Opinion Magazine
Number of visits: 9665751
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અરવિંદ કેજરીવાલ બાદ સબ કા સાથ સબ કા વિકાસના ખેલનું શું હશે પરિણામ?

રમેશ ઓઝા|Opinion - Opinion|24 March 2024

રમેશ ઓઝા

નરેન્દ્ર મોદી અને અમિત શાહે વિરોધ પક્ષના જેટલા નેતાઓને જેલમાં મોકલ્યા છે, એમાંથી જો મને રતિભાર પણ સહાનુભૂતિ  ન હોય, તો એ અરવિંદ કેજરીવાલ માટે. ત્યારે પણ નહોતી જ્યારે ભારતને ભ્રષ્ટાચારમુક્ત કરવાનું મહાન આંદોલન ચાલતું હતું અને આજે પણ નથી. હકીકતમાં ભ્રષ્ટાચારમુક્ત ભારત એ દેશની જનતા સાથેની પહેલી છેતરપિંડીનો ખેલ હતો અને સબકા સાથ સબકા વિકાસ એ પ્રજા સાથેની છેતરપિંડીનો બીજો ખેલ હતો. બન્ને ખેલ આગળપાછળ ભજવાયા હતા અને બન્ને ગણતરીપૂર્વકના હતા.

તમને કદાચ જાણ નહીં હોય પણ ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની બેઠકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિલ્હીસ્થિત વિવેકાનંદ ફાઉન્ડેશનનાં મકાનમાં થતી હતી. અરવિંદ કેજરીવાલ, બાબા રામદેવ, શ્રી શ્રી રવિશંકર, કિરણ બેદી વગેરે ત્યાં એકઠાં થતાં હતાં. આ પવિત્ર અને પારકી છઠ્ઠીના જાગતલોને લાગ્યું કે કાઁગ્રેસના ભષ્ટાચાર સામે દેશભરમાં આંદોલન કરવા માટે એક એવો ચહેરો જોઈએ, જેની શાખ નિસ્પૃહી અને પવિત્ર માણસની હોય. એવા માણસની ખોજમાં  કેજરીવાલ પહેલા અમદાવાદમાં રહેતા સર્વોદય ચળવળના નેતા ચુનીભાઈ વૈદ્ય પાસે ગયા પણ ચુનીભાઈને તો સમૂળગી વ્યવસ્થામાં પરિવર્તન કરવામાં રસ હતો એટલે ત્યાં તેઓ ફાવ્યા નહીં. આ ટોળકીને વ્યવસ્થા પરિવર્તનમાં રસ નહોતો. ફરી ખોજ આદરી અને કોઈકે કહ્યું કે મહારાષ્ટ્રમાં એક અણ્ણા હજારે નામનો માણસ છે, જે ઉપવાસ કરવાનો લાંબો અનુભવ ધરાવે છે. ઉપવાસ ખેંચવાની ક્ષમતા પણ ઘણી છે. વળી તેમને વ્યવસ્થા વગેરેની ગતાગમ પણ ઓછી છે. અરવિંદ કેજરીવાલ તેમની પાસે ગયા અને કહ્યું કે દેશને ભષ્ટાચાર મુક્ત કરવો છે અને તેમાં અમને તમારા જેવા પવિત્ર અને લોકકલ્યાણ માટે સંઘર્ષરત માણસના નેતૃત્વની તેમ જ માર્ગદર્શનની જરૂર છે. જુઓ હું આઇ.આઇ.ટી.માં ભણ્યો છું, કેન્દ્ર સરકારની નોકરી છોડી દીધી છે અને મારા જેવા ઉચ્ચ શિક્ષિત અને ઉચ્ચ સ્તરે બિરાજમાન રહી ચુકેલા બીજા ઘણા લોકો છે જે તમારા નેતૃત્વમાં જાનફેસાની કરવા તૈયાર છે. અણ્ણા હજારે તૈયાર થઈ ગયા. બાળ ઠાકરેએ કહ્યું હતું એમ શ્રવણપુત્રો બાપાને કાવડમાં બેસાડીને રામલીલા મેદાનમાં પહોંચી ગયા. એ પછી જે થયું એ ઇતિહાસ તમે જાણો છો.

આખું આંદોલન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પાછળ રહીને સંચાલિત હતું. અણ્ણાના ઉપવાસ લાંબા ખેંચાયા અને તેમની જિંદગી જોખમમાં આવી ગઈ એ છતાં તેમને ઉપવાસ પર બેસાડનારાઓ સરકાર સાથે સમાધાન નહોતા કરતા. અંતે મહારાષ્ટ્રના રાજકીય નેતાઓ, મરાઠી પત્રકારો અને કર્મશીલોએ અણ્ણાની આંખ ઊઘાડી ત્યારે તેઓ ચોંકી ગયા અને અરવિંદ કેજરીવાલ અને તેમની ટોળકીની ઉપરવટ જઈને ખૂદ ઉપવાસ તોડી નાખ્યા. અણ્ણા જો ઉપવાસમાં શહીદ થઈ જાય તો દેશમાં ભડકો થાય અને તેમાં કાઁગ્રેસ હોમાઈ જાય. એક પ્રાણની શી કિંમત!

પણ આ બધા પ્યાદાં હતાં અને પ્યાદાંઓનો ખપ પૂરો થઈ ગયો હતો. પણ પ્યાદાંઓમાં મુખ્ય અરવિંદ કેજરીવાલ ભણેલ ગણેલ ચાલાક અને મહત્ત્વાકાંક્ષી હતા. આ ઉપરાંત આંદોલનમાં એવા કેટલાક લોકો પણ જોડાયા હતા, જેઓ પોતપોતાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠા ધરાવતા હતા અને તેઓ ભ્રષ્ટાચારમુક્ત ભારતનાં સપનાં જોઈને ભાવનાવશ થઈને આંદોલનમાં જોડાયા હતા. તેઓ પ્રજાના હિતને વરેલા હતા, તેમનો કોઈ અંગત સ્વાર્થ નહોતો, સમાધાનો કરતા નહોતા. આ બાજુ સંઘે સબકા સાથ સબકા વિકાસના બીજા ખેલની તૈયારી શરૂ કરી દીધી હતી અને તેના મુખ્ય અભિનેતા તેના પોતાના હતા. હવે ઉછીનાં મહોરાંની જરૂર નહોતી.

દેશમાં એવા કરોડો લોકો હતા જેમને અરવિંદ કેજરીવાલ પર ભરોસો હતો. તેમને એમ લાગતું હતું કે કેજરીવાલ ખરેખર પ્રજાહિતને વરેલા છે. પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, એડમિરલ રામદાસ જેવા અનેક લોકો છેતરાયા હતા તો સામાન્ય પ્રજા છેતરાય તેમાં શું આશ્ચર્ય! સંઘે પોતાના અભિનેતા સાથે સબકા સાથ સબકા વિકાસનો નવો ખેલ શરૂ કર્યો, ત્યારે અરવિંદ કેજરીવાલે વિચાર્યું કે ટકોરાબંધ પ્રામાણિક માણસો અને ભ્રષ્ટાચારવિરોધી આંદોલનની મૂડી દ્વારા તેઓ નરેન્દ્ર મોદીને હરાવી શકશે. 2014ની લોકસભાની ચૂંટણીમાં તો એવું બન્યું નહીં પણ દિલહીની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સપાટો બોલાવ્યો. અરવિંદ કેજરીવાલને હવે લાગવા માંડ્યું કે તેમનો પક્ષ કાઁગ્રેસની જગ્યા લઇ લે છે અને આગળ જતાં તેઓ નરેન્દ્ર મોદીનો વિકલ્પ બની શકે એમ છે.

એવી શક્યતા જરૂર હતી પણ અરવિંદ કેજરીવાલે પ્રામાણિક અને સિદ્ધાંતવાદી નેતાઓને પક્ષમાંથી કાઢી મૂકવાની ભૂલ કરી. રાજકારણમાં પારદર્શકતા, જવાબદેહી, લોકતંત્ર, સામૂહિક નેતૃત્વ વગેરે પ્રજા સાથેની છેતરપિંડીનાં સાધનો છે, સત્તાના રાજકારણમાં એ ન ચાલે. એ સારુ તો તેમણે આર્ટીકલ 370, સી.એ.એ., એન.આર.સી., ખેડૂત આંદોલન એમ દરેક વખતે મૌન ધારણ કર્યું હતું. હિન્દુઓ નારાજ ન થાય એ સારુ તેમણે મૂલ્યો સાથે સમાધાન કર્યું હતું. સરવાળે કેજરીવાલ ન હિન્દુઓના રહ્યા ન બી.જે.પી.ના વિરોધ કરનારા સેક્યુલરોના રહ્યા. બહુ ડાહ્યો બહુ ખરડાય એના જેવું થયું.

ગાંધીજીએ કહ્યું છે કે સાધ્ય મહાન હોય પણ સાધન અશુદ્ધ હોય તો સરવાળે તેની કિંમત ચૂકવવી પડે. અહીં તો સાધ્ય અને સાધન બન્ને અશુદ્ધ હતા. ભ્રષ્ટાચારમુક્ત ભારત એ રીતસર પ્રજા સાથે છેતરપિંડીનો ખેલ હતો. જ્યારે સાધ્ય અને સાધન બન્ને અશુદ્ધ હોય ત્યારે એ જ પરિણામ આવે જે આવી રહ્યું છે. સબકા સાથ સબકા વિકાસના ખેલનું પરિણામ પણ આવું જ કોઈક પ્રકારનું આવવાનું છે.

મુજ વીતિ તુજ વિતશે ધીરી બાપુડિયા.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 માર્ચ 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—240

દીપક મહેતા|Opinion - Opinion|23 March 2024

મુંબઈના ગોરા સૈનિકો અને તેમની પત્નીઓ : સુખદુઃખ મનમાં ન આણીએ    

કંપની સરકારના લશ્કરના એક અંગ્રેજ સિપાઈની પત્ની મિસિસ પોસ્તાન્સે ‘દેશી’ સૈનિકો વિષે જેટલા આદર અને ઉત્સાહથી લખ્યું, એટલા આદર અને ઉત્સાહથી ‘ગોરા’ સૈનિકો વિષે લખ્યું છે ખરું? હા કે નામાં જવાબ આપતાં પહેલાં તેમણે ગોરા સૈનિકો વિષે જે લખ્યું છે તેમાંથી થોડું જોઈએ.

આમ જોઈએ તો આ બંને પ્રકારના સૈનિકો માટે વાતાવરણ નવું છે, અનુભવો નવા છે, મર્યાદાઓ ઘણી છે. અને છતાં દેશી સૈનિક આ બધાને અનુકૂળ થઈ જાય છે. કશા કચવાટ કે બબડાટ વગર. આ રીતે અનુકૂળ થવા માટે કદાચ તેની પ્રારબ્ધમાંની, કે કહો તો ઈશ્વરમાંની શ્રદ્ધા કામ આવે છે. (‘ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે’.) બીજું, અગવડો અને અભાવો વચ્ચે જીવવા તે ટેવાયેલો છે. જ્યારે ગોરો સૈનિક? સતત અભાવો વિષે, અગવડો વિષે વિચાર્યા અને બોલ્યા કરે. વાતે વાતે ઝગડો કરે – દેશી સૈનિક સાથે તો ખરો જ, પોતાના ઉપરી ગોરા અધિકારી સાથે પણ. દેશી સૈનિક તેના ભગવાનથી ગભરાતો રહે છે. ગોરા સૈનિકને એવો કશો છોછ હોતો નથી. એ દારૂની લતે ચડી જાય છે, સતત અસંતોષમાં જીવ્યા કરે છે, વારે વારે પોતાના ઉપરીનો અનાદર કરે છે. ગોરા સૈનિકની પત્ની ઝગડાળું અને કંકાસિયણ હોય છે. અને એ નીતિ-અનીતિની ઝાઝી પરવા કરતી નથી.

લશ્કરના ગોરા અફસરો માટે સજાવેલું ડાઈનિંગ ટેબલ

દેશી સૈનિકો કરતાં ગોરા સૈનિકોને ઘણી વધુ સગવડો મળે છે. પરણેલા સૈનિકોને અલગ આવાસ મળે છે. વિલાયતથી આવતી ખાવાપીવાની અનેક વસ્તુઓ પાણીનાં મૂલે મળે છે. અને છતાં એને કોઈ વાતે સંતોષ નથી. મોટા ભાગના ગોરા સૈનિકો દારૂની લતે ચડી જાય છે. વધુ પડતો દારુ ઢીંચવાથી આવતાં માઠાં પરિણામની તેમને ખબર તો હોય છે. છતાં તેઓ દારૂની લત છોડી શકતા નથી. તેમાંથી ઉપરી-અધિકારી પણ તેને બચાવી શકતો નથી.

ગુજરાતીમાં કહેવત છે કે એક તાવડી તેર વાનાં માગે. પણ આર્મીના કેમ્પની ભૂખ તો ઘણી વધુ. એટલે તો ત્યાં તેર નહિ, તેત્રીસ વાનાંની રોજ જરૂર પડે. રોજેરોજ સીધું સામાન લઈને હમાલોની આવનજાવન ચાલુ જ હોય. ઘણી વાર તેમાંના એક-બે મજૂર પકડાય, ગાંજો, ચરસ કે અફીણ સંતાડીને કેમ્પમાં ઘૂસાડવા જતા હોય અને પકડાય. પણ આ બધું હોય કોને માટે? દેશી સૈનિકો માટે? ના. ગોરા સૈનિકો માટે. પાણીના ભાવે સારામાં સારો શરાબ કેન્ટીનમાંથી ખરીદી શકાય. પણ તેનાથી સંતોષ ન થાય. એટલે ‘કિક’ મેળવવા માટે આવા ગેરકાયદેસર પદાર્થો છાનીછપની રીતે મગાવતા હોય. પકડાયેલ મજૂર મોટે ભાગે ‘સાહેબ’ને વફાદાર. પકડાય ત્યારે કોને માટે આ બધું લાવ્યો છે તેનું નામ ન જ કહે. કદાચ વફાદારી ઓછી. એક વાર નામ આપે તો પછી કાયમ માટે આ કેમ્પનો ‘ધંધો’ બંધ થઈ જાય એટલે પણ નામ ન આપતો હોય. કાયદેસર રીતે તો આ રીતે જપ્ત થયેલો ‘માલ’ કેમ્પના ચોકિયાતોએ બાળી નાખવાનો હોય. પણ ઘણી વાર તે જેણે મગાવ્યો હોય તેને જ પહોંચી જાય!

મદિરા અને મદિરાક્ષી

એક તો હિન્દુસ્તાનની આબોહવા જ અનેક રોગોને નોતરે તેવી. તેમાં વળી દારુ ઉપરાંત આવાં જાતજાતનાં વ્યસનો. એટલે ગોરા સૈનિકોમાં મરણનું પ્રમાણ મોટું. તમને થશે કે આ ગોરા સૈનિકોની પત્નીઓ તેમને આવા જીવલેણ વ્યસનોથી બચાવવા કશું કરતી નહિ હોય? ના. જે કાંઈ સારું કે માઠું થાય તેને દેશી સૈનિકો કરમની બલિહારી માને છે. તેવી જ રીતે ગોરા સૈનિકની પત્ની મોટે ભાગે પતિના મરણને ‘સ્વાભાવિક’ માની લે છે. હેમલેટની માએ પતિના અવસાન પછી થોડા જ દિવસમાં તેના ભાઈ સાથે લગ્ન કરી લીધાં હતાં. ગોરા સૈનિકની પત્ની પણ થોડાક દિવસ પછી ‘કેમ્પ’ના બીજા કોઈ સૈનિક સાથે લગ્ન કરી લે છે. અમે અંજારમાં હતાં ત્યારે આ રીતે નશાનો ભોગ બનીને એક સૈનિક મરી ગયો. પત્ની ખાસ્સી દેખાવડી. તેને દફનાવ્યો તે પહેલાં જ બીજા ત્રણ સૈનિકો તેની પાસે પહોંચી ગયા હતા. દિલાસો આપવા નહિ, પણ તેના હાથની માગણી કરવા. અને અઠવાડિયા પછી તેમાંના એક સાથે પેલી બાઈએ ફરી લગ્ન કરી લીધાં. ત્રણ-ત્રણ વાર લગ્ન કર્યાં હોય તેવી સ્ત્રીઓ પણ કેમ્પમાં જોવા મળે.

આ રીતે બે-ત્રણ વાર લગ્ન કરવાં એ ‘કેમ્પ’ની ગોરી સ્ત્રીઓ માટે અસાધારણ બાબત નથી. ઘણી વાર તો પતિની હયાતીમાં જ બીજું ‘લફરું’ ચાલતું હોય અને દવા કે દારૂનો ભોગ બનીને પતિ ક્યારે સ્વર્ગે (કે નરકે) સિધાવે તેની બંને પ્રેમી પંખીડાં રાહ જોતાં હોય. અને હા, સૈનિકો અને કેમ્પની સ્ત્રીઓનાં લગ્ન વખતે તેમની ઉંમરમાં મોટો તફાવત હોય તો તે ક્યારે ય આડો આવતો નથી. ચાલીસ વરસનો સૈનિક બાર-તેર વરસની છોકરીને પરણે તો તેથી કોઈને નવાઈ લાગતી નથી. પેલી છોકરીનાં માબાપને પણ વાંધો હોતો નથી. એટલું જ નહિ, લગ્ન વખતે હાજર રહીને તેઓ તેમને ખુશી ખુશી આશીર્વાદ પણ આપે છે!

ઘોડેસવાર ગોરો અફસર

જો કે મારે અહીં ઉમેરવું જોઈએ કે આમાં બધો વાંક સ્ત્રીઓનો છે એવું નથી. એમની દશા જોઈને થોડી દયા પણ આવે, હોં. એક તો અહીંની તોબા પોકરાવતી ગરમી, લગભગ બારે મહિના. ‘પરણેલા સૈનિકો’ને મળતી ખાસ સગવડ – માત્ર એક, અલાયદી ઓરડીમાં રહેવાનું. મનોરંજનનાં સાધનો લગભગ નહિ. ‘કેમ્પ’ની બહાર જઈને કોઈ કામ કરવાનો તો વિચારે ન કરાય. રસોઈ કરવા માટે અને બીજાં ઘરકામ માટે મહિને બે રૂપિયાના પગારે કંપની બહાદુર પોર્ટુગીઝ છોકરાને નોકર તરીકે રાખે. એટલે રસોઈ અને બીજાં ઘરકામ તો કરવાનાં હોય નહિ. એટલે આખો દિવસ કરવું શું, એ મોટો સવાલ. એટલે પછી ‘ટાઈમપાસ’ માટે કાં કૂથલી, કાં દારૂ કે બીજું કોઈ વ્યસન. સાંજ પડે જાય ક્યાં? ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી આવડતું હોય એવી ‘આયા’ને લઈને જાય બજારમાં. ખાવાપીવાનું બધું તો કેમ્પમાંથી મળે, એટલે બજારમાંથી ખરીદે શું? પતિને માટે અને પોતાને માટે દેશી દારુ કે અફીણ, ગાંજો. બજારથી પાછી ફરે ત્યારે જુએ કે પતિ તો પહેલેથી જ નશામાં ધુત છે. એટલે પછી બન્ને વચ્ચે ચાલે ગાળાગાળી, ઝગડાઝગડી કે હાથાપાયી! અને ક્યારેક તો એકને કે બંનેને ગંભીર ઈજા પણ થાય અને દોડવું પડે લશ્કરના દવાખાને. ઈજાના કારણમાં મોટે ભાગે તો ડોક્ટર જ ‘અકસ્માત’ લખી નાખે! હવે આ બધા સામે ઝઝૂમતી સ્ત્રી દારૂને રવાડે ચડે કે બીજા કોઈ પુરુષ સાથે છાનગપતિયાં કરવા લાગે તો તેમાં બધો વાંક એ બાઈનો જ છે એમ તો કેમ કહેવાય?

એટલે બધો વાંક પુરુષોનો છે, એમ ને? ના. તેમનો પણ નથી. ગોરો સૈનિક જેનાથી જરા ય ટેવાયેલો નથી તેવી ભારે અકળાવનારી ગરમીમાં તેણે દિવસ-રાત પસાર કરવાં પડે છે. જ્યારે ડ્યૂટી ન હોય ત્યારે બહાર ફરવાનો તો વિચાર પણ ન આવે. પોતાની ઓરડીમાં ખાટલા પર આળોટતો જેમતેમ સમય પસાર કરે. કંટાળાને મારવા જાય કેન્ટીનમાં અને ત્યાંથી લઈ આવે ‘બાટલી.’ કેન્ટીનમાંથી રોજ કેટલો દારુ ખરીદી શકાય તે સરકારે નક્કી તો કર્યું છે. પણ એ નક્કી કરતી વખતે ગ્રેટ બ્રિટનમાંની આબોહવાને જ ધ્યાનમાં રાખી છે. હવે, ત્યાંની કાતિલ ઠંડીમાં જેટલા દારૂની જરૂર પડે તેટલાની અહીંના ગરમ વાતાવરણમાં ન જ પડે. પણ આ વાત નથી સમજતી કંપની સરકાર કે નથી સમજતા અંગ્રેજ સૈનિકો. દારુ સાથે સિગારેટ પણ હોય જ. અને અ બધાથી થાકે-કંટાળે ત્યારે સૈનિક ઘોરવા લાગે. ગરમીને લીધે ગળે શોષ પડે એટલે જાગે. જાય પાછો કેન્ટીનમાં, લાવે બાટલી. જોતજોતામાં ખાલી કરે. આ કેન્ટીન ચલાવે ‘દેશી’ માણસો. બે-પાંચ ફદિયાં વધુ આપો તો વધારાની એક-બે બાટલી પણ સરકાવી દે! આ વાત આ દેશમાંના સરકારી અધિકારીઓ જાણે છે. ગ્રેટ બ્રિટનમાં બેઠેલા સાહેબો પણ જાણે છે. પણ જે ‘સગવડો’ બ્રિટનમાં મળે, તે જ પરદેશમાંના સૈનિકોને પણ આપવી પડે એવો નિયમ એટલે એમના ય હાથ હેઠા! દારૂથી પાયમાલ થઈને કેટલાયે સૈનિકો જાન ખોઈ બેસે છે. પણ સરકારી ચોપડે તેમના મરણનું કારણ ‘દારૂનું વ્યાસન’ નહિ, ‘ક્લાઈમેટને કારણે’ એવું જ નોંધવામાં આવે છે! એટલે જ તો કહે છે ને કે કાયદો ગધેડો હોય છે.

અલબત્ત, આનો અર્થ એવો નથી જ કે ગ્રેટ બ્રિટનની બહારના ગોરા સૈનિકોને માથે દારૂબંધી લાદવી. એમ કરવાથી તો બકરું કાઢતાં ઊંટ પેસશે. દારૂની લત એવી હોય છે કે એ ગમે ત્યાંથી નશો શોધી જ લે. એટલે સારો, વિલાયતી દારૂ ન મળે તો ગમે તે ‘દેશી’ પીશે, તો વધારે સૈનિકો મરશે. એક કરવા જેવું કામ એ છે કે અત્યારે કેન્ટીનમાં માત્ર ‘હાર્ડ લીકર’ જ મળે છે. તે ઉપરાંત ‘બીર’ જેવાં હળવાં પીણાં પણ મળી રહે તેવી સગવડ કરવી જોઈએ. જો કે આમ કરવામાં પણ એક મુશ્કેલી તો છે જ. ‘હાર્ડ ડ્રિંક’થી ટેવાયેલા સૈનિકો બીર ખરીદવાને બદલે ગામની બજારમાંથી વધુ માદક, પણ જોખમી પીણાં ખરીદવા લાગશે.

અલબત્ત, દારૂની આવી લત મોટે ભાગે સોલ્જરોમાં જોવા મળે છે. ઊંચી પદવીના અફસરોમાં નહિ. એક જમાનામાં લશ્કરના અફસરો સવારે દસ વાગ્યે ‘બ્રાન્ડી-પાણી’નો ગ્લાસ ભરે તે રાત લગી ખાલી કરે ને ભરે, ફરી ફરી ભરે, એવું કહેવાતું. પણ હવે એવું નથી. બચતનું મહત્ત્વ પણ અફસરોને સમજાયું છે. એટલે ફિજુલખર્ચી બને તેટલી ઓછી કરે છે. પરિણામે ઘરમાં શાંતિ, તબિયતનો બગાડો ઓછો. જૂના જમાનાના અફસરો આવા આજના અફસરોને ‘પેલ એલ’ તરીકે ઓળખે છે.

કંપની સરકારના લશ્કરના સૈનિકો

ગ્રેટ બ્રિટનમાં બેઠેલા બડેખાંઓને એક સવાલ થવો જોઈએ, પણ કોણ જાણે કેમ નથી થતો. દારૂને રવાડે ચડ્યા વગર પણ દેશી સૈનિકો બહાદુરીપૂર્વક કઈ રીતે લડી શકે છે? એક જવાબ એ છે કે દરેક જગ્યાએ કુદરત જે આપે તે ત્યાંના માણસો માટે સારું હોય છે. આવા ગરમ પ્રદેશોમાં થતા મરી-મસાલા દેશી સૈનિકો માટે પૂરતા હોય છે. લોર્ડ ક્લાઈવ જેવા ધુરંધરે નોંધ્યું છે કે માત્ર કાંજી પીને દિવસો ગુજારનારા કંપની સરકારના લશ્કરના દેશી સૈનિકો બહાદુરીપૂર્વક લડે છે. આ સૈનિકો સામે ચાલીને કહે છે કે ભાત રાંધ્યા પછી જે પાણી વધે તે અમને આપો, અને રાંધેલો ભાત ગોરા અફસરોને ખાવા આપો.

મને ખબર છે કે ગોરા સૈનિકો કાંઈ આ રીતે ફક્ત કાંજી પર રહી શકે નહિ. પણ ગ્રેટ બ્રિટનમાંની રહેણીકરણી અને હિન્દુસ્તાનમાંની રહેણીકરણી વચ્ચે સુમેળ સાધવાની, બન્નેમાંથી થોડું થોડું અપનાવવાની જરૂર છે. અત્યારે તો શું થાય છે કે અહીં મરે નહિ તો ગોરો સૈનિક મરવા પડે ત્યારે સ્વદેશ ભેગો થાય છે. ત્યાં જઈને સરકારી ખર્ચે ચાલતી લશ્કરી હોસ્પિટલમાં દાખલ થઈ જાય છે, મરણ ન આવે ત્યાં સુધી પેન્શન પર જીવે છે. આ સૈનિકોને આપણે કહીએ : ‘સુખદુઃખમનમાં ન આણીએ રે.’

પણ હવે લશ્કરની વાતો પૂરી. હવે પછી જશું મુંબઈની આસપાસનાં કેટલાંક સ્થળોની સહેલગાહે, અલબત્ત મિસિસ પોસ્તાન્સની આંગળી પકડીને.

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે; 23 માર્ચ 2024)

Loading

બાપુ આશ્રિત પત્રકારો / સાહિત્યકારોને સત્તાપક્ષની આલોચના કરવી તે દેશદ્રોહી કૃત્ય લાગે છે !

રમેશ સવાણી|Opinion - Opinion|23 March 2024

આપણા સાહિત્યકારોને લોકોની વેદનામાં રુચિ નથી, એમને તો કોર્પોરેટ કથાકારોનાં ગોળગોળ પ્રવચનોમાં વાસ્તવિકતા દેખાય છે ! ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીને કોર્પોરેટ કથાકારમાં સર્વોત્તમ સાહિત્યના દર્શન થાય છે !

 જે સાહિત્યકારો કોર્પોરેટ કથાકારોને નમે નહીં તે સાહિત્યકાર નહીં, પણ અર્બન નક્સલ છે, દેશદ્રોહી છે, ધર્મદ્રોહી છે, તેવું વાતાવરણ બાપુ પ્રેમી સાહિત્યકારોએ ઊભું કરી દીધું છે ! બાપુ પ્રેમી સાહિત્યકારો / પત્રકારો / પાંચ-પાંચ કોલમ લખનારા બાપુની વાહવાહી કરે અને બાપુ એમની ! આમ બન્નેનો ધંધો જોરદાર ચાલે !

બાપુ પ્રેમી સાહિત્યકારોની એક ખાસિયત એ છે કે તેઓ હિન્દુત્વવાદી, વધુ આસાન શબ્દોમાં કહીએ તો સામંતવાદી, એથી સરળ ભાષામાં કહીએ તો ગોડસેવાદી નેતાના પ્રશંસક હોય છે ! સત્તાપક્ષની / સરકારની આલોચના કરવી તેમને દેશદ્રોહી કૃત્ય લાગે છે ! તેઓ ધાર્મિક રાષ્ટ્રવાદી છે, માનવમૂલ્યોના સમર્થક નહીં ! બાપુઓ ગમે તેટલા આશીર્વાદ આપે પણ બાપુપ્રેમી સાહિત્યકારો સરૂપ ધ્રુવની ‘સળગતી હવાઓ’ કે પારુલ  ખખ્ખરની ‘શબવાહિની ગંગા’ જેવી રચનાઓ આપી શકે નહીં !

ભાષા વિજ્ઞાની બાબુ સુથાર કહે છે : “રાજ્ય અને એક અર્થમાં સત્તા માત્ર પ્રત્યાયન વ્યવસ્થાને જડબેસલાખ બનાવવાનો પ્રયાસ કરે છે. એટલી બધી જડબેસલાખ કે એક છેડેથી મોકલેલો સંદેશો બીજા છેડે પહોંચે ત્યારે એના અર્થમાં સહેજ પણ વધારો ન થાય, ઘટાડો પણ ન થાય અને અર્થ બદલાય પણ નહીં. જો પ્રત્યાયનની વ્યવસ્થા પોતે જ અર્થમાં વધારો કે ઘટાડો કરે કે એમાં કોઈક પરિવર્તન શક્ય બનાવે તો રાજ્યને એ વ્યવસ્થાને ડર લાગે. એની સામે છેડે કવિતામાં એવું નથી થતું. કવિ કવિતા લખે. પછી વાચક વાંચે ત્યારે એ કવિતાનું અર્થઘટન કવિના આશય પ્રમાણે નથી કરતો. એ અર્થ ઘટાડે પણ ખરો, વધારે પણ ખરો ને ક્યારેક બદલી પણ નાખે. આ અરાજકતા રાજ્યને / સત્તાને ગમતી નથી. એથી જ રાજ્યને / સત્તાને સર્જકતાની બીક લાગતી હોય છે. પણ મિડિયોકર સાહિત્યકારો હંમેશાં એમની પ્રત્યાયન વ્યવસ્થા રાજ્યને કે સત્તાને વફાદાર રહે એની કાળજી રાખતા હોય છે. એથી જ આપણા ઘણા બધા સમકાલીન કવિઓ, આમ ભલે લોકોને ગમી જાય એવી કવિતા કેમ ન લખતા હોય, એમની પ્રત્યાયન વ્યવસ્થા રાજ્યની પ્રત્યાયન-વ્યવસ્થાનું પ્રતિબિંબ બની જતી હોય છે. એથી વિષ્ણુ પંડ્યા જેવા કે બીજા મિડિયોકર સાહિત્યકારો જ્યારે એમ કહે કે કવિએ આવું નહીં તેવું કહેવું જોઈએ ત્યારે હકીકતમાં તો એ લોકો ભાષાની પેલી પ્રત્યાયન વ્યવસ્થાને પોતાની આજ્ઞાંકિત બનાવવાનો પ્રયાસ કરતા હોય છે.”

મને એક લેખિકાએ પોતાની વાર્તાનું પુસ્તક મોકલ્યું. પ્રથમ પાને જ મોરારીબાપુના આશીર્વાદ દેખાયા ! મેં વાર્તાઓ વાંચવાનું છોડી દીધું ! મોરારીબાપુ અને રમેશભાઈ ઓઝા વરસોથી રામાયણ, મહાભારત અને ગીતાના પાઠ ભણાવે છે, છતાં કોઈ બદલાવ આવ્યો? માનવ મગજનો વિકાસ ન કરી શકે એવા કથાકાર કે એવી કથાનો મતલબ શો? એવા બાપુઓની પ્રેરણા વિના સાહિત્યસર્જન ન થઈ શકે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...751752753754...760770780...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved