Opinion Magazine
Number of visits: 9457423
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ્યવસાયિક સફળતા અંગત જીવનની સફળતાની ગેરંટી નથી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 November 2023

રાજ ગોસ્વામી

ભારતીય ક્રિકેટના ઝડપી બોલર મોહમ્મદ શમીનો આજકાલ શાનદાર સમય ચાલી રહ્યો છે. હાલમાં પૂરા થયેલા આઈ.સી.સી. મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ-2023માં ભારતના મુખ્ય ઝડપી બોલર તરીકે તેણે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ભારત માટે 177 મેચોમાં 415 વિકેટ ખેરવીને શમીએ પોતાની સમૃદ્ધિ ઊભી કરી છે. તેના નામે 100 વિકેટ સુધી પહોંચનાર સૌથી ઝડપી ભારતીય બોલરનો રેકોર્ડ બોલે છે, અને વન-ડે વર્લ્ડ કપ મેચમાં હેટ્રિક બનાવનાર માત્ર બીજો ભારતીય ક્રિકેટર છે. તેણે મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ સેમિફાઇનલમાં સાત વિકેટ ઝડપીને વડા પ્રધાનથી લઈને અદના આદમીનાં દિલ જીતી લીધાં હતા.

શમીની ઉંમર 33 વર્ષ છે. તેનો જન્મ 3 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના અમરોહામાં થયો હતો. શમીએ મુખ્યત્વે પશ્ચિમ બંગાળમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી હતી. તેનું ક્રિકેટ જીવન જેટલું શાનદાર ચાલી રહ્યું છે, તેટલું જ તેની અંગત જીવન ઊથલપાથલમાંથી પસાર થઇ રહ્યું છે.

મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. બંને વચ્ચે કોઈ કાનૂની છૂટાછેડા નથી, પરંતુ 2018માં ઘરેલું હિંસા અને વ્યભિચારના આક્ષેપ બાદ દંપતી અલગ રહે છે. જ્યારે સેમી ફાઈનલમાં મોહમ્મદ શમીએ 7 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો, ત્યારે તેની બેગમે એક સૂચક બયાન કર્યું હતું.

ખાવિંદની સિદ્ધિ અંગે મીડિયાવાળાઓના સવાલોના જવાબ આપતાં તેણે કહ્યું હતું, “એક ખેલાડી તરીકે તે જેટલો સારો છે, તેટલો જ તે એક માણસ તરીકે સારો હોત, તો અમે સરસ જીવન જીવતાં હોત. એ જો સારો માણસ હોત, તો હું, મારી દીકરી અને મારા પતિ એક સુખી જીવન વ્યતીત કરતાં હોત. તે એક સારો પતિ અને સારો પિતા હોત, તો એક ખેલાડી તરીકે તેને વધુ સન્માન અને ગૌરવ મળ્યું હોત.”

હસીન જહાં પાસે આવું કહેવા માટેનાં પર્યાપ્ત કારણો હશે અને સામે પક્ષે શમી પાસે પણ કહેવા માટે મુદ્દાઓ હશે. એમાં કોણ સાચું અને કોણ ખોટું એ આપણો વિષય નથી. બંને વચ્ચેનો ખટરાગ તેમનો અંગત વિષય છે અને આપણે તેના વિશે ટિપ્પણી કરવી ન જોઈએ, પરંતુ બેગમની વાત પરથી એક બહોળો મુદ્દો ઊભો થાય છે; વ્યવસાયિક જીવનમાં સફળ વ્યક્તિ અંગત જીવનમાં કેમ નિષ્ફળ હોય છે? અથવા વ્યવસાયિક રીતે સફળ વ્યક્તિએ અંગત જીવનમાં પણ અનિવાર્યપણે સફળ હોવું જ જોઈએ?

આ મુદ્દો સમજાવા જેવો છે, કારણ કે શમી ઇતિહાસનો પહેલો કે છેલ્લો માણસ નથી, જે વ્યવસાયમાં સફળ હોય અને અંગત જીવનમાં નિષ્ફળ. જાણીતા, અજાણ્યા એવા ઘણા લોકો હોય છે, એક ક્ષેત્રમાં જેટલા સફળ હોય છે, બીજા ક્ષેત્રમાં એટલા જ નિષ્ફળ હોય છે.

તેનું મુખ્ય અને પહેલું કારણ એ છે કે સફળતા-નિષ્ફળતા સબ્જેક્ટિવ હોય છે, સાપેક્ષ હોય છે અને તે વ્યક્તિગત સંજોગો તેમ જ પરિપ્રેક્ષ્ય પર આધારિત હોય છે. ધારો કે, શમી કોઈ સ્કૂટર ગેરેજમાં કામ કરતો હોત, અને ત્યાંથી તેને કાઢી મુક્યો હોત, તો શું આપણે તેના નિષ્કાસનની  સરખામણી તેના લગ્ન સાથે કરી હોત? કદાચ ઊંધું થયું હોત; તેના માટે આપણી હમદર્દી વધી ગઈ હોત કે “જુવોને બિચારો! ના લગ્નમાં સુખી છે, ના વ્યવસાયમાં!”

જે શમીને આજે સફળ બોલર તરીકે માથા પર ચઢાવવામાં આવે છે, તે જ શમીને હજુ થોડા દિવસ પહેલાં તેના ધર્મને લઈને ભયંકર ટ્રોલ કરવામાં આવતો હતો. વ્યવસાયિક ક્રિકેટર તરીકે તેને લઘુમતી હોવાની આભડછેટ મહેસૂસ કરવી પડે એ પણ તો તેની નિષ્ફળતામાં ગણાય ને! પરંતુ દરેક વસ્તુ સરખામણીના લેન્સમાંથી અલગ નજર રીતે નજર આવતી હોય છે. આપણે કયો લેન્સ પહેરીને જોઈએ છીએ તેના પર એ નિર્ભર કરે છે. ગાંધીજીના પુત્ર હરિલાલે, હસીન જહાંની જેમ, કહ્યું હતું કે દેશ માટે જે રાષ્ટ્રપિતા હતા તે પિતા તરીકે નિષ્ફળ હતા.

આના પરથી બીજી મહત્ત્વની વાત સમજવા જેવી એ છે કે વ્યવસાયિક જીવનમાં સક્રિય પ્રયાસોની ઇચ્છિત પરિણામ મળી શકે છે. એમાં તમારા પ્રયાસોનું મહત્ત્વ હોય છે, માણસ તરીકે તમે કેવા છો તેનું નહીં. અંગત જીવનમાં, અથવા સંબંધોમાં, તમે માણસ તરીકે જેવા હોવ તેવો જ પ્રભાવ હોય છે. બીજી રીતે કહીએ તો, ક્રિકેટ મેચમાં નેટ પ્રેક્ટિસ કરીને તમે સદી ફટકારી શકો, અથવા બોર્ડની પરીક્ષા અગાઉ રાત-દિવસ ભણીને પહેલો નંબર લાવી શકો, પણ સંબંધમાં ના તો મેચ હોય છે કે પરીક્ષા. એમાં તમારું વ્યક્તિત્વ પ્રતિબિંબિત થાય છે, પ્રયાસ નહીં.

તમે માણસ તરીકે જેવા હોવ, વ્યક્તિગત જીવન એ પ્રમાણે વિકસિત થાય છે. પ્રેમ નેટ પ્રેક્ટિસથી પ્રાપ્ત ન થાય. તમે તમારા જીવનસાથી, મિત્ર, પ્રેમી કે માર્ગદર્શક સાથેનો તમારો સંબંધ ખરાબ ન થાય તે માટે મહેનત કરી શકો, પરંતુ તે પ્રેમ મેળવવા માટે દબાણ ન કરી શકો. તમે કોઈ વ્યક્તિને અનુકૂળતા મહેસૂસ થાય તેવા બનો અને એ વ્યક્તિ તેની કદર કરે, તો પ્રેમનો સંબંધ કેળવાય છે. તમે પ્રેમ માટેની પાત્રતા કેળવવાનો પ્રયાસ કરી શકો અને પછી પ્રેમ સહજ રીતે તમારી પાસે આવે. તમે એટલું જ કરી શકો. એ સિવાય બીજી મહેનત વ્યર્થ જાય છે.

ત્રીજી વાત. ઘણીવાર એવું બનતું હોય છે કે જે કારણોથી તમે વ્યવસાયિક જીવનમાં સફળ થાવ છો, કદાચ એ જ કારણોથી અંગત જીવનમાં નિષ્ફળ જાવ છો. મતલબ એ કે માળખાગત પરિસ્થિતિ(જેમ કે વ્યવસાયિક જીવન)માં તમારી પ્રતિભા જે રંગ લાવે છે, તે જ પ્રતિભા બિન-માળખાગત (જેમ કે અંગત જીવન) પરિસ્થિતિમાં તમને આડી આવે છે.

ઉદાહરણ તરીકે, તમને તે માળખાની અંદર રહીને સમસ્યાનું સમાધાન કેવી રીતે શોધવું તે આવડી ગયું છે. તમે માળખાનો અભ્યાસ કરીને તેની ઊંડી સમજ કેળવી લો પછી માળખાના કારણે ઊભી થતી કોઈપણ સમસ્યા તમારા માટે સમસ્યા નથી રહેતી. તમે ઝડપથી અને સંક્ષિપ્તમાં તેનો જવાબ શોધી શકો છો.

જેમ કે ક્રિકેટનું એક ચોક્કસ માળખું છે, તેના નિયમો છે, તેની યુક્તિઓ છે. તમે તમારી જાતને એ સીમારેખાઓની અંદર ટ્રેઈન કરી દો, પછી કેવી રીતે બોલ કે બેટથી ખેલવું એ ડાબા હાથનો ખેલ બની જાય. જેટલી વધુ સારી ટ્રેનિંગ, એટલી વધુ ગેરંટી કે તમે સફળ જાવ.

સમસ્યા એ છે કે વ્યક્તિગત જીવનમાં ભાગ્યે જ એવું માળખું હોય છે. હકીકતમાં, એમાં સાચો જવાબ શોધવાનો પ્રયાસ જ સંબંધોમાં જટિલતા પેદા કરે છે. કારણ કે એમાં તમે સતત મનમાં સામેની વ્યક્તિનું, તેની વાતોનું, તેના વર્તનનું વિશ્લેષણ કરો છો. તમે જેટલું વધુ વિશ્લેષણ કરો છો, એટલા વધુ તમે તે વ્યક્તિથી અલગ-થલગ થાવ છો.

ટૂંકમાં, વ્યવસાયિક જીવનની સમસ્યાઓ અને તેનાં સમાધાન અંગત જીવનની સમસ્યાઓ અને તેનાં સમાધાનથી એકદમ વેગળાં હોય છે. એટલે એક ક્ષેત્રમાં કારગત નીવડેલી ક્ષમતા બીજા ક્ષેત્રમાં કારગત નથી નીવડતી. વ્યવસાયિક દુનિયા સંરચિત અને ઔપચારિક હોય છે, અંગત દુનિયાના સંબંધો પ્રવાહી અને અવ્યવસ્થિત હોય છે.

ચોથું, કેટલાક સફળ લોકો તેમના વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનને આસાનીથી સંતુલિત કરી શકતા નથી, જે તેમના સંબંધો પર પ્રેસર ઊભું કરે છે. અમુક લોકો તેમની કારકિર્દીના સ્ટ્રેસ અને પ્રેસરને ઝીલી શકતા નથી, જેનાથી તેમનાં અંગત સંબંધો પ્રભાવિત થાય છે. વધુમાં, અમુક સફળ લોકોના વ્યક્તિત્વની ખાસિયતો કે આદતો હોય છે, જે સફળ સંબંધો માટે અનુકૂળ નથી હોતી. અંતત: સંબંધોની સફળતા અને નિષ્ફળતાનાં કારણો વ્યક્તિએ વ્યક્તિએ વિશેષ અને નોખાં હોય છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 26 નવેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઝવેરીલાલ એટલે ઝવેરીલાલ

ધીમંત પુરોહિત|Opinion - Opinion|28 November 2023

ઝવેરીલાલ મહેતા એક વ્યક્તિનામ માત્ર નથી, ફોટો જર્નાલીઝમના એક આખા યુગનું નામ છે. એમના સુવર્ણ કાળમાં પણ એ એક અને અનન્ય હતા અને આજે પણ એમની જોડનો કોઈ નથી. વ્યવસાયી ઉપરાંત, વ્યક્તિત્વમાં પણ રજવાડી. એમના જીવનમાં ઢીલું પોચું કે કરચલીવાળું કઈ ના મળે. ૯૭ વર્ષે પણ ટટ્ટાર, ટકોરાબંધ અને ટીપટોપ, એમની ટ્રેડમાર્ક હેટ સાથે ચાલતા. એટલે જ જુઓને, આ લોક છોડીને પરલોકમાં જવાનું મહુરત પણ કેવું પસંદ કર્યું, દેવ દિવાળીનું. સાંજના એમણે આખરી શ્વાસ લીધો ત્યારના લોકો એમના ઉત્સવસભર જીવનને અંજલિ આપતા ફટાકડા ફોડે છે.

આમ તો એમનો પરિચય છાપાં વાંચતા શીખ્યો ત્યારનો. ‘ગુજરાત સમાચાર’ વાંચવાની શરૂઆત પહેલા પાને એમનો ફોટો અને એની નીચેની ફોટોલાઈનો વાંચીને જ થાય. ક્યારેક એમની ફોટોલાઈનો ફોટા કરતાયે લાંબી હોય. ફોટો એવો કે એ જોઇને થાય, કે આને ફોટોલાઈનની શી જરૂર! અને ફોટોલાઈન વાંચીને થાય, કે આમાં તો નવો જ ફોટો પ્રગટ્યો. ભારતમાં જ નહિ, દુનિયાભરમાં ફોટા નીચે વિગતવાર ફોટોલાઈનોની શરૂઆત કરનારા અને એને પ્રચલિત કરનારા આપણા ઝવેરીલાલ.

એમનો રૂબરૂ પરિચય ૧૯૯૦ની એક સાંજે થયો, જયારે ગુજરાતી પત્રકારત્વ અને ‘ગુજરાત સમાચાર’માં મેં પહેલો પગ મુક્યો. જોગાનુજોગ, ફોટોગ્રાફર શૈલેશ રાવલનો પણ એ પહેલો દિવસ હતો. ‘ગુજરાત સમાચાર’માં ઝવેરીલાલનું એકચક્રી શાસન. બીજા સીનિયર ફોટોગ્રાફર જી.એચ. માસ્ટર હતા, પણ ઝવેરીલાલનાં તાપ સામે એ ભલા માણસ. હવે ત્રીજા ફોટોગ્રાફર તરીકે શૈલેશ રાવલની એન્ટ્રી થઇ. મોડી સાંજે આપણા હીરો ઝવેરીલાલ તંત્રી વિભાગમાં પ્રવેશ્યા અને મારા ટેબલ પર જ એમની કેમેરા બેગ મૂકી બોલ્યા, “મારી દુકાન આગળ એક લારી (જી.એચ. માસ્ટર) તો હતી, હવે ખુમચાવાળો (શૈલેશ રાવલ) પણ આવી ગયો! ગમે તે આવે ને જાય, પહેલા પાને ચાર કોલમ તો શેઠે કાયમ માટે આપણને જ ભાડે આપી દીધી છે!” આ ઝવેરીલાલનો કાયમી મિજાજ, કોઈની સાડાબારી રાખ્યા વિના પોતાના મનમાં આવે એ બોલી નાખવું. પછી પોતે ફોડેલા બોમ્બની અસરની ચિંતા કર્યા વિના, સુરેશ મિસ્ત્રીને લઈને  ડાર્ક રૂમમાં ફોટો ડેવલપ કરવા જતા રહે. બીજે દિવસે પહેલે પાને એમનો જ ફોટો હોય એ કહેવાની જરૂર ખરી? એ વખતે પણ એમની ઉંમર ૬૫ વર્ષની હતી. ૭૫ વર્ષની ઉંમર પછી એમણે ‘ગુજરાત સમાચાર’ જવું બંધ કરેલું, પણ ‘ગુજરાત સમાચાર’માં એમની ફોટોગ્રાફી તો એમના ૯૭ વરસ સુધી ચાલી. લાગલગાટ અડધી સદીથી પણ વધુ, એમના અંતિમ શ્વાસ સુધી.

આમ તો એ મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં કોમર્સીઅલ આર્ટીસ્ટ થઇ, અમદાવાદની અરવિંદ મિલમાં કાપડની ડીઝાઈન બનાવવાની નોકરીએ લાગેલા, પણ મૂળે જીવ છાપાનો એટલે ફોટા પાડીને અલગ અલગ છાપાંમાં આપે. ૧૯૭૨નાં અરસામાં ‘ગુજરાત સમાચાર’ના શાંતિલાલ શાહને દિલ્હીમાં એક ફોટોગ્રાફરની જરૂર વર્તાઈ અને એમણે ઝવેરીલાલને કહેણ મોકલ્યું. ઝવેરીલાલ તો આવી તક અને પડકારની  જ રાહ જોતા હતા. થોડા સમયમાં જ એમણે ત્યાં એવો સિક્કો જમાવ્યો, કે વડા પ્રધાન ઇન્દિરા ગાંધી એમને રક્ષાબંધને રાખડી બાંધતાં થયાં.

ઝવેરીલાલ મશ્કરા પણ બહુ. ભલભલાની ફિલમ ઉતારે. મિમિક્રી પણ આબેહૂબ કરે. એમના નખરા અને હીરોગીરી જોઇને ક્યારેક થાય કે ઝવેરીલાલ મહેતા છાપાને બદલે રંગભૂમિ કે ફિલ્મોમાં ગયા હોત તો રમેશ મહેતા જેવા જ મહા નટ થયા હોત. ગમે તે મંચ હોય, ઝવેરીલાલના કેમેરાના ફોકસમાં હંમેશાં જીવન રહ્યું. એ કહેતા પણ, હું ચોપડા નથી વાંચતો, માણસોના ચહેરા વાંચું છું. એમના પત્રકારત્વમાં આવ્યા અગાઉ, છાપામાં પહેલા પાને નેતાઓના ઉદ્દઘાટનમાં રિબીન કાપતા કે દીપ પ્રગટાવતા ઔપચારિક ફોટા જ છપાતા. સૌપ્રથમ ઝવેરીલાલ જ સામાન્ય માણસને છાપાના પહેલે પાને લઇ આવ્યા.

હજુ તો છ મહિના પહેલા જ એમને રૂબરૂ મળવાનું થયું, ત્યારે કલ્પના નહોતી કે આ છેલ્લીવારનું હશે. શ્રેયાન્શભાઈ શાહે ‘ગુજરાત સમાચાર’ના ૯૦ની આસપાસ પહોચેલા ચાર જૂના જોગીઓ – ઝવેરીલાલ મહેતા, હરીશ નાયક, યશવંત મહેતા અને નટુ મિસ્ત્રી – નું એક અનૌપચારિક મિલન એમને બંગલે રાખ્યું હતું. એ વખતનો આ ફોટો જુઓ, એમાં ઝવેરીલાલનો ઉત્સાહ જોતા  લાગતું હતું, કે એમના શતાબ્દી સમારોહમાં બહુ રોનક હશે.

એ પછી થોડા સમય બાદ એમનો ફોન આવ્યો, ૯૭ વરસે એ જ ટકોરાબંધ અવાજ, “બાપુ, ચ્યવનપ્રાશ કયો સારો? મારે શરૂ કરવો છે, હવે ફોટા પાડવા જાઉં ત્યારે થોડો થાક વર્તાય છે!”

સૌજન્ય : ધીમંતભાઈ પુરોહિતની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

નથી આ શાસક પક્ષને શોભતું કે નથી શોભતું વિપક્ષને-

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 November 2023

રવીન્દ્ર પારેખ

વર્લ્ડ કપ-2023ની ફાઇનલમાં ભારતની હારને ઘણા ક્રિકેટ રસિકોએ બહુ ખેલદિલીથી સ્વીકારી, પણ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ એ જીતને જીરવી ન શક્યા. ઓસ્ટ્રેલિયન ઓલ રાઉન્ડર મિશેલ માર્સે વર્લ્ડ કપની ટ્રોફી પર પગ મૂકી ફોટો પડાવ્યો ને કેપ્ટન પેટ કમિન્સે તે ફોટો ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ પણ કર્યો. એક તરફ પહેલીવાર વર્લ્ડ કપ જીતતો ભારતીય કેપ્ટન કપિલદેવ ટ્રોફી માથે મૂકીને તેનું ગૌરવ કરે છે ને બીજી તરફ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટ્રોફી પર પગ મૂકી તેનું અપમાન કરે છે. આમ કરીને તો તે પોતાનું છીછરાપણું જ પ્રગટ કરે છે. ઓસ્ટ્રેલિયન ટીમ માટે કોઈને જ ગૌરવ ન રહે એ રીતનો ટ્રોફી સાથેનો વ્યવહાર મિશેલના આત્મવિશ્વાસને નહીં, પણ તેના અહંકારને જ પ્રગટ કરે છે. આ એક મોટી ભૂલ છે, પણ તે કબૂલ કરવા જેટલો વિવેક તો ઓસ્ટ્રેલિયન ટીમમાં ક્યાંથી હોય?

આનાથી વધુ છીછરી માનસિકતા વર્લ્ડ કપ 2023ને નિમિત્તે રાજકીય પક્ષોએ પ્રગટ કરી છે જે વધારે શરમજનક છે. એક તરફ પાંચ રાજ્યોની ચૂંટણી અને બીજી તરફ આવી રહેલી લોકસભાની ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો સામા પક્ષનું અપમાન કરીને જ પોતાનું સ્વમાન જાળવી લે છે. શરમ અને સંકોચ કોઈ પણ પક્ષને ન રહે તો સમજવું કે ચૂંટણી આવી રહી છે અથવા તો ચાલી રહી છે. અત્યારે આ બંને સ્થિતિ છે ત્યારે મોટે ભાગે રાજકીય પક્ષોને ક્યાં ય ચામડી જ રહેતી નથી કે કોઈ વાતે રૂંવાડું ફરકવાનો સવાલ રહે, પરિણામે વાત સામસામા આક્ષેપો અને અપમાન સુધી આવી રહે છે. ગરિમા જેવો શબ્દ લગભગ આઉટડેટેડ થઈ ગયો છે એટલે હીન કોટિના આક્ષેપો કરવાનું ભાગ્યે જ કોઈ ચૂકે છે. ચૂંટણી એટલે જ સામેવાળાને નીચા બતાવી પોતાનું છીછરાપણું શિખર પર મૂકવું. સદ્દભાગ્યે આવી તક કોઈ ચૂકતું નથી. હેતુ એક જ હોય છે – સામેવાળાને નિર્વસ્ત્ર કરતાં જઈને પોતાની નગ્નતા ખુલ્લી કરવી. આ બધાંમાં પ્રજા ક્યાં ય આવતી નથી ને વાતો તો પ્રજા હિતની જ થાય છે. જો કે, પ્રગટ હેતુ તો સત્તા મેળવવાનો જ રહે છે. જેની પાસે સત્તા છે તે ટકાવી રાખવા માંગે છે ને નથી તે મેળવવા મથે છે. એને માટે કોઈ પણ પાપ કરવાનો કોઈને જ વાંધો નથી હોતો, ગમ્મત એ છે કે આ બધું પાછું ચોર કોટવાળને દંડે એ ન્યાયે થાય છે.

બન્યું એવું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ ખાતે વર્લ્ડ કપની ફાઇનલ જોવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. દરેક ટીમને હરાવી ચૂકેલું ભારત વર્લ્ડ કપ જીતશે જ એવી આગોતરી ખાતરી ભારતીય ટીમ માટે આખા દેશની હતી, પણ ઘોડું દશેરાએ જ ન દોડ્યું ને વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાના કબજામાં ગયો. બહુ થાય તો ક્રિકેટ રસિકોને વાંધો પડે ને એ લવારે ચડે એમ બને, પણ રસ કાઁગ્રેસને પડ્યો. તે એટલે કે સ્ટેડિયમમાં વડા પ્રધાન મેચ જોવામાં હાજર હતા. બસ ! કાઁગ્રેસી પૂર્વ પ્રમુખ અને નેતા રાહુલ ગાંધીને બહાનું મળી ગયું ને તેમણે એવું બાલિશ સ્ટેટમેન્ટ કર્યું કે પી.એમ. મેચ જોવામાં હાજર હતા એટલે ભારત વર્લ્ડકપ હારી ગયું. પી.એમ. એટલે પનોતી મોદી એવી નવી વ્યાખ્યા રાહુલ ગાંધીએ આપી. પનોતી એટલે શનિની દશા, પડતીનો સમય એવી સામાન્ય સમજ લોકોમાં પ્રવર્તે છે. તેને પી.એમ. સાથે જોડીને રાહુલ ગાંધીએ પનોતીને જ આમંત્રણ આપ્યું છે. ‘મોદી’ નિમિત્તે રાહુલ પર એક કેસ તો ચાલે જ છે, તેમાં નવી ‘પનોતી’ બેસતાં ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. વાત આટલેથી અટકતી નથી, પનોતીનો ઉપયોગ કરીને કાઁગ્રેસે કાર્ટૂનો, પોસ્ટરો પણ બહાર પાડ્યાં છે ને વડા પ્રધાનને પનોતી-એ-આઝમ કહીને તેમની ઠેકડી ઉડાવી છે. પંજાબ કાઁગ્રેસે તો ‘પનોતી, તુમ કબ જાઓગે? ’જેવો સોંસરો સવાલ પણ પૂછી લીધો છે. પી.એમ.ને ખિસ્સાકાતરુ કહેવા સુધી કાઁગ્રેસ ગઈ છે. આવું કરવાથી કાઁગ્રેસને કોઈ લાભ નહીં થાય એવું લાગતાં, કેટલાક કાઁગ્રેસી નેતાઓને જ તેનો વાંધો પડ્યો છે, ભૂતકાળમાં પણ કાઁગ્રેસે ‘મૌતના સૌદાગર’, ‘ચૌકીદાર ચોર હૈ’, ‘ચાઇવાલા’, ‘’ફેંકુ’, ‘નીચ આદમી’ જેવા અણછાજતા શબ્દ પ્રયોગો મોદી માટે કર્યાં છે. એનાથી ભૂતકાળમાં કાઁગ્રેસને તો નુકસાન જ થયું છે. ટૂંકમાં, ‘પનોતી’નો ઉપયોગ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધારે એમ બને. એમને નોટિસ અપાઈ છે ને માફી મંગાવવા સુધી વાત આવી છે.

બાકી, હતું તે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ તો નામ દીધાં વગર નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે કહ્યું કે પાપીઓ વર્લ્ડકપ ફાઇનલ જોવા બેઠા એટલે ઇન્ડિયા હારી ગયું. આ મેચ કોલકાતા કે મુંબઈમાં રમાડાઈ હોત તો ભારત વર્લ્ડ કપ જીતી ગયું હોત. મમતાએ ભગવાકારણનો વાંધો ઉઠાવતા એમ પણ કહ્યું કે ભારતીય ખેલાડીઓ ભગવી જર્સી પહેરવા માંગતા નથી, પણ તેમને પરાણે પહેરાવવામાં આવે છે. વિપક્ષોએ એ સમજવાની જરૂર છે કે માત્ર ટીકા કે મજાક-મશ્કરી કરવાથી ચૂંટણી જીતાતી નથી. એમ પણ લાગે છે કે સામસામી ટીકાઓ કરવા સિવાય શાસકો કે વિપક્ષો પાસે કોઈ કામ રહ્યું નથી. એમને એમ જ છે કે આવી ટીકાઓ કરવાથી જ પ્રજા મત આપશે. જો કે, પ્રજાને આટલી ભોળી આંકવાની જરૂર નથી. કાઁગ્રેસ કે તૃણમૂલ કાઁગ્રેસ કે અન્ય વિપક્ષો જ સરકારની ટીકા કરે છે એવું નથી, શાસક પક્ષ અને તેમાં ય વડા પ્રધાન પોતે કાઁગ્રેસની ને તેનાં નેતાઓની ટીકા કરવાની એક પણ તક ચૂકતા નથી. નહેરુ, ઇન્દિરા, સોનિયા કે રાહુલ ગાંધીની ટીકા કરવામાં પી.એમ. પણ વિવેક ચૂકે છે. સોનિયાની જર્સી ગાય, રાહુલની પપ્પુ કહીને ટીકાઓ ઓછી નથી થઈ. પૂર્વ પી.એમ. મનમોહનસિંહ અને કાઁગ્રેસી નેતા શશિ થરૂર માટે પણ અશોભનીય ટિપ્પણીઓ શાસક પક્ષ તરફથી થઈ જ છે. આમાં કોને નીચા દેખાડીને રાજકીય લાભ ખાટી શકાય એમ છે – એ રીતે આવી ટીકાઓનો લાભ લેવાય છે. એમાં કોઈ, કોઈનાથી ઊતરે એમ નથી. હકીકત એ છે કે વાલને વખાણવા જેવો નથી કે ચણાને ચાખવા જેવો નથી. રાહુલ ગાંધીએ પી.એમ.ને પનોતી કહ્યા તો ભા.જ.પ.ના પ્રવક્તા શહેઝાદ પૂનાવાળાએ પ્રિયંકા, રાહુલ, સોનિયા, રાજીવ, નહેરુ, રોબર્ટ અને ઇન્દિરાનાં નામની સ્પેલિંગનો ઉપયોગ કરીને ‘PANAUTI’ ક્રિએટ કરી અને ‘યે હૈ ભારતકી અસલી પનૌતી’ જેવું પોસ્ટરમાં ઉમેર્યું. કાઁગ્રેસ પનોતી કહે તો ભા.જ.પ. પણ પનોતી કહે એમાં તંદુરસ્ત સ્પર્ધા નથી. સ્પર્ધા એકબીજાને વધુને વધુ નીચા દેખાડવાની છે. એમાં ખેલદિલી દૂર દૂર સુધી ક્યાં ય જોવા મળે એમ નથી. આમ કરવાથી કોનું શું ને કેટલું ભલું થાય છે તે તો જે તે પક્ષ જાણે, પણ પ્રજાને કરમુક્ત મનોરંજન સિવાય કોઈ પ્રાપ્તિ નથી. આવી બાલિશ રમતો બંધ થવી જોઈએ, કારણ આ કોઈને શોભતું નથી. જો રાહુલનું પી.એમ.ને પનોતી મોદી કહેવાનું યોગ્ય ન હોય તો, શહેઝાદ પૂનાવાળાનું કાઁગ્રેસને અસલી પનોતી કહેવાનું કઇ રીતે યોગ્ય છે? કોઈએ પનોતી કહ્યું એટલે અન્યને પણ તેવું કહેવાનો અધિકાર મળી જતો નથી.

આજકાલ શાસક પક્ષ કે વિપક્ષ સામસામા આક્ષેપો કરીને કામ કાઢી લે છે. એમાં વિપક્ષ તો આક્ષેપો કરીને જ દા’ડા કાઢે છે. તેની પાસે પ્રજાની પીડા દૂર થાય એવો કોઈ ઉકેલ હોય તો આનંદ જ થાય, તો એ જ સ્થિતિ શાસક પક્ષની પણ છે. નહેરુને ગુજરી જવાને પણ સાંઠ વર્ષ થવાના. એનું વારંવાર તર્પણ કર્યાં કરવાથી નથી પ્રજાની હોજરી ભરાતી કે નથી તો સરકારને વધુ મત મળતા. ભા.જ.પ.ને પણ કેન્દ્રમાં સત્તામાં આવ્યાને દાયકો થવાનો. ખરેખર તો કાઁગ્રેસને ભાંડીને પરોપજીવી બનવાને બદલે ભા.જ.પે. આત્મનિર્ભર ને સ્વાવલંબી બનવાની જરૂર છે. એટલું સ્પષ્ટ છે કે કાઁગ્રેસને ભાંડીને હવે લાંબું નહીં ખેંચાય. આટલી યોજનાઓ ને આટલો વિકાસ કર્યો હોય તો કાઁગ્રેસ કે વિપક્ષોના જમાવડાની ચિંતા કર્યાં વગર ભા.જ.પે. ઠોસ પરિણામોની જ વાત કરવાની રહે. એ જ રીતે કાઁગ્રેસ કે અન્ય વિપક્ષોએ પણ એ સમજી લેવાનું રહે કે ‘પનોતી’, ‘ફેંકુ’, ‘ચાયવાલા’ જેવું કહેવાથી પ્રજા મત નથી આપવાની. કોઈ નક્કર યોજના કે કામ પ્રજાહિતનું નહીં થાય તો વિપક્ષનો દા’ડો વળવાનો નથી.

આજની તારીખમાં પરિપક્વતાની ખોટ શાસકોમાં ને વિપક્ષોમાં સરખી જ વર્તાય છે ..,

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 નવેમ્બર 2023

Loading

...102030...751752753754...760770780...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved