Opinion Magazine
Number of visits: 9665751
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—243

દીપક મહેતા|Opinion - Opinion|13 April 2024

મુંબઈમાં એક નહિ, અગિયાર ફોર્ટ હતા!     

શુકજી કહે : સાંભળ ભૂપતિ! સુદામે દીઠી મુંબાપુરી;
કનકકોટ ઝળકારા કરે, માણેક–રત્ન જડ્યાં કાંગરે.
દુર્ગે ધજા ઘણી ફડફડે, દુંદુભિનાદ દ્વારે ગડગડે;
સુદર્શન કર લશ્કરને સોહે, ગંભીર નાદ સાગરના હોયે.
કલ્લોલ સાગર–સંગમ થાય, ચતુર્વર્ણ ત્યાં આવી ન્હાય;
પરમ ગતિ પ્રાણી પામે ઘણા, નથી મુંબાપુરીમાં મણા.

કવિવર્ય પ્રેમાનંદ ૧૯મી સદીમાં હયાત હોત અને ‘સુદામાચરિત’ લખતા હોત, તો કદાચ તેઓ સુદામાને દ્વારકાને બદલે મુંબઈ લઈ ગયા હોત, અને મુંબઈના કિલ્લા વિષે આવું કશુંક લખતા હોત. આપણામાં કહેવત છે કે સાપ ગયા ને લિસોટા રહ્યા. પણ મુંબઈના કોટ કહેતાં ફોર્ટના તો ક્યાં ય લીસોટા ય રહ્યા નથી. ફક્ત એક વિસ્તાર આજે પણ ફોર્ટ કે કોટ તરીકે ઓળખાય છે. હકીકતમાં મુંબઈમાં એક નહિ, અગિયાર ફોર્ટ કહેતાં કોટ હતા. જૂદે જૂદે વખતે બંધાયેલા : વરળી, માહિમ, બાંદરા, ધારાવી, રીવા (ધારાવી), શિવ (સાયન), શિવડી, મઝગાંવ, ડોંગરી, ફોર્ટ સેન્ટ જ્યોર્જ, અને બોમ્બે ફોર્ટ. તેમાંના ઘણાખરા ૧૭મી અને ૧૮મી સદીમાં બંધાયેલા. પણ મઝગાંવ, શિવડી, શિવ, અને માહિમના કિલ્લાના ઉલ્લેખ ૧૬મી સદીના સાહિત્યમાં પણ જોવા મળે છે. વખત જતાં ડોંગરી, મઝગાંવ અને બોમ્બે ફોર્ટ તોડી પાડવામાં આવ્યા, અને તેનું નામોનિશાન રહ્યું નથી. બાકીના ખંડેર બનીને ઊભા છે.

ગાર્સિયા દ ઓર્તા

આ બધા કિલ્લામાં બોમ્બે ફોર્ટ સૌથી વધુ મોટો, સૌથી વધુ જાણીતો. પણ એ બાંધવાની શરૂઆત એક પોર્ટુગીઝ ડોકટરે કરેલી. એનું નામ ગાર્સિયા દ ઓર્તા. ૧૫૦૧માં પોર્તુગાલમાં જન્મ. અવસાન ગોવામાં ૧૫૬૮માં. વ્યવસાયે ડોક્ટર. પણ જડીબુટ્ટી, વનસ્પતિ, કુદરતી ઔષધો, વગેરેનો ઊંડો અભ્યાસી. સ્પેન જઈને વૈદક, કલાઓ, અને ફિલસૂફીનો પણ અભ્યાસ કર્યો. ૧૫૨૫માં પોર્તુગાલ પાછો આવ્યો. લિસ્બોઆમાં ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતો થયો. નામના એવી મેળવી કે રાજાનો ખાસ દાકતર બન્યો. પણ પોર્ટુગાલના ધરમના ખેરખાંઓ સાથે અનબન. જીવનું જોખમ જણાતાં ૧૫૩૪માં માદરે વતન છોડી પોર્તુગીઝ હિન્દુસ્તાન આવ્યો, અને પહેલાં ગોવામાં રહી ડોકટરી વ્યવસાય શરૂ કર્યો. પોર્તુગલના રાજાની રહેમનજર તો હતી જ. સાવ મામૂલી ભાડાથી ‘ધ આયલેંડ ઓફ ગૂડ લાઈફ’માં આજીવન જમીન ભેટ આપી. આ ‘આયલેન્ડ ઓફ ગૂડ લાઈફ’ તે જ આપણું મુંબઈ. આજે જ્યાં ટાઉન હોલ ઊભો છે તેનાથી થોડે દૂર આવેલી હતી આ જગ્યા. અહીં આવીને તેમણે સરસ બંગલો બાંધ્યો. સાથે બગીચો. ઘરમાં મોટું પુસ્તકાલય. આ બંગલો હતો દરિયા કિનારે. અને એ વખતે દરિયાઈ ચાંચિયાઓનો ભય. એટલે ઘરની આસપાસ ઊંચી દીવાલ બાંધી. પણ પછીથી મુંબઈની પોર્ટુગીઝ સરકારે આ જગ્યા લઈ લીધી અને ત્યાં નાનો કિલ્લો બાંધ્યો. કિલ્લા પર હતી ફક્ત બે તોપ. બે પાઉન્ડ વજનના ગોળા છોડી શકે તેવી. બંનેનું મોઢું રહેતું દરિયા તરફ. એટલે જમીન તરફથી હુમલો થાય તો આ તોપ કામ ન લાગે. અને આમ પણ એ બહુ કામ લાગે તેમ નહોતું. કારણ એ કિલ્લામાં તોપ હતી, પણ તોપચી એક્કે નહોતો!

બોમ્બે કાસલનો દરવાજો 

મુંબઈ અંગ્રેજોના હાથમાં આવ્યું પછી તેમણે આ કિલ્લાનું નામ રાખ્યું બોમ્બે કાસલ. મૂળ મકાનની આસપાસ અંગ્રેજોએ વધુ મોટી અને મજબૂત દીવાલ બાંધી. મુંબઈના બીજા ગવર્નર જેરાલ્ડ ઓન્ગિયાર સુરતથી મુંબઈ આવતા ત્યારે આ બોમ્બે કાસલમાં જ રહેતા. આજે ફક્ત એક દરવાજો અને એક સન ડાયલ – સૂર્ય ઘટિકા – એ બે જ અવશેષો બચ્યા છે. અને એ બંને ભારતીય નૌકાસૈન્યના આઈ.એન.એસ. આંગ્રેના વિસ્તારમાં આવેલા છે. એ જોવા જવા માટે ખાસ મંજૂરી લેવી પડે છે.

બોમ્બે કાસલમાં આવેલું સન ડાયલ 

પોર્ટુગીઝોએ મુંબઈ અંગ્રેજોને દાયજામાં આપ્યું તો ખરું, પણ મુંબઈની પોર્ટુગીઝ સરકારે મુંબઈનો વહીવટ અંગ્રેજોને સોંપતાં પહેલાં ઘણા અખાડા કર્યા. ગોવા, લંડન અને લિસ્બોઆ વચ્ચે ઘણી લખાપટ્ટી ચાલી. છેવટે ૧૬૬૫ના જાન્યુઆરીની ૧૪મી તારીખે પહેલવહેલા અંગ્રેજ ગવર્નર હમ્ફ્રી કૂકે પોર્ટુગીઝ સરકાર પાસેથી મુંબઈનો કબજો આપવા માટેનો કરાર મેળવ્યો તે આ નાના કિલ્લામાં. કબજો લીધા પછી તેઓ કિલ્લામાં અને કિલ્લાની બહાર પણ થોડું ચાલ્યા, વાંકા વળી થોડી ધૂળ ઉપાડી, કિલ્લા અને તેના બુરજો પર ફર્યા, કિલ્લાની દીવાલોને પોતાના હાથોથી સ્પર્શ કર્યો, પછી કિલ્લાની બહાર આવી ફરી ત્યાંની થોડી ધૂળ ઉપાડી. 

બોમ્બે કાસલ – દરિયા તરફથી જોતાં

પોર્ટુગીઝોએ બાંધેલો નાનકડો કિલ્લો જોતાં વેંત કૂકને ખ્યાલ આવી ગયો કે મુંબઈનું રક્ષણ કરવા માટે આ કિલ્લો ઝાઝો કામ આવે તેવો નથી. એટલે તેમણે ૫૦ મીટર લાંબી દીવાલ બંધાવી અને તેના પર ૨૦ તોપ બેસાડી. તેમાંની કેટલીકનાં મોઢાં દરિયા તરફ, તો કેટલીકનાં જમીન તરફ. કારણ કૂક જાણતા હતા કે મુંબઈને જેમ દરિયા તરફથી વલન્દાઓનો અને ચાંચિયાઓનો ભય છે, તેમ જમીન બાજુથી મરાઠાઓનો પણ ભય છે. 

આ ઐતિહાસિક પ્રસંગે મુંબઈનો કબજો આપવા પોર્ટુગીઝો તરફથી હાજર કોણ હતા? વસઈના વહીવટી આધિકારીઓ, ન્યાયાધીશ, અને બીજા અમલદારો. મુંબઈની સત્તાની ફેરબદલી અંગેનો દસ્તાવેજ બનાવ્યો હતો વસઈના પોર્ટુગીઝ નોટરી પબ્લિક એન્ટોનીઓ મોન્ટેરિયો દ ફોન્સેકાએ. વસઈના પોર્ટુગીઝ લશ્કરના વડા વાલેન્તીનો સ્વારેસ પણ હાજર હતા. સહી સિક્કા થઈ ગયા પછી ૧૬૬૫ના ફેબ્રુઆરીની ૧૮મી તારીખે કૂકે મુંબઈનો વહીવટ ગ્રેટ બ્રિટનના તાજના પ્રતિનિધિ તરીકે સંભાળી લીધો. મુંબઈનો કબજો લીધા પછી તેના રક્ષણ માટે બ્રિટિશ લશ્કરને તહેનાત કરવામાં આવ્યું. તેમાં ૯૭ સૈનિકો ઉપરાંત એક વડો અધિકારી, ૪ સાર્જન્ટ, ૬ કોર્પોરલ, ૪ પડઘમ વગાડનાર, એક તોપચીનો સાથી, એક તોપનું સમારકામ કરનાર, વગેરેનો સમાવેશ થતો હતો. સૈનિકોની આ ટુકડી પાસે કુલ ૨૨ તોપ હતી અને ૮૭૮ તોપના ગોળા હતા. 

અચ્છા, એટલે કે સત્તાનો ફેરબદલો વગર મુશ્કેલીએ પાર પડી ગયો. ના રે ના. પોર્ટુગીઝ સત્તાવાળાઓએ હવે જ ખરું પોત પ્રકાશ્યું. મુંબઈ દાયજામાં આપ્યું એનો અર્થ અંગ્રેજોએ એવો કરેલો કે મુંબઈના સાતે ટાપુ આપણા થઈ જશે. પણ મુંબઈના પોર્ટુગીઝ સત્તાવાળાઓએ સાફ સંભળાવી દીધું કે આવી કોઈ વાત અમને જણાવાઈ નથી. તમને મુંબઈનો કબજો સોંપવાનો છે એટલે મુંબઈ નામના એક જ ટાપુની વાત છે. મઝગાંવ, પરળ, વરળી જેવા બીજા ટાપુઓ સોંપવાની તો વાત જ નથી. કારણ એ દરેક સ્વતંત્ર ટાપુ છે, મુંબઈના ટાપુ સાથે જોડાયેલા નથી, કે નથી મુંબઈના આશ્રિત. ફરી દલીલબાજી અને લખાપટ્ટી. સાથોસાથ મુંબઈના ટાપુ પરથી બીજા ટાપુઓ પર અંગ્રેજ લશ્કરનો પગદંડો. 

કૂકની દશા તો સૂડી વચ્ચે સોપારી જેવી. એક બાજુ પોર્ટુગીઝો રોજ નવી નવી મુશ્કેલી ઊભી કરે. બીજી બાજુ હજારો માઈલ દૂર બેઠેલા ગ્રેટ બ્રિટનના સમ્રાટ નારાજ થાય કે આ માણસ તો બહુ ઢીલો છે. બધા ટાપુનો તાબો લઈ શકતો નથી. હવે? સર જર્વેઝ લુકાસને મોકલો મુંબઈના ગવર્નર તરીકે. પગાર ઠરાવ્યો દિવસના બે પાઉન્ડ. ૧૬૬૬ના નવેમ્બરની પાંચમીએ ગવર્નર લુકાસે મુંબઈની ધરતી પર પગ મૂક્યો. તેમની નિમણૂક કરતા પત્રમાં અંગ્રેજોની સુરત ખાતેની કોઠીને આદેશ અપાયો હતો કે લુકાસને જરૂર હોય ત્યારે ૧,૫૦૦ પાઉન્ડ સુધીની રકમ ધીરવી. નવા ગવર્નરે પહેલું કામ કર્યું કૂક પર જાતજાતના આરોપો મૂકવાનું. તેણે તાજ સાથે દગો કર્યો છે, લાંચ રૂપે મોટી મોટી રકમ પડાવી છે, માટે એને નાખો જેલમાં. પણ કૂક કાંઈ ગાંજ્યો જાય એવો નહોતો. હાથતાળી આપીને થઈ ગયો ગોવા ભેગો, અને મળતિયો બની ગયો પોર્તુગીઝોનો. મુંબઈને ‘જીતવા’ માટે લશ્કર ઊભું કરવાના પ્રયત્નો કરવા લાગ્યો. બ્રિટિશ તાજે ૧૬૬૮માં તેને રાજદ્રોહી જાહેર કર્યો. 

ગવર્નર લુકાસે પહેલું કામ કર્યું લશ્કરને વધુ મજબૂત બનાવવાનું. બીજી કેટલીક યોજનાઓ પણ હતી મનમાં. પણ ત્યાં તો ૧૬૬૭ના મે મહિનાની ૨૧મી તારીખે તેમનું અણધાર્યું અવસાન થયું. કેપ્ટન હેન્રી ગેરી ૧૬૬૭થી ૧૬૬૮ સુધી મુંબઈના ગવર્નર બન્યા. મુંબઈના કિલ્લાને વધુ મજબૂત કરવાની શરૂઆત તેમણે કરી. પણ પછી બ્રિટનના રાજવીએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને મુંબઈ ભાડે આપી દીધું એટલે ૧૬૬૮ના સપ્ટેમ્બરની ૨૩મીએ હેન્રી ગેરીની રાજવટ પૂરી થઈ. જો કે તે પછી પણ ઘણા વખત સુધી તેઓ મુંબઈમાં જ રહ્યા. 

મુંબઈની મહેસૂલની આવક એટલી તો ઓછી હતી કે ગ્રેટ બ્રિટનના તાજને મુંબઈ ગળે વળગેલા ઘંટીના પડ જેવું લાગવા માંડ્યું. મુંબઈ, મઝગાવ, માહિમ, પરળ, વડાળા, અને વરળી, આ છ ટાપુની કુલ વાર્ષિક આવક બાવન હજાર રૂપિયા જેટલી જ હતી. ૧૬૬૭ના સપ્ટેમ્બરની ૨૧મી તારીખે ગ્રેટ બ્રિટનના તાજ તરફથી મુંબઈની સોંપણી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને કરવામાં આવી. અને તે દિવસથી જ્યોર્જ ઓક્સેનડન સુરતની ફેક્ટરીના પ્રેસિડન્ટ ઉપરાંત મુંબઈના ગવર્નર અને કમાન્ડર ઇન ચીફ બન્યા. જો કે તે મુંબઈમાં નહિ, પણ સુરતમાં જ રહેતા હતા. એટલે તેમણે મુંબઈમાં રહેવા માટે ડેપ્યુટી ગવર્નરની નિમણૂક કરી. ૧૬૬૯ના જુલાઈની ૧૪મી તારીખે સુરતમાં ઓક્સેનડનનું અવસાન થયું. 

તેમના પછી મુંબઈના ગવર્નર બનેલા જેરાલ્ડ ઓન્ગિયાર ખરા અર્થમાં મુંબઈના દૃષ્ટા અને સ્રષ્ટા બની રહ્યા. મોટા ભાગનો વખત મુંબઈમાં – સુરતમાં નહિ – રહેનાર તેઓ પહેલા ગવર્નર. ૧૬૪૦માં જન્મ, ૧૬૭૭ના જૂનની ૩૦મીએ સુરતમાં અવસાન. મુંબઈને એક બહુ મોટા વેપારી કેન્દ્ર તરીકે વિકસાવી શકાય તેમ છે એ વાત તેમના ધ્યાનમાં આવી. બહારથી આવતા વેપારીઓને સગવડો આપવા ઉપરાંત તેમની ધાર્મિક બાબતોમાં દખલ ન કરવાની લેખિત બાયધરી પણ તેમને આપી. આ ઉપરાંત મુંબઈના વહીવટ માટે કાયદા અને નિયમ બનાવ્યા. અને કાયદાનો અમલ કરાવવા માટે અદાલતો સ્થાપી. સર જોન માલ્કમને લખેલા એક પત્રમાં ઓન્જિયારે લખ્યું હતું : “સવારથી રાત સુધી મારી ઓફિસનો ઓરડો ધોરી માર્ગ જેવો હોય છે. નથી હોતા કોઈ મુનશી કે દીવાન, નથી હોતા દુભાષિયા કે ચોકીદાર. તેનાં ચારે બારણાં ખુલ્લાં હોય છે. જેને આવવું હોય તે આવી શકે છે. મારી સાથે વાત કરી શકે છે કે મને ફરિયાદ કરી શકે છે.”

મુંબઈના રક્ષણ માટે કિલ્લાને વધુ મજબૂત અને સાધનસંપન્ન બનાવવો જોઈએ તે ઓન્જિયાર જાણતા હતા. પણ તેઓ ગવર્નરપદે રહ્યા ત્યાં સુધી એ અંગે ઝાઝું કરી શક્યા નહિ. એ કામ કર્યું ગવર્નર ચાર્લ્સ બુને. ૧૭૧૫માં શરૂ થયેલું આ કામ ૧૭૨૨માં પૂરું થયું. અને ઊભો થયો બોમ્બે ફોર્ટ, જેને દેશી લોકો ‘કોટ’ તરીકે ઓળખતા. દાયકાઓ સુધી ‘મુંબઈ’ એટલે આ કિલ્લાની અંદર વસેલું શહેર એવું મનાતું. કિલ્લા બહારનું મુંબઈ ‘બહાર કોટ’ તરીકે ઓળખાતું. 

મુંબઈનો આ ફોર્ટ કહેતાં કોટ કેવો હતો, તેની અંદર અને બહાર રહેતા લોકો, તેમની રહેણીકરણી, વગેરે વિશેની વાતો હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 13 એપ્રિલ 2024)

Loading

પ્રકાશમાં અમને પાછા પહોંચાડો

જિમી ઑસબૉન [અનુવાદ : રૂપાલી બર્ક]|Poetry|12 April 2024

પહેલાના સાદા સમયમાં મને પાછો લઈ જાવ,

માનવીના સ્પર્શ પૂર્વેના સમયમાં; 

મોટરગાડીઓ અને ટેલીફોનના તાર પહેલાનો,

માવડી પૃથ્વીનો આદેશ ચાલતો હતો ત્યાં.

પહેલાનાં સાદા સમયમાં મને પાછો લઈ જાવ,

યુદ્ધકાળ શરૂ થયો તે પહેલા,

જ્યાં પંખીઓનું ગગન પર વર્ચસ્વ હતું

ને માછલીઓનું જળ પર.

સમય જુઓને કેવો બદલાયો છે,

માનવી આધુનિક થયો ત્યારથી;

આપણે પંખીઓનું, માછલીઓનું વર્ચસ્વ છીનવ્યું,

અને જમીન પર એકબીજાનું વર્ચસ્વ છીનવ્યું,

બોંબ અને બંદૂકના જોરથી,

ભાંડુઓનો ભોગ આપ્યો,

કેવળ અન્ય દેશ જીતવા.

આ ગ્રહ પર રસ્તા ઘડતા ઘડતા,

મોટર ગાડીઓ, વિમાનો અને આગ-ગાડીઓ બનાવ્યાં;

આડેધડ જંગલોનો સફાયો કર્યો,

પૃથ્વીની સહનશક્તિ ખૂટી ત્યાં સુધી.

પૃથ્વીને સાવ ખંખેરી કાઢશું?

કે સ્વાર્થી વાના પડતા મુકશું?

દુનિયાનો ખાતમો બોલાવશું?

કે આજે કોઈ બદલાવ લાવશું?

ભેદભાવ છેક કોરાણે મૂકી

સાથે મળી લડાઈ લડીએ

અમૂલ્ય આ ગ્રહનું રક્ષણ કરી

પ્રકાશ ભણી પાછા ફરીએ.

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

પરીક્ષા આપનારાઓ કરતાં પરીક્ષા લેનારાઓ કદાચ વધારે નાદાન છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 April 2024

રવીન્દ્ર પારેખ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સૂરતની મરાઠી માધ્યમની દ્વિતીય સત્રાંત પરીક્ષા-2023-2024નાં ધોરણ ત્રણ, ચાર અને પાંચનાં બેત્રણ વિષયોનાં પ્રશ્નપત્રો જોવાનું બન્યું. જોઈને સંતાપ થયો. સંતાપ એ વાતે કે પ્રાથમિક કક્ષાના પ્રશ્નપત્રોમાં ભાષાની અસંખ્ય ભૂલો હોય, તો બાળકો નાનેથી જ ખોટું શીખશે એ ભાન પેપર સેટર્સને કેમ નથી તે પ્રશ્ન છે. વહેમ તો એવો છે કે ગુજરાતી કે હિંદીમાંથી પ્રશ્નપત્રો મરાઠીમાં અનુવાદ થાય છે. જો આમ હોય તો એ બરાબર નથી. મરાઠી માધ્યમનું પેપર મૂળભૂત રીતે મરાઠીમાંથી જ સેટ થવું જોઈએ. આ શંકા કરવાનું કારણ એ છે કે ગુજરાતીમાંથી મરાઠીમાં શબ્દો, મરાઠી કર્યા વગર સીધા જ મૂકી દેવાયા છે. મરાઠીમાં બહુવચનમાં ‘મેણબત્ત્યા’ લખાય ને ગુજરાતીમાં મીણબત્તી લખાય, તે સીધું જ મરાઠીમાં ઠઠાડી દેવાયું છે. ગુજરાતીમાં ‘ફુગ્ગા’ લખાય તે મરાઠીમાં ‘ફુગ્ગે’ થયું છે, જે ‘ફુગે’ હોવું જોઈએ. 5,000 ગ્રામ ‘મ્હણજે’ (એટલે) કિતી (કેટલા) કિગ્રા ને બદલે ‘મ્હણણે’ છપાયું છે, જેનાથી અર્થ જ બદલાઈ જાય છે. ગ્રામને બદલે ગ્રેમ ને તે પણ માત્રાને બદલે અર્ધચંદ્રાકાર છપાયો છે. ‘દૂધ’નું ‘દુધ’, ‘ચૂક’નું ‘ચુક’, ‘નિઘૂન’નું ‘નિદ્યૂન’, ‘પસાર’નું ‘પ્રસાર’, ‘અપૂર્ણાંક’નું ‘અપુર્ણાંક’, ’હોસ્પિટલ’નું ‘હોસ્પીટલ’, ‘દૂષિત’નું ‘દુષિત’, ‘સ્વયંપાક’નું ’સ્વંયપાક’, ‘યેઉ’નું ‘ઘેઉ’ જેવું ઘણું ખોટું છપાયું છે.

ધોરણ પાંચનાં ગણિતનાં પેપરમાં પહેલા જ સવાલમાં ભારતનો નકશો છપાયો છે ને તેમાં જુદાં જુદાં રાજ્યો દર્શાવીને પાંચ પ્રશ્નો પૂછ્યા છે, જેમાંનો એક પ્રશ્ન છે – ગુજરાતચ્યા પશ્ચિમેલા રાજ્ય આલેલે આહે? હો કી નાહી તે લિહા. (ગુજરાતની પશ્ચિમે રાજ્ય આવેલું છે? હા કે ના તે લખો.) ગણિતના પાઠ્યપુસ્તકમાં ભૂગોળ પણ સમાવિષ્ટ હોય તો ખબર નહીં, પણ ગણિતમાં રાજ્યો ને દિશાને લગતા પ્રશ્નો ગળે ઉતરતા નથી. ત્રણથી પાંચ ધોરણનાં પ્રશ્નપત્રોમાં સાધારણ મરાઠી ભાષા વાપરતા પણ પેપર સેટરને આવડી નથી. અહીં એવી દલીલ થઈ શકે કે એ ક્યાં મરાઠી ભાષાનું પેપર છે કે ભાષાશુદ્ધિ અનિવાર્ય ગણાય? જો પ્રશ્નપત્ર મરાઠીમાં છપાયું હોય ને ત્યાં મરાઠી વગર ચાલ્યું ન હોય ને એ પેપર મરાઠીના જાણકારે કાઢ્યું હોય તો ભાષાશુદ્ધિ અપેક્ષિત જ હોય તે કહેવાની જરૂર નથી.

તપાસ કરતાં એવી ખબર પડી કે આ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં પહેલી સત્રાંત પરીક્ષાનો કોર્સ સમાવિષ્ટ નથી. જો કે, આ વાર્ષિક પરીક્ષા છે. અન્ય વર્ગોમાં પણ એવું જ હશે. આવું એટલે કરવામાં આવે છે કે ‘ભાર વગરનાં ભણતર’માં બાળકો પર આગલાં સત્રનો બોજ ન પડે. એનો મતલબ એવો ખરો કે આગલાં સત્રનાં પ્રકરણો પુસ્તકમાંથી ને મગજમાંથી ખંખેરી નાખવાનો વાંધો નહીં. આ સાચું હોય તો કોઈ જાતનો ભાર જ ન રહે એ માટે પ્રકરણ દીઠ જ પરીક્ષાઓ લેવાય તો ચાલેને ! તે પતે કે પ્રકરણ પુસ્તકમાંથી ને ભેજામાંથી કાઢતાં જવું કે વાર્ષિક પરીક્ષા વખતે કોઈ ભાર જ ન રહે. ખરેખર તો ભાર બોર્ડની પરીક્ષાઓમાં હોય છે, એમાં પ્રકરણ દીઠ પરીક્ષાઓ લેવાતી થાય ને પરીક્ષા પતે કે તે છેકતાં જવાય તો બોર્ડની પરીક્ષાઓનું ટેન્શન જ ન રહે. ભાર તો એમાં છે. ત્યાં આખી ટેક્સ્ટ છે, ત્યાં ‘ભાર વગરનું ભણતર’ નથી ને પ્રાથમિકમાં છે, તો પ્રશ્ન થાય કે એ ભાર વગરનું ભણતર છે કે ભાન વગરનું? ખરેખર તો બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને વાર્ષિક પરીક્ષામાં પ્રાથમિકથી જ માનસિક રીતે બાળકોને એવી રીતે તૈયાર કરવા જોઈએ કે બોર્ડની પરીક્ષાનો હાઉ ન રહે. અન્ય ધોરણોમાં વાર્ષિકમાં સત્રાંતની રીતે તૈયારીઓ થાય ને બોર્ડમાં પૂરો અભ્યાસક્રમ પરીક્ષામાં હોય તો વિદ્યાર્થીની મૂંઝવણ સામટી વધે તેમાં નવાઈ નથી.

એક તરફ વિદ્યાર્થીઓની મૂંઝવણ ન વધે એટલે હેલ્પલાઈન નમ્બર્સ ને અન્ય ઘણા ઉપાયો થાય છે ને બીજી તરફ પરીક્ષામાં તે વધે એની મહેનત પણ થાય છે. બોર્ડની જ ધોરણ દસની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાનનાં પ્રશ્નપત્રમાં 26 ભૂલો છપાઈ, એ ભૂલો બોર્ડનાં ધ્યાન પર લાવવામાં આવી તો બોર્ડે એવો બચાવ કર્યો કે એ કૈં ભાષાનું પ્રશ્નપત્ર ન હતું એટલે ચાલે. એ ભાષાનું પ્રશ્નપત્ર ન હતું, એ સાચું, પણ ‘દ્રુતગતિ’ ને બદલે ‘દૂતગતિ’ છપાય તો અર્થ બદલાય ને તે ગૂંચ ઊભી કરે એવું ખરું કે કેમ? એ મુદ્દો પરીક્ષા હોલમાં વિદ્યાર્થીઓ માટે મૂંઝવણ ઊભી કરે તે સ્થિતિની કલ્પના પેપરસેટરને ન હોય એ કેવું? એ ખરું કે પ્રશ્નપત્ર ભાષાનું ન હતું, તો એ ભાષામાં છાપવાની જરૂર કેમ પડી? ખરેખર તો બોર્ડના સાહેબે બચાવ કરવાને બદલે ભૂલ સ્વીકારવાની હતી, તેને બદલે શરમ છોડીને બચાવ કરવા નીકળ્યા તે વધારે શરમજનક હતું. કોણ જાણે કેમ પણ પરીક્ષાને વિદ્યાર્થીઓ ગંભીરતાથી લેતા થયા છે અને પરીક્ષા લેનારાઓ તેને હળવાશથી લેતા થયા છે, એટલે ભૂલો હવે વિદ્યાર્થીઓ કરતાં બોર્ડ વધુ કરે છે.

વાત બોર્ડ પૂરતી સીમિત નથી. યુનિવર્સિટીઓ પણ આ મામલે અનેક છબરડાઓ વાળે છે. આઠેક દિવસ પર જ ગુજરાત યુનિવર્સિટીની બી.એસસી.ની પરીક્ષામાં 5 એપ્રિલનું પેપર 4 એપ્રિલે આપી દેવાયું. એકને બદલે બીજું પેપર અપાઈ જાય કે વિષય જ બદલાઈ જાય કે પેપર ઓછાં નીકળે કે કોર્સની બહારના પ્રશ્નો પુછાઈ જાય જેવી ઘટનાઓ તો સામાન્ય થઈ પડી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ બી.એસસી.ની સેમેસ્ટર-2ની પરીક્ષામાં 13ને બદલે 25 ગુણનું પ્રશ્નપત્ર પૂછવામાં આવતાં વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. (13 માર્કનું પ્રશ્નપત્ર?) આ મામલે કુલપતિને રજૂઆત થતાં પેપર સેટર સામે ફેક્ટ કમિટી તપાસ કરશે અને વિદ્યાર્થીઓને પ્રોરેટા બેઝ પર માર્કસ અપાશે એવું આશ્વાસન અપાયું હતું.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાં તો પ્રશ્નપત્રોમાં એવી ગરબડો થઈ કે પુણેની વિશાઈન કંપનીને બ્લેક લિસ્ટ કરવી પડે એવી સ્થિતિ આવી. પ્રશ્નપત્રોના છાપકામ બાબતે આ કંપની દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. 26 ફેબ્રુઆરી સુધીમાં છાપવાનાં પેપરો 27 ફેબ્રુઆરી સુધી આવ્યાં ન હતાં, પરિણામે, છેલ્લી ઘડીએ પ્રશ્નપત્રોની વહેંચણીમાં મુશ્કેલીઓ ઊભી થઈ ને કેટલીક કોલેજોમાં તો સિક્યુરિટી વગર બાઇક પર પેપરો પહોંચાડવા પડ્યાં. હાલ ચાલી રહેલી પરીક્ષાનાં ઘણાં પ્રશ્નપત્રોમાં ઘણી ભૂલો રહી જવા પામી છે. બી.એસસી.નાં એક પ્રશ્નપત્રમાં આગળનું પાનું જ છપાયું ન હતું. તો એક પરીક્ષાનાં પેપરમાં પાછળનો ભાગ જ છપાયો ન હતો. ટી.વાય.બી.કોમ. સેમેસ્ટર છની એકાઉન્ટની પરીક્ષામાં આંકડાઓ છાપવામાં ભૂલ થઈ હતી. આ ઉપરાંત ગુજરાતી અને અંગ્રેજીમાં સવાલો પણ જુદા જુદા હતા. વિશાઈન કંપની સામે પાંચ સભ્યોની કમિટીએ શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરી છે ને પ્રિન્ટિંગનું કામ આ કંપનીને ન સોંપવાની ભલામણ કરવામાં આવી છે. સાચી વાત તો એ છે કે આઇ.બી.એ. કંપનીને પ્રશ્નપત્રો, સ્ટેમ્પ પેપર જેવી મહત્ત્વની કામગીરી સોંપવાને બદલે વિશાઈન કંપનીને, સિક્યુરિટી પ્રેસનું પ્રમાણપત્ર ન હોવા છતાં કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો ને બે લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા ખંડમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એ દુ:ખદ છે કે જેને પૈસે આખું શિક્ષણ તંત્ર પેટ પાળતું હોય છે એ વિદ્યાર્થીઓનાં હિતનો વિચાર પહેલાં તો ઠીક, છેલ્લે પણ થતો નથી.

અહીં પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી સુધી પરીક્ષાને નામે કેવી તો ઘોર બેદરકારી તમામ સ્તરે ચાલે છે તે જોઈ શકાશે. આવું ન થવું જોઈએ, પણ થાય છે ને મોટે પાયે થાય છે. માનવીય ભૂલો થાય એ સમજી શકાય એમ છે, પણ કેટલીક ભૂલો સત્તાને કારણે, તુમાખીને કારણે, ફાંકામાં, કોઈ કૈં બગાડી લેવાનું નથી એવા વહેમમાં, વધુ કમાઈ લેવાના લોભમાં થાય છે. એ ઉપરાંત પણ કારણો હશે, પણ એમાં જેમનો વાંક નથી એવા વિદ્યાર્થીઓ ભોગ બને છે ને એ બરાબર નથી. આવું એટલે થાય છે કે ઉપરથી નીચે લગી ઓછી આવડતવાળા ને વધુ વગવાળા લોકો શિક્ષણમાં પણ દાખલ પડી ગયા છે. ઘણા તો એવા છે જેમને શિક્ષણ જોડે સ્નાન સૂતકનો ય સંબંધ નથી, પણ રાજકીય વગને કારણે, બીજાનો હક ડુબાડીને માત્ર વધુને વધુ કમાવા જે તે હોદ્દે ગોઠવાઈ ગયા છે. એમનો હેતુ સત્તાના ભોગવટાનો અને ભ્રષ્ટતા આચરીને જે મળે તે ગજવે ઘાલવાનો જ છે. એક પંખો કે લાઇટ રીપેર કરવાનું બિલ દસ નવાં પંખા કે લાઇટ ખરીદી શકાય એટલું હોય તો, કોનું કોનું પેટ ભરાતું હશે તે સમજી શકાય એમ છે. કમનસીબી એ છે કે બધા જ ભૂખ્યા છે ને એ ભૂખ પેટ ભરવાની હોય તો સમજાય, પણ આ તો તિજોરીઓ ભરવાની છે, એટલે એનો છેડો ક્યાંથી દેખાય? આ એવો યજ્ઞ છે જેમાં સચ્ચાઈ, અચ્છાઈ અને સારાઈ હોમાઈ રહી છે. આ સ્થિતિ હશે, ત્યાં સુધી ચાલશે તો બધું, એડમિશન અપાશે, વર્ગો લેવાશે, પરીક્ષાઓ લેવાશે, પરિણામો ય આવશે, પણ તેમાં જીવ નહીં હોય. એ કમનસીબી છે કે આપણે મશીનને માણસ કરવાની અને માણસને મશીન કરવાની સ્પર્ધામાં ઊતર્યાં છીએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 એપ્રિલ 2024

Loading

...102030...732733734735...740750760...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved