તક તેમને મળેલી. ગાંધીની હત્યા બાદ એક મુલાકાતમાં તેમણે કહેલું કે પોતાના પતિની ગેરહાજરીમાં ભારતના એ શહીદને શ્રદ્ધાંજલિ આપવા આવતા વિદેશી મહાનુભાવોને આવકારવા તેઓ સદાય તત્પર રહેતાં.

અત્યાર સુધી આપણે ગાંધીના સમકાલીન લોકોની વાત કરી, જેમાનાં કેટલાકને મહાત્માને રૂબરૂ મળવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેમના અવસાનથી એક યુગનો અંત આવ્યો. ભારતના સીમાડાના ત્રણ ભાગલા સમયે થયેલા રક્તપાત અને હિંસાની સમાંતર સોવિયેટની સરહદની પેલી પારનું યુરોપ પણ વિભાજીત થયું. માહિતી પ્રસારણ અને પુસ્તકોનાં વેચાણ પર નિયંત્રણ લાદવામાં આવ્યું અને હંગેરિયન પ્રજાના ભારત વિશે પેદા થયેલ રસ પર આપખુદ અને જુલમી એવા સોવિયેત શાસનની નજર દાયકાઓ સુધી મંડાયેલી રહી. જો કે હંગેરીમાં એક તટસ્થ દેશ તરીકે ભારત પર તદ્દન પ્રતિબંધ મુકવામાં નહોતો આવ્યો. 1960ના દાયકામાં કવિ અને ભાષાંતરકાર ઈસ્તવાન યનોસિએ  (Istvan Janosy) ગાંધીનો સંદેશ વિવિધ અભ્યાસો દ્વારા જીવિત રાખ્યો કેમ કે તેમની દૃષ્ટિએ ગાંધીનું જીવન અનુકરણીય હતું અને પોતે પોતાની રીતે એનો અમલ કર્યો પણ હતો.

ગાંધી વિશે જાણકારી 1970ના દાયકામાં ફરી પ્રચલિત થઈ, ખાસ કરીને વીરા ગાથી(Vera Gathy)નાં લખાણોને કારણે. એક ઇતિહાસવેત્તા અને સમાજશાસ્ત્રી હોવાને નાતે ગાથીએ તેમના વિદ્વત્તાભર્યા અભ્યાસમાં સ્વતંત્રતાની લડતનો અને ગાંધીની સર્વોપરી ભૂમિકાનો વિગતે અહેવાલ આપ્યો. 1970માં તેમણે એ મહાન નેતા વિશે એક નિબંધ પ્રકાશિત કર્યો. તેમણે આધુનિક ભારત વિશે સવિસ્તાર લેખ લખ્યા અને 2017માં અવસાન થયું, ત્યાં સુધી તેઓ હંગેરીમાં ગાંધી વિશે વિશ્વસનીય માહિતી ધરાવનાર પ્રથમ વ્યક્તિ માનવામાં આવતાં હતાં. ઈ.સ. 2000માં ભારત અને થાઈલેન્ડ ખાતે રાજદ્વારી સેવાઓ આપી ચૂકેલા આન્દ્રાસ બલોઘ (Andras Balogh) સાથે તેમણે ગાંધી વિશે પુસ્તક પણ લખેલું. ભારતમાં રહી ચૂકેલા એક જાણીતા રાજકીય ખબરપત્રી ગાયૉર્ગી કાલમાર (Gyorgy Kalmar) દ્વારા લખાયેલું બીજું મહત્ત્વનું પુસ્તક છે : ગાંધી. ડ્રિમ્સ – પોલિટિક્સ – રિયાલિટી. 

નવી સહસ્રાબ્દીમાં હંગેરીમાં વિદ્વાનોની નવી પેઢી ઉભરી રહી છે જેઓ ગાંધીના રાજકીય અને ઐતિહાસિક કર્મશીલતા પરથી દૃષ્ટિ ખસેડીને ગાંધીના રાજકીય અને ધાર્મિક તત્ત્વજ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અથવા કહો કે તેમના વ્યવહારુ જીવનથી સિદ્ધાંતો તરફ નજર કરે છે. એ વિદ્વાનોમાંથી સહુથી વધુ પ્રખ્યાત છે, ડેઝસો સઝનકોવિકસ (Dezsō Szenkovics), જેમનો સંશોધન નિબંધ “સેન્ટ્રલ કોન્સેપ્ટ ઓફ મોહનદાસ કરમચંદ ગાંધીઝ ફિલોસોફી” શીર્ષક હેઠળ છપાયો. લેખક હંગેરિયન ભાષામાં પ્રકાશન કરે છે, પરંતુ રહે છે રોમેનિયાના હંગેરિયન વસાહતીઓના ટ્રાન્સિલવેનિયા વિસ્તારમાં. બીજાં નાના પ્રકાશનો સામાન્ય જનતાને લક્ષ્યમાં રાખીને લખાય છે તે ગાંધીના માનવ જીવનને સમગ્રતાથી જોવાની દૃષ્ટિ, પર્યાવરણ વિશેના વિચારો, સમાજમાં શ્રમવિભાજન વિશેના ખ્યાલો, સ્ત્રી-પુરુષની ભૂમિકા, સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના નિયમો વગેરે વિશે પ્રકાશ પાડે છે. એક પુસ્તકમાં આના આકલાન (Anna Aklan) દ્વારા કાળજીપૂર્વક પસંદ કરવામાં આવેલાં ગાંધીના અવતરણોનું સંપાદન થયું છે. 2021માં Világtörténet (વૈશ્વિક ઇતિહાસ) નામના સામયિકનો એક ખાસ અંક ગાંધી વિશે બહાર પાડવામાં આવ્યો હતો. ગાંધીની 150મી જન્મજયંતીની સ્મૃતિમાં 2020માં યોજવામાં આવેલ પરિષદમાં “ફિગર ઓફ મહાત્મા ગાંધી ઈન હિસ્ટ્રી એન્ડ કલ્ચરલ મેમરી” શીર્ષક હેઠળ રજૂ કરાયેલ પેપર્સનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ગાંધીનાં લખાણોના હંગેરિયન ભાષામાં અનુવાદ કરવાના મહત્ત્વના કાર્યનો પ્રારંભ થઇ ગયો છે. ગાંધી એક સિદ્ધહસ્ત લેખક હતા એ સર્વવિદિત હકીકત છે. જો કે તેમના લેખ મોટે ભાગે તેઓ પોતે સંપાદન કરતા એ સામયિકોમાં પ્રકાશિત થતા. પુસ્તકોમાં સહુથી વધુ પ્રસ્તુત તેમની આત્મકથા અને હિન્દ સ્વરાજ છે, જેનો હંગેરિયન ભાષામાં અનુવાદ થયો છે અને એક કરતાં વધુ વખત પ્રકાશિત થઈ ચૂકી છે.

ગાંધી વિશે લખાયેલાં માહિતીસભર પુસ્તકો ઉપરાંત હંગેરીમાં તેમની સ્મૃતિ બીજી રીતે પણ જળવાઈ રહી છે. ગ્યુલા યુહસઝ (yula Juhász) જેવા ઘણા કવિઓ અને લેખકોને તેમના જીવનમાંથી પ્રેરણા મળી, જેમણે 1924માં રચેલી પોતાની કવિતા ગાંધીને અર્પણ કરેલી. ઈસ્તવાન યાનોસી(István Jánosy)એ પણ 1960ના દાયકામાં ઘણા કાવ્યો ગાંધીને અર્પણ કર્યા હતા. સુવિખ્યાત લેખક લાઝલો નેમેથે 1963માં ( Laszló Németh) “ગાંધીનું મૃત્યુ” શીર્ષક હેઠળ એક નાટક લખેલું.

લલિતકલા ક્ષેત્રે બુડાપેસ્ટમાં એક સમૂહ પ્રતિમામાં ગાંધીનો સમાવેશ થયો છે, જ્યાં દુનિયાની મહાન ધાર્મિક હસ્તીઓની પ્રતિમા વર્તુળાકારે મૌન ધરીને એકઠી થઇ છે. હંગેરિયન સ્થપતિ નાન્દોર વાગનરે (Nándor Wagner) જ્યારે ડેન્યુબ નદીને નિહાળતા એક લોકપ્રિય ટેકરા ગેલર્ટ હિલની ટોચ પર કેટલીક પ્રતિમાઓના ઝુમખા “ધ ગાર્ડન ઓફ ફિલોસોફર્સ”ની રચના કરી ત્યારે તેને આ કલ્પના આવી. દુનિયાના બધા ધર્મો વચ્ચે પરસ્પર વિશે સમજણ કેળવાય અને તેને પ્રોત્સાહન મળે એ કલાકારનો હેતુ હતો. પ્રતિમાઓના અંદરના વર્તુળમાં કલાકારે પાંચ મુખ્ય ધર્મના સ્થાપકો – એબ્રાહમ, જીસસ, બુદ્ધ, લાઓઝી અને અખેનાટનની પ્રતિમાઓ છે. તેની ફરતે વર્તુળ છે તે મોટા સફરજનના કદનું છે, જે આ મુખ્ય ધર્મો જેની પૂજા કરે છે તેમાં સમાનતા દર્શાવવા રચાયેલું છે. મહાત્મા ગાંધી, દારૂમા દાઈશી (બોધિધર્મ) અને જેને વેગનર આધ્યાત્મિક નવજાગૃતિનું સંવર્ધન કરનારા માને છે તે સંત ફ્રાન્સિસની પ્રતિમાઓ છે, જેમાં ગાંધીની પ્રતિમા સહુથી વધુ સહેલાઈથી પિછાની શકાય તેવી છે.

ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે હંગેરિયન ટપાલખાતાએ ગાંધીની સ્મૃતિમાં ટિકિટ બહાર પાડેલી. આ ટપાલ ટિકિટની વિશિષ્ટતાને કારણે હંગેરીમાં અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ટિકિટ સંગ્રહ કરનારાઓના મનમાં રાષ્ટ્ર્પિતાની સ્મૃતિ તાજી થઇ. પુસ્તકો અને લલિતકલા ઉપરાંત ગાંધીના વિચારોનો પ્રભાવ 1980ના દાયકા દરમિયાન થયેલા સત્તા પલટા વખતે વિશિષ્ટ રીતે અભિવ્યક્ત થયો હતો. સમગ્ર દેશમાં સામ્યવાદના દમનનો અનુભવ થતો હતો અને ગુપ્ત સ્થળે યોજાતી મિટિંગમાં પગલાં ભરવાની પ્રેરણા બળવત્તર બનતી જતી હતી. અનૌપચારિક અને બહારના નિયંત્રણ વિનાના સમીઝદાત નામનાં લખાણો લોકો વચ્ચે વહેંચાઈ રહ્યા હતા. બુદ્ધિજીવી લોકો ખાનગીમાં ‘હિન્દ સ્વરાજ’ની નકલો વાંચી રહ્યા હતા અને ભારતની સ્વાતંત્ર્યની  ચળવળ સાથે તાદાત્મ્ય જ માત્ર નહોતા અનુભવતા, પરંતુ તેને ગંભીરતાથી પ્રેરણાદાયી પણ માનવા લાગ્યા હતા. 1956માં હંગેરીના લોકોએ એ બોધ લીધો કે લડતમાં શસ્ત્રોનો ઉપયોગ અને તમામ પ્રકારના હિંસક પગલાંઓ નિવારવા. ગાંધીએ તેમને સવિનય કાનૂન ભંગ મારફત મુક્તિ માટે સફળતાનો માર્ગ બતાવ્યો.

ગાંધી અને સાંપ્રત હંગેરી વચ્ચે જે જોડાણ થયું છે તેમાં એ મહાન આત્માની છેવાડાના લોકો પ્રત્યેની અનુકંપાનું પ્રતિબિંબ પડે છે. હંગેરીમાં રોમા જાતિના લોકો માટે શરૂ કરાયેલી ઉચ્ચ માધ્યમિક શાળાને ગાંધીનું નામ આપવામાં આવ્યું છે, અને એ રીતે વંચિત સમાજમાંથી આવેલા અને કઠિન પરિસ્થિતિમાં ઉછરેલા લોકો માટે એ મહત્ત્વની શૈક્ષણિક સંસ્થા બની. ગાંધી સેકન્ડરી સ્કૂલ પેક્સ, એ માત્ર હંગેરીમાં જ નહીં, બલકે આખા યુરોપમાં રોમા જાતિ માટેની એક અદ્વિતીય શાળા છે. વિદ્યાર્થીઓને મેટ્રિકની પરીક્ષા માટે સામાન્ય શિક્ષણ આપવા ઉપરાંત ત્યાં રોમા જાતિનો ઇતિહાસ અને તેમના મૂળ વતન ભારતનો ઇતિહાસ પણ ભણાવવામાં આવે છે. આ રીતે રોમા વિદ્યાર્થીઓ બહુમતી પ્રજાની સંસ્કૃતિમાં ભળી જવાનો પ્રયત્ન કરે તેની બદલે પોતાના મૂળ દેશ અને સંસ્કૃતિ માટે આદર વધારે તેવો પ્રયત્ન કરવામાં આવે છે.

ગાંધીના જીવન અને કાર્યની અસર તેમના જીવનકાળ દરમિયાન કેવી થઇ હતી તેનું માપ મહાન વૈજ્ઞાનિક અને વિચારક આલ્બર્ટ આઇન્સ્ટાઇને તેમના વિષે લખેલું તેના પરથી કાઢી શકાય :

“રાજકીય ઇતિહાસમાં મહાત્મા ગાંધીના જીવનની સિદ્ધિઓ અનેરું સ્થાન ધરાવે છે. તેમણે વિદેશી દમન નીચે કચડાતા દેશની મુક્તિ માટે એક તદ્દન નવો અને માનવીય માર્ગ ચીંધ્યો, અને તેનો અમલ અદ્દભુત તાકાત અને નિષ્ઠાથી કર્યો. આપણે ક્રૂર હિંસક બળની વધુ પડતી કિંમત આંકીએ છીએ, પરંતુ આખી સભ્ય દુનિયાના જાગૃત અને બુદ્ધિ પૂર્વક વિચાર કરનારા લોકો પર આપણે ધારીએ છીએ તેના કરતાં એમનો નૈતિક પ્રભાવ વધુ ચિરસ્થાયી હશે. એવા જ રાજદ્વારી વ્યક્તિઓનાં કાર્યોની અસર ચિરંજીવ બને જેઓ પોતે જાગૃત થાય અને પોતાના જીવનના દૃષ્ટાંત મારફત તથા શિક્ષણ દ્વારા પોતાની પ્રજાની નૈતિક શક્તિને મજબૂત કરે. આપણે બધા એ વાતથી ખુશ થઈએ અને નિયતિએ આપણને આવા પ્રબુદ્ધ અને પેઢીઓ સુધી જોવા ન મળે તેવા આદર્શ વ્યક્તિના સમકાલીન બનવાનું સદ્દભાગ્ય આપ્યું તે માટે આભારી થઈએ. આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે કે આવી કોઈ હાડ ચામની બનેલી વ્યક્તિ આ પૃથ્વી પર વિચરતી હતી.” 

નૈતિક રીતે માન્ય હોય તેવા માર્ગે શાંતિ અને મુક્તિની શોધ કરનારા દેશો વચ્ચે ઘણું ઐક્ય કેળવાય છે. એલિઝાબેથ સસ-બૃનર એ વાત આ શબ્દોમાં કહે છે :

“આ તાકાત (રાષ્ટ્રની મુક્તિની) સવાલો નથી પૂછતી, બસ, મને ઊંચકીને લઇ જાય છે. ક્યાં? સમુદ્ર તરફ, સમુદ્રતરંગ સુધી, એક એવા મુકામ પર જ્યાં કોઈ અલગ ખેવના નથી હોતી – આ પ્રેમ, આ તાકાત, આ સર્વોત્તમ અનોખી ચાલક શક્તિ મહાત્મા ગાંધીમાં આત્મસાત થયેલી છે. આ એવી તાકાત છે, જે કોઈને ડરાવતી નથી અને પોતે કોઈથી ડરતી નથી – એનું અસ્તિત્વ કાયમ રહે છે અને તે આખી દુનિયાને ગતિશીલ રાખે છે.”  

e.mail : 71abuch@gmail.com  

Loading

...102030...751752753754...760770780...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved