Opinion Magazine
Number of visits: 9665757
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગ્રામીણ ભારતના માધ્યમિક, ઉ.મા. શિક્ષણ સામેના પડકારો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 April 2024

ચંદુ મહેરિયા

ઉચ્ચ પ્રાથમિક (ધોરણ-૮), માધ્યમિક (ધો-૯, ૧૦) અને ઉચ્ચ માધ્યમિક (ધો.૧૧,૧૨)માં શિક્ષણ મેળવતા ગ્રામીણ ભારતના ૧૪થી ૧૮ વરસના કિશોરો અને યુવાનોને પૂછવામાં આવ્યું કે ૧૫ લીટર પાણી શુદ્ધ કરવા ક્લોરીનની ૩ ગોળી જોઈએ તો ૨૫ લીટર માટે કેટલી જોઈએ ? ૫૧.૬૦ ટકા વિદ્યાર્થીઓને જવાબ આવડ્યો નહોતો. રોજિંદા જીવનનો અને બગડિયા-તગડિયાનો સાદો ભાગાકાર ના આવડે તેવા અડધા કરતાં વધુ વિદ્યાર્થીઓએ આઠેક વરસનું શિક્ષણ પૂર્ણ કર્યા પછીના શિક્ષણની આ હાલત છે.

પણ રહો. એમ નિરાશ થવાની જરૂર નથી. આ જ વય જૂથના ૮૫ ટકા લંબાઈ બરાબર માપી શકે છે.  હા, એમને  મુશ્કેલી ત્યારે પડે છે જ્યારે મેજરપટ્ટી ઝીરોથી શરૂ ન થતી હોય ! જો શૂન્યને બદલે બીજા કોઈ આંકડાથી લંબાઈ મપાવવી શરૂ કરાવીએ તો આ ૮૫ ટકા ઘટીને ૩૯ ટકે પહોંચી જાય છે !

રૂ. ૨૦,૦૦૦ની લોન પરનું જુદી જુદી ત્રણ બેન્કોનું વાર્ષિક વ્યાજ જણાવી, તમે કઈ બેન્ક પસંદ કરશો અને એક વરસ પછી કેટલી રકમ પાછી આપવાની થાય ? તે બંને પ્રશ્નનો સાચો જવાબ આપી શકનારા છાત્રો માત્ર ૬ ટકા જ હતા. તો ઓ.આર.એસ.ના પેકેટ પરની સૂચનાઓ વાંચી નહીં શકનારા સ્ટુડન્ટ ૩૫.૯ ટકા હતા. અર્થાત્‌ માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ રોજ બ રોજના વ્યાજદર, માપ જેવા પાયાના સંખ્યાત્મક કૌશલ કે વાચનમાં ઘણા કાચા છે.

કોઈ અઘરું વાચન-ગણન નહીં પણ તેઓ જે ધોરણમાં ભણે છે તેના કરતાં ચાર-પાંચ ધોરણ નીચેનું ભાષા કે ગણિતનું સાદું જ્ઞાન ન ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા પચાસ ટકાથી વધારે હોય તેવા શિક્ષણની ચિંતા અને તે દૂર કરવાના મસમોટા પડકારોની અનુભૂતિ  “ અસર” (ASER – એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ) ૨૦૨૩ વાંચતા થાય છે.

વરસ ૨૦૦૫થી બિનસરકારી સંસ્થા “પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન” ગ્રામીણ ભારતના શિક્ષણની સ્થિતિ વિશે વાર્ષિક રિપોર્ટ પ્રગટ કરે છે. ૨૦૧૮થી તે દ્વિવાર્ષિક ધોરણે પ્રગટ થાય છે. આ વરસના આરંભે “એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ૨૦૨૩ બિયોન્ડ બેસિક્સ” પ્રગટ થયો છે. ભારતના ૨૬ રાજ્યોના ૨૮ જિલ્લાના ૩૪,૭૪૫ વિદ્યાર્થીઓ પરના રાષ્ટ્રવ્યાપી નાગરિક નેતૃત્વકારી ઘરેલુ સર્વેક્ષણનો હેતુ શાળામાં પ્રવેશ કે નામાંકન જેવી મૂળભૂત બાબતથી આગળની સ્થિતિ જાણવાનો છે. શાળા શિક્ષણ અને શિખવવાની સ્થિતિ તથા વાસ્તવિક જિંદગીમાં તેના ઉપયોગનો તાગ મેળવવાનો પણ ઉદ્દેશ છે.

વિશ્વના ઘણા દેશો કરતાં ભારતમાં શાળામાં નામાંકનનો દર ઊંચો છે. ૨૦૨૧-૨૨માં ૬થી ૧૦ વરસનાં બાળકોનો શાળા પ્રવેશનો દર ૯૯.૧ ટકા હતો. નવીનતમ રિપોર્ટ મુજબ હાલમાં ૧૪થી ૧૮ વરસનાં બાળકોનો નામાંકન દર ૮૬.૮ ટકા છે. પરંતુ શું નામાંકનમાં વૃદ્ધિ શિક્ષણની ગુણવતાનો પુરાવો છે ? “બાળકો શાળામાં છે પરંતુ શીખી નથી રહ્યા”નો સંદેશ ધરાવતો ૨૦૨૩નો “અસર’ તેનો જવાબ છે. ૧૪થી ૧૮ વરસના ૫૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ સાદો ભાગાકાર કરી શકતા નથી. સ્થાનિક ભાષાનો બીજા ધોરણનો પાઠ અસ્ખલિત વાંચી ન શકનાર ૨૫ ટકા છે. જો કે ૫૭.૩૦ ટકા અંગ્રેજી વાક્ય બરાબર વાંચી શકે છે અને તેમાંથી ૭૩.૫ ટકાને જે વાંચે છે તેનો અર્થ  પણ આવડે છે.

ભારતમાં જે બાળકો શાળા છોડે છે તેને સરકાર ડ્રોપ આઉટ ગણાવે છે ખરેખર તો તેઓ આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કારણોસર શાળા બહાર ધકેલાય (પુશ આઊટ) છે. ૧૪ વરસના આવા કિશોરો ૩.૯ ટકા છે, ૧૬ વરસના ૧૦.૯ ટકા છે અને ૧૮ વરસના ૩૨.૬ ટકા છે. એટલે બાળક જેમ ઉપલા ધોરણમાં જાય તેમ શાળા છોડે છે કે શાળા બહાર ફેંકાય છે.

જેમ ડ્રોપ આઉટનો ઊંચો દર તેમ છોકરા-છોકરીનાં શિક્ષણ વચ્ચેનો ભેદ પણ ગ્રામીણ ભારતના શિક્ષણ સામેનો પડકાર છે. ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી કન્યાઓ સ્નાતક સુધી ભણવા માંગે છે, પરંતુ કુમારો ટૂંકા ગાળાના વ્યવસાયક્ષી કોર્સ મારફત કમાવા માંગે છે. નોકરી અને ડિગ્રી વચ્ચેનો અનુબંધ ઈચ્છનીય ગણાય પણ માત્ર  ૫.૬ ટકા જ વિદ્યાર્થીઓની જ હાયર સેકન્ડરીમાં વ્યવસાયલક્ષી શિક્ષણના પ્રવાહની પસંદગી છે. છોકરાઓ ગણિતમાં તો છોકરીઓ ભાષામાં આગળ છે. આ બધું ભારતની પિતૃસત્તાત્મક સમાજ વ્યવસ્થાને આભારી છે અને સમાજ સુધારણાની ચળવળનો પડકાર શિક્ષણ સમક્ષ પણ છે.

કોરોના મહામારીને લીધે સર્જાયેલી બેરોજગારી છતાં શિક્ષણમાં પ્રવેશ ખાસ ઘટ્યો નથી તે આશ્વાસનરૂપ છે. દેશમાં સ્માર્ટફોનની ઉપલબ્ધતા વધી છે. ૮૯ ટકા બાળકોના ઘરમાં સ્માર્ટફોન છે અને ૯૨ ટકા બાળકોને તે ચલાવતા પણ આવડે છે. જો કે સર્વેક્ષણ હેઠળના વયજૂથના ૪૩.૭ ટકા છોકરા અને ૧૯.૩ ટકા છોકરીઓ મળી ૩૧.૧ ટકા પાસે તો ખુદનો  સ્માર્ટ ફોન છે.  ૮૦ ટકા તેનો ઉપયોગ મનોરંજન માટે કરે છે. અલબત્ત ૭૦ ટકા કોઈ જવાબ શોધવા ગુગલબાબા પાસે જવાનું જાણે છે. પોણા ભાગનાને એલાર્મ સેટ કરતાં ફાવે છે. એટલે હવે કમ્પ્યુટર અને ફોનનો શૈક્ષણિક ઉપયોગ વધારવાની જરૂર છે.

‘અસર’ના શૈક્ષણિક સ્થિતિ અંગેના રિપોર્ટની નોંધ નીતિ નિર્માતા, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને વાલીઓ લે છે અને તેના અમલ માટે લોકદબાણ ઊભું થાય છે. ૨૦૧૭માં શિક્ષણના અધિકાર અધિનિયમમાં રાજ્યો માટે શિક્ષણનાં મૂલ્યાંકનને ફરજિયાત કરતો સુધારો, નીતિ આયોગનો ૨૦૧૭થી ૨૦નો એકશન પ્લાન તથા ૨૦૨૦ની શિક્ષણ નીતિમાં બાળકો પાયાનું વાચન ગણન સંબંધી જ્ઞાન કૌશલ હાંસલ કરે તેનો સમાવેશ અસરના સર્વેક્ષણનું પરિણામ હોઈ શકે છે.

ઉપલા ધોરણના બાળકોનો નીચલા ધોરણનો પાયો કાચો હોય તેનું શું થઈ શકે તે પણ એક પડકાર છે. વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકો માટે તેમના હાલના અભ્યાસક્રમની સાથે નીચેના ધોરણનું ભણાવવાનું શક્ય બનતું નથી. બીજી તરફ જો પાયો કાચો હશે તો ભવિષ્યમાં દેશની શ્રમશક્તિની ગુણવત્તા પર અસર થશે તેથી પણ તેમને બીજા બાળકોની હરોળમાં લાવવા જરૂરી છે. શિક્ષણની વ્યવસ્થા પાઠ્યપુસ્તક કેન્દ્રી કે વર્ગ કેન્દ્રી ને બદલે વ્યક્તિગત વિદ્યાર્થી કેન્દ્રિત બનાવી શકાય તો કદાચ નામાંકનમાં વૃદ્ધિ શિક્ષણની ગુણવત્તામાં પણ વૃદ્ધિ બની શકે.

ચૌદથી અઢાર વરસના કિશોરો અને યુવાઓ તેમના ભાવિ વિશે બેખબર છે અને તેનું કોઈ માર્ગદર્શન તેમને મળતું નથી. ૪૮.૩ ટકા વિદ્યાર્થિનીઓ અને ૪૨.૫ ટકા વિદ્યાર્થીઓના કોઈ આદર્શ કે રોલમોડેલ નથી. ડેમોગ્રાફિક ડિવિડન્ડના લાભ મેળવવા હવે વિશ્વગુરુ બનવું હશે તો મતદારની વયે પહોંચેલા વિદ્યાર્થીઓના શિક્ષણની હાલત વિષે ચિંતા કરી તેમના શિક્ષણ સામેના પડકારો ઝીલી લેવા તે સમયનો તકાદો છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

આજે સાંભરે છે અગ્નિશિખા શાં વિમલાતાઈ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|3 April 2024

વિમલાતાઈનાં ઉત્તરવર્ષોનો સિંહભાગ જે. કૃષ્ણમૂર્તિ અને જયપ્રકાશ વચ્ચેના અનન્ય સંતુલન શો વરતાય છે. સમાજનિસબત વગરની આધ્યાત્મિક જીવનચર્યા એમને એક ઐયાશી (લગ્ઝરી) લાગતી

ઝંઝાવાતી ભૂદાનયાત્રી વિમલાતાઈ

રામ નવમી આવવામાં હોય અને ધુળેટી હજુ હમણાં જ ગઈ હોય એવા આ દિવસોમાં, વિમલાતાઈ(15 એપ્રિલ, 1921: 11 માર્ચ, 2009)નાં જન્મ ને મૃત્યુ કલ્યાણકો વચ્ચે એમનું સ્મરણ એક સાથે બે છેડેથી થઈ આવે છે : હાલના ચૂંટણી કોલાહલ વચ્ચે આ મરમી જીવનસાધિકાએ શું કહ્યું હોત. તે સાથે, જગતને તો શું પૂછીએ પણ જાતને પૂછવાજોગ એ એક સવાલ પણ બારણાં ખટખટાવે છે કે 2021-22માં એમની શતાબ્દી કેમ જાણે લગભગ વણઉજવી બલકે વણગાઈ ચાલી ગઈ. 

પ્રકાશ ન. શાહ

કોરોના કાળનું હોવું અને ઊતરતે ઊતરતે એનું તાઈના અંતેવાસીવત્ અરવિંદ દેસાઈને લઈ જવું, એ બીનામાં એક ખુલાસો જરૂર જડે છે: ન મહાજન પરંપરાના કલ્યાણભાઈ ત્રિકમલાલ આપણી વચ્ચે, ન તો રચનાત્મક સ્વાતંત્ર્યસૈનિક ઘરાણાના પ્રફુલ્લ દવે, નહીં થિયોસોફીમાં રમેલા ને તાઈની સંનિધિમાં વિકસેલા અરવિંદભાઈ.

ચાલુ કોલાહલ વચ્ચે તાઈને સંભારું છું ત્યારે જુલાઈ 1975 અને 1979ના ઉત્તરાર્ધના બે પ્રસંગો સામે આવે છે. ’75ના જુલાઈમાં એક દિવસે અનેરાથી ગોવિંદભાઈ રાવળનો સંદેશો મળ્યો કે તાઈ અહીંથી નીકળી ગયાં છે અને તમે એમને હીમાવન (પાલડી ચાર રસ્તા, અમદાવાદ) પાછળ કલ્યાણભાઈને ત્યાં મળો. અમે પહોંચ્યા ત્યારે તાઈ આવીને પરવારવામાં હશે, બેઠકખંડમાં કલ્યાણભાઈ સાથે. અમે કેમ છો, કેમ નહીં કર્યું ન કર્યું ત્યાં તો પડખેના ખંડમાંથી તાઈ ધસમસતાં આવ્યાં, અગ્નિશિખાની એન્ટ્રી જાણે!

બેઠકખંડમાંની વાતો અડધે શબ્દે અટકી પડી, કેમ કે તાઈ રૂંધાયેલા ગળે પણ આક્રોશભેર બોલતાં હતાં – દેશનો બાપ જેલમાં છે ને બાબા શું કરે છે? જયપ્રકાશ ત્યારે જેલમાં હતા ને વિનોબાજી નિષ્ક્રિયવત્ દીસતા હતા એથી આવી પડેલો આ સામાન્ય સંજોગોમાં વણકલ્પ્યો એવો ઉદ્દગાર હતો. (બાકી, તાઈને વિનોબા વિશે આદર ને આત્મીયતા કઈ હદે હશે એનો સાક્ષાત્કાર મને વિનોબાના અંતિમ પર્વમાં થયો હતો. એક્સપ્રેસ ઓફિસ પર કલાકે કલાકે ફોનમાં એ પૂછતાં પુછાવતાં હતાં.)

તાઈના આ અગ્નિશિખા આવૃત્તિ, 1975 પહેલાં વચલાં વરસોમાં જાણે શાંત પડી ગઈ હતી. ક્યારેક એ ઝંઝાવાતી ભૂદાનયાત્રી હશે, પણ પછી એ એક અંતર્યાત્રાના દોરમાં ચાલ્યાં ગયાં. દાન આપનાર કે દાન લેનાર, બેઉમાં આ ઘટના આસપાસ કોઈ આમૂલ પરિવર્તન નથી થતું. માલિકી હક્કનું વિસર્જન એકે પક્ષે નથી અનુભવાતું. 

આવી ઉત્કટ પ્રતીતિ સાથે તાઈએ કેટલાક સમય માટે જાતને સંકેલી અંતર્યાત્રાનો રાહ પકડ્યો. જે. કૃષ્ણમૂર્તિ ત્યારે એમને સારુ વાતનો વિસામો હતા. પણ આધ્યાત્મિક મુક્તિના આ આનંદકાળ પછી એમને આગલા અનુભવોએ કરીને અંતરથી ઊગ્યું કે એકલા આંતરિક વિકાસની વાત એકલા સામાજિક વિકાસ જેટલી જ ખોડંગાતી છે : જીવનમાં એક એવો અભિગમ જોઈએ, અખિલાઈભર્યો, જેમાં બંનેનો મેળ હોય. એમનો ઊંડો અભ્યાસી હોવાનો દાવો ન કરી શકું, પણ એટલું જરૂર કહું કે તાઈનાં ઉત્તરવર્ષોનો સિંહભાગ જે. કૃષ્ણમૂર્તિ અને જયપ્રકાશ વચ્ચેના અનન્ય સંતુલન શો વરતાય છે.

પહેલાં 1975નું એક સ્મરણ કહ્યું. હવે 1979ની વાત કરું. કટોકટી ઊઠ્યા પછી જનતા રાજ ટૂંકજીવી પુરવાર થયું હતું, નવી ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હતા. એ દિવસોમાં એક સાંજે યુનિવર્સિટી વિસ્તારમાં દાદાસાહેબનાં પગલાંથી આગળ મોખરાના ભાગમાં થિયોસોફિકલ સોસાયટીની ‘કૃષ્ણકુટિ’માં પ્રો. બબાભાઈ પટેલ અને હું તાઈને મળવા ગયા હતા. ઘેરાતાં ચૂંટણી વાદળ વચ્ચે અમે પૂછ્યું કે આપણી ભૂમિકા શું. એ ધારાધોરણસર ચૂંટણી લડવાથી માંડી હિસાબી ચોખ્ખાઈ અને વેરઝેરથી મુક્ત પ્રચાર વગેરે વાતો કરી શક્યાં હોત. પણ એમનું જે પહેલું બાણ છૂટ્યું તે મર્મવેધી હતું – કાઁગ્રેસ કો એક ચપ્પા જમીં ભી નહીં મિલની ચાહિયે. આજે અધિકારવાદી બળો સંદર્ભે એ આથી જુદું ભાગ્યે જ કહે. સમાજનિસબત વગરની આધ્યાત્મિક જીનવચર્યા એમને એક ઐયાશી (લગ્ઝરી) લાગતી.

નવી પેઢીના વાચકમિત્રોને કદાચ ખયાલ નયે હોય એટલે એમની ટૂંકી તો ટૂંકી પણ જીવનગાથા મારે ઉતાવળે ય કહેવી જોઈએ. નાનપણમાં મિત્રો સાથે મળી વિવેકાનંદ મંડળ ચલાવતી આ મેધાવી છોકરીના રંગઢંગ એવા બિનદુનિયાદારી હતા કે કોઈ કુટુંબીજનોના કહ્યાથી એ મનોરોગી તો નથી ને એવી દાક્તરી તપાસ કરાવાયાનુંયે સાંભળ્યું છે. રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ અને સર્વોદય ચિંતક દાદા ધર્માધિકારી સાથેનો નિકટતાનો એના ભાવજગતને ઘડતો હશે જરૂર, પણ કુ. વિમલા ઠકાર એકદમ ઊંચકાયાં 1951-52 આસપાસ. 

સર્વપલ્લી રાધાક્રિષ્ણન્‌ના આ છાત્ર ફિલસૂફીમાં એમ.એ. થયાં ન થયાં અને વર્લ્ડ એસેમ્બલી ઓફ યૂથ (વે) પ્રકારનાં આયોજનોમાં ભાગ લેવા પરદેશ ગયાં ત્યારે વિજયાલક્ષ્મી પંડિતની નજરમાં એવાં તો વસી ગયાં કે એમણે ભાઈને (જવાહરલાલને) તાર કર્યો કે આ તરુણીને સ્વરાજનિર્માણનાં કામોમાં ઝડપી લેવા જેવી છે! પણ વિમલાને ભૂદાન આંદોલન સાદ દેતું હતું. 

ભૂદાનયાત્રાના વર્ષોમાં એ જયપ્રકાશનાં વ્યાખ્યાનોની નોંધ લેનાર તરીકે, તેજસ્વી વક્તા તરીકે, નશામાં ધૂત જમીનદારને ‘ભાઈ’ના સંબોધને જીતી લઈ ભૂદાન મેળવનાર તરીકે, એમ અનેકધા ઝળક્યાં. ચાલુ યાત્રાએ ધર્માધિકારી, જયપ્રકાશ ને અચ્યુત પટવર્ધને બનાવી આવેલી પુસ્તકસૂચિને સેવતાં ને જાગતા સવાલોના જવાબ વિનોબાજી અને આ ત્રણે ઉપરાંત ક્રિપાલાણી, લોહિયા, કાલેલકર પાસે મેળવતાં ગયાં અને એમ આંદોલનના નિંભાડામાં પાકતાં ગયાં.

આસામના છાત્ર આંદોલનથી માંડી વાલેસાના સોલિડારિટી આંદોલન તેમ ગ્રીન મૂવમેન્ટના મિત્રો સાથે દિલી આપલે, ગુજરાત બિરાદરી થકી નિસબત ધરાવતા નાગરિકો પેદા કરવાનો પ્રયત્ન, યુનાઈટેડ નેશન્સને સ્થાને યુનાઈટેડ પીપલ્સની પરિકલ્પના, દક્ષિણ એશિયાઈ બિરાદરી … શું સંભારું, શું ભૂલું!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 03 ઍપ્રિલ 2024

Loading

સોગાદ

નંદિતા મુનિ|Poetry|3 April 2024

અતિપ્રિય કવિ મેરી ઓલિવરના કાવ્ય ‘The Gift’નો મુક્ત અનુવાદ પ્રસ્તુત કરું છું.

*

સ્થિર બન, ઓ હૃદય, ને તું દૃઢ બની જા.

નિતરી ચાલ્યો સમય છો ઘડિયાળમાંથી

ને ચપળ, મગરુબ હતી જે ચાલ તારી

પડી ગઈ ધીમી, તોયે હજુ, જો

ગગન ને ધરતી રહ્યાં તુજને નિહાળી.

તો ધીમા રહેવું પડે, તો પણ અરે તું

કામ કરવા દે હૃદયને ખરું એનું.

એકદા કરિયો હતો જે પ્રેમ 

ઊંડો ને અધીરો

હજુ કર એમ જ. 

વિભુને, વિશ્વને તું 

આભારવશતા જાણવા દે

જાણવા દે કે તને સોગાદ મળી છે.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...742743744745...750760770...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved