Opinion Magazine
Number of visits: 9457442
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આધુનિક લોકશાહીમાં સંવાદનું સ્થાન

પ્રવીણ જ. પટેલ|Opinion - Opinion|12 December 2023

When citizens cannot engage in rational, thoughtful discussions, the health of democracy is in peril

— Alexis de Tocqueville

લોકશાહીમાં પ્રજા જ શાસક હોય છે. પરંતુ સરકાર દ્વારા જે નિર્ણયો લેવામાં આવે છે તેમાં લોકોનો અભિપ્રાય ન હોય તો તેઓ કેવી રીતે શાસનના હિસ્સેદાર બની શકે ? તેથી લોકશાહીમાં વિચારોની મુક્ત અભિવ્યક્તિ, ચર્ચા, સંવાદ અને વાદ-વિવાદ અનિવાર્ય છે. લોકશાહી એટલે માત્ર ચૂંટણીઓ નથી. દર પાંચ વર્ષે એક વાર મતદાન કરવા માત્રથી લોકશાહી ટકતી નથી. લોકોના ભલાને સુરક્ષિત કરવા માટે નિરંતર સંવાદ, ચર્ચા, વાદવિવાદ અને અસંમતિ દ્વારા લોકશાહીનું પાલન કરવું પડે છે.  

લોકશાહીમાં મતભેદ, રાજકીય હરીફાઈ અને વાટાઘાટો

સમાજ વૈવિધ્યપૂર્ણ હોવાથી વિવિધ મંતવ્યો અને અભિપ્રાયો પ્રવર્તમાન હોય છે. તેને કારણે મતભેદ ઊભા થતા હોય છે. આવા મતભેદોનું પ્રતિનિધિત્વ કરવા વિવિધ રાજકીય પક્ષો કે હિત જૂથો (interst groups) અસ્તિત્વમાં આવતાં હોય છે. જેમાંથી રાજકીય સ્પર્ધા જન્મે છે. આવી રાજકીય સ્પર્ધા લોકશાહીનું અવિભાજ્ય અંગ છે. પરંતુ લોકશાહીમાં મતભેદોનો ઉકેલ બળથી નથી લવાતો. તેથી લોકશાહીમાં સંવાદ અને સમાધાન અનિવાર્ય થઈ પડે છે.

આધુનિક લોકશાહીમાં, રાજકીય પક્ષો ચૂંટણી ઢંઢેરા, ભાષણો અને સંદેશાવ્યવહાર દ્વારા જનતાને શિક્ષિત અને સંગઠિત કરવમાાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચૂંટણીમાં જે પક્ષને બહુમતી મળે તે પક્ષ સરકાર બનાવે છે; કાયદા, નીતિઓ અને શાસન માટે જવાબદાર બને છે. જે પક્ષો સત્તામાં ન હોય તે વિરોધપક્ષ બને છે. શાસકોને જવાબદાર બનાવવા, સત્તાનો દુરુપયોગ અટકાવવા અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે વિપક્ષ સરકારની ચોકીદારી કરે છે. વિપક્ષ નીતિગત વિકલ્પો રજૂ કરે છે, લઘુમતી હિતોનું રક્ષણ કરે છે અને રાજકીય ચર્ચાને નિરંતર ચાલુ રાખે છે. વિપક્ષ ભ્રષ્ટાચારને રોકવાનું અને સરકારને વધુ શક્તિશાળી અથવા સરમુખત્યારશાહી બનતાં અટકાવવાનું કામ કરે છે. વિપક્ષ વધુ સારી નીતિઓ અને ન્યાયીપણાનો આગ્રહ રાખે છે. જે તંદુરસ્ત લોકશાહી અને સમગ્ર સમાજના ઉજ્જ્વળ ભવિષ્ય માટે જરૂરી છે.

લોકશાહીમાં રાજકીય પક્ષો ઉપરાંત જુદાં-જુદાં ક્ષેત્રોમાં રસ ધરાવતા લોકો તેમને સ્પર્શતા વિશેષ મુદ્દાઓ, પ્રશ્નો કે સમસ્યાઓની ચર્ચા કરવા અને તેમના સમાધાન માટે સરકારમાં રજૂઆત કરવા અને જરૂર પડે તો સરકાર ઉપર દબાણ લાવવા સંગઠિત થતા હોય છે. તેમને હિત જૂથો (interst groups) કે દબાણ જૂથો (pressure groups) કે હિમાયત જૂથો (advocacy groups) તરીકે ઓળખવામાં આવે છે. પર્યાવરણીય જૂથો, માનવ અધિકાર જૂથો, વ્યાવસાયિક સંગઠનો, કામદાર સંગઠનો અને મહિલા સંગઠનો આવાં જૂથોનાં ઉદાહરણ છે. આવાં જૂથો ક્યારેક કોઈ એક રાજકીય પક્ષની પાંખ તરીકે કામ કરતાં હોય છે. અથવા સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતાં હોય છે.

આવાં રાજકીય પક્ષો અને હિત જૂથોની હરીફાઈને કારણે કોઈ પણ સામાજિક, રાજકીય, આર્થિક કે નૈતિક મુદ્દાઓ અંગે નિર્ણયો લેતી વખતે મોટા ભાગે વિવાદ થતો હોય છે. અને ક્યારેક સંઘર્ષ પણ થતો હોય છે. પરંતુ કોઈ સમાજ સતત સંઘર્ષમાં કે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં લાંબો સમય ન રહી શકે. તેથી લોકશાહી સરકારને આવા વિરોધપક્ષો કે વિવિધ હિતજૂથો સાથે વાટાઘાટો, ચર્ચા-વિચારણા કરવી પડતી હોય છે અને બાંધ-છોડ કરીને સૌને કે બહુમતીને સ્વીકાર્ય હોય તેવા નિર્ણયો કરીને તેમની સાથે સમાધાન પણ કરવું પડતું હોય છે. તેથી ખ્યાતનામ અમેરિકન રાજ્યશાસ્ત્રી રોબર્ટ ડા’લ (Robert S. Dahl : ઈ.સ. ૧૯૧૫-૨૦૧૪) જેવા વિદ્વાનો લોકશાહી સંસ્કૃતિને બાંધ-છોડ કે સોદાબાજીની (bargaining) સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે.

જ્ઞાન, અભિપ્રાય અને ચર્ચા

લોકશાહીમાં ચર્ચા અને સંવાદનું મહત્ત્વ સમજવા માટે જ્ઞાન અને અભિપ્રાય વચ્ચેનો તફાવત સમજવો પણ જરૂરી છે. જે બાબતો વસ્તુલક્ષી હોય, નક્કર હકીકતો ઉપર આધારિત હોય, તે વિષે આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ. તેના વિષે ખાસ વિવાદ નથી થતો. જેમ કે, ગુરુત્વાકર્ષણના નિયમ અંગે વિવાદ થવાની સંભાવના નથી હોતી. કારણ કે વિજ્ઞાનીઓએ ચોક્કસ સંશોધન અને પુરાવાઓને આધારે સાબિત કરેલું છે કે જગતમાં ગુરુત્વાકર્ષણનો નિયમ કામ કરે છે. આ કોઈ અભિપ્રાયનો વિષય નથી. તેનું આપણને વસ્તુલક્ષી (objective) જ્ઞાન છે. પરંતુ, જે બાબતો આત્મલક્ષી (subjective) હોય, મૂલ્યો ઉપર આધારિત હોય, તેમના વિષે આપણે માત્ર અભિપ્રાય ધરાવીએ છીએ. આવા અભિપ્રાયોની સત્યાસત્યતા વિષે આપણને ચોક્કસ ખાતરી હોતી નથી. તેથી વિવાદ થાય છે. જેમ કે, લાલ રંગ સારો કે લીલો એવા પ્રશ્ન અંગે મતભેદ હોઈ શકે છે. કારણ કે, તે વ્યક્તિગત અભિપ્રાયનો વિષય છે.

અભિપ્રાયો અલગ-અલગ હોઈ શકે છે. જ્યારે જ્ઞાન સુસંગત રહે છે. જ્ઞાન ચોક્કસ અને અકાટ્ય હોય છે, જ્યારે અભિપ્રાયો ખોટા હોઈ શકે છે. વાદ-વિવાદ મંતવ્યોની વિવિધતામાંથી ઉદ્ભવે છે, જ્યારે જ્ઞાન નિર્વિવાદ હોય છે. ક્યારેક કોઈ અભિપ્રાય સાચો હોઈ શકે છે, પરંતુ તેની સચ્ચાઈ ચકાસી શકાય તેવાં કારણોનો અભાવ હોય છે. તે માત્ર એક સાચું અનુમાન હોય છે. જ્ઞાન પુરાવા, તથ્યો અને તર્ક દ્વારા સમર્થિત માહિતી હોય છે. તે સચોટ અને ચકાસી શકાય તેવું હોય છે. તેથી જ્ઞાનનો સ્વીકાર અનિવાર્ય હોય છે, જ્યારે અભિપ્રાયો અંગે કાયમ મતભેદ હોઈ શકે છે.

લોકશાહીમાં ઘણી બધી સામાજિક, રાજકીય, આર્થિક કે નૈતિક બાબતો અંગે જનતાના, રાજકીય પક્ષોના કે હિત જૂથોના અભિપ્રાયો અલગ-અલગ હોઈ શકે છે. આવા અભિપ્રાયો ઘણી વાર દરેક પક્ષકારની નીતિઓ, પસંદગીઓ, અને મૂલ્યો ઉપર આધારિત હોય છે. તેથી કોઈ પણ લોકશાહી સમાજમાં મતભેદો અનિવાર્ય છે. જો કે, એવી દલીલ કરી શકાય કે જુદા-જુદા સામાજિક, રાજકીય, આર્થિક કે નૈતિક પ્રશ્ન અંગે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનસશાસ્ત્ર જેવાં સામાજિક વિજ્ઞાનો કે દર્શનશાસ્ત્રના નિષ્ણાતો અભ્યાસ કરીને સિદ્ધાંતો વિકસાવે છે. પરંતુ આ બધાં શાસ્ત્રો ભૌતિક વિજ્ઞાનો જેટલાં વિકસિત ન હોવાથી જે તે ક્ષેત્રના વિદ્વાનોમાં વિવિધ સિદ્ધાંતો અંગે ઘણો વિચારભેદ પ્રવર્તતો હોય છે. ઉદાહરણ તરીકે, અર્થવ્યવસ્થા મૂડીવાદી હોવી જોઈએ કે સમાજવાદી તે અંગે જુદી-જુદી દલીલો થઈ શકે છે. તે દલીલો તાર્કિક પણ હોઈ શકે છે. પરંતુ તે દલીલોને નિર્વિવાદ તથ્યાત્મક સમર્થન નથી હોતું. તે અમુક મૂલ્યો ઉપર આધારિત હોવાથી તે અંગે મતભેદ થઈ શકે છે. તે જ રીતે સરકારે અમુક ચોક્કસ બાબત અંગે નિર્ણય કરવાના હોય ત્યારે પણ અનેક પ્રશ્નો અને તેમના વિવિધ વૈકલ્પિક જવાબોનો સામનો કરવો પડતો હોય છે. ઉદાહરણ તરીકે, સરકાર દ્વારા કરવેરા નાખવા જોઈએ એ અંગે મતભેદ ન હોય તો પણ રોકાણને ઉત્તેજન આપવા ઓછા કરવેરાને પ્રાધાન્ય આપવું કે કલ્યાણકારી યોજનાઓને ભંડોળ પૂરું પાડવા અને આવકની અસમાનતા ઘટાડવા માટે વધુ કરવેરા નાખવા જોઈએ જેવી બાબતોમાં અર્થશાસ્ત્રીઓના મત અને સિદ્ધાંતો જુદા-જુદા હોય છે. આમ સામાજિક, રાજકીય અને આર્થિક મુદ્દાઓ અંગેના નિર્ણયો અનેક જટિલ પરિબળો અને અલગ-અલગ મૂલ્યો ઉપર આધારિત હોવાથી આપણને જ્ઞાન આધારિત કોઈ એક ‘સાચા’ જવાબને બદલે જુદાં-જુદાં મંતવ્યોની શૃંખલા જોવા મળે છે. તેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય છે. સ્વાભાવિક રીતે જ આવી પસંદગી નિર્વિવાદ ન હોઈ શકે. તેથી તે અંગે ચર્ચા જરૂરી થઈ પડે છે.

લોકશાહીમાં સંવાદનું મહત્ત્વ

સહિયારા હેતુને સિદ્ધ કરવા વાસ્તે જ્યારે લોકો સમાજમાં રહેતા હોય છે ત્યારે સામાજિક એકતાની ભાવના જાળવી રાખવી પણ આવશ્યક છે. લોકશાહીમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં બળજબરી કે હિંસાના વિકલ્પ તરીકે સમજાવટ વધુ ઉપયોગી માનવામાં આવે છે. તેથી જાહેર ચર્ચા લોકશાહીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સંવાદમાં સામેલ થવાથી જુદી-જુદી વ્યક્તિઓ અને જૂથો વિવિધ વિચારો, પુરાવાઓ અને દલીલો રજૂ કરી શકે છે અને તેનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરી શકે છે. માહિતી અને દૃષ્ટિકોણના આવા વિનિમયથી વધુ જાણકાર અને સર્વસ્વીકૃત નિર્ણયો લેવામાં મદદ મળે છે. સંઘર્ષોને ટાળવામાં અને ધ્રુવીકરણને ઘટાડવામાં પણ સંવાદ ઉપયોગી છે. તેથી રાજકીય પ્રક્રિયામાં નાગરિકોની ભાગીદારી અને સક્રિયતા વધે છે. પરંતુ ચર્ચા કર્યા પછી પણ કોઈ એક સર્વસંમત નિર્ણય ઉપર ન આવી શકાય તો શું કરવું ? આવી પરિસ્થિતિમાં એરિસ્ટોટલ (Aristotle : ઈ.પૂ. ૩૮૪-૨૨) જણાવે છે તેમ બહુમતીથી અથવા નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે નિર્ણય લેવો જોઈએ. કારણ કે, આવા નિર્ણયો વધુ સ્વીકૃત બને છે. જેથી સમાજમાં સંવાદિતા વધે છે. તથા નાગરિકોની લોકશાહી શાસનમાં શ્રદ્ધા વધે છે. ભાવિ નાગરિકો પણ આવી ચર્ચાઓના સાક્ષી બનીને એમ કરતાં શીખતા હોય છે.

સંવાદ–વાદ–વિવાદ અને વિતંડાવાદ

ક્યારેક જુદા-જુદા રાજકીય પક્ષો કે હિતજૂથો પોતાના મતના સમર્થનમાં વ્યાપક લોકમત ઊભો કરવા નાગરિકો સમક્ષ જતાં હોય છે. તેમના વિચારો કે અભિપ્રાયોના ટેકામાં શક્ય એટલો મજબૂત કેસ રજૂ કરવા વાસ્તે દાખલા-દલીલો પ્રસ્તુત કરે છે. તેની વિરુદ્ધમાં તેમના હરીફ પક્ષો કે હિતજૂથો પણ પોતાની વૈકલ્પિક માન્યતાઓના સમર્થનમાં પોતાનો કેસ યથાશક્તિ મજબૂત કરીને રજૂ કરવા પ્રયત્ન કરતા હોય છે. આ રીતે દરેક પ્રતિસ્પર્ધી પક્ષ પોતાના મતની હિમાયત કરવાનું ચાલુ રાખે છે અને વિરોધીઓના મત ઉપર હુમલાઓ કરીને તેને રદિયો આપવાનો પ્રયાસ કરે છે. જેથી અમુક બાબતો અંગેની આવી ચર્ચાથી ઉગ્ર વાદ-વિવાદ ઊભા થતા હોય છે.

સામાન્ય લોકોની એવી સમજ હોય છે કે વાદ-વિવાદથી સંઘર્ષ થતો હોય છે, સમાજની શાંતિમાં ખલેલ પડતી હોય છે. માટે આવા વાદ-વિવાદ ટાળવા જોઈએ. પરંતુ હકીકતમાં આવા વાદ-વિવાદ નુકસાનકારક નથી હોતા. મહદંશે તેમની ભૂમિકા રચનાત્મક હોય છે. બ્રિટિશ ફિલસૂફ જ્હોન સ્ટુઅર્ટ મિલ (John Stuart Mill : ઈ.સ. ૧૮૦૬-૧૮૭૩) મતભેદમાં સંડોવાયેલ તમામ પક્ષોને ધીરજપૂર્વક સાંભળવા ઉપર ભાર મૂકતાં જણાવે છે કે વિવિધ પરિપ્રેક્ષ્યોને લગતી ખુલ્લી ચર્ચાઓ દ્વારા પરસ્પરની દલીલોનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરીને તથા તેમાં રહેલ સચ્ચાઈ અને નબળાઈઓને તપાસીને સમાજ સંભવિત ભૂલોને ટાળી શકે છે અને સત્યની વધુ સચોટ સમજણ મેળવી શકે છે, વધુ સારા નિર્ણયો લઈ શકે છે. વધુમાં, મિલે દલીલ કરી હતી કે દરેકને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવાથી બહુમતી અથવા શાસકની જોહુકમીને અટકાવી શકાય છે, કટ્ટરવાદ નબળો પડે છે અને સંતુલિત નિર્ણય લેવાની પ્રક્રિયાને ઉત્તેજન મળે છે.

જો કે, ક્યારેક વિવાદમાં સામા પક્ષની દલીલ બરાબર સાંભળ્યા વિના માત્ર પોતાનો જ કક્કો ખરો કરવાનો આગ્રહ રાખવો, સમાજનાં લાંબા ગાળાનાં હિતોની અવગણના કરીને પોતાનાં હિતનો જ હઠાગ્રહ કરવો, સામા પક્ષની દલીલોનો તાર્કિક અને તથ્યાત્મક જવાબ આપવાને બદલે તેમની મજાક ઉડાવવી અથવા સામા પક્ષે કરેલી ભૂલોને ઢાલ બનાવી પોતાની ભૂલોને સાચી ઠેરવવી, બહુમતી અભિપ્રાયની ઉપેક્ષા કરીને પોતાના લઘુમતી અભિપ્રાયને વળગી રહેવું અથવા લઘુમતીના વાજબી અભિપ્રાયની ઉપેક્ષા કરીને બહુમતી દ્વારા પોતાનો નિર્ણય ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરવો જેવાં વલણો જોવા મળે છે. પરંતુ આવા કુતર્કોથી નિરર્થક વિતંડાવાદ ઊભો થતો હોય છે. જેથી પ્રશ્નોનો ઉકેલ મળતો નથી.

માટે વિતંડાવાદને સંવાદમાં બદલવો જોઈએ. તે માટે વિવાદમાં સંડોવાયેલ દરેક પક્ષે પોતાના અભિપ્રાયના સમર્થનમાં તર્કપૂર્ણ દલીલો કરવી જોઈએ અને સામા પક્ષની દલીલો સહાનુભૂતિપૂર્વક સાંભળવી જોઈએ. સામા પક્ષની દલીલોનું નિષ્પક્ષ અને વસ્તુલક્ષી પરીક્ષણ કરીને ચર્ચાસ્પદ મુદ્દાને જુદા-જુદા પરિપ્રેક્ષ્યથી તપાસવો જોઈએ. સૌએ સાથે મળીને સહિયારા હિતમાં શ્રેષ્ઠ નિર્ણય લેવો જોઈએ. અંતે જે પક્ષ લઘુમતીમાં હોય તેણે બહુમતીના નિર્ણયને સ્વીકારીને તેને અમલમાં મૂકવા સામેલ થવું જરૂરી થઈ પડે છે. જર્મન સમાજશાસ્ત્રી હેબરમાસ (Urgen Habermas :  ઈ.સ. ૧૯૨૯-) કહે છે કે ‘Democracy must constantly be remade through the ongoing, critical examination of the practices of political communication and debate.’ તેમના મત પ્રમાણે આધુનિક લોકશાહી અને કાનૂનવ્યવસ્થા વાર્તાલાપ કે સંવાદ (descourse) ઉપર આધારિત છે. હેબરમાસ માને છે કે લોકશાહીની વૈધતા (legitimacy) નાગરિકો વચ્ચેના વિચારોના તર્કસંગત અને સર્વ સમાવેશી આદાન-પ્રદાનમાંથી પ્રાપ્ત થાય છે. કાયદેસર અને ન્યાયી સમાજની સ્થાપના માટે તર્કસંગત વાતચીત જરૂરી છે. હેબરમાસ માને છે કે સંવાદની યથાર્થતા સત્ય, પ્રામાણિકતા અને નિખાલસતા ઉપર આધારિત છે.

ભારતમાં ચર્ચાનું પ્રમાણ અને ગુણવત્તા

અમર્ત્ય સેન (Amartya Sen : ઈ.સ. ૧૯૩૩ -) અને ભીખુ પારેખ (Bhikhu Parekh :  ઈ.સ. ૧૯૩૫ -) જેવા વિચારકો જણાવે છે તેમ ભારતમાં ચર્ચાની પરંપરા સદીઓ પુરાણી છે. આધુનિક ભારતમાં પણ અનેક સ્તરે ચર્ચા અને સંવાદ ચાલતો રહેતો હોય છે. જેમ કે ચૂંટણી ઝુંબેશ દરમ્યાન વ્યાપક અને ખુલ્લી ચર્ચા થાય છે. મીડિયામાં દરરોજ ચર્ચા થાય છે. પરંતુ, લોકશાહીમાં ચર્ચા અને સંવાદનું સૌથી મોટું અને સૌથી અગત્યનું પ્લેટફોર્મ છે : સંસદ (Parliament). કારણ કે, સમાજમાં થતી બધી જ ચર્ચાનું અંતિમ સમાપન સંસદમાં ઘડાતા કાનૂનોમાં થાય છે. આમ તો ભારતની સંસદ તેની ઉન્નત સંસદીય પ્રણાલીઓ અને ખાસ કરીને તેમાં થતી ઉચ્ચ કક્ષાની ચર્ચા માટે જાણીતી છે. જેમ કે, ઈ.સ. ૧૯૭૫-૭૭ના કટોકટી કાળમાં જ્યારે સંવાદ લગભગ તૂટી પડ્યો હતો ત્યારે પણ ઉમાશંકર જોશી અને પુરુષોત્તમ માવળંકર જેવા સાંસદોએ સંસદમાં પ્રાણવાન ચર્ચા ચાલુ રાખી હતી.

પરંતુ, કમનસીબે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંસદમાં થતી ચર્ચાનું પ્રમાણ અને ગુણવત્તા બંનેમાં ઘટાડો થઈ રહ્યો છે. સંસદમાં ચર્ચા કરતાં ઘોંઘાટ અને વિક્ષેપો વધુ થઈ રહ્યા છે. અને તેથી પણ વધુ ચિંતા ઉપજાવનારી બાબત એ છે કે ચર્ચાનું પ્રમાણ જ ઘટી રહ્યું છે. ઉદાહરણ તરીકે, ભારતની પી.આર.એસ. લેજિસ્લેટિવ રિસર્ચ નામની સંસ્થાની માહિતી અનુસાર, સોળમી લોકસભા(ઈ.સ. ૨૦૧૪-૨૦૧૯)ની બેઠકના દિવસોમાં તમામ પૂર્ણ મુદ્દતની લોકસભાની સરેરાશ કરતાં અસામાન્ય ઘટાડો થયો હતો અને ૪૦ ટકા ઓછું કામ થયું હતું. આ લોકસભાએ તેના નિર્ધારિત સમયના ૧૬ ટકા વિક્ષેપોમાં ગુમાવ્યા હતા. અને માત્ર ૨૫ ટકા ખરડાને જ ચકાસણી માટે સંસદની વિવિધ સમિતિઓને મોકલાયા હતા, જે ચૌદમી અને પંદરમી લોકસભામાં અનુક્રમે ૬૦ ટકા અને ૭૧ ટકા કરતાં ઘણા ઓછા હતા. સોળમી લોકસભામાં તારાંકિત પ્રશ્નોના ૧૮ ટકાને જ મૌખિક જવાબો મળ્યા હતા અને પ્રશ્નકાળનો સમય તેના નિર્ધારિત સમયના ૬૭ ટકા જ રહ્યો. હાલની સત્તરમી સંસદની સમયાવધિ (ઈ.સ. ૨૦૧૯-૨૦૨૪) હજુ પૂરી થઈ નથી. પરંતુ, તેની અત્યાર સુધીની કામગીરી બતાવે છે કે તેમાં સોળમી લોકસભાની સરખામણીમાં કોઈ નોંધપાત્ર તફાવત થયો નથી.

આમ, તાજેતરમાં ભારતની સંસદમાં ચર્ચાની ભૂમિકા ઘટી રહી છે. પરિણામે રાજકીય પ્રશ્નોનું ધ્રુવીકરણ અને સામાજિક તણાવ વધતાં જાય છે. ઉદાહરણ તરીકે, ઈ.સ. ૨૦૧૬માં સરકારે કોઈ પણ ચર્ચા વિના ડિમોનેટાઈઝેશન દ્વારા દેશમાં વપરાતી ૮૬ ટકા નોટોને નાબૂદ કરી હતી. જેથી સામાન્ય લોકોને અભૂતપૂર્વ હાલાકી ભોગવવી પડી હતી, અનેક લોકોનાં મૃત્યુ થયાં હતાં. તે જ રીતે, ઈ.સ. ૨૦૨૦માં સરકારે ત્રણ કૃષિ કાનૂનો વ્યાપક ચર્ચા વિના અને ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના પસાર કર્યા હતા. પરિણામે ઈ.સ. ૨૦૨૦-૨૧ દરમ્યાન લગભગ દોઢ વર્ષ સુધી ભારતના કિસાનોએ એક જબરદસ્ત આંદોલન કર્યુ હતું. અંતે સરકારને તે ત્રણ કાનૂનોને રદ્દબાતલ કરવા પડ્યા હતા.

સમાપન

સંવાદમાં ઘટાડો એટલે લોકશાહીમાં ઘટાડો. સંવાદનો અંત એટલે લોકશાહીનો અંત. ચર્ચા, સંવાદ અને સોદાબાજીની નિષ્ફળતાનાં પરિણામો ગંભીર હોઈ શકે છે. જ્યારે લોકોને લાગે છે કે તે તેમના અવાજથી કોઈ ફરક પડતો નથી ત્યારે સામાજિક ધ્રુવીકરણ, આંદોલનો, અશાંતિ અને હિંસા વધે છે. સરમુખત્યારી દેશોના શાસકો જ વિરોધ કે અસંમતિને રાષ્ટ્રવિરોધી ગણીને સંવાદને દબાવી દેતા હોય છે. પરંતુ, કોઈ પણ સ્વસ્થ લોકશાહી દેશમાં સંવાદને અપેક્ષાકૃત મહત્ત્વ આપવામાં આવે છે. કારણ કે સંવાદ લોકશાહીનો પર્યાય છે.

(સાભાર – “નવનીત સમર્પણ”)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 નવેમ્બર 2023; પૃ. 04 – 06

Loading

અપ્રાપ્ય અને અમુદ્રિત … એક નહીં, અનેક કાન્તિલાલ મ. શાહ મળી આવે

કેતન રુપેરા|Opinion - Opinion|11 December 2023

નવેમ્બર, ૧૯૧૧માં જન્મેલા અને ડિસેમ્બર, ૧૯૯૩માં અંતિમ યાત્રાએ‌ નીકળી ગયેલા, એટલે ન હીરક કે ન અમૃત જયંતી અને શતાબ્દી તો નહીં જ … છતાં, કાન્તિલાલ મ. શાહને ફરી યાદ કરી લેવાનું કારણ અથવા હવે ફરી ન વિસરી જઈએ એ માટેનું ઉમેરણ શું?

સ્વાતંત્ર્યસેનાની, પત્રકાર, લેખક, સંશોધક, અનુવાદક, સામાજિક કાર્યકર અને કોઈક અરસામાં વળી કોઈ છાત્રાલયના ગૃહપતિયે ખરા, એવા કાન્તિલાલનાં બે–પાંચ–સાત નહીં, અંકે પૂરાં 14 પૂર્ણ કદનાં પુસ્તકો, બે પુસ્તક શ્રેણીઓ અને સાથે જીવનસંગિની પ્રમીલાબહેન ભાવાનુદિત છ પુસ્તકોની શ્રેણી મળીને કુલ ત્રીસેક જેટલાં પુસ્તકો ગત જૂન માસે એકી ક્ષણે પ્રકાશિત થયાં એ વિદ્યાવ્યાસંગી પ્રસંગ. 

પોર્ટ્રેઇટ સૌજન્ય : તુષાર પટેલ

ઇતિહાસનાં પીળાં પડી ગયેલાં પાનાં પર ભલે વંચાતું નામ, વિસ્મૃત નહીં તો ય થોડું વિસરાયેલું નામ—કાન્તિલાલ મ. શાહ. સૌપ્રથમ ૧૯૫૫માં પ્રકાશિત ઠક્કરબાપાના જીવનચરિત્રની દ્વિતીય આવૃત્તિ એના પ્રકાશિત થયાના વર્ષે, ૨૦૧૮માં વાંચવાની થઈ ત્યારે કાન્તિલાલ મ. શાહ લિખિત આ પુસ્તક વાંચીને અવાચક થઈ જવાયું હતું. એવું ન હતું કે ગુજરાતી સાહિત્યમાં આવું સુરેખ ચરિત્ર કોઈ લખાયું નહિ હોય, એવું પણ નહીં જ હોય કે ચરિત્ર લખવા માટે આટલું ઊંડું સંશોધન કદી થયું નહીં હોય, પણ આ બધું સુપેરે કર્યા પછી પણ ચરિત્રકાર કાન્તિલાલના ‘નિવેદન’ અને ‘ઋણ સ્વીકાર’માં જે કેફિયત ઊઘડી આવી છે, એ કોઈ સ્કોલરે લખેલી ‘અભ્યાસની મર્યાદા’ અને ‘આભાર’ની ઔપચારિકતા-અનિવાર્યતા ન રહેતાં ઠક્કરબાપા પ્રત્યેની તેમની અપાર લાગણી અને ગાંધીસેનાનીની નમ્રતા બની ઊભરે છે!

હકીકતે, આચારમાં ઘણો અઘરો એવો નમ્રતાનો આ ગુણ, ગાંધીયુગના અથવા ઓછામાં ઓછું ગાંધીપ્રભાવ હેઠળના લેખકોમાં સહજ હતો, તે એ અરસાના અન્ય કેટલાક લેખકોને વાંચીને પણ અનુભવી શકાય.

જીવનચરિત્રકાર તરીકે કાન્તિલાલની કર્મણ્યતા

‘ઠક્કરબાપા’નું જીવનચરિત્ર લખવા માટે કાન્તિલાલ મ. શાહે જાત પાસેથી પૂરાં ચાર વરસની મહેનત લીધી હતી. જે જે સંસ્થાઓ સાથે બાપા સંકળાયેલા રહ્યા એવી સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટી – પૂના, ભીલ સેવા મંડળ – દાહોદ, હરિજન સેવક સંઘ – દિલ્હી … આ બધી સંસ્થાઓનાં વાર્ષિક અહેવાલો જોઈ ગયા હતા. બાપા લિખિત અન્ય વિસ્તૃત અહેવાલો અને અનેક છાપાંના કટિંગો પણ જોઈ ગયા હતા. બાપાની છેલ્લાં વીસ વર્ષોની ડાયરી પર પણ‌ નજર ફેરવી ગયા હતા. આ સઘળું કરનાર ‘નવજીવન’, ‘હરિજનબંધુ’, ‘સૌરાષ્ટ્ર’ અને ‘ફુલછાબ’ જેવાં માતબર અખબારોની ફાઈલો‌ સ્વાભાવિક જ ન ચુકે … પણ આટલેથી ન અટકતા તેઓ ગુજરાતમાં સ્થાનિક સ્તરે પરીક્ષિતલાલ મજમુદાર, છગનલાલ જોષી, આભાબહેન ગાંધીથી માંડીને દેશમાં દાદાસાહેબ માવળંકર, રામેશ્વરી નેહરુ (જવાહરલાલનાં પિતરાઈ બહેન અને નારી ઉત્કર્ષમાં મોખરે), વિયોગી હરિ જેવાં દસ-પંદર નહીં, પચાસેક જેટલી વ્યક્તિઓની પણ મુલાકાત લે છે.

આ બરનાં સંશોધન તથા ક્ષેત્રકાર્ય પછી ભીલ સેવા મંડળ – દાહોદ પ્રકાશિત, ડેમી સાઈઝ (૫.૫ × ૮.૫ ઈંચ)નાં ૪૪૮, નામ-સૂચિ સાથે પૂરાં ૪૫૬ પૃષ્ઠનું ઠક્કરબાપાનું ચરિત્ર આપે છે અને આવા એ પુસ્તકમાં લેખક ‘નિવેદન’માં નોંધે છે શું? : “બાપાના જીવનચરિત્રની સામગ્રી માટે જેમને મળવું અનિવાર્ય ગણાય એવાં હજી કેટલાક ભાઈ બહેનો બાકી રહી ગયાં છે. … અમુક સ્થિતિ સંજોગોને લીધે છેવટ સુધી એનો મેળ જ ન ખાધો એટલે અંશે આ ચરિત્રમાં અધૂરાપણુ રહી ગયું છે અને એ અપૂર્ણતા મને ખટકે છે.” કાન્તિલાલની આ દૃષ્ટિ ‘મંગળપ્રભાત’માં ગાંધીજીએ લખેલી ‘નમ્રતા’ પ્રકરણની યાદ અપાવે : “નમ્રતા કેળવવાથી આવતી નથી. તે સ્વભાવમાં આવી જવી જોઈએ. … તેને વ્રતમાં સ્થાન નથી, છતાં વ્રતોના કરતાં કદાચ વધારે આવશ્યક છે.” (પ્રકરણ ‌: ૧૨). સ્વભાવમાં નમ્રતા લાવનાર કાન્તિલાલ નિવેદનમાં આગળ લખે છે, “આ બધા [સંશોધન] પછી ચરિત્ર લખવામાં મેં એક મુશ્કેલી અનુભવી છે તે એ કે બાપા પોતે મૂંગા, એમનું કામ મૂંગું, એમનો સ્વભાવ મૂંગો. આ કારણે એમનું વ્યક્તિત્વ એમના કાર્યમાં મળી ગયું. આથી એમના જીવનનું, એના વિધવિધ પ્રસંગોનું સ્થૂળ રૂપે જે દર્શન થવું જોઈએ એ એમનાં વિરાટ કામો‌ જોતાં પ્રમાણમાં બહુ ઓછું થયું છે.” આ ઉક્તિ વળી, “સ્વાભાવિક નમ્રતા છાની નથી રહેતી. છતાં નમ્ર મનુષ્ય પોતે તે દેખી શક્તો નથી.” એવા ગાંધીજીના વિચાર સાથે કાન્તિલાલના વ્યક્તિત્વનું સંધાણ કરી આપે.

ભીલ સેવા મંડળ-દાહોદ પ્રકાશિત જીવનચરિત્ર : ઠક્કરબાપા

આવા અનિવાર્ય છતાં આસાધારણ ગુણની સાથે વિચારની સ્પષ્ટતા, વિગતની પ્રચુરતા અને ભાષાની પ્રવાહિતાથી હર્યાંભર્યાં ઠક્કરબાપાના આ ચરિત્રને દેશના પ્રથમ અને તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની પ્રસ્તાવના પ્રાપ્ત છે એ પણ આ પુસ્તક માટેની લેખકની પરિશીલનતાનું દ્યોતક છે. 

ફરી યાદ કરવાનું અને હવે ન વિસરવાનું કારણ–ઉમેરણ

નવેમ્બર, ૧૯૧૧માં જન્મેલા અને ડિસેમ્બર, ૧૯૯૩માં અંતિમ યાત્રાએ‌ નીકળી ગયેલા, એટલે ન હીરક કે ન અમૃત જયંતી અને શતાબ્દી તો નહીં જ … છતાં, કાન્તિલાલ મ. શાહને ફરી યાદ કરી લેવાનું કારણ અથવા હવે ફરી ન વિસરી જઈએ એ માટેનું ઉમેરણ શું?

સ્વાતંત્ર્યસેનાની, પત્રકાર, લેખક, સંશોધક, અનુવાદક, સામાજિક કાર્યકર અને કોઈક અરસામાં વળી કોઈ છાત્રાલયના ગૃહપતિયે ખરા, એવા કાન્તિલાલનાં બે-પાંચ-સાત નહીં, અંકે પૂરાં 14 પૂર્ણ કદનાં પુસ્તકો, બે પુસ્તક શ્રેણીઓ અને સાથે જીવનસંગિની પ્રમીલાબહેન ભાવાનુદિત છ પુસ્તકોની શ્રેણી મળીને કુલ ત્રીસેક જેટલાં પુસ્તકો ગત જૂન માસે એકી ક્ષણે પ્રકાશિત થયાં એ વિદ્યાવ્યાસંગી પ્રસંગ. 

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં સાહિત્યકાર રઘુવીર ચૌધરી, રતિલાલ બોરીસાગર, પ્રકાશ ન. શાહ, કુમારપાળ દેસાઈ, (લેફ્ટનન્ટ) સતીષચંદ્ર વ્યાસ, રાજુલ દવે, પ્રીતિ શાહ—અન્ય કોઈ સાહિત્ય સ્વરૂપ-વિષયનો કાર્યક્રમ હોત તો પોતે પણ મંચસ્થ હોઈ શકત એવા પણ કેટલાક મહાનુભાવો—સહિત અનેક સાહિત્યિક અગ્રણીઓ-રસિકોની હકડેઠઠ ઉપસ્થિતિમાં, એક નાનકડી આખી છાજલી ભરાઈ જાય એટલાં પુસ્તકોનાં અક્ષરસ: અનાવરણનો પ્રસંગ પાર પડ્યો. જાણીતા રસાયણવિજ્ઞાની અને ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક અનામિક શાહનું, જાણે પિતાને કરેલું વિદ્યાકીય અર્પણ-તર્પણ બની રહ્યું. પ્રકાશનપુણ્ય હતું સંસ્કાર સાહિત્ય મંદિર – અમદાવાદને ફાળે.

મૂળે કાન્તિલાલના જ ભાઈઓ જયંતીભાઈ શાહ અને અનુભાઈ શાહે (સૌથી મોટા વજુભાઈ શાહ પણ સૌરાષ્ટ્રનાં સંસ્થાકીય અને રાજકીય ઇતિહાસનું અગ્રીમ નામ) મળીને ભાવનગરમાં સ્થાપેલી સંસ્કાર સાહિત્ય મંદિર (1945) નામે પ્રકાશન સંસ્થાએ પાંચ દાયકાથીયે વધુ વરસોના ગાળામાં નાનાભાઈ ભટ્ટ, મેઘાણી, ‘દર્શક’, મૂળશંકર મો. ભટ્ટ, ભૂપત વડોદરિયા, મોહમ્મદ માંકડ જેવા ગરવા લેખકો-સાહિત્યકારોનાં પુસ્તકો અને ટોલ્સટોય તથા પર્લ બક જેવાં લેખકોની કૃતિઓનાં અનુવાદો સહિત અનેક પ્રકાશનો કર્યાં હતાં. “સમાજશિક્ષણને પોષે તેવો સંસ્કારવારસો આપવાની છેવટ સુધી ટેક જાળવનારા પ્રકાશક તરીકે” ‘સંસ્કાર સાહિત્ય મંદિર’નું નામ ખૂબ જાણીતું હતું. પણ પછીનાં વર્ષોમાં વયમર્યાદાને ધ્યાનમાં રાખી આ સમગ્ર વારસો જીવંત રહે તે માટે મનુભાઈ શાહ-ગૂર્જર સાથે પરામર્શ કર્યો અને ગૂર્જરની ભગિની પ્રકાશન સંસ્થા તરીકે આ સંસ્થા કાર્યરત થઈ. એ પછી આ પ્રસંગે એકસાથે ત્રીસેક પુસ્તકો પ્રકાશિત થયાં તેમાં, “મનુભાઈના વ્યક્તિગત લાગણી સંબંધોની ઉષ્મા ભળેલી છે” એમ અનામિકભાઈ લખે છે. 

કાન્તિલાલ મ. શાહ લિખિત-અનુવાદિત 14 પૂર્ણ કદનાં પુસ્તકો, બે પુસ્તક શ્રેણીઓ અને સાથે જીવનસંગિની પ્રમીલાબહેન ભાવાનુદિત છ પુસ્તકોની શ્રેણી મળીને કુલ ત્રીસેક જેટલાં પુસ્તકો એક ક્ષણે પ્રકાશિત થયાં

સાહિત્યપ્રકાર અને પુસ્તકોની નામ-યાદી—શીર્ષકોનું વિષય વૈવિધ્ય આનંદ પમાડે એવાં છે.

Ø   અનૂદિત નવલકથા‌ :

૧. પદ્માને તીરે (હુમાયૂ કબીર) ૨. પ્રથમ પત્ની અને બીજી વાતો (પર્લ બક) ૩. આશાનું બીજ ૧-૨ (પર્લ બક) ૪. ચિત્રાની પ્રેમકથા (લીન યુ ટાંગ)

Ø    પ્રવાસકથા :

૫. હરતાં-ફરતાં હાડપિંજરો વચ્ચે ૬. દુર્ભિક્ષ (વાર્તાઓ)

Ø   લોકકથા સાહિત્ય :

૭. બંગાળની લોકકથાઓ ૮. કાશ્મીરની લોકકથાઓ ૯. દક્ષિણ દેશની લોકકથાઓ

Ø   જીવનચરિત્ર :

૧૦. રાષ્ટ્રસપૂત બળવંતરાય મહેતા ૧૧. કવિવર રવીન્દ્રનાથ ઠાકુર ૧૨. સૌરાષ્ટ્રમાં ગાંધીજી : આશા અને પૂર્તિ ૧૩. મુસ્તફા કમાલ પાશા

Ø   કિશોરકથા : ૧૪. દરિયાની વેળ (પર્લ બક)

Ø   કિશોરસાહિત્ય : ૧૫. બલિદાન કથાઓ ભાગ ૧-૫

૧. રામપ્રસાદ બિસ્મિલ; ૨. કાકોરીના દેશભક્તો; ૩. અમર શહીદો; ૪. બાબા ગુરુદત્તસિંહ; ૫. ક્રાંતિના ઝંડાધારીઓ

Ø   બાળ-કિશોરસાહિત્ય :

૧૬. ચક્રવર્તી રાજગોપાલાચારી લિખિત મહાભારત કથાવલિ ભાગ-૧-૪

Ø   બાળ-કિશોરસાહિત્ય :

૧૭. જાપાનની પરીકથા ભાગ ૧થી ૬ (પ્રમીલાબહેન શાહ ભાવાનૂદિત) ૧. યામાતો તાકેનાં પરાક્રમો, ૨. ચાંદકુમારી, ૩. જાદુઈ આરસ ૪. અક્ષયપાત્ર, ૫. બૂઢી કુભારજા, ૬. અમરલોક

… અને આ પુસ્તકોનાં અંતિમ પૃષ્ઠો પરની યાદીમાં નજર ફેરવીએ તો હજુ તેરેક પુસ્તકો અપ્રાપ્ય હોવાનું ધ્યાને ચઢે.

ઇતિહાસ અને દસ્તાવેજીકરણ પ્રત્યે કાન્તિલાલની દીર્ઘદૃષ્ટિ

‘સંસ્કાર સાહિત્ય મંદિર’ના છત્ર હેઠળ પુનઃપ્રકાશન પામેલાં આ પુસ્તકોનાં કાર્યક્રમ પ્રસંગે વિતરીત કરાયેલી પત્રિકામાં અનામિકભાઈ લખે છે, “૧૯૭૨થી [કાન્તિલાલને] અસ્થમાનો રોગ લાગુ પડ્યો અને પથારીવશ રહ્યા. અસ્થમાના રોગને કારણે કેટલા ય દિવસો સુધી ખોળામાં ઓશિકું અને તેના પર માથું રાખીને બેસવું પડે, પરંતુ જ્યારે જ્યારે તબિયત થોડી સ્વસ્થ લાગે ત્યારે એમની અંગત વિશાળ લાયબ્રેરીમાંથી પુસ્તકો મંગાવીને વાંચતા.” ૧૯૭૪માં કાન્તિલાલ પાસેથી ‘વિરમગામ સત્યાગ્રહ’ અને ૧૯૭૫માં ‘ધ્રાંગધ્રાની લોકલડત’ પુસ્તકો મળ્યાં. એ કદાચ આ રોગ દરમિયાનનો જ યોગ બની રહ્યો હશે?!

સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ચંપારણ, બારડોલી કે દાંડી જેવાં ખરેખર જ વધુ વ્યાપક અને મોટા સત્યાગ્રહો, મોટા નેતાઓની આગેવાની હેઠળ થયેલા આ સત્યાગ્રહોની વચ્ચે ભૌગોલિક વ્યાપની દૃષ્ટિએ નાના એવા ધોલેરા, ધ્રાંગધ્રા, બરવાળા, માતર, વિરમગામ જેવાં અનેક સત્યાગ્રહો આઝાદી પછીનાં વર્ષોમાં સ્વાભાવિક જ લોકસ્મૃતિ અને રાજ્યવૃત્તિમાં ઓછાં રહ્યાં, પરંતુ સ્થળપ્રભાવની રીતે પ્રમાણમાં નાની એવી આ લડતો-સત્યાગ્રહોએ પણ‌ મોટી લડતો માટે પૂરાં પાડેલાં ઊંજણ અને ઈંધણ ઓછાં ન હતાં. આવી લડતો માટે વધુ મોડું થાય એ પહેલાં અને વેળાસર ઇતિહાસ આલેખી લેવો એ લેખકની—સમાજ અને રાજ્ય બંનેને ઓળખી શકવાની—દીર્ઘદૃષ્ટિ અને દસ્તાવેજીકરણની એમને મન રહેલી મહત્તા દર્શાવી જાય છે.

૧૯૪૩માં બંગાળમાં દુષ્કાળ પડેલો. ‘ગુજરાત સમાચાર’ના પ્રતિનિધિ તરીકે કાન્તિલાલને બંગાળ જવાનું થયું. તેના પરિણામસ્વરૂપનો આંખે દેખ્યો અહેવાલ ‘હરતાં-ફરતાં હાડપિંજરો વચ્ચે’ (૧૯૪૫) નામે પ્રાપ્ય થયો છે. દેશના પશ્વિમ છેડે આવેલા બંગાળના દુષ્કાળગ્રસ્ત માનવીની દારૂણતા પૂર્વ છેડાના ગુજરાતમાં ગુજરાતી ભાષામાં પ્રાપ્ત થવી એ તો દસ્તાવેજકારની અને ત્યારના ગુજરાતની કેવી સંવેદનશીલતા!

કાન્તિલાલ મ. શાહ લિખિત ‘હરતાં-ફરતાં હાડપિંજર વચ્ચે’ (1945)માં બંગાળના જે દુષ્કાળ-1943નું વર્ણન છે એ દરમિયાનની એક કરુણ છબી

ઇતિહાસ અને દસ્તાવેજીકરણ પ્રત્યેની કાન્તિલાલની પ્રતિબદ્ધતાનો આવો પહેલો પુરાવો એમની માત્ર ૨૭ વરસની વયે, છેક 1938માં મળી જાય છે. તે ઇજિપ્તના ‘ક્રાંતિવીર મુસ્તુફા કમાલ પાશા’નું જીવનચરિત્ર. ‘ઇન્ડિયન ઓપિનિયન’માં ગાંધીભાઈ અવારનવાર જગત પર પ્રભાવ પાથરનાર વ્યક્તિત્વોનું ચરિત્રલેખન કરતાં રહેતાં. તેમાં કમાલ પાશા વિશે પણ લખ્યું હતું. મો.ક. ગાંધીના શબ્દોમાં, “મુસ્તુફા કમાલ પાશાને લોકો પોતાનો રખેવાળ અને ઉદ્ધારક ગણતા. … જ્યારે જ્યારે કોઈ કોમને (અંગ્રેજી) સરકાર સામે ફરિયાદ હોય ત્યારે તેઓ મુસ્તુફા કમાલ પાશાની છાપાંની ઑફિસને ઘેરી લેતા, અને વચ્ચે પડવા અથવા રસ્તો બતાવવા પાશા આગળ પોકાર કરતા. તે વખતે તેમને કેમ વર્તવું તેની પાશા શિખામણ આપતા.” (ઈ. ઓ., ૨૮-૦૩-૧૯૦૮).

ગાંધીયુગની સાહિત્યિક પ્રેરણા અને ગુજરાતી સાહિત્યમાં પૂર્તિ

કાન્તિલાલે આપેલું કમાલ પાશાનું કે મણિલાલ ભ. દેસાઈએ આપેલું એબ્રહામ લિંકનનું જીવનચરિત્ર કે વિઠ્ઠલદાસ કોઠારીએ આપેલો હેલન કેલરની આત્મકથા Midstream: My Later Lifeનો ‘મઝધાર’ નામે અનુવાદ … આ અને આવાં ઘણાં ચરિત્રોનું મહત્ત્વ એટલા માટે વિશેષ છે કે ઓગણીસમી અને વીસમી સદીમાં જગત આખાના ઘણા દેશોમાં વિવિધ યુરોપિયન હકુમતનું શાસન પ્રવર્ત્યું ત્યારે તેના વિરોધમાં કે તેના પ્રભાવ હેઠળ પણ તે તે દેશોમાં રાજકીય અને સામાજિક સ્તરે કેવી કેવી પ્રતિભાઓ ઊભરી આવી, વ્યક્તિગત-સામૂહિક સંઘર્ષ આદરીને તેમણે પોતાના દેશવાસીઓને કેવી રીતે નવી રાહ બતાવી તેનું ગુજરાતી ભાષામાં આલેખન-અનુવાદ એ ગાંધીયુગનું અને એ યુગના એકથી વધુ લેખકો-અનુવાદકોનું એક વિશેષ લક્ષણ બની રહ્યું હતું. એનાથી ગાંધીસાહિત્ય અને સરવાળે ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ બન્યું. ત્યારની અને એ પછીની પેઢીના વ્યક્તિગત ઘડતર અને એ વાટે સામાજિક ઘડતરમાં આ ચરિત્રોનું-આ સાહિત્યનું ચોક્કસ જ મહત્ત્વનું પ્રદાન રહ્યું હશે. કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા કે નરહરિ દ્વારકાદાસ પરીખ સરીખા સ્વાતંત્ર્યસેનાની-સાક્ષરો વચ્ચે નવી આવૃત્તિઓનાં ધોરણે જેનું સાહિત્ય લાંબો સમય અપ્રાપ્ય રહ્યું એવા અન્ય કેટલાક કાન્તિલાલ મ. શાહ પણ આપણને મળી આવે, એમનું ક્યાંક અપ્રાપ્ય તો ક્યાંક અમુદ્રિત રહી ગયેલું સાહિત્ય ગુજરાતની જનતાને મળે … અને આખરે તો બસ, ગાંધીને પગલે ચાલવામાં ગુજરાતને કોઈ બહાનું ન મળે!

Email : ketanrupera@gmail.com
(સાભાર : “ભૂમિપુત્ર”, 1 ડિસેમ્બર, 2023; પૃ. 08-10)

Loading

નીલેશ રૂપાપરાની આંચકાજનક વિદાય

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|11 December 2023

નીલેશ રૂપાપરા

પ્રેમાળ મિત્ર નીલેશ રૂપાપરા ઓચિંતા-અણધાર્યા જતા રહ્યા.

સવારે કેતનભાઈ મિસ્ત્રીનો ફોન આવ્યો. જાણવા મળ્યું કે ગઈ કાલે રાત્રે નીલેશભાઈ પરિવારજનો સાથે હતા અને બ્લડ પ્રેશર ઓચિંતું વધી ગયું, ભારે બ્રેઇન સ્ટ્રોક આવ્યો. હાલત બહુ ગંભીર છે.

ને સાંજે ટૂંકો સંદેશોઃ નીલેશભાઈ ગયા.

1995થી 2023 સુધીના સમયગાળાની અનેક મધુર યાદો ઉભરી આવી.

તેમને પહેલી વાર જોયા મુંબઈમાં ‘અભિયાન’ની ઓફિસમાં. ત્યારે તેમના માથે ખાસ્સા છાપરા જેવા વાળ હતા. ચહેરા પર ધ્યાન દોરે એવી ભરાવદાર છતાં ખૂંખાર ન લાગે એવી મૂછો, ચશ્માંની પાછળ દેખાતી, સહેજ ઢળેલાં પોપચાંવાળી આંખો, ધીમી પણ ખચકાટ વગરની ચાલ, હાથમાં સિગારેટ. બોલ્યા એટલે થયું કે આમનો તો અવાજ પણ સરસ છે. એકદમ બેઝવાળો.

તે ‘અભિયાન’ના સંપાદક હતા. દીપક સોલિયા ચીફ રીપોર્ટર. બંને જણ અત્યંત કામગરા તરીકે જાણીતા. નીલેશભાઈ ડેસ્ક સંભાળે. એટલે કે જે અહેવાલો-લખાણો આવે તેમનું કમ્પ્યુટર પર જ એડિટિંગ કરે, કાપકૂપ કરે, સુધારેમઠારે અને છેલ્લે લેખનું મથાળું તથા ભૂમિકા (ઇન્ટ્રો) બાંધે. તેમની ભાષા અત્યંત સમૃદ્ધ. લેખનમાં અભિવ્યક્તિ જોરદાર. પાછા ચહેરેથી લાગે તેવા ધીરગંભીર કે ઠાવકાઠમ પણ નહીં. છૂટથી મસ્તીમજાક કરે ને ખૂલીને હસે.

‘મારી પત્રકારત્વ-લેખનની સફર’ પુસ્તક માટે નીલેશભાઈ પાસેથી 1995ના અરસાનો ફોટો મંગાવ્યો ત્યારે તેમણે બે-ત્રણ ફોટા મોકલ્યા હતા. તેમાંનો આ ફોટો મારા મનમાં રહેલી તેમની એ અરસાની છબીની સૌથી નજીકનો હતો.

ત્યારે હું તો પત્રકારત્વમાં સાવ નવો. અનુભવ શૂન્ય. પહેલી મુલાકાત નીલેશભાઈ સાથે થઈ ને પહેલા જ દિવસથી તેમણે સિનિયોરિટીના કડપને બદલે પ્રેમાળ મિત્ર તરીકે અપનાવી લીધો. અમારું બેસવાનું ક્યુબિકલ એક જ. પણ તેમને એવું ન થયું કે આ ક્યાં આવી પડ્યો. ઊલટું, જોડાયા પછી તરતના અરસામાં કાર્ટૂન વિશેની મારી કવર સ્ટોરી જોઈને તેમણે કહ્યું, ‘મેડ મેગેઝીન વિશે ખ્યાલ છે?’ મેં ના પાડી, એટલે તેમણે ટેબલના ખાનામાંથી એક અંક કાઢીને મને આપ્યો, રાખી લેવા માટે. ત્યારથી ‘મેડ’ સાથેનું ગાઢ પ્રેમપ્રકરણ શરૂ થયું.

‘અભિયાન’માં તેમની પાસેથી – તેમને જોઈને હું ડેસ્ક કામગીરીમાં ઘણું શીખ્યો. એ વિશે મેં ‘મારી પત્રકારત્વ-લેખનની સફર’માં લખ્યું, ત્યારે તેમણે તેમની શાલીનતાને અનુરૂપ ધોખો કર્યો હતો, ‘તું મને બહુ ફૂટેજ આપે છે.’ ‘અભિયાન’માંથી તે અમદાવાદ ‘ઇન્ડિયા ટુડે’ની ગુજરાતી આવૃત્તિમાં આવ્યા. અગાઉ તે ‘ઇન્ડિયા ટુડે’ ગુજરાતીની દિલ્હી ઓફિસમાં પણ હતા જ. થોડા સમય પછી મારે પણ ‘અભિયાન’ની અમદાવાદ ઓફિસે આવવાનું થયું. ત્યારે અને પછી ‘સંદેશ’માં જોડાયો ત્યારે નીલેશભાઈના કારણે ‘ઇન્ડિયા ટુડે’ની ઓફિસમાં મારી અવરજવર ઘણી રહી. તેમાંથી હિમાંશુ કીકાણી, દિલીપ ગોહિલ, મનીષ મહેતા, વિવેક મહેતા સહિત બીજા ઘણા સાથે પરિચય અને દોસ્તી થયાં. ‘સંદેશ’માં મારી (પ્રશાંત દયાળ સાથેની) દૈનિક હાસ્યકોલમ શરૂ થઈ ત્યારે તેના શરૂઆતના લેખ મેં આગ્રહપૂર્વક નીલેશભાઈને વાંચવા આપ્યા હતા અને તેમનો પ્રામાણિક અભિપ્રાય માગ્યો હતો. તેમના પ્રોત્સાહન અને કેટલાંક સૂચનનું મારે મન બહુ મહત્ત્વ હતું. આનંદ એ વાતનો પણ છે કે અહીં લખેલી આ બધી વાતો મેં તેમના સુધી મૌખિક અને ‘મારી પત્રકારત્વ-લેખનની સફર’ થકી લેખિત સ્વરૂપે પણ પહોંચાડી અને મારી કૃતજ્ઞતા વ્યક્ત કરી શક્યો. તેના માટે અંજલિલેખની રાહ ન જોઈ. આમ પણ, મારે તેમનો અંજલિલેખ લખવાનો આવશે, એવું તો સપને ય ક્યાંથી વિચાર્યું હોય.

મહેમદાવાદના ઘરે (ડાબેથી) ઉર્વીશ, નીલેશ રૂપાપરા, દીપક સોલિયા, રમેશ ઓઝા, બીરેન કોઠારી (મે 2016) :  વિચારધારાના મતભેદો એની જગ્યાએ, પણ દોસ્તી એના કરતાં બહુ ઊંચી છે.

તેમણે ‘ઇન્ડિયા ટુડે’ (ગુજરાતી) પછી અમદાવાદ છોડ્યું, ત્યાર પછી પણ અમારી વચ્ચે અનિયમિત રીતે નિયમિત સંપર્ક ચાલુ રહ્યો. તે નાટકો અને ટી.વી. સીરિયલ લખવાના કામમાં વળ્યા. ‘અભિયાન’માં જોડાતા અગાઉ તેમણે મિર્ઝાબંધુઓ(સઈદ-અઝીઝ)માંથી કોઈ એકની સાથે કામ કર્યું હોવાની મારી છાપ છે. (એ વિશે તેમના એ સમયગાળાના સાથીઓ સંજય છેલ અને રાજુ પટેલ વધુ કહી શકે.)

અસલમ પરવેઝ સાથે નીલેશભાઈની જોડી બની. ‘લેખકઃ અસલમ પરવેઝ’ અને ‘રૂપાંતરઃ નીલેશ રૂપાપરા’ – એવી રીતે ઘણાં નાટકો થયાં. તેમાંના એક, ઘણા સફળ થયેલા કોમેડી નાટક ‘જલસા કરો જયંતિલાલ’નો અમદાવાદમાં શો હતો ત્યારે તેમણે બીજા મિત્રોની સાથે મને પણ સજોડે નાટકના શો માટે આમંત્રણ આપ્યું હતું અને અમને બધાને પહેલી-બીજી હરોળમાં બેસાડીને નાટક બતાવ્યું હતું. 

તેમની લેખનક્ષમતા અને ભાષાસજ્જતા વિશે મારા મનમાં બહુ આદર હતો. તે પોતે પણ એ બાબત વિશે સભાન અને સજાગ હતા. 2006-07માં છ મહિના માટે એક એવો સોનેરી યોગ બની આવ્યો, જ્યારે આકાર પટેલ ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી બન્યા, હું ત્યાં રોજ ચાર કલાક ‘ઓપ-એડ’ પેજના કામ માટે જતો હતો અને દીપક સોલિયા ‘આહા જિંદગી’ સામયિકના સંપાદક ઉપરાંત પૂર્તિઓના સંપાદક તરીકે મુંબઈથી અમદાવાદ આવ્યા. તે વખતે અમે કેટલીક પૂર્તિઓ નવેસરથી કરવાનું વિચાર્યું. તેમાં રવિવારની પૂર્તિ માટે અમે નીલેશભાઈ પાસે એક નવલકથા લખાવવાનું નક્કી કર્યું. દીપકને ખબર હતી કે નીલેશભાઈ પાસે કોઈ આઇડિયા છે. તેમની સાથે વાતચીત કર્યા પછી નીલેશભાઈએ નવલકથાનું બેકગ્રાઉન્ડ અને તેનાં બે પ્રકરણ મોકલ્યાં. એ નવલકથા કેવી થશે અથવા કેવી થાય એવું તે ઇચ્છે છે, તેના માટે નીલેશભાઈએ આપેલું વન લાઇનર હતું, ‘અશ્વિની ભટ્ટનો પ્લોટ, મધુ રાયની ભાષા’. 

અખબારી દુનિયામાં ઘણીખરી સારી બાબતોનું થાય છે તેમ, ન આ નવલકથા શરૂ થઈ શકી, ન નવા અંદાજવાળી પૂર્તિઓ. છેવટે, એકાદ દાયકા પછી એ નવલકથા અમે સ્થાપેલા ‘સાર્થક પ્રકાશન’માં ‘છલનાયક’ નામે પ્રગટ થઈ, ત્યારે એક વર્તુળ પૂરું થયાનો આનંદ આવ્યો. ‘સાર્થક જલસો’માં એક વાર તેમણે માતૃભાષા વિશે અને ‘સાર્થક જલસો-18’માં ‘સમકાલીન’ તથા હસમુખ ગાંધી વિશે પ્રેમથી લખી આપ્યું હતું.

રાજકીય ધ્રુવીકરણ સમાજમાં અને સોશ્યલ મીડિયામાં પ્રસરી ગયું, ત્યારે અમારે વિચારધારાના સાવ સામસામા છેડે ઊભા રહેવાનું થયું. પરંતુ અમને એ વાતનો બહુ સંતોષ રહ્યો કે અમારી મૈત્રી પર તેનો ડાઘ સરખો ન લાગ્યો. એ બાબતે અમે એકબીજા વિશે બહુ આશ્વસ્ત હતા. તેમની ભદ્રતા એવી કે એક વાર તેમની પોસ્ટ નીચે કમેન્ટમાં કોઈએ મારા વિશે કંઈ એલફેલ લખ્યું હશે, તો એ તેમણે કાઢી નાખ્યું. એ તો ઠીક, મને મેસેજ મોકલ્યો. ત્યારે મેં તેમને લખ્યું હતું કે તમારે આવો મેસેજ મોકલવાનો ન હોય. એક તો, મેં એ વાંચ્યું નથી અને ખાસ તો, તમારા વિશે મને ખાતરી છે કે તમે સંબંધની ગરીમા કદી ચૂકો નહીં.

થોડાં વર્ષ પહેલાં એક વાર હું મુંબઈ ગયો ત્યારે દીપક, નીલેશભાઈ અને હું ચહીને અમારા ‘અભિયાન’ સમયના બાર ‘સંધ્યા’માં સંભારણાં ખાતર ગયા હતા. તે પહેલાં અને પછી પણ તેમને ક્યારેક મળવાનું થતું હતું. પરંતુ મારા માટે એ ‘અભિયાન’વાળા નીલેશભાઈ હતા અને તેમના માટે હું એ જ ઉર્વીશ. તેમનો મિત્રપ્રેમ એવો કે મારી હાસ્યવ્યંગ વીડિયોના 100 ભાગ થયા ત્યારે, તે વીડિયોની સામગ્રી તેમની વિચારધારાથી સાવ સામા છેડાની હોવા છતાં, તેમણે લખ્યું કે મિત્રની સેન્ચુરી થાય ત્યારે આનંદ તો થાય જ, ભલે તે સામેની ટીમમાંથી રમતો હોય. તેમની આ બાબત તેમને બીજા ઘણા લોકો કરતાં જુદા અને ઊંચા બનાવતી હતી.

તેમની નવલકથા ‘મહેકનામા’ અને ખાસ તો તેમના વાર્તાસંગ્રહ ‘આનંદ રોડને પેલે પાર’ વાંચ્યા પછી અમારી વચ્ચે મેઇલની મઝાની આપ-લે થઈ હતી. તેમાં તેમની માનસિક નિર્મળતાનું વધુ એક ઉદાહરણ મળ્યું. આમ તો એ અંગત મેઇલ છે અને જાહેરમાં મુકતાં ખચકાટ થાય. પણ હવે એ નથી ત્યારે અંગતતાના ભંગનો દોષ વહોરીને પણ એ મેઇલના અંશ મુકતાં જાતને રોકી શકતો નથી.

“(વાર્તાસંગ્રહની) પ્રસ્તાવના સાથે હું સહમત નહોતો, ખાસ તો એમણે આ વાર્તાઓને લોકભોગ્ય શ્રેણીમાં મૂકી (હું ટી.વી.લેખક ને પત્રકાર હોવાને કારણે લોકભોગ્ય વાર્તાઓ જ લખું એવા ગૃહિત સાથે એમણે લખ્યું હોય એમ લાગ્યું.) એ વાત સાથે મારી વધુ અસહમતિ હતી … જો કે પછી એના રિએક્શન રૂપે મારી વાત મેં બહુ અઘરી અઘરી લખી જે મારે નહોતું કરવું જોઈતું … પણ ક્યાંક અંદરખાને એવું દેખાડી દેવાની વૃત્તિ હતી કે અમને ય લખતાં આવડે છે … છેલ્લે, ઘરવાપસી વિશે. 2015ની શરૂઆતમાં Koenraad Elstનું પુસ્તક Negationism in India: Concealing the Record of Islam વાંચેલું અને એ મગજ પર ચઢી ગયેલું. પુસ્તકની અધિકૃતતા વિશે તો આજે ય શંકા નથી પણ એની જાલીમ અસરમાંથી નીકળવું હતું. સાથેસાથે દીકરાની મુસ્લિમ પ્રેમિકા પ્રત્યે મનમાં એક ટકોય  મેલ હોય તો એ કાઢવો હતો. પરિણામે એ વાર્તા લખાઈ. અને લખ્યા પછી ઘણા પૂર્વગ્રહો-પક્ષપાતો નીકળી શકે એનો અનુભવ લગભગ પહેલી વાર થયો.” (19 એપ્રિલ 2018)

‘મારી વાચનયાત્રા’ એવા એક પુસ્તકનો ખ્યાલ ઘણા વખતથી મનમાં છે. તેમને એ વિષય પર લખવાનું કહેતાં તેમનો મેઇલ આવ્યો હતો, ‘થૅન્ક્સ ઉર્વીશ, મને ગમે એવું લખવાનું કહ્યું છે તેં … અને હું પ્રયત્ન પણ કરીશ. પરંતુ હાલના તબક્કે વાયદો કરી શકું તેમ નથી. કારણ, તબિયત રિસાયેલી પ્રેમિકા જેવી દશામાં છે. ઉપરથી પહેલાં લીધેલું નાટક લખવાનું કમિટમેન્ટ પૂરું કરવાનું છે. આથી મને ગણતરીમાં ન રાખીને ચાલે તો સારું … ફરી કહું છું કે કોશિશ કરીશ, પણ …’ (12 જુલાઇ, 2023)

નીલેશભાઈ, આપણે તો આ લેખ પૂરતા તમને ગણતરીમાં ન રાખવાની વાત થઈ હતી અને તમે તો … 

*

સૌજન્ય : આ લખાણની તસવીરો સાથેની લિન્કઃ https://urvishkothari-gujarati.blogspot.com/…/blog-post…

Loading

...102030...733734735736...740750760...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved