Opinion Magazine
Number of visits: 9457442
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આરબ-ઇઝરાએલ યુદ્ધ : પશ્ચિમી મૂડીવાદની અનિવાર્યતા

રોહિત શુક્લ|Opinion - Opinion|12 December 2023

રોહિત શુક્લ

હમાસ એક આતંકવાદી સંગઠન છે. તેણે ઇઝરાએલ ઉપર ૫,૦૦૦ રોકેટ ઝીંકી દીધાં. મોસાદ ઇઝરાએલની જાસૂસી સંસ્થા છે. તેને ગંધ પણ ન આવી અને આ ભયાનક હુમલાએ તબાહી મચાવી દીધી. હવે ઇઝરાએલ બદલો લેશે અને હમાસનો ખુરદો બોલાવશે. આ પ્રકારના સમાચારોમાં આપણે શું ?

ઇઝરાએલ – બિચારું શાંતિથી જીવી શકતું નથી તેનો અફસોસ પણ જાહેર કરી શકીએ. હવે અમેરિકા અને સઘળા પશ્ચિમી દેશો આ હુમલો કરનારાઓની ખબર લઈ નાંખશે તેવો ઉત્સાહ પણ અભિવ્યક્ત કરી જ શકીએ. આમ તો સંસ્કૃતમાં કહેવાયું છે : युद्धेस्य वार्ता, रम्या । લડાઈ પડોશીના ઘરની હોય કે યુક્રેન-રશિયાની હોય યુ-ટ્યુબ ઉપર જોવાની ગમ્મત પડે છે !

યુદ્ધ માનવજીવન સાથે સુસંગત બનીને વણાઈ ગયેલું છે. પ્રાચીન કાળનાં યુદ્ધો ગાયોનાં ધણ માટે થતાં. તે પછી તે સ્ત્રીઓને ઉપાડી જવા માટેનાં બન્યાં, તે પછી ધન-દોલત માટે અને પછી જમીન માટેનાં યુદ્ધો બન્યાં. દેશના યુવાનો આગળ આવીને ‘આર્ય’ અર્જુનને પડકાર ન ફેંકે તે વાસ્તે ગુરુ દ્રોણે એકલવ્યનો અંગૂઠો કપાવી લીધો હતો. યુદ્ધોનો ઇતિહાસ જમીનની માલિકી વિસ્તારવાના તબક્કાને વટી જઈને હવે કુદરતી સંસાધનો ઉપરના કાબૂ અને આર્થિક લાભની દિશા તરફ વધી રહ્યો છે. ઇઝરાએલ – આરબ યુદ્ધને ખ્રિસ્તી / યહૂદી અને મુસલમાન વચ્ચેના યુદ્ધરૂપે જોવું તે એક ઉપરછલ્લો ઉપક્રમ છે. બીજા વિશ્વયુદ્ધ પછીનાં યુદ્ધો મોટા ભાગે આર્થિક લાભ આપતા એક વિકૃત મૂડીવાદનું પરિણામ છે.

૧૯૪૫માં અમેરિકાએ જાપાનનાં બે શહેરો (હિરોશિમા – નાગાસાકી) ઉપર અણુબોંબ નાંખ્યા. આ અત્યંત જઘન્ય કૃત્ય માટે જે દેશ, સરકારો અને (અ)નીતિ ઘડનારાઓનો વિશ્વસ્તરે બહિષ્કાર થવો જોઈતો હતો તેને જગત ફૂલડે વધાવે છે. અમેરિકા અને પશ્ચિમના દેશોએ ધન, સત્તા અને વર્ચસ્વ સ્થાપવા માટે ગુલામોના વેપારથી માંડી રેડ ઇંડિયનોના નિકંદન સુધીનાં પગલાં ભર્યાં છે. ૧૯૪૫ના અણુ-સંહારથી પૂરતો સંતોષ ન પામનાર અમેરિકાએ ૧૯૫૦માં કોરિયાના યુદ્ધમાં ઝંપલાવ્યું. તે પૂરું થતાં ૧૯૫૪માં તે વિયેટનામના યુદ્ધમાં ખાબક્યું.

વિયેટનામ એક ફ્રેંચ વસાહત હતી અને તેની સ્વતંત્રતા માટેની લડતથી થાકી હારીને ફ્રાંસ તે છોડી રહ્યું હતું. સાવ બિનજરૂરી રીતે અમેરિકા આ યુદ્ધમાં ઊતર્યું. હો-ચી-મિન્હના નેતૃત્વ હેઠળ વિયેટનામે જબરદસ્ત સામનો કર્યો. પણ અમેરિકાએ એટલા બોંબ ઝીંક્યા કે તેનું નામ ‘કાર્પેટ બોમ્બિંગ’ થઈ ગયું. ભયંકર આગ લાગે તેવા – વિશ્વ સ્તરે પ્રતિબંધિત નેપામ બોંબ પણ ઝીંક્યા. અમેરિકાની આ ક્રૂરતા એવી ભયાનક હતી કે ખુદ અમેરિકાનાં જ ઘણાં શહેરોમાં આ યુદ્ધ બંધ કરાવવા આંદોલનો થયાં.

પણ આ યુદ્ધખોર માનસિકતા એમ અટકનારી ન હતી. ૧૯૪૮માં યહૂદીઓ માટે ‘માદરે વતન’ ઇઝરાએલ સ્થપાયું. હિટલરે યહૂદીઓ ઉપર ભયાનક અત્યાચાર ગુજાર્યો હતો. લગભગ સાઠ લાખ યહૂદીઓને મારી નાંખ્યા હતા અને સમગ્ર વિશ્વની સહાનુભૂતિ યહૂદીઓ તરફ હોય તે સ્વાભાવિક જ હતું. પણ સવાલ એ છે કે આ અત્યાચારો થયા તે પહેલાં યહૂદીઓ અનેક દેશોમાં નાગરિકો તરીકે રહેતા જ હતા. તેમને પેલેસ્ટાઈનની ભૂમિ ઉપર લાવીને શા માટે વસાવાયા ? આજે ઇઝરાએલ યહૂદીઓનો દેશ હોવા છતાં, લાખો યહૂદીઓ વિશ્વભરના દેશોમાં નાગરિક તરીકે વસેલા છે જ. જો યહૂદીઓને ક્યાંક પણ એકસાથે વસાવવા હતા તો ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા (અલાસ્કા), કેનેડા વગેરે દેશો પાસે પુષ્કળ ખાલી જમીનો આજે પણ ઉપલબ્ધ છે જ. ઇઝરાએલને પેલેસ્ટાઈનમાં જ શા માટે – તે સવાલ છે. અલબત્ત બાપ્ટિસ્ટ ખ્રિસ્તીઓના ધાર્મિક આગ્રહ અનુસાર યહૂદીઓ પોતાની મૂળ ભૂમિમાં પાછા આવે તો સારું એવી માન્યતા છે.

પણ હવે શું બન્યું ? અમેરિકા વિયેટનામમાંથી લગભગ ૧૯૬૫-૬૬ સુધીમાં નવરું પડી ગયું હતું. હવે યુદ્ધ ક્યાં કરવું ? આ અંગે બે બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.

  1. અમેરિકા વિશ્વના પ્રથમ નંબરી દેશ તરીકે ટકી રહે તે માટે તેમની પાસે અસીમ આર્થિક અને લશ્કરી તાકાત હોય તે જરૂરી છે.
  2. અમેરિકાની આર્થિક તાકાત શસ્ત્રોના અને દવાઓના વેચાણ ઉપર નિર્ભર છે. અમેરિકાની ટેકનોલોજી, ઘણી બધી શોધખોળ પણ આ બે ઉદ્યોગોને પોષક હોય છે.

વાસ્તવમાં અમેરિકન મૂડીવાદ આ યુદ્ધખોર અને ભયાનક હિંસક માનસિકતા અને તે માટેના કાવાદાવા ઉપર રહે છે. ૧૯૭૮થી અમેરિકાની શિકાગો યુનિવર્સિટીએ વિશ્વભરમાં વિશ્વીકરણ અને નૂતન મૂડીવાદની હવા ફેલાવી છે. તે ગાંધીવિચારને મૂળમાંથી જ કાપી નાંખે છે. સત્ય, અહિંસા, સાદાઈ, માનવલક્ષિતા, કરુણા, મૈત્રી, પ્રેમભાવ – આ બધાને નૂતન મૂડીવાદમાં કોઈ જ સ્થાન નથી. એક મદોન્મત્ત રાક્ષસની જેમ આ મૂડીવાદ હિંસા, અસમાનતા, પર્યાવરણનો વિનાશ, યુદ્ધ, કાવાદાવાને પોષતી (પીગસસ જેવી) ટેકનોલોજી વગેરે ઉપર નિર્ભર છે.

૧૯૬૬-૬૭માં વિયેટનામમાંથી હટેલા અમેરિકાએ આરબ-ઇઝરાએલ યુદ્ધ કરાવ્યું, તે પછી પણ ઇરાન-ઇરાક-કુવૈત વગેરેનાં યુદ્ધો થયાં. આ યુદ્ધોમાંથી અમેરિકા અને પશ્ચિમી દેશોને વળી એક નવી અને વિશિષ્ટ ઉપલબ્ધિ સાંપડી.

લગભગ ૧૯૭૨થી આરબ દેશોને સમજ પડી કે પોતે જે ખનિજ તેલ વેચે છે તે તો તકોનો એક વિશાળ ખજાનો છે. પશ્ચિમી દેશો તેને મફતના ભાવે લૂંટી જઈ રહ્યા હતા. તેલ ઉત્પાદક દેશો – ઓપેકનું સંગઠન બન્યું અને તેલની સમૃદ્ધિ છલકાવા માંડી. આ સાથે આ પશ્ચિમી રાષ્ટ્રોએ નૂતન બનતાં જતાં શસ્ત્રોનું પણ વેચાણ વધે તેવા નુસખા કર્યા. આંતર-રાષ્ટ્રીય વેપાર, ઉદ્યોગીકરણ, શહેરીકરણ વગેરે માટે ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ મૂડી અને ટેકનોલોજી આવનજાવન, દૂધ અને ખાદ્ય સામગ્રીની પણ સસ્તા ભાવે લૂંટ વગેરે કાર્યક્રમ વિશ્વમાં અન્ય દેશોમાં ચલાવાયા અને તેને ‘વિકાસ’નું નામ અપાયું.

૧૯૪૫થી અમેરિકા અને પશ્ચિમ યુરોપે હિંસાત્મક આક્રમકતાને મૂડીવાદનું લેબલ ચીપકાવ્યું. અલબત્ત યુદ્ધ માત્ર ઉપર નિષેધ હોવો જોઈએ, પણ અમેરિકાએ તાલિબાન ઊભા કર્યા, ઇરાકના સદ્દામ હુસેનને મારીને તેને ન્યાયોચિત ગણાવ્યું. હમાસનો સફાયો કરશે, ગાઝા પટ્ટીમાં વિનાશ વેરશે અને આરબને જગતભરમાં નિંદાપાત્ર ગણાવશે અને પોતાની ઊંડી ચાલબાજીઓની કોઈને ભનક પણ આવવા નહીં દે. હમાસના સફાયાથી ખુશ થનારને ખ્યાલ પણ નહીં રહે કે ઇરાનનું તેલ હવે મોંઘું થશે. ભારત જેવા દેશની વેપાર ખાધ વધશે, દેશી-વિદેશી દેવું વધશે, રૂપિયો હજુ વધુ તૂટશે અને રેવડીઓ વહેંચવા કે વિકાસ કરવા માટે પણ ખાસ આર્થિક સાધનો હાથવગાં રહેશે નહીં. ઇઝરાએલની રચના અને સ્થાપન આરબ દેશોના તેલને લૂંટી જવા માટે છે. આ માટે શસ્ત્રો વેચવાં જ પડે, તે માટે યુદ્ધો કરાવવાં જ પડે યુરોપ કે અમેરિકાની તળ ભૂમિ પર એક પણ યુદ્ધ ખેલ્યા વગર સમગ્ર દુનિયાને લોહિયાળ મૂડીવાદ અને ઝાંઝવાનાં જળ જેવા વિકાસનાં સ્વપ્નાં – હથેળીમાં ચાંદની જેમ દેખાડાય છે.

ગાંધીની સાત્ત્વિકતા, સાર્વત્રિકતા, અહિંસા, પ્રેમ અને ઉદાત્ત જીવન – પેલા ગોડસેની ત્રણ ગોળી વડે ખતમ નથી થયાં. વિકાસનું આ પ્રગટ વિષ સમગ્ર વિશ્વનો સંહાર કરી રહ્યું છે.

  • યુદ્ધની આક્રમકતા : કેટલાક અંશો

આ યુદ્ધની ભયાનકતા અતિ ગંભીર સંકેતો આપે છે.

(૧) ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેની તંગ સ્થિતિ જાણીતી છે. દક્ષિણ કોરિયા અને પશ્ચિમી રાષ્ટ્રો પોતાની ઉપર હુમલો કરે તો તેનાથી બચવા વાસ્તે ઉત્તર કોરિયાએ ભૂગર્ભમાં પૂરેપૂરા વસવાટ નગરો વસાવ્યાં છે. આની ઉપરથી બોધ લઈને હમાસે ગાઝા અને પેલેસ્ટાઈનમાં ભૂગર્ભ ટનલો બનાવી છે. આ ટનલો પૈકી કેટલીક લેબેનોન અને સીરિયા સુધી પહોંચે છે. આ ટનલો મારફત હમાસે પુષ્કળ લશ્કરી સામાન એકઠો કર્યો છે.

(૨) મોસાદ અવ્વલ નંબરની જાસૂસી સંસ્થા છે. મોસાદને હમાસના હુમલાના આયોજનની કોઈ ભનક પણ ન આવે તે માટે પોતાના આયોજનનો એક શબ્દ પણ ડિજીટલ પદ્ધતિમાં ઉચ્ચાર્યો નથી. બધું જ આયોજન પ્રત્યક્ષ મુલાકાત ઉપર જ ગોઠવાયું હતું.

(૩) હમાસે ગણી લીધું હતું કે ઇઝરાએલ હવાઈ રોકેટ હુમલાનાં લગભગ ૨,૫૦૦ રોકેટને (૯૦ ટકા) હવામાં જ તોડી નાંખે તેવો આયર્ન ડોમ ધરાવે છે. હમાસે તેની ક્ષમતાથી બમણાં રોકેટ છોડ્યાં અને ભારે વિનાશ કર્યો.

(૪) શસ્ત્રોના સોદાગર એવા અમેરિકાએ યુક્રેનને પણ શસ્ત્રોની સહાય કરી છે. આ યુદ્ધ હજુ ચાલુ જ છે. એક અંદાજ મુજબ યુક્રેન અને રશિયાએ અત્યાર સુધીમાં કુલ સિત્તેર લાખ ગોળા ફેંક્યા છે. આમાંથી લગભગ અડધા અમેરિકાએ પૂરા પાડ્યા છે. હવે ઇઝરાએલના વપરાશ માટે રોજના પાંચથી છ હજાર ગોળાની જરૂર છે (બાય ધ વે શસ્ત્રોના આ ઉત્પાદનને પણ જી.ડી.પી.માં ગણવામાં આવે જ ને ! ખાંપણ અને શબપેટીનું ઉત્પાદન / વપરાશ વધે તો પણ જી.ડી.પી. વધે અને ‘વિકાસ’ થયો કહેવાય.) પણ હવે આ શસ્ત્રભંડાર ખૂટવા માંડ્યો છે.

(૫) સવાલ એ છે કે હમાસ પાસે આટલાં શસ્ત્રો આવ્યા કયાંથી ? હમાસે પાણીની પાઈપોના બે બે ફૂટના ટુકડા કરી તેમાંથી બોંબ બનાવ્યા હતા. ઇઝરાએલના અતિ મોંઘા અને વિશાળ શસ્ત્રભંડારની સામે આ સસ્તા બોંબ કામયાબ સાબિત થયા.

(૬) ઇઝરાએલે ગાઝામાં વીજળી, પાણી, પેટ્રોલ, ડીઝલ, દવા ખાદ્ય સામગ્રી વગેરે તમામનો પુરવઠો બંધ કરી દીધો છે. આથી ત્યાં એક ભયાનક અમાનવીય કટોકટી ઊભી થઈ રહી છે. હમાસે ૧૩૦ ઇઝરાએલીઓને બંદી બનાવ્યા છે. અને તેને છોડે નહીં ત્યાં સુધી આ ચાલુ રહેશે પણ પશ્ચિમી રાષ્ટ્રો અને ઇઝરાએલ આ બધું ચાલુ રાખશે તો તેનાં પરિણામો હજુ ભયંકર આવશે. હમાસ જેવું જ બીજું એક આતંકવાદી સંગઠન લેબેનોનમાં છે જે હીઝબુલ્લાહ તરીકે ઓળખાય છે. સીરિયામાં આવાં જ અન્ય જૂથો છે. ઇઝરાએલના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં આ જૂથો સક્રિય થઈ શકે છે.

(૭) મોટો સવાલ ઇઝરાએલ પાસેના શસ્ત્ર સરંજામનો છે. શસ્ત્રોના વેપારમાંથી ઊભી થયેલી આ ભયાનકતા શસ્ત્રો વગર સાવ નોંધારી થઈ જશે. અમેરિકા અને પશ્ચિમના દેશો યુક્રેનમાં શસ્ત્રો ઠાલવી ઠાલવીને લગભગ ખાલી થઈ ગયા છે. અમેરિકા પાસે પણ હવે શસ્ત્ર સરંજામ ખૂટવામાં છે. આવી અનેક નિર્બળતાઓ ઇઝરાએલ સામે સતત લડતાં આવેલ જૂથો અને તેના નેતાઓ જાણે જ છે. બીજી તરફ યુ.એન. તો શોભાના ગાંઠિયા સમાન જ રહ્યું છે. આવી ભયાનકતા જ ન થાય તે જોવામાં તે સદંતર નાકામ નીવડ્યું છે. યુદ્ધ શરૂ થયાના એક અઠવાડિયામાં આ ચિત્ર ઊભું થઈ ગયું છે. સમય વીતતો જશે તેમ તેમ તેની ભયાનકતા ઓસરવાની નથી.

દુનિયાભરનાં યુદ્ધોમાં રેડાતું લોહી કોઈ મુસલમાન, યહૂદી કે ખ્રિસ્તી કે હિંદુનું નથી. એ લોહી માણસનું છે. અત્યાચારો અને વિકૃતિઓનો ભોગ બનનાર પણ ‘માણસ’ જ છે. વિકાસના નામ હેઠળ ભોગવાદને પોષનારા અને તે માટે લાંબા ટૂંકા ગાળાનાં કાવતરાં કરનારાઓએ એક ઊંચી પર્વત-શ્રૃંખલા રચી દીધી છે. આ પર્વત-શ્રૃંખલામાંથી ઝરણાં અને નદી સ્વરૂપે નવ્ય મૂડીવાદ અને પશ્ચિમી આધિપત્યના નામે જે માનવસત્તાના પ્રવાહો વહે છે તેને કોઈ ધર્મવિશેષનું નામ આપી શકાય તેમ નથી.

ગમે કે ના ગમે કબરમાં સૂતેલા ગાંધીનો દુર્બલ અને ક્ષીણ અવાજ સાંભળવા મથવું રહ્યું.

તા. ૧૩-૧૦-૨૦૨૩
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 નવેમ્બર 2023; પૃ. 04 – 05

Loading

માખણ જેવા મૃદુ, વજ્ર જેવા મજબૂત : વિનોબા

અમૃત મોદી|Opinion - Opinion|12 December 2023

પ્રભુદાસ ગાંધી

સાબરમતી આશ્રમના આરંભનાં વર્ષોમાં રાષ્ટ્રીય શાળા શરૂ કરવામાં આવી હતી. જેમાં આચાર્ય કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, વિનોબા, નરહરિભાઈ પરીખ, જુગતરામભાઈ દવે જેવા પ્રતિભાશાળી શિક્ષક હતા. બાપુજીના આદેશ અનુસાર વિદ્યાર્થીઓને પૂર્ણ સ્વતંત્રતાનો નિયમ હતો. કોઈ પ્રકારની સજા કે માર નહીં મારવાનો આદર્શ હતો, જે એ જમાના માટે નવો પ્રયોગ હતો. પરિણામે અમે વિદ્યાર્થીઓ સાવ બેપરવા થઈ ગયા હતા. કિશોરલાલભાઈ રેખાગણિતનો વર્ગ લેવાનો શરૂ કરે, અને મારા જેવા અલ્લડ લંગોટ બાંધીને સાબરમતી નદીમાં તરવા પહોંચી જાય.

મને અભ્યાસમાં જોતરી દીધો

હું ઉદ્દંડ તો હતો જ; એક દિવસ આ શિક્ષકો વિશે કંઈ ને કંઈ ફરિયાદો લખીને એ કાગળ બાપુને આપ્યો. બાપુએ વાંચ્યો, બોલ્યા : ‘ઠીક છે.’ પછી એમણે એ પત્ર શિક્ષકોની સભામાં મૂક્યો. મેં મારી વાત રજૂ કરી. મારે વ્યાકરણ શીખવાની કંઈ જરૂર નથી. મારી માએ ભાષા શીખવતી વખતે વ્યાકરણ શીખવ્યું હતું. અને સંસ્કૃતનાં રૂપ-વિભક્તિ વગેરે યાદ કરવાની ઝંઝટ મારાથી થશે નહીં. સભામાં ચર્ચા ચાલી. વિનોબાએ કહ્યું, ‘પ્રભુદાસને મને સોંપી દો, હું પ્રયોગ કરી જોઉં. હું શીખવું એ પાઠના બધા શબ્દો શબ્દકોશમાં જોઈને તેના અર્થ એણે સમજી લેવાના.’

મેં હા ભણી. પરંતુ થયું શું ? એ તો ૧૫-૨૦ મિનિટ ભણાવતા, પરંતુ એની તૈયારીમાં મારે ત્રણ-ચાર કલાક શબ્દોના અર્થ શોધવામાં લાગી જતા. વળી એ ભણાવતા પણ હતા ખાતાં ખાતાં ! થોડું શીખવતા હતા, પણ ગહન શીખવતા હતા. ‘રઘુવંશ’નો બીજો અધ્યાય, વાલ્મીકિ રામાયણમાં પ્રવેશ, નીતિશતક, બ્રહ્મસૂત્રની પ્રસ્તાવના વગેરે. પછી તો ઘણી વાર કહેતો પણ ખરો કે વ્યાકરણ શીખવોને. તો જવાબ મળતો, ‘તારે તો વ્યાકરણ શીખવાનું નથી ને ? તને તો આવડે છે ને !’ આમ, હું એમનો વિદ્યાર્થી બની ગયો. તેમ છતાં બાપુ પાસે મારી ફરિયાદો પહોંચતી કે વિનોબા તો સૂતાં સૂતાં ભણાવે છે, સામાવાળાને તો કાંઈ ગણતા જ નથી, પોતાને જ ‘સબકુછ’ સમજે છે …. વગેરે વગેરે.

કઠોર, પણ કેવા મૃદુ – માખણ જેવા !

વિનોબાજી

એ વાતને બે વર્ષ થઈ ગયાં. હવે પૂરો સમય હું એમના સાંનિધ્યમાં રહેતો હતો. સવારે ચાર વાગે મને ઉઠાડે. બ્રહ્મમુહૂર્તમાં મને સાબરમતી નદીમાં સ્નાન કરવા લઈ જતા. સ્નાન-પ્રાર્થના પછી નિયમસર વ્યાયામનો કાર્યક્રમ રહેતો. પછી પોતાની કુટિર પાછળ નદીના કાંઠે પૂર્વ બાજુ બેસીને, આસન લગાવીને પોતાના ભજન-ચિંતનમાં તલ્લીન થઈ જતા – જાણે આ જગતને ભૂલી ગયા હોય ! તુકારામ – જ્ઞાનેશ્વરનાં ભજન ગાતાં ગાતાં એ આનંદ-સમાધિમાં ડૂબી જતા. એમની આંખોમાંથી એકધારી આંસુની ધારા વહેતી. આ બધું હું જોતો અને વિચારવા લાગતો કે જીવનમાં સાવ રૂખા-સૂખા, કોઈની સાથે માયા-મમતા ના રાખનારા, રાત-દિવસ કઠોર જીવન જીવનારા વિનોબા હૃદયથી કેટલા મૃદુ, માખણ જેવા છે !

એક વાર હું વિનોબા પાસે ભણવા જઈ રહ્યો હતો, રસ્તામાં બાપુ મળ્યા. પૂછવા લાગ્યા, ‘કોઈ રાવ-ફરિયાદ ?’

‘ના, ના, બિલકુલ નહીં. મારા તો એ ગુરુ છે.’

‘તો એમ કરો, આજે પ્રાર્થનામાં એમની માફી માંગો.’

…. અને સાંજની પ્રાર્થનામાં બધાં વચ્ચે આંખમાં આંસુ સાથે મેં માફી માગી અને કહ્યું, ‘ગુરુ હોય તો આવા જ હજો.’

અમે કાંઈ બોલી જ ન શક્યાં

એ વખતે એમનું બપોરનું ભોજન લઈ આવવાનું કામ મને સોંપ્યું હતું. મહિનાઓ સુધી આ કામ ચાલ્યું. વીસ મિનિટમાં એ ભોજન કરી લેતા. સાથે સાથે મને ભણાવતા પણ હતા. ચાવી-ચાવીને ખાતા હતા. વીસ મિનિટમાં બરાબર ચાવીને ખાઈ શકાય એટલો જ ખોરાક લેતા હતા. ત્રણ નાની રોટલી, થોડુંક શાક, થોડીક દાળ, બસ ! કસ્તૂરબા થાળી પીરસીને મને આપતાં. પછી કોણ જાણે કેમ એમણે આ આહાર પણ બંધ કરી દીધો. દૂધ અને ખારેક પર રહેવા લાગ્યા. અમારા ઘેર કોક દિવસ ભોજન કરે એવો મારી બાનો બહુ આગ્રહ હતો. એક વાર ઘેર આવ્યા. એમનું ભોજન હતું ૩૫૦ ગ્રામ દૂધ અને ગણેલી પાંચ ખારેકો ! બસ, દિવસમાં બે વાર આ જ ખોરાક લેતા હતા. આટલું ખાવામાં એમણે અર્ધો કલાક કર્યો. થોડુંક વધારે લે એવી બાને ઉત્કટ ઇચ્છા થતી હતી. પણ મા અને હું કાંઈ બોલી જ ન શક્યાં. એટલું ઉગ્ર એમનું તેજ હતું.

રસ્તા વચ્ચે ત્યાં વાઘ ઊભો હતો

એક વાર સહ્યાદ્રિ પર્વતના જંગલમાં વિનોબા અને બે સહપાઠી સાથે પ્રતાપગઢનો પગપાળા પ્રવાસ કરતા અમે જતા હતા. નિશ્ચિત રસ્તો છોડીને પહાડ પર સીધા ચડવા લાગ્યા. પછી ભૂલા પડ્યા. આગળ જઈ શકાય એમ જ નહોતું. અમને ત્રણને એક ખુલ્લી જગ્યામાં મૂકીને વિનોબા રસ્તો શોધવા ગયા; પણ મળ્યો નહીં. એટલે પાછા આવીને ગંભીર અવાજે બોલ્યા, ‘જે રસ્તેથી આવ્યા, ત્યાંથી જ પાછા ચાલો. આખરે કિલ્લાના ચોગાન પાસે પહોંચી ગયા, ત્યાં ખાધું.

પછી જોયું તો વિનોબાને તાવ આવી ગયો હતો. અમને કોઈને તાવ આવે તો એ કહેતા કે તાવ આવ્યો નથી, તમે એને લાવ્યા છો. હવે એમના શબ્દો એમને સંભળાવતાં મેં કહ્યું, “તમને તાવ આવ્યો નથી, તમે લાવ્યા છો.”

જવાબમાં એમણે કહ્યું, “હું તાવ લાવ્યો નથી, પણ તારા કારણે મને તાવ ચડ્યો છે. રસ્તો મળતો નહોતો, આવેલા રસ્તે પાછા ફરવાનું મેં કહ્યું ત્યારે ત્યાં એક વાઘ ઊભો હતો. વીજળીની પેઠે એની આંખો ચમકી રહી હતી. એ વખતે તમને કહ્યું હોત તો તમે લોકો ભાગવા લાગત અને મોટી મુસીબત થઈ જાત. મનમાં ભારે ચિંતા પેદા થઈ કે જો તમને કશુંક થયું હોત તો કાશીબહેન સામે કયું મોઢું લઈને ઊભો રહી શકીશ ?”

वज्रादपि कठोराणि मृदुनि कुसुमादपि − એવું એમનું હૃદય હતું !

(પ્રભુદાસ ગાંધીના હિંદી લેખનો અનુવાદ)
સ્ત્રી અધ્યાપન મંદિર સામે, ગાંધી આશ્રમ, અમદાવાદ – ૩૮૦ ૦૨૭
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 નવેમ્બર 2023; પૃ. 09 તેમ જ 17

Loading

વિચાર, અભિવ્યક્તિ અને વર્તન

રોહિત શુક્લ|Opinion - Opinion|12 December 2023

હિંદુ ધર્મમાં ધર્મ વિશે ઘણું કહેવાયું છે :

यतो धर्म: ततो जय:

धर्मस्य गहना गति

 

धर्मा रक्षति रक्षित:

धारयात इति धर्म:

 

स्वधर्म निधनं श्रेय:

परधर्मो भयाव:

सत्यम्‌ वद धर्म चर:

હિંદુધર્મમાં ધર્મની બાબતો વિશે શંકાશીલ થવું કે ‘તર્કબાજી’ કરવી તે બહુ આવકારદાયક પણ નથી. અગિયારસ, ચાતુર્માસ, નવરાત્રી, સમય-સમયનાં દર્શન, તથા શુદ્ધતા અને પવિત્રતા અંગેના પણ આગવા ખ્યાલો છે. ઘઉંના લોટની ભાખરી, જો લોટ પાણીથી બંધાયો હોય તો એંઠી અને દૂધથી (દૂધમાં ગમે તેટલું પાણી ઉમેરાયું હોય !) બંધાય તો ચોક્ખી ગણાય. આવા રીતરિવાજો ઉપરાંત કર્મકાંડ, જ્યોતિષ, કર્મના સિદ્ધાંત વગેરેનો એક મોટો ખજાનો છે. બધાને આ તમામની વિગતો સમજવાનો કે સારાસાર તત્ત્વો તારવવાનો સમય, વૃત્તિ કે અભિગમ હોતા નથી. આથી કથાકારો, ‘સાધુઓ’ પૂજારી, વગેરેના આદેશ કે સૂચનોને શિરોધાર્ય ગણવામાં આવે છે.

પરંતુ જો પરંપરા અને પુરાણોની કથાઓની ભીતરમાં બુદ્ધિ કે તર્ક સાથે અને ઇતિહાસનો ઉપયોગ કરીને પ્રવેશવા પ્રયાસ કરીએ તો મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે. આ અંગે વિવિધ અને ક્યારેક ચોંકાવનારાં તથ્યો મળે છે. આ વિધાનો ઘણા લોકોની માન્યતાઓને આઘાત પહોંચાડી શકે તેવાં છે. આ પ્રકારની માહિતીનો ઉલ્લેખ અહીં નિરર્થક છે. છતાં નમૂના દાખલ એક ઉલ્લેખ જોઈએ :

બુદ્ધ એક જ ન હતા; ૨૭ બુદ્ધ થઈ ગયા. તે પૈકી એક લંકાપતિ રાવણના સમવયસ્ક હતા. અને બંને મળ્યા પણ હતા. જો એમ હોય તો બુદ્ધ અને રામની પણ મુલાકાત થઈ હોઈ શકે. તો પછી બૌદ્ધધર્મ કેટલો જૂનો હશે ? જો બૌદ્ધધર્મ આટલો જૂનો હોય તો સનાતન ધર્મ કેટલો જૂનો હશે ? આ પ્રકારના પ્રશ્નો ઉપરાંત ભાષાનો પણ મુદ્દો ઉઠે છે. પાલિ અને સંસ્કૃત પૈકી કઈ ભાષા વધુ જૂની ?

ઇતિહાસનું અવગાહન અનેક સવાલો ઊભા કરે છે. જેમને સત્ય અથવા તથ્ય શોધવા કે જાણવામાં રસ હોય તેમણે આ દિશમાં આગળ વધવું રહ્યું.

પરંતુ નવ્વાણું ટકા લોકોને ‘આવી’ બાબતોમાં રસ હોતો નથી. આ ક્ષેત્ર વિચારોનું ક્ષેત્ર છે. તર્ક અને બુદ્ધિના ક્ષેત્રના વિચાર, તેમાંથી નિષ્પન્ન અભિવ્યક્તિ અને વર્તનની જગ્યાએ ભક્તિ, શ્રદ્ધા, આદેશ અને આજ્ઞા આપીને બેસી જાય છે. કાળક્રમે મોટા ભાગના લોકો દેખાદેખી અને ગતાનુગતિક ઢબ અપનાવી પોતાના વર્તનમાં પરંપરા તેમ જ આધુનિકતા – એમ બંનેનો સમાવેશ કરતા થઈ જાય છે. હિંદુ ધર્મના ચાર આશ્રમોનું ઉદાહરણ લઈએ.

તે મુજબ એકાવનમા વરસે ગૃહસ્થે વનપ્રવેશ-વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવો જોઈએ. અને પંચોતેરમા વરસે સંન્યાસી બનવું જોઈએ. આવું ભાગ્યે જ બને છે. નથી પરંપરા ખપમાં આવતી અને નથી તર્કશીલતા કેળવાતી. આથી જ દેશના વિવિધ કાળખંડોમાં લોકો દ્વારા સમાજમાં કરાતી વર્તણૂક એક અભ્યાસનો અને ક્યારેક ચિંતાનો વિષય બને છે.

ભારતનું બંધારણ એના ‘આમુખ’માં શિક્ષણ, જીવન અને કામના મૂળભૂત નાગરિક અધિકારોનો સ્વીકાર કરે છે. આ ત્રણ બાબતો ધર્મ-વિરુદ્ધની પણ નથી; પણ તેના અમલનું વાસ્તવિક ચિત્ર, ધર્મનો અહેસાસ કરાવતું નથી. બધા જ ધર્મોનું મૂળતત્ત્વ માનવલક્ષિતા છે. બુદ્ધિ-તર્ક અને સમતાલક્ષિતા વગર માનવલક્ષિતા સંભવ નથી. આ વ્યાપક સંદર્ભમાં શિક્ષણ અપાય અને શિક્ષિતોને નોકરી-ધંધા મળી રહે તો એક વિકસિત અને નૈતિકતાસભર સંવેદનશીલ સમાજ રચાય.

ઉત્તર યુરોપ, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વધતા-ઓછા અંશે આ દિશામાં જઈ રહ્યા છે. આ દેશોમાં પણ ધર્મનો આશ્રય તો છે જ પણ ત્યાં કર્મકાંડની સત્તા નથી.

‘સ્ત્રીઓનું સન્માન કરવું’ તે કર્મકાંડ વડે શીખવવાનો મુદ્દો હોવા કરતાં શિક્ષણ દ્વારા ઊભી કરાતી સંસ્કારિતાનો મુદ્દો વધુ બને છે. શિક્ષણ દ્વારા કરાતું મૂલ્યવર્ધન અત્યાચારનું રૂપ ભાગ્યે જ લે છે !

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 નવેમ્બર 2023; પૃ. 20

Loading

...102030...732733734735...740750760...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved